-ક્રાંતિવિચાર
ભારતમાં રાજનીતિથી ધૃણા કરતા કરતા રાજકારણ ખેલવાની અનોખી અને આગવી
ફેશન ચાલે છે. પોતે રાજનીતિમાં નહીં હોવાનું જણાવવા માટે લોકો દંભમાં જિંદગી ખર્ચી
નાખે છે. આ દંભ ભારતમાં ઘણી સદીઓથી. ગાંધીજી પણ પોતે રાજનીતિથી દૂર એવા મહાત્મા
હોવાનો ભ્રમ લોકોમાં ઉભો કરી શકયા. દેશ અત્યારે જે પણ જગ્યાએ પહોંચ્યો છે, તેના
માટે ગાંધીજી દ્વારા મહાત્મા બનીને ઉપેક્ષાપૂર્ણ રાજનીતિ કરવામાં આવી તે સૌથી
મોટું કારણ છે. ભારતને જ્યારે રાજનૈતિજ્ઞની જરૂર હતી, તો ભારતને મહાત્મા મળ્યા.
જ્યારે મહાત્માની જરૂર છે, ત્યારે પોણિયા રાજકારણીઓ મળ્યા. મહાત્મા ગાંધીની
પરંપરાને ભારતમાં આઝાદી પછી કમ સે કમ રાજનીતિના મામલામાં કોઈ અનુસરતું હોય તો તે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. જી હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ મહાત્મા હોવાનો
વહેમ છે, તેઓ પણ રાજનીતિ પ્રત્યે ઉદાસિનતા પૂર્ણ વલણ દાખવીને રાજકારણ ખેલી રહ્યા
છે. તેના પરિણામે આઝાદી પછી દેશમાં રાજનીતિની ઘણી મોટી દુર્દશા થઈ છે. સંઘનો
સ્વયંસેવક મડદાં ઉંચકવાના કામમાં જેટલી નામના મેળવે છે અને સફળ થાય છે, તેટલી
નામના અને સફળતા તેમને રાજનીતિના ક્ષેત્રમાં મળી નથી. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘે પણ પોતાના વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના વિષયમાં રાજનીતિ સાથેના
ઉપેક્ષાપૂર્ણ વ્યવહારથી ઉભી થયેલી ખામી પર આત્મમંથન કરવું જોઈએ.
ત્યારે કહેવું પડે કે ભાઈ ના આવડતું હોય તેવું કામ કરવું જોઈએ નહીં
અને કરવું જ પડે તો તેને પહેલા શીખી લેવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાને
સાંસ્કૃતિક સંગઠન ગણાવે છે. તેઓ કહે છે કે રાજકારણથી તેમને કોઈ લેવાદેવા નથી.
રાજનીતિ તેમના માટે જવા જેવી જગ્યા નથી. રાજનીતિમાં તેમના સ્વયંસેવકો જઈ શકે છે.
આમ આરએસએસ રાજનીતિમાં પ્રત્યક્ષ રીતે પહોંચ્યું નથી. પરંતુ આઝાદી પછી રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘે ભારતીય જનસંઘને અને બાદમાં ભાજપને ટેકો આપ્યો છે, તેમના રાજકીય
વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. પોતાના પ્રચારકો અને કાર્યકર્તાઓ તેમની રાજકીય
પહોંચ વધારવા માટે દેશભરમાં કામ કરવા માટે આપ્યા છે. પરંતુ અત્રે સવાલ છે કે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે સ્વયંસેવકો રાજનીતિમાં ગયા છે, તેમણે વૈચારીક
સ્પષ્ટતા અને શુદ્ધતા જાળવી છે? શું તેઓ
ભ્રષ્ટાચારના વમળમાં ફસાતા પોતાની જાતને બચાવી શકયા છે? શું તેઓ જે
ભારતીય સંસ્કૃતિના જતન માટે હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેવા વિચારો લઈને
ચાલ્યા હતા તેને તેમણે નખશિખ સાચવ્યા છે?
