બુધવાર, 22 જૂન, 2016

પરમાણુ હુમલાની ધમકી આપતું આતંકનું આકા પાકિસ્તાન હજીપણ અમેરિકાનું લાડકવાયું

 ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતું પાકિસ્તાન

આતંકનું આકા પાકિસ્તાન હજીપણ અમેરિકાનું લાડકવાયું

-  -  પ્રસન્ન શાસ્ત્રી

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની દોસ્તીના મોટા-મોટા દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ભારત અને દુનિયામાં આતંકવાદના એપીસેન્ટર એવા પાકિસ્તાનને અમેરિકા દ્વારા જંગી મદદ ચાલુ રાખવામાં આવી છે. અમેરિકાની પ્રતિનિધિસભામાં પાકિસ્તાનને મદદમાં કાપ મૂકવાની માગણી કરતા એક નહીં પણ બે કાયદાકીય સંશોધનો નામંજૂર થયા છે.

અમેરિકાનું હજીપણ લાડકું પાકિસ્તાન-

ભારતમાં છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો ખેલ ખેલતું પાકિસ્તાન આતંકના આકાઓનો વૈશ્વિક અડ્ડો છે. અલકાયદાના ચીફ ઓસામા-બિન-લાદેન અને તાલિબાન ચીફ મુલ્લા મંસૂર અખ્તરને અમેરિકાએ જ પાકિસ્તાનમાં ખતમ કર્યા છે. આ પહેલા મુલ્લા ઓમર પણ પાકિસ્તાનમાં જ માર્યો ગયો હતો. આટ.. આટલા પુરાવા છતાં આતંકના એપીસેન્ટર પાકિસ્તાનને જંગી આર્થિક મદદ અમેરિકા દ્વારા ચાલુ રાખવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ખૂબ પ્રભાવશાળી ભાષણ કર્યું હતું. જ્યારે અમેરિકાના સાંસદોએ 66 વખત તાળીઓ વગાડી અને નવ વખત ઉભા થઈને મોદીની વાતને બિરદાવી ત્યારે લાગ્યું કે આ અમેરિકાના નીતિ-નિર્ધારકનું માનસ પરિવર્તન છે. પરંતુ જ્યારે અમેરિકન સાંસદો દ્વારા પાકિસ્તાનને અપાતી મદદમાં ઘટાડો કરવા માટેના એક નહીં.. પણ બે-બે કાયદાકીય સંશોધનોને મંજૂરીનો ઈન્કાર થયો..  ત્યારે તેમના પાકિસ્તાન પ્રેમની મજબૂરી ખૂબ મજબૂતપણે ઉજાગર થઈ.

એક તરફ અમેરિકા દુનિયામાંથી આતંકવાદને સમાપ્ત કરવાની લડાઈ લડવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે બીજી બાજુ પાકિસ્તાનને જંગી આર્થિક મદદ કરીને મોટું આશ્ચર્ય અને આઘાત બંને પેદા કરી રહ્યું છે. આશ્ચર્ય સાથે અમેરિકાની પ્રતિનિધિ સભાના મોટાભાગના સાંસદોએ કહ્યુ છે કે પરમાણુ હથિયારોથી સંપન્ન એક દેશ સાથે સંબંધ બનાવી રાખવો જરૂરી છે. પછી ભલે તે આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં વધુ કંઈ કરી રહ્યો હોય નહીં.  

અમેરિકાની પ્રતિનિધિસભામાં નામંજૂર થયેલું પહેલું સંશોધન કોંગ્રેસના સભ્ય ટેડ પો દ્વારા લાવવામાં આવ્યું હતું. જેમાં તેમણે ગઠબંધન સહયોગ ફંડ- એટલે કે સીએસએફમાંથી પાકિસ્તાનને આપવામાં આવનારી મદદને 90 કરોડ ડોલરના સ્થાને ઘટાડીને 70 કરોડ ડોલર કરવાની માગણી કરી હતી. ટેડ પોનું સંશોધન અમેરિકાની પ્રતિનિધિસભામાં 191 વિરુદ્ધ 230 મતોએ નામંજૂર થયું હતું.

બીજું સંશોધન અમેરિકન કોંગ્રેસના સભ્ય ડાના રોહરાબચરનું હતું. તેમાં પાકિસ્તાનને મદદ ઉપલબ્ધ કરાવવા માટે ફંડનો ઉપયોગ નહીં કરવાની માગણી કરી હતી. આ સંશોધન પણ 84 વિરુદ્ધ 236 મતના મોટા અંતરથી નામંજૂર થયું હતું.

મદદની લ્હાણી અને ચેતવણી-
અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. પેન્ટાગોને એક સીધા સંદેશામાં કહ્યુ છે કે આતંકવાદના અડ્ડાઓથી અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર અસર પેદા થશે.

મિત્ર પાકિસ્તાન હવે અમેરિકાનું કેટલા પ્રમાણમાં દોસ્ત રહ્યું છે.. તેના સંદર્ભે અંકલ સેમ જ જાણ છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે નવા મિત્ર છે. એક તરફ પાકિસ્તાનને અમેરિકાની સંસદમાંથી જંગી ફંડને મંજૂરી આપવામાં આવે છે.. તો બીજી તરફ અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન દ્વારા પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવે છે.

અમેરિકન કોંગ્રેસને મોકલવામાં આવેલા અફઘાનિસ્તાન પરના છમાસિક રિપોર્ટમાં પેન્ટાગોને ચેતવણી સંદર્ભે સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કર્યો છે. પેન્ટાગોન તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકના સુરક્ષિત સ્થાનો હજીપણ અસ્તિત્વ ધરાવે છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પાકિસ્તાન ઉણું ઉતરી રહ્યું છે. તેના કારણે પાકિસ્તાન સાથેના અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને અસર પહોંચશે તથા તેની અસર સુરક્ષા માટેની મદદ પર પણ પડશે.

પાકિસ્તાન દ્વારા આતંકી નેટવર્ક સામે કાર્યવાહીમાં નિષ્ક્રિય રહેવાના કારણે અફઘાનિસ્તાનની સ્થિરતાને પણ અસર પહોંચી રહી હોવાનું પેન્ટાગોને જણાવ્યું છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન એશ્ટોન કાર્ટરે હક્કાની નેટવર્ક સામે પાકિસ્તાને કાર્યવાહી કરી હોવાનું પ્રમાણિત કર્યું નથી. જેના કારણે 30મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહેલા અમેરિકાના પ્રવર્તમાન નાણાંકીય વર્ષ માટે પાકિસ્તાનને કોએલેશન સપોર્ટ ફંડના ત્રણસો મિલિયન અમેરિકન ડોલર રોકવામાં આવ્યા હતા. પેન્ટાગોને પાકિસ્તાનને કડક સંદેશો આપતા કહ્યુ છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ હજીપણ ઘણાં આતંકવાદી સમૂહો માટે અભ્યારણ તરીકે યથાવત છે.

