Saturday, July 12, 2014

કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે મોદીનું પોલિટિકલ મોડલ લાગુ થયું

આનંદ શુક્લ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગવું પોલિટિકલ મોડલ છે. આ પોલિટિકલ મોડલનો અનુભવ ગુજરાતના ભાજપના સંગઠન અને સરકારી તંત્ર-રાજકીય વર્તુળોને 13 વર્ષથી થયો છે. આ મોદી મોડલ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં પણ લાગુ થવાનું શરૂ થઈ ગયું છે. થોડા સમય પછી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ચાપલુસીની હદ સુધી કરતી પ્રશસ્તિ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી.

ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ પર મોદીની પક્કડ-

મોદીના પોલિટિકલ મોડલ પ્રમાણે, સંગઠનની બાબતમાં મજબૂત ગણાતા કેડરબેઝ ગુજરાતા ભાજપમાં વ્યક્તિવાદ પ્રભાવી બન્યો અને મોદી તારણહાર તરીકે પ્રસ્થાપિત થયા છે. ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ છે. પરંતુ આમાના કોઈપણ નરેન્દ્ર મોદીનો કોઈપણ પ્રકારે ક્યારેય વિરોધ કર્યો નથી. આ બધાં મોદીના યસમેન બનીને રહ્યા અને હજીપણ મોદીના યસમેન છે.
તો ગુજરાતમાં ચાલેલી મોદી સરકારની વાત કરીએ તો તેમાં પણ મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 13 વર્ષમાં જાહેરાતોમાં, સભાઓમાં, સરઘસોમાં, પ્રચારોમાં છવાયેલા રહ્યા. કેટલાંક પ્રસંગે ધાર્મિક ઉત્સવો દરમિયાન શુભેચ્છા સંદેશની જાહેરાતોમાં ધાર્મિક બાબતો સાથે સંકળાયેલા ભગવાન કે આધ્યાત્મિક પુરુષ કરતા પણ મોદીની મોટી તસવીરો લાગતી હતી.
ગુજરાતના રસ્તાઓ, બસો, કેટલીક જગ્યાએ ભીંતો પર મોદીના અલગ-અલગ મુદ્રામાં ફોટોગ્રાફ રાજ્ય સરકારની જુદીજુદી યોજનાઓની જાહેરાત સાથે અઢળક પ્રમાણમાં દેખાઈ હતી. જો સરકારના સંચાલનની વાત કરીએ, તો જાણકારો પ્રમાણે, મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની જાણ બહાર એક પણ મંત્રી કે અધિકારી કંઈપણ કરી શક્તો ન હતો. વિધાનસભામાં અને સભા-ભાષણોમાં ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીની પ્રશસ્તિ ચાપલુસીની કક્ષાએ કરવાનું ચુક્તા ન હતા.

મોદીનું પોલિટિકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું

નરેન્દ્ર મોદી સીએમથી પીએમ બન્યા છે. મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમનું આગવું પોલિટીકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે સરકાર અને સંગઠનમાં લાગુ થવાની શરૂઆત થઈ ચુકી છે.

કેન્દ્ર સરકારમાં મંત્રાલયો-નોકરશાહી પર પ્રભાવ પાથર્યો

જો કેન્દ્રની સરકારમાં મોદી મોડલના પ્રસ્થાપિત થવાની પ્રક્રિયા પણ રસપ્રદ બની છે. નરેન્દ્ર મોદીએ પહેલા કેબિનેટની બેઠક બોલાવીને તમામ મંત્રીઓને તેમની આદત પ્રમાણે મંત્રાલયના એજન્ડાઓ નક્કી કરીને જણાવવા માટે કહ્યુ હતું.

