Saturday, July 12, 2014

મોદીના અચ્છે દિનના સ્વપ્નલોકની સચ્ચાઈ જનતાને કડવી દવા!

આનંદ શુક્લ

મોંઘવારી ક્યારે ઘટશે? દેશના આર્થિક આરોગ્ય સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોક્ટર બનીને કડવી દવા પાઈ રહ્યા છે. જેના કારણે દૂધ… પેટ્રોલ-ડીઝલ.. રેલવે ભાડા… સબસિડી વગરના સિલિન્ડર.. ડુંગળી અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી બની છે. 10મી જુલાઈએ બજેટમાં પણ મોદી સરકાર કમ્મરતોડ ભાવવધારાથી જનતાને કોઈ રાહત આપે તેવા સંકેતો સાંપડતા નથી. લોકોને મનમોહનોમિક્સ અને મોદીનોમિક્સમાં હજી સુધી કોઈ તફાવત દેખાયો નથી. ત્યારે જનતાનો સવાલ એ છે કે મોદીએ ચૂંટણી પહેલા અચ્છે દિનનો વાયદો કર્યો હતો, તે અચ્છે દિન ક્યાં ખોવાય ગયા છે? જનતાને મોદી સરકારની મુશ્કેલીઓ સાંભળવા કરતા પોતાની સમસ્યાઓના ઉકેલમાં વધારે રસ છે.

લગભગ 10 વર્ષ સુધી મોંઘવારીના ભાર તળે દબાયેલી જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અચ્છે દિનના વાયદામાં આશાનો સંચાર થયો હતો. પરંતુ ત્યાર બાદ દૂધ, પેટ્રોલ-ડીઝલ અને અન્ય વસ્તુઓમાં ભાવવધારા થવાની શરૂઆત થઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવા ખાતે આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે પોતાની સરકારની મજબૂરી ગણાવી. તેમણે દેશની આર્થિક દુર્દશા માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવી અને અર્થતંત્રના આરોગ્યને સુધારવા માટે કડવી દવા આપવાની વાત કરી હતી.

દેશના અર્થતંત્રને કડવી દવા પાવા માટે વડાપ્રધાન મોદી ડોક્ટરની ભૂમિકામાં આવ્યા. તેમની સરકારે રેલવે ભાડામાં આઝાદી બાદનો સૌથી મોટો 14 ટકા જેટલો વધારો જનતાના માથે ઝીંક્યો અને નૂરભાડા પણ વધાર્યા. મોદી સરકારના મંત્રીઓએ યુપીએ સરકારની જેમ તર્કો આપવા માંડયા અને નિર્ણયને પુરોગામી સરકારનો ગણાવીને પોતાના હાથ ખંખેરવાનો પ્રયત્ન કર્યો. રેલવે ભાડમાં વધારા સામે લોકોમાં ખૂબ જ રોષ ફેલાયો છે.

ડોક્ટર મોદીની કડવી દવાના ડોઝ અપતા હતા અર્થતંત્રને પણ તેનાથી મોઢું કડવું થવા લાગ્યું જનતાનું. મોદી સરકારે પેટ્રોલમાં 1.69 રૂપિયા અને ડીઝલમાં 50 પૈસાનો વધારો તાજેતરમાં કર્યો. ડુંગળી સહીતની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા. તો સબસિડી વગરના રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયા 50 પૈસાનો વધારો કરાયો છે. જેના પરિણામે જનતાએ ઉપરાઉપરી ભાવવધારા સામે દેશભરમાં દેખાવો થયા અને મોદીના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યુ છે કે નબળા ચોમાસાની મીડિયામાં આવતી ખબરોને કારણે જમાખોરી વધી રહી છે અને જમાખોરીથી મોંઘવારી વધી રહી છે. દિલ્હીમાં જમાખોરોના ઠેકાણાઓ પર છાપામારી શરૂ થઈ છે અને રાજ્યોને પણ તેના માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

તો કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટ પહેલા સંકેત આપ્યા છે કે તેઓ સામાન્ય બજેટમાં સસ્તી લોકપ્રિયતાના સ્થાને અર્થતંત્રની સ્થિતિ સુધારવા પર જોર આપશે.

તેવામાં જનતાને આગામી સપ્તાહે રજૂ થનારા મોદી સરકારના બજેટમાં આકરા નિર્ણયો જોવા મળી શકે છે. જેટલીએ કહ્યુ છે કે મહેસૂલી ખાદ્ય એક મોટો પડકાર છે. મોંઘવારી પણ અત્યારે આસામાને છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટટોને એક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. જેટલીએ કહ્યુ છે કે અત્યારે મોંઘવારી સ્વીકાર્ય મર્યાદાથી ઉપર છે. તેમ છતાં ત્રણ-ચાર વર્ષની નિરાશા બાદ આશા દેખાઈ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાના પગલા લેવાથી પરહેજ કરશે,કારણ કે તેનાથી રાજકોષની હાલત બગડી જશે.

આર્થિક સુધારાને નામે કેન્દ્રમાં આવેલી છેલ્લી કેટલીક સરકારોએ મોંઘવારીને ખુબ જ સોંઘી કરી નાખી છે. જેના કારણે સોંઘવારીની આશામાં સેવતી જનતાનું જીવન દુભર બન્યું છે. ભારતમાં સત્તામાં કોઈપણ આવે પણ સત્તાપક્ષની ભાષા અને નીતિઓમાં હાલના તબક્કે કોઈ જ ફરક લાગી રહ્યો નથી. વળી જાણકારો પ્રમાણે, સબસિડી હટાવી લેવાની નીતિ આગળ કરનારી સરકારોએ ઉદ્યોગો માટે અંદાજે સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની રાહતોની લ્હાણી કરી છે. ત્યારે સવાલ એ છે કે કલ્યાણરાજ્ય ભારતની સરકાર પ્રોફિટ મેંકિગ કંપનીમાં ફેરવાઈ ગઈ છે? લોકોને એ પણ પ્રશ્ન થાય છે કે આ કેવા આર્થિક સુધારા છે..જેમાં મોંઘવારી સતત વધતી રહે છે. આ આર્થિક વિકાસના સુધારાના નામે કોનો વિકાસ થઈ રહ્યો છે?

ચૂંટણી પ્રચારમાં મોદી લોકોને પુછતા હતા કે યુપીએ સરકારે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનો વાયદો પુરો કર્યો છે? પણ હવે મોદી ખુદ સત્તામાં છે અને મોંઘવારી મામલે લોકોને નિરાશા પ્રાપ્ત થઈ છે. ત્યારે મોદી 200 દિવસમાં પણ મોંઘવારીને ઘટાડે તો તેમની અચ્છે દિન આવ્યાની વાત થોડી-ઘણી સાચી સાબિત થાય..

No comments:

Post a Comment