Sunday, July 17, 2011

આતંકી હુમલામાં દિગ્વિજયનું હલકટ રાજકારણ


ભારતીય રાજકારણમાં હાલ વોટબેંકની રાજનીતિમાં નીચતાની પરાકાષ્ઠાને પામનારા એક જ નેતા છે, દિગ્વિજય સિંહ. દિગ્વિજય સિંહની રાજનીતિ સ્પષ્ટ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનોને બદનામ કરીને, પાયાવિહોણા આક્ષેપો મૂકીને દેશની સૌથી મોટી લઘુમતી ગણાતા મુસ્લિમોને ખુશ કરીને વોટબેંક અંકે કરવી. મધ્ય પ્રદેશમાં હિંદુત્વના મોજા નીચે ઉમા ભારતીના નેતૃત્વમાં દિગ્વિજય સિંહને 10 વર્ષના શાસન બાદ વનવાસ મળ્યો છે. આ વનવાસને તેઓ પચાવી શક્યા નથી, તેના કારણે તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામથી લવારી ઉપડે છે. આ લવારી પહેલા તો કોઈના ધ્યાનમાં આવતી ન હતી. પરંતુ ધીમે ધીમે કોંગ્રેસ હાઈકમાન્ડ અને સોનિયા ગાંધીની મૂક સંમતિથી દિગ્વિજય સિંહે હિંદુ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ જે નિવેદનબાજી કરી છે, તેનાથી હકીકતે દેશને નુકસાન પહોંચી રહ્યું છે.

તાજેતરમાં મુંબઈમાં થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ દિગ્વિજય સિંહે કહ્યું કે આ બોમ્બ વિસ્ફોટોની તપાસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા હિંદુ સંગઠનોને આવરી લેવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તેમની પાસે આરએસએસની વિરુદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ હોવાના પુરાવા છે. તેઓ પુરાવા એનઆઈએને આપવા માટે તૈયાર છે. જો કે તેમણે કહ્યું કે તાજેતરના મુંબઈ વિસ્ફોટોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંડોવણી હોવાના તેમની પાસે કોઈ પુરાવા નથી.

દિગ્વિજય સિંહ આટલેથી અટકે તો તેમનું નામ બોળાય, તેમણે ઉજ્જૈનમાં એક સભા દરમિયાન કહ્યું કે તેઓ પહેલેથી જ કહેતા રહ્યાં છે કે દેશમાં આરએસએસ આતંક ફેલાવવાના કામમાં સક્રિય છે અને તેમની પાસે બોમ્બ બનાવવાના કારખાના છે. સાથે જ તેમમે ફરી એકવાર એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે મુંબઈમાં થયેલા તાજા આતંકવાદી હુમલાની તપાસમાં હિંદુ સંગઠનોને પણ લાવવામાં આવે. દિગ્વિજય સિંહ મુંબઈ હુમલા બાદ હવે મુંબઈ વિસ્ફોટો પર નીચ રાજકારણ ખેલી રહ્યાં છે. આતંકવાદી ઘટનાઓમાં આરએસએસની સંડોવણી હોવાની વાત કરીને દિગ્વિજય સિંહ એક કાંકરે ઘણાં પંખીડાઓને ભોય ભેગા કરવા માંગે છે. ઉત્તર પ્રદેશમાં 2012માં ચૂંટણીઓ આવી રહી છે. યુપીના 18 ટકા મુસ્લિમ મતો પર દિગ્વિજયની ગીધ દ્રષ્ટિ છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ડર બતાવીને, તેમના પર આક્ષેપ કરીને યુપી વિધાનસભામાં કોંગ્રેસના ભાગે મુસ્લિમ વોટબેંક થકી વધુમાં વધુ બેઠકો કબજે કરવાની દિગ્વિજયની મનસા છે.

આ સિવાય આરએસએસ ભારતીય રાજનીતિમાં કોંગ્રેસની સામેના ધ્રુવનો ઉદગમ સ્ત્રોત છે. ભારતીય રાજનીતિમાં આરએસએસ દ્વારા ઉભા થયેલા રાજકીય પડકારને સમાપ્ત કરવા માટે દિગ્વિજય સિંહ સતત પ્રયત્નશીલ છે. તેના કારણે તેઓ કોઈ નક્કર પુરાવા વગર આરએસએસ પર આક્રમક આક્ષેપો કરીને તેને બદનામ કરવાની કોશિશ કરી રહ્યાં છે. આરએસએસને પોતાના આક્ષેપોથી તેઓ સંરક્ષણાત્મક અવસ્થામાં લાવીને 2014માં પોતાના યુવરાજ રાહુલ ગાંધીનો રસ્તો વિઘ્ન વગરનો કરવા માંગે છે. આ સિવાય ભગવો આતંકવાદ દેશ માટે પડકાર હોવાની વાત કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ ઓન રેકોર્ડ બોલ્યા છે. તેના કારણે તપાસ એજન્સીઓ અને સુરક્ષાદળો પર પરોક્ષ રીતે તે દિશામાં નિશાન ફેરવવાનું દબાણ પણ છે. તેવામાં કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહના કોંગ્રેસ હાઈકમાન્ડની મૂક સંમતિથી બોલાયેલા નિવેદનથી તપાસની દિશા બદલાય કે તેમાં ગુંચવાડો ઉભો થાય તેવી પ્રબળ સંભાવના છે.

