મંગળવાર, 20 માર્ચ, 2018

એક હિંદુની સલાહ માનો: અયોધ્યામાં રામમંદિર નિર્માણ કરો અને પાંડવ સાબિત થાવ

-     પ્રસન્ન શાસ્ત્રી
ભારતીય રાજનીતિના કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં હિંદુઓ જ છે અને હિંદુઓ જ આ મહાભારતનો નિર્ણય કરવાના છે. ભગવાન કૃષ્ણની જેમ હિંદુઓએ ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ સુપેરે પારખ્યો છે. હિંદુઓએ રાજનીતિના કુરુક્ષેત્રના ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસનોને જોયા છે. ભીષ્મને બાણશૈયા પર સૂતેલા પણ જોયા છે. હિંદુઓ માટે રાજનીતિના કુરુક્ષેત્રમાં પાંડવો એવા નેતા સાબિત થઈ શકે કે જેઓ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરે, અનુચ્છેદ-370 હટાવે અને સમાન નાગરિક ધારો લાગુ કરે. એક હિંદુ રાજનીતિના કુરુક્ષેત્રમાં ઉભેલા નેતાઓને સલાહ આપે છે કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરો અને પોતાને પાંડવ સાબિત કરો. ધર્મની સ્થાપના માટે અને અધર્મના વિનાશ અર્થે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. આજે ભારતની રાજનીતિ કદાચ કુરુક્ષેત્ર બની ચુકી છે. રાજનીતિનો ધર્મ રાષ્ટ્રનીતિને મજૂબત કરીને રાષ્ટ્રના વાહકોને મજબૂત બનાવવાનો છે. પરંતુ કોણ જાણે કેમ ભારતની રાજનીતિમાં આવો ધર્મ અવાર-નવાર ચુકાયો છે. આઝાદી પહેલા અને પછી ભારતની રાજનીતિમાં સો ટચનું સોનું સમજીને લોકોએ ભરોસો મૂકેલા નેતાઓ બગભગતો સાબિત થઈ ચુક્યા છે. જેમની પાસેથી દેશે કોઈ મોટી અપેક્ષા રાખી ન હતી તેવા નેતાઓએ દેશને ઘણું આપ્યું છે. જો કે આવા નેતાઓની રાજનીતિ પર પણ પ્રશ્નો અવશ્ય છે. હિંદુની સલાહ પાંડવ સાબિત થવા માટે રાજનીતિના કુરુક્ષેત્રમાં ઉભેલા નેતાઓને કાને પહોંચાડતા પહેલા થોડું સિંહાવલોકન પણ કરીએ.
ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ટુકડા કર્યા, પણ ઈમરજન્સી અને તેમના નિધન બાદ શીખ વિરોધી રમખાણના મામલે રાજનીતિક પ્રશ્નો અવશ્ય થાય છે. રાષ્ટ્રહિતમાં ઓપરેશન બ્લૂસ્ટાર જેવો આત્મઘાતી નિર્ણય કરનાર ઈન્દિરા ગાંધીની રાજનીતિને કારણે જ ભિંદરાનવાલે જેવા તત્વો ફૂલ્યા-ફાલ્યા હોવાનું પણ ચોક્કસથી યાદ રાખવું પડે.
તો બાબરી નામનું કલંક મિટાવતી વખતે કારસેવકોને કલ્યાણસિંહે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે તેમના પુરોગામી મુલાયમસિંહ યાદવના રસ્તે ચાલીને ગોળીઓ ચલાવવાનો હુકમ આપવા કરતા રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. પરંતુ કલ્યાણસિંહનું ભાજપમાં કોરાણે મૂકાવું અને સમાજવાદી પાર્ટીમાં જવું તથા પોતાની પાર્ટી બનાવીને ભાજપમાં પાછા ફરવા સુધીની રાજકીય ઘટના-દુર્ઘટનાઓને પણ યાદ રાખવી પડે. 6 ડિસેમ્બર, 1992માં તત્કાલિન વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવને પણ યાદ કરવા પડે કે બાબરીના કલંકને મિટાવવામાં તેમના દ્વારા કોઈ મોટી અડચણ પેદા કરવામાં આવી નહીં. ભારતના ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો શરૂ કરવાનું કામ પણ નરસિમ્હારાવે કર્યું હતું. નરસિમ્હારાવે ભારતની પરમાણુ શક્તિ વધારવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી હતી અને સત્તા પરિવર્તન સમયે અટલ બિહારી વાજપેયીને તેની ગુપ્તપણે જાણકારી પણ આપી દીધી હતી. જેથી વાજપેયીની આગેવાનીવાળી એનડીએ સરકારે પોખરણમાં પરમાણુ પરીક્ષણો કરીને પાકિસ્તાન અને દુનિયાના બહેરા કાનમાં ભારતની શક્તિનો પડઘો પાડયો હતો. પરંતુ નરસિમ્હારાવની સરકારના કાર્યકાળમાં સ્વદેશીની ભાવના અને ઉદારીકરણના નામે આર્થિક અસમાનતાને આપવામાં આવેલા મહત્વને તથા તેના દ્વારા દેશના ઝડપી વિકાસદરની સાથે મૂલ્યાત્મક દુર્ગતિના દરમાં થયેલા વધારાને પણ માપવાનું ભૂલવું જોઈએ નહીં.
વાજપેયીની આગેવાનીમાં 24 પક્ષોની ટેકણ લાકડીએ સત્તામાં આવેલી એનડીએ સરકારે કારગીલ યુદ્ધ જીત્યું, પોખરણ-ટુમાં પરમાણુ પરીક્ષણો કર્યા, અમેરિકાના આર્થિક પ્રતિબંધો સામે અડગ અને અથગ રહીને દેશ માટે કામ કર્યું. પરંતુ સાથે એ પણ ભૂલવું જોઈએ નહીં કે વાજપેયીની સરકારના કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીર સહીત દેશમાં આતંકી હુમલાની વણઝાર પણ વધી. કારગીલમાં પાકિસ્તાનના ઘૂસણખોરો ઘૂસવામાં સફળ થયા અને સરકારને ખૂબ મોટી જાણકારી મળી, ડિસઈન્વેસ્ટમેન્ટની નીતિઓ પણ વાજપેયીના કાર્યકાળમાં હંમેશા સવાલોના ઘેરામાં રહી છે. વાજપેયી સરકારમાં યશવંત સિંહા સરીખા નાણાં પ્રધાન સામે આરએસએસના વિચારક અને વરિષ્ઠ પ્રચારક દિવંગત  દત્તોપંતજી ઠેંગડીએ ક્રિમિનલ ફાઈનાન્સ મિનિસ્ટર કહીને બળાપો પણ કાઢયો હતો. દત્તોપંતજી ઠેંગડી સ્વદેશી આંદોલનના પ્રખર સ્ત્રોત હતા. વાજપેયી સરકાર રામમંદિર નિર્માણ કરીને રાષ્ટ્રનું સમ્માન પુનર્સ્થાપિત કરવાના મુદ્દે વાયદો કરવા છતાં પણ કંઈ ખાસ કરી શકી નહીં. જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કૂટનીતિક તથા જમીન પર કોશિશો કરવા છતાં પણ ઢીલા વલણની છાપને ભૂંસવામાં વાજપેયી સરકાર નાકામિયાબ રહી હતી. કંદહાર કાંડમાં મસૂદ અઝહર સહીતના ત્રણ આતંકવાદીઓને છોડવાના મામલે આજે પણ ભાજપને આતંકવાદ સામે કંઈ ખાસ ઉકાળી નહીં શકેલા કોંગ્રેસના નેતાઓ સામે સંરક્ષણાત્મક મુદ્રામાં આવી જવું પડે છે.
મનમોહનસિંહની આગેવાનીવાળી કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએ સરકારના દશ વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર, 26-11 જેવા આતંકી હુમલા અને હિંદુ આતંકવાદથી માંડીને ભગવા આતંકવાદ જેવા શબ્દોમાં મુસ્લિમ તુષ્ટિકરણની એકમાત્ર દિશામાં કરાયેલી કથિત સેક્યુલર રાજનીતિ પણ ભારતીય રાજનીતિમાં નેતાઓની એક મોટી નિષ્ફળતાથી વધુ કંઈ જ નથી. 2008ની મંદીમાં પણ ભારતનું અર્થતંત્ર ટકાવી રાખવું અને 14 કરોડ લોકોને ગરીબીની રેખાની ઉપર લઈ આવવાનું કામ પણ મનમોહનસિંહની નબળી ગણાતી સરકારના ફાળે જ જાય છે. જો કે મૌન રહીને મનમોહનસિંહે પાકિસ્તાન સામેની વાજપેયી સરકારની નીતિઓને આગળ વધારવાનું કામ કર્યું હતું. 2014માં દશ વર્ષના મનમોહનસિંહની સરકારના શાસનકાળમાં યુપીએની સરકારની જાહેરછાપના આધારે લોકો સત્તાનો નવો વિકલ્પ શોધી રહ્યા હતા અને આ વિકલ્પની શોધ આશા સાથે ભારતની જનતાએ કરી હતી.
મનમોહનસિંહની સરકારમાં મુસ્લિમ તુષ્ટિકરણ કરતી કથિત સેક્યુલર રાજનીતિના કારણે દેશમાં હિંદુઓની રાષ્ટ્રીય ભાવનાની લાગણીને અને ધાર્મિક આસ્થાઓને ખાસી ઠેસ લાગી હતી. રામસેતુ મામલે મનમોહનસિંહની સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને ભગવાન શ્રીરામ કપોળકલ્પિત હોવાનું જણાવ્યું, ત્યારે ખરેખર ભારતના 100 કરોડ હિંદુઓની આસ્થાને મોટી ઠેસ લાગી હતી અને અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર રામમંદિર નિર્માણમાં આવતી અડચણોના કેટલાક કારણોની પણ પણ હિંદુઓને પુરી માહિતી મળી હતી. જમ્મુ-કાશ્મીર અને સમાન નાગરિક ધારા મામલે પણ મનમોહનસિંહની સરકારમાં સામેલ કોંગ્રેસ અને તેના સાથીપક્ષોની માનસિકતાએ પણ લોકોને ઘણી મોટી ઠેસ પહોંચાડી હતી. આવા સંજોગોમાં વિકલ્પ શોધી રહેલી દેશની જનતાએ ગુજરાતની રાજકીય ઘટનાઓ વચ્ચે નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાન પદે ખૂબ મોટી આકાંક્ષાઓ સાથે દિલ્હીની ગાદી સોંપી હતી.
