Saturday, July 12, 2014

વિવાદ: ગાંધી હત્યામાં RSS પર આરોપ લગાવી રાહુલ ગાંધી ફસાયા

આનંદ શુક્લ

ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા 67 વર્ષ બાદ પણ રાજકીય મુદ્દો બને છે. લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની હત્યાનો મુદ્દો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. આ સંદર્ભે તેમણે આરએસએસના લોકો પર ગંભીર આરોપ લગાવ્યો હતો. હવે મહારાષ્ટ્રના ભિવંડીની કોર્ટે રાહુલ ગાંધીને 7 ઓક્ટોબર સુધીમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

મહાત્મા ગાંધી.. ગુજરાતના પનોતા પુત્ર અને આઝાદ ભારતના રાષ્ટ્રપિતા... જનતા પર એક અમીટ છાપ ધરાવે છે. ગાંધીજીનું મહાત્માપણું આજે પણ જનતાના દિલમાં રાજ કરી રહ્યું છે. પરંતુ તેમની સાથે રાજકીય રીતે અસંમત નાથુરામ ગોડસે અને તેના સાથીદારોએ તેમની હત્યા કરી નાખી હતી. ગાંધીજીની હત્યા બાદ સાવરકર સહીત ઘણાં નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તો સરદાર પટેલે ગૃહમંત્રી તરીકે આરએસએસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ કોર્ટે નાથુરામ ગોડસે અને તેના એક સાથીદારને ફાંસીની સજા સંભળાવી હતી. જ્યારે આ મામલામાં વિનાયક દામોદર સાવરકર અને આરએસએસને ક્લિનચીટ આપવામાં આવી હતી. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસના લોકો અને વિચારધારા પર ગાંધીજીની હત્યાનો સીધો આરોપ લગાવ્યો હતો.

ભિવંડીના આરએસએસના સચિવ રાજેશ કુંતે કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરી કાર્યવાહીની માગણી કરી હતી. કોર્ટે હવે રાહુલ ગાંધીને 7 ઓક્ટોબર સુધીમાં ગાંધી હત્યા બાબતે સંઘ પર આપેલા નિવેદન સંદર્ભે કોર્ટમાં હાજર થવા સમન્સ જારી કર્યો છે. સંઘની દલીલ છે કે ગાંધી હત્યાના મામલામાં જવાબદારોને સજા અપાઈ છે. જ્યારે આરએસએસને આ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારનો વિવાદ શા માટે?

આરએસએસએ કહ્યુ છે કે આ મામલો કોર્ટમાં છે. પરંતુ રાહુલ ગાંધીએ ઈતિહાસની ઘટનાઓમાંથી શીખ લેવી જોઈએ. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સીતારામ કેસરીને ગાંધી હત્યા મામલે આવી જ ટીપ્પણી બદલ કોર્ટમાં માફી માગવી પડી હતી.

ગાંધીજીની હત્યા દેશ માટે આઝાદી બાદ પહેલો કારમો આઘાત હતો. પરંતુ તે વખતની પરિસ્થિતિ અને લોકોની ઉશ્કેરાયેલી લાગણીઓના માહોલમાં કેટલાંક લોકો ગાંધીજીના વિરોધી બન્યા હતા. જેમાંથી નાથુરામ ગોડસે જેવા વ્યક્તિઓ ભારતની તત્કાલિન સમસ્યાઓ માટે ગાંધીજીને મોટું કારણ ગણતા હતા.

તેમણે ગાંધીજીની હત્યા કરી.. ઘટના ખૂબ જ દુખદ અને આઘાતજનક હતી. આજે પણ તેની અસર ભારતના લોકોના દિલમાં છે. પરંતુ કોર્ટ અને કમિશનો દ્વારા ગાંધી હત્યાના મામલે આરએસએસનો દોષમુક્ત જાહેર કરાયું હોય, તો પછી તેમના પર રાજકીય પ્રતિસ્પર્ધાથી પ્રેરીત થઈને આરોપ લગાવવો કેટલું યોગ્ય ગણાય? જો કે આનો નિર્ણય હવે કોર્ટ કરશે... પણ ભારતની બેજવાબદાર રાજકારણને જવાબદાર બનાવવા માટે રાજનેતાઓનું જવાબદાર બનવું ખૂબ જ જરૂરી છે.

No comments:

Post a Comment