લેબલ આઝાદી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ આઝાદી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 4 માર્ચ, 2013

નિરપેક્ષ અહિંસા અધર્મ, ધર્મની રક્ષા સૌથી મોટી અહિંસા


-          ક્રાંતિવિચાર
માનવીને તેના મૂળભૂત ફરજરૂપી ધર્મની રક્ષા કરવામાં ઉદાસીન બનાવતો અહિંસાનો વિચાર તેના માટે સૌથી વધારે હિંસક છે. આવી અહિંસા માનવીના અસ્તિત્વ સામેની હિંસા છે. હિંસાને માત્ર હિંસા તરીકે જોવાની વૃતિ છોડવી જોઈએ. આપણે ત્યાં નેતાઓ, જુદાજુદા પંથ-સંપ્રદાયો અને વિચારો હિંસા પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે, પક્ષપાતી દ્રષ્ટિકોણ ધરાવે છે. જો કે હિંસાના પણ ઘણાં પ્રકારો હોય છે. હિંસાને હંમેશા અપખોડવામાં આવે છે અને તેની હંમેશા નિંદા કરવામાં આવે છે. અહિંસાના ખૂબ વખાણ કરવામાં આવે છે. અહિંસાને કોઈપણ સ્વરૂપમાં સારી માનવામાં આવે છે. પરંતુ અહિંસાનો વિચાર કરીએ, તો તેના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય-સાપેક્ષ અહિંસા અને નિરપેક્ષ અહિંસા. સાપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા કોઈ એકબીજાને મારે નહીં, એકબીજા સાથે હિંસા કરે નહીં. નિરપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા પોતાની સાથે, પોતાના સમાજ સાથે અને પોતાના દેશ સાથે અધર્મ થતો હોય, વિનાશક હુમલાઓ થકી હિંસાચાર થતો હોય, તો પણ અહિંસક રહેવું. સાપેક્ષ અહિંસા દુનિયા માટે યોગ્ય છે. દુનિયા સાપેક્ષ અહિંસાથી ટકી છે. પરંતુ નિરપેક્ષ અહિંસા તેનું અનુસરણ કરનાર વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વ સામે હંમેશા જોખમ પેદા કરે છે. નિરપેક્ષ અહિંસાને વળગી રહેનાર વ્યક્તિ, સમાજ અને દેશનો નાશ થાય છે. ઈતિહાસ સાક્ષી છે કે ઈરાનમાં પારસીઓ ઈસ્લામિક હુમલાખોરોના હુમલા સામે નિરપેક્ષ અહિંસક રહ્યા. તેમને ભારતમાં શરણ મળ્યું. જો કે પારસીઓ ભારતમાં સવાયા ભારતીયોની જેમ હંમેશા ભારતમાતાની સેવા કરતા રહ્યા છે. પરંતુ યહુદીઓનું ઉદાહરણ જોઈએ, તો 2000 વર્ષ પહેલા તેમને છોડવો પડેલો દેશ તેમણે સતત યુદ્ધરત રહીને પાછો મેળવ્યો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નિરપેક્ષ અહિંસાને છોડી દેનાર રાષ્ટ્ર ઉભું કરી શકે છે અને તેનું અસ્તિત્વ પણ ટકાવી શકે છે.

ભારતમાં મહાત્મા ગાંધીએ જે અહિંસા શિખવાડી તે પણ નિરપેક્ષ પ્રકારની અહિંસા હતી. મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ પણ ભારતમાં અહિંસાના તેમના વિચારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. જેના કારણે વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ અને ગૃહનીતિથી માંડી તમામ ક્ષેત્રોમાં ભારતીય હિતોની ઘોર ખોદાતી રહી છે. ગાંધીની અહિંસા ઘણી હદ સુધી નિરપેક્ષ અહિંસા પ્રકારની અહિંસા હતી. ભગવાન બુદ્ધે જે અહિંસાનો આવિષ્કાર કર્યો હતો, તેમા સ્વરક્ષણનો અધિકાર બિલકુલ સામેલ હતો. આજે બૌદ્ધ મતને માનનારા લોકોના દેશ જાપાન, કોરિયા, ચીન, વિયેતનામ વગેરેએ પોતાના વિચારમાં અહિંસા હોવા છતા પોતાના અસ્તિત્વના મામલામાં ક્યારેય સમજૂતી કરી નથી. પરંતુ ભારતમાં અહિંસાની એક વિકૃત વિચારધારા જાણી જોઈને ચલાવવામાં આવી છે. આ અહિંસાની વિકૃત વિચારધારા નિરપેક્ષ અહિંસાની હતી. કોઈ એક ગાલ પર લાફો મારે, તો બીજો ગાલ ધરી દેવા સુધીની નિરપેક્ષ અહિંસા. પરંતુ કોઈ ત્રીજો લાફો મારે તો શું કરવું કે કોનો ગાલ લાફો મારનાર સામે ધરવો, તેનું આ અહિંસા દર્શનમાં કોઈ જ માર્ગદર્શન નથી. નિરપેક્ષ અહિંસા વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વનો ઈન્કાર કરનારા છે. ત્યારે સવાલ એ છે કે આવા અસ્તિત્વ વિરોધી વિચારને ક્યાં સુધી માનવામાં આવશે?