બાદમાં તેમણે સચિવો સાથે બેઠક કરી અને સરકાર તેમની સાથે રહેશે તેઓ નિર્ભયપણે કામ કરે તેમ જણાવ્યું. પીએમ મોદીએ સચિવોને તેમની સાથે સીધા વાત કરવાની છૂટ આપી છે. તેનાથી કેટલાંક જાણકારો મોદી સરકારના મંત્રીઓનો નોકરશાહી પર પ્રભાવ ઘટવાની અને વડાપ્રધાનની બ્યૂરોક્રસી પર અસર વધવાની સંભાવનાઓ દર્શાવે છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દેશના 674 જિલ્લાના કલેક્ટરો સાથે સીધો સંપર્ક બનાવવાના મિકેનિઝમ પર કામ કરી રહ્યા છે. તેનો સીધો અર્થ છે કે પીએમ મોદી ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરાયેલા મોડલની જેમ પોતાના મોડલને સરકારી તંત્રમાં સ્થાપિત કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે ઈન્દિરા ગાંધીની પકડ બ્લોક લેવલ પર પણ હતી. તેવી જ પકડ મોદી જમાવવાની શરૂઆત કરી ચુક્યા છે. જાણકાર પત્રકારો પ્રમાણે, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં ઈન્દિરા ગાંધી બાદ હવે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અધિકારીઓમાં ખોફ દેખાઈ રહ્યો છે.

ભાજપના સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે મોદીની જ પક્કડ રહેશે

સરકારની સાથે ભાજપના સંગઠન પર પણ મોદી પોતાનો પ્રભાવ વધુ પ્રગાઢ બનાવીને તેમની કામગીરીમાં સંગઠન તરફથી કોઈ મુશ્કેલી ઉભી થાય નહીં તેની તકેદારી રાખવામાં આવે છે. વડાપ્રધાન મનમોહનસિંહની સરકારમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું બેકસીટ ડ્રાઈવિંગ હતું. તો મોદી ભાજપ સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ ગુજરાત પ્રદેશ એકમની જેમ પાથરીને આ સમસ્યા ઉભી થાય નહીં તેની તકેદારી રાખી રહ્યા છે. તેના માટે ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા મોદીના ખાસ અમિત શાહ ઘણી મોટી ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ભાજપના એવા અધ્યક્ષ છે કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરામાં પગે લાગીને આદર આપવાનું ક્યારેય ચુક્યા નથી.

તેના ભાગરૂપે ઘણી રાજકીય કવાયતો બાદ ના-ના કરતા ભાજપના તત્કાલિન અધ્યક્ષ રાજનાથસિંહ મોદી સરકારમાં નંબર-ટુ એટલે કે ગૃહમંત્રી બની ગયા છે. તેના કારણે સંગઠનમાં બીજા સત્તાકેન્દ્રના ઉદભવની સંભાવના પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.

તેની સાથે મોદીના ખાસમખાસ અને ગુજરાતમાં મોદી સાથે ખભેખભો મિલાવાની દરેક મિશન પાર પાડનારા અમિત શાહને 50 વર્ષની ઉંમરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. તેના કારણે મોદી સરકાર અને સંગઠન વચ્ચે અમિત શાહ વડાપ્રધાનના સંકેતો અને એજન્ડાઓ બાબતે કડીરૂપ કામ કરશે. જેના કારણે મોદી સરકારને તેમના કામકાજમાં અડચણ ઉભી થાય નહીં તેની તકેદારી રખાશે. હિંદુત્વવાદી મુદ્દાઓ, એફડીઆઈ-ડીસઈન્વેસ્ટમેન્ટની નીતિ, સ્વદેશી આંદોલન, મજૂરોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે કામ કરતા સંઘ પરિવારના સંગઠનોને પણ અમિત શાહના સંઘના શીર્ષસ્થ નેતાઓ સાથે ઘનિષ્ઠતાના આધારે કાબુમાં રાખવામાં આવશે.

હાલ સત્તાવાર રીતે ભાજપના નેતાઓ કંઈપણ બોલવા તૈયાર નથી. પરંતુ પાર્ટીમાં શીર્ષસ્થ નેતાઓમાં આંતરીક બેચેની ખૂબ વધી રહી છે. વડાપ્રધાન બન્યા બાદ એક સપ્તાહની અંદર જ નરેન્દ્ર મોદીએ સંગઠન સ્તર પર બે મોટી પહેલ કરીને સૌને ચોંકાવી દીધા હતા. જેનાથી ભાજપના શીર્ષસ્થ નેતાઓ પણ ચોંકી ઉઠયા હતા. જો કે તેઓ આ મુદ્દે જાહેરમાં કંઈપણ કહી રહ્યા નથી.

