લેબલ આરએસએસ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ આરએસએસ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 જુલાઈ, 2014

રાજકીય એજન્ડા માટે ગડકરી નહીં, તો સંઘ માટે અમિત શાહ હી સહી

આનંદ શુક્લ

સંઘ પરિવારમાં  કોંગ્રેસના પોલિટિકલ મોડલને ખતમ કરીને ભાજપને માધ્યમ બનાવીને પોતાના આદર્શો પ્રમાણેની રાજનીતિ ઉભી કરવા માટેની મહત્વકાંક્ષા છે. જેના માટે રાજકીય ઈમાનદારી અને વફાદારી ઉભી કરવા અને કોઈને પણ રાજકીય નફો નહીં આપવાના નવા મોડલ સાથે ખામોશીથી કામ થઈ રહ્યું છે. જો કે તેના માટે પણ સંઘ પરિવારને માધ્યમ તરીકે ચોક્કસ વ્યક્તિઓની જરૂર હોય છે. સંઘ જે પ્રયોગને નીતિન ગડકરી દ્વાર અંજામ સુધી પહોંચાડવા માંગતો હતો.. હવે તેને અમિત શાહ સંઘની મહત્વકાંક્ષાઓની ક્ષિતિજ પર મોદીના માર્ગદર્શનમાં પહોંચાડશે.

ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ ગડકરી દિલ્હીના ન હતા. તેમને નાગપુરથી ભાજપને કેમોથેરપી આપવા મોકલાયા હતા. તેવી રીતે અમિત શાહ પણ દિલ્હીના નથી અને ભાજપના સમગ્ર દેશમાં કાયાકલ્પ માટેના મિશન સાથે અધ્યક્ષ બન્યા છે. ગડકરી કોઓપરેટિવથી કોર્પોરેટ સુધીને સમજનારા વેપારી પણ છે. અમિત શાહે પણ કેશુભાઈના શાસનકાળમાં નાણાંકીય કોર્પોરેશન દ્વારા રાજકારણને સાધ્યું. તેમના આ હુન્નરનો મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ખૂબ મોટો પ્રમાણમાં ઉપયોગ કર્યો. સંઘે પણ આ વાસ્તવિકતાને ઝીણવટથી પારખી છે.

મોદીની ભાજપના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી જીતથી સંઘના મહત્વકાંક્ષી એજન્ડાઓને હાલ તો ઓક્સિજન મળ્યો છે. બાકી પહેલા દિલ્હીની રાજનીતિથીના કાદવમાંથી ભાજપને બહાર કાઢવા માટે સંઘે મોદીને હથિયાર જ બનાવ્યા હતા. પરંતુ જ્યારે મોદીને પ્રચંડ જનાદેશ મળ્યો.. તો સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે દિલ્હીની સત્તા મળી શકે .. તો દરેક રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર કેમ બનાવી શકે નહીં?

પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રભાવ વધારવાનો વિચાર સંઘની અંદર હવે જાગી ચુક્યો છે. સંઘનું માનવું છે કે કલમ-370 અને કાશ્મીરી પંડિતોના પુનર્વાસનો મુદ્દો સામાજિક રીતે ઉઠાવતા પહેલા રાજકીય સ્તરે ઉઠાવવો જરૂરી છે. તેવી જ રીતે કમ્યુનિસ્ટ વિચારધારાના ખાત્મા બાદ મમતા બેનર્જીના રાજકારણને મુસ્લિમ તુષ્ટિકરણ સાથે જોડવાની જરૂર છે. તેના દ્વારા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજકીય પ્રભાવને ઘટાડી પણ શકાય છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરની છ લોકસભા બેઠકમાંથી ત્રણ પર ભાજપને જીત મળી છે અને પશ્ચિમ બંગાળમાં સારા પ્રમાણમાં મત પણ મળ્યા છે.

કેન્દ્રની સત્તા ભાજપને મળે તેના માટે સંઘ પરિવાર ખૂબ જ અધીરો બન્યો હતો. સંઘે મનમોહન સરકારના કાર્યકાળમાં પોતાના અસ્તિત્વ સામે મોટું જોખમ આવતું દેખાયું હતું. જ્યારે સરસંઘચાલકથી લઈને ઈન્દ્રેશ કુમાર સહીત ડઝનબંધ શીર્ષસ્થ પદાધિકારીઓની આસપાસ આતંકના નામે ઉભી થયેલી આરોપોની જાળ ગુંથાઈ હતી. તેથી લોઢું લોઢાને કાપેના અંદાજથી મોદી અને તેમની સાથે અમિત શાહને ભાજપમાં શીર્ષસ્થ સ્તરે આગળ વધારવા માટે સંઘની મદદથી ખુલ્લુ મેદાન આપવામાં આવ્યું. કંઈક આ જ અંદાજમાં સંઘ હવે રાજકીય શુદ્ધિકરણનું મિશન આગળ વધારી રહ્યો છે. તેની એક બાજી પર મોદી સર્વેસર્વા છે... તો બીજી તરફ મોદીના વજીર અમિત શાહ સુપ્રીમો છે. 


શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2012

સરળ જીવનનું સુંદર દર્શન એટલે કુપ. સી. સુદર્શનજી


-          આનંદ શુક્લ
ઋષિતુલ્ય સરળ અને સાદું જીવન, સ્પષ્ટ વક્તા, હિંદુ પરંપરાઓમાં અગાધ શ્રદ્ધારૂપી જીવન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાંચમા સરસંઘચાલક શ્રદ્ધેય કુપહલ્લી સીતારામૈયા સુદર્શન (કે. એસ. સુદર્શન). સુદર્શનજીનો જન્મ 18 જૂન, 1931ના રોજ તત્કાલિન મધ્ય પ્રદેશ (હાલ છત્તીસગઢ)ના રાયપુર જિલ્લામાં એક દક્ષિણ ભારતીય બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. સુદર્શનજી મૂળ તમિલનાડુ અને કર્ણાટકની સીમા પર વસેલા કુપ્પહલ્લી (મૈસૂર) ગામના નિવાસી હતા. કન્નડ પરંપરામાં સૌથી પહેલા ગામ, પછી પિતાનું નામ અને છેલ્લે વ્યક્તિનું નામ બોલાય છે. તેમના પિતા સીતારામૈયા વનવિભાગમાં નોકરીના કારણે મોટાભાગનો સમય મધ્ય પ્રદેશમાં જ રહ્યા. ત્રણ ભાઈઓ અને એક બહેન વાળા પરિવારમાં સુદર્શનજી સૌથી મોટા હતા. રાયપુર, દમોહ, મંડલા અને ચંદ્રપુરમાં પ્રારંભિક શિક્ષણ મેળવીને તેમણે જબલપુર સાગર યુનિવર્સિટીમાંથી 1954માં ટેલિકોમ્યુનિકેશન વિષયમાં સ્નાતકની પદવી મેળવી. પરંતુ હિંદુત્વના વિચારવાળા પ્રખર રાષ્ટ્રવાદથી પ્રેરીત થઈને તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે 1954થી કામ કરવાનું નક્કી કર્યું. આમ તો સુદર્શન 9 વર્ષની વયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા. 1964માં તેમને મધ્ય ભારત પ્રાંતના પ્રાંત પ્રચારક બનાવવામાં આવ્યા. સુદર્શનજી એવા પહેલા સરસંઘચાલક છે કે જેઓ અખિલ ભારતીય સ્તરે આરએસએસના શારીરિક પ્રમુખ અને બૌદ્ધિક પ્રમુખ બંને રહ્યા હોય.
તેમને 1969માં સંઘના અખિલ ભારતીય શારીરિક પ્રમુખ બનાવાયા હતા. 19 માસ સુધી કટોકટી વખતે મિસા હેઠળ જેલવાસ ભોગવીને તેઓ 1977માં પૂર્વાંચલ ક્ષેત્રના પ્રચારક બન્યા. 1979માં અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ અને 1990માં તેઓ સહ સરકાર્યવાહ બન્યા. તેમને પ્રો. રાજેન્દ્રસિંહ બાદ 10મી માર્ચ, 2000ના રોજ આરએસએસના સર્વોચ્ચ પદ સરસંઘચાલક તરીકેની જવાબદારી આપવામાં આવી. મણે 21 માર્ચ, 2009ના રોજ આ પદ પરથી સ્વયં નિવૃત થઈને મોહન ભાગવતને સરસંઘચાલક પદનું દાયિત્વ સોંપ્યું. તેઓ ત્યારથી ભોપાલમાં રહીને દેશનો પ્રવાસ કરતા રહ્યા અને સામાજિક કાર્યોમાં માર્ગદર્શન આપતા રહ્યા.
ખાલિસ્તાન આંદોલનના દિવસોમાં રાષ્ટ્રીય શીખ સંગત નામના સંગઠનનો પાયો નાખ્યો, આજે તે વિશ્વભરમાં શીખોનો એક સશક્ત મંચ બની ચુક્યું છે. આરએસએસના સરસંઘચાલક તરીકે તેઓ હંમેશા તુષ્ટિકરણની વિરુદ્ધ રહ્યા, પરંતુ તેઓ મુસ્લિમોના ભારતીયકરણના પક્ષધર હતા. તેમની પ્રેરણાથી રાષ્ટ્રીય મુસ્લિમ મંચની રચના થઈ. પ્રખ્યાત કોલમિસ્ટ મુજફ્ફર હુસૈન હોય કે વડીલ નેતા આરિફ બેગ, સુદર્શનજી સાથે ઈસ્લામ વિષયમાં કલાકો સુધી ચર્ચા કરતા હતા. તેઓ મુસ્લિમોને ઉદાર, શિક્ષિત, સહિષ્ણુ અને રાષ્ટ્રવાદી બનાવવા માટે ફીકરમંદ હતા.
આ વર્ષે ઈદના પ્રસંગે કે. એસ. સુદર્શને મસ્જિદ જઈને નમાજ પઢવાની જિદ પણ પકડી હતી. ભોપાલમાં તે દિવસે સવારે તેમણે અરેરા કોલોની ખાતે સંઘ કાર્યાલયથી પોતાના સુરક્ષાકર્મીઓના દળને તાજુલ મસ્જિદ જવા માટે કહ્યુ. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેમને અધવચ્ચે રોકવાની કોશિશ કરી, પરંતુ તેઓ માનવા માટે તૈયાર ન હતા.
સુદર્શનજીને ડિમેન્શિયા નામની ભૂલવાની બીમારી હતી. એકવાર તેઓ મૈસૂરમાં પોતાના ભાઈના ઘરેથી સવારે ટહેલવા નીકળ્યા હતા અને ગુમ થઈ ગયા હતા. જો કે પાંચ કલાક બાદ પોલીસે તેમને શોધી કાઢયા હતા. કહેવામાં આવે છે કે સ્મૃતિલોપની બીમારીને કારણે તેઓ રસ્તો ભૂલી ગયા હતા.
સુદર્શનજી સ્પષ્ટવક્તા હોવાને કારણે તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચા અને વિવાદોમાં રહ્યા છે. છતાં તેમણે પોતાની સ્પષ્ટતાઓ ક્યારેય છોડી નથી. તેમની સામે વિવાદોને પરિણામે ઉગ્ર દેખાવો પણ થયા, છતાં તેઓ પોતાના નિવેદનોમાંથી ડગ્યા ન હતા.
2010માં ભોપાલમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર કરવામાં આવેલી ટીપ્પણીથી આખા દેશમાં બબાલ મચી હતી. તેમણે સોનિયા ગાંધી પર ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે સોનિયા ગાંધીને સીઆઈએ એજન્ટ અને અવૈદ્ય સંતાન પણ કહી દીધા હતા. તેમણે દાવો કર્યો હતો કે સોનિયાનું અસલી નામ સોનિયા માઈનો છે. આ નિવેદનને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓએ દેશવ્યાપી દેખાવો કર્યા હતા.
સુદર્શનના કાર્યકાળમાં ભાજપ અને સંઘના સંબંધોમાં નરમી-ગરમી આવતી રહી. સુદર્શન રાજકારણમાં યુવાનોની પ્રભાવી ભૂમિકાના તરફદાર હતા. તેમણે એક વખત એનડીએના કાર્યકાળ દરમિયાન સૂચન કર્યું હતુ કે વાજપેયી અને અડવાણીએ હવે ઓછી ઉંમરવાળા લોકોને પાર્ટીની કમાન સોંપી દેવી જોઈએ. જો કે સુદર્શનને તેમનાથી ઘણી ઓછી ઉંમરવાળા મોહન ભાગવતને સરસંઘચાલક પદ સોંપીને તેને આચરણમાં મૂક્યું હતું.
અયોધ્યામાં વિવાદીત ઢાંચા સંદર્ભે તેમણે નિવેદન આપ્યુ હતુ કે તેને બોમ્બથી ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે 2005માં હિંદુઓની વસ્તીને લઈને તેમણે કહ્યુ કે હિંદુઓએ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવા જોઈએ જેથી હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને સમાજની સુરક્ષા થઈ શકે.
2009માં તેમણે પાકિસ્તાનના સર્જક મહંમદઅલી જિન્ના પર ટીપ્પણી કરી હતી કે જિન્નાના ઘણાં ચહેરા હતા. જો તમે ઈતિહાસને યોગ્ય રીતે વાંચો તો તે ટીળકની જેમ સંયુક્ત ભારત માટે પ્રતિબદ્ધ હતા.
તેમણે પંડિત નેહરુ પર ટીપ્પણી કરી હતી કે પંડિત નેહરુ અને લોર્ડ માઉન્ટબેટન કાશ્મીર સમસ્યા માટે જવાબદાર હતા. પંડિત નેહરુ એડવિના માઉન્ટબેટનના પ્રભાવમાં કામ કરતા હતા. ઈન્દિરા ગાંધી તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના મોત માટે જવાબદાર હતા.
સુદર્શનજી પોતાના સમગ્ર જીવન દરમિયાન નિર્દોષ, સરળ અને સહજ પરંતુ સ્પષ્ટ અને બેબાક વિચારોને કારણે ઘણાં વિવાદો પણ થયા. તેઓ રાજનીતિની કુટિલતા અને પ્રપંચને ખૂબ સારી રીતે સમજતા હતા, પરંતુ તેમના વ્યક્તિત્વની સરળતાને કારણે તેઓ કુટિલતા અને પ્રપંચો સામે હંમેશા હારતા રહ્યા. તેના કારણે વિવાદીત પણ થયા. કદાચ તેના કારણે જ પાછળના દિવસોમાં તેઓ પોતાનો વધારે સમય ગ્રામ વિકાસ, હિંદીના વિકાસ અને વિસ્તાર, તકનીકોના સ્થાનીકરણ અને લોકોપયોગી રચનાત્મક કામોમાં લાગેલા રહ્યા હતા. કોઈ તેમને મળવા આવે તો પહેલા તેઓ પરંપરાગત તકનીક અને દેશભરમાં થઈ રહેલા સેંકડો પ્રયોગો સંદર્ભે કલાકો સુધી મુલાકાતીને જણાવતા હતા. પછી પોતાની પાસે સંગ્રહિત મોડલો દેખાડતા હતા. ગ્રામ વિકાસ, કૃષિ ગોપાલન અને ઊર્જા વગેરેને દેશજ અને પરંપરાગત અનુભવો અને જાણકારીઓ સંદર્ભે વાત કરીને કોઈપણ તેમને પોતાના પ્રશંસક બનાવી શકતુ હતુ.
સુદર્શનજીએ હંમેશા પોતાની નહીં, પણ પોતાનાઓની પરવાહ કરી છે. દેહ અને શરીર કમજોર થતું ગયું, પરંતુ તે દેશ-સમાજની સમસ્યાઓથી ઝઝુમતા રહ્યા. તેમના નજીકના લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેઓ જ્યોતિષના પણ જાણકાર હતા. જ્યોતિષના ઘણાં વિદ્વાનો સાથે લાંબી ચર્ચાઓ પણ કરતા હતા. કદાચ તેઓ આ જીવનના અંત અને આગામી જીવનના પ્રારબ્ધ વિશે પણ પરિચિત હશે. એ પણ સંજોગ છે કે 15 સપ્ટેમ્બર, 2012ના રોજ તેઓ પોતાના જન્મસ્થાન રાયપુર ખાતે યોગમુદ્રામાં દેહોત્સર્ગ કરી શક્યા. તેમણે એક હિંદુ તરીકે જન્મ લીધો. એક સ્વયંસેવક તરીકે દેશ-સમાજ અને માનવતાની સેવા કરી. પુનર્જન્મમાં હિંદુઓનો અકાટય્ વિશ્વાસ છે. પોતાના ધર્મ પ્રતિ નિષ્ઠા, હિંદુત્વ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને માનવતાની સેવાનું વ્રત તથા સંઘની પ્રતિજ્ઞા તેમને વારંવાર આપણી વચ્ચે જરૂરથી લાવશે. 