પેન્ટાગોનના એકસોથી વધારે પૃષ્ઠોના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આમા તાલિબાનો.. અલકાયદા.. એક્યુઆઈએસ.. હક્કાની નેટવર્ક.. લશ્કરે તોઈબા.. તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાન.. આઈએસ-ખોરસાન પ્રોવિન્સ અને ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ અભ્યારણ અને આ સંગઠનો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એમ બંને દેશોની સુરક્ષા માટે પડકાર છે. તેનાથી પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા સામે પણ ખતરો છે. પાકિસ્તાને આતંકવાદી અને ઉગ્રવાદી જૂથો દ્વારા ક્ષેત્રમાં ઉભા થયેલા જોખમને ઘટાડવામાં ભૂમિકા અદા કરવી જોઈએ.

પેન્ટાગોન દ્વારા ખાસ કરીને કુનાર પ્રાંતમાં વણસી રહેલી સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.  પેન્ટાગોને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે નિર્ધારીત મામલાઓ પર મધ્યમ સ્તરના સાતત્યપૂર્ણ મિલિટ્રી-ટુ-મિલટ્રી ડાયલોગનું સૂચન કર્યું છે. જેમાં આઈએસ-ખોરસાન પ્રોવિન્સને લઈને ઉભા થયેલા જોખમો પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે સરકાર અને સૈન્ય સ્તરે પ્રસંગોપાત ઉચ્ચસ્તરીય ચર્ચાઓને પણ પ્રોત્સાહન આપવાની તૈયારી પેન્ટાગોન દ્વારા દર્શાવવામાં આવી છે.

મોતનું સોદાગર પાકિસ્તાન-

દક્ષિણ એશિયામાં પરમાણુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો હોવાનું અમેરિકાએ માન્યું છે. કોંગ્રેસનલ રિસર્ચ રિપોર્ટમાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને કારણે ભારત સાથે જંગનું જોખમ વધ્યું હોવાનું આકલન રજૂ કરાયું છે. જો કે હાલની જટિલ પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળે તેની અમેરિકાને ચિંતા છે કે ભારતને પોતાના પડખે લેવા માટેની કોઈ કોશિશ થઈ રહી છે.. તેના સંદર્ભે પણ સાવધાન રહેવું એટલું જ જરૂરી છે.

પાકિસ્તાને ફૂલ સ્પેક્ટ્રમ ન્યૂક્લિયર ડેટેરન્સનો સિદ્ધાંત અપનાવ્યો છે. પાકિસ્તાન તરફથી પરમાણુ હથિયારો પ્રત્યે સક્રિયતામાં અચાનક વધારો થયો છે. જેને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના પરંપરાગત યુદ્ધમાં પરમાણુ ટકરાવનું જોખમ પણ વધી ગયું છે. એક તરફ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના પ્રવેશ માટે અમેરિકા પુરજોર કોશિશ કરી રહ્યું છે. તેની સાથે પાકિસ્તાને પણ ચીનની મદદથી એનએસજીમાં દાખલ થવા માટેના ધમપછાડા શરૂ કર્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન કોંગ્રેસની રિસર્ચ સર્વિસ તરફથી પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી તોળાઈ રહેલા પરમાણુ યુદ્ધના જોખમ સંદર્ભે ચિંતા વ્યક્ત કરાઈ છે.

સીઆરએસ તરફથી રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા પરમાણુ શસ્ત્રાગારનું વિસ્તરણ.. નવા પ્રકારના હથિયારોનું નિર્માણ અને પરમાણુ કાર્યક્રમને ઝડપી બનાવવાથી નિરીક્ષકોની ચિંતા વધી ગઈ છે. આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે.

બિનપરમાણુ પ્રસાર બાબતોના વિશ્લેષક પૉલ કે. કેર અને વિશેષજ્ઞ મેરી બેથ તરફથી પાકિસ્તાનના પરમાણુ હથિયાર શીર્ષક હેઠળ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સીઆરએસ રિપોર્ટ પ્રમાણે.. પાકિસ્તાન પાસે 110થી 130 જેટલા પરમાણુ હથિયારો ઉપલબ્ધ છે. આ સંખ્યા વધારે હોવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

14મી જૂને સોંપવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે.. ભારત પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે નહીં.. તેના માટે પોતાના પરમાણુ હથિયારો વધારી રહ્યું છે. સીઆરએસ અમેરિકન કોંગ્રેસની એક સ્વતંત્ર રિસર્ચ વિંગ છે. તે વખતોવખત અમેરિકાના સાંસદોને સંબંધિત વિષયો પર પોતાના અહેવાલ ઉપલબ્ધ કરાવે છે.

પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર જોખમ હોવાની માન્યતા વચ્ચે રિપોર્ટમાં પાકિસ્તાન દ્વારા આવા શસ્ત્રની સુરક્ષા માટે ઘણાં પગલા ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભરોસો ઉભો કરવાની કોશિશ થઈ હોવાનું પણ કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપાયો પર પાકિસ્તાનનું યથાવત રહેવું અને આગળ વધવું હજીપણ સવાલોના ઘેરામાં છે.

અમેરિકાના સાંસદોને માહિતી ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય હિતોના મુદ્દા પર સીઆરએસ દ્વારા નિયમિતપણે અહેવાલ રજૂ કરાય છે. આ રિપોર્ટ માત્ર માહિતી માટે હોય છે. સીઆરએસ રિપોર્ટ અમેરિકન કોંગ્રેસના સત્તાવાર અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતો નથી. જો કે તેનાથી આંકવામાં આવેલા જોખમને ઓછું ગણી શકાય તેમ નથી.

પાકિસ્તાનની ઘાતક મનસા -

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના જમાનાથી પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ શંકાસ્પદ હોવાની ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. પરંતુ તાજેતરમાં અમેરિકાની થિન્ક ટેન્ક્સ દ્વારા ન્યૂક્લિયર પાકિસ્તાન પર ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. 2025 સુધીમાં પાકિસ્તાન પાસે 220થી 225 પરમાણુ હથિયારો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે.

બુલેટિન ઓફ એટોમિક સાઈન્ટિસ્ટ્સની ન્યૂક્લિયર નોટબુકના એક રિપોર્ટમાં પાકિસ્તાનના આગામી દશ વર્ષમાં વિશ્વની પાંચમી સૌથી મોટી પરમાણુ શક્તિ બની જવાની આકલનો રજૂ કરાયા છે. પરંતુ અહીં અમેરિકાની નીતિ પર વિશેષ વિચારણાની જરૂર છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ પર ખૂબ છાતી પીટી હતી. ઈરાન પાસેના બેહદ ખતરનાક હથિયારો દુનિયા માટે ખતરો સાબિત થાય તેવી સંભાવનાઓ સાથેના દાવાઓ અમેરિકા અને તેના સમર્થિત દેશોએ કર્યા હતા. અમેરિકાના દબાણમાં ઈરાનની લગભગ સંપૂર્ણ તલાશી લેવામાં આવી.. પણ અમેરિકાને હાથ કંઈ લાગ્યું નથી. તેમ છતાં વૈશ્વિક દબાણ ઉભું કરવામાં કમિયાબ રહેલા અમેરિકાએ ઈરાન સાથે વિશેષ શરતો ધરાવતી ડીલ કરવામાં સફળતા મેળવી છે.

