લેબલ રાજનીતિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રાજનીતિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 25 નવેમ્બર, 2013

હિંદુ જીવનપદ્ધતિથી વિશ્વ અને ભારતનું કલ્યાણ થશે

- પ્રસન્ન શાસ્ત્રી
દરેક દેશનું પોતાનું માનસ અને માનસિકતા હોય છે. આ માનસ અને માનસિકતા દેશનો પોતાનો તર્ક તથા દ્રષ્ટિકોણ આપે છે. જેનાથી ઘડાયેલી દિશાઓ દેશના ભાવિને એક સુનિશ્ચિત, યોગ્ય અને સાચી દિશા આપે છે. ભારત એક દેશ જ નહીં, પણ વેદકાળથી એક રાષ્ટ્ર છે. જેમ શરીરમાં આત્માનો વાસ હોય ત્યાં સુધી તે જીવંત રહે છે. તેવી રીતે રાષ્ટ્ર અને રાષ્ટ્રપુરુષની ચિત્તિ હોય છે. આ ચિત્તિ જ્યાં સુધી જીવંત અને સુવ્યવસ્થિત છે, ત્યાં સુધી રાષ્ટ્ર પોતે સુવ્યવસ્થિતપણે જીવંત રહી શકે છે. યૂનાન, મિસર, રોમ જેવા મહાકાય રાજ્યોનું આજે તે સ્વરૂપમાં નામોનિશાન નથી. પરંતુ ભારતનું અસ્તિત્વ અપાર સંકટ સામે પણ અડિખમ રહ્યું છે. જો કે એ વાત એટલી જ સાચી છે કે ભારત સંકટોના વાવાઝોડાઓમાં સમય-સમય પર ખંડિત પણ બન્યું છે. છતાં ભારતની એક રાષ્ટ્ર તરીકેની ચિત્તિ તેને અકબંધ રાખે છે.

નીતિઓ દેશને સાચી કે ખોટી દિશામાં લઈ જવા માટે જવાબદાર હોય છે. ભારતનું લક્ષ્ય વેદકાળથી ઋષિ-મુનિઓએ નક્કી કર્યું છે. વિશ્વનું કલ્યાણ કરવું ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું લક્ષ્ય છે. વિશ્વના કલ્યાણની સદઈચ્છા રાખવા માટે ભારતે વિશ્વગુરુ જેવા સમ્માનીય સ્થાને પહોંચવું પડે કે જે ક્યારેક ભારતનું વિશ્વમાં હતું. પરંતુ અત્યારની સમાજનીતિ, આર્થિકનીતિ, રાજનીતિ, વાણિજ્યનીતિ, કૃષિનીતિ કે કૂટનીતિ ભારતને આ સ્થાન પર પહોંચાડી શકે તેમ નથી. તેની પાછળ એક જ કારણ જવાબદાર છે. ભારતની નીતિઓ ભારતના માનસ અને માનસિકતા પ્રમાણે બનાવાતી નથી. ભારતની નીતિઓ બનાવતી વખતે અમેરિકા, યૂરોપ કે ચીન જેવા દેશોને આદર્શ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. જેના કારણે ભારતને કલ્યાણકારી ભૂમિકામાં લાવવા માટે કોઈ પ્રગતિ સાધી શકાતી નથી ભારતના બંધારણમાં ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાની વાત કરવામાં આવી છે. પરંતુ ભારતને હજી સુધી ભારતના લોકો માટે કલ્યાણ રાજ્ય તરીકે સ્થાપિત કરી શકાયું નથી.

ભારતની પ્રવર્તમાન ખોટી નીતિઓ તેને ખોટી દિશામાં લઈ જાય છે. જેના કારણે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક નૈતિક અધ:પતનનું એક કુચક્ર શરૂ થયું છે. જેની અસર જીવનને સાંકળતા તમામ ક્ષેત્રોમાં દેખાઈ રહી છે. ભારતના નીતિનિર્ધારકો ખંડિત આઝાદીના કાળથી નીતિ-નિર્ધારણમાં વિદેશની નકલ કરતા આવ્યા છે. ભારતે શરૂઆતમાં કમ્યુનિસ્ટ સોવિયત સંઘની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક નીતિઓની નકલ કરવાની શરૂઆત કરી. ખંડિત આઝાદીકાળથી ભારતે બ્રિટિશ રાજકીય મોડલને સ્વીકાર્યું છે. તેની સાથે 80ના દાયકાના મધ્યભાગથી યૂરોપની આર્થિક પ્રગતિથી અંજાઈને યૂરોપના આર્થિક મોડલની નકલ કરવાનું શરૂ કર્યું. 90ના દાયકાના અંતમાં અમેરિકી આર્થિક મોડલને વૈશ્વિકરણના નામે ભારતમાં પ્રવેશવા માટેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી આપી.

આજે ભારતમાં ભારતનું આર્થિક ચિંતન ક્યાંય દેખાતું નથી. ભારતીય દર્શને માનવજીવનના ચાર પુરુષાર્થો ગણાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માનવજીવનના ચાર પુરુષાર્થો છે. ભારતીય દર્શન પ્રમાણે, માનવીએ અર્થ અને કામ સંબંધિત પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવાની છે, પણ તેનો આધાર ધર્મ છે. ધર્મ તમામ પુરુષાર્થોના મૂળમાં છે, જ્યારે સર્વોચ્ચ અને અંતિમ પુરુષાર્થ મોક્ષ છે. જે માનવીય જીવનની આધ્યાત્મિકતાની સર્વોચ્ચ પ્રાપ્તિ છે. પશ્ચિમના શાસ્ત્રો માણસને સામાજિક પ્રાણી ગણાવે છે. જ્યારે ભારતીય દર્શન પ્રમાણે, માનવીય જીવન આધ્યાત્મિકતા માટે સર્જાયેલું છે અને તેથી માનવી આધ્યાત્મિક યોનિ છે. અહીં ધર્મનો અર્થ રિલિજયન કરીને સંપ્રદાય, પંથ કે મજહબ કરવાની માનસિકતાથી બચવા જેવું છે. ધર્મ એટલે જેને માનવી ધારણ કરે છે અને માનવી જેનાથી રક્ષાયેલો છે, તે ધર્મ. ધર્મ માણસને જીવનજીવવાની પદ્ધતિ ઘડી આપે છે. ભારતીય દર્શન પ્રમાણે, ભારતમાં જીવનજીવવાની પદ્ધતિ યુગોથી અસ્તિત્વમાં છે. કહેવામાં આવે છે કે જ્યારે દુનિયામાં માનવી રખડું જીવન ગુજરાતો હતો, તે વખતે ભારતમાં માનવીય જીવનપદ્ધતિ વિકસિત થઈ હતી. જેને આજે હિંદુ જીવનપદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.

પરંતુ ખંડિત આઝાદી મળ્યા બાદ ભારતના નીતિનિર્ધારકોની ખોટી નીતિઓ અને સ્થાપિત હિતોના પરિણામે સૌથી વધારે નિશાન હિંદુ જીવનપદ્ધતિને બનાવવામાં આવી છે. આમ જોવો તો ભારતની ઓળખ હિંદુ જીવન પદ્ધતિના કારણે ભારત કે હિંદુસ્થાન તરીકેની છે. જો આ જીવન પદ્ધતિ પર સંકટ આવશે, તો ભારતની ઓળખ પર સંકટ આવશે. પરંતુ ભારતની હિંદુ જીવનપદ્ધતિના સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓનો પ્રવર્તમાન ભારતની સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક નીતિઓમાં સર્વથા અભાવ દેખાય છે. નીતિઓ દેશ માટે હોય છે, દેશ નીતિઓ માટે નહીં. પરંતુ દેશના નીતિ-નિર્ધારકો એવી રીતે વરતી રહ્યા છે કે જાણે દેશ નીતિઓ માટે હોય. જેના કારણે દેશ ગુંગળાઈ રહ્યો છે. આ દેશની ગુંગણામણ આક્રોશ તરીકે દેશની જનતાના મન-હ્રદયમાં વહી રહી છે. જો તેને દિશા મળશે, તો તે આંદોલન સ્વરૂપે કોઈ મોટા પરિવર્તનની પથગામી બની શકે છે.

1992થી દેશને એક બજાર બનાવી દેવામાં આવ્યો છે. વૈશ્વિકરણ અને ઉદારીકરણના નામે અમેરિકી આર્થિક મોડલ પ્રમાણેની આર્થિક નીતિઓએ માણસનું સ્થાન વસ્તુઓને આપી દીધું છે. જેના કારણે ભારતના માનવીય જીવનમાંથી વ્યક્તિની બાદબાકી થઈ રહી છે અને વસ્તુઓની ભરમાર વધી રહી છે. જેના કારણે માનવીય સંબંધોમાં ઉષ્મા અને લાગણીની પણ બાદબાકી નજરે પડી રહી છે. હાલ ભારતમાં આર્થિક ઉન્નતિનો અર્થ થાય છે, પારિવારીક ભાવનાઓની બાદબાકી. પ્રવર્તમાન આર્થિક મોડલે ભારતમાં પરિવાર જેવી પાયાની સામાજિક સંસ્થા પર સંકટ ઉભું કર્યું છે. આ પરિવાર ભારતની હિંદુ જીવનપદ્ધતિની પ્રાથમિક સામાજિક સંસ્થા છે. દેશમાં છૂટાછેડા અને તેને પરિણામે સિંગલ પેરેન્ટિંગ, ઘરડાંઘર, એકલતા, આત્મહત્યાઓ, તણાવ, સ્વૈચ્છાચારનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે દેશમાં નૈતિકતાનું અવમૂલ્યન શરૂ થયું છે. પ્રસ્થાપિત સામાજિક મૂલ્યોને તોડવા-મરોડવામાં આવ્યા છે. લોકોની માનસિકતા બજારવાદને અનુરૂપ બનાવવા માટે પહેલું પગથિયું છે પ્રસ્થાપિત હિંદુ જીવનપદ્ધતિના મૂલ્યોને બદલવા. બીજું પગથિયું છે, જો આ મૂલ્યો બદલાય નહીં, તો તેને ખોટા ઠેરવીને આર્થિક મોડલ પ્રમાણેના મૂલ્યો માટે જગ્યા કરવી. ત્રીજું પગથિયું છે કે વ્યક્તિને ઉપભોગવાદી બનાવી દેવો જેથી તેના જીવનમાં મૂલ્યોનું કોઈ મહત્વ રહે નહીં.