હિંસા હંમેશા ખરાબ હોતી નથી. બુરાઈને ખતમ કરવા અચ્છાઈ ઉગ્ર વલણ અપનાવે અથવા તો બુરાઈની સામે હિંસા કરે તો તે હિંસા હિંસા નથી. આવી હિંસા વ્યક્તિ, સમાજ અને દેશમાં રહેલી અહિંસાની ભાવનાની હત્યા અટકાવવા માટેનું યુદ્ધ છે. મહાભારતનું યુદ્ધ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં થયેલો હિંસાચાર અન્ય કોઈ યુદ્ધના હિંસાચારથી મોટો હતો. પરંતુ આ યુદ્ધ હતુ, વ્યક્તિ અને સમાજમાં રહેલી અચ્છાઈની રક્ષા માટેનું યુદ્ધ. આ અચ્છાઈ કે જેને ધર્મના નામે ઓળખવામાં આવે છે, તેને બુરાઈ નામના અધર્મને ખતમ કરવા માટે ખેલાયુ હતુ. જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ યુદ્ધભૂમિ પર યુદ્ધના નાયક અર્જૂનને આપ્યો હતો. પોતાના લોકો સામે લડવા માટે અસમર્થતા દાખવી ચુકેલા અર્જૂનના હાથમાં શ્રીકૃષ્ણના તાર્કિક સંવાદે ગાંડિવ ફરીથી ઉંચકાયું. શું મહાભારતનું યુદ્ધ નર્યો હિંસાચાર હતો. જો આ હિંસાચાર ન થયો હોત, તો દુર્યોધનની હિંસક અને અમાનવીય-અધર્મીય વૃતિઓ ક્યાં જઈને અટકત? દુર્યોધનના અધર્મને અટકાવવો હિંસા હતી, તો તે તેના અધર્મને જીવિત રાખનારી અહિંસા કરતા વધારે યોગ્ય છે. જે ભગવદ ગીતા કરોડો હિંદુઓની પ્રેરણાસ્ત્રોત છે, તેમા પણ કહેવામાં આવ્યું છે કે પરિત્રાયાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એટલે કે સાધુ અને સજ્જનોની સુરક્ષા માટે અને દુષ્ટોના સંહાર માટે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે આવશે. એટલે વ્યક્તિ પોતાનામાં સાધુતા અને સજ્જનતા જીવિત રાખશે, તો કૃષ્ણ તેમનામાંથી જ કોઈના આત્મત્વમાં પ્રગટશે અને તેઓ દુષ્ટોનો સંહાર કરશે. ગીતાનું જ્ઞાન આપતા પોતાના પિતામહ, કાકા, મામા, ભાઈ-ભાડું અને ગુરુ જોનારા અર્જૂનને શ્રીકૃષ્ણે અધર્મીનો અધર્મ દેખાડયો હતો. અધર્મનો નાશ કરવો અને ધર્મની રક્ષા કોઈપણ ભોગે હિંસા નથી, તેવું ભગવદ ગીતાનો શ્રીકૃષ્ણનો ઉપદેશ કહે છે. કોઈ ગુનેગાર ખૂન કરે છે, આતંક ફેલાવે છે, લોકોને અકારણ અને બિનજરૂરી રીતે મારવાની વૃતિ ધરાવે છે. આવી વૃતિ વ્યક્તિ, સમાજ અને દેશ વિરોધી હોય છે. તો આવી વૃતિ દાખવનારને સમાજ વધુ સહન કરવા તૈયાર હોતો નથી. આવા લોકો માટે સમાજે અને દેશે પોતાના કાયદામાં ફાંસીની જોગવાઈ કરી હોય છે. આવી ફાંસીને હિંસા ગણી શકાય નહીં. આ ફાંસી સમાજ અને દેશની અહિંસાને ખલેલ પહોંચાડનારને મળનારી સજા છે.

ભારતે ગુલામીને હજાર વર્ષ સુધી ગળે લગાડી. ભારતમાં ગુલામીને દૂર કરનારા લોકોએ અહિંસા, ધર્મ તથા ફરજ નિભાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ કર્યો. પરંતુ તેમને ભારતના ઈતિહાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતની ગુલામી દૂર કરનારા પ્રયત્નશીલ વ્યક્તિઓ સાથે થયેલો આ મોટો અન્યાય છે. પરંતુ આજે પણ ગાંધી વિચારોની આભામાં અને કેટલાંક રાજકીય સ્વાર્થોને પરિણામે ધૃતરાષ્ટ્ર બનેલા લોકો દેશની આઝાદીની લડતમાં સશસ્ત્ર ક્રાંતિવીરોને યોગ્ય માન-સમ્માન આપતા નથી. નિશસ્ત્ર એવા સ્વાતંત્ર્યવીર લાલા લાજપતરાયને લાહોરની સડકો પર અંગ્રેજ સિપાહીઓએ લાકડીઓ ફટકારીને ઢાળી દીધા હતા. આ વડીલ નેતાની લાશ જોઈને અંગ્રેજોનું શાસન દૂર કરવાની ભાવના રાખનારા ક્રાંતિકારીઓ હિંસક ન હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડને પાર પાડી અંગ્રેજ સલ્તનત પાસે સિરપાવની આશા રાખનાર જનરલ ડાયર જેવા હત્યારાઓ સામે બદલો લેવા માટે ઉધમસિંહે કરેલા કામ કોઈપણ પ્રકારે હિંસા ગણી શકાય નહીં. 1857ના ક્રાંતિસંગ્રામ બાદ ઉત્તર ભારતના ગામેગામ ઝાડવે-ઝાડવે લાશો લટકાવનારા અંગ્રેજો સામે સશસ્ત્ર બાથ ભિડનારા કોઈ ગુનેગાર ન હતા, પરંતુ ભારતની સાપેક્ષ અહિંસાની પરંપરાને કામ રાખવા માટે ઝઝુમનારા સૈનિકો હતા. ભારતે અહિંસાથી આઝાદી મેળવી એવું કહેનારા ભારતની નવી પેઢીને માનસિક રીતે નપુંસક બનાવી રહ્યા છે. પોતાના અધિકાર માટે, પોતાના દેશના અધિકાર માટે બલિદાન આપનારા લોકોથી અજાણ રાખીને આપણે આપણી પેઢીનું માનસિક ખસીકરણ કરી રહ્યા છીએ. સમૃદ્ધિ સુરક્ષા સાથે હોય, તો જ તે આનંદરૂપ બની શકે છે. પરંતુ સમૃદ્ધિની સુરક્ષા કરવાનું સામર્થ્ય ગુમાવવાથી ગુલામી આવે છે. ભારતનો છેલ્લા હજાર વર્ષનો ઈતિહાસ આમ કહે છે. સમૃદ્ધિની સુરક્ષાનું સામર્થ્ય અહિંસાના વેવલાવેડાથી આવવાનું નથી. ગાંધીની દેખાડેલી નિરપેક્ષ અહિંસા એવી છે કે અંદરખાને માર ખાવ કરતા ખુલ્લેઆમ રસ્તા પર આવીને માર ખાવો અને જુલમ સહેવો.