પરંતુ અમેરિકાની રહેમ નજર હેઠળ ચાલતા પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી તેને કોઈ સમસ્યા નથી. આવું લાગવાને કારણ પણ છે. પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ અમેરિકાના અસરકાર અને સંપૂર્ણ વર્ચસ્વવાળા તબક્કામાં વિકસ્યો હતો. પાકિસ્તાને એક ખુલાસો કર્યો હતો કે તેણે ભારતની સાથેની સરહદે શોર્ટ રેન્જ પરમાણુ બોમ્બની તેનાતી કરી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે અમેરિકાને ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોવાના અહેવાલો પર મરચાં લાગ્યા હતા.. તેવું પાકિસ્તાન તરફથી ભારતને આપવામાં આવેલી પરમાણુ હથિયારોની ધમકીથી વોશિંગ્ટનને થયું નથી. આ અમેરિકાની બેવડી નીતિ નથી તો શું છે?

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન.. ગૃહ પ્રધાન... વિદેશ મામલાના સલાહકાર સરતાજ અઝીઝ અને ખુદ વડાપ્રધાન નવાઝ શરીફ પરમાણુ હુમલાની ધમકીઓ સીધી કે આડકતરી રીતે આપી ચુક્યા છે. પાકિસ્તાનની સર્વેસર્વા સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ પણ આવી ધમકીઓ આપી ચુક્યા છે. તેમ છતાં અમેરિકા દ્વારા પાકિસ્તાન સામે આકરા પગલા લેવાના સ્થાને તેની આળપંપાળની નીતિઓ યથાવત રહેવાનું અકળ રહસ્ય હજી પણ અકબંધ છે.

પાકિસ્તાનના તોપખાનામાં પરમાણુ મિસાઈલ -

પાકિસ્તાનના ટેક્ટિકલ શોર્ટ રેન્જ પરમાણુ હથિયારો અને મિસાઈલ ભારત સાથેના યુદ્ધમાં ઉપયોગના ઈરાદે જ બનાવવામાં આવ્યા છે. તેને ભારત સામે પાકિસ્તાનની અત્યાર સુધીની સૌથી મોટી અને ખતરનાક યુદ્ધનીતિ માનવામાં આવે છે.

પાકિસ્તાનના ઈરાદા બેહદ ખરાબ છે. પાકિસ્તાને શોર્ટ રેન્જના પરમાણુ હથિયારો અને મિસાઈલ તૈયાર કર્યા છે. ઈરાદો સ્પષ્ટ છે.. યુદ્ધની સ્થિતિમાં તેનો ભારતીય સેના સામે ઉપયોગ કરવાની પાડોશી દેશ નાપાક મનસા ધરાવે છે. પાકિસ્તાનના શોર્ટ રેન્જ ન્યૂક્લિયર વેપન્સ પરંપરાગત પરમાણુ બોમ્બથી અલગ હોવા છતાં બેહદ ખતરનાક છે.

પાકિસ્તાનની પરમાણુ શક્તિથી સજ્જ આવી મિસાઈલો ભારતીય ઉપખંડમાં મોટી તબાહીનું કારણ બને તેવી શક્યતા છે. પાકિસ્તાની સેનાએ આવી મિસાઈલો પોતાની સેનામાં સામેલ કરી લીધી છે. તેથી હવે ભારત માટે પાકિસ્તાન તરફના સૈન્ય પડકારમાં વધારો થયો છે. આ શોર્ટ રેન્જ લૉ યિલ્ડ ન્યૂક્લિયર વેપન્સ એક નાના વિસ્તારમાં તબાહીનું તાંડવ ખેલવા માટે સક્ષમ છે.

પરમાણુ શક્તિથી સજ્જ પાકિસ્તાનની નાના અંતરની ઓછી ક્ષમતાની પરમાણુ મિસાઈલ યુદ્ધની સ્થિતિમાં ભારતીય સેનાની ટુકડીને પલકવારમાં નેસ્તોનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ભારત સાથેના પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાનનો પનો ટૂંકો પડતો હોવાથી હવે તેણે પરમાણુ ગુસ્તાખી કરવાની પુરેપુરી તૈયારી કરી રાખી છે.

પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવાતી નાની મિસાઈલનું નાપાક નામ નસ્ર છે. તે પાકિસ્તાનની હત્ફ શ્રેણીની મિસાઈલ છે. જોવામાં તે એક પાતળા રોકેટની જેમ દેખાય છે. નસ્ર મિસાઈલ 60 કિલોમીટરની રેન્જમાં તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે. તેમા ન્યૂક્લિયર વોરહેડ્સ લગાવી શકાય છે. તેને એક ટ્રક પર લગાવાયેલા મસ્ટિબેરલ રોકેટ લોન્ચરથી પણ છોડી શકાય છે. પાકિસ્તાને નસ્ર મિસાઈલ માટે ચાર બેરલવાળું લોન્ચર બનાવ્યું છે. એટલે કે પાકિસ્તાની સેના એકસાથે આવી ચાર ચાર મિસાઈલો છોડવા સક્ષમ છે. નવી તકનીકથી તૈયાર આ નાના પરમાણુ બોમ્બ પોતાના વિસ્ફોટના સ્થાને રેડિએશનથી તબાહી મચાવે છે. નાના પરમાણુ બોમ્બના વિસ્ફોટ બાદ ભીષણ ગરમીની સાથે રેડિએશન નીકળે છે. તે એક નિશ્ચિત વિસ્તારમાં મોતનો ખેલ ખુલીને ખેલી શકે છે.

અમેરિકા સહીત દુનિયાના ઘણાં દેશો પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી ચિંતિત છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓની ગતિવિધિઓ પુરજોરમાં ચાલી રહી છે. ત્યારે પાકિસ્તાનના પરમાણુ હથિયારોના આતંકવાદીઓના હાથમાં પડવાની સ્થિતિ જાણકારો નકારતા નથી. તો પાકિસ્તાનની નાગરિક સરકાર અને સેના વચ્ચેના સંબંધો નરમ-ગરમ રહેતા હોય છે. પાકિસ્તાનના ન્યૂક્લિયર પ્રોગ્રામનું નિયંત્રણ ત્યાંની સેનાના હાથમાં છે. આ બંને સંજોગોમાં ભારત માટે પાકિસ્તાની પરમાણુ હથિયારોનું મોટું જોખમ હોવાનું પણ આકલન છે.

દક્ષિણ એશિયામાં મિસાઈલ રેસ-

યુદ્ધખોર પાકિસ્તાને ઘોરી અને શાહીન નામની પરમાણુ મિસાઈલો વિકસિત કરી છે અને અંદમાન-નિકોબાર સુધીના ભારતીય વિસ્તારમાં પરમાણુ હુમલાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાનનો મિસાઈલ કાર્યક્રમ ચીનની રાહબરી હેઠળ જ આગળ વધ્યો છે. જાણકારો પ્રમાણે.. તો ચીનની તૈયાર મિસાઈલોને જ પાકિસ્તાને નવા નામ આપ્યા છે.