ભારતના તૂટી રહેલા સમાજજીવનની અસર દેશની રાજનીતિ પર પણ પડી રહી છે. કોઈપણ દેશની રાજનીતિ તે દેશનું ભવિષ્ય ઘડતી હોય છે. તેવી રીતે ભારતનું ભવિષ્ય ભારતની રાજનીતિમાં છે. જો કે દંભી લોકો રાજનીતિને ખરાબ ગણે છે, પરંતુ કરે છે રાજનીતિ. ભારતની રાજનીતિમાં નૈતિક મૂલ્યહીનતાએ ખૂબ ખરાબ સ્થિતિ પેદા કરી છે. હાલ ભ્રષ્ટાચારના સૌથી વધારે આક્ષેપો રાજકારણ સાથે સંબંધિત છે. જનતામાં લાગણી વહી રહી છે કે આ દેશના રાજકારણીઓએ દેશને આબાદ કરવાના સ્થાને તેને બરબાદ કરી નાખ્યો. તેની સાથે દેશના રાજકારણમાં ગુંડાતત્વોનો વધતો પ્રભાવ પણ એક સમસ્યા છે. ભારતના રાજકારણીઓના સ્થાપિત હિતો સત્તા ટકાવવામાં છે અને તેના માટે તેઓ વિદેશી હિતો ધરાવતી મલ્ટીનેશનલ્સ કંપનીઓ અને કોર્પોરેટના સાથ લેતા પણ નજરે પડી રહ્યા છે. ક્યારેક ભારતના રાજકારણમાં અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ અને ભૂતપૂર્વ સોવિયત રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીના એજન્ટોની ભરમાર હતી. પરંતુ પ્રવર્તમાન સમયમાં જુદાજુદા દેશોના આર્થિક હિતો સાથે સંકળાયેલી મલ્ટીનેશનલ્સ અને કોર્પોરેટના એજન્ટોની દેશની રાજનીતિમાં ભરમાર છે. કેટલાંક જણકારોના મતે, ભારતમાં હવે કોર્પોરેટો નક્કી કરશે કે દેશમાં સત્તા કોની પાસે રહે. કારણ કે રાજકીય પક્ષોને ફંડફાળો આપવામાં આવી કોર્પોરેટ કંપનીઓનો મોટો ફાળો હોય છે. જેના કારણે સત્તા પર આવ્યા બાદ આવા રાજકીય પક્ષો પ્રજાહિતની નહીં, પણ તેમની સાથે સંબંધિત કોર્પોરેટના હિતની નીતિઓ બનાવે છે.

આવી નીતિઓ દેશમાં ભ્રષ્ટાચાર માટે સૌથી મોટું કારણ છે. ભારતમાં છેલ્લા દશ વર્ષમાં ઘણાં કૌભાંડો કેન્દ્રીય સ્તરે અને પ્રાદેશિક સ્તરે ઉજાગર થયા છે. તેની પાછળ સંબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો જવાબદાર છે. ભ્રષ્ટાચારા આક્ષેપથી અમુક અપવાદોને બાદ કરતા કોઈ બાકાત નથી. જો કે આવા અપવાદો પણ શંકાથી પર નથી. ત્યારે સ્થિતિ એવી છે કે દેશના રાજકારણીઓની હરકતોને કારણે લોકોનો દેશની રાજનીતિમાં વિશ્વાસ નથી. આવી પરિસ્થિતિને જોતા લોકોને ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર પસંદ નહીં હોવાનો મળેલો વિકલ્પ રાજકારણીઓને સીધા થઈ જવા માટે સંકેત કરે છે. પરંતુ તેમ છતાં રાજકારણીઓ પોતાની હરકતોમાંથી બાજ નહીં આવે, તો જનતા તેમને મળેલા અધિકારોમાંથી જ કોઈ રસ્તો કાઢે તો નવાઈ પામવા જેવી નથી.

દેશની આર્થિક નીતિએ ભારતના ગૃહઉદ્યોગો, નાના-મધ્યમ ઉદ્યોગોનો કચ્ચરઘાણ કાઢયો છે. તો કૃષિક્ષેત્ર પ્રત્યેની ઉદાસિનતાએ દેશની સામે મોંઘવારી અને ફૂગાવા સહીતના સંકટો પેદા કર્યા છે. જેના કારણે દેશમાં આગામી દિવસોમાં આવી ઉદાસિનતા અન્ન સંકટ પેદા કરે તો નવાઈ નથી. દેશમાં આજે જીડીપીમાં કૃષિક્ષેત્રનો ભાગ ભલે ઓછો હોય, પણ દેશમાં સૌથી વધારે નોકરીઓ અને કામ કૃષિક્ષેત્ર જ આપે છે. પ્રવર્તમાન આર્થિક નીતિ દેશની કૃષિની કમર તોડી રહી છે. તેવા સંજોગોમાં દેશમાં અન્નસંકટને સાથે રોજગારીની સમસ્યા વધારે વિકટ બનશે. તો બીજી તરફ શૈક્ષણિક નીતિ પણ દેશમાં નાગરીક નહીં, પણ નોકરિયાત પેદા કરી રહી છે. આ તમામ પરિસ્થિતિ દેશની સાંસ્કૃતિક બાબતને અને હિંદુ જીવનપદ્ધતિને ઘણી મોટી ચોટ પહોંચાડી રહી છે.

ભારતમાં પ્રવર્તમાન આર્થિક મોડલ અને તેના થકી સર્જાય રહેલી રાજકીય સંસ્કૃતિ એક મોટા સંકટના એંધાણ આપી રહી છે. ભારતની હિંદુ જીવનપદ્ધતિ સામેનું સંકટ દેશની ઓળખ સામેનું વિકટ સંકટ બનશે. ભારતને ખંડિત આઝાદી વખતે ઘોષિત હિંદુ ઓળખથી વંચિત રાખવામાં આવ્યું. પરંતુ આઝાદીના 67 વર્ષે હવે છેલ્લા દોઢ દાયકાથી અમલમાં આવેલી દોઢ ડાહ્યા રાજકારણીઓની નીતિઓના પરિણામે સામાજિક-સાંસ્કૃતિક ઓળખ પર સંકટ તોળાઈ રહ્યું છે. આ ઓળખ મટી ગયા બાદ ભારતનું ભારત તરીકેનું અસ્તિત્વ પણ જોખમાઈ શકે છે. પરંતુ પોતાની સત્તા ટકાવવા માટેના ઉદ્યમમાં લાગેલા નેતાઓને માત્ર પોતાની ખુરશીની ફિકર છે, દેશની કોઈ ચિંતા નથી. ભારત સામે આવનારા સંકટને જોતા દેશના લોકોએ તેની ફિકર કરવી પડશે અને દેશની હિંદુ જીવનપદ્ધતિ જાળવવા માટે સામાજિક-આર્થિક-રાજકીય સ્તરે કોઈ વિશેષ પરિવર્તનો માટેના પગલા ભરવા પડશે. લોકોએ પ્રવર્તમાન વ્યવસ્થાનો ઉપયોગ કરીને પરિવર્તનોને સાદ આપવો પડશે. ભારતની ચિત્તિને જીવંત રાખવા માટે, ભારતને એક રાષ્ટ્ર તરીકે જીવંત રાખવા માટે અને ભારત માટે વેદકાળથી નિર્ધારીત લક્ષ્યોની પ્રાપ્તિ માટે જનતાએ જ આંદોલન સ્વરૂપે નેતૃત્વની ચિંતા કર્યા વગર બહાર આવવું પડશે. જનતા આંદોલન સ્વરૂપે બહાર આવશે, તો નેતા પણ લોકોમાંથી જ ઉભરશે અને વિશાળ ભારતનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લેશે. આગામી પચાસ વર્ષ માટે જનતાનું સૂત્ર હોવું જોઈએ-ભારતને બચાવવા માટે હિંદુ જીવન પદ્ધતિ બચાવો, કારણ કે હિંદુ જીવનપદ્ધતિથી માત્ર ભારતનું જ નહીં, પણ વિશ્વનું કલ્યાણ થશે

મંગળવાર, 12 માર્ચ, 2013

ધર્મનિરપેક્ષ રાજનીતિ સત્ય-અસત્ય નહીં જાણનારી માત્ર “કૂટનીતિ”


-          - ક્રાંતિવિચાર
ધર્મ અને રાજનીતિની ભરપૂર ચર્ચા દેશમાં વખતોવખત થતી રહે છે. ચર્ચાના અંતે ધર્મ અને રાજનીતિને એકબીજાથી અલગ રાખવાની સૂફિયાણી વાતો હાંકે રાખવામાં આવે છે. ભારતીય રાજકારણમાં છેલ્લા લગભગ 100 વર્ષોથી ધર્મનિરપેક્ષતાની વાતો કરીને રાજનીતિને ધર્મનિરપેક્ષ કરવાની મુહિમ ચલાવવામાં આવી છે. ભારતના બંધારણમાં 1976માં આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ઈન્દિરા ગાંધીના રાજમાં ઉમેરાયો પણ ખરો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણમાં તેની શરૂઆતમાં કોઈપણ ઠેકાણે ધર્મનિરપેક્ષ શબ્દનો ઉપયોગ કે તેવી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પરંતુ ધર્મનિરપેક્ષતાના નામે ભારત વિભાજનની પૃષ્ઠભૂમિમાં મજબૂત થઈ રહેલી અને તત્કાલિન સત્તાધારી રાજકારણીઓ અને પક્ષ માટે પડકારરૂપ બનતી વિચારધારાને અટકાવવા માટે ધર્મનિરપેક્ષ રાજનીતિના રૂડાં લાગતા નામ હેઠળ નવી તરેહની રાજનીતિ શરૂ થઈ. આ રાજનીતિ આમ તો આઝાદી સમયથી પ્રભાવી રહી છે એટલે કે દેશમાં લગભગ 65 વર્ષોથી ધર્મનિરપેક્ષ રાજનીતિનો પ્રભાવ છે. પરંતુ આ રાજનીતિના પરિણામોની ચર્ચા કરીએ તો એક વાત સ્પષ્ટ બને છે કે દેશની એકતા અને અખંડિતાને ફાયદો થવાની જગ્યાએ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને આ નુકસાનીની પ્રક્રિયા હજીપણ વધુ તેજ ગતિથી ચાલી રહી છે.