ગુરુવાર, 21 જૂન, 2012

એનડીએ તૂટી જશે?:'હિંદુત્વવાદી' મોદીની ઈમેજ પર નીતીશ કુમારનું રાજકારણ

-આનંદ શુક્લ

એનડીએમાં હાલની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ઉમેદવારની ચર્ચા ઓછી અને 2014ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા વધારે થઈ રહી છે. ગુજરાતમાં 2012ના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ગુજરાતમાં હાલની પરિસ્થિતિ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને અન્ય અસંતુષ્ટોની વિરોધમાં સક્રિય થયેલી રાજકીય ધરીથી નરેન્દ્ર મોદી માટે ગત વિધાનસભા ચૂંટણીઓ જેવી સરળ પરિસ્થિતિ નથી. કેશુભાઈ પટેલના ગઢ રાજકોટની કારોબારીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાતિવાદી રાજકારણ પર નિશાન સાધવા માટે નીતીશ કુમારના બિહાર પર ટીપ્પણી કરી હતી. નરેન્દ્ર મોદીએ કેશુભાઈ અને અન્ય અસંતુષ્ટો દ્વારા ચલાવવામાં આવતા પટેલ અને અન્ય જ્ઞાતિઓના સંમેલનો પર નિશાન સાધવા બિહાર અને યૂપીના જાતિવાદી રાજકારણનો દાખલો આપીને તેને તેમની દુર્દશા માટે જવાબદાર ઠેરવ્યા હતા.

પરંતુ તેના કારણે ત્રણ વર્ષ પહેલા અંગારા નીચે ધરબાયેલી મોદી વિરોધી આગ બિહાર ખાતેથી ફરીથી ભભૂકી ઉઠી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને છેલ્લા કેટલાંક સમયથી નિવેદનો આપવાના શરૂ કર્યા છે. તેમણે કહ્યુ છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા વ્યક્તિ હોવા જોઈએ. નીતીશ કુમારની પાર્ટી જેડી-યૂ સેક્યુલર છબીવાળા વડાપ્રધાનપદના ઉમેદવાર સંદર્ભે કોઈપણ જાતની સમજૂતી કરવા માટે તૈયાર નથી. તેના માટે તેઓ 1997થી ભાજપ સાથેના પોતાના ગઠબંધનનું બલિદાન આપવા માટે પણ તૈયાર છે. જેડીયૂના પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યુ છે કે બિહારની સરકાર સત્તામાં રહે કે ન રહે, પરંતુ ધર્મનિરપેક્ષતાના મુદ્દે તેમની પાર્ટી કોઈ સમજૂતી કરશે નહીં.

ભાજપમાં મુંબઈ ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં ઘટેલા રાજકીય ઘટનાક્રમ પરથી એવો સંદેશ જાય છે કે પાર્ટીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવાનું મન બનાવી લીધું છે. જો કે સંજય જોશી પ્રકરણ બાદ ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં મોદીનું નામ લીધા વગર ટીકા કરવામાં આવી. પાંચજન્યમાં સંઘના વરિષ્ઠ વિચારક દેવેન્દ્ર સ્વરૂપે મોદીની સંગઠનાત્મક ક્ષમતા પર સવાલ ઉભા કર્યા. ત્યારે બિહારમાંથી પણ એક અવાજ ઉઠયો હતો કે પાર્ટીને કોઈ હાઈજેક કરી શકે નહીં. આ અવાજ હતો બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીનો. ભાજપમાં પ્રદેશ સ્તરથી માંડીને રાષ્ટ્રીય સ્તરે મોદી તરફી અને મોદી વિરોધી જૂથ હોવાનું કોઈનાથી હવે છુપું નથી. મોદી તરફી જૂથ મોદીને કોઈપણ ભોગે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાવવા માટે તત્પર છે. જ્યારે મોદી વિરોધી જૂથ મોદીના 2002ના ગુજરાત રમખાણોના કલંકિત ઈતિહાસ પૃષ્ઠને આગળ કરીને તેમના રાજકીય ઈરાદાઓ ધરાશાયી કરવાનો પ્રયત્ન કરે છે.

એનડીએમાં જેડીયૂના નીતીશ કુમાર સાથે ભાજપના મોદી વિરોધી જૂથને ખાસો ધરોબો છે. નીતીશ કુમારે તાજેતરમાં ઈકોનોમિક ટાઈમ્સ અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા હોવા જોઈએ. આ મુલાકાતમાં નીતીશ કુમારે મોદીનું નામ તો લીધુ નથી. પરંતુ સમીક્ષકોના માનવા પ્રમાણે, નિવેદન નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ચાલી રહેલી રાજકીય ઉઠાપઠક અને કવાયત સામે છે. નીતીશ કુમારને નરેન્દ્ર મોદીના વિરોધી ગણવામાં આવે છે. નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સૌથી મોટી રાજકીય અડચણ પણ નીતીશ કુમારને ગણવામાં આવે છે. કોસી નદીમાં આવેલા વિનાશક પૂર વખતે ગુજરાત સરકારે બિહારને પાંચ કરોડ રૂપિયાની મદદ કરી હતી. બિહારમાં રાષ્ટ્રીય કારોબારી વખતે મોદીની મુલાકાતના ટાણે અખબારોમાં આની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોદી અને નીતીશ કુમારની સાથે તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ બિહારમાં ટાંકણે વિધાનસભાની ચૂંટણીઓ હોવાને કારણે નીતીશ કુમાર મુસ્લિમ વોટબેંકને લઈને ખાસા સતર્ક હતા. તેમણે તાત્કાલિક મોદી સરકારને બિહારને આપવામાં આવેલી પાંચ કરોડ રૂપિયાની મદદ પાછી આપી. ભાજપની કારોબારીમાં આવેલા નેતાઓ માટેનો રાત્રિભોજનનો કાર્યક્રમ પણ રદ્દ કર્યો. જેને નરેન્દ્ર મોદીની હાજરી સાથે જોડીને જોવામાં આવ્યો.

બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર ચૂંટણી પ્રચારક નરેન્દ્ર મોદીને દૂર રાખવામાં આવ્યા. જેનું સીધું કારણ નરેન્દ્ર મોદી માટે નીતીશ કુમારનો અણગમો હતો. જો કે જાણકારોના માનવા પ્રમાણે, મોદી અને નીતીશ વચ્ચેના સંબંધો 2010 બાદ જ બગડયા. વાજપેયી સરકારમાં 2002ના ગુજરાત રમખાણો બાદ પણ કેન્દ્રીય મંત્રી તરીકે નીતીશ કુમારે ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે અને મોદી સાથે મંચ પર પણ બેઠા છે. સમીક્ષકો પ્રમાણે, મોદીનું હિંદુત્વ અને નીતીશ કુમારનો સેક્યુલરવાદ બંને તકવાદી છે. મોદીને જ્યાં સુધી હિંદુત્વની મદદથી ગુજરાતની ગાદી પર બેસવામાં મદદ મળતી હતી, ત્યાં સુધી તેના એજન્ડાને આગલ વધાર્યા. જ્યારે તેમને વડાપ્રધાનપદે પહોંચવાની રાજકીય મહત્વાકાંક્ષામાં હિંદુત્વ અડચણ લાગવા લાગ્યું, તો તેમણે સદભાવના મિશન હેઠળ ઉપવાસો કર્યા. પોતાની રાજકીય ઈમેજ બદલવા માટે પુરજોર કોશિશ કરી. જ્યારે નીતીશ કુમારે ગુજરાત રમખાણો બાદ મોદી સરકારને બરખાસ્ત નહીં કરવાના મુદ્દે વાજપેયીની સરકારના મંત્રીપદનું બલિદાન આપ્યું ન હતું. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે 2002ની ઘટનાઓ બાદ પણ મંચ ઘણી વખત બેઠાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના 16 ટકા મુસ્લિમ મતોને નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ વિરોધી છબીને કારણ બનાવીને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરી.

નીતીશ કુમારના મોદી સામેના મનાતા નિવેદન મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જવાબ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યુ છે કે કોઈ હિંદુત્વવાદી ભારતના વડાપ્રધાન કેમ બની શકે નહીં? જો કે તેમણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ સ્પષ્ટ થઈ ગયું છે કે મોદીની દાવેદારીના ટેકામાં સંઘ ખુલીને સામે આવી ગયો છે. ભાજપે પણ સંઘના સૂરમાં સૂર મિલાવતા જેડીયૂ પર હુમલો કરતા કહ્યું છે કે પાર્ટીને કોના સર્ટિફિકેટની જરૂરત નથી. અહીં મુદ્દો છે કે ભારતમાં 82 ટકા હિંદુ વસ્તી છે. હિંદુત્વ ભારતની જીવન પદ્ધતિ છે. આ તથ્યને સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. ભારતની ધર્મપરાયણ પ્રજાને ધર્મનિરપેક્ષ બનાવવી હકીકતમાં પાપ છે. ધર્મ ભારતના અસ્તિત્વની મુખ્ય ધરી છે. ભારતમાં સંપ્રદાય-પંથ નિરપેક્ષતા આવે તે જરૂરી છે. પરંતુ ભારત ધર્મનિરપેક્ષ બની શકે નહીં. હિંદુત્વ જીવન પદ્ધતિ હોવાને કારણે આપમેળે જ તે સેક્યુલર છે. ત્યારે દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બનાવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ ઉંબાડિયા કરતા રહે છે. પરંતુ હિંદુત્વના નામ પર દેશના વડાપ્રધાન બનવા જોઈએ નહીં તેમ કહેનારા નેતાઓની અહીં ભરમાર છે. દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બને, સેનાધ્યક્ષ બને, મુખ્ય ન્યાયાધીશ બને, અરે વડાપ્રધાન બનવાનું વ્યક્તિત્વ ધરાવનારો મુસ્લિમ વડાપ્રધાન બને તો પણ કોઈને વાંધો નથી. તો હિંદુત્વવાદી વ્યક્તિના વડાપ્રધાન બનવા બાબતે વાંધો શા માટે ઉઠાવવામાં આવે છે?

જો કે સમગ્ર રાજકીય ઘટનાક્રમનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે નીતીશ કુમાર હાલ ભલે વડાપ્રધાનપદની દાવેદારી રજૂ કરતા ન હોય. પરંતુ તેમની ધરબાયેલી રાજકીય મહત્વકાંક્ષા જોર મારી રહી છે. ગુજરાત રમખાણો બાદ રાજ્યમાં મોદીના શાસન નીચે વિકાસ યાત્રા થઈ. કેટલાંક સર્વેમાં ગુજરાતના વિકાસને અવ્વલ દરજ્જાનો ગણાવવામાં આવ્યો. મોદી વિરોધીઓએ ગુજરાત રમખાણોની ચર્ચા કરી અને મોદીએ વિકાસના કામો કર્યા હોવાની છાપ પણ હાલ પ્રવર્તી રહી છે. બિહારના મુખ્યમંત્રી બનતા પહેલા નીતીશ કુમારે મોદી સંદર્ભેના કેટલાંક ભ્રમ દૂર કરી દીધા. મોદી વગર ભાજપ માટે ચૂંટણીમાં સારો દેખાવ કરવો શક્ય નથી. નીતીશ કુમારે બિહાર વિધાનસભાની ગત ચૂંટણીમાં મોદીને પ્રચાર અભિયાનથી દૂર રખાવ્યા હતા. છતાં જેડીયૂ અને ભાજપનું ગઠબંધન ત્રણ ચતુર્થાંસ બહુમતીથી સત્તામાં આવ્યું. મુસ્લિમ મતો મોદીના કારણે ભાજપથી દૂર થાય છે, તેવી માન્યતાને દ્રઢીભૂત કરી. કારણ કે મોદીના નહીં આવવાથી ભાજપ-જેડીયૂ ગઠબંધનને મુસ્લિમોએ ખોબલેને ખોબલે મત આપ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કથિત હિંદુત્વવાદી છાપને નીતીશ કુમારે પોતાની રાજનીતિનો મહત્વનો ભાગ બનાવ્યો. મોદીને પોતાની વડાપ્રધાન બનવાની રાજકીય મહત્વકાંક્ષામાં કટ્ટર ઈમેજ અડચણરૂપ લાગતા તેમણે પણ હિંદુત્વની કાંચળી ઉતારવાની શરૂઆત કરી. દરેક ઠેકાણે ગુજરાતની વિકાસ યાત્રાની વાતો પુરજોર કરવા માંડી. ઈમેજ મેકઓવર માટે સુપ્રીમ કોર્ટની કથિત ક્લિનચીટવાળા ગુલમર્ગ કાંડ સંદર્ભેના ઓર્ડર બાદ સદભાવના મિશન શરૂ કર્યું. તેના હેઠળ તેમણે કુલ 33 જગ્યાએ 36 ઉપવાસો કર્યા. આ સમગ્ર તામજામમાં 200 કરોડનો ખર્ચો થયો. પરંતુ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા મોદીને હિંદુત્વવાદી નેતા ગણાવતું તેમના નામ લીધા વગરનું નિવેદન ઘણી મોટી અસર પેદા કરશે. સંઘ જેને હિંદુત્વવાદી ગણતું હશે,તેને રાજકીય પક્ષો કેવી રીતે સેક્યુલર ગણશે? એટલે ચર્ચા એવી પણ છે કે મોહન ભાગવતે મોદીને કોથળામાં પાંચશેરી મારીને એનડીએના ગઠબંધનમાં તેમની વડાપ્રધાનપદની ઉમેદવારીને હાલ બ્રેક મારી દીધી છે.

હાલની પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની પ્રવૃતિ સામે એનડીએના ભાજપ પછીના સૌથી મોટા પક્ષ જેડીયૂના વાંધા બાદ તિરાડ વધુ પહોળી બની છે. રાજકીય વિશ્લેષકોના મતે મોદીને આગળ કરવાથી 2014 પહેલા એનડીએ તૂટી જશે. મોદીના હિંદુત્વવાદી ચહેરાથી એનડીએમાં ભાજપ બાદ શિવસેના સિવાયના તમામ પક્ષોને કોઈને કોઈ વાંધો છે. આવી પ્રવાહી પરિસ્થિતિમાં હિંદુત્વવાદી નરેન્દ્ર મોદીને 2014ની વડાપ્રધાનપદની ઉમેદવારી કરાવવા માટે ભાજપે એનડીએનું વિસર્જન કરીને હિંદુત્વવાદી એજન્ડા પર પાછા ફરવું પડે તેમ છે. રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવી અને સમાન નાગરિક ધારાનો અમલ જેવા મુદ્દાઓ ફરીથી જીવિત કરવા પડે. આ મુદ્દાઓ દોઢ દશકથી કોમન મિનિમમ પ્રોગ્રામના નામે કોલ્ડ બોક્ષમાં મૂકી દેવામાં આવ્યા છે. બીજી તરફ સંઘ પરિવારના વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનના કેટલાંક વરિષ્ઠ નેતાઓનો મોદી સામેનો અણગમો જગજાહેર છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો ગજગ્રાહ પણ ઘણો મોટો છે. વળી પ્રખર હિંદુત્વવાદી સંગઠન મોદી દ્વારા ગાંધીનગરમાં તોડવામાં આવેલા 250થી વધારે મંદિરોના મુદ્દે નારાજ છે. વિશ્વ હિંદુ પરિષદના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે મોદીની સરખામણી મહંમદ ગઝની સાથે કરી હતી.

