Saturday, July 12, 2014

કૃષિ ક્ષેત્રની ગુનાહિત અણદેખી ભારતના અર્થતંત્ર સામેના પડકારોનું મુખ્ય કારણ

આનંદ શુક્લ

ઉદારીકરણના તબક્કામાં ભારતમાં વિકાસનું વાવાઝોડું આવ્યું હોવાનો તમામ સરકારો દાવો કરતી રહી છે. વિકાસના નામે ભારતમાં ઉદારીકરણ અને બજારવાદને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું. જેમાં ભારતના અર્થતંત્રની કરોડરજ્જૂ બનેલા કૃષિ ક્ષેત્રની ગુનાહિત અણદેખી કરવામાં આવી. પરિણામ એ આવ્યું કે કૃષિ ક્ષેત્ર નબળું પડતું ગયું અને તેની અસર કાચા માલની ઉપલબ્ધતા, ખાદ્યાન્ન ફૂગાવાનું વધવું અને રોજગારી ઉપલબ્ધતા પર પડવા લાગી છે.

ખેડૂતોને અન્નદાતા કહેવાય છે, પરંતુ આજે અન્નદાતાને આત્મહત્યાનો માર્ગ પકડવો પડે છે. એક અંદાજ પ્રમાણે, છેલ્લા દોઢ દાયકામાં દેશભરમાં સાડા ત્રણ લાખથી વધારે ખેડૂતોએ આત્મ હત્યા કરી લીધી છે. આ આત્મહત્યાનો દોર હજી પણ અટકતો દેખાતો નથી. તો ખેડૂતો જમીનો વેચીને હવે અન્ય રોજગારીના વિકલ્પો તરફ વળ્યા છે. ખેતી છોડી દેનારા ખેડૂતો અને ખેત મજૂરોની સંખ્યા કરોડોમાં છે. ત્યારે તેની અસર ખાદ્યાન્ન ઉત્પાદન અને કાચા માલની ઉપલબ્ધતા પર પડી રહી છે. સાથે ખેતી છોડી ચુકેલા ખેડૂતો રોજગારીના મામલે પણ અસ્થિરતા અનુભવી રહ્યા છે.

આજે ખેતીનું જીડીપીમાં યોગદાન માત્ર 13.7 ટકા છે. તેમ છતાં તે દેશના બાકીના 86.3 ટકાના યોગદાન પર ભારે પડી રહી છે. આઝાદી વખતે ખેતી દેશના જીડીપીમાં 66 ટકા યોગદાન આપતી હતી. પરંતુ નહેરુથી મોદી સરકાર સુધીની આઝાદ ભારતની સફરમાં 13.7 ટકાએ પહોંચી ચુકી છે. આ તબક્કામાં સર્વિસ સેક્ટરનું જીડીપીમાં યોગદાન 20 ટકાથી વધીને 67 ટકા સુધી પહોંચી છે. એટલે કે આઝાદી વખતે જે ભૂમિકા ખેતીની હતી, તે આજે જીડીપી યોગદાનમાં સર્વિસ સેક્ટરની છે. તેમ છતાં દેશના અર્થતંત્રમાં ખેતીની મહત્વપૂર્ણ ભૂમિકાને નજર અંદાજ કરી શકાય તેમ નથી.

આજે પણ દેશના જીડીપીમાં માત્ર 13.7 ટકા યોગદાન આપતી ખેતી અને તેના આનુષંગિક ક્ષેત્રો સાથે સંબંધિત રોજગારો પર કુલ વસ્તીના 60 ટકા લોકો આજીવિકા મેળવે છે. જ્યારે બીજી તરફ સર્વિસ સેકટર દ્વારા વધારે નફો મેળવવાની સ્થિતિમાં પણ દેશના માત્ર 20 ટકા લોકો જ તેના પર નિર્ભર રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે અલ-નીનોની અસર હેઠળ નબળા ચોમાસાની ભીતિ હેઠળ વિકાસ દર સંદર્ભેની ચિંતા આર્થિક સર્વેક્ષણની સમીક્ષા દરમિયાન પણ જોવા મળી હતી. ખાદ્યાન્ન ફૂગાવાનો દર વધવાની શક્યતાઓ અને આશંકાઓ વચ્ચે મોદી સરકાર પણ કૃષિ ક્ષેત્ર પ્રત્યે ચિંતા વ્યક્ત કરી ચુકી છે. ત્યારે સવાલ એ છે કે ખેતી અથવા ખેડૂત જ ભારતનો અસલ મર્મ છે અથવા ખેડૂતોની વાત કરીને ખેતીના કોર્પોરેટીકરણની દિશામાં મોદી સરકાર પગલા ભરવા માટે ગણતરીપૂર્વક આવી ચિંતાઓ વ્યક્ત કરી રહી છે?