જો આ રાજનીતિમાં ગયેલા સ્વયંસેવકો આવી બાબતોને સાચવી શક્યા ન હોય, તો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું મિશન
નિષ્ફળ ગયું છે. વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું પોતાનું મિશન નિષ્ફળ
જવા સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ખુદ આત્મમંથન કરવું પડશે. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘમાં કેડર તૈયાર કરવા માટે પ્રથમ, દ્વિતિય અને તૃતિય વર્ષ નામે ઓળખાતી
શિબિરો કરાવવામાં આવે છે. તૃતિય વર્ષ શિક્ષિત સ્વયંસેવકને વ્યક્તિત્વ નિર્માણનો
આખરી તબક્કો માનવામાં આવે છે. તેમાં વ્યક્તિનું પૂર્ણપણે ઘડતર કરીને સમાજ માટે
તેમને સારું કરવા માટે પૂર્ણ માનવામાં આવે છે.
આવા રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના કેડર અને પ્રચારકોને જુદાંજુદાં સામાજિક ક્ષેત્રોની સાથે સાથે
રાજનીતિમાં મોકલવામાં આવે છે. આવા લોકો ખૂબ ગોટલા ફૂલાવતા ફૂલાવતા રાજનીતિમાં
પહોંચી પણ જાય છે. પરંતુ તમને એવું એકપણ નામ યાદ આવે છે કે જે નામ રાજનીતિમાં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે રાજનીતિમાં આવ્યા પછી
વરતીને પોતાની અમિટ છાપ મૂકી ગયું હોય. મારા વ્હાલા તમે તુરંત કહેશો કે
શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાય આવા બે નામ છે. પરંતુ તમે ખાસ નોંધો કે
શ્યામાપ્રસાદ મુખર્જીનો સંબંધ હિંદુ મહાસભા અને સાવરકરજી સાથે હતો. તેઓ ભારતીય
જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ હતા. જ્યારે દીનદયાળ ઉપાધ્યાય જેવા કાબેલ અને સંપૂર્ણપણે
નિષ્ઠાવાન પ્રચારકને તત્કાલિન સરસંઘચાલક માધવ સદાશિવ રાવ ગોલવલકરે ભારતીય જનસંઘના
કાર્યવિસ્તાર માટે ડૉ. મુખર્જીને સોંપણી કરેલી હતી. એટલે આ બંને નામને આપણે ચર્ચામાંથી
બાકાત રાખીશું. શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયનો હિંદુત્વ પ્રત્યે
લગાવ અને નિષ્ઠા બંને શંકાથી પર છે.
પરંતુ આ સિવાયના સંઘ
દ્વારા રાજનીતિમાં જનસંઘ અને ભાજપમાં મોકલાયેલા લોકો વત્તાઓછા અંશે વિચારધારાત્મક
રીતે અથવા આર્થિક બાબતોમાં ભ્રષ્ટ સાબિત થયા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે,
બંગારુ લક્ષ્મણ. ભાજપના સૌથી પહેલા દલિત અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ સંઘના તૃતિય વર્ષ
શિક્ષિત છે. પરંતુ તેઓ તહેલકા સ્ટિંગ ઓપરેશનમાં એક લાખની લાંચ લેતા કેમેરામાં
ઝડપાયા હતા. મામલો નકલી ડિફેન્સ ડીલનો હતો. કોર્ટે તાજેતરમાં સંઘના તૃતિય વર્ષ
શિક્ષિત આ નમૂનાને ચાર વર્ષ કેદની સજા ફટકારી છે અને સાથે એક લાખનો દંડ પણ કર્યો
છે.
બીજું ઉદાહરણ
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન યેદિયુરપ્પાનું છે. તેઓ પણ સંઘના વરિષ્ઠ
સ્વયંસેવક છે. પરંતુ તેમના પર જમીન ગોટાળા અને માઈનિંગ કૌભાંડ સંદર્ભે આંગળીઓ
ચિંધાયેલી છે. લોકાયુક્તે પણ તેમની સામે આરોપો મુક્યા છે. પરંતુ આટલા બધાં
ભ્રષ્ટાચારના આરોપો છતાં તેમાંથી તેઓ મુક્ત થઈને ફરીથી પોતાની નિર્દોષતા સાબિત
કરવા ઈચ્છતા નથી, પરંતુ આવી જ પરિસ્થિતિમાં તેમને ફરીથી કર્ણાટકના મુખ્યમંત્રી
બનવું છે. તેમણે ભાજપ હાઈકમાનને બળવો કરવા સુધીની કથિત ધમકી પણ આપી દીધી છે. તેમણે
આ સંદર્ભે ભાજપ હાઈકમાન સામે ગડકરીની કર્ણાટક મુલાકાત વખતે મોટું શક્તિ પ્રદર્શન
પણ કર્યું હતું.