આવી આશાઓમાં અચ્છે દિનના સૂત્રે જનતામાં મોટી આશા જગાવી હતી. જ્યારે ભાજપની ત્રીસ વર્ષ બાદ લોકસભામાં સ્પષ્ટ બહુમતીવાળી જીત થઈ, ત્યારે ખુદ નરેન્દ્ર મોદીએ પણ કહ્યુ હતુ કે અચ્છે દિન અને જનતાએ જવાબ આપ્યો હતો કે અચ્છે દિન આ ગયે. આજે મોદી સરકારને ચાર વર્ષનો સમયગાળો થઈ ચુક્યો છે. પરંતુ હજીપણ જનતાને પોતાની આકાંક્ષાઓ પુરી થતી દેખાઈ રહી નથી. અચ્છે દિન આ ગયેનો પ્રતિસાદ પુરતી જનતાએ છેલ્લે ફૂલપુર-ગોરખપુર જેવી પેટાચૂંટણીઓમાં ભાજપને રાજકીય સંદેશો આપવાની કોશિશો કરી છે. ગોરખપુર તો 29 વર્ષથી હિંદુત્વની રાજનીતિમાં યુપી ખાતેનું કેન્દ્રીય માનબિંદુ છે. પરંતુ અહીં પણ ભાજપની હાર થવી એક મોટી રાજકીય હોનારત તરીકે જાણકારો જોઈ રહ્યા છે. ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ખાસો મોટો સંદેશો આપવાની રાજ્યની જનતાએ કોશિશો કરી હતી. વિકાસના નામે ભલે રાજનીતિ ચલાવાય, પણ હિંદુત્વના પડઘા વગરનો વિકાસ લોકોને ખપતો નથી. વિકાસની રાજનીતિની ઈમારતમાં હિંદુત્વના પાયાની ઈંટ હચમચશે તો વિકસિત થયેલી રાજનીતિની ઈમારત કડડભૂસ થતા વાર નહીં લાગે તેવો સંદેશો પણ 2017માં ગુજરાતની ચૂંટણીમાં ભાજપની થયેલી જીતમાંથી પાર્ટીને લોકોએ આપવાની કોશિશ કરી છે. ગુજરાત હિંદુત્વની રાજનીતિનો સૌથી મજબૂત ગઢ હોવાને કારણે તેને હિંદુત્વની પ્રયોગશાળા તરીકે સેક્યુલર રાજનીતિના નીતિનિર્ધારકો દ્વારા વગોવવાની ઘણી કોશિશ થઈ છે. ગુજરાતની 2017ની ચૂંટણીમાં લગભગ વીસ વર્ષે રાજ્યમાં જાતિના નામે વોટનો વેપાર જોવા મળ્યો અને હિંદુત્વના મુદ્દાઓ ચિંતાજનક રીતે બાજુએ મૂકાયેલા રહ્યા હતા. જો કે ત્રિપુરામાં પણ 25 વર્ષ જૂની ડાબેરીઓની સત્તાને હટાવવામાં ભાજપને સફળતા મળી છે. પણ આ સફળતા ભાજપની જીત બાદ ત્રિપુરામાં તૂટેલાના લેનિનના પૂતળાથી સમજી શકાશે. ત્રિપુરામાં ભાજપને મળેલી જીત હિંદુઓની લાગણીઓની આકાંક્ષાના ઉછાળાથી મળેલી જીત છે.
પણ ભાજપના જૂના ગઢ બની ચુકેલા પશ્ચિમ-ઉત્તરના રાજ્યોમાં હિંદુઓની લાગણીઓ અને આકાંક્ષાઓને હજી સુધી સંતુષ્ટ થવાની શક્યતા દેખાઈ રહી નથી. તેને કારણે અહીં ખાસો અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. આ અસંતોષ અનામતની માગણીના આંદોલનો, ખેડૂતોના આંદોલન અથવા અન્ય કોઈપણ સ્વરૂપે બહાર આવવાની કોશિશમાં છે. આવા અસંતોષમાં નોટબંધી અને જીએસટી જેવી વ્યવસ્થાઓને લાગુ કરવામાં થયેલી ચુકે ઈંજનનું કામ કર્યું છે. બેરોજગારી, ગરીબી તમામ ભારતની મૂળભૂત સમસ્યા છે. પરંતુ આ તમામ મૂળભૂત સમસ્યાઓના કારણરૂપ સમસ્યા છે સ્વાભિમાનયુક્ત રાષ્ટ્રભાવનાના સંવર્ધનમાં દાખવવામાં આવેલી ઉણપ.
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી હોય કે જમ્મુ-કાશ્મીર હોય કે છેલ્લે અરરિયામાં આજેડીના નેતાની જીત હોય, રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારની કથિત ઘટનાઓની ચર્ચાઓ જોવા મળી છે. જો આવા સ્થાનો પર પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થતા હોય, ભારત વિરોધી સૂત્રોચ્ચાર થતા હોય અને કાર્યવાહીના નામે લગભગ મીડું જોવા મળતું હોય એટલે કે આવા કૃત્યો કરનારને દાખલારૂપ સજા આપવામાં સરકાર સફળ થઈ શકતી નથી, તો કદાચ પુરોગામી સરકારો કરતા હાલની મજબૂત બહુમતી ધરાવતી સરકાર નબળી જ લેખાશે. સત્તામાં આવ્યાને ચાર વર્ષે પણ યુપીએના કાર્યકાળમાં કરવામાં આવેલા ટુજી સ્પેક્ટ્રમ કાંડના દોષિતોને સજા અપાવી શકાઈ નથી. યુપીએ સરકારના ભ્રષ્ટાચારના મોટા આંકડાની અવાર-નવાર ચર્ચાઓ થઈ છે. પણ હજી સુધી સજા સુધી આના માટે જવાબદારોને પહોંચાડવામાં ખાસ સફળતા મળી નથી. તો બીજી તરફ લલિત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ફૂલેકાબાજો ફરાર થવામાં કામિયાબ થાય છે. શું આ કોઈ મજબૂત ગણાતી સરકારની મોટી નબળાઈ નથી?
જમ્મુ-કાશ્મીરમાં સરહદે પાકિસ્તાન દ્વારા બેફામ ફાયરિંગ અને જીવ ગુમાવતા નાગરિકો તથા શહીદ થતા સુરક્ષાદળોના જવાનો પણ જનતાના દિલોદિમાગને સૂન કરી રહ્યા છે. ચોક્કસ જમ્મુ-કાશ્મીરમાં મરનારા આતંકવાદીઓની સંખ્યા સુરક્ષાદળના શહીદ થનારા જવાનોથી વધારે છે. પરંતુ શહીદ થનારા જવાનોનો આંકડો પણ પહેલાના વર્ષોની સરખામણીએ વધારે છે. પાકિસ્તાન ગોળીની ભાષા સમજે છે. તેની સાથે દોસ્તીની ખોટી કોશિશો કરવામાં સમય બગાડવાને કારણે પઠાનકોટ, ઉરી અને નાગરોટાના આતંકી હુમલા રોકી શકાયા નથી. જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજી અને આતંકવાદને રોકી શકાયો નથી. સર્જિકલ સ્ટ્રાઈક કરવા છતાં આતંકવાદી હુમલા અને પાકિસ્તાનની બંદૂકોને ચુપ કરાવી શકાઈ નથી. સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતીય સેનાની અપ્રતીમ બહાદૂરી છતાં તેની સામે ઉઠી રહેલા બેશરમ સવાલોને બંધ કરાવી શકાયા નથી.
ટ્રિપલ  તલાક સામે કાયદો લાવવો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે કાયદો લાવવો સારું છે. પરંતુ તેની સાથે સવાલ પણ ઉભો થાય છે, દેશમાં બંધારણની સર્વોપરીતા સાબિત કરવા માટે કોમન સિવિલ કોડ લાવવાની દિશામાં સરકાર દ્રઢતાપૂર્વક આગળ વધવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવા માટે શા માટે તૈયાર નથી? જમ્મુ-કાશ્મીરમાં કલમ-35-એ અને કલમ-370ની નાબૂદી કરીને પાકિસ્તાનવાદીઓની હિંસાને સમાપ્ત કરવા માટેની બંધારણીય ભાવના મુજબની કાર્યવાહી કરવામાં સરકાર કેમ આગળ વધતી દેખાઈ રહી નથી?
હજ સબસિડી સમાપ્ત કરીને તેને મુસ્લિમ કે લઘુમતીઓ માટે વાપરવાની વ્યવસ્થા જ ભારતની બંધારણીય ભાવના સાથે વિરોધાભાસ ઉભો કરે છે. ભારતના બંધારણે તમામ વર્ગના ગરીબોને એકસરખા ગણવાની વાત કરી છે. પણ શું આવી વ્યવસ્થાઓથી તમામ ગરીબોને સમાન સમજવાની બંધારણીય ભાવનાનું સંરક્ષણ થઈ રહ્યું છે? શું આવી વ્યવસ્થાઓ રાજકીય ગણતરીઓ અને મજબૂરીઓ વશ ઉભી કરાઈ રહી નથી? દેશમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય અને લઘુમતી પંચ હોય કે લઘુમતીઓ માટેની બજેટમાં ફાળવણીનો મામલો હોય. આવી વ્યવસ્થાઓ બહુમતી અને લઘુમતીની વચ્ચેની ખાઈને વધારનારી વ્યવસ્થાઓ છે. શું ગરીબ કલ્યાણ મંત્રાલય અને ગરીબ કલ્યાણ પંચની વ્યસ્થા કરી શખાય નહીં? શું ગરીબી ઉન્મૂલન માટેની યોજનાઓ માટેના ફંડની ફાળવણીની બજેટીય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીને લઘુમતી માટેની બજેટ ફાળવણીની વ્યવસ્થાને હટાવી શકાય નહીં ?
હિંદુત્વવાદી રાજનીતિમાં વૈચારીક ભ્રષ્ટતતા ધરાવતા લોકોના આગમને તેની સામેના પડકારોને વધુ ઘેરા બનાવ્યા છે. રાજ્યસભામાં જે વ્યક્તિ ભગવાન રામ, વિષ્ણુ, હનુમાન અને માતા સીતા માટે બેફામ વાણીવિલાસ કરતો હોય, તેને ભાજપ સામેલ કરવો શું જોડતોડની રાજનીતિ અને વૈચારીક ભ્રષ્ટતાને પ્રોત્સાહીત કરવાનું કામ નથી ? તેની સાથે જ રામજન્મભૂમિ આંદોલનના શહીદોને ભૂલી જવા અને અયોધ્યામાં તંબુમાં છેલ્લા 27 વર્ષોથી બિરાજમાન રામલલાને ભૂલી જવાનું પાપ સત્તાના નશામાં ચકચૂરોએ કરવુ જોઈએ નહીં. રામલલા વિરાજમાનને ભવ્ય રામમંદિરમાં રામજન્મભૂમિ ખાતે સ્થાપિત કરવા નવા ભારતનું નિર્માણ હશે અને તે ન્યૂ ઈન્ડિયાથી વધુ મહાન હશે. ભારત વિકાસનું વિરોધી ક્યારેય રહ્યું નથી. પણ વિકાસની સાથે હિંદુ ઓળખ અને હિંદુ તત્વની અનુભૂતિ પણ બેહદ જરૂરી છે. એટલે વિકાસની રાજનીતિની ઈમારત ચણતી વખતે હિંદુત્વને બાજુએ હડસેલવાની વાત પણ હિંદુઓ હવે શાખી લેવાના નથી તેવી વાત પણ આજની રાજનીતિમાં સ્પષ્ટપણે તરી આવે છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને પત્ર લખીને વટહુકમ લાવીને રામમંદિર મામલે સંસદમાં કાયદો લાવવાના માર્ગે આગળ વધવાની હાકલ કરી છે. જો ટ્રિપલ તલાક પર વટહુકમ આવી શકતો હોય, જો જમીન સંપાદન મામલે વટહુકમોની વણઝાર લાવી શકાતી હોય, તો રામમંદિર નિર્માણ માટે આમ કેમ કરી શકાય નહીં? વળી હિંદુઓએ 1984થી 2018 સુધી અયોધ્યામાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને હટાવવી અને સમાન નાગરિક ધારા માટે જ તો ભાજપને મજબૂત બનાવ્યું છે. તો હવે ત્રીસ વર્ષ બાદ 2014માં પૂર્ણ બહુમતીથી સત્તામાં આવેલી મજબૂત સરકાર આવા ત્રણ રાષ્ટ્રીય મુદ્દાઓને લાગુ કરવામાં દ્રઢતા દેખાડીને હિંદુઓની રાષ્ટ્રીય ઓળખની લાગણીને વાચા આપવા માટેનું રાષ્ટ્રીય કામ કરવા માટેની તૈયારી કરે. આ મુદ્દાઓ ભાજપના એજન્ડામાં 1984થી સામેલ છે.
એક હિંદુની સલાહ-