પાકિસ્તાનની પરમાણુ મિસાઈલો-

પાકિસ્તાની શાહીન-3 નામની ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ એક ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે બે હજાર સાતસો પચાસ કિલોમીટરની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.  ઘોરી નામની ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ 700 કિલોગ્રામ ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે પંદરો કિલોમીટર સુધીમાં ત્રાટકી શકે છે.  જ્યારે ગઝનવી નામની પાકિસ્તાની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ 700 કિલોગ્રામના ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે ચારસો કિલોમીટરની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.  બાબર નામની પાકિસ્તાની ક્રૂઝ મિસાઈલ 100 કિલોગ્રામ ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે 700 કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.  નસ્ર નામની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ એકસો કિલોગ્રામ જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે 60 કિલોમીટરની રેન્જમાં હુમલો કરવા સક્ષમ છે.  પાકિસ્તાને પોતાની આર્ટલરીમાં રણનીતિક પરમાણુ હથિયાર તરીકે નસ્ર મિસાઈલને સામેલ કરી છે. આ ઘટનાક્રમે ભારતીય ઉપખંડને દુનિયાની સૌથી ખતરનાક વસાહત બનાવી દીધી હોવાનું અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું છે.

ભારતની પરમાણુ મિસાઈલ-

ચીન અને તેના ચાળે ચઢેલા પાકિસ્તાનની મિસાઈલોના જોખમ સામે ભારતે પણ તૈયારીઓ કરી છે. અગ્નિ-પાંચ મિસાઈલ દ્વારા ભારતીય સેનાઓ ચેન્નઈથી ઈસ્લામાબાદ અને ચીનના મહત્વપૂર્ણ ઠેકાણાઓ સુધી હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારતની અગ્નિ-5 ઈન્ટરમીડિયેટ રેન્જ મિસાઈલ દોઢ ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે પાંચ હજાર કિલોમીટર સુધીની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. અગ્નિ-3 ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ બેથી અઢી ટન ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે પાંત્રીસ્સો કિલોમીટરની રેન્જમાં પોતાના ટારગેટને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. પૃથ્વી શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ 600 કિલોગ્રામથી એક ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે દોઢસોથી સાડી ત્રણસો કિલોમીટરની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. સબમરીન લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલકે-15 અથવા બી-05 એક ટન ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે સાડી સાતસો કિલોમીટરની રેન્જમાં ટાર્ગેટને તબાહ કરવાની શક્તિ ધરાવે છે.  ભારતની કે-ફોર સબમરીન લોન્ચડ બેલેસ્ટિક મિસાઈલ બે ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે સાડા ત્રણ હજાર કિલોમીટર સુધીમાં ભીષણ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને પાકિસ્તાનના મિસાઈલ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ તફાવત છે.. ભારતનો મિસાઈલ કાર્યક્રમ સ્વદેશી છે અને પાકિસ્તાનને ચીનનો તૈયાર માલ મળી રહ્યો છે.

દક્ષિણ એશિયામાં સૈન્ય સંતુલન-

સૈન્ય શક્તિ અને સંશાધનોની દ્રષ્ટિએ ભારત દેખીતી રીતે પાકિસ્તાન પર મોટી સરસાઈ ધરાવે છે. પરંતુ પાકિસ્તાન અમેરિકાની મદદ અને ચીનના ખીલે ભારત સામે ઘૂરકિયાં કરવાનું ચુકતું નથી.

ભારત-પાકિસ્તાનની સરખામણી-

ભારતની કુલ વસ્તી 125 કરોડ અને પાકિસ્તાનની કુલ જનસંખ્યા વીસ કરોડ છે. ભારત પાસે ઉપલબ્ધ કાર્યક્ષમ માનવશક્તિ 62 કરોડ અને પાકિસ્તાન પાસે આવા લોકોની સંખ્યા નવ કરોડ ત્રીસ લાખ જેટલી છે. ભારતમાં લશ્કરી કામગીરી માટે સક્ષમ લોકો 49 કરોડ છે.. જ્યારે પાકિસ્તાનમાં આવી જનસંખ્યા સાડા સાત કરોડની છે. ભારતના સક્રિય સૈનિકોની સંખ્યા તેર લાખ પચ્ચીસ હજારની છે અને પાકિસ્તાન પાસે છ લાખ સત્તર હજાર જેટલા સક્રિય સૈનિકો છે. ભારત પાસે રિઝર્વ સૈનિકોની સંખ્યા 21 લાખ 43 હજાર સુધીની છે અને પાકિસ્તાન પાસે પાંચ લાખ પંદર હજાર અનામત દળો છે.

ભૂમિસેનાની તુલના-

ભારત અને પાકિસ્તાનની ભૂમિસેનાઓની સરખામણી કરીએ.. ભારતની પાકિસ્તાન પર દેખીતી સરસાઈ છે. ભારત પાસે છ હજાર ચારસો ચોસઠ ટેન્કો છે અને પાકિસ્તાન પાસે બે હજાર નવસો ચોવીસ ટેન્કો છે. ભારત પાસે 6 હજાર સાતસો ચાર આર્મ્ડ ફાઈટિંગ વ્હીકલ્સ ઉપલબ્ધ છે અને પાકિસ્તાન પાસે બે હજાર આઠસો અઠ્ઠાવીસ એએફવી છે. ભારત પાસે સેલ્ફ પ્રોપેલ્ડ ગન્સની સંખ્યા 290 અને પાકિસ્તાન પાસે 465 એસપીજી છે. ભારત પાસે આર્ટિલરી સાત હજાર ચારસો ચૌદ જેટલી સંખ્યામાં ઉપલબ્ધ છે અને પાકિસ્તાન પાસે ત્રણ હજાર બસ્સો ઈઠ્ઠીયોત્તેર જેટલી આર્ટલરી છે. ભારત પાસે મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ્સની સંખ્યા 292 છે અને પાકિસ્તાન પાસે 134 એમએલઆરએસ ઉપલબ્ધ છે. ભારતની જમીન સરહદ પંદર હજાર કિલોમીટર જેટલી અને વિવિધતા સભર દુર્ગમતા ધરાવે છે. તેથી પાકિસ્તાન સામેની સૈન્ય સરસાઈ અન્ય સરહદી સમસ્યાઓને ઉકેલવામાં પણ લગાવવી પડે છે. તેની સાથે ભારતે ચીન અને પાકિસ્તાન બંને મોરચે મજબૂત રણનીતિક તૈયારીઓ કરવી પડશે તેવું પણ ઘણાં સંરક્ષણ નિષ્ણાતો અવાર-નવાર જણાવી ચુક્યા છે.