ઉત્તરાખંડાના
ભૂતપૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલને પણ ભ્રષ્ટાચારના મામલામાં દૂર કરવામાં આવ્યા
હતા. તેમનો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધ છે. તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના કેટલાંક પ્રચારકોના દોરીસંચાર સાથે મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. એનડીએ
સરકારના ભૂતપૂર્વ મંત્રી દિલીપસિંહ જુદૈવનો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ગાઢ
સંબંધ છે. પરંતુ છત્તીસગઢના નેતાએ કેમેરા પર લાંચ સ્વીકારતા શાયર બનીને કહ્યુ હતુ
કે પૈસા ખુદા તો નહીં, લેકિન ખુદા સે કમ ભી નહીં. તેમના સંદર્ભે હજી કોર્ટનો
ચુકાદો આવવાનો બાકી છે.
આ સિવાય આર્થિક
જોડતોડ માટે પંકાયેલા દિવંગત પ્રમોદ મહાજન પર પણ ઘણી બધી બાબતોમાં આર્થિક સમજૂતી
અને વિચારધારાત્મક રીતે સમજૂતી કરાઈ હોવાના આક્ષેપો થતા રહ્યા છે. પ્રમોદ મહાજન પર
લગ્નેતર સંબંધો બાબતે પણ તેમની અંગત જિંદગીમાં આક્ષેપો થયા છે. પ્રમોદ મહાજન સંઘના
પ્રચારક હતા અને તૃતિય વર્ષ શિક્ષિત હતા. એનડીએ હેઠળ બનેલી અટલ બિહારી વાજપેયીની
ફીલગુડ સરકાર પ્રમોદ મહાજનના ઈશારે નાચતી હતી અને શાઈનિંગ ઈન્ડિયા કેમ્પેઈન પણ
પ્રમોદ મહાજનના મગજની પેદાશ હતી. સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વર્ગસ્થ દતોપંતજી ઠેગડીએ
આ એનડીએ સરકારને તેની આર્થિક નીતિઓને લઈને ક્રિમિનલ ગવર્નમેન્ટ અને તત્કાલિન નાણાં
મંત્રી યશવંત સિંહાને ક્રિમિનલ ફાઈનાન્સ મિનિસ્ટર કહ્યા હતા. એનડીએના શાસનકાળમાં
પણ દીનદયાળજીની વિચારધારા પ્રમાણે અંત્યોદય થયો નહીં કે ગાંધીજીની વિચારધારા
પ્રમાણે સર્વોદય થયો નહીં, પરંતુ ઉદ્યોગપતિઓની, ઉદ્યોગપતિઓ દ્વારા ચલાવાયેલી અને
ઉદ્યોગપતિઓ માટેની સરકારે અમીરોદયનો નવો યુગ શરૂ કરી દીધો અને આજે પણ આ અમીરોદય
ભારતમાં પુરજોરમાં ચાલુ છે. ભારતની 70 ટકા સંપત્તિ દેશના 8200 વ્યક્તિઓ પાસે
કેન્દ્રીત છે, આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. દેશમાં 42 ટકા લોકો ગરીબીની રેખા
નીચે જીવી રહ્યા છે અને કુલ 70 ટકા લોકો ગરીબ કહી શકાય તેવી શ્રેણીમાં આવી રહ્યા
છે. પરંતુ ભારતની સંસદ અને તેના રાજ્યોની ધારાસભાઓમાં ગરીબના માપદંડ પર ખરો ઉતરતો
અમુક અપવાદોને બાદ કરતા કોઈ સાંસદ કે ધારાસભ્ય નથી. આ રાજકીય પ્રવાહને સંઘના એકથી
તૃતિય વર્ષ શિક્ષિત સ્વયંસેવકો બદલી શકયા નથી. કારણ કે આ સ્વયંસેવકોને ગરીબોની
ચિંતા કરતા ઉદ્યોગપતિઓની ચિંતા વધારે હોય છે. તેઓ ગરીબોના કલ્યાણનું નહીં, પણ
અમીરોના ઘર ભરવાનું વધારે વિચારે છે.