જાતિઓને પાછળ મૂકીને રાષ્ટ્રહિતમાં આગળ વધી ચુકેલા રાષ્ટ્રીય હિંદુને જાતિવાદી જાળમાં ફસાવનારા રાજનેતાઓએ અને વિકાસના નામે ઠગનારા રાજનેતાઓએ આ સલાહ ધ્યાનપૂર્વક વાંચવી. ભારતમાં પહેલા નકલી ધર્મનિરપેક્ષો અને અસલી ધર્મનિરપેક્ષોની લડાઈની વાત થતી હતી. પરંતુ હવે ભારતમાં નકલી હિંદુત્વવાદીઓ અને અસલી અસલી હિંદુત્વવાદીઓ વચ્ચેની રાજકીય લડાઈ શરૂ થઈ ચુકી છે. મંદિરો ગણવા માત્રથી કોઈ રાજનેતા ખુદને હિંદુ સાબિત કરી શકવાનો નથી. શ્રીરામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે મંદિરો ગણતા રાજનેતાઓએ પણ પોતાના વલણોને સ્પષ્ટ કરવા પડશે. તેની સાથે જ સત્તામાં પહોંચ્યા પછી પોતાને અસલી ગણાવતા હિંદુત્વવાદીઓના પથભ્રષ્ટ થઈ જઈને નકલી હિંદુત્વવાદીઓ જેવી રાજકીય હરકતો પણ બંધ થવી જોઈએ. ભારત હવે અસલી હિંદુને સત્તામાં પહોંચ્યા પછી નકલી હિંદુ થતો જોવાની સ્થિતિમાં નથી. તેની સાથે જ કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રીય હિતોનો બલિ આપીને મહાત્મા સાબિત થઈ શકે નહીં અને આવી પરવાનગી રાષ્ટ્ર ક્યારેય આપી શકે નહીં. એટલે રાષ્ટ્રસાધનામાં મહાત્મા સાબિત થવા કરતા દધીચિ ઋષિની ભૂમિકામાં પણ આવવાની કોશિશ થવી જોઈએ. બાકી ભારતમાં અસલી હિંદુઓની સંખ્યા અને શક્તિ બંને નકલી કે નકલી થતા હિંદુઓથી ઘણી વધારે છે. ભારતની રાજનીતિના કુરુક્ષેત્રમાં લડવા જઈ રહેલા મહાભારતમાં પાંડવ અને કૌરવ કોણ-નો નિર્ણય દેશના હિંદુઓએ કરવાનો છે અને ભારતના કોઈપણ રાજકારણીએ આને ભૂલવું જોઈએ નહીં. બાકી સ્માર્ટ સેક્યુલારિજમના નામે હિંદુઓની ઓળખ ભૂલાવવાની કોશિશ કરતા રાજકારણીઓ અને વિકાસવાદના નામે હિંદુઓને ઠગવાની કોશિશ કરનારા રાજકારણીઓએ ચેતીને રામમંદિરનું અયોધ્યા ખાતેની શ્રીરામજન્મભૂમિ પર રાષ્ટ્રમંદિરની તર્જ પર પાંડવ સાબિત થવા માટે નિર્માણ કરવું જરૂરી છે.  

સોમવાર, 12 ફેબ્રુઆરી, 2018

પાર્થ હોવ તો ચઢાવો બાણ: જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે યુદ્ધ એ જ કલ્યાણ




-    પ્રસન્ન શાસ્ત્રી

જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર ગત લગભગ પોણા ત્રણ વર્ષથી અસ્તિત્વમાં છે. તો કેન્દ્રમાં ત્રીસ વર્ષ બાદ પહેલી મજબૂત સરકારના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની સરકાર ગત પોણા ચાર વર્ષથી વધુ સમયથી અમલમાં છે. પરંતુ આ સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ કેટલી હદે વણસી છે, તેની ચિંતા અને એક દબાયેલો આક્રોશ આખા દેશમાં પ્રવર્તી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં સેના અને સુરક્ષાદળો ખૂબ અસરકારક કામગીરી કરી રહ્યા હોવા છતાં ભાગલાવાદીઓ અને આતંકવાદીઓની હરકતો થંભી રહી નથી. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ ગંભીર ચિંતા ઉપજાવનારી હોવાથી કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. જમ્મુ-કાશ્મીર ભારતનું અતૂટ અંગ હોવાની વાત જાણે કે નિવેદનો પુરતી મર્યાદીત રહી ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. 

આમ લાગવાને માટે કારણો છે. જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે અને તેની વિધાનસભા ભારતના બંધારણ હેઠળ કામ કરી રહી છે. પરંતુ જ્યારે જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો અને ત્યારે આર્મી કેમ્પ નજીક રહેતા રોહિંગ્યા મુસ્લિમોને પાકિસ્તાની આતંકવાદીઓએ હથિયાર બનાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સ્પીકર કવિન્દ્ર ગુપ્તા, ભાજપના એમએલસી વિક્રમ રંધાવા સહીતના મોટા નેતાઓએ પણ રોહિંગ્યા મુસ્લિમોની ટેરર લિંકની વાત કરી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જ્યારે સ્પીકર કવિન્દ્ર ગુપ્તાએ રોહિંગ્યા મુસ્લિમોની ટેરર લિંકની વાત કરવામાં આવી, તો ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય અકબર લોનને પેટમાં દુખાવો ઉપડયો. ભાજપના ધારાસભ્યો પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો પોકારી રહ્યા હતા અને ફારુક અબ્દુલ્લાની પાર્ટીનો ધારાસભ્ય અકબર લોન પાકિસ્તાન જિંદાબાદનો જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બકવાસ કરી રહ્યો હતો. કદાચ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પહેલીવાર કોઈ ધારાસભ્યે આટલી બેશરમીથી પાકિસ્તાન જિંદાબાદના સૂત્રો પોકાર્યા હશે. આ ઘટના પહેલી વખત બની છે અને દુખની વાત એટલા માટે છે કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએની નરેન્દ્ર મોદીની 30 વર્ષ બાદ સત્તામાં આવેલી મજબૂત સરકાર છે. તો જમ્મુ-કાશ્મીરમાં પ્રશાસનિક ગઠબંધન દ્વારા મહબૂબા મુફ્તિની પીડીપી સાથે પણ ભાજપની જોડાણ સરકાર છે. છતાં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન જિંદાબાદના સૂત્રો પોકારવાની કોઈ નાલાયકી થાય અને કોઈ એક્શન લેવાય નહીં. તો પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે. પ્રશ્ન એ છે કે ભારતની ભાવનાને ખંડિત કરીને અમલમાં આવેલા પાકિસ્તાન બાદ શું ભારતના બંધારણમાં ક્યાંય પાકિસ્તાન જિંદાબાદ કહેવાની બંધારણના ઘડવૈયાએ કોઈ જોગવાઈ રાખી છે? શું વિધાનસભામાં પાકિસ્તાન જિંદાબાદ પોકારનારા ધારાસભ્ય સામે દેશદ્રોહની કાર્યવાહી કરવાનું કલેજું દેખાડવામાં આવશે?
 