વાયુસેનાની તુલના-

ભારત અને પાકિસ્તાનના એરપાવરની સરખામણી કરીએ.. તો ભારત પાસે કુલ એક હજાર નવસો પાંચ જેટલા એરક્રાફ્ટ છે અને પાકિસ્તાન પાસે કુલ 914 એરક્રાફ્ટ છે. જેમાંથી ભારત પાસે ફાઈટર પ્લેનની સંખ્યા છસ્સો ઓગણત્રીસ જેટલી અને પાકિસ્તાન પાસે ત્રણસો સિત્યાસી ફાઈટર્સ છે. ભારત પાસે 761 એટેક એરક્રાફ્ટ્સ અને પાકિસ્તાન પાસે 387 એટેક એરક્રાફ્ટ્સ છે. ભારત પાસે 263 ટ્રેનર એરક્રાફ્ટ્સ છે અને પાકિસ્તાન પાસે 170 ટ્રેનર એરક્રાફ્ટ્સ ઉપલબ્ધ છે. ભારત પાસે કુલ પાંચસો ચોર્યાસી હેલિકોપ્ટરો છે અને પાકિસ્તાન પાસે 313 હેલિકોપ્ટર છે. ભારત પાસે વીસ એટેક હેલિકોપ્ટર્સ છે અને પાકિસ્તાન પાસે 48 એટેક હેલિકોપ્ટર્સ છે.

નૌસેનાની શક્તિનું બળાબળ-

સમુદ્રી સૈન્ય શક્તિની સરખામણી કરીએ તો.. ભારત પાસે કુલ 202 યુદ્ધજહાજો છે અને પાકિસ્તાન પાસે 74 જહાજો છે. ભારત પાસે બે એરક્રાફ્ટ કેરિયર છે. પાકિસ્તાન પાસે એકપણ વિમાનવાહક જહાજ નથી. તો ભારત પાસે 15 અને પાકિસ્તાન પાસે 10 ફ્રિગેટ્સ છે. ભારત પાસે નવ ડિસ્ટ્રોયર્સ અને પાકિસ્તાન પાસે કોઈ ડિસ્ટ્રોયર નથી. ભારત પાસે પચ્ચીસ જેટલી કોરવેટ્સ છે અને પાકિસ્તાન પાસે આવું એકપણ જહાજ નથી. ભારત પાસે પંદર સબમરીનો છે અને પાકિસ્તાન પાસે આઠ સબમરીન છે. તો ભારત પાસે કોસ્ટલ ડિફેન્સ ક્રાફ્ટની સંખ્યા 46 છે અને પાકિસ્તાન પાસે બાર કોસ્ટલ ડિફેન્સ ક્રાફ્ટ ઉપલબ્ધ છે. માઈન વોરફેર માટે ભારત પાસે સાત જેટલા જહાજો છે અને પાકિસ્તાન પાસે આવા માત્ર ત્રણ જહાજો છે.

ભારતીય વાયુસેનાને પોતાની સરસાઈ જાળવી રાખવા માટે ઉન્નત સંસ્કરણના ચોથી અને પાંચમી પેઢીના નવા યુદ્ધવિમાનોની તાત્કાલિક જરૂરિયાત છે. તો ભારતની સમુદ્રી સીમા સાત હજાર કિલોમીટર જેટલી લાંબી છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાની વધતી સક્રિયતાને ધ્યાનમાં લઈને ભારતીય નૌસેનાને વધુ સજ્જતા અને તૈયારીઓની જરૂરિયાત હોવાનું માનવામાં આવે છે.

પાકિસ્તાનની પરમાણુ નીતિ-

પરમાણુ હથિયારોવાળું પાકિસ્તાન ભારત માટે ખૂબ ખતરનાક ન્યૂક્લિયર પોલિસી ધરાવે છે. ભારત પર પરમાણુ હુમલો કરવા માટે પાકિસ્તાન દ્વારા તેની પરમાણુ નીતિમાં ચાર જોગવાઈ છે. એક.. જો ભારત પાકિસ્તાનના મોટા ભૂભાગને પોતાના તાબા હેઠળ લઈ લે... બીજું.. ભારત દ્વારા પાકિસ્તાની સેના અથવા એરફોર્સનો મોટોભાગ નેસ્તોનાબૂદ કરાય.. ત્રીજી સ્થિતિમાં ભારત પાકિસ્તાનને આર્થિક રીતે ગુંગળાવાની કોશિશ કરે.. ચોથા કારણમાં ભારત પાકિસ્તાનને રાજકીય રીતે અસ્થિર કરવા માટે મોટાપાયે આતંરીક ઉથલ-પાથલો કરાવે.

ભારતની પરમાણુ નીતિની સમીક્ષા જરૂરી-

તેની સામે ભારતની પરમાણુ નીતિ વધુ જવાબદાર ગણાય છે. ભારત પહેલા પરમાણુ હુમલો નહીં કરવાની ન્યૂક્લિયર પોલિસી જાહેર કરી ચુક્યું છે. જો કે સેકન્ડ સ્ટ્રાઈક કેપેબિલિટી માટે ભારતની તૈયારીઓ ખૂબ મજબૂત હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન પણ આ બાબતથી ડરે છે.  જો કે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિ અને પાકિસ્તાનની વધુ આક્રમક પરમાણુ નીતિ સામે હવે ભારતે પણ પોતાની પરમાણુ નીતિની સમીક્ષા હાથ ધરવી પડે તેવા સંજોગો છે. પાકિસ્તાનની બાબતમાં અમેરિકા હાલના સંજોગોના વલણોના આધારે કેટલું ભરોસાપાત્ર સાબિત થશે? આ પણ વિચારણાનો એક મુદ્દો છે. આવા સંજોગોમાં પાકિસ્તાનને માપમાં રાખતી પરમાણુ નીતિ બનાવવાની તાતી જરૂર છે.

ઉત્તર કોરિયામાં પરમાણુ પ્રસાર-

પાકિસ્તાનથી ઉત્તર કોરિયાને પરમાણુ તકનીક પહોંચાડવામાં આવી હોવાની આશંકા છે. ઉત્તર કોરિયા પાસેના પરમાણુ હથિયારો અમેરિકા માટે જોખમી છે. તેમ છતાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા પરમાણુ પ્રસાર સંદર્ભે અમેરિકાના બેવડા ધોરણો છે.

પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોની સુરક્ષાના મસ મોટા દાવા કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાનના હથિયારો અને તકનીકની સુરક્ષા હંમેશા સવાલોના ઘેરામાં રહી છે. વર્ષ-2004માં પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાન દ્વારા પરમાણુ હથિયારો સાથે જોડાયેલી બેહદ ગુપ્ત બાબતો અન્ય દેશોને વેચવામાં આવી હોવાના આરોપ લાગ્યા હતા. માનવામાં આવે છે કે અબ્દુલ કાદિર ખાને પાકિસ્તાનની પરમાણુ તકનીક ઉત્તર કોરિયાને વેચી હતી. પરંતુ અમેરિકા આખા મામલામાં ખાનાપૂર્તિ કરતું જ દેખાયું છે. આવા પાકિસ્તાનના પરમાણુ હથિયારો આતંકવાદીઓના હાથમાં પડે તેવી સંભાવના પણ નકારવામાં આવતી નથી. મહત્વપૂર્ણ છે કે 2009માં ઈસ્લામાબાદની હાઈકોર્ટે એ. ક્યુ. ખાનને મુક્ત કરી દીધો અને અમેરિકા મૂકદર્શક બનીને આખા મામલાને જોઈ રહ્યું છે.

