Saturday, July 9, 2011

ગાંધી ચિંધ્યા માર્ગે માત્ર ક્રાંતિની હત્યા શક્ય!


ભારત એક એવો દેશ છે કે જ્યાંથી ક્રાંતિને દેશવટો મળ્યો છે. કારણ માત્ર એટલું છે કે ક્રાંતિની કિંમત ચુકવવામાં આનાકાની અને મોલભાવ થઈ રહ્યાં છે. આ દેશ પરિવર્તન નહીં, પરિવર્તનોની શ્રેણી ઈચ્છી રહ્યો છે, ચાતક પક્ષીની જેમ રાહ જોઈને બેઠો છે. પણ પરિવર્તનોની શ્રેણી લાવનાર ક્રાંતિને આમંત્રણ આપતા ડરે છે. ક્રાંતિ તો તેની કિંમત વસૂલશે, પછી તે કોઈપણ પ્રકારના બલિદાનો હોય-તન, મન, ધન. પણ આના માટે તૈયારી આજના ભારતની નથી. ક્રાંતિથી ડરનારાઓની ટોળીએ ક્રાંતિનો રસ્તો અહિંસા હોવાનું પ્રચારીત કર્યું છે. પરંતુ અહિંસાના કથિત રસ્તા પર ચાલીને ભારતે સત્તાની પદ્ધતિ નહીં, સત્તામાંના લોકોનું પરિવર્તન કરીને ક્રાંતિનો આભાસી સંતોષ માન્યો છે. ક્રાંતિમાં તો બલિદાનોની હેલી લગાવવી પડે છે. પરંતુ તેના માટે ભારતનો સમાજ સહેજ પણ તૈયાર નથી અને સામાજીક-રાજકીય નેતાગીરીનું સમાજને તૈયાર કરવા માટેનું કલેજું પણ નથી. ભારત વિદેશી આક્રમણખોરો સામે શસસ્ત્ર પ્રતિરોધ તો સદીઓથી કરતું રહ્યું છે. પરંતુ દરેક પ્રતિરોધ ક્રાંતિમાં પરિવર્તિત થતો નથી. ક્રાંતિ સમાજના સામુહિક ચિંતનથી બહાર આવેલા વિચારનો પરીપાક છે.

ભારત માટે સૌથી પહેલો નોંધાયેલો અનુભવ 1857નો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. આ સશસ્ત્ર ક્રાંતિએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસની બુનિયાદ હચમચાવી નાખી હતી. જો કે આ સંગ્રામ એક વિપ્લવ બનીને રહી ગયો, કારણ કે તેનાથી અંગ્રેજોની સત્તાથી મુક્તિ મળી શકી નહીં. બસ આ એક નિષ્ફળતાને વાગોળતા વાગોળતા નેતાગીરીએ સશસ્ત્ર પ્રતિરોધ અને તેનાથી ક્રાંતિનો વિચાર માંડી વાળ્યો. જો કે તેમ છતાં વાસુદેવ બલવંત ફડકે, ચાફેકર બંધુઓ, ગદર પાર્ટી, પ્રફુલ્લ ચાકી, મદનલાલ ઢીંગરા, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજ સત્તા સામે પ્રતિરોધ કરીને ક્રાંતિની કોશિશ કરી જોઈ. વિનાયક દામોદર સાવરકરે ક્રાંતિ ધ્વજને બુલંદ બનાવવાની કોશિશ કરી અને ઘણાં ક્રાંતિકારીઓ તથા ક્રાંતિકારી આંદોલનના પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક બની રહ્યાં. જો કે ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે તેઓ પ્રારંભિક સમયમાં જ અંગ્રેજ સરકારની જેલમાં પહોંચી ગયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ ભારત બહાર જઈને સેના બનાવીને ભારતને આઝાદી અપાવવાની કોશિશ કરી હતી. તો ભારતના નૌસૈનિકોએ મુંબઈમાં બળવો કરીને ક્રાંતિની જ્વાળાઓ ભડકાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતમાં ક્રાંતિ અમલમાં આવી શકી નહીં. (જો કે રાષ્ટ્રવાદી લોકોએ ક્રાંતિની પૂજા બંધ કરી, તો દેશદ્રોહીઓ અને નક્સલવાદીઓએ ક્રાંતિના આંચળા નીચે દેશવિરોધી હિંસાનો ખેલ આચર્યો છે અને બધાં ખામોશ છે, ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે કોઈ ઉકેલ સુઝતો નથી. )