ભારતની સદીઓ જૂની સભ્યતાએ ધર્મ અને ધર્મ આધારીત સંસ્કૃતિની વિશ્વને ભેટ આપી છે. આ સંસ્કૃતિએ વિશ્વમાં તમામના સુખની કામના કરી છે. આ સંસ્કૃતિએ વિશ્વના કલ્યાણની ઉદાત ભાવના પણ લોકો સામે મૂકી છે. ભારતીય જીવનધારાએ દર્શાવેલો ધર્મ જીવન જીવવાની કળા છે, જીવનને સારી રીતે અર્થપૂર્ણ રીતે જીવવા માટેનું વિજ્ઞાન છે. આપણે જીવનને તેના પુરા અર્થમાં જીવીએ તેના માટેનું શોધ-સંશોધન એટલે ધર્મ છે. ધર્મને જીવનકળાનો આત્મા ગણીએ, તો રાજનીતિ જીવનકળાનું શરીર છે. ધર્મ જો પ્રકાશ છે, તો રાજનીતિ પૃથ્વી છે. શરીર વગર આત્માનું લૌકિક દુનિયામાં અસ્તિત્વ નથી, તેવી રીતે આત્મા વગરનું શરીર સડવા લાગે છે. ધર્મ વગર રાજનીતિ સડેલુ શરીર માત્ર છે. ભારતની રાજનીતિ જે ધર્મનિરપેક્ષતાના માર્ગે આગળ વધી રહી છે, તે માત્ર અને માત્ર સડેલુ શરીર છે.

તેનાથી મોટી વાત આપણને ઈતિહાસ જણાવે છે. માનવ ઈતિહાસ જણાવે છે કે રાજનીતિવિહીન ધર્મ પણ અદ્રશ્ય થઈ જાય છે, ઈતિહાસની ગલીઓમાં ખોવાય જાય છે. ધર્મ અને રાજનીતિ વચ્ચે એક આંતરીક સંબંધ છે. ધર્મ જ્યારે રાજનીતિ પ્રત્યે ભારતમાં ઉદાસિન બન્યો છે. ત્યારે ત્યાં ભારત વિરોધે જન્મ લીધો છે. આ ભારત વિરોધ વ્યક્તિના અહિંદુ બનવામાં અથવા તો બીજા ધર્મનો ભય, લોભ, લાલચ, અંધશ્રદ્ધા જેવા કારણોથી ધર્માંતરણ કરવાથી પેદા થયો છે. આ કારણે ભારતવર્ષમાંથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તિબેટ, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા ભાગલા પડયા છે. હજી પણ આઝાદ એવા આપણા ખંડિત ભારતમાં ભારત વિરોધ આતંકવાદ, ધર્માંતરણ, ઘૂસણખોરી, લઘુમતી તુષ્ટિકરણના નામે ધર્મનિરપેક્ષ રાજનીતિની છત્રછાયામાં ફૂલીફાલી રહ્યો છે.

રાજનીતિ પ્રત્યેની ભારતીય લોકોની નિરસતાનું પરિણામ છે કે અખંડ ભારતના ઘણાં મોટા ભૂભાગ પરથી ભારતીયોએ પોતાનો પ્રભાવ ગુમાવી દીધો છે. આ પ્રક્રિયા ખંડિત એવા આઝાદ ભારતમાં પણ ચાલુ છે. પરંતુ તેનું આશ્ચર્ય કોઈને થવું જોઈએ નહીં. જીવનની સક્રિય સત્તા, જીવનને બદલવાનું સક્રિય આંદોલન, જીવન ચલાવવા અને તેનું નિર્માણ કરવાની વ્યવસ્થા એટલે રાજનીતિ છે. જ્યારે ભારતીયોએ છેલ્લા એક હજાર વર્ષના ઈતિહાસમાં રાજનીતિને ધુત્કારી છે, ધિક્કારી છે. રાજનીતિ પ્રત્યેનો પૂર્વગ્રહ હજી પણ ભારતીયોમાં ઠાંસીઠાંસીને ભરવામાં આવી રહ્યો છે. ભારતનું દુર્ભાગ્ય છે કે જીવન સાથે અંતર્સંબંધ ધરાવનારી રાજનીતિ પ્રત્યે ભારતીયો ઉદાસિન બન્યા. ભારતનું દુર્ભાગ્ય સમજવું જોઈએ કે હજાર વર્ષથી રાજનીતિ અને ધર્મ વચ્ચે કોઈ સંબંધ રાખવામાં આવ્યો નહીં. હજાર વર્ષના ગાળામાં રાજનીતિ અને ધર્મ વચ્ચે જે પણ કોઈ સંબંધ હતો, તે માત્ર કર્મકાંડ જેવો રહ્યો. ભારતની રાજનીતિ અને ધર્મ હંમેશા એકબીજા તરફ પીઠ કરીને વિરોધીની જેમ વર્તયા. હજાર વર્ષની ભારતની ગુલામી આનું પરિણામ છે. ભારતના સામાજિક જીવનમાં ધર્મને મહત્વ આપવામાં આવ્યું, પણ ધર્મમાં રાજનીતિને મહત્વ મળ્યું નહીં. જેના પરિણામે ભારતના ધાર્મિક એવા આમ આદમીને લાગ્યુ કે કોઈપણ રાજા હોય, તેમને કોઈ ફરક પડતો નથી. કોઈપણ રાજસત્તામાં આવે, તેના સંદર્ભે તેમને વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી. રાજનીતિ પ્રત્યેની ધૃણા અને ધિક્કારની ઘર કરી ગયેલી લોકભાવનાએ તેમને રાજનીતિથી નિરપેક્ષ બનાવ્યા. આ પ્રકારે ભારતનો ધર્મ અને ભારતના લોકોનું ધાર્મિક મન રાજનીતિનિરપેક્ષ બન્યું.

મેસિડોનિયાના એલેક્ઝાન્ડરના આક્રમણ વખતે ભારતની પશ્ચિમોત્તર સરહદે એક ક્રાંતિજ્વાળા ઉઠી હતી. ચાણક્ય નામના એક રાષ્ટ્રવાદીએ ભારતને અખંડ બનાવી શક્તિશાળી બનાવવાની નેમ રાખી હતી. ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્ય થકી ભારત ભૂખંડના ઘણાં મોટાભાગને એકચક્રી શાસન હેઠળ લાવીને શક્તિશાળી બનાવી દીધો હતો. પણ ભારતીય મન કેટલાંક સામાજિક અને ધાર્મિક સંજોગો અને કારણોથી રાજનીતિથી નિરપેક્ષ થઈને નિર્લેપ ધર્મધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. ભારતને અખંડ કરવાની ચાણક્ય-ચંદ્રગુપ્ત જેવી પ્રબળ ક્રાંતિજ્વાળાઓ પેદા થઈ નહીં. જો કે ભારતના પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ જેવા રાષ્ટ્રપુરુષોએ ભારતીયતાને ધર્મ સાથે ટકાવી, તેના માટે ઘણાં બલિદાનો પણ આપ્યા. આ બલિદાનોની પરંપરા ભારતની સ્વતંત્રતાની લડાઈ વખતે પણ ચાલી. ખુદીરામ બોઝ જેવા દુધમલ ક્રાંતિકારીઓ શ્રીમદ ભગવત ગીતાને પ્રેરણા બનાવીને ભારતમાતાની ગુલામીની ઝંઝીરો તોડવા માટે ફાંસીના ગાળિયાને હાર ગણીને માંચડે ઝૂલી ગયા. ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં શ્રીમદ ભગવત ગીતા ક્રાંતિકારીઓની સૌથી મોટી પ્રેરણા તરીકે હંમેશા સાથે રહી.

પરંતુ જ્યારે ભારત આઝાદ થયું. ત્યારે રાજનીતિએ ધાર્મિક ભારતીયો દ્વારા તેની થયેલી ઉપેક્ષાનો બદલો લીધો. હિંદુસ્તાનની રાજનીતિને પહેલા અઘોષિતપણે અને બાદમાં ઘોષિતપણે ધર્મનિરપેક્ષ બનાવવામાં આવી. હજારો વર્ષ ધર્મ અને ધાર્મિક લોકો રાજનીતિ નિરપેક્ષ રહ્યા તેનું અંતિમ પરિણામ હિંદુસ્તાનની રાજનીતિએ ધર્મનિરપેક્ષ બનીને આપ્યું. આમ તો ધર્મનિરપેક્ષ થવાનો અર્થ થાય છે, સત્યથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે પ્રેમથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે જીવનના ગહનત્તમ જ્ઞાનની સરવાણીથી નિરપેક્ષ થવું. કોઈપણ રાજનીતિ જો ધર્મથી નિરપેક્ષ હશે, તો તે મનુષ્યના શરીરમાં વધારે ઘેરો પ્રવેશ કરી શકશે નહીં અને તે સમાજ માત્ર શરીરની આસપાસ જીવવા લાગે છે. આવા સમાજમાંથી એવી રીતે દુર્ગંધ પેદા થવા લાગશે કે જે મરેલા વ્યક્તિમાંથી પેદા થાય છે. આઝાદીના 65 વર્ષ જેટલું ખંડિત ભારતનું જીવન દુર્ગંધ, કુરુપતા, ગ્લાનિ અને દુખ તથા પીડાથી ભરપૂર છે. કદાચ મનુષ્ય જાતિના ઈતિહાસમાં કોઈપણ દેશ સ્વતંત્ર થયા બાદ આટલી હદે ક્યારેય પતિત થયો નથી કે જેટલું પતન ભારતનું થયું છે. આ દુર્ઘટના ઘટવા પાછળ સબળ કારણો છે. જીવનને ઉચ્ચસ્તર પર લઈ જનારા જે સિદ્ધાંતો છે, તે સિદ્ધાંતોનું સામુહિક નામ ધર્મ છે. પરંતુ ખંડીત એવા આઝાદ ભારતની રાજનીતિએ આવા ધર્મને પોતાની સરહદોમાંથી દેશવટો આપી દીદો છે. રાજનીતિએ ધર્મનિરપેક્ષ બની રહેવાની વાહિયાત જીદ્દ પકડી છે. ધર્મ એક પડકાર છે ઉપર ઉઠવાનો, ધર્મ એક પડકાર છે સતત ઉપર ચઢવાનો. ધર્મ મનુષ્યને જીવનના ઉંચામાં ઉંચા શિખરે ચઢવાની હાકલ કરે છે.