અમેરિકાની પૂર્વનિર્ધારીત નીતિમાં ફેરફાર થયો છે. હવે અમેરિકાના પાંચ હજાર પાંચસો જેટલા સૈનિકો 2017 સુધી અફઘાનિસ્તાનની ધરતી પર તેનાત રહેશે. તેનો સીધો અર્થ છે કે અમેરિકાને પાકિસ્તાનની જરૂરત પડશે. ગત 14 વર્ષોમાં અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈના નામે પાકિસ્તાનને વીસ અબજ ડોલરથી વધારેની મદદ કરી છે.

અમેરિકા અફઘાનિસ્તાનમાં ફસાયેલું રહે તેમાં પાકિસ્તાનની સેના અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પણ મોટા હિતો છે. આમ થવાથી બંનેને અમેરિકા તરફથી જંગી સહાયતારૂપે ડોલરના ઢગલા મળતા રહેશે. આમ તો અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યને સંપૂર્ણપણે ખસેડી લેવાનો બરાક ઓબામાએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન વાયદો કર્યો હતો. પરંતુ ઓબામા પોતાની બંને ટર્મ પૂર્ણ થવા છતાં વાયદો પુરો કરી શક્યા નથી.

પાકિસ્તાનમાં રહેલા આતંકી નેટવર્ક હજીપણ અમેરિકાના રાષ્ટ્રીય હિતો સામે મોટું જોખમ છે. તેની સાથે અફઘાનિસ્તાનમાં ફરીથી તાલિબાનો આઈએસઆઈના દોરીસંચાર હેઠળ માથું ઉંચકી રહ્યા છે. તેથી અફઘાનિસ્તાનમાં ફરીથી 1996ની જેમ તાલિબાનો અથવા કોઈ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો કાબુલનો કબજો લઈ લેશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આવા સંજોગોમાં જનરલ ઝીયા ઉલ હક વખતે પાકિસ્તાની અને અફઘાનિસ્તાની મદરસાઓમાં થયેલી કટ્ટરવાદની ખેતીનો ફાયદો હવે અલકાયદામાંથી છૂટા પડેલા આઈએસઆઈએસ દ્વારા ઉઠાવાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. અફઘાનિસ્તાનમાં કેટલાંક આતંકવાદી જૂથોએ પોતાની નિષ્ઠા આઈએસ પ્રત્યે વ્યક્ત કરી હોવાના અહેવાલો પણ દેખાઈ રહ્યા છે. આવા સંજોગોમાં અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે અમેરિકી દળોની વાપસી અમેરિકા સાથે દુનિયા માટે ખતરનાક સાબિત થાય તેવી શક્યતાઓ નકારવામાં આવતી નથી. આમ છતાં પાકિસ્તાનની પરમાણુ હથિયારોની હોડને રોકવા માટે અમેરિકા કોઈપણ નક્કર રણનીતિ સાથે આગળ વધી રહ્યું હોય તેવું હાલ દેખાઈ રહ્યું નથી.

વૈશ્વિક રાજકારણની મનસાથી આશંકા-

આમ તો ચીન પાકિસ્તાન દ્વારા ભારતને ભીડાવી રહ્યું છે.. તો ભારત દ્વારા અમેરિકા ડ્રેગનના વર્ચસ્વને સંતુલિત કરવામાં લાગ્યું છે. પરંતુ અમેરિકાથી થયેલી કેટલીક નિવેદનબાજીમાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સંદર્ભે ભારતના ઉપયોગની મનસાની ગંધ આવી રહી છે. આવા સંજોગોમાં ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણયો લેવામાં સાવધાની પણ રાખવી પડશે.

પરમાણુ સુરક્ષા સંમેલનમાં ભારત અને પાકિસ્તાનના સૈન્ય સિદ્ધાંતો સંદર્ભે એક પત્રકાર પરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ એક સૂચક ટીપ્પણી કરી હતી. વોશિંગ્ટન ખાતેના બે દિવસીય સંમેલનના સમાપન વખતે તેમણે કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારોને ઘટાડવા આગળ વધવું જોઈએ. એ નિર્ધારીત કરવું જોઈએ કે સૈન્ય સિદ્ધાંત વિકસિત કરતી વખતે સતત ખોટી દિશામાં આગળ વધે નહીં.

અમેરિકાના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ ઓબામાની ટીપ્પણી પર ટાઢા ઢોળવાની કોશિશ કરી હતી. પરંતુ તેમણે કહ્યુ હતુ કે કેટલાંક દેશોમાં પરમાણુ હથિયારો વધી રહ્યા છે અને કેટલાંક નાના પરમાણુ હથિયારોની ચોરીનો ખતરો વધારે હોઈ શકે છે.

તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા સંકેતો આખા મામલાને વધુ સ્પષ્ટ કરવા માટે પુરતા છે. ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ પરમાણુ હથિયાર સંપન્ન અર્ધ-અસ્થિર દેશ પાકિસ્તાનની સમસ્યાના સમાધાન માટે ભારત અને અન્ય દેશોની મદદ માંગશે. અમેરિકા સામે સૌથી મોટી સમસ્યા પરમાણુ હથિયારોની છે. આ હથિયારો ધરાવતા દેશોની છે. તેઓ પાકિસ્તાનમાં સંપૂર્ણપણે અસ્થિરતા જોવા ઈચ્છતા નથી. અમેરિકાનો પાકિસ્તાન સાથે થોડો સારો સંબંધ છે. તેમને લાગે છે કે તેઓ કોશિશ કરશે અને તેને જાળવી રાખશે.

ટ્રમ્પે પાકિસ્તાન સાથેના સંબંધો જાળવવાની વાત પોતાના સ્વભાવ વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે. પરંતુ તેની સાથે તેમણે પાકિસ્તાનને બીજા રસ્તે જતું અટકાવવા માટે નાણાં અને મદદ ચાલુ રાખવાની પણ તરફદારી કરી છે. તેમનું પણ સીધેસીધું માનવું છે કે પાકિસ્તાન પર અમેરિકાની ધાક અને વર્ચસ્વ ઘટશે.. તો તેનાથી વધારે મોટી મુશ્કેલી પેદા થશે. જો કે પાકિસ્તાનનું બીજી તરફ જવું એટલે માત્ર આતંકવાદીઓના વર્ચસ્વ તણે જવું કે ચીનના વર્ચસ્વ હેઠળ જવું? તેની સ્પષ્ટતા થવી બાકી છે.

ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠતા વધી રહી છે. આવા સંજોગોમાં ભારતને ગ્લોબલ ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપતું બિલ અમેરિકાની સેનેટમાં નામંજૂર થયું છે. અમેરિકાની સંસદમાં રિપબ્લિકન પાર્ટીનું મોટું વર્ચસ્વ છે. ત્યારે ટ્રમ્પનું એક સૂચક નિવેદન પણ યાદ કરવું જોઈએ. ટ્રમ્પે કહ્યુ હતુ કે જ્યારે ભારત અને અન્ય કેટલાંક દેશો તરફ જોઈએ છીએ. તો લાગે છે કે કદાચ તેઓ અમેરિકાની મદદ કરશે. અમેરિકા આ દિશામા જોઈ રહ્યું છે. અમેરિકા પાસે આવા ઘણાં દેશ છે. જેમને અમેરિકા નાણાં આપે છે અને તેના બદલામાં કંઈ મળતું નથી. પરંતુ આ ટૂંક સમયમાં થોભી જશે.

અમેરિકા સામાન્ય રીતે પોતાનું હિત હોય નહીં તેવી બાબતોમાં જીભથી જલેબીઓ પાડીને દુનિયાદારી નિભાવતું હોય છે. પરંતુ પોતાના મતલબની બાબતો માટે તમામ આંતરરાષ્ટ્રીય નિયમો-કાયદાઓને તાક પર મૂકતા પણ ખચકાતું નથી. ઈરાક અને ઈરાન સાથેની દાદાગીરી અને પાકિસ્તાનની આળપંપાળ તેના મોટા ઉદાહરણ છે. અમેરિકાની નીતિની અસલિયત છે કે ચોરને ચોરી કરવાનું કહેવાનું ચાલુ રાખશે અને શાહૂકારને જાગતા રહેવા માટે બૂમો પણ પાડતું રહેશે.