આવી અહિંસાના પરિણામે આઝાદી વખતે 90 લાખથી વધારે હિંદુઓને પોતાના પ્રદેશો છોડવા પડયા હતા. તો 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. છતાં આજે આ કતલ હજી અટકી નથી. વ્યક્તિ, સમાજ અને દેશમાં શક્તિ હોવી અને તેની દુનિયાને જાણ હોવી તેની હિંસાથી રક્ષા કરે છે. આ શક્તિનું દમન અને શમન કરવાની વૃતિ વિકૃતિ છે. આવી વિકૃતિ નિરપેક્ષ અહિંસાની ભાવનાથી જન્મે છે. આવી ભાવના હિતોનો બલિ લઈ લે છે. ભારત અને ભારતના લોકો સાથે આમ જ થયું છે અને આમ થઈ રહ્યું છે. ભારતે અહિંસાના તેને મળેલા તમામ વિચારોનો પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે ભારતમાં અને ભારતના પાડોશમાં થઈ રહેલા હિંસાચારથી ભારતને જોખમ છે. આ જોખમને દૂર કરવા માટે ભારતે ફરીથી પોતાનામાં રહેલી શક્તિને જગાડવી પડશે અને વધુ એક મહાભારતની તૈયારી કરવી પડશે. આ મહાભારત ભારતના લોકોએ કોઈપણ સમયે કરવુ પડે તેવી સ્થિતિ છે.
નિરપેક્ષ અહિંસા પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. તમે અનુભવ્યુ હશે કે કોઈ જોખમ અચાનક આવી પડે,તો દરેક જીવ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. આ જોખમથી બચવાની વૃતિ હંમેશા અહિંસા છે, પછી ભલે તેમા હિંસા હોય. આ જોખમથી બચવાની હિંસાને પણ સ્વરક્ષણ કહેવાય છે. પ્રકૃતિએ દરેક જીવને સ્વરક્ષણનો અધિકાર આપ્યો છે. આ અધિકારથી કોઈપણ જીવને કોઈપણ વ્યક્તિ, નેતા કે મહાત્મા પોતાના વિચારો કે લાગણીઓ કે શક્તિથી વંચિત કરી શકે નહીં. આવા કોઈપણ વિચારોનો અનાદર કરવાનો જોખમ ધરાવતા જીવે ઈન્કાર કરવાનો અધિકાર છે. સ્વરક્ષણ જીવ સૃષ્ટિના અસ્તિત્વને કાયમ કરનારો અધિકાર છે. ત્યારે પોતાના અધિકારોનું સ્વરક્ષણ કરવામાં ઉદાસિનતા ધરાવતા વ્યક્તિ, સમાજ અને દેશે તેને મળેલા નિરપેક્ષ અહિંસાના વિચારોનો પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
અહિંસા આવશ્યક અને અનાવશ્યક પ્રકારની હોય છે. અનાવશ્યક હિંસા શેતાની અને અનિષ્ટ છે. આ રાક્ષસી વૃતિની પ્રતીક છે. આવશ્યક હિંસા રાક્ષસી વૃતિ સામેના પ્રતિકારમાંથી જન્મે છે. હિંસાની આવશ્યકતા અને અનાવશ્યકતા મનુષ્યના ચાર પુરુષાર્થોમાંથી એક એવા ધર્મ દ્વારા સમજાય છે. ધર્મને અહીં સંપ્રદાય, મત કે રિલિજયનના સ્વરૂપે સમજવો નહીં. તેથી જ તો ભારતમાં કહેવાયુ છે કે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે.
મહાત્માગીરીનો દંભ કરવા માટે ગાંધીવિચાર બિલકુલ યોગ્ય છે. પણ વીરભારત બનાવવા, શક્તિશાળી અને શૂરવીર ભારત બનાવવા મહાત્મા નહીં પરમાત્મા શ્રીરામ કે શ્રીકૃષ્ણના માર્ગે ચાલવુ પડે. અધર્મના રાવણ અને કંસ-દુર્યોધનનો વધ કરવો પડે. આવા ધર્મયુદ્ધમાં કરાતી હિંસા એ હિંસા નહીં, પણ પુણ્ય છે. 

શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

ભારતના રાજકારણની દુર્દશા ‘કોંગ્રેસ મૉડલ’ની દેણ


-ક્રાંતિવિચાર

ભારતીય રાજકારણમાં ઘણી બદીઓ અને નબળાઈઓની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશમાં ભ્રષ્ટાચારના મુદ્દે થતી ચર્ચામાં પણ રાજકીય કલેવરને બદલવા સુધીના તર્કો આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી સુધારાની વાતો પણ જોરશોરથી થઈ રહી છે. આઝાદ ભારતની રાજનીતિક સંસ્કૃતિ ઘણો મોટો અભ્યાસનો વિષય રહી છે. આઝાદી પહેલા 1885માં અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ ભારતની રાજનીતિનું મોડલ હતી અને આઝાદી પછી પણ સૌથી વધારે વર્ષ સત્તાનો ભોગવટો કરવાને કારણે દેશના રાજકીય મોડલ તરીકે ચાલુ રહી. 1885માં અંગ્રેજ દ્વારા થયેલી કોંગ્રેસની સ્થાપના શું દેશને આઝાદ કરાવવા માટે થઈ હતી કે અંગ્રેજોની સત્તા ટકાવી રાખવા માટે થઈ હતી? આની બિટવિન ધ લાઈન્સ વાચક ખુદ સમજી શકે છે. (ઘોષિત એજન્ડા સિવાયના અઘોષિત એજન્ડાઓ હોવા રાજનીતિમાં હંમેશાથી સામાન્ય વાત રહી છે) 1885થી 1920 સુધી કોંગ્રેસે અંગ્રેજી હકૂમતની સામે કરેલા આંદોલનોની યાદી આજના કોંગ્રેસીઓ મહેરબાની કરીને આપે તો ખબર પડે કે તેમણે આંદોલનના નામે પત્રાચાર સિવાય કશું જ કર્યું ન હતું.