પરંતુ રાજકારણીઓ ચાહતા નથી કે ધર્મથી રાજનીતિને કોઈ સંબંધ રહે. કારણ કે જેવો રાજનીતિનો ધર્મ સાથે સંબંધ થાય છે, રાજકારણીઓને પોતાનામાં આમૂલ પરિવર્તનો કરવા પડે તેવી સ્થિતિઓ પેદા થાય છે. રાજકારણીઓ ચાહતા નથી કે તેમને ષડયંત્રમાં ખલેલ પહોંચાડવા માટે, ચોરી અને બેઈમાની-ભ્રષ્ટાચાર કરવા માટે અસત્ય આચરણ અને અનાચાર કરવા માટેની તેમની રાજકીય વ્યવસ્થાને ધર્મની સાથે જોડવાથી પરિવર્તિત કરવી પડે. પરંતુ જાણકારોનું માનીએ તો રાજનીતિ ધર્મથી અલગ થઈને માત્ર કૂટનીતિ રહી જાય છે. ધર્મથી અલગ થનારી રાજનીતિ એ રાજનીતિ તરીકેનું પોતાનું સ્વરૂપ જ ગુમાવી દે છે. આવી રાજનીતિ સત્ય અને અસત્યનો કોઈ ફરક કરતી નથી. ખંડિત ભારતે આઝાદીના આટલા વર્ષો સુધી રાજનીતિના નામે સત્ય અને અસત્યને નહીં ઓળખનારી કૂટનીતિ કરી છે. ભારતના બધાં જ રાજકારણીઓએ આમા ભાગીદારી કરી છે. જેના કારણે પાકિસ્તાન આપણને આંખો દેખાડી રહ્યું છે, અમેરિકા-ચીન બ્લેકમેઈલિંગ કરી રહ્યા છે. મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાનો યોગ્ય ઉકેલ કરવાને સ્થાને તેનું તુષ્ટિકરણ રાષ્ટ્રીય રાજનીતિનું સ્વરૂપ બન્યું છે. સરહદે ભારતીય સૈનિકોને બર્બરતાનો ભોગ બનવું પડે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વિકરાળ સમસ્યા ભારતના ઘણાં સ્થાનો પર વસ્તીસંતુલન બગાડી રહી છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના પ્રશ્ને માઝા મૂકી છે. આમ આદમીને ધર્મનિરપેક્ષ રાજનીતિ કોઈપણ રીતે રાહત આપી રહી નથી. આમ આદમીને પીડતી આવી ધર્મનિરપેક્ષ રાજનીતિનો શું અર્થ છે? રાજનીતિમાં ધર્મ હોત, ધાર્મિક મૂલ્યો હોત, તો રાજનીતિનું આ હદે અધ:પતન થયું ન હોત. બે પ્રકારની સ્થિતિ હોય છે, એક મન અને હ્રદયમાંથી પ્રેરણાઓ ફૂટતી હોય છે, બીજી સ્થિતિ એવી છે કે શરીરના ઉર્ધ્વ ભાગમાંથી પ્રેરણા જન્મે અને તે પણ પાછી ઉધારની હોય. ધર્મનિરપેક્ષ રાજનીતિ આવી બીજા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે. ધર્મને પંથ-સંપ્રદાયના સ્વરૂપમાં જોનારા અને માનનારાઓની સમજ પર દયા ખાવી જોઈએ. પરંતુ દેશની રાજનીતિ ધર્મનિરપેક્ષ નહીં, પરંતુ રાજનીતિની ધરી ધર્મ બને તેના માટે સામૂહીક જાગરૂકતાની જરૂર છે. આવી ધર્મ આધારીત રાજનીતિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આવી રાજનીતિ દેશમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાઓમાંથી આમ આદમીને મુક્તિ અપાવશે.

ભારત હજાર વર્ષથી ધર્મને રાજનીતિ દૂર રાખીને જે ભૂલ કરતું આવ્યું છે, તેવી જ સામા છેડાની ભૂલ રાજનીતિને ધર્મનિરપેક્ષ બનાવીને કરવામાં આવી છે. આવી ભયંકર ભૂલને જેટલી ઝડપથી સુધારી લેવામાં આવશે, તેટલા ભારતવાસીઓ વધારે સુખી, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. 

ગુરુવાર, 3 મે, 2012

RSSના સ્વયંસેવકો મડદાં ઉંચકવામાં સફળ, પણ રાજનીતિમાં નિષ્ફળ કેમ?


-ક્રાંતિવિચાર
ભારતમાં રાજનીતિથી ધૃણા કરતા કરતા રાજકારણ ખેલવાની અનોખી અને આગવી ફેશન ચાલે છે. પોતે રાજનીતિમાં નહીં હોવાનું જણાવવા માટે લોકો દંભમાં જિંદગી ખર્ચી નાખે છે. આ દંભ ભારતમાં ઘણી સદીઓથી. ગાંધીજી પણ પોતે રાજનીતિથી દૂર એવા મહાત્મા હોવાનો ભ્રમ લોકોમાં ઉભો કરી શકયા. દેશ અત્યારે જે પણ જગ્યાએ પહોંચ્યો છે, તેના માટે ગાંધીજી દ્વારા મહાત્મા બનીને ઉપેક્ષાપૂર્ણ રાજનીતિ કરવામાં આવી તે સૌથી મોટું કારણ છે. ભારતને જ્યારે રાજનૈતિજ્ઞની જરૂર હતી, તો ભારતને મહાત્મા મળ્યા. જ્યારે મહાત્માની જરૂર છે, ત્યારે પોણિયા રાજકારણીઓ મળ્યા. મહાત્મા ગાંધીની પરંપરાને ભારતમાં આઝાદી પછી કમ સે કમ રાજનીતિના મામલામાં કોઈ અનુસરતું હોય તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. જી હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ મહાત્મા હોવાનો વહેમ છે, તેઓ પણ રાજનીતિ પ્રત્યે ઉદાસિનતા પૂર્ણ વલણ દાખવીને રાજકારણ ખેલી રહ્યા છે. તેના પરિણામે આઝાદી પછી દેશમાં રાજનીતિની ઘણી મોટી દુર્દશા થઈ છે. સંઘનો સ્વયંસેવક મડદાં ઉંચકવાના કામમાં જેટલી નામના મેળવે છે અને સફળ થાય છે, તેટલી નામના અને સફળતા તેમને રાજનીતિના ક્ષેત્રમાં મળી નથી. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાના વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના વિષયમાં રાજનીતિ સાથેના ઉપેક્ષાપૂર્ણ વ્યવહારથી ઉભી થયેલી ખામી પર આત્મમંથન કરવું જોઈએ.

ત્યારે કહેવું પડે કે ભાઈ ના આવડતું હોય તેવું કામ કરવું જોઈએ નહીં અને કરવું જ પડે તો તેને પહેલા શીખી લેવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાને સાંસ્કૃતિક સંગઠન ગણાવે છે. તેઓ કહે છે કે રાજકારણથી તેમને કોઈ લેવાદેવા નથી. રાજનીતિ તેમના માટે જવા જેવી જગ્યા નથી. રાજનીતિમાં તેમના સ્વયંસેવકો જઈ શકે છે. આમ આરએસએસ રાજનીતિમાં પ્રત્યક્ષ રીતે પહોંચ્યું નથી. પરંતુ આઝાદી પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતીય જનસંઘને અને બાદમાં ભાજપને ટેકો આપ્યો છે, તેમના રાજકીય વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. પોતાના પ્રચારકો અને કાર્યકર્તાઓ તેમની રાજકીય પહોંચ વધારવા માટે દેશભરમાં કામ કરવા માટે આપ્યા છે. પરંતુ અત્રે સવાલ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે સ્વયંસેવકો રાજનીતિમાં ગયા છે, તેમણે વૈચારીક સ્પષ્ટતા અને શુદ્ધતા જાળવી છે? શું તેઓ ભ્રષ્ટાચારના વમળમાં ફસાતા પોતાની જાતને બચાવી શકયા છે? શું તેઓ જે ભારતીય સંસ્કૃતિના જતન માટે હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેવા વિચારો લઈને ચાલ્યા હતા તેને તેમણે નખશિખ સાચવ્યા છે?

જો આ રાજનીતિમાં ગયેલા સ્વયંસેવકો આવી બાબતોને સાચવી શક્યા ન હોય, તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું મિશન નિષ્ફળ ગયું છે. વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું પોતાનું મિશન નિષ્ફળ જવા સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ખુદ આત્મમંથન કરવું પડશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કેડર તૈયાર કરવા માટે પ્રથમ, દ્વિતિય અને તૃતિય વર્ષ નામે ઓળખાતી શિબિરો કરાવવામાં આવે છે. તૃતિય વર્ષ શિક્ષિત સ્વયંસેવકને વ્યક્તિત્વ નિર્માણનો આખરી તબક્કો માનવામાં આવે છે. તેમાં વ્યક્તિનું પૂર્ણપણે ઘડતર કરીને સમાજ માટે તેમને સારું કરવા માટે પૂર્ણ માનવામાં આવે છે.

આવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેડર અને પ્રચારકોને જુદાંજુદાં સામાજિક ક્ષેત્રોની સાથે સાથે રાજનીતિમાં મોકલવામાં આવે છે. આવા લોકો ખૂબ ગોટલા ફૂલાવતા ફૂલાવતા રાજનીતિમાં પહોંચી પણ જાય છે. પરંતુ તમને એવું એકપણ નામ યાદ આવે છે કે જે નામ રાજનીતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે રાજનીતિમાં આવ્યા પછી વરતીને પોતાની અમિટ છાપ મૂકી ગયું હોય. મારા વ્હાલા તમે તુરંત કહેશો કે શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાય આવા બે નામ છે. પરંતુ તમે ખાસ નોંધો કે શ્યામાપ્રસાદ મુખર્જીનો સંબંધ હિંદુ મહાસભા અને સાવરકરજી સાથે હતો. તેઓ ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ હતા. જ્યારે દીનદયાળ ઉપાધ્યાય જેવા કાબેલ અને સંપૂર્ણપણે નિષ્ઠાવાન પ્રચારકને તત્કાલિન સરસંઘચાલક માધવ સદાશિવ રાવ ગોલવલકરે ભારતીય જનસંઘના કાર્યવિસ્તાર માટે ડૉ. મુખર્જીને સોંપણી કરેલી હતી. એટલે આ બંને નામને આપણે ચર્ચામાંથી બાકાત રાખીશું. શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયનો હિંદુત્વ પ્રત્યે લગાવ અને નિષ્ઠા બંને શંકાથી પર છે.

પરંતુ આ સિવાયના સંઘ દ્વારા રાજનીતિમાં જનસંઘ અને ભાજપમાં મોકલાયેલા લોકો વત્તાઓછા અંશે વિચારધારાત્મક રીતે અથવા આર્થિક બાબતોમાં ભ્રષ્ટ સાબિત થયા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે, બંગારુ લક્ષ્મણ. ભાજપના સૌથી પહેલા દલિત અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ સંઘના તૃતિય વર્ષ શિક્ષિત છે. પરંતુ તેઓ તહેલકા સ્ટિંગ ઓપરેશનમાં એક લાખની લાંચ લેતા કેમેરામાં ઝડપાયા હતા. મામલો નકલી ડિફેન્સ ડીલનો હતો. કોર્ટે તાજેતરમાં સંઘના તૃતિય વર્ષ શિક્ષિત આ નમૂનાને ચાર વર્ષ કેદની સજા ફટકારી છે અને સાથે એક લાખનો દંડ પણ કર્યો છે.