આ સિવાય
વિચારધારાત્મક સ્તરે પણ સંઘ દ્વારા વ્યક્તિત્વ નિર્માણ પામેલા સ્વયંસેવકો ટાંચા
સિદ્ધ થયા છે. અરે, ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીના ગૃહ નગર નાગપુરમાં
મહાનગરપાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપે કટ્ટરવાદી મુસ્લિમ રાજકીય પાર્ટી મુસ્લિમ
લીગ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી પ્રમાણે, મુસ્લિમ લીગના બે સભ્યોને નાગપુર
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યા છે. મુસ્લિમ લીગની રાજકીય
વિચારધારા બિલકુલ કોમવાદી છે, પાકિસ્તાનના નિર્માણ માટે મુસ્લિમ લીગના પુરોગામી
મહંમદ અલી જિન્નાહની કોમવાદી ભૂમિકા કોઈનાથી પણ અજાણી નથી. પરંતુ અહીં આશ્ચર્યની
વાત એ છે કે જે ભાજપને કેમોથેરપી કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક
મોહન ભાગવતે જેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા તેવા નીતિન ગડકરીની મુસ્લિમ
લીગ સાથે સત્તાની ભાગબટાઈ કરવામાં ઘણી મોટી ભૂમિકા છે. ત્યારે સવાલ એ છે કે ગડકરી
ભાજપને કેમોથેરપી આપે છે કે હિંદુત્વથી તરબદતર રહેલા સંઘને કટ્ટરવાદી મુસ્લિમ
રાજકીય પાર્ટી સાથે ઘૂંટણિયા ટેકવા માટેની કેમોથેરપી આપી રહ્યા છે. શું મુસ્લિમ
લીગ સાથે ભાજપને બેસાડીને ગડકરીએ તેને હિંદુત્વવાદી રહેવા દીધું છે?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાં નમૂના વિચારધારાત્મક સ્તરે નપાવાટ
અને નપાણિયા સાબિત થયા છે, તેની તો લાંબી વણઝાર છે. તેમાં સૌથી મોટું નામ ભાજપના
સૌથી મોટા હિંદુત્વવાદી ચહેરા લાલકૃષ્ણ કિશનચંદ અડવાણી છે. અડવાણી રામજન્મભૂમિ
મુક્તિ આંદોલનના સૌથી મોટા સેનાપતિ રહ્યા છે. તેમણે રામરથ યાત્રા કાઢી અને બાબરી
ઢાંચાને હટાવા સુધી હિંદુઓમાં ખૂબ મોટી જાગૃતિ પેદા કરી હતી. પરંતુ અડવાણીને
વડાપ્રધાન બનવાની ખંજવાળ ઉપડી એટલે તેમણે હિંદુત્વવાદી ચહેરાને ફેંકી દીધો. પરંતુ
તેનાથી આઘાતજનક વાત એ છે કે તેમણે જે રસ્તો અપનાવ્યો તે સૌથી વધારે ધૃણાસ્પદ રહ્યો
છે. અડવાણી 2005માં પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે જાહેર કર્યું કે
પાકિસ્તાનના સંસ્થાપક, ભારતના વિભાજન માટે જવાબદાર મહંમદ અલી જિન્નાહ સેક્યુલર
હતા. તેમણે પાકિસ્તાનમાં જ કહ્યુ કે ભારતમાં બાબરી ઢાંચો તૂટયો તે તેમના જીવનનો
સૌથી દુ:ખદ દિવસ હતો. તેમને ત્યારે પોતાના પરિવારે કરાચી છોડયું હતું,તે દિવસ
બિલકુલ યાદ આવ્યો નહીં. આ સિવાય તેઓ ભારતના પહેલા એવા રાજકારણી બન્યા કે જેમણે
જિન્નાહની મજાર પર જઈને માથું ટેકવ્યું.