ભારતની બંધારણીય ભાવના પ્રમાણે પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર પોકારવા એ દેશદ્રોહ જ છે. પરંતુ ફારુક અબ્દુલ્લાની પાર્ટીના ધારાસભ્ય અકબર લોનને આનો કોઈ વસવસો નથી અને તેણે તો પહેલા તે મુસ્લિમ અને બાદમાં કાશ્મીરી કે અન્ય કંઈપણ હોવાની વાત કહી છે. બસ આ જ તો વિચાર હતો કે જેને 1906માં બનેલી મુસ્લિમ લીગે 1940માં પાકિસ્તાનના નામે અલગ હોમલેન્ડની માગણી સાથે આગળ વધાર્યો હતો. ફારુક અબ્દુલ્લા પહેલા જ ભારતના ગેરકાયદેસર રીતે પાકિસ્તાન દ્વારા પચાવી પાડવામાં આવેલા કાશ્મીરના ભાગને પાડોશી દેશનો ગણાવી ચુક્યા છે. પરંતુ અકબર લોનની શર્મનાક હરકત પર તેઓ આને નેશનલ કોન્ફરન્સનો અભિપ્રાય નહીં હોવાનું કહીને પોતાને ભારતથી કોઈ દૂર કરી શકશે નહીં તેવી બે મોંઢાની વાતો કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે ફારુક અબ્દુલ્લાના દિલમાંથી પણ તેમના પિતા શેખ અબ્દુલ્લાની જેમ ભારત હવે ઘણું દૂર થઈ ચુક્યું છે. જો ભારત ફારુક અબ્દુલ્લાના દિલમાં હોય અરે એમના દિલની નજીક પણ હોય તો અકબર લોનને પાકિસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચારના 24 કલાકમાં નેશનલ કોન્ફરન્સમાંથી હાંકી કાઢવામાં કેમ આવ્યો નહીં?

ખેર, જમ્મુ-કાશ્મીરમાં આ કોઈ પહેલો મામલો નથી. જમ્મુ-કાશ્મીરના એક નાયબ મુફ્તિએ પણ પચાસ વર્ષ પહેલા ભારતને ખંડિત કરનારા મહમ્મદઅલી ઝીણાની ભાષા ફરીથી બોલવાની કોશિશ કરી છે. આ પાકિસ્તાનવાદી ઝીણામુખી મુફ્તિની વાતને અકબર લોને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં દહોરાવાની કોશિશ કરી છે. વાત અહીંથી અટકતી નથી. ભાજપની સાથે જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન કરનારી પીડીપી અને તેના પ્રમુખ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ પણ કંઈ કમ નથી. લગભગ સાડા નવ હજારથી વધારે પથ્થરબાજો સામેના કેસ રદ્દ કરનારી મુફ્તિ સરકારે શોપિયાંની ઘટનામાં ભારતીય સેનાના એક મેજર સહીત દશ સૈન્યકર્મીઓ સામે એફઆઈઆર કરી છે. આ એફઆઈઆરનું કારણ પણ ચોંકાવનારું છે. સેનાનો કાફલો શોપિયાંથી પોતાની કાર્યવાહી બાદ પાછો ફરી રહ્યો હતો, ત્યારે અઢીસો-ત્રણસો પથ્થરબાજો દ્વારા સૈન્ય કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સેનાએ સંયમ સાથે કામ લેવાની કોશિશ કરતા પથ્થરબાજો બેફામ બન્યા અને સેનાએ ફાયરિંગ કર્યું જેમાં ત્રણ પથ્થરબાજોના મોત નીપજ્યા હતા. આ પથ્થરબાજો છેલ્લા ઘણાં સમયગાળાથી જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગની સુરક્ષાદળોની કાર્યવાહીમાં અડચણ પેદા કરવા પથ્થરમારો કરે છે. આવી જ એક ઘટનામાં સેનાએ એક પથ્થરબાજને સેનાના વાહન સાથે બાંધીને પથ્થરબાજોની ભીડમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. આ બંને ઘટનામાં પથ્થરબાજોને છોડી મૂકવાની જમ્મુ-કાશ્મીરની પીડીપી-ભાજપની ગઠબંધન સરકારમાં સેનાના જવાનો સામે એફઆઈઆર દાખલ કરવાના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ આદેશ આપ્યા હતા. જો કે શોપિયાં કાંડમાં સેનાના જવાનો સામેની એફઆઈઆર પર ભારતની સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી છે. પરંતુ તેમા પણ મેજર આદિત્યના લેફ્ટિનન્ટ કર્નલ પિતાને સુપ્રીમ કોર્ટ સામે અરજ કરવાની ફરજ પડી છે. 

શોપિયાં ખાતે પથ્થરબાજો સામે સ્વરક્ષણમાં ફાયરિંગ કરવા બદલ સેનાના જવાનો સામે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા એફઆઈઆર ઘણાં સવાલો પેદા કરે છે. શું પથ્થરબાજોને માફ કરનારી જમ્મુ-કાશ્મીર સરકારને ભારત સરકારના મિશન પર રહેલી સેનાની કાર્યવાહીમાં અડચણ ઉભી કરનારાઓ સામે સ્વરક્ષણમાં કાર્યવાહી બદલ એફઆઈઆર કરવાનો કોઈ નૈતિક અધિકાર છે? આતંકગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટ એટલે કે અફસ્પા અમલી છે. આવા સંજોગોમાં સેના દ્વારા સ્વરક્ષણ અને દેશની સંપત્તિના રક્ષણમાં કરાયેલી કાર્યવાહી બદલ એફઆઈઆર કરવી શક્ય છે અને જો હા તો પછી અફસ્પાનો કોઈ અર્થ રહે છે ખરો? શું જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા એફઆઈઆર કરાયા બાદ ભાજપના સુબ્રમણ્યમ સ્વામીના કહેવા મુજબ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કોઈ સંમતિ આપી છે? શું જમ્મુ-કાશ્મીર સરકારની આવી હરકત સેના અને સુરક્ષાદળોના મનોબળ પર વિપરીત અસર પેદા કરનારી સાબિત નહીં થાય?
 
હવે વાત પાકિસ્તાનની કરીએ. પાકિસ્તાનમાં 2018માં નેશનલ એસેમ્બલીની ચૂંટણી યોજાવાની છે. પાકિસ્તાનમાં સેના અને આઈએસઆઈ જેવા ડીપ સ્ટેટના તંત્રને અનુકૂળ પક્ષની સરકાર ઈસ્લામાબાદમાં સત્તામાં આવવાની નિશ્ચિત છે. આના માટે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને આતંકવાદી જૂથો દ્વારા પોતાની પ્રાસંગિકતા યથાવત રાખવાની કોશિશમાં ભારતનો એક ડર ઉભો કરવાની વ્યવસ્થિત કોશિશો થઈ રહી છે. જેથી પાકિસ્તાનની સેના સમર્થિત પક્ષને પાકિસ્તાનની આવામ સ્વાભાવિક રીતે ચૂંટે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈનો બીજો ઉદેશ્ય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને જીવતો રાખીને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉછાળવાનો છે. ભારતીય સેનાની 2017ની કાર્યવાહીમાં જમ્મુ-કાશ્મીર ખાતે 210થી વધુ આતંકીઓ ઠાર થયા છે. ભારતીય જવાનો પણ ચિંતા ઉપજાવે તેટલી સંખ્યામાં વીરગતિને પામ્યા છે. 2018ની શરૂઆતમાં જ પાકિસ્તાને લગભગ બસ્સો વખત શસ્ત્રવિરામ ભંગ કર્યા છે. 2017માં આઠસોથી વધુ વખત શસ્ત્રવિરામ ભંગ કરીને પાકિસ્તાને હવે 2003ના કથિત યુદ્ધવિરામનું ખૂન કર્યું છે. એટલે હવે ભારત પાકિસ્તાન તરફથી પહેલી ગોળી ચાલે તેની રાહ શેના માટે જોવે અને આવો તર્ક કરનારની વાત હવે ગળે ઉતરતી નથી. 

પાકિસ્તાનના શસ્ત્રવિરામ ભંગ પાછળ બે મુખ્ય ઉદેશ્યો છે. ભારતીય સેનાના ઓપરેશન ઓલઆઉટમાં સમાપ્ત થયેલી આતંકવાદીઓની કેડરને ફરીથી જીવિત કરીને કાશ્મીરમાં આતંકવાદને જીવતો રાખવો. એલઓસી પર સેનાના જાપ્તાને પરિણામે આતંકી ઘૂસણખોરી માટે જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરીને તણાવ પેદા કરીને દબાણ ઉભું કરાયું છે. જેમાં તેના બે ઉદેશ્ય છે. એક ભારતીય સેના અને બીએસએફનું ધ્યાન આંતરરાષ્ટ્રીય સરહદે કેન્દ્રીત કરીને એલઓસીનો જાપ્તો ઢીલો કરવાનું છે. જેનો ફાયદો ઉનાળામાં આતંકી ઘૂસણખોરી માટે પાકિસ્તાની સેના ઉઠાવી શકે. તો બીજો ઉદેશ્ય જમ્મુના સરહદી વિસ્તારોમાં હિંદુઓમાં ભય પેદા કરીને તેમને સ્થળાંતર કરવા માટે મજબૂર કરવાનો છે. જેથી કાશ્મીરની જેમ જમ્મુની સ્થિતિને પણ વસ્તી અસંતુલન કરીને બગાડવામાં આઈએસઆઈ અને આતંકવાદીઓ કામિયાબ બને તેવો તેનો બદઈરાદો છે.

આવા સંજોગોમાં ભારત પાસે હવે પાકિસ્તાન તરફથી ગોળીબાર થાય તેની રાહ જોવાનો વિકલ્પ બાકી બચતો નથી. પાકિસ્તાન દ્વારા છોડાયેલી ગોળીની રાહ જોઈને ભારતની રણનીતિ તેને વ્યૂહાત્મક ફાયદો આપી રહી છે. પાકિસ્તાન ફાયરિંગ માટે પોતાનું સ્થાન પસંદ કરે છે અને પોતાની કાર્યવાહી કરે છે. ત્યાર બાદ ભારત પ્રતિક્રિયાત્મક કાર્યવાહીની તૈયારી કરે છે. હવે ભારતે રિએક્શનના સ્થાને પ્રોએક્શન માટે તૈયાર થવું પડશે. ભારતના રણનીતિકારો દ્વારા હવે પાકિસ્તાનના ડીપ સ્ટેટ સેના અને આઈએસઆઈને વધુમાં વધુ નુકસાન કરવાની શરૂઆત કરવી પડશે. તેના માટે આર્ટિલરી ફાયરિંગથી માંડીને મિસાઈલના ઉપયોગ સુધીના વ્યાપક વિકલ્પો ભારતીય સેના અને સુરક્ષાદળો પાસે ઉપલબ્ધ છે. ભારતીય સેના ટ્રાન્સ બોર્ડર એક્શન પણ કરી શકે છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક પર દબાણ યથાવત રાખીને કાર્યવાહી ચાલુ રાખવી પણ બેહદ જરૂરી બનવાની છે. પથ્થરબાજોને પથ્થરનો જવાબ ગોળીથી આપવાની પણ છૂટ આપવી પડશે. આ સિવાય પાકિસ્તાની આતંકી આકાઓને સરહદ પાર જઈને કોઈ એજન્સીઓ અને ગુપ્તચર એજન્ટો દ્વારા મારવાનો પણ એક મોટો વિકલ્પ છે.