બીજું ઉદાહરણ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન યેદિયુરપ્પાનું છે. તેઓ પણ સંઘના વરિષ્ઠ સ્વયંસેવક છે. પરંતુ તેમના પર જમીન ગોટાળા અને માઈનિંગ કૌભાંડ સંદર્ભે આંગળીઓ ચિંધાયેલી છે. લોકાયુક્તે પણ તેમની સામે આરોપો મુક્યા છે. પરંતુ આટલા બધાં ભ્રષ્ટાચારના આરોપો છતાં તેમાંથી તેઓ મુક્ત થઈને ફરીથી પોતાની નિર્દોષતા સાબિત કરવા ઈચ્છતા નથી, પરંતુ આવી જ પરિસ્થિતિમાં તેમને ફરીથી કર્ણાટકના મુખ્યમંત્રી બનવું છે. તેમણે ભાજપ હાઈકમાનને બળવો કરવા સુધીની કથિત ધમકી પણ આપી દીધી છે. તેમણે આ સંદર્ભે ભાજપ હાઈકમાન સામે ગડકરીની કર્ણાટક મુલાકાત વખતે મોટું શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.

ઉત્તરાખંડાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલને પણ ભ્રષ્ટાચારના મામલામાં દૂર કરવામાં આવ્યા હતા. તેમનો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધ છે. તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાંક પ્રચારકોના દોરીસંચાર સાથે મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. એનડીએ સરકારના ભૂતપૂર્વ મંત્રી દિલીપસિંહ જુદૈવનો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ગાઢ સંબંધ છે. પરંતુ છત્તીસગઢના નેતાએ કેમેરા પર લાંચ સ્વીકારતા શાયર બનીને કહ્યુ હતુ કે પૈસા ખુદા તો નહીં, લેકિન ખુદા સે કમ ભી નહીં. તેમના સંદર્ભે હજી કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે.

આ સિવાય આર્થિક જોડતોડ માટે પંકાયેલા દિવંગત પ્રમોદ મહાજન પર પણ ઘણી બધી બાબતોમાં આર્થિક સમજૂતી અને વિચારધારાત્મક રીતે સમજૂતી કરાઈ હોવાના આક્ષેપો થતા રહ્યા છે. પ્રમોદ મહાજન પર લગ્નેતર સંબંધો બાબતે પણ તેમની અંગત જિંદગીમાં આક્ષેપો થયા છે. પ્રમોદ મહાજન સંઘના પ્રચારક હતા અને તૃતિય વર્ષ શિક્ષિત હતા. એનડીએ હેઠળ બનેલી અટલ બિહારી વાજપેયીની ફીલગુડ સરકાર પ્રમોદ મહાજનના ઈશારે નાચતી હતી અને શાઈનિંગ ઈન્ડિયા કેમ્પેઈન પણ પ્રમોદ મહાજનના મગજની પેદાશ હતી. સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વર્ગસ્થ દતોપંતજી ઠેગડીએ આ એનડીએ સરકારને તેની આર્થિક નીતિઓને લઈને ક્રિમિનલ ગવર્નમેન્ટ અને તત્કાલિન નાણાં મંત્રી યશવંત સિંહાને ક્રિમિનલ ફાઈનાન્સ મિનિસ્ટર કહ્યા હતા. એનડીએના શાસનકાળમાં પણ દીનદયાળજીની વિચારધારા પ્રમાણે અંત્યોદય થયો નહીં કે ગાંધીજીની વિચારધારા પ્રમાણે સર્વોદય થયો નહીં, પરંતુ ઉદ્યોગપતિઓની, ઉદ્યોગપતિઓ દ્વારા ચલાવાયેલી અને ઉદ્યોગપતિઓ માટેની સરકારે અમીરોદયનો નવો યુગ શરૂ કરી દીધો અને આજે પણ આ અમીરોદય ભારતમાં પુરજોરમાં ચાલુ છે. ભારતની 70 ટકા સંપત્તિ દેશના 8200 વ્યક્તિઓ પાસે કેન્દ્રીત છે, આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. દેશમાં 42 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે અને કુલ 70 ટકા લોકો ગરીબ કહી શકાય તેવી શ્રેણીમાં આવી રહ્યા છે. પરંતુ ભારતની સંસદ અને તેના રાજ્યોની ધારાસભાઓમાં ગરીબના માપદંડ પર ખરો ઉતરતો અમુક અપવાદોને બાદ કરતા કોઈ સાંસદ કે ધારાસભ્ય નથી. આ રાજકીય પ્રવાહને સંઘના એકથી તૃતિય વર્ષ શિક્ષિત સ્વયંસેવકો બદલી શકયા નથી. કારણ કે આ સ્વયંસેવકોને ગરીબોની ચિંતા કરતા ઉદ્યોગપતિઓની ચિંતા વધારે હોય છે. તેઓ ગરીબોના કલ્યાણનું નહીં, પણ અમીરોના ઘર ભરવાનું વધારે વિચારે છે.

આ સિવાય વિચારધારાત્મક સ્તરે પણ સંઘ દ્વારા વ્યક્તિત્વ નિર્માણ પામેલા સ્વયંસેવકો ટાંચા સિદ્ધ થયા છે. અરે, ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીના ગૃહ નગર નાગપુરમાં મહાનગરપાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપે કટ્ટરવાદી મુસ્લિમ રાજકીય પાર્ટી મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી પ્રમાણે, મુસ્લિમ લીગના બે સભ્યોને નાગપુર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યા છે. મુસ્લિમ લીગની રાજકીય વિચારધારા બિલકુલ કોમવાદી છે, પાકિસ્તાનના નિર્માણ માટે મુસ્લિમ લીગના પુરોગામી મહંમદ અલી જિન્નાહની કોમવાદી ભૂમિકા કોઈનાથી પણ અજાણી નથી. પરંતુ અહીં આશ્ચર્યની વાત એ છે કે જે ભાજપને કેમોથેરપી કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા તેવા નીતિન ગડકરીની મુસ્લિમ લીગ સાથે સત્તાની ભાગબટાઈ કરવામાં ઘણી મોટી ભૂમિકા છે. ત્યારે સવાલ એ છે કે ગડકરી ભાજપને કેમોથેરપી આપે છે કે હિંદુત્વથી તરબદતર રહેલા સંઘને કટ્ટરવાદી મુસ્લિમ રાજકીય પાર્ટી સાથે ઘૂંટણિયા ટેકવા માટેની કેમોથેરપી આપી રહ્યા છે. શું મુસ્લિમ લીગ સાથે ભાજપને બેસાડીને ગડકરીએ તેને હિંદુત્વવાદી રહેવા દીધું છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાં નમૂના વિચારધારાત્મક સ્તરે નપાવાટ અને નપાણિયા સાબિત થયા છે, તેની તો લાંબી વણઝાર છે. તેમાં સૌથી મોટું નામ ભાજપના સૌથી મોટા હિંદુત્વવાદી ચહેરા લાલકૃષ્ણ કિશનચંદ અડવાણી છે. અડવાણી રામજન્મભૂમિ મુક્તિ આંદોલનના સૌથી મોટા સેનાપતિ રહ્યા છે. તેમણે રામરથ યાત્રા કાઢી અને બાબરી ઢાંચાને હટાવા સુધી હિંદુઓમાં ખૂબ મોટી જાગૃતિ પેદા કરી હતી. પરંતુ અડવાણીને વડાપ્રધાન બનવાની ખંજવાળ ઉપડી એટલે તેમણે હિંદુત્વવાદી ચહેરાને ફેંકી દીધો. પરંતુ તેનાથી આઘાતજનક વાત એ છે કે તેમણે જે રસ્તો અપનાવ્યો તે સૌથી વધારે ધૃણાસ્પદ રહ્યો છે. અડવાણી 2005માં પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે જાહેર કર્યું કે પાકિસ્તાનના સંસ્થાપક, ભારતના વિભાજન માટે જવાબદાર મહંમદ અલી જિન્નાહ સેક્યુલર હતા. તેમણે પાકિસ્તાનમાં જ કહ્યુ કે ભારતમાં બાબરી ઢાંચો તૂટયો તે તેમના જીવનનો સૌથી દુ:ખદ દિવસ હતો. તેમને ત્યારે પોતાના પરિવારે કરાચી છોડયું હતું,તે દિવસ બિલકુલ યાદ આવ્યો નહીં. આ સિવાય તેઓ ભારતના પહેલા એવા રાજકારણી બન્યા કે જેમણે જિન્નાહની મજાર પર જઈને માથું ટેકવ્યું.

અડવાણી જેવું જ બીજું મોટું નામ કલ્યાણસિંહનું હતું. બાબરી ઢાંચો તૂટયો તે વખતે તેઓ યૂપીના મુખ્યમંત્રી હતા. તેમણે રામજન્મભૂમિ આંદોલનમાં ઘણી મોટી ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમ છતાં તેમણે 1989માં અયોધ્યામાં કારસેવકોને ગોળીઓ ધરબી દેનારા મુલાયમ સિંહ સાથે હાથ મિલાવ્યો હતો. અત્યારે કલ્યાણસિંહ ભાજપમાં નથી.

ગુજરાતની વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા બહુ મોટું ઉદાહરણ છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો કર્યો અને અલગ પાર્ટી બનાવી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પછી પાર્ટી વિખેરીને કોંગ્રેસમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ સંઘ, જનસંઘ અને ભાજપમાં કુલ મળીને 28 વર્ષ કામ કર્યું હતું. એટલે કે 28 વર્ષ સુધી કોંગ્રેસને ગાળો આપનારા શંકરસિંહ વાઘેલા અત્યારે 2012માં કોંગ્રેસની ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. તેઓ પણ સંઘના ખૂબ સંનિષ્ઠ અને શિસ્તબદ્ધ સ્વયંસેવક ગણાતા હતા.