આવા સંજોગોમાં મોદીની હિંદુત્વવાદી છબી દુનિયામાં યથાવત છે, પરંતુ સંઘપરિવારમાં તેને ગ્રહણ લાગેલું છે. ગુજરાતના વિચારપત્ર નિરીક્ષકના એક અંકમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથે થયેલી ખાનગી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે મોદીએ તેમને જણાવ્યુ કે તેમણે મોટીસંખ્યામાં હિંદુ મંદિરો તોડયા હોવા છતાં તેમને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. (શબ્દશ વાત યાદ નથી, બાકી જે વાત હતી તેનો મર્મ આવો કંઈક હતો) આનો અર્થ એ થયો કે મોદી પોતાની હિંદુત્વવાદી છબી તોડવા માટે ખૂબ ધમપછાડા કરી રહ્યા છે. પરંતુ 2002ની ગુજરાત રમખાણોની ઘટનામાં તેમની ઉભી થયેલી ઈમેજ વધારે ગાઢ સાબિત થઈ છે. આવા સંજોગોમાં મોદીની વડાપ્રધાનપદ માટેની એનડીએમાં દાવેદારીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની રાજનીતિથી ગ્રહણ લાગી રહ્યું છે.


શુક્રવાર, 8 જૂન, 2012

હવે મોદી ઈઝ બીજેપી, બીજેપી ઈઝ મોદી?


-આનંદ શુક્લ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્થક એવા મરાઠી અખબાર તરુણ ભારતે સંજય જોશીને દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી જેવા તથા મોદીને અડિયલ ગણાવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ કારોબારી વખતે સંજય જોશીને લઈને અપનાવામાં આવેલા વલણની તરુણ ભારત અખબારમાં સંઘના ચિંતક એમ. જી. વૈદ્યે ટીકા કરી છે. તેમણે મોદીના વલણ પર પરોક્ષ ટીપ્પણી કરતા લખ્યુ છે કે વ્યક્તિ નહીં, પણ સંગઠન મોટું છે.

અત્યારે ભાજપની રાજકીય પક્ષ તરીકે એવી પરિસ્થિતિ ઉભી થતી દેખાય રહી છે કે ભાજપ એટલે મોદી અને મોદી એટલે ભાજપ. એક વખતના ભાજપના શક્તિશાળી કેન્દ્રીય સંગઠન મહામંત્રી સંજય જોશીએ યૂપીનું પ્રભારી પદ અને પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થવા માટે ગડકરીને આગ્રહ કરવો પડયો છે. માનવામાં આવે છે કે સંજય જોશી તેમના પ્રત્યેના નરેન્દ્ર મોદીના કડવા વલણથી છેલ્લા કેટલાંક વખતથી પરેશાન હતા. ગત સપ્ટેમ્બર માસમાં છ વર્ષ નિર્વાસિત રહ્યા બાદ સંજય જોશીને મોદીના વિરોધ છતાં સંઘના આશિર્વાદથી પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીએ પક્ષમાં ફરીથી સામેલ કર્યા હતા.

સંજય જોશીના ભાજપમાં પુનરાગમનથી સૌથી વધારે નારાજ કોઈ વ્યક્તિ હતી, તો તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. યૂપીના પ્રભારી પદે સંજય જોશીની વરણી બાદ મોદી એટલા નારાજ હતા કે દિલ્હી ખાતેની ભાજપની મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં નવરાત્રિના ઉપવાસનું કારણ આગળ ધરીને સામેલ થયા ન હતા. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સંજય જોશીને કારણે યૂપીના ચૂંટણી પ્રચાર અભિયાનથી દૂર રહેવા માટે ભાજપના વડાપ્રધાન પદના ચાર-પાંચ ઉમેદવારો પૈકીના એક નરેન્દ્ર મોદી અન્ય ચાર રાજ્યોમાં પણ પ્રચાર કરવા ગયા નહીં!

સંજય જોશીને પાર્ટીમાં લેવા માટે પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીથી મોદી સખત નારાજ રહ્યા. ભાજપ કદાચ એવી પહેલી પાર્ટી હશે કે જ્યાં પાર્ટી અધ્યક્ષ અને વડાપ્રધાન પદના સંભવિત ચાર-પાંચ ઉમેદવારોમાંના એક વચ્ચે સતત સાત માસથી વાતચીત થઈ ન હોય! મુંબઈ ખાતેની ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ગડકરીને અધ્યક્ષ તરીકે બીજી ટર્મ માટે ચાલુ રાખવા માટે પક્ષના બંધારણમાં સુધારો કરવાનો હતો. તે વખતે અડવાણી, સુષ્મા સ્વરાજ સહીતના નેતાઓની નારાજગીને કારણે નરેન્દ્ર મોદીના ટેકાની ગડકરીને જરૂરિયાત હતી. ગડકરીએ મોદીનો ટેકો મેળવવા માટે રાષ્ટ્રીય કારોબારીના થોડા કલાક પહેલા આપવામાં આવેલું સંજય જોશીનું રાજીનામું સ્વીકારવું પડયું. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપની જન્મજયંતીમાં સામેલ થયેલા મુખ્યમંત્રી મોદીએ પોતાના કટ્ટર રાજકીય હરીફ ગણાતા સંજય જોશીના કારોબારીમાં હાજર રહેવાને પોતાની ગેરહાજરીનું બહાનું બનાવ્યું હતું. સંજય જોશી કારોબારીમાંથી રાજીનામું આપીને યૂપી જવા માટે નીકળ્યા, ત્યાર પછી જ મોદી મુંબઈમાં પ્રવેશ્યા.

જો કે મોદીના કારોબારી આવ્યાના અડધા કલાકમાં અડવાણી, સુષ્મા અને મુરલી મનોહર જોશી સ્થાન છોડી ગયા હતા. બેઠક બાદ યોજાયેલી જાહેરસભામાં પણ આ નેતાઓ હાજર રહ્યા ન હતા. મુંબઈ રાષ્ટ્રીય કારોબારી બાદ અડવાણીએ ગડકરી પર અને ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ મોદી પર પરોક્ષ નિશાન તાક્યા. પેટ્રોલના જંગી ભાવવધારા સામે આપવામાં આવેલા ભારત બંધના એલાનના દિવસે જ અડવાણીએ ગડકરીને નિશાન બનાવીને બ્લોગ લખ્યો. તો ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ મોદીનું નામ લીધા વગર તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવાની ઉતાવળ પર કટાક્ષ કર્યો. પ્રભાત ઝાના તંત્રીલેખનો ટોન હતો કે મોદીની વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાની ઉતાવળથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.

સંઘના હિંદી મુખપત્ર પાંચજન્યમાં વરિષ્ઠ ચિંતક દેવેન્દ્ર સ્વરૂપે પોતાની કોલમ મંથનમાં મોદીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા. દેવેન્દ્ર સ્વરૂપે ત્યાં સુધી લખ્યુ કે મોદીએ પોતાની કાર્યપદ્ધતિ અને સંગઠન ક્ષમતા સંદર્ભે ફરીથી વિચાર કરવાની જરૂરત છે. બીજી તરફ અમદાવાદ અને નવી દિલ્હી ખાતે રસ્તાઓ પર મોદીનું નામ લીધા વગર તેમની ટીકા કરતા અને જોશીની તરફેણમાં પોસ્ટરો લાગ્યા.

અમદાવાદ ખાતે લાગેલા પોસ્ટરોમાં અટલ બિહારી વાજપેયીની કાવ્યપંક્તિઓ- છોટે મન સે કોઈ ખડા નહીં હોતા, તૂટે મન સે કોઈ ખડા નહીં હોતા, નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં છેલ્લે લખવામાં આવ્યું હતું કે કહો દિલ સે સંજય જોશી ફિરસે. તો દિલ્હી ખાતે લાગેલા પોસ્ટરમાં સંજય જોશીના રાજીનામાનો સ્વીકાર કરવા પર નારાજગી વ્યક્ત કરીને ભાજપની નીતિ પર સવાલ કરવામાં આવ્યો હતો. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર સંજય જોશી પ્રકરણ પર મોઢું ખોલતા કહ્યુ છે કે કોઈને પાર્ટી હાઈજેક કરવા દેવામાં આવશે નહીં.

અમદાવાદમાં ફરીથી નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર પોસ્ટર મૂકવામાં આવ્યું છે કે રાજધર્મનું પાલન કરો, પ્રજાનો ધર્મ નિભાવો, પાર્ટી ધર્મને અપનાવો. આ પોસ્ટર યુદ્ધ માટે મોદી જૂથ તરફથી અંદરખાને જોશીના પ્રશંસકો તરફ શંકા કરવામાં આવી છે. જો કે હજી સુધી તેમને આ સંદર્ભે કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેવામાં સંજય જોશીએ રાજીનામું આપીને પોતે પાર્ટી હિતમાં પોતાનું બલિદાન આપી રહ્યા હોવાની  અદાથી શહીદ થઈને ઉભરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે સંજય જોશીના રાજીનામાથી તેમના પ્રશંસકોને આંચકો લાગ્યો છે.

સંજય જોશી ભાજપ છોડી હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરવા પાછા ફરે તેવી પ્રબળ શક્યતાઓ દર્શાવાય રહી છે. જો કે ચૂંટણીના સારા રણનીતિકાર ગણાતા સંજય જોશીના 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી ગેરહાજર રહેવાની અસરોને પણ પાર્ટી હાઈકમાન જરૂરથી તપાસશે.

પરંતુ સમગ્ર પ્રકરણમાં હાલપુરતા નરેન્દ્ર મોદી સૌથી વધારે શક્તિશાળી નેતા તરીકે પાર્ટીમાં ઉભરી આવ્યા છે. જોશીના લિટમસ ટેસ્ટ પછી મોદી પાર્ટીમાં અન્ય રાજકીય વિરોધીઓને કોરાણે મૂકવાની પ્રક્રિયા હાથ ધરશે, કારણ કે જોશી સંઘ અને ગડકરીના સૌથી નજીકના નેતાઓમાંના એક છે. કેટલાંક લોકો નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિને હિટલર સાથે સરખાવે છે. પરંતુ તેમની કાર્યપદ્ધતિ હિટલર જેવી હોય કે ન હોય, ઈન્દિરા ગાંધી જેવી હોવાનું ઘણાં રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ગુજરાતમાં જે પ્રકારે ભાજપ સંગઠન પર મોદીએ પકડ જમાવી છે અને જે પ્રકારે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થતા પહેલા ભાજપમાં કેન્દ્રીય સ્તરે પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે, તેના પરથી તેઓ ઈન્દિરા ગાંધી જેવો વટ પોતાની પાર્ટી પર પાથરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાગપુરથી ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવનારા સંજય જોશી મુંબઈની રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામું આપ્યા બાદ રેલવે માર્ગે રાજ્યમાંથી પસાર પણ થઈ શક્યા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જોશીને રેલવે માર્ગેના સ્થાને હવાઈ માર્ગે દિલ્હી જવા માટે મોદીના દબાણમાં ફરમાન કરવામાં આવ્યું હતું.


ગુરુવાર, 3 મે, 2012

RSSના સ્વયંસેવકો મડદાં ઉંચકવામાં સફળ, પણ રાજનીતિમાં નિષ્ફળ કેમ?


-ક્રાંતિવિચાર
ભારતમાં રાજનીતિથી ધૃણા કરતા કરતા રાજકારણ ખેલવાની અનોખી અને આગવી ફેશન ચાલે છે. પોતે રાજનીતિમાં નહીં હોવાનું જણાવવા માટે લોકો દંભમાં જિંદગી ખર્ચી નાખે છે. આ દંભ ભારતમાં ઘણી સદીઓથી. ગાંધીજી પણ પોતે રાજનીતિથી દૂર એવા મહાત્મા હોવાનો ભ્રમ લોકોમાં ઉભો કરી શકયા. દેશ અત્યારે જે પણ જગ્યાએ પહોંચ્યો છે, તેના માટે ગાંધીજી દ્વારા મહાત્મા બનીને ઉપેક્ષાપૂર્ણ રાજનીતિ કરવામાં આવી તે સૌથી મોટું કારણ છે. ભારતને જ્યારે રાજનૈતિજ્ઞની જરૂર હતી, તો ભારતને મહાત્મા મળ્યા. જ્યારે મહાત્માની જરૂર છે, ત્યારે પોણિયા રાજકારણીઓ મળ્યા. મહાત્મા ગાંધીની પરંપરાને ભારતમાં આઝાદી પછી કમ સે કમ રાજનીતિના મામલામાં કોઈ અનુસરતું હોય તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. જી હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ મહાત્મા હોવાનો વહેમ છે, તેઓ પણ રાજનીતિ પ્રત્યે ઉદાસિનતા પૂર્ણ વલણ દાખવીને રાજકારણ ખેલી રહ્યા છે. તેના પરિણામે આઝાદી પછી દેશમાં રાજનીતિની ઘણી મોટી દુર્દશા થઈ છે. સંઘનો સ્વયંસેવક મડદાં ઉંચકવાના કામમાં જેટલી નામના મેળવે છે અને સફળ થાય છે, તેટલી નામના અને સફળતા તેમને રાજનીતિના ક્ષેત્રમાં મળી નથી. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાના વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના વિષયમાં રાજનીતિ સાથેના ઉપેક્ષાપૂર્ણ વ્યવહારથી ઉભી થયેલી ખામી પર આત્મમંથન કરવું જોઈએ.

ત્યારે કહેવું પડે કે ભાઈ ના આવડતું હોય તેવું કામ કરવું જોઈએ નહીં અને કરવું જ પડે તો તેને પહેલા શીખી લેવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાને સાંસ્કૃતિક સંગઠન ગણાવે છે. તેઓ કહે છે કે રાજકારણથી તેમને કોઈ લેવાદેવા નથી. રાજનીતિ તેમના માટે જવા જેવી જગ્યા નથી. રાજનીતિમાં તેમના સ્વયંસેવકો જઈ શકે છે. આમ આરએસએસ રાજનીતિમાં પ્રત્યક્ષ રીતે પહોંચ્યું નથી. પરંતુ આઝાદી પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતીય જનસંઘને અને બાદમાં ભાજપને ટેકો આપ્યો છે, તેમના રાજકીય વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. પોતાના પ્રચારકો અને કાર્યકર્તાઓ તેમની રાજકીય પહોંચ વધારવા માટે દેશભરમાં કામ કરવા માટે આપ્યા છે. પરંતુ અત્રે સવાલ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે સ્વયંસેવકો રાજનીતિમાં ગયા છે, તેમણે વૈચારીક સ્પષ્ટતા અને શુદ્ધતા જાળવી છે? શું તેઓ ભ્રષ્ટાચારના વમળમાં ફસાતા પોતાની જાતને બચાવી શકયા છે? શું તેઓ જે ભારતીય સંસ્કૃતિના જતન માટે હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેવા વિચારો લઈને ચાલ્યા હતા તેને તેમણે નખશિખ સાચવ્યા છે?

જો આ રાજનીતિમાં ગયેલા સ્વયંસેવકો આવી બાબતોને સાચવી શક્યા ન હોય, તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું મિશન નિષ્ફળ ગયું છે. વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું પોતાનું મિશન નિષ્ફળ જવા સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ખુદ આત્મમંથન કરવું પડશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કેડર તૈયાર કરવા માટે પ્રથમ, દ્વિતિય અને તૃતિય વર્ષ નામે ઓળખાતી શિબિરો કરાવવામાં આવે છે. તૃતિય વર્ષ શિક્ષિત સ્વયંસેવકને વ્યક્તિત્વ નિર્માણનો આખરી તબક્કો માનવામાં આવે છે. તેમાં વ્યક્તિનું પૂર્ણપણે ઘડતર કરીને સમાજ માટે તેમને સારું કરવા માટે પૂર્ણ માનવામાં આવે છે.

આવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેડર અને પ્રચારકોને જુદાંજુદાં સામાજિક ક્ષેત્રોની સાથે સાથે રાજનીતિમાં મોકલવામાં આવે છે. આવા લોકો ખૂબ ગોટલા ફૂલાવતા ફૂલાવતા રાજનીતિમાં પહોંચી પણ જાય છે. પરંતુ તમને એવું એકપણ નામ યાદ આવે છે કે જે નામ રાજનીતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે રાજનીતિમાં આવ્યા પછી વરતીને પોતાની અમિટ છાપ મૂકી ગયું હોય. મારા વ્હાલા તમે તુરંત કહેશો કે શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાય આવા બે નામ છે. પરંતુ તમે ખાસ નોંધો કે શ્યામાપ્રસાદ મુખર્જીનો સંબંધ હિંદુ મહાસભા અને સાવરકરજી સાથે હતો. તેઓ ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ હતા. જ્યારે દીનદયાળ ઉપાધ્યાય જેવા કાબેલ અને સંપૂર્ણપણે નિષ્ઠાવાન પ્રચારકને તત્કાલિન સરસંઘચાલક માધવ સદાશિવ રાવ ગોલવલકરે ભારતીય જનસંઘના કાર્યવિસ્તાર માટે ડૉ. મુખર્જીને સોંપણી કરેલી હતી. એટલે આ બંને નામને આપણે ચર્ચામાંથી બાકાત રાખીશું. શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયનો હિંદુત્વ પ્રત્યે લગાવ અને નિષ્ઠા બંને શંકાથી પર છે.

પરંતુ આ સિવાયના સંઘ દ્વારા રાજનીતિમાં જનસંઘ અને ભાજપમાં મોકલાયેલા લોકો વત્તાઓછા અંશે વિચારધારાત્મક રીતે અથવા આર્થિક બાબતોમાં ભ્રષ્ટ સાબિત થયા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે, બંગારુ લક્ષ્મણ. ભાજપના સૌથી પહેલા દલિત અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ સંઘના તૃતિય વર્ષ શિક્ષિત છે. પરંતુ તેઓ તહેલકા સ્ટિંગ ઓપરેશનમાં એક લાખની લાંચ લેતા કેમેરામાં ઝડપાયા હતા. મામલો નકલી ડિફેન્સ ડીલનો હતો. કોર્ટે તાજેતરમાં સંઘના તૃતિય વર્ષ શિક્ષિત આ નમૂનાને ચાર વર્ષ કેદની સજા ફટકારી છે અને સાથે એક લાખનો દંડ પણ કર્યો છે.

બીજું ઉદાહરણ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન યેદિયુરપ્પાનું છે. તેઓ પણ સંઘના વરિષ્ઠ સ્વયંસેવક છે. પરંતુ તેમના પર જમીન ગોટાળા અને માઈનિંગ કૌભાંડ સંદર્ભે આંગળીઓ ચિંધાયેલી છે. લોકાયુક્તે પણ તેમની સામે આરોપો મુક્યા છે. પરંતુ આટલા બધાં ભ્રષ્ટાચારના આરોપો છતાં તેમાંથી તેઓ મુક્ત થઈને ફરીથી પોતાની નિર્દોષતા સાબિત કરવા ઈચ્છતા નથી, પરંતુ આવી જ પરિસ્થિતિમાં તેમને ફરીથી કર્ણાટકના મુખ્યમંત્રી બનવું છે. તેમણે ભાજપ હાઈકમાનને બળવો કરવા સુધીની કથિત ધમકી પણ આપી દીધી છે. તેમણે આ સંદર્ભે ભાજપ હાઈકમાન સામે ગડકરીની કર્ણાટક મુલાકાત વખતે મોટું શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.

ઉત્તરાખંડાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલને પણ ભ્રષ્ટાચારના મામલામાં દૂર કરવામાં આવ્યા હતા. તેમનો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધ છે. તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાંક પ્રચારકોના દોરીસંચાર સાથે મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. એનડીએ સરકારના ભૂતપૂર્વ મંત્રી દિલીપસિંહ જુદૈવનો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ગાઢ સંબંધ છે. પરંતુ છત્તીસગઢના નેતાએ કેમેરા પર લાંચ સ્વીકારતા શાયર બનીને કહ્યુ હતુ કે પૈસા ખુદા તો નહીં, લેકિન ખુદા સે કમ ભી નહીં. તેમના સંદર્ભે હજી કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે.

આ સિવાય આર્થિક જોડતોડ માટે પંકાયેલા દિવંગત પ્રમોદ મહાજન પર પણ ઘણી બધી બાબતોમાં આર્થિક સમજૂતી અને વિચારધારાત્મક રીતે સમજૂતી કરાઈ હોવાના આક્ષેપો થતા રહ્યા છે. પ્રમોદ મહાજન પર લગ્નેતર સંબંધો બાબતે પણ તેમની અંગત જિંદગીમાં આક્ષેપો થયા છે. પ્રમોદ મહાજન સંઘના પ્રચારક હતા અને તૃતિય વર્ષ શિક્ષિત હતા. એનડીએ હેઠળ બનેલી અટલ બિહારી વાજપેયીની ફીલગુડ સરકાર પ્રમોદ મહાજનના ઈશારે નાચતી હતી અને શાઈનિંગ ઈન્ડિયા કેમ્પેઈન પણ પ્રમોદ મહાજનના મગજની પેદાશ હતી. સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વર્ગસ્થ દતોપંતજી ઠેગડીએ આ એનડીએ સરકારને તેની આર્થિક નીતિઓને લઈને ક્રિમિનલ ગવર્નમેન્ટ અને તત્કાલિન નાણાં મંત્રી યશવંત સિંહાને ક્રિમિનલ ફાઈનાન્સ મિનિસ્ટર કહ્યા હતા. એનડીએના શાસનકાળમાં પણ દીનદયાળજીની વિચારધારા પ્રમાણે અંત્યોદય થયો નહીં કે ગાંધીજીની વિચારધારા પ્રમાણે સર્વોદય થયો નહીં, પરંતુ ઉદ્યોગપતિઓની, ઉદ્યોગપતિઓ દ્વારા ચલાવાયેલી અને ઉદ્યોગપતિઓ માટેની સરકારે અમીરોદયનો નવો યુગ શરૂ કરી દીધો અને આજે પણ આ અમીરોદય ભારતમાં પુરજોરમાં ચાલુ છે. ભારતની 70 ટકા સંપત્તિ દેશના 8200 વ્યક્તિઓ પાસે કેન્દ્રીત છે, આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. દેશમાં 42 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે અને કુલ 70 ટકા લોકો ગરીબ કહી શકાય તેવી શ્રેણીમાં આવી રહ્યા છે. પરંતુ ભારતની સંસદ અને તેના રાજ્યોની ધારાસભાઓમાં ગરીબના માપદંડ પર ખરો ઉતરતો અમુક અપવાદોને બાદ કરતા કોઈ સાંસદ કે ધારાસભ્ય નથી. આ રાજકીય પ્રવાહને સંઘના એકથી તૃતિય વર્ષ શિક્ષિત સ્વયંસેવકો બદલી શકયા નથી. કારણ કે આ સ્વયંસેવકોને ગરીબોની ચિંતા કરતા ઉદ્યોગપતિઓની ચિંતા વધારે હોય છે. તેઓ ગરીબોના કલ્યાણનું નહીં, પણ અમીરોના ઘર ભરવાનું વધારે વિચારે છે.

આ સિવાય વિચારધારાત્મક સ્તરે પણ સંઘ દ્વારા વ્યક્તિત્વ નિર્માણ પામેલા સ્વયંસેવકો ટાંચા સિદ્ધ થયા છે. અરે, ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીના ગૃહ નગર નાગપુરમાં મહાનગરપાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપે કટ્ટરવાદી મુસ્લિમ રાજકીય પાર્ટી મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી પ્રમાણે, મુસ્લિમ લીગના બે સભ્યોને નાગપુર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યા છે. મુસ્લિમ લીગની રાજકીય વિચારધારા બિલકુલ કોમવાદી છે, પાકિસ્તાનના નિર્માણ માટે મુસ્લિમ લીગના પુરોગામી મહંમદ અલી જિન્નાહની કોમવાદી ભૂમિકા કોઈનાથી પણ અજાણી નથી. પરંતુ અહીં આશ્ચર્યની વાત એ છે કે જે ભાજપને કેમોથેરપી કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા તેવા નીતિન ગડકરીની મુસ્લિમ લીગ સાથે સત્તાની ભાગબટાઈ કરવામાં ઘણી મોટી ભૂમિકા છે. ત્યારે સવાલ એ છે કે ગડકરી ભાજપને કેમોથેરપી આપે છે કે હિંદુત્વથી તરબદતર રહેલા સંઘને કટ્ટરવાદી મુસ્લિમ રાજકીય પાર્ટી સાથે ઘૂંટણિયા ટેકવા માટેની કેમોથેરપી આપી રહ્યા છે. શું મુસ્લિમ લીગ સાથે ભાજપને બેસાડીને ગડકરીએ તેને હિંદુત્વવાદી રહેવા દીધું છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાં નમૂના વિચારધારાત્મક સ્તરે નપાવાટ અને નપાણિયા સાબિત થયા છે, તેની તો લાંબી વણઝાર છે. તેમાં સૌથી મોટું નામ ભાજપના સૌથી મોટા હિંદુત્વવાદી ચહેરા લાલકૃષ્ણ કિશનચંદ અડવાણી છે. અડવાણી રામજન્મભૂમિ મુક્તિ આંદોલનના સૌથી મોટા સેનાપતિ રહ્યા છે. તેમણે રામરથ યાત્રા કાઢી અને બાબરી ઢાંચાને હટાવા સુધી હિંદુઓમાં ખૂબ મોટી જાગૃતિ પેદા કરી હતી. પરંતુ અડવાણીને વડાપ્રધાન બનવાની ખંજવાળ ઉપડી એટલે તેમણે હિંદુત્વવાદી ચહેરાને ફેંકી દીધો. પરંતુ તેનાથી આઘાતજનક વાત એ છે કે તેમણે જે રસ્તો અપનાવ્યો તે સૌથી વધારે ધૃણાસ્પદ રહ્યો છે. અડવાણી 2005માં પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે જાહેર કર્યું કે પાકિસ્તાનના સંસ્થાપક, ભારતના વિભાજન માટે જવાબદાર મહંમદ અલી જિન્નાહ સેક્યુલર હતા. તેમણે પાકિસ્તાનમાં જ કહ્યુ કે ભારતમાં બાબરી ઢાંચો તૂટયો તે તેમના જીવનનો સૌથી દુ:ખદ દિવસ હતો. તેમને ત્યારે પોતાના પરિવારે કરાચી છોડયું હતું,તે દિવસ બિલકુલ યાદ આવ્યો નહીં. આ સિવાય તેઓ ભારતના પહેલા એવા રાજકારણી બન્યા કે જેમણે જિન્નાહની મજાર પર જઈને માથું ટેકવ્યું.

અડવાણી જેવું જ બીજું મોટું નામ કલ્યાણસિંહનું હતું. બાબરી ઢાંચો તૂટયો તે વખતે તેઓ યૂપીના મુખ્યમંત્રી હતા. તેમણે રામજન્મભૂમિ આંદોલનમાં ઘણી મોટી ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમ છતાં તેમણે 1989માં અયોધ્યામાં કારસેવકોને ગોળીઓ ધરબી દેનારા મુલાયમ સિંહ સાથે હાથ મિલાવ્યો હતો. અત્યારે કલ્યાણસિંહ ભાજપમાં નથી.

ગુજરાતની વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા બહુ મોટું ઉદાહરણ છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો કર્યો અને અલગ પાર્ટી બનાવી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પછી પાર્ટી વિખેરીને કોંગ્રેસમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ સંઘ, જનસંઘ અને ભાજપમાં કુલ મળીને 28 વર્ષ કામ કર્યું હતું. એટલે કે 28 વર્ષ સુધી કોંગ્રેસને ગાળો આપનારા શંકરસિંહ વાઘેલા અત્યારે 2012માં કોંગ્રેસની ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. તેઓ પણ સંઘના ખૂબ સંનિષ્ઠ અને શિસ્તબદ્ધ સ્વયંસેવક ગણાતા હતા.

સૌથી વધારે આશ્ચર્ય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું છે. તેમનાથી દેશને અને દેશના લોકોને વિચારધારાત્મક રીતે ઘણી મોટી આશા છે. પરંતુ તેમણે ગુજરાતમાં વિચારધારાત્મક પ્રયોગો કોરાણે મૂકીને નવા પ્રયોગો શરૂ કર્યા છે. તેમણે કુલ 33 સ્થાનો પર સદભાવના મિશનના પ્રયોગો કર્યા છે. તેમની લાલસા આ સદભાવના મિશનના પ્રયોગો થકી સેક્યુલર બનીને દિલ્હીની વડાપ્રધાનની ગાદી અંકે કરવાની નેમ છે. તેઓ હવે આખા દેશમાં સદભાવના પ્રયોગો કરવા માટે આતુર હોય તેવું લાગી રહ્યું છે. નરેન્દ્ર મોદી પર પણ દીનદયાલ ઉપાધ્યાયની એકાત્મ માનવવાદી વિચારધારા પ્રમાણે નહીં ચાલવા માટે ગણગણાટ સ્વરૂપે ટીકા થઈ રહી છે. તેમના રાજ્યમાં અંત્યોદયના બદલે અમીરોદય ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ગુજરાતના વિકાસ માટે એવું કહેવાય છે કે આ તો ચાર-પાંચ મુખ્યમંત્રી મોદીના માનીતા ઉદ્યોગપતિઓનો વિકાસ છે.

નરેન્દ્ર મોદીના પાર્ટીમાં સૌથી મોટા પ્રતિસ્પર્ધી સંજય જોશીની હાલત પણ બહુ સારી નથી. તેમના પર ચારિત્રિક આક્ષેપો અને સીડી પ્રકરણને કારણે તેમની કારકિર્દી પર પણ બ્રેક વાગી ગઈ હતી. જો કે તેમાથી તેઓને ક્લિનચિટ મળ્યા બાદ યૂપીમાં ચૂંટણી પ્રભારી તરીકે તેમને કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ તેમાં સારી રીતે સફળ થયા નથી. મહિલા હોવાથી સંઘમાં ન હતા, પરંતુ સંઘના ખૂબ નજીકના ગણાતા ઉમા ભારતીએ ભાજપમાં આવન-જાવન કરીને પોતાની સંગઠન પ્રત્યેની અસ્થિરતાને વારંવાર ઉજાગર કરી છે. જેને કારણે ક્યારેક વાજપેયી પછી ભાજપમાં સૌથી મોટા માસ લીડર ગણાતા ઉમા ભારતીનું રાજકીય કદ હાલ ખૂબ નાનું થઈ જવા પામ્યું છે. તેમને પણ યૂપીની ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ચૂંટણીના પરિણામોએ તેમની તરફેણ કરી નથી.

ભારતીય જનસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ બલરાજ મધોકને અટલ બિહારી વાજપેયી સાથેના ગજગ્રાહને કારણે પાર્ટી છોડવી પડી હતી. તો અટલ બિહારી વાજપેયીની વિચારધારાત્મક અડગતા પર ઘણાં સંઘ-ભાજપની અંદરના અને બહારના લોકોએ શંકા વ્યક્ત સમયસમય પર શંકા વ્યક્ત કરી હતી. બલરાજ મધોકે દીનદયાલ ઉપાધ્યાયના મૃત્યુ વખતે અટલ બિહારી વાજપેયી અને નાનાજી દેશમુખ સંદર્ભે કેટલીક આશંકાઓ વ્યક્ત કરી હતી. બલરાજ મધોક અટલ બિહારી વાજપેયીને હંમેશા જનસંઘના નેહરુ કહેતા હતા. એટલે આમની હિંદુત્વની વિચારધારા વિશે વાત કરી શકાય તેમ નથી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ હોનારતો અને 1962ના યુદ્ધમાં ખૂબ કામમાં આવ્યા. 1962ના યુદ્ધમાં ચીન સામે ભારતીય સેનાને રસદ પહોંચાડવાનું કામ સંઘના સ્વયંસેવકોએ ખૂબ દિલેરીથી કર્યું હતું. તેને કારણે દિલ્હી 1963માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં આમંત્રિત કર્યા હતા. તો વિભાજન વખતે હિંદુ-શીખોની લાશો એકઠી કરવાના કામમાં, હિંદુ-શીખોની રાહત છાવણીઓમાં દેખરેખ રાખવા, મચ્છુ હોનારત, લાતુર ભૂકંપ, કચ્છ ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી હોનારતોમાં મડદાં ઉંચકવાના કામમાં સંઘના સ્વયંસેવકો ખૂબ નામના ધરાવે છે. પરંતુ દેશની કમબખ્તી છે કે સંઘના સ્વયંસેવકો મડદાં ઉંચકવામાં જેટલી નામના ધરાવે છે, જેટલી પ્રામાણિકતા મડદાં ઉંચકવામાં દાખવે છે, તેટલી નામના અને પ્રામાણિકતા તેઓ રાજનીતિમાં દાખવી શક્યા નથી.