જમ્મુ-કાશ્મીરમાં પીડીપીના મહબૂબા મુફ્તિ આમા ભાજપને સાથ આપે નહીં તો રાજકીય છૂટાછેડા લઈને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું દેશહિતમાં મોટી કાર્યવાહી બની રહેશે. તેની સાથે આતંકવાદ નહીં છોડવાની સ્થિતિમાં પાકિસ્તાન સાથે વાટાઘાટોના મેજ પર આવવું એક રીતે થુંકેલું ચાટવા જેવી સ્થિતિ હશે અને આવી સ્થિતિ દેશનું મનોબળ તોડનારી હશે. તેથી આવી સ્થિતિથી પણ બચવું જરૂરી બનશે. આના માટે ભારતના વિપક્ષોના રાજકીય દબાણ કે આંતરરાષ્ટ્રીય દબાણ કે પાકિસ્તાની સેનાના ઉમ્બાડિયાથી ગભરાયા વગર નિર્ણય કરવાની રાજકીય ઈચ્છાશક્તિ પણ પ્રવર્તમાન સરકારે દેખાડવી પડશે. કાશ્મીરમાં શાંતિની સ્થાપના અમનની મનમાં ને મનમાં આશાઓ કરીને ભારતના અખબારોમાં પ્રકાશિત કરવાથી થવાની નથી. તેના માટે જમ્મુ-કાશ્મીર અને જરૂર પડે તો પાકિસ્તાનના ડીપ સ્ટેટ સામે લશ્કરી કાર્યવાહી અને વ્યૂહાત્મક દબાણ પેદા કરવા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા હિતો માટે જરૂરી છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જોતી હશે, તો હવે યુદ્ધ એ જ કલ્યાણ છે.

સોમવાર, 25 ડિસેમ્બર, 2017

ગુજરાતમાં પુન: વિજયી ભવ:



-   પ્રસન્ન શાસ્ત્રી
હિંદુ હિત કી બાત કરેગા વોહી દેશ પર રાજ કરેગા.. રામજન્મભૂમિ આંદોલન વખતથી સેક્યુલારિઝમના નામે લઘુમતી તુષ્ટિકરણના માર્ગે ચાલી નીકળેલી કોંગ્રેસ સહીતની પાર્ટીઓને સમજાવવા માટે પોકારવામાં આતું હતું. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં કોંગ્રેસને આની સમજ પડવા લાગી હોવાનું દેખાયું છે. તો સતત છઠ્ઠી વખત વિજયી બનવામાં સફળ થયેલી ભારતીય જનતા પાર્ટીને માત્ર 99 બેઠકોથી સંતોષ માનવો પડયો છે. ગત છ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ખાતે ભાજપનું સૌથી નબળું પરિણામ 2017ની ચૂંટણીમાં રહ્યું હોવાની બાબત પણ એક હકીકત છે. આની પણ સમીક્ષા કરવાને ઘણો અવકાશ રહ્યો છે. સુપેરે એક વાત ધ્યાનમાં આવે છે, તે એ છે કે હિંદુત્વના એજન્ડામાં ઢીલા પડવાનું વિરોધીઓને મહેસૂસ થશે, તો તેઓ જ્ઞાતિવાદને ઉભારવામાં સફળ થવા લાગશે. જ્ઞાતિવાદના માથું ઉંચકવાની સાથે ભારતની રાજનીતિમાં મુસ્લિમ તુષ્ટિકરણની રણનીતિ ફરીથી પુનર્જિવિત થવા લાગશે. કુલ મળીને ગુજરાતની ચૂંટણીનો સંદેશ છે કે ભારતના કોઈપણ રાજકીય પક્ષ માટે હિંદુઓની લાગણી અને માગણીની અવગણના કરવી ભારે પડવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રાજ્યના મતદાતાઓની સમજને પણ ખૂબ સારી રીતે ઉપસાવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પ્રચાર અભિયાનની કમાન રાહુલ ગાંધીએ સંભાળી હતી અને તેમણે પાર્ટીના પ્રચાર અભિયાનની શરૂઆત દ્વારકા ખાતે જગતમંદિરમાં દર્શન કરીને કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ ગુજરાતના લગભગ 30 જેટલા મંદિરોમાં દર્શન અને પૂજા-અર્ચના કરી છે. કદાચ તેનું જ પરિણામ છે કે કોંગ્રેસ અને ગઠબંધનને ગુજરાતમાં ગત સાત વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત 80 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ છે. ભૂતકાળમાં 2002ના ગોધરાકાંડને ટાંક્યા વગર હુલ્લડોની વાત કરવી, સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો મામલો હોય કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મોતના સોદાગરવાળી ટીપ્પણી હોય કે દિગ્વિજયસિંહ દ્વારા 2007માં બોલાયેલી હિંદુ આતંકવાદની વાત હોય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ બાબતો પર બોલવાનું ટાળ્યું છે. માત્ર તેમણે જ નહીં કોંગ્રેસ લગભગ તમામ મોટા નેતાઓએ આવી કોઈપણ બાબત ઉચ્ચારવાનું મુનાસિબ માન્યું નથી. 

મોટાભાગે સેક્યુલારિઝમ એટલે લઘુમતી તેમાય ખાસ કરીને મુસ્લિમોની તરફદારી કરવી તેમની આળપંપાળ કરવી તેવો અર્થ કોંગ્રેસના નેતાઓ અત્યાર સુધી સમજાવતા આવ્યા હતા. પરંતુ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત કોંગ્રેસે લગભગ ચાર દાયકા બાદ જમણેરી ઝોક ધારણ કરીને પોતાની રણનીતિમાં આગળ વધવાનું યોગ્ય માન્યું છે. કદાચ 2014 અને ત્યાર પછીની ચૂંટણીઓમાં એક પછી એક લપડાકો ખાધા પછી કોંગ્રેસને પણ હિંદુઓની અવગણના કરીને સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણ કરીને દિલ્હીની ગાદી પર આવી નહીં શકાય તેવું 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અવશ્યપણે સમજાયું છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે શિવભક્ત હોવાનો ખુલાસો કર્યો હતો. તેઓ ચૂંટણી પ્રચાર વખતે અને ચૂંટણી પરિણામો બાદ સોમનાથ ખાતે ભગવાન શિવના ભાવપૂર્ણ દર્શન કરવા માટે જતા જોયા. જો કે પહેલી વખત દર્શન કરવા માટે ગયા ત્યારે રાહુલ ગાંધીનું નામ બિનહિંદુઓના રજિસ્ટરમાં નોંધવા બાબતે વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં કોંગ્રેસના પ્રવક્તા તરફથી રાહુલ ગાંધી હિંદુ હોવાનું અને તેનાથી આગળ વધીને રાહુલ ગાંધી જનોઈધારી હિંદુ હોવાની વાત જણાવવી પડી હતી. આનું એકમાત્ર કારણ રાહુલ ગાંધીના ધર્મ પરના વિવાદથી ગુજરાતની ચૂંટણીમાં મતદાન પહેલા વોટરો તરફથી ફટકો પડવાની ભીતિ હતી. તો કોંગ્રેસના ચાણક્ય ગણાતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચુકેલા અહમદ પટેલ રાહુલ ગાંધી સાથે પ્રચાર અભિયાનમાં ખાસ જોવા મળ્યા નહીં. અહમદ પટેલનું સ્થાન અશોક ગેહલોતને મળ્યું હતું. કોંગ્રેસમાં આવેલું આ પરિવર્તન પણ ઘણું મોટું અને સૂચક છે. જો કે આવા પરિવર્તનના માર્ગે કોંગ્રેસ કેટલી આગળ વધશે તેમા અવશ્ય આશંકાઓ રહેલી છે. પરંતુ રાહુલ ગાંધીની ભગવાન શિવમાં દર્શાવેલી શ્રદ્ધાનું સમ્માન કરવું જોઈએ. તેની સાથે રાહુલ ગાંધીએ પણ યાદ રાખવું જોઈએ કે ભગવાન શિવ અને ભગવાન રામને એકબીજાથી અલગ કરી શકાય તેમ નથી. રામાયણના કથાનકો પ્રમાણે શિવ રામ જપતા અને રામ શિવનામ જપતા હોવાનું કોઈનાથી અજાણ્યું નથી. ત્યારે અયોધ્યામાં શિવની પણ જેમના તરફ શ્રદ્ધા રહી છે.. તેવા ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર અયોઘ્યાપતિ રાજારામનું ભવ્ય મંદિર નિર્માણ થવા બાબતે પણ રાહુલ ગાંધીએ પોતાના વલણ અને પિતા રાજીવ ગાંધીની જેમ વિવાદીત સ્થાનના તાળા ખોલવા જેવા કોઈ સાહસ માટે તૈયાર થવું જોઈએ... કારણ કે શિવભક્ત ક્યારેય રામદ્રોહી બની શકે નહીં.. 

કોંગ્રેસના પ્રચાર અભિયાનની મુખ્ય ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચનારી છે. 1952થી યોજાતી ભારતની કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસના શીર્ષસ્થ નેતા દ્વારા હિંદુ તરીકે લોકોની વચ્ચે પ્રસ્થાપિત થઈને પ્રચાર કરવામાં આવ્યો નથી. પહેલીવાર કોંગ્રેસે હિંદુઓને ધ્યાનમાં રાખીને વોટ માંગ્યા છે. કોંગ્રેસનું મોટાભાગનું વલણ મુસ્લિમ તરફી પાર્ટી તરીકે જોવા મળ્યું છે.. તેવા સંજોગોમાં કોંગ્રેસ માટે દક્ષિણપંથી રાજકીય વળાંક રાજકીય મજબૂરીમાં સામે આવ્યો છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં બીજી વાત સામે આવી છે કે મુસ્લિમ વોટરો અને ઉમેદવારોની કોઈ ચર્ચા જોવા મળી નથી. જો કે ભૂતકાળની મોટાભાગની ચૂંટણીઓમાં આવી ચર્ચાઓ થતી જોવા મળી છે. ભાજપે ફરી એકવાર ગુજરાતમાં કોઈપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. તો કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા, પણ તેની કોઈ ખાસ ચર્ચા ઉભી થવા દીધી નથી. હિંદુ સમાજની જાગૃતિનું પરિણામ છે કે ગુજરાતની ચૂંટણીમાં સત્તાપક્ષ અને વિરોધપક્ષે જીત માટે માત્ર હિંદુઓને ધ્યાનમાં રાખીને પોતાની વ્યૂહરચના આગળ વધારવી પડી છે.

ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 22 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી પાર્ટી સાચા હિંદુત્વવાદ પર ચાલનારી પાર્ટી તરીકે ગુજરાતમાં ખાસી માન્યતા પ્રાપ્ત છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સૌથી મોટા રાજનેતાઓમાંથી એક છે. તેમણે ગુજરાતની અંદર અંદાજે 27 જેટલી રેલી-સભાઓ કરી છે. ભાજપના પ્રચાર અભિયાનમાં ગુજરાતમાં કર્ફ્યૂમુક્ત શાસનની વાત જણાવીને કોંગ્રેસના શાસનકાળમાં કાયદો અને વ્યવસ્થા સામેના પડકારો ડામવામાં નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવી હતી. તો ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અને ફાયરબ્રાન્ડ હિંદુત્વવાદી નેતા યોગી આદિત્યનાથને પણ ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ સાથે પ્રચાર અભિયાનમાં ઉતારવામાં આવ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન વોટર્સ સાથે કમ્યુનિકેટ કરવાના મામલે હાલના સમયે સૌથી વધુ અસરકારક રાજનેતા છે. તેમણે ઉઠાવેલા કેટલાક મુદ્દાઓ પણ ગુજરાતના હિંદુત્વવાદી માનસને આકર્ષી ગયા હતા. રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનતી વખતે મણિશંકર અય્યરે આપેલા ઉદાહરણના આધારે ઔરંગઝેબરાજની વાત મોદીએ કરી હતી. તો મણિશંકર અય્યરે નીચ જેવો અણછાજતો શબ્દ વાપર્યો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનો જવાબ આપતા અય્યરની ઝાટકણી કાઢવાની સાથે મણિશંકરના નિવાસસ્થાને પાકિસ્તાનના ડિપ્લોમેટ સાથે બેઠક યોજાવાની અને અહમદ પટેલને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવાની પાકિસ્તાનની સેનાના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીનો મામલો પણ જોરશોરથી ગુજરાતના લોકો વચ્ચે રજૂ કર્યો હતો. 

તો કપિલ સિબ્બલ રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી રજૂ થઈને દૈનિક સુનાવણીને 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી હોવાનું જણાવતી દલીલનો મામલો પણ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં ઉઠાવ્યો હતો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા રામજન્મભૂમિ પર મંદિર નિર્માણમાં અટકાવવામાં આવતા કાયદાકીય રોડાની વાતનો મામલો પણ ઉઠાવ્યો હતો. સરદાર પટેલ, ડોકલામ વિવાદમાં ચીનની સામે નીડર વલણ, પાકિસ્તાન અને આતંકવાદીઓની સામેની કાર્યવાહીના રાષ્ટ્રવાદને લગતા મુદ્દાઓ પણ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં અસરકારક રીતે ઉઠાવ્યા હતા. નવમી ડિસેમ્બરના પહેલાના પખવાડિયામાં વડાપ્રધાન મોદી દ્વારા પ્રચારમાં ઉઠાવાયેલા મુદ્દાઓએ જ્ઞાતિવાદના ચક્કરમાં ફસાઈ રહેલા ગુજરાતના મતદાતાઓને ભાજપ તરફ વાળવામાં સારી એવી સફળતા મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવિદેશના મંદિરોમાં અવાર-નવાર જતા જ હોય છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે દ્વારકાધીશ, સોમનાથ, અંબાજી, વડનગર સહીતના મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. 

ભારતીય જનતા પાર્ટીએ જીતેલી 99 બેઠકોમાંથી 69 વિધાનસભા બેઠકો કોમવાદી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલી છે. 2002ની ઘટનાઓ બાદ આઈબી રિપોર્ટના આધારે ચૂંટણી પંચે રાજ્યની 182 બેઠકોમાંથી 154 બેઠકોને કોમવાદી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાવી હતી. 55માંથી 44 સંવેદશનશીલ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જેમાં ભાજપે અમદાવાદ જિલ્લાની 21માંથી 15, વડોદરાની દશમાંથી આઠ, રાજકોટની આઠમાંથી છ અને સુરતની 16માંથી 15 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. આ સિવાય કોમવાદી દ્રષ્ટિએ સંવેદનશીલ ખેડાની છમાંથી ત્રણ, આણંદની સાતમાંથી બે, પંચમહાલની પાંચમાંથી ચાર, ભરૂચની પાંચમાંથી ત્રણ, મહેસાણાની સાતમાંથી બે, ગાંધીનગરની પાંચમાંથી બે, સાબરકાંઠાની સાતમાંથી ત્રણ અને ભાવનગરની સાતમાંથી છ એમ કુલ પચ્સીસ બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે.

તો કોંગ્રેસને પણ તેની હિંદુત્વની રણનીતિનો લાભ ચૂંટણીમાં થયો છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રચાર અભિયાનમાં 27થી વધુ મંદિરોમાં દર્શન કર્યા હતા. આવા વિસ્તારોમાં આવેલી 16 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસને ભાજપને હરાવવામાં સફળતા મળી છે. જેમાં ચોટીલા, રાધનપુર, ઊંઝા, પાટણ, ગઢડા, કપડવંજ જેવી બેઠકોનો સમાવેશ થાય છે. 

જો કે 150 પ્લસ બેઠકોનો લક્ષ્યાંક નિર્ધારીત કરનારા ભાજપને મળેલી 99 બેઠકો પણ ગુજરાતના મતદાતાઓનો મિજાજ દર્શાવનારી છે. ગુજરાત વિધાનસભાની 92 બેઠકના મેજિક ફિગર કરતા માત્ર સાત બેઠકો વધુ મેળવનારા ભાજપે 16 બેઠકો તો માત્ર ત્રણ હજાર સુધીના મતોની સરસાઈથી જીતી છે. તેમાય ગોધરામાં 258, ધોળકામાં 327 અને બોટાદમાં 906 મતની સરસાઈએ ભાજપને જીત મળી છે.
2012માં કોંગ્રેસને 38.9 ટકા વોટ મળ્યા હતા. પરંતુ 2017માં કોંગ્રેસના મતમાં 2.5 ટકાના વધારા સાથે 41.4 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપના વોટ શેરમાં 1.2 ટકાનો વધારો થયો છે અને 2012માં 47.9 ટકાની સરખામણીએ 2017માં 49.1 ટકા વોટ મળ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 2012માં નવ ટકા મતોનો તફાવત હતો. જ્યારે 2017માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની મતોની ટકાવારીનો તફાવત માત્ર 7.7 ટકા છે. 

ખરાખરીના રાજકીય જંગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતીને વિજયભાઈ રૂપાણી ફરીથી રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે. ચૂંટણી પહેલા વિજય રૂપાણીએ અયોધ્યામાં રામ, હર હાથને કામની વાત જણાવી હતી. તેમણે પદ્માવતી ફિલ્મમાં ભારતીય નારીના અપમાનના મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને ફિલ્મ પર રોક લગાવવાની પણ જાહેરાત કરી હતી. તો ચૂંટણી જાહેર થયા પહેલા ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારે ગૌહત્યા પર રોક માટેની કડક કાર્યવાહીની જોગવાઈ ધરાવતા ખરડાને પારીત કરાવ્યો હતો. હવે ફરીથી મુખ્યપ્રધાન બન્યા બાદ વિજયભાઈ રૂપાણી રાજ્યમાં ગૌહત્યા પર રોકનો કડકથી અમલ કરાવે, ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કરીને દરેક હાથને કામ આપવાની વ્યવસ્થા કરે. ભારતીય સંસ્કૃતિ અને તેના વાહકોના ગૌરવની જાળવણી માટેના પુરતા પગલા અને વાતાવરણને પ્રોત્સાહન આપે. જ્ઞાતિવાદમાંથી છૂટકારો પામેલા ગુજરાતમાં ફરી એકવાર આવા જાતિવાદી સમીકરણોએ માથું ઉંચક્યું છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી હિંદુત્વના રાષ્ટ્રવાદી મામલાઓ પર અડગતાથી આગળ વધે ગુજરાતની જનતા તેમને સાથ આપશે. ગુજરાતમાં સમરસતાના વાતાવરણ માટે પણ હિંદુત્વ એટલે કે રાષ્ટ્રવાદની પ્રખરતા જરૂરી છે. ગુજરાતના દેખાડેલા રસ્તે ભારતના લોકોએ ચાલવાનું પસંદ કર્યું છે. નવનિર્માણનું આંદોલન, કટોકટી સામેની લડાઈ, રામજન્મભૂમિ આંદોલન, 2014માં ભાજપની જીત જેવી ઘટનાઓ આના સાક્ષી છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોનો પણ એક જ અર્થ છે કે રાષ્ટ્રવાદના મુદ્દાઓ અને હિંદુત્વની સાથે જોડાયેલા મામલાઓને ગૌરવથી પ્રખરતાથી ઉઠાવીને જનલાગણીને સંતુષ્ટ કરવાથી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો માર્ગ પ્રશસ્ત કરી શકાશે. શ્રેષ્ઠ ભારત આપોઆપ વિશ્વગુરુના સ્થાને ફરીથી બિરાજશે. તેવી આશા સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને શુભેચ્છા...

સોમવાર, 20 નવેમ્બર, 2017

2017ની ગુજરાતની ચૂંટણી: ભારતની રાજનીતિના હિંદુકરણના દ્રઢીકરણની પ્રક્રિયા




-          પ્રસન્ન શાસ્ત્રી

ધર્મ એક અફીણ હોવાનું હિંદુઓના અત્યંત ધર્માંવલંબનને ઉતારી પાડીને તેમની લાગણીને ઠેસ પહોંચાડવા માટે કમ્યુનિસ્ટ અને સોશલિસ્ટો દ્વારા બહુપ્રચારીત વાક્ય છે. આ વાક્ય ધર્માંધતાની હદે જનારા દેશદુનિયાના મુસ્લિમો માટે વાપરવામાં આવતું નથી. ભારતની રાજનીતિમાં સેક્યુલારિઝમનો અર્થ છે, હિંદુઓની લાગણીઓનો વિરોધ, અવગણના અને અનાદર.. ભારતની રાજનીતિમાં 60 વર્ષ જેટલો લાંબો સમય સુધી કેન્દ્રની સત્તામાં રહેનારી કોંગ્રેસે દેશમાં આવું જ સેક્યુલારિઝમ ચલાવ્યું છે. કોંગ્રેસનું આવું સેક્યુલારિઝમ ભારતની રાજનીતિમાં એક પરિપાટી બની ચુક્યું છે. આવા સેક્યુલારિઝ્મની રાજરમતના ખેલાડીઓને ગુજરાત સતત બાવીસ વર્ષથી હરાવતું આવ્યું છે. 2017ની ચૂંટણીના પરિણામમાં જીત કોની થશે તે મહત્વનું નથી, પણ આમા ફરીથી હિંદુદ્રોહીઓ નાપાસ થવાના હોવાનું નિશ્ચિત છે. 