અડવાણી જેવું જ બીજું મોટું નામ કલ્યાણસિંહનું હતું. બાબરી ઢાંચો
તૂટયો તે વખતે તેઓ યૂપીના મુખ્યમંત્રી હતા. તેમણે રામજન્મભૂમિ આંદોલનમાં ઘણી મોટી
ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમ છતાં તેમણે 1989માં અયોધ્યામાં કારસેવકોને ગોળીઓ ધરબી દેનારા
મુલાયમ સિંહ સાથે હાથ મિલાવ્યો હતો. અત્યારે કલ્યાણસિંહ ભાજપમાં નથી.
ગુજરાતની વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા બહુ મોટું ઉદાહરણ છે. શંકરસિંહ
વાઘેલાએ ભાજપમાં બળવો કર્યો અને અલગ પાર્ટી બનાવી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પછી
પાર્ટી વિખેરીને કોંગ્રેસમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ સંઘ, જનસંઘ
અને ભાજપમાં કુલ મળીને 28 વર્ષ કામ કર્યું હતું. એટલે કે 28 વર્ષ સુધી કોંગ્રેસને
ગાળો આપનારા શંકરસિંહ વાઘેલા અત્યારે 2012માં કોંગ્રેસની ચૂંટણી પ્રચારની કમાન
સંભાળશે. તેઓ પણ સંઘના ખૂબ સંનિષ્ઠ અને શિસ્તબદ્ધ સ્વયંસેવક ગણાતા હતા.
સૌથી વધારે આશ્ચર્ય
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું છે. તેમનાથી દેશને અને દેશના લોકોને
વિચારધારાત્મક રીતે ઘણી મોટી આશા છે. પરંતુ તેમણે ગુજરાતમાં વિચારધારાત્મક પ્રયોગો
કોરાણે મૂકીને નવા પ્રયોગો શરૂ કર્યા છે. તેમણે કુલ 33 સ્થાનો પર સદભાવના મિશનના
પ્રયોગો કર્યા છે. તેમની લાલસા આ સદભાવના મિશનના પ્રયોગો થકી સેક્યુલર બનીને
દિલ્હીની વડાપ્રધાનની ગાદી અંકે કરવાની નેમ છે. તેઓ હવે આખા દેશમાં સદભાવના
પ્રયોગો કરવા માટે આતુર હોય તેવું લાગી રહ્યું છે. નરેન્દ્ર મોદી પર પણ દીનદયાલ
ઉપાધ્યાયની એકાત્મ માનવવાદી વિચારધારા પ્રમાણે નહીં ચાલવા માટે ગણગણાટ સ્વરૂપે
ટીકા થઈ રહી છે. તેમના રાજ્યમાં અંત્યોદયના બદલે અમીરોદય ખૂબ ઝડપથી થઈ રહ્યો છે.
ગુજરાતના વિકાસ માટે એવું કહેવાય છે કે આ તો ચાર-પાંચ મુખ્યમંત્રી મોદીના માનીતા
ઉદ્યોગપતિઓનો વિકાસ છે.
નરેન્દ્ર મોદીના
પાર્ટીમાં સૌથી મોટા પ્રતિસ્પર્ધી સંજય જોશીની હાલત પણ બહુ સારી નથી. તેમના પર
ચારિત્રિક આક્ષેપો અને સીડી પ્રકરણને કારણે તેમની કારકિર્દી પર પણ બ્રેક વાગી ગઈ
હતી. જો કે તેમાથી તેઓને ક્લિનચિટ મળ્યા બાદ યૂપીમાં ચૂંટણી પ્રભારી તરીકે તેમને
કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ તેમાં સારી રીતે સફળ થયા નથી. મહિલા હોવાથી
સંઘમાં ન હતા, પરંતુ સંઘના ખૂબ નજીકના ગણાતા ઉમા ભારતીએ ભાજપમાં આવન-જાવન કરીને
પોતાની સંગઠન પ્રત્યેની અસ્થિરતાને વારંવાર ઉજાગર કરી છે. જેને કારણે ક્યારેક
વાજપેયી પછી ભાજપમાં સૌથી મોટા માસ લીડર ગણાતા ઉમા ભારતીનું રાજકીય કદ હાલ ખૂબ
નાનું થઈ જવા પામ્યું છે. તેમને પણ યૂપીની ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી હતી.
પરંતુ ચૂંટણીના પરિણામોએ તેમની તરફેણ કરી નથી.