1920 બાદ દેશમાં ગાંધીજીના નેતૃત્વ નીચે આંદોલન થયા, પરંતુ કોંગ્રેસના બધાં આંદોલન અહિંસક રહ્યા. તેની પાછળનો તર્ક ગાંધીજીની અહિંસામાં આસ્થા હોઈ શકે. પરંતુ એક નીતિ સ્પષ્ટ રહી કે ગાંધીજીના નેતૃત્વમાં બનેલી કોંગ્રેસે અંગ્રેજી હકૂમતનો એક ચોક્કસ મર્યાદામાં રહીને વિરોધ કર્યો હતો, આજના કેટલાંક ટીકાકારો કહે છે કે માત્ર વિરોધનો દેખાવ કર્યો હતો. ભારતમાં અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવામાં દેશ-વિદેશમાં ભારતીય યુવાનો દ્વારા આપવામાં આવેલા બલિદાનો અને સુભાષચંદ્ર બોઝ દ્વારા દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સામ્રાજ્ય સામે જર્મન-જાપાનીઓ સાથે હાથ મિલાવવાની નીતિ વધારે કારણભૂત હતી. ગદ્દર આંદોલનથી લઈને મુંબઈમાં થયેલા નૌસૈનિક વિદ્રોહની તવારીખ ગાંધી અને તેમની આગવી કોંગ્રેસના આંધળા ભક્તોએ જોઈ લેવી. તેના સંદર્ભે અંગ્રેજી હકૂમત દ્વારા કરવામાં આવેલી નોંધો અને ફૂટનોટો અભિલેખાગારમાંથી તપાસી લેવી.

ગાંધીજીની કોંગ્રેસ આગવી એટલા માટે બની ગઈ હતી કે સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભિ સીતારામૈયાને હરાવીને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. પણ ગાંધીજીની નામરજીને કારણે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ટકી શક્યા નહીં અને તેમને હારીને રાજીનામું આપવું પડયું. ત્યાર બાદ તેમને વિદેશની ધરતી પર આઝાદ હિંદ ફોજની સ્થાપના કરીને લશ્કરી રાહે દેશને આઝાદ કરવાનો રસ્તો લેવો પડયો હતો. ગાંધીજીની હત્યા બાદ કોંગ્રેસ નહેરુ-ગાંધી પરિવારની આગવી કોંગ્રેસ બની ગઈ. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કહે છે, તે કોંગ્રેસમાં અમુક અપવાદોને બાદ કરતાં આખરી સિદ્ધાંત બની રહેતો. વડાપ્રધાન નરસિંહ રાવના વખતમાં કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીએ સોનિયા ગાંધીને થોડા સાઈડ લાઈન કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ તેમ છતાં તેમને કોંગ્રેસીઓએ તેમના કાર્યાલયમાંથી ધોતી-બંડીમાં ટિંગાટોળી કરીને બહાર કાઢયા હતા.

ખેર આવી અંગ્રેજ દ્વારા સ્થપાયેલી પહેલા ગાંધીજીની અને પછી નહેરુ-ગાંધી પરિવારની આગવી બની ગયેલી કોંગ્રેસ પાર્ટી સિવાય છેલ્લા 112 વર્ષથી હિંદુસ્તાન પાસે રાજકીય પક્ષનું કોઈ મોડલ જ નથી. ભારતીય રાજનીતિમાં હંમેશા કોંગ્રેસ મોડલ હાવી રહ્યું છે. સ્વાતંત્ર્યવીર સાવરકરે દેશને બચાવવા માટે રાજનીતિનું કોંગ્રેસ મોડલ ખતમ કરવાની વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરને કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક ગોલવલકરને સાવરકરે ભારતીય જનસંઘની સ્થાપના કરવાને સ્થાને હિંદુ મહાસભા લઈ લેવાની વાત કરી હતી. પરંતુ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. ભારતીય જનસંઘ અને પછી 1979માં બનેલી ભારતીય જનતા પાર્ટી હંમેશા પાર્ટી વિથ ડિફરન્સ હોવાનું ગાણું ગાતી રહી. પરંતુ આજે સ્થિતિ જોવો તો કોંગ્રેસનું રાજકીય મોડલ વધારે મજબૂત બન્યું છે અને દેશના સૌથી મોટા વિપક્ષ ભાજપ પર પણ પડી છે. થોડાઘણાં અંશે કમ્યુનિસ્ટ પાર્ટીઓ અને પ્રાદેશિક પક્ષો પર પણ તેની અસર પડી છે.

ભારતના સમાજવાદી, કમ્યુનિસ્ટ અને હિંદુત્વવાદી નેતાઓના રાજકીય કુળ કોઈને કોઈ રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે. આઝાદી પહેલા અને પછી કોંગ્રેસમાંથી પક્ષો બનવાનો કાળક્રમ ચાલુ જ રહ્યો છે. હજીપણ તે ચાલુ છે. સૌથી મોટા વિપક્ષ ભાજપમાં પણ કોંગ્રેસી કુળના વ્યક્તિઓનો પગપેસારો સારા પ્રમાણમાં થયો છે. જો કે અપવાદમાં શિવસેના અને કમ્યુનિસ્ટ પાર્ટીઓ છે. પરંતુ તેમનો ગજ રાષ્ટ્રીય સ્તરે વાગતો નથી, તેઓ સીમિત ક્ષેત્રની પાર્ટીઓ છે. કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિક પરંપરા રહી છે કે હંમેશા સત્તાની સાથે રહેવું અને સત્તાના વિરોધમાં રહેવું પડે તો તેવા સમયે સીમિત વિરોધ કરવો. કોંગ્રેસમાં આંતરીક લોકશાહી બિલકુલ ખતમ છે. નહેરુથી રાજીવ ગાંધી સુધી નિર્ણયોમાં આંતરીક લોકશાહીને ધ્યાને લેવાતી ન હતી. સોનિયા ગાંધીમાં પણ આ પરંપરા પ્રત્યક્ષ રીતે ચાલુ છે. રાહુલ ગાંધીએ યૂથ કોંગ્રેસમાં ચૂંટણીઓ કરાવીને આંતરીક લોકશાહી હોવાનો દેખાડો કર્યો છે. પરંતુ રાજકારણના જાણકારો કોંગ્રેસમાં આંતરીક લોકશાહી હોવાની વાતથી સહમત નથી.