વળી 15 ઓગસ્ટથી અણ્ણા હજારેએ લોકપાલ બિલ માટે અનશનની જાહેરાત પણ કરી છે. લોકોના ભ્રષ્ટાચાર અને લોકપાલ મુદ્દે મતને પારખતા દિગ્વિજય સિંહ હાલ જનતાનું ધ્યાન બીજી તરફ દોરવા માગતા હોવાનું સ્પષ્ટપણે લાગે છે. કારણ કે મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં આરએસએસની સંડોવણીની તપાસ કરવા સંદર્ભેનું સ્ફોટક નિવેદન આપીને તેઓ ભ્રષ્ટાચાર અને લોકપાલ મુદ્દે લડવા માટે તૈયાર થયેલી જનતાને વિખેરવા રાજકીય ગરમાવો ઉભો કરવા માંગે છે. દિગ્વિજય, સિંહની નહીં પણ લુચ્ચા શિયાળવાની નીતિ અખત્યાર કરીને દેશમાં સંકુચિત અને સમાજના તાણા-વાણાને નુકસાન કરનારી રાજનીતિ ખેલી રહ્યાં છે.

તેમની આ ટેવ ઘણી જૂની છે. 2007માં દિગ્વિજય સિંહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌથી પહેલા હિંદુ આતંકવાદની તદ્દન પાયાવિહોણી વાતનો લવારો મતદારો સામે કર્યો હતો. દિગ્વિજય આટલેથી અટક્યા નથી. તેમણે દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનો આતંક ફેલાવી રહ્યાં હોવાની વાત અનેક વખત કહી છે. માલેગાંવ, મોડાસા, અજમેર, મક્કા મસ્જિદ, સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ જેવાં કેસોમાં કેટલાંક હિંદુઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ સામે કેસ ચાલી રહ્યાં છે. કોર્ટ તેની સામેના પુરાવા થકી અને દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ થકી હજું કોઈ ચોક્કસ નિષ્કર્ષ તરફ પહોંચી નથી. ત્યારે દિગ્વિજય સિંહ કોર્ટ બહાર ટ્રાયલ ચલાવી રહ્યાં છે અને હિંદુ આતંકવાદનો લવારો કરી રહ્યાં છે. તેમણે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને એક કરતાં વધારે વખત માટે નાઝીવાદી અને હીટલર ગણાવ્યું છે. તેમણે દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ પોલીસ અધિકારી મોહન શર્માનું અપમાન કરવાની હિંમત કરીને ઘણાં સવાલો ઉભા કર્યા છે. જો કે દિલ્હી સરકારે આ એન્કાઉન્ટર અસલી હોવાની વાત કરી છે. જ્યારે બટલા એન્કાઉન્ટરને નકલી ગણાવીને દિગ્વિજય સિંહ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓના શહેર ઉત્તર પ્રદેશના આઝમ ગઢની ઘણી વખત મુલાકાત લીધી છે. તેમણે આજમગઢની મુલાકાતે રાહુલ ગાંધીને પણ તૈયાર કરીને મોકલ્યા હતા.

આ સિવાય હદ તો ત્યારે થાય છે કે જ્યારે 26/11ના મુંબઈ હુમલામાં માર્યા ગયેલા તત્કાલિન એટીએસ ચીફ હેમંત કરકરેના મૃત્યુ સંદર્ભે વિવાદ ઉભો કરીને દિગ્વિજય ખાસા સમાચારમાં રહ્યાં હતા. તેમણે દાવો કર્યો હતો કે હેમંત કરકરેએ મુંબઈ હુમલાના દિવસે તેમને ફોન પર જણાવ્યું હતું કે પોતાના જીવને હિંદુવાદી સંગઠનોથી જોખમ છે. દિગ્વિજય સિંહે માલેગાંવ વિસ્ફોટોમાં સાધ્વી પ્રજ્ઞા સિંહની અને અન્ય હિંદુઓની ધરપકડ કરવા બદલ હેમંત કરકરેને મુસ્લિમો માટે ખુદા સમાન ગણાવ્યા હતા.

આટલી હલકટ અને ગંદી રાજનીતિ રમનારા દિગ્વિજય સિંહે વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને તેના મૃત્યુ વખતે સંબોધનમાં ઓસામાજી કહીને બોલાવ્યો હતો. જ્યારે ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરીને વિદેશમાં રહેલા અઢળક કાળા ધનને દેશમાં પાછું લાવવાની મુહિમ ચલાવનારા હિંદુ સન્યાસી બાબા રામદેવને મહાઠગ ગણાવ્યા હતા. ત્યારે સવાલ એ છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પાસે બોમ્બ બનાવવાની ફેકટરીઓ હોવાની વાતના આધાર માટે દિગ્વિજય સિંહ દેશહિતમાં શા માટે પુરાવા રજૂ કરતાં નથી? એનઆઈએ દિગ્વિજય સિંહ પાસે આરએસએસ વિરુદ્ધના પુરાવા શા માટે માગતું નથી? બીજું દેશની દરેક વિપત્તિ વખતે દેશવાસીઓ સાથે સેવાના કાર્યોમાં ખભેખભો મિલાવીને કામ કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે અલગ વિચારધારા માત્રથી ધૃણા શા માટે કરવામાં આવે છે? આ દેશના સૌથી સેક્યુલર વડાપ્રધાન ગણાયેલા જવાહરલાલ નેહરુએ 1962ના ચીન સામેના યુદ્ધમાં આરએસએસે કરેલી દેશસેવા બદલ 26 જાન્યુઆરી, 1963ના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીની પરેડમાં સંઘને આમંત્રણ આપ્યું હતું. ત્યારે દિગ્વિજય સિંહે જવાબ આપવો જોઈએ કે સૌથી સેક્યુલર ગણાતા જવાહરલાલ નેહરુને દેશભક્ત લાગેલું આરએસએસ તેમને કેવી રીતે આતંકવાદી લાગે છે?

No comments:

Post a Comment