આમા વાંક કોનો છે, ભારતીય સમાજનો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વ્યક્તિ નિર્માણના મિશનનો? શું ભારતીય સમાજના સદીઓથી રાજનીતિ પ્રત્યે ઉપેક્ષાપૂર્ણ વ્યવહારથી સંઘનું વ્યક્તિત્વ નિર્માણ તેમાં હંમેશા ઉતરતું સાબિત થાય છે? સંઘની વિચારધારા પ્રમાણે રાજનીતિનું સ્થાન ઘરમાં રહેલા સંડાસ જેવું છે. જેમાં કોઈને જવું ગમે નહીં, પણ જવું પડે. આટલી ઉપેક્ષા અને આટલી નફરત રાજનીતિ પ્રત્યે સંઘ શા માટે ધરાવે છે? શું સમાજના અન્ય ક્ષેત્રોમાં સફળ થઈ રહેલા સંઘના સ્વયંસેવકો રાજનીતિમાં નિષ્ફળ જઈ રહ્યા છે તેની પાછળ સંઘનો રાજનીતિ માટેનો નફરત ભરેલો અભિગમ છે? વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના સંઘના મિશનમાં તેમણે રાજનીતિનો સહારો તો લેવો જ પડશે. રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં રાજનીતિનો ઘણો મોટો ફાળો રહેલો છે. વળી નિર્માણ પામેલા રાષ્ટ્રને ટકાવા માટે પણ રાજનીતિનું યોગદાન ખૂબ મોટું રહેવાનું છે. ત્યારે આવી સ્થિતિમાં રાજનીતિ પ્રત્યે સકારાત્મક અભિગમ પણ ઘણું મોટું પરિવર્તન આણિ શકે છે.






રવિવાર, 4 માર્ચ, 2012

નાગપુરમાં ભાજપનું મુસ્લિમ લીગ સાથે જોડાણ, ગડકરીની સંઘને કેમોથેરાપી


gadkari's chemotherapy to rss bjp and muslim leage coalation in nagpur corporation

આરએસએસના સરસંઘચાલકે ભાજપને કેમોથેરપી આપવા માટે નીતિન ગડકરીને પાર્ટીના અધ્યક્ષ તરીકે આગળ કર્યા. પરંતુ પરિસ્થિતિ એવી આવી રહી છે કે નીતિન ગડકરી સંઘને કેમોથેરપી આપી રહ્યા હોય...!! પોતાની રાષ્ટ્રવાદી નીતિ અને દ્રષ્ટિકોણનો ઢોલ પીટી રહેલા સંઘના મુખ્યમથક નાગપુર ખાતે મહાનગરપાલિકામાં સત્તા લેવા માટે ભાજપે મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોનો સાથ લીધો છે.

વળી આમા મોટી વાત એ છે કે ભાજપે પોતાના લગભગ બે દાયકા જૂના સાથીપક્ષ શિવસેનાના 6 કોર્પોરેટરોના સાથને દરકિનાર કર્યો છે. સંઘના મુખ્યમથક નાગપુરની 145 સભ્યોવાળી નગરપાલિકામાં ભાજપને 62 બેઠકો મળી છે. રાજકારણમાં સત્તાકારણ ચલાવી રહેલા ગડકરીએ શિવસેનાને દરકિનાર કરીને 10 અપક્ષ અને મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોનો સાથ મેળવીને 74ની સંખ્યા મેળવી નાગપુર નગરપાલિકા પર સત્તાની દાવેદારી નોંધાવી દીધી છે.

આમ તો સંઘના મુખ્યમથક નાગપુરમાં જ તેની રાજકીય પાંખ ગણાતા ભાજપનું જોર ધીમું રહ્યું છે. અહીંના 18 લાખ વોટરોમાં સાડા ચાર લાખ દલિત અને ચાર લાખ મુસ્લિમ વોટરો છે. એટલે કે કુલ સાડા આઠ લાખ વોટરો મહદ અંશે ભાજપ વિરુદ્ધ વોટિંગ કરે છે. જેને કારણે નાગપુરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપનો દેખાવ ઘણો નિરાશાજનક રહે છે. પરંતુ પ્રત્યક્ષ રીતે રાજનીતિમાં નહીં એવો સંઘ ભાજપમાં સ્વયંસેવકો મોકલીને રાજનીતિ કરે છે, તે કોઈનાથી છૂપું નથી.

1998માં એનડીએના નેજા નીચે સત્તાના રસચટકા ભરવા દિલ્હી પહોંચેલા સંઘના સ્વયંસેવકોએ ધીમેધીમે કરીને 2004 બાદ સંઘને ભાવ આપવાનું બંધ કરી દીધું. તેથી 2009માં સરસંઘચાલક પદે આસિન થતાંની સાથે જ સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપની કેમોથેરપીની વાત કરી. તે વખતે ચર્ચા હતી કે ભાજપ ફરીથી હિંદુત્વના રાષ્ટ્રવાદી મુદ્દાઓને હાથ પર લેશે. પરંતુ એક પછી એક વિચારધારાના ધરાતલ પર રાજકીય સમાધાનો નીતિન ગડકરીએ શરૂ કર્યા છે.

ગડકરીએ ઝારખંડમાં ભ્રષ્ટાચાર અને હત્યાના કેસમાં સપડાયેલા શિબૂ સોરેન સાથે સમજૂતી કરીને શરમજનક સ્થિતિમાં સરકાર બનાવી છે. તેની પાછળ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંઘની શીર્ષસ્થ નેતાગીરીને એવી રીતે વિશ્વાસમાં લેવામાં આવી છે કે ઝારખંડ આદિવાસી ક્ષેત્ર છે અને ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ ધર્માંતરણનું કામ કરી રહી છે અને નક્સલવાદી પ્રવૃતિઓને પણ ટેકો આપી રહી છે. તેથી જો ઝારખંડમાં ભાજપ સત્તામાં હશે તો તેને પર અંકુશ મૂકીને પરિસ્થિતિ વણસવા નહીં દેવામાં સફળતા પ્રાપ્ત થશે.

ઉત્તર પ્રદેશમાં પણ નીતિન ગડકરીએ પહેલા ભાજપમાંથી કાઢી મૂકાયેલા ઉમા ભારતીને પાર્ટી તરફથી ચૂંટણી પ્રચારના પ્રભારી બનાવ્યા અને સીડીકાંડમાંથી બેઈજ્જત બરી થયેલા નરેન્દ્ર મોદીના રાજકીય પ્રતિસ્પર્ધી સંજય જોશીને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવીને ગડકરીએ કદાચ સંઘના દોરીસંચાર નીચે જ મોદીને કદ પ્રમાણે વેતરવાનો તખ્તો તૈયાર કર્યો છે. માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ સારો રહેશે, તો સંજય જોશીને ભાજપમાં સંઘના ફૂલ-ટાઈમર માટે અનામત એવી સૌથી ઉંચા રાષ્ટ્રીય મહાસચિવના પદે ગોઠવી દેવામાં આવશે.

બીજી તરફ માયાવતી સરકારમાં રહીને એનએચઆરએમ કૌભાંડમાં શંકાના દાયરામાં આવનારા ભૂતપૂર્વ મંત્રી બાબુસિંહ કુશવાહાને ભાજપમાં લેવાના એપિસોડમાં પણ ગડકરીની ભૂમિકા પર ભારે હોબાળો મચ્યો હતો. જો કે ગડકરીએ સ્પષ્ટીકરણના ટોનમાં કુશવાહાના માધ્યમથી ઓબીસી કાર્ડ ખેલવાની રણનીતિ યૂપીના નેતાઓને સમજાવાની કોશિશ કરી હતી. પરંતુ યોગી આદિત્યનાથ અને મેનકા ગાંધીના પુરજોર વિરોધને કારણે કુશવાહાએ ભાજપમાં પોતાનું સભ્યપદ સ્થગિત રાખવાની નીતિન ગડકરીને વિનંતી કરીને મામલો થાળે પાડવાની કોશિશ કરી.

હવે થોડા સમય પહેલા સમાચાર ચમક્યા હતા કે ડીસેમ્બરમાં ભાજપ અધ્યક્ષ તરીકે નીતિન ગડકરીની ટર્મ પૂર્ણ થઈ રહી છે. તેવા સંજોગોમાં ભાજપના નવા અધ્યક્ષની શોધખોળ તેજ બની છે. પરંતુ સંઘ નીતિન ગડકરીના કામથી ખુશ હોવાથી 2014ની ચૂંટણી તેમના અધ્યક્ષ પદ હેઠળ લડવામાં આવે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે.

પરંતુ નીતિન ગડકરીની નબળી બાજુ એ રહેલી છે કે સંઘે ભાજપ પર પોતાની સર્વોપરીતા સિદ્ધ કરવા માટે એવા વ્યક્તિને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે કે જેઓ વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકતા નથી. તેની પાછળનો હેતુ સ્વયંસેવકોના માધ્યમથી રાજનીતિ કરી રહેલા સંઘનું તેની લાઈનની બહાર ગયેલા સ્વયંસેવકોને ઠેકાણે લાવવાનો હતો. ત્યારે એવી ચર્ચા છે કે ગડકરી દ્વારા ભાજપની રાજનીતિ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા ધડા માટે ગડકરીનું કદ વધે તે ઘણું જરૂરી છે. આ ત્યારે શક્ય બને કે નીતિન ગડકરી જ્યારે નાગપુરથી લોકસભાની ચૂંટણી જીતી લે. ચર્ચા એવી પણ છે કે ભાજપના પાંચ-છ વડાપ્રધાન પદના મુરતિયાંમાં છાને ખૂણે નીતિન ગડકરીની પણ ગણતરી થઈ રહી છે. તેવામાં તેઓ જો લોકસભાની ચૂંટણી જીતે તો તેમનું રાજકીય કદ વધે અને દિલ્હીના રાજકારણમાં તેમને માન્યતા પણ મળે.

નાગપુરમાં મહાનગરપાલિકામાં મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોને સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાની શરતે સમજૂતી કરનારા ગડકરીએ આખી શતરંજની બાજી એવી રીતે બિછાવી છે કે જેનાથી સંઘ પરિવારની અંદર પહેલો સંકેત એ જાય કે સંઘના વિચારને નાગપુરમાં જ્યાં સુધી માન્યતા મળશે નહીં, ત્યાં સુધી દેશનો રસ્તો પાર કરવો સપનાથી આગળનો કિસ્સો નથી. તેથી મુસ્લિમ લીગના કોર્પોરેટરોના ટેકા પર આરએસએસની અંદર સવાલ ઉઠે તે પહેલા સરસંઘચાલક મોહન ભાગવતે તેના સંદર્ભે ચુપકીદી સેવવાના સંકેતો આપી દીધા છે.

નાગપુરમાં સંઘના મુખ્યમથકના ઈશારે જેમણે જિન્નાની કબર પર માથું ટેકવીને તેમને સેક્યુલર કહેવાના કસૂર બદલ લાલકૃષ્ણ અડવાણીને પાર્ટી અધ્યક્ષ પદેથી ખસેડવાની કવાયત કરી હતી, તેઓ પણ ગડકરીના આ પગલાં સંદર્ભે કદમતાલ કરી શક્યા નથી. કારણ કે અડવાણીને જિન્નાહ એપિસોડમાં ભારે પડનારા સંજય જોશી અત્યારે નીતિન ગડકરીના પડખામાં બેઠા છે. જો કે સ્વયંસેવકોમાં ચર્ચા છે કે જિન્નાહની કબરે માથું ટેકવનારા લોકોનો કોઈ ભરોસો નથી, તેઓ મુસ્લિમ લીગ સાથે ગઠબંધન ન કરત તો પણ નવાઈ લાગે. કદાચ 2014માં નાગપુર જેવી પરિસ્થિતિ કેન્દ્રમાં પેદા થાય તો તેવા સંજોગોમાં પણ ભાજપ પોતાના જૂના હિંદુત્વવાદી સાથી શિવસેનાને દરકિનાર કરીને મુસ્લિમ લીગ સાથે બેસવામાં શરમ અનુભવે નહીં.

જો કે સંઘ કાર્યકર્તાઓના રોષ સિવાય યા તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખુદને પરિવર્તિત કરી ચુક્યું છે અથવા ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ ચૂંટણીની શતરંજમાં સત્તા માટે સંઘની વિચારધારાને દરકિનાકર કરી નાખી છે. જે પણ કંઈ હોય પરંતુ આરએસએસના ગઢ નાગપુરમાં જ મહાનગરપાલિકામાં ભાજપની સત્તા થકી પોતાનું વર્ચસ્વ સિદ્ધ કરવા ગડકરીએ જે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે, તેનાથી કોંગ્રેસ સુદ્ધાંની હવા નીકળી ગઈ છે. ત્યારે હવે એ દિવસો પણ દૂર નથી કે ભાજપ અને મુસ્લિમ લીગ એકસાથે ઉભા રહી શકે છે અને સંઘની વિચારધારા જ નહીં સંઘના સ્વયંસેવકોની જમાત સાથે મુસ્લિમ લીગ અથવા મુસ્લિમ લીગી માનસિકતાવાળા વ્યક્તિઓ અને સંગઠનો પણ સત્તામાં એકસાથે ભાગીદારી કરી શકે છે. ત્યારે સવાલ એ છે કે સત્તા પર પહોંચવા માટે હિંદુત્વનો સહારો લઈને શું ભાજપને અત્યાર સુધી રામમંદિરના નામે ઉધામા કરીને સ્યૂડો હિંદુત્વનું રાજકારણ ખેલ્યું? હવે જ્યારે હિંદુત્વના મુદ્દાઓ સુષુપ્ત થઈ ગયા છે, જ્યારે સેક્યુલારિઝમના નામે મુસ્લિમ લીગીઓ સાથે જોડાણ કરવા સુધીનું રાજકારણ ખેલીને શું ભાજપ પોતાનું વૈચારીક ધરાતલ ગુમાવી રહ્યું હોવાનું મનાય છે.

રવિવાર, 17 જુલાઈ, 2011

આતંકી હુમલામાં દિગ્વિજયનું હલકટ રાજકારણ


ભારતીય રાજકારણમાં હાલ વોટબેંકની રાજનીતિમાં નીચતાની પરાકાષ્ઠાને પામનારા એક જ નેતા છે, દિગ્વિજય સિંહ. દિગ્વિજય સિંહની રાજનીતિ સ્પષ્ટ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનોને બદનામ કરીને, પાયાવિહોણા આક્ષેપો મૂકીને દેશની સૌથી મોટી લઘુમતી ગણાતા મુસ્લિમોને ખુશ કરીને વોટબેંક અંકે કરવી. મધ્ય પ્રદેશમાં હિંદુત્વના મોજા નીચે ઉમા ભારતીના નેતૃત્વમાં દિગ્વિજય સિંહને 10 વર્ષના શાસન બાદ વનવાસ મળ્યો છે. આ વનવાસને તેઓ પચાવી શક્યા નથી, તેના કારણે તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામથી લવારી ઉપડે છે. આ લવારી પહેલા તો કોઈના ધ્યાનમાં આવતી ન હતી. પરંતુ ધીમે ધીમે કોંગ્રેસ હાઈકમાન્ડ અને સોનિયા ગાંધીની મૂક સંમતિથી દિગ્વિજય સિંહે હિંદુ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ જે નિવેદનબાજી કરી છે, તેનાથી હકીકતે દેશને નુકસાન પહોંચી રહ્યું છે.

