Saturday, July 12, 2014

અમિત શાહ: ખામોશીથી કાર્યવાહીની શૈલી ધરાવતા ભાજપના નવા અધ્યક્ષ

આનંદ શુક્લ

9 જુલાઈ-2014ના રોજ ભાજપની જીતના ચાણક્ય અને સૌથી અસરકારક વ્યૂહરચનાકાર અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. પરંતુ દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલયમાં અમિત શાહ મહદ અંશે ખામોશ રહ્યા. દોઢ વર્ષ પહેલા 23 જાન્યુઆરી-2014ને યાદ કરીએ તો જશ્નના માહોલમાં રાજનાથસિંહની અધ્યક્ષ પદે તાજપોશી થઈ હતી. ભાજપમાં પરંપરા છે કે અધ્યક્ષ બન્યા બાદ તુરંત કાયકર્તાઓને મીડિયા દ્વારા દરેક અધ્યક્ષ સંબોધિત કરે છે. પરંતુ અમિત શાહે અમદાવાદ આવીને પોતાના સ્વાગત કાર્યક્રમમાં પોતાની વાત રજૂ કરી.

અમિત શાહનો આત્મવિશ્વાસ અને લક્ષ્ય માટેની લગન તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે આસિન કરી શકી છે. જાણકારો પ્રમાણે, અમિત શાહની ખામોશી તેમની વ્યૂહરચનાકાર તરીકેની કાર્યશૈલીનું સૌથી મોટું હથિયાર છે. તેઓ યોગ્ય સમયે યોગ્ય વિષય પર બોલવા માટે ખૂબ પંકાયેલા છે. અમિત શાહ બોલે છે, તેના કરતા સંગઠન માટે જે જરૂરી હોય તે ખામોશીથી કરી નાખે છે. યૂપીના ભાજપ પ્રભારી તરીકે અમિત શાહે આ વાત પ્રસ્થાપિત પણ કરી છે. ભારતના દરેક રાજ્યોમાં લોકસભાની જ્વલંત જીતનું પુનરાવર્તન કરીને ભાજપના કાયાકલ્પનું મિશન અમિત શાહને સોંપવામાં આવ્યું છે.

ભાજપના સંગઠનમાં રાજ્ય સ્તરે નવસંચાર માટે અમિત શાહનો પહેલો રાજકીય મંત્ર મોટાભાગના રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલવાની કવાયત બની રહેવાની શક્યતા છે. એટલું જ નહીં.. નરેન્દ્ર મોદીના ખાસમખાસ સેનાતપિત અમિત શાહના અધ્યક્ષ બન્યા બાદ ભાજપ મુખ્યમથકના નાના-નાના ઓરડામાં કબજો જમાવીને બેઠેલા કેટલાંય નેતાઓની ખુરશીના પાયા પણ હચમચશે.

સંઘના નેતાઓ અને અમિત શાહ વચ્ચે તેમની અધ્યક્ષ પદે નિયુક્તિ પહેલા ઘણી મહત્વની બેઠક થઈ છે. માનવામાં આવે છે કે સંઘના ત્રણ મંત્રો આગામી સમયમાં ભાજપમાં જોવા મળશે. પહેલું..દરેક રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે. જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદૂનો સમાવેશ થાય તો નવાઈ નથી. બીજું...સંઘની શાખાઓ સાથે સંબંધિત અથવા એબીવીપી દ્વારા રાજકારણમાં પ્રવેશનારાઓને નંબર-1 અને નંબર-2 માટે મહત્વ આપવામાં આવશે. આમાથી પ્રદેશ પ્રમુખ પસંદ થાય તેવી શક્યતાઓ રહેશે. ત્રીજું.. ગઠબંધનના રાજકારણ હેઠળ ભાજપને સત્તામાં લાવવાના સપના પિરસતા નેતાઓને હાંસિયામાં ફેકી દેવા.

17 વર્ષ સુધી એનડીએ ગઠબંધનનો યુગ ચાલ્યો. ત્યારે સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે રાજકીય પ્રચાર દ્વારા સંઘનો સ્વયંસેવક ભાજપ માટે રાજકીય જમીન તૈયાર કરે છે.. પરંતુ તેનો લાભ ગઠબંધનના પક્ષોને શા માટે મળવો જોઈએ? તેથી 2014ની લોકસભાની ચૂંટણીમાં સંઘ અને મોદી-અમિત શાહનું લક્ષ્ય ભાજપને પોતાના દમ પર સત્તાએ પહોંચાડવાનું હતું. હવે અધ્યક્ષ તરીકે અમિત શાહ ભાજપને મહારાષ્ટ્ર.. હરિયાણા અને ઝારખંડમાં પોતાના દમ જીત મળે તેવા લક્ષ્ય સાથે કામ કરશે.


પરંતુ આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીવાળા ત્રણેય રાજ્યોમાં લોકસભા ચૂંટણી જેવી જીત દોહરાવવાના અમિત શાહના મિશનમાં ત્રણ અડચણો પણ છે. .એક.. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ પાસે એવો કોઈ નેતા નથી કે જેની પાછળ આખી પાર્ટી ચાલવા તૈયાર હોય. બીજું... ત્રણેય રાજ્યોમાં ભાજપના કાર્યકર્તાઓ પોતાના નેતાઓને લઈને જૂથબંધીનો ભોગ બન્યા છે. ત્રીજુ.. ભાજપ વંશવાદનો વિરોધ કરે છે.. પરંતુ તેના સાથીપક્ષો વંશવાદમાં ગળાડૂબ છે. 

No comments:

Post a Comment