રાજનીતિના હિંદુકરણમાં ગુજરાતની ભૂમિકા:

ભારતની આઝાદી વખતે સોમનાથ મંદિર નિર્માણનું કામ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભાઈ પટેલે સંસદમાં કાયદો પસાર કરાવીને કરાવ્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુએ સોમનાથ મંદિર નિર્માણમાં ખાસ રસ દાખવ્યો ન હતો. હવે ભારતની રાજનીતિના હિંદુકરણ માટે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જરૂરી છે. અયોધ્યા જ આઝાદ ભારતમાં રાષ્ટ્રીય રાજનીતિના હિંદુકરણનું પ્રારંભબિંદુ છે અને તેનું પૂર્ણબિંદુ પણ અયોધ્યા જ હશે.
ભારતની રાજનીતિના હિંદુકરણમાં ગુજરાતે એક રાષ્ટ્રીય ભૂમિકા નિભાવી છે. ગુજરાતે 1989-90, 2002, 2014માં ભારતના લોકોને રાષ્ટ્રીય દિશાનો નિર્દેશ કર્યો હતો. ગુજરાત જે દિશામાં ચાલ્યું તે દિશામાં દેશે મજબૂતાઈથી દોડવાનું મુનાસિબ માન્યું છે. 2017ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પણ એક આવો જ પડાવ છે. 18 ડિસેમ્બરે ગુજરાતની જનતાનો જે પણ કોઈ ચુકાદો આવશે, તેના આધારે ભારતના લોકો પોતાના ભવિષ્યને લઈને આગામી નિર્ણય કરવાના છે.

22 વર્ષથી ગુજરાત દેશની હિંદુત્વની રાજનીતિનો ગઢ રહ્યું છે. હિંદુત્વની રાજનીતિના ગઢના કાંગરા ખેરવવા માટે કોંગ્રેસ સતત કોશિશ કરતી રહી છે. પણ 2017માં કોંગ્રેસે હિંદુત્વની રાજનીતિના કાંગરા ખેરવવાના સ્થાને હિંદુત્વની રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં મંદિરે-મંદિરે ફરી રહ્યા છે. પોતાને શિવભક્ત પણ ગણાવી રહ્યા છે. આ બધું થઈ રહ્યું છે, ગુજરાતની ચૂંટણી જીતવા માટેની કવાયતના ભાગરૂપે. તો સામે પક્ષે વિકાસની વાતોની સાથે હિંદુઓની લાગણીઓની ચિંતાઓનો પડઘો પણ ભાજપના ચૂંટણી પ્રચારમાં દેખાઈ રહ્યો છે. એટલે કે કુલ મળીને દેશની રાજનીતિના હિંદુકરણના દ્રઢીકરણની પ્રક્રિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આગળ વધતી દેખાઈ રહી છે.

સાવરકરની હાકલ બનશે હકીકત:

વ્યવહારમાં હિંદુ રાષ્ટ્ર એવા ભારતની ઓળખને વિશ્વની સામે ફરીથી પ્રસ્થાપિત કરવાની એક લડાઈ હવે આખરી તબક્કા તરફ આગળ વધી રહી છે. આ લડાઈનો પહેલો પડાવ 1989-90ની રામરથ યાત્રા હતો, બીજો પડાવ 2002ની ગુજરાત ગૌરવયાત્રા હતી અને ત્રીજો પડાવ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હશે. સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે 1947 પહેલા ભારતની રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણની દૂરંદેશીથી ભરપૂર હાકલ કરી હતી. પરંતુ સમાજવાદ અને સામ્યવાદી વિચારધારાના અફીણના ઘેનમાં ચકચૂર બનેલા તત્કાલિન નેતાઓએ વીર સાવરકરની હાકલની અવગણના કરી હતી.

આઝાદી બાદ પણ સોશયાલિસ્ટ ગણાવવાની લ્હાયમાં કમ્યુનિસ્ટોની વૈચારીક કાંખઘોડીએ ચઢીને દેશની રાજનીતિમાં હિંદુઓને હાંસિયામાં ધકેલવાની સતત કોશિશ થઈ હતી. હિંદુઓની લાગણીઓને રંજાડવી અને માગણીઓને નામંજૂર કરવાનો ધંધો ચૂંટણીની રાજનીતિના કારોબારીઓ દ્વારા સતત થતો રહ્યો છે. ભારતને જાતિવાદી રાજકારણના વમળોમાં નાખનારા રાજનેતાઓએ પાકિસ્તાનના અસ્તિત્વમાં આવ્યા બાદ પણ પાકિસ્તાનવાદી વલણ ધરાવતા મુસ્લિમોને તુષ્ટિકરણની રાજનીતિમાં પ્રાસંગિકતાનો પ્રાણવાયુ પુરો પાડતા રહ્યા છે. સેક્યુલારિઝમના નામે હિંદુદ્રોહની ભારતદ્રોહી રાજનીતિ કરવી આવા રાજકારણીઓ માટે માત્ર ચૂંટણી જીતવાની રણનીતિ હતી.

પહેલો પડાવ:

ભારતમાં હિંદુઓને પોતાની સતત અવગણના અને અખંડ ભારતના તુષ્ટિકરણની રાજનીતિથી થયેલા ટુકડા સતત પીડા આપી રહ્યા હતા. 1989-90માં રામરથ યાત્રા ભારતની રાજનીતિના હિંદુકરણની દિશામાં પહેલો પડાવ હતો અને આ પહેલા પડાવની ચરમસીમા 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી ધ્વંસના સ્વરૂપમાં જોવા મળી હતી. બાબરી ધ્વંસ કોઈ ઈમારતને નષ્ટ થવાનો મામલો ન હતો. બાબરી ધ્વંસનો દિવસ દરેક ભારતીયો માટે સ્વાભિમાન દિવસ છે. બાબરના સેનાપતિ મીર બાંકી દ્વારા રામજન્મભૂમિને રંજાડવાના દુષ્કૃત્ય સામેનો સ્વાભિમાની હિંદુઓનો આક્રોશ હતો કે જેણે બાબરીને ધ્વંસ કરી હતી.

બીજો પડાવ:

ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયા સતત આગળ વધતી રહી અને 2002માં ગોધરાકાંડનો ગુનો કરનારા લોકો સામે ગુજરાતની જનતાએ રાજકારણીઓને નવી રાજકીય દિશાના નિર્દેશ કર્યા અને હિંદુ સ્વાભિમાનના ગૌરવપથ પર ગૌરવયાત્રા કાઢનારાઓને સતત જનસમર્થન આપ્યું  હતું. આ રાજનીતિના હિંદુકરણનો બીજો પડાવ હતો. 2002માં હિંદુઓના ગૌરવરથ પર સવાર થનારાઓને 2014માં દિલ્હીની ગાદીની સોંપણી પણ દેશભરના હિંદુઓએ કરી છે. ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયાના બીજા તબક્કાની આ ચરમસીમા છે.

ત્રીજા પડાવનો પ્રારંભ: ગુજરાતની પ્રેરણાથી કોંગ્રેસ હિંદુત્વના માર્ગે :

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયાના ત્રીજા તબક્કાની શરૂઆત છે. આ ત્રીજા તબક્કાની ચરમસીમા તેના પ્રારંભની તીવ્રતાના આધારે આકાર પામવાની છે. ગુજરાતની 2017ની ચૂંટણી રાજનીતિના હિંદુત્વની દિશામાં સીમાચિન્હરૂપ ઘટના છે. 2005માં અફઘાનિસ્તાનમાં તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ સાથે બાબરની મજાર પર માથું ટેકનારા રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં મંદિરે-મંદિરે દેવીદેવતાઓના દર્શન કરતા નજરે પડે છે. ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓ શિવભક્ત છે અને તેમના મંદિરે જવાથી ભાજપ ડરી રહ્યું છે.

મંદિરે-મંદિરે ફરતા રાહુલ ગાંધી:

ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ લેખ લખવાની તારીખ સુધીમાં ગત લગભગ 60 દિવસમાં ચાર વખત ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. આ ચાર મુલાકાતોમાં રાહુલ ગાંધીએ ગુજરાતના 20 જેટલા મંદિરોમાં માથું ટેકવ્યું છે.

રાહુલ ગાંધીએ 28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પાંચ મંદિરો દ્વારકાધિશ મંદિર, કાગવડમાં ખોડલધામ, વીરપુરમાં જલારામ મંદિર, ચોટિલાનું ચામુંડા મંદિર અને રાજકોટમાં દાસીજીવન મંદિર ખાતે દર્શન કર્યા હતા. પહેલી નવેમ્બરના ચૂંટણી પ્રચારના બીજા તબક્કામાં રાહુલ ગાંધીએ નડિયાદના સંતરામ મંદિર, ખેડાના રણછોડરાય મંદિર, ફાગવેલના ભાથીજી મહારાજના મંદિર, પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે પણ ગયા હતા. ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતની મુલાકાત વખથે રાહુલ ગાંધી નવેમ્બર મહિનામાં નવસારીના ઉનઈ માતાના મંદિર, ગાંધીનગરના અક્ષરધામ મંદિર, બનાસકાંઠાના અંબાજી મંદિર, મહેસાણાના બહુચરાજી મંદિર, વાલીનાથ મંદિર, પાટણના મેઘમાયા મંદિર અને વારનના ખોડિયાર મંદિર પણ ગયા હતા. કોંગ્રેસ કેડરનો દાવો છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં લગભગ તમામ મુખ્ય મંદિરોમાં જઈને દર્શન કર્યા છે અને આમાના ઘણાં એવા મંદિર છે કે જ્યાં નરેન્દ્ર મોદી 2001 બાદ કોઈપણ ચૂંટણી દરમિયાન દર્શન કરવા માટે ગયા નથી. 2012ની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર છ મંદિરમાં જ દર્શનાર્થે ગયા હતા.