આ સિવાય કોંગ્રેસના આંદોલનો આઝાદી પહેલા પણ મૂડીવાદી અને સામંતી લોકોના કબજામાં રહ્યા હતા. આઝાદી બાદ પણ કોંગ્રેસના ફંડમાં મૂડીવાદીઓનો ઘણો મોટો ફાળો છે. જેના કારણે કોંગ્રેસના શાસકોએ દેશ માટેના હિત માટે નીતિ ઘડવાને બદલે તેમના દાનદાતા મૂડીવાદીઓને ફાયદો કરાવતી અર્થનીતિ બનાવતા રહ્યા. પ્રજાનો અનુભવ છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા છે, દેશમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી છે. કોંગ્રેસ અથવા તેના વડપણવાળી સરકારના શાસનકાળમાં ભ્રષ્ટાચારની કલંકિત પરંપરા છે. જેને જીપકાંડથી લઈને 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કાંડ સુધીનો વારસો મળ્યો છે.

કોંગ્રેસ પાર્ટીના રંગઢંગને અન્ય રાજકીય પક્ષોએ પણ વત્તાઓછા પ્રમાણમાં સ્વીકાર્યો છે. જો કે આવા પક્ષોની કોંગ્રેસ પર કોઈ અસર થઈ નથી. કોંગ્રેસ પાર્ટીના ઝંડામાં લીલો રંગ છે, તો ભાજપે પણ પોતાના ઝંડામાં લીલો રંગ કર્યો છે. શિવસેના જેવી કેટલીક પાર્ટીઓને બાદ કરતાં દેશની મોટાભાગની રાજકીય પાર્ટીઓના ઝંડામાં લીલો રંગ છે. લીલા રંગનો સવાલ નથી, સવાલ છે કે તેઓ લીલા રંગને ચોક્કસ સંપ્રદાય સાથે જોડીને પોતાની પાર્ટીના ઝંડામાં સમાવી રહ્યા છે. કોંગ્રેસના રાજકીય મોડેલે દેશમાં બહુમતીને ભાંડવાની અને લઘુમતી ખાસ કરીને મુસ્લિમોને ગળે લગાડવાની નીતિ અપનાવી. દેશની વસ્તીના 83 ટકા હિંદુઓને જાતિઓમાં વહેંચીને ક્યારેય એક થવા દીધા નહીં, પરંતુ મુસ્લિમ વોટબેંકને ફાલવા દીધી. વળી દેશમાં 1947થી 1989 સુધી વચ્ચેના અઢી વર્ષને બાદ કરીને કેન્દ્ર તથા દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા ચલાવનારી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે તેને પહેલા કાર્યકાળમાં સચ્ચર સમિતિ બનાવીને દેશના મુસ્લિમોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. સચ્ચર સમિતિએ દેશના દલિતો કરતાં પણ મુસ્લિમોની હાલત ખરાબ હોવાનું કહ્યું. જો સચ્ચર સમિતિના અહેવાલોને સાચા માનીએ તો મુસ્લિમોની બદતર હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે કોંગ્રેસના રાજકીય મોડલ પ્રમાણે મુસ્લિમો વોટબેંક છે અને દર પાંચ વર્ષે કોઈને કોઈ ટૂકડો ફેંકીને તેમના મતો અંકે કરી લેવા. આ રણનીતિ હેઠળ ભાજપ, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી અને અન્ય મોટાભાગની પાર્ટીઓ કોંગ્રેસી મોડેલ હેઠળ પોતાની રાજનીતિ કરવા લાગી.

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તો હાલમાં મુસ્લિમો માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકાનો સબક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સલમાન ખુરશિદે ઉત્તર પ્રદેશમાં સત્તા મળ્યા બાદ આ સબક્વોટા 9 ટકા કરવાનો વાયદો પણ કર્યો છે. તો સમાજવાદી પાર્ટીએ એક ડગલું આગળ વધીને કહ્યું છે કે તેઓ મુસ્લિમોના સબક્વોટાને 18 ટકા કરી દેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ડાબેરી મોરચા સરકારે પણ રાજ્યમાં મુસ્લિમો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. એનડીએના શાસનકાળમાં હજ સબસિડી વધારવી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવી જેવી નીતિઓ પણ બની છે. આ કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિ છે. જે હજી પણ વધારે અધમ કક્ષાઓ જવા માટે તૈયાર બેઠી છે.

કોંગ્રેસની પાકિસ્તાન નીતિ પણ 1995 પછી દેશના મુસ્લિમ મતોના રાજકારણ સાથે જોડાઈ ગઈ હોય તેમ લાગે છે. એનડીએ સરકારે પણ આગ્રા સમિટ અને શાંતિવાર્તાના તાયફા કરીને તેને ચાલુ રાખી. તો અત્યારે યુપીએ સરકાર પણ મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતનો દોર ચાલુ રાખી રહી છે. ચીન સામેની નીતિમાં 1962માં કોંગ્રેસે નહેરુના ભરોસે થાપ ખાધી અને ભારતીય સેનાના માથે હારનું કલંક લગાડયું. આજે પણ ચીન નીતિમાં કોઈ વ્યાપક પરિવર્તન આવ્યું નથી. ચીનના આક્રમણનો ખતરો હજી પણ ચાલુ છે. ત્યારે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો ચીન સામે આકરા પગલા લેવાની વાત કરવાને બદલે તેમની સાથે વેપાર વધારવાની અને માત્ર વાતચીત કરવાની નીતિ અપનાવાની તરફેણ કરે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે કૂટનીતિક, સામરીક અને લશ્કરી રાહે ભારતના હિતમાં લઈ શકાય તેવા પગલાં લેવા જોઈએ તેવું ચિંતન આપી શકે તેવો એકપણ રાજકીય પક્ષ આજે અસ્તિત્વમાં નથી.

ભારતની આર્થિક નીતિ હંમેશા મૂડીવાદી રહી છે અને તેનાથી અમીર-ગરીબની ખાઈ સતત વધી રહી છે. ઉદારીકરણને એવી રીતે અપનાવ્યું છે કે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ બેવડી થઈ ગઈ છે. ગરીબોના કલ્યાણની વાત કોંગ્રેસ સહીતના તમામ પક્ષો કરે છે, પરંતુ ગરીબોનું કલ્યાણ ગરીબી હટાવોના નારાથી આજ સુધી થઈ શક્યું નથી. ગરીબો પણ દેશમાં સતત વધી રહ્યા છે. તેનો અર્થ છે કે ગરીબી પણ વધી રહી છે.