આઝાદી પહેલા ક્રાંતિની મશાલો ઉંચકનારા હાથ પર હથોડા મારવાનું કામ અહિંસાના પૂજારી ગણાતા મહાત્મા ગાંધી અને તેમની પાછળ આંધળાની જેમ ફરનારા તેમના અનુયાયીઓએ કર્યું. ક્રાંતિ હંમેશા ઝડપી, સ્પષ્ટ અને ઈચ્છીત પરિણામ આપે છે. છતાં આ રસ્તો અંગ્રેજોના હિતમાં અપનાવવામાં આવ્યો નહીં અને આ રસ્તે જનારા ક્રાંતિકારી દેશભક્તોને આતંકવાદી અને હિંસાના પૂજારી કહીને બદનામ કરવાની કોશિશો આઝાદી પહેલા થઈ હતી. જો કે અત્યારે પણ આવા ક્રાંતિકારીઓને આતંકવાદી કહેવાની ફેશન હજી સમાપ્ત થઈ નથી. ભારતના ગુલામી કાળમાં દુનિયાભરના દેશોમાં ક્રાંતિઓ થઈ. લોકોએ, જે-તે દેશના સમાજોએ ભેગા મળીને સશસ્ત્ર ક્રાંતિઓ કરી. અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, રશિયા, ચીન વગેરે દેશો તેના ઉદાહરણો છે. પણ ભારતમાં ક્રાંતિ જ્વાળાઓને બુઝાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે આ ક્રાંતિ જ્વાળાઓ બુઝાવવામાં ગાંધી અને તેમના આંધળા અનુયાયીઓને કોઈ સફળતા મળી ન હતી. (હા, એટલું સાચું છે કે ક્રાંતિ જ્વાળાઓની આગ ધીમી જરૂર પડી.)

સશસ્ત્ર ક્રાંતિમાં હિંસા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. હિંસાને ખોટી વસ્તુ ગણવામાં આવે છે. પરંતુ હિંસા શું હંમેશા ખોટી વસ્તુ હોય છે? રામ રાવણને મારે, કૃષ્ણ કંસને મારે, અર્જૂન કૌરવ સેનાને મારે, ભીમ દુર્યોધનને મારે, દુર્ગા મહિષાસુરને મારે- તો આવી હિંસાને કેવી રીતે ખોટી ગણવી? હિંસા હંમેશા નિંદનીય કેવી રીતે હોઈ શકે? પરંતુ હિંસા અને મોતના ભયથી ભારતની પ્રજાને આતંકીત કરવાનું કામ ગાંધી અને તેમની ટોળકીએ કર્યું. ક્રાંતિનો રસ્તો રોકી લેવાયો. પરંતુ અહિંસા છતાં ભારતની આઝાદીમાં સેંકડો લોકોના જીવ ગયા અને ભાગલા વખતે દશ લાખ લોકો મુસ્લિમ લીગ દ્વારા પલીતો ચપાયેલા હુલ્લડોમાં 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ થવા દેવામાં આવી હોત, તો આટલી મોટી સંખ્યામાં લોકોની નિર્મમ હત્યા થઈ ન હોત. કદાચ ભારતના ભાગલા પણ પડયા ન હોત!

દેશનું દુર્ભાગ્ય હતું કે સ્વાતંત્ર્યવીર સાવરકરને અંગ્રેજોએ બેવડી જન્મટીપ આપીને કાળાપાણીની સજાએ અંદમાનની સેલ્યુલર જેલમાં બંધ કરી દીધા હતા. તે ગાળા દરમિયાન ક્રાંતિકારી દળને સક્ષમ અને નિરંતર નેતૃત્વ મળ્યું ન હતું. તેમ છતાં ક્રાંતિકારીઓમાં સાવરકરના લેખો અને પુસ્તકો ઘણાં મોટા પ્રમાણમાં લોકપ્રિય બન્યા હતા. સાવરકરે જ જેલમાંથી બહાર નીકળ્યા બાદ હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેના માટે એક જ કારણ જવાબદાર હોઈ શકે કે તે વખતે ભારતનું રાજકારણ હિંદુ અને મુસ્લિમ ખેમામાં વહેંચાઈ ગયું હતું. ત્યારે ભારતને અખંડ રાખી શકે તેવી વિચારધારા સાવરકરને પસંદ કરવાની હતી. અંગ્રેજોની કઠપૂતળી બની ચુકેલી મુસ્લિમ લીગ અને તેની પાછળ ઉભેલા મુસ્લિમ સમાજને તુષ્ટિકરણની નીતિથી પોતાની તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર કોંગ્રેસને જવાબ આપવા માટે સાવરકરે હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હતું. હિંદુઓ કોંગ્રેસ અને ગાંધીજીને પોતાના બેલી માનતા હતા અને મુસ્લિમો મુસ્લિમ લીગ અને જિન્નાની દોરવણી નીચે અલગ પાકિસ્તાનની માગણી કરી રહ્યાં હતા. તો આ સમયે અંગ્રેજો પોતાના રાજકીય અને સામરીક હિતોને ધ્યાનમાં રાખીને તેને ઈંજન પુરું પાડતા હતા. આ પરિસ્થિતિમાં દેશના ભાગલા પડયા. આ દુષ્પરિણામ છે, ક્રાંતિને કેદ કરવાનું. ત્યાર પછીની દુર્ઘટનાઓની હારમાળાથી કોઈ અપરીચિત નથી. આ દુર્ઘટનાઓ ભારતની આઝાદીના છ દશકાઓ બાદ પણ ચાલુ છે.