તાજેતરમાં મુંબઈમાં થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ દિગ્વિજય સિંહે કહ્યું કે આ બોમ્બ વિસ્ફોટોની તપાસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા હિંદુ સંગઠનોને આવરી લેવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તેમની પાસે આરએસએસની વિરુદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ હોવાના પુરાવા છે. તેઓ પુરાવા એનઆઈએને આપવા માટે તૈયાર છે. જો કે તેમણે કહ્યું કે તાજેતરના મુંબઈ વિસ્ફોટોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંડોવણી હોવાના તેમની પાસે કોઈ પુરાવા નથી.

દિગ્વિજય સિંહ આટલેથી અટકે તો તેમનું નામ બોળાય, તેમણે ઉજ્જૈનમાં એક સભા દરમિયાન કહ્યું કે તેઓ પહેલેથી જ કહેતા રહ્યાં છે કે દેશમાં આરએસએસ આતંક ફેલાવવાના કામમાં સક્રિય છે અને તેમની પાસે બોમ્બ બનાવવાના કારખાના છે. સાથે જ તેમમે ફરી એકવાર એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે મુંબઈમાં થયેલા તાજા આતંકવાદી હુમલાની તપાસમાં હિંદુ સંગઠનોને પણ લાવવામાં આવે. દિગ્વિજય સિંહ મુંબઈ હુમલા બાદ હવે મુંબઈ વિસ્ફોટો પર નીચ રાજકારણ ખેલી રહ્યાં છે. આતંકવાદી ઘટનાઓમાં આરએસએસની સંડોવણી હોવાની વાત કરીને દિગ્વિજય સિંહ એક કાંકરે ઘણાં પંખીડાઓને ભોય ભેગા કરવા માંગે છે. ઉત્તર પ્રદેશમાં 2012માં ચૂંટણીઓ આવી રહી છે. યુપીના 18 ટકા મુસ્લિમ મતો પર દિગ્વિજયની ગીધ દ્રષ્ટિ છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ડર બતાવીને, તેમના પર આક્ષેપ કરીને યુપી વિધાનસભામાં કોંગ્રેસના ભાગે મુસ્લિમ વોટબેંક થકી વધુમાં વધુ બેઠકો કબજે કરવાની દિગ્વિજયની મનસા છે.

આ સિવાય આરએસએસ ભારતીય રાજનીતિમાં કોંગ્રેસની સામેના ધ્રુવનો ઉદગમ સ્ત્રોત છે. ભારતીય રાજનીતિમાં આરએસએસ દ્વારા ઉભા થયેલા રાજકીય પડકારને સમાપ્ત કરવા માટે દિગ્વિજય સિંહ સતત પ્રયત્નશીલ છે. તેના કારણે તેઓ કોઈ નક્કર પુરાવા વગર આરએસએસ પર આક્રમક આક્ષેપો કરીને તેને બદનામ કરવાની કોશિશ કરી રહ્યાં છે. આરએસએસને પોતાના આક્ષેપોથી તેઓ સંરક્ષણાત્મક અવસ્થામાં લાવીને 2014માં પોતાના યુવરાજ રાહુલ ગાંધીનો રસ્તો વિઘ્ન વગરનો કરવા માંગે છે. આ સિવાય ભગવો આતંકવાદ દેશ માટે પડકાર હોવાની વાત કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ ઓન રેકોર્ડ બોલ્યા છે. તેના કારણે તપાસ એજન્સીઓ અને સુરક્ષાદળો પર પરોક્ષ રીતે તે દિશામાં નિશાન ફેરવવાનું દબાણ પણ છે. તેવામાં કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહના કોંગ્રેસ હાઈકમાન્ડની મૂક સંમતિથી બોલાયેલા નિવેદનથી તપાસની દિશા બદલાય કે તેમાં ગુંચવાડો ઉભો થાય તેવી પ્રબળ સંભાવના છે.

વળી 15 ઓગસ્ટથી અણ્ણા હજારેએ લોકપાલ બિલ માટે અનશનની જાહેરાત પણ કરી છે. લોકોના ભ્રષ્ટાચાર અને લોકપાલ મુદ્દે મતને પારખતા દિગ્વિજય સિંહ હાલ જનતાનું ધ્યાન બીજી તરફ દોરવા માગતા હોવાનું સ્પષ્ટપણે લાગે છે. કારણ કે મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં આરએસએસની સંડોવણીની તપાસ કરવા સંદર્ભેનું સ્ફોટક નિવેદન આપીને તેઓ ભ્રષ્ટાચાર અને લોકપાલ મુદ્દે લડવા માટે તૈયાર થયેલી જનતાને વિખેરવા રાજકીય ગરમાવો ઉભો કરવા માંગે છે. દિગ્વિજય, સિંહની નહીં પણ લુચ્ચા શિયાળવાની નીતિ અખત્યાર કરીને દેશમાં સંકુચિત અને સમાજના તાણા-વાણાને નુકસાન કરનારી રાજનીતિ ખેલી રહ્યાં છે.

તેમની આ ટેવ ઘણી જૂની છે. 2007માં દિગ્વિજય સિંહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌથી પહેલા હિંદુ આતંકવાદની તદ્દન પાયાવિહોણી વાતનો લવારો મતદારો સામે કર્યો હતો. દિગ્વિજય આટલેથી અટક્યા નથી. તેમણે દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ સંગઠનો આતંક ફેલાવી રહ્યાં હોવાની વાત અનેક વખત કહી છે. માલેગાંવ, મોડાસા, અજમેર, મક્કા મસ્જિદ, સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ જેવાં કેસોમાં કેટલાંક હિંદુઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ સામે કેસ ચાલી રહ્યાં છે. કોર્ટ તેની સામેના પુરાવા થકી અને દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ થકી હજું કોઈ ચોક્કસ નિષ્કર્ષ તરફ પહોંચી નથી. ત્યારે દિગ્વિજય સિંહ કોર્ટ બહાર ટ્રાયલ ચલાવી રહ્યાં છે અને હિંદુ આતંકવાદનો લવારો કરી રહ્યાં છે. તેમણે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને એક કરતાં વધારે વખત માટે નાઝીવાદી અને હીટલર ગણાવ્યું છે. તેમણે દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ પોલીસ અધિકારી મોહન શર્માનું અપમાન કરવાની હિંમત કરીને ઘણાં સવાલો ઉભા કર્યા છે. જો કે દિલ્હી સરકારે આ એન્કાઉન્ટર અસલી હોવાની વાત કરી છે. જ્યારે બટલા એન્કાઉન્ટરને નકલી ગણાવીને દિગ્વિજય સિંહ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓના શહેર ઉત્તર પ્રદેશના આઝમ ગઢની ઘણી વખત મુલાકાત લીધી છે. તેમણે આજમગઢની મુલાકાતે રાહુલ ગાંધીને પણ તૈયાર કરીને મોકલ્યા હતા.

આ સિવાય હદ તો ત્યારે થાય છે કે જ્યારે 26/11ના મુંબઈ હુમલામાં માર્યા ગયેલા તત્કાલિન એટીએસ ચીફ હેમંત કરકરેના મૃત્યુ સંદર્ભે વિવાદ ઉભો કરીને દિગ્વિજય ખાસા સમાચારમાં રહ્યાં હતા. તેમણે દાવો કર્યો હતો કે હેમંત કરકરેએ મુંબઈ હુમલાના દિવસે તેમને ફોન પર જણાવ્યું હતું કે પોતાના જીવને હિંદુવાદી સંગઠનોથી જોખમ છે. દિગ્વિજય સિંહે માલેગાંવ વિસ્ફોટોમાં સાધ્વી પ્રજ્ઞા સિંહની અને અન્ય હિંદુઓની ધરપકડ કરવા બદલ હેમંત કરકરેને મુસ્લિમો માટે ખુદા સમાન ગણાવ્યા હતા.

આટલી હલકટ અને ગંદી રાજનીતિ રમનારા દિગ્વિજય સિંહે વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને તેના મૃત્યુ વખતે સંબોધનમાં ઓસામાજી કહીને બોલાવ્યો હતો. જ્યારે ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરીને વિદેશમાં રહેલા અઢળક કાળા ધનને દેશમાં પાછું લાવવાની મુહિમ ચલાવનારા હિંદુ સન્યાસી બાબા રામદેવને મહાઠગ ગણાવ્યા હતા. ત્યારે સવાલ એ છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પાસે બોમ્બ બનાવવાની ફેકટરીઓ હોવાની વાતના આધાર માટે દિગ્વિજય સિંહ દેશહિતમાં શા માટે પુરાવા રજૂ કરતાં નથી? એનઆઈએ દિગ્વિજય સિંહ પાસે આરએસએસ વિરુદ્ધના પુરાવા શા માટે માગતું નથી? બીજું દેશની દરેક વિપત્તિ વખતે દેશવાસીઓ સાથે સેવાના કાર્યોમાં ખભેખભો મિલાવીને કામ કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે અલગ વિચારધારા માત્રથી ધૃણા શા માટે કરવામાં આવે છે? આ દેશના સૌથી સેક્યુલર વડાપ્રધાન ગણાયેલા જવાહરલાલ નેહરુએ 1962ના ચીન સામેના યુદ્ધમાં આરએસએસે કરેલી દેશસેવા બદલ 26 જાન્યુઆરી, 1963ના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીની પરેડમાં સંઘને આમંત્રણ આપ્યું હતું. ત્યારે દિગ્વિજય સિંહે જવાબ આપવો જોઈએ કે સૌથી સેક્યુલર ગણાતા જવાહરલાલ નેહરુને દેશભક્ત લાગેલું આરએસએસ તેમને કેવી રીતે આતંકવાદી લાગે છે?

શુક્રવાર, 27 મે, 2011

ગાંધી સ્મરણ: બાપુથી મોટો હિંદુ કોણ?

રેંટિયા બારસના અવસરે ગાંધી સ્મરણ કરી લઈએ. ગાંધીની જન્મતિથિ પર મહાત્માના વ્યક્તિત્વ પર એક નજર માંડવી ઘટે. કારણ કે આજકાલ અયોધ્યાના ચુકાદા બાદ ફરી એક વખત રામ, રામમંદિર અને રામરાજ્ય પર ચર્ચાઓ થવા માંડી છે. અયોધ્યા પર ચુકાદો આવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તે મહાત્મા ગાંધીના રામરાજ્યના સપનાંને પૂર્ણ કરનારી તક દેખાય છે, તો અડવાણીને તેમની રથયાત્રા પર ખુદને નિર્દોષ ગણવાનું કારણ મળી ગયું છે. કટિયાર વડાપ્રધાન સમક્ષ સંસદમાં રામમંદિર નિર્માણ અર્થે વિધેયક લાવવાની માગણી કરી રહ્યાં છે. લોકોના હ્રદયમાં આસ્થારૂપ રામ હવે રાજકારણમાં ચર્ચામાં છે, રામમંદિર ચર્ચામાં છે, રામરાજ્ય હવે ચર્ચામાં છે.

પરંતુ રામ અને રામરાજ્યને ગાંધીની નજરે જોવાની જરૂર છે. જે માણસે જીવનના છેલ્લા શ્વાસ સુધી રામનો સાથ છોડયો નથી. તે માણસની કલ્પનાઓ સાકાર કરવાની તક 63 વર્ષથી મળી છે, પણ હજી સુધી આ તકને કોઈએ પૂર્ણ કરવાનું બીડું ઉઠાવ્યું નથી. 63 વર્ષ બાદ હવે કોઈ કહી શકે તેમ નથી કે માત્ર અમુક જ પાર્ટી કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તાસ્થાને હતી કે છે. પ્રજાએ કોંગ્રેસ સિવાયની પાર્ટીઓને કેન્દ્રમાં અને રાજ્યોમાં તક આપી છે. ગુજરાતમાં જ વાત કરીએ તો કોંગ્રેસ 1989થી વિપક્ષમાં છે. છતાં કોઈ રામરાજ્ય સ્થપાયું હોવાનો દાવો કરી શકે તેમ નથી. તેની ઘણી દુખતી રગો છે, તેના પણ અત્યારે હાથ મુકવો નથી.

પણ વાત કરવી છે, ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતાં એક હિંદુની. ગાંધીનું વ્યક્તિત્વ નખશીખ હિંદુ હોવા સંદર્ભે ભાગલાવાદી ઝીણાને ક્યારેય શંકા ન હતી. ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતા હિંદુપણાંને ઝીણાએ ભાગલા માટે મોટું હથિયાર બનાવ્યું હતું. તેમ છતાં ગાંધીએ પોતાના હિંદુપણાંને છોડયું ન હતું. આ હિંદુપણું કોઈ કોમવાદ પ્રેરિત ન હતું. પણ તેમાં સંપૂર્ણ સમાજના કલ્યાણની આકાંક્ષા પ્રગટ થતી હતી. તેમણે તેના માટે પોતાનું જીવન ઘસી નાખ્યું. દેશની દરિદ્રતા જોયા પછી દરિદ્રમાં નારાયણના દર્શન કર્યા. તેના માટે તેમણે પૂર્ણ કપડાં પહેરવાના છોડી દીધા અને એક ત્યાગી સંતની માફક માત્ર પોતડી પહેરીને જીવનનો ઉતરાર્ધ કાઢવાનું નક્કી કર્યું. આ સંતવૃતિએ તેમને મહાત્માનો દરજ્જો આપ્યો. ગાંધીજીએ પોતાના જીવનકાર્યને ચલાવવા માટે કોઈ કાર્યાલય ખોલ્યું ન હતું. પરંતુ તેમણે આશ્રમ શરૂ કર્યો હતો, તેને પછી તમે ગાંધી આશ્રમ કહો કે સાબરમતી આશ્રમ કહો. પોતાના જીવનમાં સાદગીને અપનાવી તે પણ તેમની હિંદુ જીવન પદ્ધતિ દ્વારા સાંપડેલી વૃતિનું જ પરિણામ હતી.

ગાંધીજીનું કોઈ પણ કાર્ય, કોઈપણ સિંદ્ધાંત જોઈ લેવામાં આવે તો તેમાંથી હિંદુપણું છલકતું દેખાય. આ હિંદુપણાંને કોઈ કોમવાદ કે કટ્ટરતાની ગાળ આપી શકે તેમ ન નથી. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહીંસાને સૌથી વધારે મહત્વ આપ્યું છે. સત્યને હિંદુ ધર્મે શિવનું સ્વરૂપ ગણ્યું છે. જ્યારે અહીંસાને ઉપનિષદો અને પુરાણોમાં અહીંસા પરમો ધર્મના અર્થમાં વ્યાખ્યાયિત કર્યો છે. ગાંધીજી સત્યનો આગ્રહ રાખતાં પણ તેના માટે કોઈ હિંસાનો સહારો લેવાની સખત વિરુદ્ધ હતા.

ગાંધીજી અભય, અસ્તેય અને બ્રહ્મચર્યને પણ એટલું જ મહત્વ આપતાં હતા. વૈષ્ણવજન તો તેને રે કહીએ...નરસિંહ મહેતાના આ ભજન પ્રમાણેનું જીવન ગાંધીજી મરણ સુધી જીવી ગયા. ગાંધીજીએ પોતાના જીવનમાં વિનયને પણ સૌથી વધારે સ્થાન આપ્યું. અંગ્રેજી સરકારનો વિરોધ કરવા માટે કાનૂનભંગની ચળવળ ચલાવી પણ તે પણ સવિનય સાથે. એટલે તો તેને નામ મળ્યું સવિનય કાનૂન ભંગની ચળવળ. તેમણે મીઠાંના કાયદાને તોડવા માટે દાંડીયાત્રા કરી અને યાત્રા કોઈ તીર્થસ્થાનની થાય. ગાંધીએ મીઠાના કાળા કાયદાને તોડવા માટે દાંડીની યાત્રા કરી હતી. જેની આજે પણ સો વર્ષ પછી તેની નકલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સવાલ એ છે કે ભૂતકાળની યાત્રાની નકલ કરવાથી શું મળશે? તેના માટે તો વર્તમાનની કોઈ સમસ્યાને દાંડીયાત્રાની પ્રેરણાથી ઉકેલવામાં આવશે, તો દાંડીયાત્રાની યાદ તાજી થશે.