2017ની ગુજરાતની ચૂંટણી એવી પહેલી ચૂંટણી છે કે જ્યાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંદિરોમાં જવાની સરખામણી થઈ રહી છે. એટલે કે જે ગુજરાતના હિંદુત્વની પ્રયોગશાળાના નામે ઓળખાવીને ગુજરાતની ચૂંટણીમાં હિંદુ આતંકવાદ અને મોત કા સોદાગર જેવા શબ્દપ્રયોગ કરનારી કોંગ્રેસને હવે નરમ હિંદુત્વના માર્ગે આવવું પડયું છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં પહેલીવાર મુસ્લિમોની ચર્ચા અને મુસ્લિમ નેતાઓની આગેવાની દેખાઈ રહી નથી. જંબુસરની જાહેરસભામાં પણ રાહુલ ગાંધીને મહંત દ્વારા આશિર્વાદ આપવાની ઘટના બની છે. કોંગ્રેસના ચૂંટણી સભાઓમાં જવલ્લે જોવા મળતી ઘટનાઓ 2017ની ગુજરાતની ચૂંટણીના અભિયાનોમાં જોવા મળી છે.
જૌહરની આગમાં દેશની આન-બાન-શાન માટે જીવન ન્યોછાવર કરી દેનારા ચિત્તોડના મહારાણી પદ્માવતી પર બનેલી ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડના મામલે ઉગ્ર આક્રોશનું દેશભરમાં વાતાવરણ છે. દર વખતે અભિવ્યક્તિની આઝાદીના નામે આવા તત્વોને છાવરનારા કોંગ્રેસના નેતાઓ દ્વારા પદ્માવતી ફિલ્મના વિરોધમાં લોકલાગણીની સાથે રહેવાની કોશિશ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે સૌથી ધ્યાન ખેંચનારી બાબત છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય મામલે થયેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓના મંથનમાં કેટલાક તારણો મીડિયામાં એન્ટની રિપોર્ટના નામે ખાસા ચર્ચાસ્પદ રહ્યા હતા. જેમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતીનો અનાદર કરતા અને લઘુમતીઓની આળપંપાળ કરતા સેક્યુલારિઝમ સંદર્ભે પાર્ટીના રાજકીય ભવિષ્યને લઈને કેટલીક ચેતવણીઓ આપવામાં આવી હતી. જેનો અમલ કદાચ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કરતા દેખાઈ રહ્યા છે.

હિંદુઓનું ભવિષ્યમાં પણ સમ્માન કરશે રાહુલ ગાંધી?:

આશા રાખીએ કે જેએનયુમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર કરનારાઓ પાસે જનારા રાહુલ ગાંધીને ભારતના વારસાનું ગૌરવ સમજાય અને તેને જાળવવાની ઈશ્વર તેમને શક્તિ આપે. ગૌહત્યા મામલે ચાલી રહેલા રાજકીય વિવાદમાં કેરળમાં યૂથ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જાહેરમાં વાછરડીનું ગળું રહેસવાની ઘટના જેવી રાક્ષસી વૃત્તિ ધરાવનારાઓથી કોંગ્રેસ મુક્ત બને. (રાહુલ ગાંધી એ જાહેરમાં ગૌકશી કરનારા યૂથ કોંગ્રેસના કાર્યકર્તાને પાર્ટીમાંથી બરતરફ પણ કર્યો છે.) તેવી જ રીતે ઈશાન ભારતના મેઘાલય જેવા રાજ્યો, ગોવા અને કેરળમાં બીફ મામલે ભાજપના કથિતપણે નરમ વલણ પર દેશભરનો હિંદુ ચિંતિત પણ છે.

ભારતના રાષ્ટ્રીયત્વની ઓળખ હિંદુઓથી છે. હિંદુ કોમવાદી શબ્દ નથી, પણ હિંદુ રાષ્ટ્રવાદી ઓળખને ઉજાગર કરતો શબ્દ છે. આવા સંજોગોમાં ભારત વિરોધી તત્વોના ખાત્મા માટે આખો દેશ રાષ્ટ્વાદના મુદ્દે એકજૂટ બને તેવું થવું જરૂરી છે. ગુજરાત હિંદુત્વના રાજકારણને કારણે ખામ થિયરીના જાતિવાદી રાજકારણમાંથી માંડ બહાર આવ્યું છે. જો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મંદિરોમાં દર્શને જઈને ઈશ્વર સામે માથું ટેકવે છે.. તો ઈશ્વર તેમને સદપ્રેરણા આપે અને ખરેખર નિતાંત વિશ્વ કલ્યાણની ભાવના ધરાવતા હિંદુઓની દેશની રાજનીતિમાં અવગણના બંધ કરવા માટે રાહુલ ગાંધીને પ્રેરીત કરે.
રાહુલ ગાંધીના પિતાશ્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ કોર્ટના નિર્દેશ બાદ અયોધ્યા ખાતે રામલલાના દર્શન માટે તત્કાલિન ઢાંચાના દરવાજા ખોલવાની હિંમત દેખાડી હતી. ભારતનો હિંદુ આશા રાખે છે કે શિવભક્ત રાહુલ ગાંધી શિવના ઈષ્ટ ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવી ભગવાન શિવ તેમને પ્રેરણા આપે. સોમનાથ મંદિર નિર્માણમાં પરનાના જવાહરલાલ નહેરુ જેવી નિરાશા રામમંદિર નિર્માણમાં દાખવવાનું રાહુલ ગાંધીએ ટાળીને પિતા રાજીવ ગાંધીને અનુસરવા જોઈએ. ભૂતકાળમાં રાહુલ ગાંધી જ કહી ચુક્યા છે કે ગાંધી-નહેરુ પરિવારના વ્યક્તિ વડાપ્રધાન હોત, તો બાબરી ધ્વંસ થવા દીધો ના હોત.. આશા છે કે ભવિષ્યમાં તેવો આવા નિવેદનો કરવાની રાજકીય ભૂલો નહીં કરે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 દૂર કરીને ભારતની એકતા અને અખંડિતતાને વધુ પ્રગાઢ બનાવવાની મુહિમ હોય કે દેશમાં ખરા અર્થમાં કાયદા સમક્ષ સૌ નાગરિકોને સમાન દરજ્જો મળે તેના માટે સમાન નાગરિક ધારાની વાત હોય કે ગૌહત્યા પ્રતિબંધ જેવી બંધારણમાં દર્શાવવામાં આવેલી ભાવના હોય તેને પુરી કરવા માટે શું રાહુલ ગાંધી દેશના હિંદુઓને સાથ આપશે?

દાદી ઈન્દિરા ગાંધીને પણ યાદ રાખજો:
રાહુલ ગાંધીના દાદી ઈન્દિરા ગાંધીની 100મી જન્મજયંતી તાજેતરમાં ગઈ છે. ઈન્દિરા ગાંધી સામેના એક હજાર વાંધા તેમના દ્વારા 1971માં પાકિસ્તાનને કારમી હાર આપીને બાંગ્લાદેશ બનાવવાને કારણે માફ છે. ખાલિસ્તાનવાદીઓના કબજા હેઠળથી સુવર્ણમંદિરને મુક્ત કરાવવા માટે ઓપરેશન બ્લૂસ્ટાર કરવાનો રાજકીય અને વ્યક્તિગત રીતે આત્મઘાતી ગણાતો નિર્ણય લેવાની હિંમત પણ ઈન્દિરા ગાંધીએ દાખવી હતી. તેના થોડા સમયગાળામાં ઈન્દિરા ગાંધીની કરપીણ હત્યા થઈ હતી. પણ આવી શક્યતાઓની આગોતરી જાણકારીઓ છતાં ઈન્દિરા ગાંધીએ જેવી રીતે રાષ્ટ્રહિતમાં ભાગલાવાદી અને આતંકવાદીઓ સામે પગલા લીધા તેવો આધ્યાત્મિક દોરી સંચાર પણ રાહુલ ગાંધીમાં થાય તેવી આશા સેવીએ..

હિંદુત્વ પ્લસ વિકાસની ફોર્મ્યુલા સ્વીકાર્ય બનશે:
તો સામે પક્ષે છેલ્લા કેટલાક સમયથી માત્ર વિકાસની વાતોનું વાજું વગાડનાર ભાજપને પણ પોતાના પાર્ટીના ખેસમાંથી લીલા રંગનો પટ્ટો કાઢીને આખો ખેસ કેસરી કરવાની જરૂર દેખાઈ છે. ગુજરાતમાં ગૌહત્યા સહીતના મુદ્દાઓ પર સરકાર દ્વારા કડક કાયદાનું એલાન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં પ્રખર હિંદુત્વવાદી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ ઉતારવામાં આવ્યા છે. વિકાસ પ્લસ હિંદુત્વની રણનીતિના આધારે ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે.

બાબરની મજાર પર જનારા મંદિરે જતા થઈ ગયા અને મંદિરે-મંદિરે દર્શને જનારા બહાદૂરશાહ ઝફરની મજાર અને સિદી સૈયદની મસ્જિદની મુલાકાતે પણ જવા લાગ્યા છે. તો મીડિયા અહેવાલોમાં ભાજપ દ્વારા કથિતપણે યુપીના મૌલવીઓને મુસ્લિમ વિસ્તારોમાં પ્રચાર માટે કથિતપણે ઉતારવામાં આવ્યાના દાવા કરાયા છે. આવી બાબતો રાજનીતિના હિંદુકરણની દિશાને વધુ વેગવંતી બનાવવાની જરૂરિયાત હોવાનો ઈશારો પણ કરી રહી છે. રાજનીતિના હિંદુકરણની દિશાને વધુ વેગવંતી બનાવવામાં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીઓ ઘણું મોટું દિશાનિર્દેશન કરનારી સાબિત થવાની છે. 18 ડિસેમ્બરે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ભારતની રાજનીતિના હિંદુકરણની દિશામાં ત્રીજા તબક્કાનું પ્રારંભબિંદુ સાબિત થવાનું છે. આશા રાખવી જોઈએ કે ભાજપ, કોંગ્રેસ અને ભારતીયતાની ઓળખ ધરાવતા તમામ પક્ષો અયોધ્યામાં રામજન્મભૂમિ માટે 2019માં સંસદમાં કાયદો બનાવવા માટે પ્રેરીત થાય તેવો ગુજરાતની જનતાનો ચુકાદો હશે.