સૌથી વધારે આશ્ચર્ય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું છે. તેમનાથી દેશને અને દેશના લોકોને વિચારધારાત્મક રીતે ઘણી મોટી આશા છે. પરંતુ તેમણે ગુજરાતમાં વિચારધારાત્મક પ્રયોગો કોરાણે મૂકીને નવા પ્રયોગો શરૂ કર્યા છે. તેમણે કુલ 33 સ્થાનો પર સદભાવના મિશનના પ્રયોગો કર્યા છે. તેમની લાલસા આ સદભાવના મિશનના પ્રયોગો થકી સેક્યુલર બનીને દિલ્હીની વડાપ્રધાનની ગાદી અંકે કરવાની નેમ છે. તેઓ હવે આખા દેશમાં સદભાવના પ્રયોગો કરવા માટે આતુર હોય તેવું લાગી રહ્યું છે. નરેન્દ્ર મોદી પર પણ દીનદયાલ ઉપાધ્યાયની એકાત્મ માનવવાદી વિચારધારા પ્રમાણે નહીં ચાલવા માટે ગણગણાટ સ્વરૂપે ટીકા થઈ રહી છે. તેમના રાજ્યમાં અંત્યોદયના બદલે અમીરોદય ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ગુજરાતના વિકાસ માટે એવું કહેવાય છે કે આ તો ચાર-પાંચ મુખ્યમંત્રી મોદીના માનીતા ઉદ્યોગપતિઓનો વિકાસ છે.

નરેન્દ્ર મોદીના પાર્ટીમાં સૌથી મોટા પ્રતિસ્પર્ધી સંજય જોશીની હાલત પણ બહુ સારી નથી. તેમના પર ચારિત્રિક આક્ષેપો અને સીડી પ્રકરણને કારણે તેમની કારકિર્દી પર પણ બ્રેક વાગી ગઈ હતી. જો કે તેમાથી તેઓને ક્લિનચિટ મળ્યા બાદ યૂપીમાં ચૂંટણી પ્રભારી તરીકે તેમને કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ તેમાં સારી રીતે સફળ થયા નથી. મહિલા હોવાથી સંઘમાં ન હતા, પરંતુ સંઘના ખૂબ નજીકના ગણાતા ઉમા ભારતીએ ભાજપમાં આવન-જાવન કરીને પોતાની સંગઠન પ્રત્યેની અસ્થિરતાને વારંવાર ઉજાગર કરી છે. જેને કારણે ક્યારેક વાજપેયી પછી ભાજપમાં સૌથી મોટા માસ લીડર ગણાતા ઉમા ભારતીનું રાજકીય કદ હાલ ખૂબ નાનું થઈ જવા પામ્યું છે. તેમને પણ યૂપીની ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ચૂંટણીના પરિણામોએ તેમની તરફેણ કરી નથી.

ભારતીય જનસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ બલરાજ મધોકને અટલ બિહારી વાજપેયી સાથેના ગજગ્રાહને કારણે પાર્ટી છોડવી પડી હતી. તો અટલ બિહારી વાજપેયીની વિચારધારાત્મક અડગતા પર ઘણાં સંઘ-ભાજપની અંદરના અને બહારના લોકોએ શંકા વ્યક્ત સમયસમય પર શંકા વ્યક્ત કરી હતી. બલરાજ મધોકે દીનદયાલ ઉપાધ્યાયના મૃત્યુ વખતે અટલ બિહારી વાજપેયી અને નાનાજી દેશમુખ સંદર્ભે કેટલીક આશંકાઓ વ્યક્ત કરી હતી. બલરાજ મધોક અટલ બિહારી વાજપેયીને હંમેશા જનસંઘના નેહરુ કહેતા હતા. એટલે આમની હિંદુત્વની વિચારધારા વિશે વાત કરી શકાય તેમ નથી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ હોનારતો અને 1962ના યુદ્ધમાં ખૂબ કામમાં આવ્યા. 1962ના યુદ્ધમાં ચીન સામે ભારતીય સેનાને રસદ પહોંચાડવાનું કામ સંઘના સ્વયંસેવકોએ ખૂબ દિલેરીથી કર્યું હતું. તેને કારણે દિલ્હી 1963માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં આમંત્રિત કર્યા હતા. તો વિભાજન વખતે હિંદુ-શીખોની લાશો એકઠી કરવાના કામમાં, હિંદુ-શીખોની રાહત છાવણીઓમાં દેખરેખ રાખવા, મચ્છુ હોનારત, લાતુર ભૂકંપ, કચ્છ ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી હોનારતોમાં મડદાં ઉંચકવાના કામમાં સંઘના સ્વયંસેવકો ખૂબ નામના ધરાવે છે. પરંતુ દેશની કમબખ્તી છે કે સંઘના સ્વયંસેવકો મડદાં ઉંચકવામાં જેટલી નામના ધરાવે છે, જેટલી પ્રામાણિકતા મડદાં ઉંચકવામાં દાખવે છે, તેટલી નામના અને પ્રામાણિકતા તેઓ રાજનીતિમાં દાખવી શક્યા નથી.

આમા વાંક કોનો છે, ભારતીય સમાજનો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વ્યક્તિ નિર્માણના મિશનનો? શું ભારતીય સમાજના સદીઓથી રાજનીતિ પ્રત્યે ઉપેક્ષાપૂર્ણ વ્યવહારથી સંઘનું વ્યક્તિત્વ નિર્માણ તેમાં હંમેશા ઉતરતું સાબિત થાય છે? સંઘની વિચારધારા પ્રમાણે રાજનીતિનું સ્થાન ઘરમાં રહેલા સંડાસ જેવું છે. જેમાં કોઈને જવું ગમે નહીં, પણ જવું પડે. આટલી ઉપેક્ષા અને આટલી નફરત રાજનીતિ પ્રત્યે સંઘ શા માટે ધરાવે છે? શું સમાજના અન્ય ક્ષેત્રોમાં સફળ થઈ રહેલા સંઘના સ્વયંસેવકો રાજનીતિમાં નિષ્ફળ જઈ રહ્યા છે તેની પાછળ સંઘનો રાજનીતિ માટેનો નફરત ભરેલો અભિગમ છે? વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના સંઘના મિશનમાં તેમણે રાજનીતિનો સહારો તો લેવો જ પડશે. રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં રાજનીતિનો ઘણો મોટો ફાળો રહેલો છે. વળી નિર્માણ પામેલા રાષ્ટ્રને ટકાવા માટે પણ રાજનીતિનું યોગદાન ખૂબ મોટું રહેવાનું છે. ત્યારે આવી સ્થિતિમાં રાજનીતિ પ્રત્યે સકારાત્મક અભિગમ પણ ઘણું મોટું પરિવર્તન આણિ શકે છે.






શનિવાર, 29 ઑક્ટોબર, 2011

રાજનીતિ નહીં, રાજકારણીઓ ગંદા!


-આનંદ શુક્લ

ભારતમાં રાજ્યને સમાજ અને સમાજને ધર્મ સંચાલિત કરતો આવ્યો છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે. આઝાદી પછી રાજ્ય સમાજને અને સમાજ ધર્મને સંચાલિત કરી રહ્યો છે. ભારતમાં રાજ્ય સમાજની બાબતમાં હસ્તક્ષેપ કરી રહ્યો છે. સમાજ તેને કારણે પોતાની ધાર્મિક પરંપરાઓ અને આધુનિકતાને કારણે શ્રદ્ધા-આસ્થાની બાબતો સાથે બાંધછોડ કરી રહ્યો છે. ભારતમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છે કે રાજ્ય મોટાભાગે હિંદુ સમાજની સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. હિંદુ કોડ બિલ, મંદિર-હિંદુ ધાર્મિક ટ્રસ્ટોને સરકારની જદ્દમાં લેવા વગેરે પ્રવૃતિઓ પૂરજોરમાં ચાલી રહી છે. ભારતમાં ગોહત્યા હંમેશાથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે, ગોહત્યા સૌથી મોટું પાપ છે. ભારતીય શાસ્ત્રોમાં દરેક પાપનું પ્રાયશ્ચિત છે. પરંતુ ગોહત્યાના પાપનું પ્રાયશ્ચિત ઘણું અઘરું છે. પરંતુ આઝાદી બાદ કથિત વિકાસના માર્ગે પ્રગતિની હોડમાં ભારતમાં ગોહત્યા પ્રત્યેની હિંદુઓની ધાર્મિક સંવેદનશીલતાને ખતમ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્રકારી વલણ અખત્યાર કર્યું છે. આજે ભારતમાં ગોહત્યા અઢી લાખ કરોડ રૂપિયાનું સ્થાપિત હિત બની રહ્યું છે. વિકાસના નામે રસ્તા પરની કબરો-ચર્ચો એમના એમ રહે છે, પરંતુ હિંદુ આસ્થા કેન્દ્રોને તોડી નાખવા ભારતના રાજકારણીઓની નવી ફેશન છે. હિંદુ આસ્થા સંદર્ભે કોઈ વાત કહેવી કોમવાદી ગણાય છે. હિંદુઓને હવે તો દરેક હુલ્લડો માટે દોષિત ઠેરવવા માટેનો કાયદો પણ કેન્દ્ર સરકાર લાવવા માંગે છે.

ધર્મને કારણે સમાજની એક ખાસ બાંધણી હતી. પરંતુ રાજ્યના સક્ષમ અને સબળ થવાને કારણે સમાજની બાંધણી વિખાઈ છે. તેમાં રાજ્યનો સૌથી મોટો ફાળો છે. આ રાજ્ય નામની સંસ્થા પર સમાજની પકડ ફરીથી સ્થાપિત થાય અને સમાજ પર ધર્મની પકડ પુનર્પ્રસ્થાપિત થાય તેના માટે રાજનીતિ જ સૌથી વધારે યોગ્ય રસ્તો છે. પરંતુ ભારતમાં રાજનીતિ પ્રત્યે ઉપેક્ષા, દુર્લક્ષ અને અનાદરની ભાવના છે. રાજનીતિને નીચા દરજ્જાની ગણવામાં આવે છે. તેના કારણે રાજનીતિમાં સારાં માણસોનું જવું ઘણું ઓછું થઈ ગયું છે. રાજનીતિમાં રહેનારા રાજકારણીઓને ભારતમાં ખૂબ ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે. ભારતના રાજનીતિ પ્રત્યેના દ્રષ્ટિકોણને કારણે અહીંની રાજનીતિ તેના ભ્રષ્ટ આચારના સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ છે. ભારતની રાજનીતિ આજે અપરાધ, ભ્રષ્ટાચાર અને દેશહિત વિરોધી બાબતોથી સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. ભારતનો રાજનીતિ પ્રત્યેનો આ દ્રષ્ટિકોણ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધારે વિકટ બનશે. રાજનીતિને ગંદી ગણવાને કારણે કોઈ સારો અને સજ્જન વ્યક્તિ તેમાં ગંદો થવા માટે તૈયાર નથી. તેના કારણે રાજનીતિમાં ગંદગી વધી રહી છે. ભારતે રાજનીતિને સ્વચ્છ બનાવવા માટે પોતાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે. ભારતે રાજનીતિને ચોખ્ખી બનાવવા માટે તેમા રહેલી ગંદગીને સાફ કરવા માટે ગંદા થવાની હિંમત ધરાવતા વ્યક્તિઓને કીચડમાં ઉતારવા પડશે. આ ઘણું હિંમતનું કામ છે કે ગંદગીમાં ઉતરીને તેને ઉલેચીને સ્વચ્છતા ઉભી કરવી. આમ કરનાર વ્યક્તિને સમાજ કદાચ હાલ પૂરતો સારી નજરથી જોશે નહીં. પરંતુ આગળ જતાં આવા વ્યક્તિની કિંમત સમાજને જરૂરથી માલૂમ પડશે.