ગાંધીજીએ સર્વજન સુખાય સર્વજન હિતાય એવા રામરાજ્યની કલ્પના કરી હતી. તેમણે તેમની કલ્પનાના રામરાજ્યમાં કોઈ વ્યક્તિ દુખી ન હોય, કોઈ વ્યક્તિ ભૂખ્યો ન સુવે, કોઈ વ્યક્તિ સમસ્યાઓથી ગ્રસિત ન હોય, તેવી કલ્પના કરી હતી. શું રામમંદિરનું નિર્માણ થઈ જવા માત્રથી ગાંધીની કલ્પનાનું રામરાજ્ય સ્થપાય જવાનું છે? જો માત્ર રામમંદિર નિર્માણ ગાંધીના સપનાનું રામરાજ્ય સાકાર કરવાની તક હશે, તો અત્યારે તો લાગે છે કે આ તક આપણે 1984, 1992 અને 2002માં ચુકી ગયા છીએ.

જ્યારે 15મી ઓગસ્ટે, 1947એ આઝાદી મળી અને દિલ્હીમાં સરકારના ગઠન કવાયત અને સત્તાની ભાગબટાઈ થઈ રહી હતી. ત્યારે આ મહત્મા નિર્દોષ લોકોના જીવ બચાવા માટે નોઆખલીમાં ઉપવાસ કરી રહ્યો હતો. ગાંધીએ વિરોધનું જે શસ્ત્ર અપનાવ્યું હતું તેમાં એક ઉપવાસ પણ હતો. ઉપવાસનું પણ હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. પણ આજના નેતાઓ તો ઉપવાસના નામે નાટક કરે છે. ઉપવાસ પર ઉતરેલા નેતાઓ પોતાની આજુબાજુ તામજામ કરીને એસી સાથે માંડ એક દિવસના ઉપવાસ કરી શકે છે. જ્યારે આધ્યાત્મિક શક્તિથી તરબતર ગાંધીજીએ આવા ઉપવાસો જીવનના અંતકાળ સુધી ચાલુ રાખ્યા હતા.

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેએ ગાંધીજીને ત્રણ ગોળીઓ ધરબી દીધી તે સ્થળ પ્રાર્થનાસભાનું હતું. ગાંધીજી રોજ સાંજે પાંચ કલાકે લોકોને સંબોધતાં તેના માટે જે સ્વયં આયોજન થઈ જતું તે કોઈ જાહેરસભા ન હતી રહેતી પણ તે પ્રાર્થનાસભા રહેતી. ગાંધીજી તેમની હત્યાના દિવસ સિવાય ક્યારેય પ્રાર્થનાસભામાં મોડા પડયા ન હતા. ગાંધીજી પોતાની પ્રાર્થના સભામાં રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવડાવતા. તે કોઈ માત્ર ભક્તિથી પ્રેરિત નહીં હોય. તેનો હેતુ પ્રભુ શ્રીરામના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારી તેનું અનુસરણ થાય અને મન સદા રામમાં રમણ કરે, તેવો તેમનો હેતુ હશે. ભગવાન રામમાં રમણ કરનારા મહાત્મા ગાંધીના મન એટલું બધું રામમય હતું કે તેમણે નથુરામ ગોડસેની ગોળીઓ ખાધા પછી પણ ‘હે રામ’ કહ્યું હતું. જીવનની કોઈપણ સમસ્યાનું સમાધાન મહાત્મા ગાંધી શ્રીમદ્ ભગવત ગીતામાંથી શોધતા હતા. તેમણે કહ્યું પણ હતું કે તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ ગીતામાંથી મળી રહે છે. આજનો ક્યો રાજકારણી ગાંધીની જેમ ગીતાને વાંચતો હશે.

પોતાને હિંદુત્વના ઝંડાદારો, હિંદુ હ્રદયસમ્રાટો ગણાવતા અને ગણાતાં લોકોમાંથી કેટલાં લોકોના વ્યક્તિમાં ગાંધીજી જેટલું હિંદુપણું વહેતુ દેખાય છે? વળી ગાંધીવાદની વાતો કરનારા ગાંધીવાદી લોકોએ પણ સમજવું જોઈએ કે ગાંધીજીના વ્યક્તિત્વમાંથી હિંદુપણાંને કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ બચતું નથી. આ ગાંધીજીને રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘના વર્ગમાં સંબોધન માટે જવાનો પણ કોઈ છોછ ન હતો. તેમણે વર્ધામાં આરએસએસના વર્ગની મુલાકાત પણ લીધી હતી. ગાંધીજીની હત્યા વખતે આરએસએસ પર તેમની હત્યાનો આરોપ લાગ્યો હતો. જો કે ત્યાર બાદ આરએસએસને દોષમુક્ત કરવામાં આવ્યું હતું. પણ આજે આરએસએસના પ્રાત: સ્મરણ શ્લોકમાં મહાત્મા ગાંધીને દેવ કહીને તેમનું સ્મરણ કરવામાં આવે છે. પણ એટલું તો સ્પષ્ટ છે કે ગાંધીના સ્મરણથી તેમના અનુસરણ સુધી આગળ તો વધવું પડશે ને?

ભારતમાં રામરાજ્યની સ્થાપના માટે ગાંધીને કોઈ વાદ કે કોઈ મુદ્દામાં જકડવાનું બંધ કરીને તેમના આચાર-વિચારને, તેમના જીવન સંદેશનું અનુસરણ કરવું વધારે જરૂરી છે. આપણે ગાંધીના હિંદુપણાને તેમના સર્વધર્મ સમભાવ, અહિંસા, સત્ય, અસ્તેય, અભયથી કેવી રીતે અલગ કરીને જોઈ શકીશું? અને આવા જીવનમૂલ્યોની ગેરહાજરી ખરેખર હિંદુપણું છે, તે ખરેખર હિંદુત્વ છે?

વાચક મિત્રો આ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? આપ અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મમાં મોકલી શકો છો...આપના અભિપ્રાયો આવકાર્ય છે.

મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2009

સંઘ મુસ્લિમ વિરોધી નહીં, ભારતવિરોધીઓનો વિરોધી છે........


કોઈપણ વિચાર કે વિચારધારા પ્રત્યે તેને તેની સમગ્રતામાં વિચાર્યા વગર જ અસહિષ્ણુતા દાખવીને તેના માટે નિવેદનો કરવા કે લખાણ લખવું, તેનાથી મોટી સહિષ્ણુતાની ભાવનાની હત્યા અન્ય કંઈપણ નથી. કેટલાંક ચિંતકોના આરએસએસ માટે અલગ પ્રકારના મત અને દ્રષ્ટિકોણ છે.” આરએસએસ તમામ મુસ્લિમોને એક થીજેલું બીબું કે પછી અખંડ ખડક રૂપ માને છે. આરએસએસને તેની સંકુચિત અને હઠીલી માનસિકતામાંથી મુક્ત કરવા માટે ગોર્બોચોફની જરૂર છે.”- એવી રીતના નિવેદનો સાથે લેખ પણ છપાય છે. પણ આરએસએસ માટે આવા પ્રકારના લેખો કે વાતો નવી નથી. દુનિયામાં વિચારધારા પેદા થાય તે પહેલા તેને મારી નાખવાની ચેષ્ટા બહુ ઓછી થાય છે. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વરૂપે શરૂ થયેલા એક આંદોલનને તેના પ્રારંભકાળથી મૃત્યુશૈયા પર સુવડાવી દેવાની ચેષ્ટા અનેક મોટા નેતાઓ અને ચિંતકો દ્વારા થઈ છે, પણ આજે 83 વર્ષ બાદ પણ આ વિચારધારા મરવાનું તો બાજુ પર રહ્યું, પણ આજે પોતાના દમ પર હિંદુ સમાજને સંગઠિત કરીને અડીખમ ઉભી છે. 1925ની વિજ્યાદશમીના દિવસે નાગપુરમાં ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર દ્વારા રાષ્ટ્ર આરાધન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના સંગઠનનું બીજારોપણ કરવામાં આવ્યું હતું. તેની સ્થાપના સાથે જ કહેવાતા મોટામોટા વિચારકો, ચિંતકો, નેતાઓ અને સમાજના અગ્રગણ્ય સ્વનામધન્ય વ્યક્તિઓએ તેને ભારે અન્યાય કર્યો છે. કોઈપણ વિચાર કે વિચારધારાને તેની સમગ્રતામાં સમજ્યા વગર કરવામાં આવતા હુમલા કેવા હોય, તે આરએસએસ સાથે કરતા કહેવાતા બૈધ્ધિકોના વ્યવહારથી ધ્યાનમાં આવે છે. આ એક એવું સંગઠન છે કે જે તેના ઉદેશ્ય માટે વિચારબધ્ધ થતાં પહેલા સંગઠનબધ્ધ બન્યું હતું. 33 વર્ષ સુધી સરસંઘચાલક પદે રહેલા આરએસએસના દ્વિતિય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરે સંઘની વિચારધારાને વિચારબધ્ધ કરી હતી. જો કે સંઘને થોડુ-ઘણું જાણવાનો મોકો મળ્યો તે પરથી લાગે છે કે આરએસએસ સામે કરવામાં આવતી ટીકાઓને સંઘ સહન કરતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ તે આ પ્રકારે ચિંતકો અને લેખકોની ટીકા-ટીપ્પણીઓને આવકારશે કારણ કે આરએસએસના અત્યાર સુધીના નેતાઓના વલણ દર્શાવે છે કે તેમનામાં ચિંતનાત્મક સહિષ્ણુતા હંમેશા રહી છે અને આગળ પણ રહેશે.

આરએસએસ માટે થતી અનેક ટીકાઓમાંથી એક ટીકા તે મુસ્લિમ વિરોધી હોવાની છે. પણ આરએસએસની વિચારધારાને તપાસતા કે તેના સમગ્રતાથી સંપૂર્ણ વિચાર કરતાં તે કોઈના વિરોધ પર કે ધૃણા પર વિકસિત થયેલી છે કે કેમ? આ વિચારધારા સર્વપંથસમાવેશક છે કે કેમ? તેનો અભ્યાસ કરવો જરૂરી બને છે. એમ.એસ ગોલવલકરે આરએસએસની વિચારધારાને લીપિબધ્ધ કરવા માટે અનેક વક્તવ્યો, બંચ ઓફ થોટ્સ નામનું પુસ્તક, અનેક લેખો અને પત્રકારો તથા અન્ય મહાનુભાવો સાથે કરેલી વાતચીત દ્વારા તમામ દર્શનને સ્પષ્ટતા, નિડરતા અને અસંદિગ્ધાપૂર્વક સમગ્ર દેશ અને સમાજ સામે મૂક્યું છે. આ વિચારોની સમગ્રતાનું સંપૂર્ણપણે ચિંતન કરીને તેને પચાવનારા લોકો માટે તે કોઈ ફાસિસ્ટ, મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી કે અન્ય કોઈપણ બાબતનું વિરોધી નથી. એવા અસંખ્ય લોકો અને સ્વયંસેવકો છે કે જેમના માટે ગોલવલકરના વિચારો પૂર્ણત્ રાષ્ટ્રીય વિચારો છે.

આ વિચારો સંદર્ભે ચર્ચા કરતાં પહેલા એક ગંભીર ચેતવણી કે રાષ્ટ્રપ્રેમી વિચારો અને દ્રષ્ટિકોણ, રાષ્ટ્રને અને તેના હિતને નુકસાન પહોંચાડનારા રાષ્ટ્રવિરોધી તત્વો માટે અનુકૂળ નથી. માટે તેમણે તેમની પક્ષપાતી દ્રષ્ટિ સહિત તેનાથી દૂર રહેવું હિતાવહ છે. તેમ છતાં તેનો અર્થ એ બિલકુલ નથી કે તે કોઈના વિરુધ્ધમાં કે કોઈ પ્રતિક્રિયામાંથી પેદા થયા છે. એમ. એસ ગોલવલકરે મધરલેન્ડના સંપાદક સાથેની વાતચીતમાં એકતા માટે સમરસતાની આવશ્યકતા હોવાનું જણાવતા કહ્યું છે કે "ભારતમાં સદૈવ અગણિત વિવિધતાઓ રહી છે, તેમ છતાં આપણું રાષ્ટ્ર ઘણાં લાંબા સમય સુધી અત્યંત સમર્થ અને સંગઠિત રહ્યું છે. એકતા માટે એકરૂપતા નહીં, પણ સમરસતાની જરૂર છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-107) તેમના મત પ્રમાણે, જ્યાં સુધી અલગ અસ્તિત્વ રાષ્ટ્રભક્તિની ભાવનાથી દૂર થવાનું કારણ ન બને, ત્યાં સુધી કોઈ વર્ગ, જાતિ કે સંપ્રદાય તેનું અસ્તિત્વ ટકાવી રાખે તેમાં જરાય વાંધો નથી. પોતાને ધર્મનિરપેક્ષ કહેવડાવનારા લોકો સુધ્ધા મુસલમાનોને અલગ જમાત માનીને ચાલે છે. તેમની મતબેંક બનાવવા માટે તેમને ખુશ કરવાની રીત અપનાવી છે. તુષ્ટિકરણ કરનારાઓ અને એકરૂપતા ઈચ્છનારાઓમાં કોઈ મૌલિક તફાવત નથી. બંને મુસલમાનોને અલગ અને મેળ વગરના ગણે છે. મુસ્લિમો આ દેશ અને તેની સંસ્કૃતિને પ્રેમ કરતાં હોય ત્યાં સુધી તેમની જીવનપધ્ધતિ પ્રમાણે ચાલે તે આવકાર્ય છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-108)

વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંહ સાથેની મુલાકાતમાં ગોલવલકરે હિંદુ અને મુસલમાનને સરખાં ગુનેગાર ગણાવીને જણાવ્યું હતું કે "ભારત અને પાકિસ્તાન પ્રત્યે મુસલમાનોની બેવડી નિષ્ઠા પ્રત્યેના કારણો ઐતિહાસિક હોવા પાછળ રંજ માત્ર પણ શંકા નથી. તેના માટે હિંદુ અને મુસલમાનો સરખા ગુનેગાર છે. ભાગલા બાદ તેમની ઉપર આવેલી મુસીબતો અને પેદા થયેલી અસલામતીની ભાવના પણ એક કારણ છે, તેમ છતાં કેટલાંક લોકોની ભૂલને કારણે સંપૂર્ણ સમાજને જવાબદાર ઠેરવી શકાય નહીં.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃ્ષ્ઠ ક્રમાંક-110) તેમણે સ્નેહથી મુસ્લિમોની નિષ્ઠા પર વિજય પ્રાપ્ત કરવાની નીતિને તેમની તરફની સાચી નીતિ ગણાવી છે. તેમણે મુસલમાનોને ભારતીયતાના પ્રવાહમાં ભળી જવા માટે આહવાન કર્યું છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-110) તેમના મતે, હિંદુ ધર્મની આસ્થા રહી છે કે દરેક જણ જે માર્ગે પ્રામાણિકતાથી ઈશ્વર ઉપાસના કરવા ઈચ્છે તે માર્ગથી ઈશ્ર્વર તેનો સ્વીકાર કરશે.તેથી ધર્મ કોઈ મુદ્દો નથી.ઝઘડો સ્વાર્થને કારણે છે.આપણી પરંપરા અનેક પંથ, અનેક ગ્રંથ અને અનેક નામ ધરાવે છે, તો બીજા સાથે કેવી રીતે એકતા નિર્માણ કરી શકીશું? પરંતુ આવી રીતે એકતા નિર્માણ કરવાના પ્રયત્નો કોઈ કરે તો, તેને સાંપ્રદાયિક ગણવામાં આવે છે. કોઈ પોતાની રાજકીય સંસ્થાનું અભિમાન રાખે તો, તે હીન નથી ગણાતો પણ કોઈ પાંચ હજાર વર્ષની પ્રાચીન સભ્યતાનું અભિમાન રાખે, તો તેને હીન ગણવામાં આવે છે.એવું અભિમાન કરવામાં બીજાનું અહિત થતું હોય, તો તે ત્યાજ્ય છે. પણ કોઈ કહે કે અમે હિંદુઓના હિતનું કામ કરવા માગીએ છીએ, તો એમાં ખોટું શું છે? (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-124) પાંચજન્યના તત્કાલિન તંત્રી સાથેની વાતચીતમાં ગોલવલકરે ઉપાસના પધ્ધતિ તરફ હિંદુત્વના અભિગમ સંદર્ભે જણાવ્યું હતું કે "હિંદુઓના આધ્યાત્મિક જીવનનો નિષ્કર્ષ છે કે ભગવાન સુધી પહોંચવાના અનેક માર્ગ છે,જે માર્ગ જેને પસંદ હોય તે જ એને માટે અનુકૂળ અને શ્રેષ્ઠ છે. તેથી હિંદુ સમાજે પોતાની અંતર્ગત અને બહાર પણ મનચાહી રીતે ઉપાસના કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે, ભવિષ્યમાં પણ આપશે.”.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-100)