વાસ્તવિક સંકટ નીતિઓનું છે. સરકારી નીતિઓથી કોઈ માળખાગત સુવિધા કૃષિ ક્ષેત્ર માટે ઉપલબ્ધ થઈ શકી નથી. તેના કારણે ખેતીની શક્તિ ઓછી થઈ છે અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ સરકારનું ધ્યાન નહીવત છે. 50 વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર ત્રણ ટકાનો વધારો થયો છે. તેનો સીધો અર્થ એ છ કે સરકાર માટે વિકાસનો રસ્તો એ કમાણી પર ટકેલો છે કે જે વિદેશી ઉત્પાદનોને ભારતમાં લઈને આવે છે અને પછી ભારતના કાચા માલને કોડીઓના મોલે બહાર લઈ જવાનો રસ્તો ખોલે છે. આ સેવાની અવેજમાં મળનારું કમિશન જ સરકારો માટે વિકાસનો પ્રાણવાયુ બની ચુક્યું છે. ભારતના વિકાસ દરના આંકડા પાછળની વરવી વાસ્તવિકતા આ જ છે.

હાલ 125 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં 8 કરોડ ખેડૂતો અને 25 કરોડ ખેતમજૂરો છે. એટલે કે માત્ર ટેકાના ભાવથી કામ ચાલશે નહીં. ખેતીમાં સરકારે રોકાણ કરવું જ પડશે. ચોથી પંચવર્ષીય યોજનાથી 12મી પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રીય આવકના માત્ર 1.3 ટકાથી પણ ઓછું રોકાણ કૃષિ ક્ષેત્રમાં થયું છે. ત્યારે જે દેશમાં 62 ટકા વસ્તી ખેતી પર આશ્રિત છે. 50થી 52 ટકા ખેત મજૂરો હોય, ત્યાં 1.3 ટકા ખર્ચથી સરકાર ખેડૂતોનું શું ભલુ કરી શકશે? આનાથી મોટી વરવી વાસ્તવિકતા એ છે કે ખાનગી રોકાણને આમાંથી કાઢી નાખવામાં આવે તો રાષ્ટ્રીય આવકના સરકાર માત્ર 0.3 ટકા જ રોકાણ છે. તેથી હકીકત એ છે કે દેશમાં કૃષિ ક્ષેત્રમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, તેમાં સરકારનું યોગદાન માત્ર નામ પુરતું છે અને ખેડૂતો પોતાની તાકાત પર જ ઝઝૂમી રહ્યા છે.

ખાદ્ય સુરક્ષા બિલ અને સબસિડીના આંકડા જ બે લાખ કરોડ રૂપિયાને પાર કરી જાય છે. ખેતી માટે સરકારો પુરતી સિંચાઈ વ્યવસ્થા પણ કરી શકી નથી. દેશની 67 ટકા ખેતીલાયક જમીન આજેપણ પાક લેવા માટે વરસાદ પર નિર્ભર છે. મોંઘવારી અને ખેડૂતોની સમસ્યા પર કેન્દ્ર સરકાર કહે છે કે રાજ્ય સરકારોની જવાબદારી છે. જો ખેતીનો મામલો રાજ્ય સરકારોનો વિષય હોય, તો પછી કેન્દ્રીય કૃષિ મંત્રાલયની જરૂરત પર પણ સમીક્ષા કરવી પડે.