દેશમાં ચાલી રહેલા આતંકવાદને નાથવામાં સરકાર નિષ્ફળ જઈ રહી છે. તેનું કારણ છે કે આતંકવાદના મુદ્દે પણ મુસ્લિમ મતોનું રાજકારણ કોંગ્રેસ સહીતના પક્ષો પર હંમેશા હાવી રહે છે. તેને કારણે આતંકવાદને નાબૂદ કરવા માટે કોઈ રાષ્ટ્રીય નીતિ બની શકી નથી. વિકટ પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસની દરેક વાત એક યા બીજી રીતે અન્ય રાજકીય પક્ષો પણ આગળ વધારી રહ્યા છે. કોંગ્રેસે પોતાના પક્ષમાં એસસી, એસટી, લઘુમતી, મહિલા વગેરે સેલ બનાવ્યા તો તેનું પણ તમામ પક્ષોએ અનુકરણ કર્યું છે. (અપવાદો ઘણા થોડા છે અને તે નિષ્પ્રભાવી છે) એક સમયે પોતાની સભામાંથી મુસ્લિમોને ઉઠીને જતા રહેવાનું કહેનાર દેશનો મુખ્ય વિપક્ષ પણ લઘુમતી સેલ બનાવી રહ્યો છે. સેક્યુલર દેખાવાની રાજકીય સંસ્કૃતિ પણ કોંગ્રેસના રાજકીય મોડલની દેણ છે. તેનો અત્યારનો સૌથી મોટો પુરાવો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે.

હાર્ડલાઈન હિંદુત્વના પોસ્ટરબોય ગણાતા નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનથી સેક્યુલર ચહેરો ઓઢવાનો પ્રયત્ન કર્યો છે. આજે તેઓ ટોપી અને દાઢીવાળા સાથે સદભાવના ઉપવાસ કરી રહ્યા છે. એક સમયે તેમની સભામાં જય શ્રીરામના સૂત્રોચ્ચાર સંભળાતા હતા, આજે સદભાવના ઉપવાસની શરૂઆત અલ્લાહ હો અકબરના નારાથી થાય છે. મુસ્લિમ ટોપીઓ અને લીલી પાઘડી પહેરવાના કોંગ્રેસી કલ્ચરને ભાજપના અટલ બિહારી વાજપેયી અને અડવાણીએ ઘણાં વખત પહેલેથી અપનાવી લીધું હતું. કદાચ નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસ આ કડીમાં નવું આયામ ઉમેરી રહ્યા છે.

ઘણાંના મનમાં પ્રશ્ન થાય છે કે કટોકટી, 1989માં વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષના એકજૂટ થવા છતાં, વાજપેયીના વડપણ નીચે 6 વર્ષ એનડીએનું શાસન હોવા છતાં કોંગ્રેસ વારંવાર બેઠી કેમ થઈ જાય છે? તો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા ઉંડા હોવા નથી, પરંતુ કોંગ્રેસનું વૈકલ્પિક રાજકીય મોડલ વિપક્ષો આપી શક્યા નથી. હા, તેઓ કોંગ્રેસની સત્તાનો વિકલ્પ બની શકે છે, તેના મોડલનો નહીં. સત્તામાં આવ્યા પછી તેમને કોંગ્રેસના મોડલ પ્રમાણે જ રાજ ચલાવવું પડે છે. બસ કોંગ્રેસ ખરાબમાં ખરાબ તબક્કાઓ છતાં બેઠી થઈ જાય છે, તેનું આ એક માત્ર કારણ છે કે ભારતની રાજનીતિમાં એકમાત્ર મોડલ છે અને તે છે કોંગ્રેસ.

ભારતમાં કોંગ્રેસની સત્તાનો વિકલ્પ થોડા સમય માટે મળી શક્યો છે. પરંતુ કોંગ્રેસના રાજકીય મોડલનો વિકલ્પ હજી સુધી ભારતને મળી શક્યો નથી. દેશના રાજકારણમાં કોંગ્રેસી મોડલના ઉત્પાતને કારણે જ ભારતમાં કટોકટી અને અન્ય રાજકીય બ્લંડરો સર્જાયા છે. જો આ કોંગ્રેસી મોડલનો ભારત વિકલ્પ નહીં શોધી શકે તો ફરીથી એક વખત ભારત પોતાના 65 વર્ષ જૂના ઈતિહાસના કાળને દોહરાવશે. ઉલ્લેખનીય છે કે ભારતના વિભાજન વખતે પણ કોંગ્રેસનું રાજકીય મોડલ સૌથી વધારે પ્રભાવી હતું અને તેણે મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે ઘૂંટણિયા ટેકવીને વિભાજન અને હિંદુઓની કત્લેઆમ ડાયરેક્ટ એક્શનના નામે મુંગે મોઢે ભૂખ્યા પેટે સહન કરી હતી. ભારતને પોતાની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક સમસ્યાઓથી છૂટકારો મેળવવો હશે તો કોંગ્રેસના રાજકીય મોડલને સમાપ્ત કરવું પડશે.

શનિવાર, 9 જુલાઈ, 2011

ગાંધી ચિંધ્યા માર્ગે માત્ર ક્રાંતિની હત્યા શક્ય!