ન્યૂયોર્ક ટાઈમ્સના સંવાદદાતા લુક્સ સાથેની વાતચીતમાં ગોલવલકરે હિંદુ-મુસ્લિમને બે વિરોધી જૂથ તરીકે જોવામાં આવે છે, તેને જ મુશ્કેલી ગણાવી હતી. તેમણે કહ્યું છે કે "છેલ્લા દોઢસો વર્ષથી એવો સિધ્ધાંત નિર્માણ કરવામાં આવ્યો છે કે તેઓ એક બનીને રહી શકે તેમ નથી. પણ મને વિશ્ર્વાસ છે કે અમે ખૂબ સારી રીતે સાથે રહી શકીએ તેમ છીએ. ઉપરોક્ત અશુધ્ધ વિચાર આપણે છોડવો પડશે અને આપણે સૌ એક જ રાજ્યના નાગરિકો છીએ એવા શુધ્ધ અને સરળ દ્રષ્ટિકોણને અપનાવવો પડશે. કોઈને કોઈ વિશિષ્ટ સગવડો નહીં મળે, તે વૈચારિક દ્રષ્ટિ અપનાવવામાં આવે તો કોઈ મુશ્કેલી નહીં નડે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-86,87) તેમણે સંઘ ઈસ્લામ વિરોધી ન હોવાનું જણાવતા કહ્યું છે કે "અમે ઈસ્લામ પંથના વિરોધી નથી. હિંદુ ખૂબ ઉદાર છે. તેમનામાં વૈદિક અને અવૈદિક વગેરે સૌને માટે સ્થાન છે. અમારો વિરોધ આ દેશના મુસલમાનોની મનોવૃતિ સામે છે. કોઈ ત્રીજું પરિબળ સામે ન આવ્યું હોત તો અમે બહુ સારી રીતે આ સમસ્યાને ઉકેલી હોત.અન્ય પંથોની જેમ જ મુસલમાનો પણ હિંદુ ધર્મમાં એવું જ સ્થાન પ્રાપ્ત કરી શકે છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-87) બિનહિંદુઓ પ્રત્યે ધૃણાના આક્ષેપોને નકારતા ગોલવલકરે કહ્યું છે કે "આ તો સૌથી કમનસીબ આક્ષેપ છે. આ પ્રશ્નના જવાબમાં એટલું જ કહેવું પૂરતુ છે કે અમે આપણી ઉજ્જવળ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માગીએ છીએ. જેમાં તલભાર પણ ધૃણા નથી. અમે કોઈપણ જનસમુદાયની ધૃણા કરતાં નથી.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-4) તેમણે ધૃણાને નકારાત્મક પ્રતિક્રિયા ગણાવીને કહ્યું છે કે "શત્રુ અને તેના ધૃણાજનક કામનો સતત વિચાર કરવાથી આપણા લોકો અને સંસ્કૃતિ પ્રત્યેનો હકારાત્મક સ્નેહ નષ્ટ થાય તો સ્વાભાવિક છે. તેથી જ આપણા લોકો દેશભક્તિના નામે બ્રિટિશ વિરોધી કે મુસ્લિમ વિરોધી બની રહ્યાં છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-18) પાકિસ્તાન સંદર્ભે ગોલવલકરે કહ્યં છે કે "પાકિસ્તાનના અસ્તિત્વનો આધાર જ ભારત પ્રત્યેની ધૃણા છે. તેથી પાકિસ્તાન માટે ધૃણા અનિવાર્ય છે. તે સિવાય તેનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-25) ગોલવલકરના મતે દેશ અખંડ બનશે તો મુસલમાનોની સમસ્યા ઉકેલાશે. તેમના કહ્યું છે કે " વિભાજન તર્કહીન છે. તે ખતમ થવું જોઈએ. તેનાથી મુસલમાનોની સમસ્યા ઉકેલાશે. ભાગલાથી આ સમસ્યા ઉકલી નથી, ઊલટી વધારે તીવ્ર બની છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-25)

હિંદુ શબ્દ સંદર્ભે ગોલવલકરે કહ્યું છે કે "હિંદુ શબ્દ સાંપ્રદાયવાચક નથી. તેમ છતાં ઘણું ખરું લોકો હિંદુ રિલિજ્યન શબ્દ વાપરે છે, જે ખોટો શબ્દપ્રયોગ છે. હિંદુ રાષ્ટ્રીયતાનો બોધ કરે છે. આપણી માતૃભૂમિ પ્રત્યે અસંદિગ્ધ, નિષ્કપટ ભક્તિને પ્રાથમિકતા અપાય છે. આપણા અતિ પ્રાચીન ઈતિહાસ પ્રત્યે શ્રધ્ધાનો સ્વાભાવિક અર્થ આપણા પૂર્વજો પ્રત્યે શ્રધ્ધા થાય છે. એક સુરક્ષિત વૈભવયુક્ત રાષ્ટ્રીયજીવનની સમાન આંકાક્ષા, જેમાં ઉપાસનાપધ્ધતિ ક્યાંય આડી આવતી નથી. આ બાબતોનો સંપુટ હિંદુ રાષ્ટ્ર છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-58) તેમણે મુસ્લિમોની અલગ રાષ્ટ્રીયતાને નકારી છે. તેમણે કહ્યું છે કે "દેશના મુસ્લિમો કોઈ વિશિષ્ટ ઉપાસના પધ્ધતિ અંગિકાર કરવા માત્રથી જ પોતાના પૂર્વજોથી અલગ શી રીતે થઈ જાય છે? પોતાની ભાષાનું જ્ઞાન ભૂલી જવાની જરૂર શા માટે માને છે? વિદેશી ભાષા અને લીપિ અપનાવવાનો દુરાગ્રહ શા માટે રાખે છે? આ સંદર્ભે તર્ક શુધ્ધ્ અભિગમ અપનાવવાથી કોઈ સમસ્યા રહેશે નહીં. અસંખ્ય મતમતાંતરો છતાં આજે પણ આપણે એક રાષ્ટ્ર છીએ. રાષ્ટ્રીયતાની આ પુરાતન ધારા આજે પણ અવિરત વહી રહી છે. આ રાષ્ટ્રીયતા જ છે. તેમના મતે રાજકીય ક્ષેત્રમાં જે પંથનિરપેક્ષતાનો ઉદઘોષ થઈ રહ્યો છે, તેનો અર્થ ધર્મનો વિરોધ નહીં પણ તમામ ધર્મો પ્રત્યે આદર અને સન્માનની ભાવના ધરાવવી છે. આ હિંદુતાની સંકલ્પના છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-59) તેમણે બિનહિંદુઓ માટે કહ્યું છે કે "તેમણે પણ હિંદુઓની જેમ જ આ દેશ, તેમા વસતા લોકો, સંસ્કૃતિ, પરંપરા, ઈતિહાસ-ભૂતકાળની સ્મૃતિઓ ભવિષ્યની આંકાક્ષાઓ પ્રત્યે પોતીકાપણાની ભાવનાનો અનુભવ કરવો જોઈએ. આટલું કર્યા બાદ કોઈ કહે કે તેણે કુરાન કે બાઈબલનું ઝીણવટથી અધ્યયન કર્યું છે અને તેના હ્રદયને ઝંકૃત કરે છે, તો તેને અનુસરવાનું પગલું આવકાર્ય હશે. વ્યક્તિગત જીવનમાં તેને આ બાબતે પૂર્ણ અધિકાર છે. બાકીની તમામ બાબતોમાં તેણે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહની સાથે રહેવું જોઈએ.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ-59,60)ગોલવલકરના મત પ્રમાણે, રાષ્ટ્રીય ચેતનાનો અભાવ અને પરિણામે અલગતાવાદની વૃધ્ધિ રાષ્ટ્રીય બીમારી છે. ગોલવલકરના મત પ્રમાણે, અન્યો પર આક્રમણ કર્યા વગર પોતાના ધર્મનું પાલન કરે તે હિંદુ છે.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-68) મુસલમાનોને સંદેશ આપતા ગોલવલકરે કહ્યું છે કે "તેઓ આ દેશના છે અને તેમની નસોમાં એક જ રક્ત વહી રહ્યું છે. તેઓ ન તો અરબી છે, ન તો તુર્કી છેકે ન તો મોગલ છે. જેમનો ધર્મ બદલાયો છે. તેવા મુસલમાનો પણ ભારતીય છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-69)

હિંદુસ્થાન હિંદુઓનું એ નારા સંદર્ભે ગોલવલકરે કહ્યું છે કે "હિંદુઓ માટે હિંદુસ્થાનને બાદ કરતાં વિશ્વમાં અન્ય ક્યો દેશ છે? આ વાત સાચી નથી ?તેથી અમે એટલું જ કહીએ છીએ કે હિંદુસ્થાન હિંદુઓનું છે. હિંદુસ્થાન માત્ર હિંદુઓનું છે, તેમ કહેનારા લોકો બીજા છે”.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-7) જો કે સંઘની ઈસ્લામ સંદર્ભે અને રાષ્ટ્રીય સંસ્કૃતિ પ્રત્યે સ્પષ્ટતા કરતાં ગોલવલકરે કહ્યું છે કે "એક સંપ્રદાય તરીકે ઈસ્લામનો સંઘમાં સમુચિત આદર થાય, પણ આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિને બદલે ઈસ્લામી કે અન્ય કોઈ સંસ્કૃતિ કે પરંપરા સ્થાપવા માટે સંઘ કદાપિ તૈયાર નહીં થાય.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.-179) દૈનિક નવકાલના સંપાદક સાથે વાતચીતમાં ગોલવલકરે કહ્યું છે કે "લઘુમતી માટેના અધિકાર અને વિશેષાધિકારની દ્રષ્ટિથી ઈન્ટીગ્રેશનનો વિચાર ડિસઈન્ટીગ્રેશન માગી લેવા બરાબર છે. પ્રત્યેક જમાત, વર્ગ કે પ્રદેશની વિશેષતા ટકાવી રાખવાની વાત એટલી જ ઘાતક છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-95) તેમણે ડૉ.સૈફુદ્દીન જિલાની સાથેની વાતચીતમાં કહ્યું છે કે "અન્ય લોકોની જેમ જ તેમની યોગ્ય માગણીઓને પૂરી કરવી જોઈએ. તેમ છતાં મનમાં આવે ત્યારે વિભિન્ન પ્રકારની સુવિધાઓ અને વિશેષાધિકારોની માગણીઓને કરતાં રહેવું ન્યોયોચિત નથી.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-103) તેમણે ભારતીયકરણ સંદર્ભે કહ્યું છે કે "ભારતમાં વસતી પ્રત્યેક વ્યક્તિ પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય ,ઈસાઈ હોય કે પછી બીજી જાતિની હોય-પોતાના દેશ ભારતને વફાદાર રહેવું જોઈએ. તેઓ પોતાની પધ્ધતિ મુજબ ભગવાનની પ્રાપ્તિ માટે જે કરતાં હોય, તેમા આપણે સહકાર આપીશું. પણ રાષ્ટ્રવિરોધી બાબતો દૂર કરવા માટે જ ભારતીયકરણનું સૂ્ત્ર અપનાવ્યું છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-138,139) દેશની કરુણ હાલતના ઉકેલ માટે ગોલવલકરે તમામ રાષ્ટ્રભક્ત પરિબળો અને તમામ રાષ્ટ્રવિરોધી તત્વોના ધ્રુવિકરણનો માર્ગ દર્શાવ્યો છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-12)
ગોલવલકરના મતે પચાસ પ્રકારના કાપડના ટુકડાઓને જોડી દેવાથી કાશ્મીરી શાલ નહીં, પણ ગોદડી જ બને છે. આ અલગતાની ભાવનાથી સંપૂર્ણરહિત અને સમરસ ઘટક અવયવો દ્વારા જ ભારતમાં એકાત્મતાની સુંદર શાલ પ્રાપ્ત થશે.(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.- 95) ગોલવલકરના મતે એકરૂપતા રાષ્ટ્રોના વિનાશનો સંકેત આપે છે. તેમણે કહ્યું છે કે "પ્રકૃતિ એકરૂપતાનો સ્વીકાર કરતી નથી. હું વિવિધ જીવનપધ્ધતિઓના સંરક્ષણની તરફેણ કરું છું. તેમ છતાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે વિવિધતાઓ રાષ્ટ્રીય એકતામાં સહાયક બને રાષ્ટ્રીય એકતામાં અવરોધક ન બને.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.-109) ગોલવલકરના વિચારો રાષ્ટ્રોતેજક છે. રાષ્ટ્રીયતા સામે અરાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભક્તો સામે રાષ્ટ્રવિરોધીઓ વચ્ચેના સંઘર્ષમાં રાષ્ટ્ર માટે વાંછનીય શક્તિઓનો વિજય થાય તેવી ઈચ્છા અને ભાવના સંઘની વિચારધારામાંથી પ્રતિબિંબિત થાય છે. આ બાબત ક્યાં તત્વોને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂંચે છે? અને કેમ ખૂંચે છે? કોના સ્થાપિત હિતો પાર પાડવામાં સંઘનો વિરોધ કરવાથી સહયોગ મળે છે? તે સંશોધનનો વિષય છે. માટે જ કોઈપણ વિચારધારા તેની સમગ્રતાને આધારે સંપૂર્ણતાના છાયામાં ચિંતન પામે તે યોગ્ય છે. વળી સામ્યવાદની વિચારધાર અને વ્યવસ્થાની સરખામણી સંઘ સાથે થઈ શકે તેમ નથી. એકરૂપતાના પાયા પરની સામ્યવાદી ઈમારતની પાયાની ઈંટો વિચારધારાના ભટકાવને કારણે હલબલી ઉઠી હતી. તેવામાં ગોર્બોચોફનો ઉદય રશિયાના સામ્યવાદી શાસનના અંત અને મહાકાયદેશના વિધટનનું કારણ બન્યું છે. જ્યારે હિંદુત્વના માનવતાવાદી સર્વસમાવેશક વિચારની પાયાની ઈંટો મજબૂતીથી ગોઠવાઈ છે કે જેથી તે વર્ષોના ભારે વૈચારિક ઝંઝાવાતોનો અડગતાથી સામનો કરવા માટે સક્ષમ છે.. જ્યાં સુધી આ પ્રકારની ક્ષમતાઓ હિંદુત્વની વિચારધારામાં નિહિત રહેશે, ત્યાં સુધી કોઈ ગોર્બોચોફની હિંદુત્વને જરૂર પડશે નહીં. કારણ કે હિંદુત્વની વિચારધારાને આત્મસાત કરીને ચાલી રહેલા સંઘને આવા કોઈ ઉધારના નેતાઓ કે તેના વિચારોની ક્યારેય જરૂર પડી નથી કે પડશે નહીં.

ઉંડા અંધારેથી પરમ તેજે-
"આપણે જેવું બનાવીએ તેવું જ આપણું ભવિષ્ય હશે. બધો આધાર આપણે શું ઈચ્છીએ છીએ અને કેટલો પ્રયત્ન કરીએ છીએ તેના પર છે-"શ્રીગુરુજી