હકીકતમાં રાજનીતિ હાલના સંજોગોમાં જનકલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. રાજ્ય અત્યારે સૌથી પ્રભાવી સંસ્થા થઈ ગઈ છે. ત્યારે રાજ્ય પર સમાજનો અને સમાજ પર ધર્મનો પ્રભાવ રહે તેના માટે વિશેષ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. આ જરૂરિયાતની પૂર્તિ માટે રાજનીતિ દ્વારા રાજ્ય પર વર્ચસ્વ મેળવવું પણ આવશ્યક છે. લોકોને સમજાવવાની જરૂર છે કે રાજનીતિ સ્વત્ ખરાબ નથી. રાજનીતિ તેમા આવેલા સ્વાર્થી અને ટૂંકી દ્રષ્ટિના ગંદા માણસોને કારણે ગંદી બની છે. રાજનીતિ ફરીથી સ્વચ્છ અને જનકલ્યાણનું સૌથી સશક્ત માધ્યમ બની શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે રાજનીતિમાં ગંદા માણસોનો પ્રભાવ દૂર કરીને સારાં માણસોનો પ્રભાવ વધારવામાં આવે. આમ કરવાથી રાજનીતિ સ્વચ્છ બનશે અને તેના મૂળ ઉદેશ્યને પાર પાડવા માટે કામ કરી શકશે.

દંભી લોકો અને દંભી સંગઠનો પોતે રાજકીય ન હોવાની વાત કરે છે. પરંતુ તેમણે અખત્યાર કરેલા રસ્તા અને વિકલ્પોનો પ્રભાવ એટલો નથી કે જેનાથી રાજનીતિ પર વર્ચસ્વ જમાવીને તેને જનકલ્યાણ અને સત્યના માર્ગે પાછી લાવી શકાય. રાજનીતિ દંભી લોકો અને સંગઠનોના વિકલ્પોને પણ વટલાવી નાખે છે. તેના કારણે રાજનીતિનું સમાજકરણ અને સમાજનું ધાર્મિકીકરણ કરવું આવશ્યક છે. ધર્મનો અર્થ કર્મકાંડ, વિધિ-વિધાન અને પરંપરાઓ સુધી સીમિત નથી. ધર્મ આ બધી બાબતો સાથે નૈતિકતા, મૂલ્ય અને સિદ્ધાંતને પણ આવરી લે છે. તે જીવન શૈલી અને જીવન પદ્ધતિના દરેક આયામને પોતાનામાં સમાવિષ્ટ કરે છે.

ભારતમાં રાજનીતિને નીચી ગણવાની શરૂઆત લગભગ બારસો વર્ષ જૂની હશે. બાકી ભારતમાં રાજનીતિને કલ્યાણનીતિ તરીકે વેદ, રામાયણ અને મહાભારતમાં જોવામાં આવી છે. ભારતની રાજનીતિના સિદ્ધાંતો મનુ, શુક્રનીતિ, વિદૂરનીતિ અને ચાણક્ય નીતિથી દ્રષ્ટિમાન થાય છે. રાજનીતિ કેટલી ઉદ્દાત છે અને તેની શું શક્તિ છે તથા આ શક્તિનો આવિર્ભાવ કરીને તેને લોકકલ્યાણ માટે કેવી રીતે વાપરી શકાય તે ભારતના મહાન ઋષિ-મુનિઓ અને રાજકીય વિચારકોએ જણાવ્યું છે. ચાણક્યના રાજનીતિ સૂત્રો આધુનિક રાજનીતિ સૂત્રો કરતાં પણ વધારે ગહન છે. ભારતમાં મુસ્લિમ આક્રમણો વખતે ભારે રક્તપાતને કારણે લોકોનો રાજ્ય, રાજા અને રાજનીતિ પરથી મોહભંગ થયો હતો. રાજ્ય, રાજા લોકોની રક્ષા કરવામાં સક્ષમ રહ્યાં નહીં અને સત્તા વિધર્મીઓના હાથમાં જવાથી રાજ્ય અને રાજનીતિ નીચતા અને અધમતાના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ હતી. જેના કારણે રાજનીતિ પ્રત્યે અલિપ્તતાએ રાજનીતિ માટે ઉપેક્ષા, અણગમો, દ્વેષ અને દુર્લક્ષ સહીતના અનાદરની શરૂઆત કરી હતી. આ વૃતિ આઝાદી પછી પણ આજે ચાલુ છે. મહાત્મા ગાંધી ચૂંટણીના રાજકારણથી અલિપ્ત રહ્યાં અને મહાત્મા તરીકે પંકાયા. મહાત્મા ગાંધીએ આઝાદ ભારતમાં કોઈપણ સરકારી પદ ગ્રહણ કરવાની વાતને સ્વીકારી નહીં. તેમની આવી વૃતિને કારણે તેઓ બિનરાજકીય ગણાયા અને રાષ્ટ્રપિતાના સર્વોચ્ચ સમ્માનને પામ્યા. પદ લાલસા વગર કામ કરવાની પરંપરામાં જયપ્રકાશ નારાયણને લોકનાયકની ઉપાધિ આપવામાં આવી. લોકનાયકે કટોકટીની લોખંડી સાંકળોને તોડીને ઈન્દિરા ગાંધીની તાનાશાહીથી દેશને આઝાદ કરાવ્યો હતો. હકીકતમાં ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરવામાં આવેલી આંતરીક કટોકટીને લોકનાયકની આગેવાની દ્વારા થયેલા આંદોલનમાં ઉઠાવી લેવી પડી તે દેશની બીજી આઝાદી છે. અણ્ણા હજારે અત્યારે જનલોકપાલ બિલની તરફેણમાં અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે. પરંતુ તેઓ કહે છે કે તેમનું આંદોલન અરાજનીતિક છે. તેમનું આંદોલન કોઈ રાજકીય પક્ષની તરફેણમાં નથી. તેમણે પોતાના અનશનના મંચ પર કોઈ રાજકારણીને આવવા દીધા ન હતા. અણ્ણાના અનશન આંદોલનમાં રાજકારણીઓને ભરપૂર ટીકાને પાત્ર બનાવવામાં આવ્યા. પરંતુ અહીં પણ દ્રષ્ટિકોણ ખોટો છે કે રાજનીતિ અણગમાને પાત્ર છે. રાજનીતિમાં ગયા વગર જ બધું વ્યવસ્થિત, યોગ્ય કરીને પાટા પર લાવી દેવામાં આવશે, તેવો તર્ક બિલકુલ અયોગ્ય છે. રાજનીતિને બદલવા માટે રાજનીતિના ખેલમાં સામેલ થવું જ પડશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતે સાંસ્કૃતિક સંગઠન હોવાની વાત કરે છે. પરંતુ એ હકીકત છે કે ભારતીય રાજનીતિના બીજા ધ્રુવ ભાજપની કમાન અને કંટ્રોલ આરએસએસના હાથમાં વિવિધ પદ્ધતિઓ હેઠળ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થાય છે. સાંસ્કૃતિક અને સામાજીક આકાંક્ષાઓની પૂર્તિ માટે રાજનીતિ માધ્યમ બની શકે છે અને હાલના સંજોગામાં તેને માધ્યમ બનાવવું પડશે. પરંતુ તેમ છતાં તેનાથી દૂર રહેવાની વૃતિ સમજથી પર છે. પરંતુ એક હકીકત એ છે કે સંઘની આવી વૃતિને કારણે રાષ્ટ્રહિત અને સમાજહિતને ઘેરું નુકસાન પહોંચી રહ્યું છે. આજે ભાજપ કોંગ્રેસના રસ્તા પર ચાલી નીકળ્યું છે અને કોંગ્રેસ મુસ્લિમ લીગ બનવા તરફ અગ્રેસર છે. તેવા સંજોગોમાં ભારતીય હિંદુ સમાજની રાજકીય અભિવ્યક્તિ માટે કોઈ સશક્ત વિકલ્પ રહેતો નથી. ત્યારે ભારતના વિરાટ હિંદુ સમાજને રાજકીય અભિવ્યક્તિ માટે જો કોઈ પ્લેટફોર્મ નહીં મળે, તો તેવા સંજોગોમાં તે વિકલ્પહીન પરિસ્થિતમાં મૂકાશે. હિંદુ સમાજ રાજકીય વિકલ્પહીનતાનો શિકાર બનશે, તો તેની અસર અત્યાર સુધી કરેલા તેની એકતાના પ્રયાસો પર પડશે. હિંદુ એકતા પર થયેલી ખરાબ અસરનું પરિણામ રાષ્ટ્રહિત અને સમાજહિતના નુકસાનથી ચુકવવાનો વારો આવશે.