પચાસના દશકમાં ભારતમાં અન્ય ઉદ્યોગો નહીવત હતા. જેને કારણે કૃષિની આવક અને ઉત્પાદન પર અર્થતંત્ર સંપૂર્ણપણે આશ્રિત હતું. પરંતુ ભારતમાં ઉદ્યોગો વધવાની સાથે જીડીપીમાં તેમની ભાગીદારી પણ વધવા લાગી અને કૃષિની હિસ્સેદારી આઘાતજનક રીતે ઘટી છે. કૃષિ ક્ષેત્રની હાલની ઉદાસિનતા માટે ઉદારીકરણને પણ જવાબદાર ગણવામાં આવે છે. ખેતીના પાયાગત માળખાને મજબૂત કર્યા વગર અન્ય ઉદ્યોગો પ્રત્યે ઝડપથી આધારીત થવું અને તેની સરખામણીએ ખેડૂતોનો ખેતીથી મોહભંગ પણ થવા લાગ્યો છે.

કૃષિ નીતિમાં વિઝનના અભાવે અગિયાર પંચવર્ષીય યોજના બાદ પણ એવું મોડલ વિકસિત કરી શકાયું નથી કે જેમાં રોજગાર અથવા લાભની શક્યતાઓ દેખાય. ત્યારે જરૂર છે કૃષિ ક્ષેત્રોમાં વ્યવસાયપરક નક્કર પગલા ઉઠાવવામાં આવે. ભારતના પાયાગત આર્થિક આધારને એક આકર્ષક મોડલ બનાવવા માટે યોજનાબદ્ધ શરૂઆત કરવામાં આવે.

હરિત ક્રાંતિ બાદ ખાદ્યાન્ન ઉત્પાદનમાં વ્યાપક વધારા છતાં ભારત કૃષિ મોરચે અસફળ સાબિત થયું છે. હરિત ક્રાંતિ બાદ ભારતનું કુલ અનાજ ઉત્પાદન 25થી 26 કરોડ ટનની આસપાસ પહોંચી ગયું છે. પરંતુ આયાત-નિકાસ વચ્ચે અસંતુલન તથા ખોટી ભંડારણ નીતિના કારણે તેનો અપેક્ષિત લાભ ઉઠાવી શકાતો નથી. ઘઉંના ઉત્પાદનના મામલામાં અગ્રણી પંજાબમાં ગત બે વર્ષ દરમિયાન લગભગ 85 લાખ ટન ઘઉં ખુલ્લામાં રાખવા પડયા હતા. એટલે કે કૃષિ ક્ષેત્ર  પર માળખાગત સ્તર પર એટલી ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવી નથી કે જેનાથી ખેડૂતોના પરિશ્રમથી પેદા થતા અનાજને સંરક્ષિત કરી શકાય.

આ સિવાય કેટલાંક ખોટા નિર્ણયો પણ દેશની લાચારી માટે જવાબદાર છે. 90ના દશકમાં ડબલ્યૂટીઓ સમજૂતી અંતર્ગત નિકાસ પ્રત્યે ઉદાર વલણ અપનાવાનું કહેવામાં આવ્યું હતું કે ખાદ્યાન્ન સંકટ આયાતથી પુરુ કરી લેવાશે. આ નિર્ણય સારો નિર્ણય સાબિત થઈ શક્યો નથી.

આ દેશમાં સામાન્ય બજેટ અને રેલવે બજેટ રજૂ થયા છે. તેના પર એક-એક દિવસ સંસદમાં ચર્ચા થાય છે. પરંતુ ખેતી પર દેશની 60થી 65 ટકા વસ્તી આધારીત છે. ત્યારે કૃષિ ક્ષેત્ર માટે કોઈ સ્વતંત્ર બજેટ નથી અને તેના સાથે સંબંધિત નીતિ-નિર્માણ પર કોઈ ચર્ચા પણ સંસદમાં થતી નથી. ભારતમાં ખેતીના ક્ષેત્રો એટલા વિશાળ છે કે જો સરકારી સ્તરે તેના પર નીતિગત પગલા લેવામાં આવે અને તેને વ્યાપારીક મોડલ તરીકે સંચાલિત કરવામાં આવે તો ખેડૂતો માટે માત્ર ખાદ્યાનન્ન ઉપલબ્ધ કરાવવાનું માધ્યમ જ નહીં, પરંતુ રોજગારલક્ષી વ્યવસાય બનીને ઉભરી શકે છે. ખેતીથી મોહભંગ થવાને કારણે ખેડૂતો ગામડા છોડીને પલાયન કરી રહ્યા છે. 

No comments:

Post a Comment