Saturday, July 12, 2014

અથ શ્રીવિકાસ ગાથા: અંત્યોદય હજી દૂર, અવસંદેસનશીલ ભાવવધારાથી મોંઘવારી પણ વધી

                                                                                    - આનંદ શુક્લ

વિકાસ પ્રત્યે સભાનતા વધી- 

ભારતમાં છેલ્લા 30 વર્ષથી વિકાસ પ્રત્યે સભાનતા વધી છે. સત્તા પર આવતી સરકારો વિકાસ કાર્યો અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન આપવા લાગી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પણ કોશિશો કરવામાં આવે છે. પણ આર્થિક નીતિઓમાં ખામીને કારણે વિકાસ અંત્યોદયની સ્થિતિ લાવી શક્યો નથી. ત્યારે વધતા વિકાસ સાથે વધતી મોંઘવારીને કેવી રીતે રોકવી તે પણ ઉદારીકરણ અપનાવ્યા બાદ ભારતના અર્થતંત્ર સામે ઉભો થયેલો મોટો પડકાર છે.

આ તે કેવો વિકાસ? 

વિકાસ એટલે શું.. માત્ર ઉદ્યોગોનો વિકાસ જ વિકાસ છે? ભારતમાં છેલ્લા દોઢ દાયકાથી વિકાસના નામે સત્તામાં આવનારી સરકારોએ પોતાની સફળતાના ગુણગાન ગાયા છે. પરંતુ સવાલ એ છે કે વિકાસના ફળ દેશના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી હજી કેમ પહોંચ્યા નથી? આવા વિકાસને વિકાસ કેવી રીતે કહેવો .. દેશમાં વિકાસના નામે અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. તો દુનિયામાં કદાચ સૌથી મોટો મધ્યમ વર્ગ ધરાવતા ભારતમાં મિડલ ક્લાસ પોતાના અસ્તિત્વ માટે મહામહેનત કરી રહ્યો છે.

એનડીએ-યુપીએની સરખામણી-

1998થી 2004ના સમયગાળામાં એનડીએ સરકારના શાસન વખતે જીડીપી વિકાસ દરની સરેરાશ 5.9 ટકા રહ્યો હતો. તો યુપીએ-1ના કાર્યકાળ દરમિયાન 2004થી 2009 વચ્ચે વિકાસ દરની સરેરાશ 8 ટકા રહી હતી. જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં 2009થી એપ્રિલ-2014 સુધી વિકાસ દરની સરેરાશ 7 ટકા રહી હતી. જો કે 2004થી 2014 સુધીના યુપીએ સરકારના કાર્યકાળમાં વિકાસ દરની સરેરાશ 7.6 ટકા રહી હતી.

વિકાસના વાયરાની વાતોમાં મોંઘવારીની મોકાણ પણ સમજવા જેવી છે. 1998થી 2004 સુધીના એનડીએના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવો સરેરાશ 5.4 ટકા રહ્યો હતો. જ્યારે એનડીએના શાસનમાં ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 4.2 ટકા રહ્યો હતો. જ્યારે યુપીએ-1ના 2004થી 2009ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 6.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 7 ટકા રહી હતી. તો યુપીએ-2ના 2009થી 15 મે-2014ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 10.4 ટકા અને ખાદ્યાન્ન ફૂગાવાની સરેરાશ 11.6 ટકા હતી. જ્યારે યુપીએના 2004થી 2014 સુધીના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 8.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 9.0 ટકા રહી હતી.

એનડીએના કાર્યકાળમાં વિકાસદર-

એનડીએના કાર્યકાળમાં 1999-2000ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 8 ટકા, 2001-2002માં વિકાસદર 4.15... 2002-2003માં વિકાસ દર 3.88 અને 2003-2004ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.97 ટકા રહ્યો હતો.

યુપીએ-1ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-1ના કાર્યકાળમાં 2004-2005ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.05 ટકા.. 2005-2006ના વર્ષમાં વિકાસ દર 9.48 ટકા.. 2006-2007ના વર્ષમાં વિકાસ દર 9.57 ટકા.. 2007-2008ના વર્ષમાં વિકાસ દર 9.32 ટકા અને 2008-2009ના વર્ષમાં વિકાસ દર 6.72 ટકા રહ્યો હતો.

યુપીએ-2ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-2ના કાર્યકાળમાં નાણાંકીય વર્ષ 2009-2010માં વિકાસદર 8.59 ટકા હતો. 2010-2011માં વિકાસ દર 8.91 ટકા હતો. 2011-12માં વિકાસ દર 6.69 ટકા.. તો 2012-2013માં વિકાસ દર 4.7 ટકા રહ્યો હતો. જ્યારે 2013-14ના વર્ષમાં અત્યાર સુધીમાં વિકાસ દર 4.94 ટકા રહ્યો છે.

જનતાનું આર્થિક આરોગ્ય જળવાશે તો દેશની આર્થિક સ્થિતિ પણ સુધરશે- 

આમ તો જીડીપી વિકાસ દરના માપદંડો પર ઘણાં અર્થશાસ્ત્રીઓ પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. જો કે પ્રવર્તમાન વિકાસના માપદંડ પ્રમાણે ભારતનો હાલનો વિકાસ દર પાંચ ટકાની નીચે છે. ત્યારે અર્થતંત્રને પાટા પર લાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જીડીપી વિકાસ દર ઉંચો લઈ જવો જરૂરી છે. પણ આ વિકાસ દરને ઉંચો લઈ જવાની લ્હાયમાં અમેરિકી બજારવાદ અને કોર્પોરેટ ઔદ્યોગિક ગૃહોના પ્રભાવમાં સરકારો અસંવેદનશીલતાથી ભાવવધારા કરીને મોંઘવારીને વધવાનો મોકો આપે છે. ત્યારે જનતાના જીવન પર તેના દુષ્પ્રભાવ પેદા થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિકાસ પણ થાય અને જનતાનું આર્થિક આરોગ્ય પણ જળવાય રહે તેવી આર્થિક નીતિઓ કેવી રીતે બનશે?


No comments:

Post a Comment