ભારત એક એવો દેશ છે કે જ્યાંથી ક્રાંતિને દેશવટો મળ્યો છે. કારણ માત્ર એટલું છે કે ક્રાંતિની કિંમત ચુકવવામાં આનાકાની અને મોલભાવ થઈ રહ્યાં છે. આ દેશ પરિવર્તન નહીં, પરિવર્તનોની શ્રેણી ઈચ્છી રહ્યો છે, ચાતક પક્ષીની જેમ રાહ જોઈને બેઠો છે. પણ પરિવર્તનોની શ્રેણી લાવનાર ક્રાંતિને આમંત્રણ આપતા ડરે છે. ક્રાંતિ તો તેની કિંમત વસૂલશે, પછી તે કોઈપણ પ્રકારના બલિદાનો હોય-તન, મન, ધન. પણ આના માટે તૈયારી આજના ભારતની નથી. ક્રાંતિથી ડરનારાઓની ટોળીએ ક્રાંતિનો રસ્તો અહિંસા હોવાનું પ્રચારીત કર્યું છે. પરંતુ અહિંસાના કથિત રસ્તા પર ચાલીને ભારતે સત્તાની પદ્ધતિ નહીં, સત્તામાંના લોકોનું પરિવર્તન કરીને ક્રાંતિનો આભાસી સંતોષ માન્યો છે. ક્રાંતિમાં તો બલિદાનોની હેલી લગાવવી પડે છે. પરંતુ તેના માટે ભારતનો સમાજ સહેજ પણ તૈયાર નથી અને સામાજીક-રાજકીય નેતાગીરીનું સમાજને તૈયાર કરવા માટેનું કલેજું પણ નથી. ભારત વિદેશી આક્રમણખોરો સામે શસસ્ત્ર પ્રતિરોધ તો સદીઓથી કરતું રહ્યું છે. પરંતુ દરેક પ્રતિરોધ ક્રાંતિમાં પરિવર્તિત થતો નથી. ક્રાંતિ સમાજના સામુહિક ચિંતનથી બહાર આવેલા વિચારનો પરીપાક છે.

ભારત માટે સૌથી પહેલો નોંધાયેલો અનુભવ 1857નો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. આ સશસ્ત્ર ક્રાંતિએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસની બુનિયાદ હચમચાવી નાખી હતી. જો કે આ સંગ્રામ એક વિપ્લવ બનીને રહી ગયો, કારણ કે તેનાથી અંગ્રેજોની સત્તાથી મુક્તિ મળી શકી નહીં. બસ આ એક નિષ્ફળતાને વાગોળતા વાગોળતા નેતાગીરીએ સશસ્ત્ર પ્રતિરોધ અને તેનાથી ક્રાંતિનો વિચાર માંડી વાળ્યો. જો કે તેમ છતાં વાસુદેવ બલવંત ફડકે, ચાફેકર બંધુઓ, ગદર પાર્ટી, પ્રફુલ્લ ચાકી, મદનલાલ ઢીંગરા, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજ સત્તા સામે પ્રતિરોધ કરીને ક્રાંતિની કોશિશ કરી જોઈ. વિનાયક દામોદર સાવરકરે ક્રાંતિ ધ્વજને બુલંદ બનાવવાની કોશિશ કરી અને ઘણાં ક્રાંતિકારીઓ તથા ક્રાંતિકારી આંદોલનના પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક બની રહ્યાં. જો કે ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે તેઓ પ્રારંભિક સમયમાં જ અંગ્રેજ સરકારની જેલમાં પહોંચી ગયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ ભારત બહાર જઈને સેના બનાવીને ભારતને આઝાદી અપાવવાની કોશિશ કરી હતી. તો ભારતના નૌસૈનિકોએ મુંબઈમાં બળવો કરીને ક્રાંતિની જ્વાળાઓ ભડકાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતમાં ક્રાંતિ અમલમાં આવી શકી નહીં. (જો કે રાષ્ટ્રવાદી લોકોએ ક્રાંતિની પૂજા બંધ કરી, તો દેશદ્રોહીઓ અને નક્સલવાદીઓએ ક્રાંતિના આંચળા નીચે દેશવિરોધી હિંસાનો ખેલ આચર્યો છે અને બધાં ખામોશ છે, ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે કોઈ ઉકેલ સુઝતો નથી. )

આઝાદી પહેલા ક્રાંતિની મશાલો ઉંચકનારા હાથ પર હથોડા મારવાનું કામ અહિંસાના પૂજારી ગણાતા મહાત્મા ગાંધી અને તેમની પાછળ આંધળાની જેમ ફરનારા તેમના અનુયાયીઓએ કર્યું. ક્રાંતિ હંમેશા ઝડપી, સ્પષ્ટ અને ઈચ્છીત પરિણામ આપે છે. છતાં આ રસ્તો અંગ્રેજોના હિતમાં અપનાવવામાં આવ્યો નહીં અને આ રસ્તે જનારા ક્રાંતિકારી દેશભક્તોને આતંકવાદી અને હિંસાના પૂજારી કહીને બદનામ કરવાની કોશિશો આઝાદી પહેલા થઈ હતી. જો કે અત્યારે પણ આવા ક્રાંતિકારીઓને આતંકવાદી કહેવાની ફેશન હજી સમાપ્ત થઈ નથી. ભારતના ગુલામી કાળમાં દુનિયાભરના દેશોમાં ક્રાંતિઓ થઈ. લોકોએ, જે-તે દેશના સમાજોએ ભેગા મળીને સશસ્ત્ર ક્રાંતિઓ કરી. અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, રશિયા, ચીન વગેરે દેશો તેના ઉદાહરણો છે. પણ ભારતમાં ક્રાંતિ જ્વાળાઓને બુઝાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે આ ક્રાંતિ જ્વાળાઓ બુઝાવવામાં ગાંધી અને તેમના આંધળા અનુયાયીઓને કોઈ સફળતા મળી ન હતી. (હા, એટલું સાચું છે કે ક્રાંતિ જ્વાળાઓની આગ ધીમી જરૂર પડી.)

સશસ્ત્ર ક્રાંતિમાં હિંસા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. હિંસાને ખોટી વસ્તુ ગણવામાં આવે છે. પરંતુ હિંસા શું હંમેશા ખોટી વસ્તુ હોય છે? રામ રાવણને મારે, કૃષ્ણ કંસને મારે, અર્જૂન કૌરવ સેનાને મારે, ભીમ દુર્યોધનને મારે, દુર્ગા મહિષાસુરને મારે- તો આવી હિંસાને કેવી રીતે ખોટી ગણવી? હિંસા હંમેશા નિંદનીય કેવી રીતે હોઈ શકે? પરંતુ હિંસા અને મોતના ભયથી ભારતની પ્રજાને આતંકીત કરવાનું કામ ગાંધી અને તેમની ટોળકીએ કર્યું. ક્રાંતિનો રસ્તો રોકી લેવાયો. પરંતુ અહિંસા છતાં ભારતની આઝાદીમાં સેંકડો લોકોના જીવ ગયા અને ભાગલા વખતે દશ લાખ લોકો મુસ્લિમ લીગ દ્વારા પલીતો ચપાયેલા હુલ્લડોમાં 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ થવા દેવામાં આવી હોત, તો આટલી મોટી સંખ્યામાં લોકોની નિર્મમ હત્યા થઈ ન હોત. કદાચ ભારતના ભાગલા પણ પડયા ન હોત!