રાજનીતિ કરવા માટે મહાભારતના શાંતિપર્વમાં ખૂબ સૂચનો આપવામાં આવ્યા છે. લંકાપતિ દશાનન રાવણ જ્યારે મૃત્યુશૈય્યા પર હતા, ત્યારે ભગવાન શ્રીરામે લક્ષ્મણને તેમની પાસે મોકલીને રાજનીતિના સૂત્રો શીખવાની આજ્ઞા કરી હતી. ભારતની રાજનીતિમાં શુક્ર, વિદૂર અને ચાણક્યએ ગંભીર ચિંતનના પરિપાકરૂપ રાજકીય સૂત્રો આપ્યા છે. તેનો ગહન અભ્યાસ કરીને અત્યારે રાજનીતિને સમાજનીતિ બનાવવા અને સમાજનીતિને રાષ્ટ્રનીતિ બનાવવાના મિશન સાથે કેટલાંક મરજીવાઓને રાજનીતિમાં ઉતારવાની સૌથી મોટી આવશ્યકતા છે. આવા એક હજાર મરજીવાઓએ રાજનીતિને આગામી એક દશકામાં સાફસૂફ કરીને સ્વચ્છ બનાવી શકે તેમ છે. પરંતુ આવા જીવનવ્રતી મરજીવાઓને રાજનીતિના કીચડમાં ઉતારવા માટે હાલ કોઈ તૈયાર થઈ રહ્યું નથી. વળી જે મરજીવાની જેમ કામ કરી રહ્યાં છે, તેમના કપડાં રાજનીતિના કીચડમાં ગંદા થયેલા જોઈને ગભરાટ અને કકળાટ ઉભો કરવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારે જરૂર છે કે તન-મનથી ગંદા થયેલા લોકોની શુદ્ધિ થાય અને જેમના આત્મા મરી પરવાર્યા છે, તેમની સાથે સંબંધ વિચ્છેદ કરવામાં આવે. પરંતુ આટલી મોટી હિંમત ક્યારે બતાવવામાં આવશે, તે સૌથી મોટો પ્રશ્ન છે. વિક્રમ સંવત 2068ના પ્રારંભે રાજનીતિના શુદ્ધિકરણના સંકલ્પ સાથે મરજીવાઓ તૈયાર કરવાના મિશન પર સમાજ અને દેશ-રાષ્ટ્રની ચિંતા કરનારા વિચારકો-ચિંતકોએ વિચાર કરવો જોઈએ.

શુક્રવાર, 27 મે, 2011

રાષ્ટ્રીય સંકટ: દેશની રાજનીતિમાં વિચારશૂન્યતાની સમસ્યા

ભારતીય રાજનીતિમાંથી વિચાર ખોવાય ગયા છે. હવે રાજકારણમાં વિચારધારાની લડાઈઓ જોવા મળી રહી નથી. દરેક પક્ષોમાં વત્તા-ઓછાં પ્રમાણમાં વ્યક્તિવાદી અને/અથવા પરિવારવાદી રાજકારણે પકડ જમાવી દીધી છે. 80ના દાયકાની રાજનીતિમાં સેક્યુલારિઝમ, કમ્યુનિઝમ કે હિંદુત્વની રાજનીતિક વિચારધારા માટે વિચારથી કામ કરનારા રાજનીતિજ્ઞો જોવા મળતાં હતા. અત્યારના રાજકારણીઓમાં વિચાર નથી અને તેને કારણે વિચારધારાની સમજનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

જાણીતાં ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ ભારતીય રાજનીતિમાં એક સંકટની તરફ સૌનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે. પોતાના એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું છે કે દેશમાં ચિંતનશીલ રાજનેતાની અછત ઉભી થઈ રહી છે. વળી તેનાથી પણ મોટી ચિંતાની વાત એ છે કે આજના નેતા જેમના અનુયાયી હોવાનો દાવો કરે છે, તેમના સંદર્ભે તેઓ કંઈ જ જાણતાં નથી. ગુહાનું માનવું છે કે આઝાદીની આંદોલન દરમિયાન આવા ઘણાં રાજનેતાઓ સામે આવ્યા હતા. તેમની પાસે આધુનિક સમાજીક-રાજનીતિક વ્યવસ્થા માટે નિશ્ચિત પરિકલ્પના હતી. તેમની આંખોમાં દેશ માટે આગવું સપનું તરતું હતું. તેઓ વિચારસંપન્ન લોકો હતા. તેમની પાસે લોકતંત્ર, રાષ્ટ્રવાદ, આર્થિક નીતિ, ધર્મ, લિંગભેદ, જાતિ, પર્યાવરણ અને વિશ્વ સાથે ભારતના સંબંધો સંદર્ભે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય હતો. તેઓ પોતાના વિચાર પર દ્રઢ રહેતા હતા. તેના માટે તેઓ સંઘર્ષશીલ રહેતા હતા.

આવા નેતાઓમાં મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, વિનાયક દામોદર સાવરકર, જયપ્રકાશ નારાયણ, એમ.એસ.ગોલવલકર, રામમનોહર લોહિયા, દીનદયાળ ઉપાધ્યાય વગેરે નેતાઓને સામેલ કરી શકાય છે. જો કે આજના ભારતીય રાષ્ટ્રીય રાજનીતિના પરિદ્રશ્ય પર નજર માંડવામાં આવે, તો હાલના નેતાઓ આઝાદી કાળના નેતાઓના રાજકીય ચિંતનના કદ સામે વામણાં લાગે છે. હાલના નેતાઓમાં દેશને આગળ લઈ જવાના વિઝનની કમી હોવાનું સ્પષ્ટ વર્તાય આવે છે. કારણ કે જે રીતે છેલ્લા કેટલાંક સમયથી ભારત રાષ્ટ્રીય રાજનીતિમાં અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આતંકવાદ, નક્સલવલાદ, કાશ્મીર, પાકિસ્તાન, કોમવાદ સામે પછડાત ખાતું આવ્યું છે, તે રાજકારણીઓના વામણાંપણાંની સાબિતી છે.

જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન વૈચારીકતાની જમીન પર ઉભરનારું અંતિમ રાજકીય અભિયાન સાબિત થયું છે, જેના પોતાના કેટલાંક મૂલ્યો હતા. જેમા વ્યાપક જનભાગીદારી હતી અને જેની એક અખિલ ભારતીય દ્રષ્ટિપણ હતી. ખુદને જેપી આંદોલનની પેદાશ ગણાવનારા નેતાઓ શું કરી રહ્યાં છે, તેને પૂરો દેશ જોઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ ગાંધી અને નહેરુના આદર્શો સાથે હવે શું સંબંધ ધરાવે છે, તે કોઈથી છુપું રહ્યું નથી. ત્યારે ભાજપ પણ હિંદુત્વની પોતાની વિચારધારા અને તેના ચિંતનમાં અસમંજસમાં પડેલું લાગે છે.

હકીકતમાં 80ના દશકથી ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. આ રાષ્ટ્રીય વિચારના ખંડિત થવાનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન પ્રાદેશિકતા પ્રભાવી બની હતી. પંજાબ, આસામ અને કાશ્મીર સમસ્યાના અખિલ ભારતીય દ્રષ્ટિકોણને ઘેરો ધક્કો લાગ્યો હતો. જો કે હિંદુત્વવાદી શક્તિઓએ પોતાની રીતે અખિલ ભારતીયતાને શોધવા અને રાષ્ટ્રીય સ્તરે ધ્રુવીકરણની કોશિશ કરી હતી.

જો કે કોંગ્રેસે ઉદારીકરણ દ્વારા હિંદુવાદી રાજનીતિનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ત્રણ દશકોમાં રાજનીતિના સ્વરૂપમાં આસમાન જમીનનું ભારે અંતર અને પરિવર્તન સર્જાયું છે. હવે વિચારની જગ્યાએ રણનીતિ અને રાજનેતાઓની જગ્યા પોલિટિકલ મેનેજરોએ લઈ લીધી છે. રાજનેતા અને જનતાના સંવાદો લગભગ સમાપ્ત થઈ ગયા છે.

જનસમાન્યથી વધતાં અંતરે જ સામાજીક-આર્થિક સમસ્યાઓ પર તેમની પકડને ઢીલી કરી દીધી છે. રાજકારણીઓ સૂત્રો અને પ્રતિકોની ઘોર વ્યક્તિવાદી અને પરિવારવાદી રાજનીતિમાં ફસાય ગયા છે. વિચારધારાના સંકટના કારણે જ પ્રચારમાં પ્રજા સાથે વાતનું સ્તર ઘણું નીચે ઉતરી ગયેલું લાગે છે. ઉમર અને રાહુલને આઈપોડ બેબી કહેવામાં આવે છે. તો શરદ યાદવ રાહુલ ગાંધીને ગંગામાં ફેંકવાની વાત કરે છે. સામે પક્ષે પણ આવા જ નિવેદનો અને વાતો કરવામાં કોઈ છોછ અનુભાતો નથી. નેતાઓનું છીછરાપણું તેમની પ્રજા સાથેની વાતમાં ઉડીને આંખે વળગે છે.

ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ ઘણું મોટું નુકસાન સર્જી રહ્યું છે. તેના કારણે આજે કાશ્મીર મુદ્દે જે થઈ રહ્યું છે, તે કોઈનાથી અજાણ્યું નથી. વૈચારીક અસ્પષ્ટતાઓ રાષ્ટ્રીય હિતો માટે નુકસાન દેહ સાબિત થઈ રહી છે. ભીડ ભેગી કરવી લોકોને પીટ ક્લાસ વાતો કરીને મતો મળેવવા અને ચૂંટણી જીતની સત્તાસુખ ભોગવવું જ આજના રાજનેતાઓના લક્ષ્ય બની ગયા છે. ત્યારે ખરેખર દેશહિતચિંતક રાજનેતાની ભારતને તાતી જરૂર છે. આ દેશહિતચિંતક નેતા જ ભારતને તેની આંતરીક અને બાહ્ય સમસ્યાઓમાંથી બહાર કાઢી શકશે.

કારણ ભૂખ જેટલી મોટી સમસ્યા છે, આતંકવાદ પણ એટલી જ મોટી સમસ્યા છે. ગરીબી જેટલી મોટી સમસ્યા છે, કાશ્મીર પણ એટલી જ મહત્વની સમસ્યા છે. કોમવાદ જેટલો મોટો મુદ્દો છે, રામજન્મભૂમિ વિવાદ પણ એટલો જ મોટો મુદ્દો છે. બેકારી જેટલો મોટો મુદ્દો છે, આંતકવાદ પણ એટલી જ વિકરાળ સમસ્યા છે. સડતું અનાજ જેટલી મોટી સમસ્યા છે, તેટલું જ પાકિસ્તાન અને ચીન તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. રાષ્ટ્રીય હિતો માટે ભ્રષ્ટાચાર સહીતનો કોઈ મુદ્દો નાનો કે મોટો હોતો નથી. દરેક મુદ્દા અને સમસ્યા તથા યોજનાઓ સાથે રાષ્ટ્રીય હિતો જોડાયેલા હોય છે. ત્યારે રાષ્ટ્રહિતચિંતક બનીને દેશના નેતાઓએ કામ કરવું જોઈએ. દેશની રાજનીતિમાં આવેલા વૈચારીક સંકટને દૂર કરીને દેશને, દેશના લોકને નવી દિશા આપવી જોઈએ.

વાચક મિત્રો આ સંદર્ભે આપ શું વિચારો છો? આપના વિચારો અને મંતવ્યો અમને નીચેના ફીડબેક ફોર્મ દ્વારા મોકલી શકો છો.