ભારતીય જનસંઘના
ભૂતપૂર્વ અધ્યક્ષ બલરાજ મધોકને અટલ બિહારી વાજપેયી સાથેના ગજગ્રાહને કારણે પાર્ટી
છોડવી પડી હતી. તો અટલ બિહારી વાજપેયીની વિચારધારાત્મક અડગતા પર ઘણાં સંઘ-ભાજપની
અંદરના અને બહારના લોકોએ શંકા વ્યક્ત સમયસમય પર શંકા વ્યક્ત કરી હતી. બલરાજ મધોકે
દીનદયાલ ઉપાધ્યાયના મૃત્યુ વખતે અટલ બિહારી વાજપેયી અને નાનાજી દેશમુખ સંદર્ભે
કેટલીક આશંકાઓ વ્યક્ત કરી હતી. બલરાજ મધોક અટલ બિહારી વાજપેયીને હંમેશા જનસંઘના
નેહરુ કહેતા હતા. એટલે આમની હિંદુત્વની વિચારધારા વિશે વાત કરી શકાય તેમ નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના કાર્યકર્તાઓ હોનારતો અને 1962ના યુદ્ધમાં ખૂબ કામમાં આવ્યા. 1962ના યુદ્ધમાં
ચીન સામે ભારતીય સેનાને રસદ પહોંચાડવાનું કામ સંઘના સ્વયંસેવકોએ ખૂબ દિલેરીથી
કર્યું હતું. તેને કારણે દિલ્હી 1963માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને
ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં આમંત્રિત કર્યા હતા. તો વિભાજન વખતે હિંદુ-શીખોની
લાશો એકઠી કરવાના કામમાં, હિંદુ-શીખોની રાહત છાવણીઓમાં દેખરેખ રાખવા, મચ્છુ
હોનારત, લાતુર ભૂકંપ, કચ્છ ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી હોનારતોમાં મડદાં
ઉંચકવાના કામમાં સંઘના સ્વયંસેવકો ખૂબ નામના ધરાવે છે. પરંતુ દેશની કમબખ્તી છે કે
સંઘના સ્વયંસેવકો મડદાં ઉંચકવામાં જેટલી નામના ધરાવે છે, જેટલી પ્રામાણિકતા મડદાં
ઉંચકવામાં દાખવે છે, તેટલી નામના અને પ્રામાણિકતા તેઓ રાજનીતિમાં દાખવી શક્યા નથી.
આમા વાંક કોનો છે,
ભારતીય સમાજનો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વ્યક્તિ નિર્માણના મિશનનો? શું ભારતીય સમાજના સદીઓથી રાજનીતિ પ્રત્યે
ઉપેક્ષાપૂર્ણ વ્યવહારથી સંઘનું વ્યક્તિત્વ નિર્માણ તેમાં હંમેશા ઉતરતું સાબિત થાય
છે? સંઘની
વિચારધારા પ્રમાણે રાજનીતિનું સ્થાન ઘરમાં રહેલા સંડાસ જેવું છે. જેમાં કોઈને જવું
ગમે નહીં, પણ જવું પડે. આટલી ઉપેક્ષા અને આટલી નફરત રાજનીતિ પ્રત્યે સંઘ શા માટે
ધરાવે છે? શું સમાજના અન્ય
ક્ષેત્રોમાં સફળ થઈ રહેલા સંઘના સ્વયંસેવકો રાજનીતિમાં નિષ્ફળ જઈ રહ્યા છે તેની
પાછળ સંઘનો રાજનીતિ માટેનો નફરત ભરેલો અભિગમ છે? વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના સંઘના મિશનમાં
તેમણે રાજનીતિનો સહારો તો લેવો જ પડશે. રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં રાજનીતિનો
ઘણો મોટો ફાળો રહેલો છે. વળી નિર્માણ પામેલા રાષ્ટ્રને ટકાવા માટે પણ રાજનીતિનું
યોગદાન ખૂબ મોટું રહેવાનું છે. ત્યારે આવી સ્થિતિમાં રાજનીતિ પ્રત્યે સકારાત્મક
અભિગમ પણ ઘણું મોટું પરિવર્તન આણિ શકે છે.
No comments:
Post a Comment