દેશનું દુર્ભાગ્ય હતું કે સ્વાતંત્ર્યવીર સાવરકરને અંગ્રેજોએ બેવડી જન્મટીપ આપીને કાળાપાણીની સજાએ અંદમાનની સેલ્યુલર જેલમાં બંધ કરી દીધા હતા. તે ગાળા દરમિયાન ક્રાંતિકારી દળને સક્ષમ અને નિરંતર નેતૃત્વ મળ્યું ન હતું. તેમ છતાં ક્રાંતિકારીઓમાં સાવરકરના લેખો અને પુસ્તકો ઘણાં મોટા પ્રમાણમાં લોકપ્રિય બન્યા હતા. સાવરકરે જ જેલમાંથી બહાર નીકળ્યા બાદ હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેના માટે એક જ કારણ જવાબદાર હોઈ શકે કે તે વખતે ભારતનું રાજકારણ હિંદુ અને મુસ્લિમ ખેમામાં વહેંચાઈ ગયું હતું. ત્યારે ભારતને અખંડ રાખી શકે તેવી વિચારધારા સાવરકરને પસંદ કરવાની હતી. અંગ્રેજોની કઠપૂતળી બની ચુકેલી મુસ્લિમ લીગ અને તેની પાછળ ઉભેલા મુસ્લિમ સમાજને તુષ્ટિકરણની નીતિથી પોતાની તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર કોંગ્રેસને જવાબ આપવા માટે સાવરકરે હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હતું. હિંદુઓ કોંગ્રેસ અને ગાંધીજીને પોતાના બેલી માનતા હતા અને મુસ્લિમો મુસ્લિમ લીગ અને જિન્નાની દોરવણી નીચે અલગ પાકિસ્તાનની માગણી કરી રહ્યાં હતા. તો આ સમયે અંગ્રેજો પોતાના રાજકીય અને સામરીક હિતોને ધ્યાનમાં રાખીને તેને ઈંજન પુરું પાડતા હતા. આ પરિસ્થિતિમાં દેશના ભાગલા પડયા. આ દુષ્પરિણામ છે, ક્રાંતિને કેદ કરવાનું. ત્યાર પછીની દુર્ઘટનાઓની હારમાળાથી કોઈ અપરીચિત નથી. આ દુર્ઘટનાઓ ભારતની આઝાદીના છ દશકાઓ બાદ પણ ચાલુ છે.

ક્રાંતિથી ભાગવાની વૃતિએ ભારતીય નેતાગીરીના વિચારોને કુંઠિત કરી નાખ્યા છે. જેના કારણે તેઓ ભારતને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપી શકતા નથી. જો કે તેઓ ભારતને લૂંટવાની અંગ્રેજોની પરંપરા છેલ્લા 64 વર્ષથી ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે! ભ્રષ્ટાચાર, કાળું ધન, મોંઘવારી, આતંકવાદ, ખેડૂતોની ઉપેક્ષા, નક્સલવાદ, ગરીબી, બેરોજગારી, રાજકીય વિચારશૂન્યતા, અનૈતિકતા, ગુનાખોરી વગેરે સમસ્યાઓને સ્વહિત સાધન માટે ઉકેલી રહ્યાં નથી. શું ક્રાંતિનું સરનામું કમ્યુનિસ્ટ જ હોઈ શકે, શું ક્રાંતિ ઈસ્લામિક જ હોઈ શકે, શું ક્રાંતિ યુરોપીયન અને અમેરિકી જ કરી શકે? ક્રાંતિના રસ્તે હિંદુ કેમ ન ચાલી શકે? ભારતને મહાન બનાવવા માટે ક્રાંતિ હાલ અનિવાર્ય છે. પણ તેના માટે ક્રાંતિના નામે થઈ રહેલા તાયફાઓ અને અનશનના નાટકો ક્રાંતિ નથી, તેનાથી કોઈ પરિવર્તન થવાના નથી, માત્ર તાયફાના મુખ્ય કલાકારોને પ્રસિદ્ધિ મળવાની છે.

અન્ના નહીં, આંધી હૈ. આજ કા ગાંધી હૈ-ના સૂત્રો સાંભળીને તમને હસવું નથી આવતું? ભારતમાં ક્રાંતિની હત્યા કરવાનું પાપ જેના માથે છે, તે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને ધરણાં કરીને દેશ બદલવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને આંદોલનો કરીને દેશમાં માત્ર તાયફા, નાટકો અને સ્વહિતસાધના જ થઈ છે. જો ગાંધી ચિંધ્યા માર્ગે કંઈપણ થઈ શકે, તો તે ક્રાંતિની હત્યા થઈ શકે છે. ક્રાંતિને જીવિત કરવાની જો જરાપણ ઈચ્છા હોય, તો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિંધેલા માર્ગને પણ જોઈ લેવાની, તપાસી લેવાની અને અનુસરી લેવાની જરૂર છે. આજે દેશનું નૈતિક બળ ભ્રષ્ટ નેતાગીરીને કારણે રસાતળે પહોંચ્યું છે. ત્યારે ખરેખર દેશને જરૂર છે, ક્રાંતિ સાધકોની. પણ ક્રાંતિ ઘણી કઠોર હોય છે, પણ તેની કઠોરતાથી ડરીને તેનાથી ભાગવાની વૃતિ દેશનું ઘણું અહિત કરી રહી છે અને કરશે. સાવરકરનું ક્રાંતિ દર્શન હજીપણ સેલ્યુલર જેલમાં કાળાપાણીએ છે. આ ક્રાંતિના દર્શનને કાળાપાણીથી ફરી દેશની મુખ્યધારામાં લાવવું જોઈએ.