સૌથી પહેલા વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 7-આરસીઆર ખાતેના પીએમ નિવાસમાં ભાજપના મહાસચિવોની બેઠક બોલાવી હતી. મોદી ખુદ ભાજપમાં લાંબા સમય સુધી મહાસચિવ રહ્યા હતા. માટે તેમનો મહાસચિવો પ્રત્યે લગાવ સ્વાભાવિક છે. પરંતુ ભાજપના સંગઠનાત્મક માળખામાં મહાસચિવ ઉપાધ્યક્ષથી વધારે સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. માટે વડાપ્રધાન નિવાસ પર પાર્ટીના મહાસચિવોની બેઠકથી મોદીએ સ્પષ્ટ કર્યું કે આગામી દિવોસમાં તેઓ મળેલી સફળતાને નબળી નહીં પડવા દે.

આ બેઠકથી પણ વધારે ચોંકાવનારું તથ્ય એ છે કે પાર્ટી અધ્યક્ષ તરીકે આ બેઠકની માહિતી રાજનાથસિંહને આપવામાં આવી ન હતી. બેઠક બાદ જ્યારે સમાચાર આવ્યા, ત્યારે રાજનાથસિંહે મહાસચિવોને ટેલિફોન કરીને જાણકારી પ્રાપ્ત કરી હતી. કે બેઠકમાં મોદીએ શું વાતચીત કરી છે. જો કે રાજનાથસિંહ તે વખતે પાર્ટી અધ્યક્ષ સાથે મોદી સરકારના ગૃહમંત્રી પણ હતા. પરંતુ મોદીની આ પહેલથી તેઓ પણ ચોંકી ગયા હતા.

ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ બીજી પહેલ કરીને નવી દિલ્હી ખાતેના 11 અશોકા રોડ પરના ભાજપના મુખ્યમથક પર પહોંચ્યા હતા. અહીં તેઓ પાર્ટી મુખ્યાલયમાં કામ કરનારા કર્મચારીઓને મળ્યા અને પોતાના હાથે કર્મચારીઓને બોનસ પણ આપ્યું. અહીં તેમણે તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહની સાથે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું.

બીજી પહેલનો સંકેત સ્પષ્ટ હતો કે તેઓ ભલે પાર્ટી અધ્યક્ષને કિનારે કરે, પણ પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનને મહત્વ આપતા રહેશે. આનો ઈશારો સ્પષ્ટ છે કે ભાજપમાં મોદી નિર્વિવાદ રીતે સુપ્રીમો છે ને બીજો કોઈ નેતા તેમની આ છબીની આડે આવી શકે નહીં.

આનાથી વધારે ચોંકવાનારી વાત એ છે કે વડાપ્રધાન તરીકે તમામ જિલ્લા કલેક્ટર સાથે મોદી જોડાશે. તેની સાથે ભાજપના સંગઠન સ્તરે પણ તેઓ એક એવું તંત્ર વિકસિત કરવા જઈ રહ્યા છે કે જેનાથી દેશભરમાં જિલ્લા સ્તર પર મોદી પોતાની પકડ બનાવી રાખી શકે. તેના માટે તેઓ દરેક જિલ્લામાં એક સીઈઓ નિયુક્ત કરવાની યોજના અમલી બનાવવાની વિચાર પ્રક્રિયા ચાલુ કરી ચુક્યા છે. આ પાર્ટી સીઈઓ જિલ્લા સ્તરે સત્તા અને સંગઠન વચ્ચે સમન્વયનું કામ કરશે અને ભાજપના અધ્યક્ષ અને મોદીના ખાસ અમિત શાહને સીધો રિપોર્ટ કરશે. એ કહેવાની જરૂર નથી કે આમાની મહત્વની બાબતો ભાજપના અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાન પર જરૂરથી મૂકતા રહેશે.

No comments:

Post a Comment