ક્રાંતિથી ભાગવાની વૃતિએ ભારતીય નેતાગીરીના વિચારોને કુંઠિત કરી નાખ્યા છે. જેના કારણે તેઓ ભારતને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપી શકતા નથી. જો કે તેઓ ભારતને લૂંટવાની અંગ્રેજોની પરંપરા છેલ્લા 64 વર્ષથી ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે! ભ્રષ્ટાચાર, કાળું ધન, મોંઘવારી, આતંકવાદ, ખેડૂતોની ઉપેક્ષા, નક્સલવાદ, ગરીબી, બેરોજગારી, રાજકીય વિચારશૂન્યતા, અનૈતિકતા, ગુનાખોરી વગેરે સમસ્યાઓને સ્વહિત સાધન માટે ઉકેલી રહ્યાં નથી. શું ક્રાંતિનું સરનામું કમ્યુનિસ્ટ જ હોઈ શકે, શું ક્રાંતિ ઈસ્લામિક જ હોઈ શકે, શું ક્રાંતિ યુરોપીયન અને અમેરિકી જ કરી શકે? ક્રાંતિના રસ્તે હિંદુ કેમ ન ચાલી શકે? ભારતને મહાન બનાવવા માટે ક્રાંતિ હાલ અનિવાર્ય છે. પણ તેના માટે ક્રાંતિના નામે થઈ રહેલા તાયફાઓ અને અનશનના નાટકો ક્રાંતિ નથી, તેનાથી કોઈ પરિવર્તન થવાના નથી, માત્ર તાયફાના મુખ્ય કલાકારોને પ્રસિદ્ધિ મળવાની છે.

અન્ના નહીં, આંધી હૈ. આજ કા ગાંધી હૈ-ના સૂત્રો સાંભળીને તમને હસવું નથી આવતું? ભારતમાં ક્રાંતિની હત્યા કરવાનું પાપ જેના માથે છે, તે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને ધરણાં કરીને દેશ બદલવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને આંદોલનો કરીને દેશમાં માત્ર તાયફા, નાટકો અને સ્વહિતસાધના જ થઈ છે. જો ગાંધી ચિંધ્યા માર્ગે કંઈપણ થઈ શકે, તો તે ક્રાંતિની હત્યા થઈ શકે છે. ક્રાંતિને જીવિત કરવાની જો જરાપણ ઈચ્છા હોય, તો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિંધેલા માર્ગને પણ જોઈ લેવાની, તપાસી લેવાની અને અનુસરી લેવાની જરૂર છે. આજે દેશનું નૈતિક બળ ભ્રષ્ટ નેતાગીરીને કારણે રસાતળે પહોંચ્યું છે. ત્યારે ખરેખર દેશને જરૂર છે, ક્રાંતિ સાધકોની. પણ ક્રાંતિ ઘણી કઠોર હોય છે, પણ તેની કઠોરતાથી ડરીને તેનાથી ભાગવાની વૃતિ દેશનું ઘણું અહિત કરી રહી છે અને કરશે. સાવરકરનું ક્રાંતિ દર્શન હજીપણ સેલ્યુલર જેલમાં કાળાપાણીએ છે. આ ક્રાંતિના દર્શનને કાળાપાણીથી ફરી દેશની મુખ્યધારામાં લાવવું જોઈએ.

2 comments:

  1. khub sunder prayash..shubhechchha o...kirit ganatra, rajkot..

    ReplyDelete
  2. i love it. It is exctly my point. Please reply me here, i would like to be in touch.

    ReplyDelete