શુક્રવાર, 27 મે, 2016

આસામમાં સફળતા મળી, પ. બંગાળ-દક્ષિણ ભારતમાં રાજનીતિના હિંદુકરણની જરૂર

-પ્રસન્ન શાસ્ત્રી
ભારત એક વિશાળ અને વિવિધતાથી ભરપૂર લોકશાહી છે. તાજેતરમાં આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્ચા છે. આ ચૂંટણીના પરિણામોએ ભારતના રાજકારણની બદલાતી તાસિરનો પરિચય જરૂરથી આપ્યો છે. પરંતુ આઈડિયા ઓફ ઈન્ડિયાને મજબૂત બનાવવા માટે હજી વધુ પરિશ્રમ અને બલિદાનોની જરૂર હોવાનું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
જ્યાં સુધી આઈડિયા ઓફ ઈન્ડિયાની વાત છે. તો તેનો સંબંધ સનાતન વિચાર પ્રકાશધારાના પ્રવાહ સાથે છે. આ વિચાર પ્રકાશધારામાં જેને દુનિયા હિંદુ તરીકે ઓળખે છે અને જેઓ સદીઓથી પોતાને હિંદુ તરીકે ઓળખાવી રહ્યા છે, તેમનું યોગદાન અવગણી શકાય તેમ નથી. આમા આસ્તિક-નાસ્તિક, સનાનત-હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ સહીતના તમામ ભારતીય જમીન સાથે જોડાયેલા પંથ-સંપ્રદાય, જાતિ-વર્ગનો સમાવેશ થાય છે. આઈડિયા ઓફ ઈન્ડિયામાં તમામને આવકાર છે. પરંતુ એવી કોઈ બાબતને આઈડિયા ઓફ ઈન્ડિયામાં દાખલ થવા દેવાય નહીં કે જેનાથી ભારતના સનાતન વિચાર પ્રકાશધારાના પ્રવાહને વિકૃત કરવા, તેની દિશા બદલવા અથવા તો તેને નષ્ટ કરવાની કોશિશ કરવામાં આવે.
મધ્યયુગમાં અરબી, અફઘાન, મુઘલ શાસન અને આધુનિક કાળમાં બ્રિટિશરાજના સમયગાળામાં આઈડિયા ઓફ ઈન્ડિયાને એટલી હદે વિકૃત કરવાની કોશિશ થઈ કે ભારતના રાષ્ટ્રત્વ એવા હિંદુપણા અને હિંદુત્વની બાદબાકી કરવા હદે વૈચારિક ધોવાણ કરવામાં આવ્યુ હતું. આઝાદી બાદ પણ સમાજવાદ અને કમ્યુનિસ્ટ વિચારધારાની અસરમાં અંગ્રેજીયતની અસર તળે બ્રિટિશરાજમાં પેદા થયેલા તેમના માનસપુત્રોએ આઈડિયા ઓફ ઈન્ડિયાને બેહદ વિકૃત કરીને તેમાંથી પહેલા હિંદુપણાની, બાદમાં હિંદુત્વની અને હવે હિંદુઓની બાદબાકી કરવાની વૈચારીક કોશિશને રાજકીય કોશિશમાં બદલવાનું શરૂ કર્યું છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારનું સંઘમુક્ત ભારતનું આહવાન પણ આવી જ એક વિકૃતિનું પરિણામ છે.
આસામનો સંદેશ-
આઈડિયા ઓફ ઈન્ડિયા માટે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો ઘણાં મોટા સંદેશ લઈને આવ્યા છે. ઈશાન ભારતમાં આસામમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને પહેલી વખત જીત મળી છે. વાજપેયીએ ક્યારેક ભવિષ્ય ભાખ્યું હતું કે આસામમાં ભાજપનો વિજય થશે. બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી લોઅર આસામના નવ જિલ્લામાં ધાર્મિક વસ્તીસંતુલન ખતરનાક સ્તરે ખોરવાયું છે. અહીં મુસ્લિમોની ભારે વસ્તીવૃદ્ધિ નોંધાઈ છે અને પચાસ ટકાથી વધુ વસ્તી મુસ્લિમ સમુદાયની છે. આખા આસામની વાત કરીએ તો અહીં મુસ્લિમોની વસ્તી 35 ટકા છે. હિંદુઓની વસ્તી 61 ટકા અને અન્ય ધર્મના લોકોની વસ્તી ચાર ટકા જેટલી છે. લાસ્ટ બેટલ ઓફ સરાઈઘાટના એલાન સાથે ભાજપની સાથે આસામ ગણ પરિષદ, બોડો જનજાતિનું બીપીઓએફ એક સાથે ચૂંટણી લડયું હતું. ભાજપની આગેવાનીમાં એનડીએને મોટી જીત મળી છે. લગભગ 46 ટકા મત મળ્યા છે. જ્યારે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ બદરુદ્દીન અજમલને હારવાના વારો આવ્યો છે. એઆઈયુડીએફ આસામના મુસ્લિમ વોટરોના પ્રતિનિધિત્વનો દાવો કરે છે. 2011ની સરખામણીએ બદરુદ્દીન અજમલની પાર્ટીને મળેલા મતની ટકાવારી અને બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેની સાથે અહીં કોંગ્રેસની ફેબિયન સોશયાલિઝમ અને નહેરુ બ્રાન્ડ સેક્યુલારિઝમની હાર થઈ છે. એઆઈયુડીએફનો ઘટવાની સાથે બદરુદ્દીન અજમલના રૂપમાં આસામ વિધાનસભામાં મુસ્લિમો વતી કરવામાં આવતી રાજકીય દાદાગીરી ખતમ થાય તેવું હાલ લાગી રહ્યું છે. આ સાથે ઈશાન ભારતની અસ્થિરતા દૂર કરીને તેને બાંગ્લાદેશી ઘૂસણખોરીથી આઝાદ કરીને સ્થાનિક જનતાને સુખ-શાંતિ આપીને બાકીના ભારતના લોકો સાથે પ્રગાઢતાથી જોડવાની એક સુવર્ણ તક ભારતીય જનતા પાર્ટીને આસામની જનતાએ આપી છે.
પશ્ચિમ બંગાળનો સંદેશ-
પશ્ચિમ બંગાળની અંદર પણ આસામ જેવી જ સમસ્યા છે. બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં ધાર્મિક વસ્તીસંતુલન ખોરવાયેલું છે. બાંગ્લાદેશી આતંકવાદી જૂથ અને આઈએસઆઈનું નેટવર્ક પણ રાજકીય આશ્રય હેઠળ યથાવત છે. માલ્દામાં મુસ્લિમોના અઢી લાખના ટોળાએ આયોજનબદ્ધ રીતે કરેલી તોડફોડ તેનું ઉદાહરણ છે. 2016ના જનાદેશમાં પશ્ચિમ બંગાળની રાજકીચ તાસિરમાં ઘણા મોટા પરિવર્તનોના આસાર છે. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીએ પાર્ટીને મુસ્લિમ તુષ્ટિકરણ નીતિના સહારે ઘણી મોટી જીત અપાવી છે. ડાબેરી મોરચા પાસેથી મુસ્લિમ મતો તૂટીને ટીએમસી તરફ મોટા પ્રમાણમાં ગયા છે. પશ્ચિમ બંગાળમાં 28 ટકા જેટલા મુસ્લિમ મતદાતાઓ છે અને રાજ્યની 294 બેઠકોમાંથી 85 બેઠકો પર મુસ્લિમ મતોથી ચૂંટણીની વેતરણી તરી શકાય તેવી સ્થિતિનો ટીએમસીને ફાયદો મળ્યો છે. મમતા બેનર્જીને મુસ્લિમ વોટરોએ તેમની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને કારણે ટેકો આપ્યો છે. આ એ જ મમતા બેનર્જી છે કે જેમણે લોકસભામાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો આક્રમકતાથી ઉઠાવ્યો હતો અને આક્રોશને કારણે કેટલાંક દસ્તાવેજો પણ ફેંક્યા હતા. આ ઘટના 2005ની છે અને 2011માં મુખ્યપ્રધાન બન્યા બાદ મુસ્લિમ વોટરોને સાચવવા માટે મમતા દીદી સીધો પડકાર ફેંકી રહ્યા છે કે એકપણ બાંગ્લાદેશી મુસ્લિમને હાથ તો લગાડી જોવો! 2016ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે મળીને ચૂંટણી લડયા, પણ કોંગ્રેસને 34 વર્ષ પશ્ચિમ બંગાળની સત્તામાં રહેલા સીપીએમ કરતા વધારે બેઠક મળી હતી. ભાજપને અહીં કોંગ્રેસ કરતા બે ટકા ઓછા મત મળ્યા છે. ભાજપને અહીં રાજકીય અસ્તિત્વ દર્શાવવાની તક તો સાંપડી છે. તેની સાથે ઘણી બેઠકો પર ભાજપ રનર-અપ રહ્યું છે. આગામી સમયમાં પશ્ચિમ બંગાળના રાજકારણ માટે આમા મોટા સંકેતો મળી રહ્યા છે. કમ્યુનિસ્ટ વિચારધારા પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી મૂળિયા સુધી ઉતરેલી છે. ટીએમસી અને કોંગ્રેસના નેતાઓ પણ પશ્ચિમ બંગાળની કમ્યુનિસ્ટ વિચારધારાની રાજકીય પરંપરાઓથી પ્રભાવિત છે. પરંતુ અહીં આગામી સમયમાં ફરીથી આનંદમઠમાં વર્ણવેલી અને બંગભંગના વિરોધમાં થયેલા આંદોલન વખતે પ્રગટેલી વંદેમાતરમની લાગણી મુખરતા સાથે પ્રગટશે.
કેરળનો સંદેશ-
કેરળની વાત કરીએ તો અહીં ભાજપને 15 ટકા જેટલા વોટની સાથે માત્ર એક બેઠક જીતવાની તક સાંપડી છે. કેરળમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓની કુલ વસ્તી 45 ટકાની આસપાસ છે. મુસ્લિમોની અહીં વસ્તી 24 ટકા જેટલી અને ખ્રિસ્તીઓની વસ્તી 21 ટકા જેટલી છે. જ્યારે હિંદુઓની વસ્તી 55 ટકા જેટલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કેરળમાં મોટો પ્રભાવ છે. આખા ભારતમાં સંઘની સૌથી વધારે શાખાઓ કેરળમાં છે. પરંતુ બિનહિંદુ સમુદાયોની વસ્તીના પ્રભાવને કારણે સામાજિક સ્તરે પ્રભાવ ધરાવતું આરએસએસ કેરળની રાજનીતિમાં હિંદુ ઓળખને કોઈ રાજકીય મંચ અપાવી શક્યું નથી. પરંતુ કેરળના 2016ના જનાદેશમાં ઉભી થયેલી પેટર્ન એક સારું રાજકીય પરિદ્રશ્ય ઉભું થઈ શકે તેવા સંકેત ચોક્કસપણે આપે છે. હિંદુત્વ વિરોધીઓ તરીકે કુખ્યાત ડાબેરીઓને સૌથી વધારે ટેકો નાયર અને ઈઝહાવા જેવા હિંદુ સમુદાયો તરફથી મળતો રહ્યો છે. દલિતો અને આદિવાસીઓ પણ ડાબેરી મોરચા સાથે જ રહેતા આવ્યા છે. જ્યારે કોંગ્રેસની આગેવાનીવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના સમર્થનમાં મુસ્લિમ અને ખ્રિસ્તી વોટબેન્ક છે. 2016માં ઉજાગર થયેલી વોટિંગ પેટર્નમાં એલડીએફને નાયરોના 45 ટકા, ઈઝહવાના 49 ટકા, દલિતોના 51 ટકા, આદિવાસીઓના 71 ટકા, મુસ્લિમોના 35 ટકા અને ખ્રિસ્તીના 35 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસની આગેવાનીમાં રહેલા યુડીએફને નાયર સમુદાયના 20 ટકા, ઈઝહવાના 28 ટકા, દલિતોના 22 ટકા, આદિવાસીઓના 24 ટકા, મુસ્લિમોના 58 ટકા, ખ્રિસ્તીઓના 52 ટકા મત મળ્યા હતા. તો ભાજપને નાયરના 34 ટકા, ઈઝહવાના 18 ટકા, અને દલિતોના 23 ટકા મત મળ્યા હતા. નાયર અને દલિતોના ભાજપને મળેલા મત યુડીએફને મળેલા મતોથી વધારે છે. જ્યારે ભાજપને આદિવાસીઓના માત્ર પાંચ ટકા અને મુસ્લિમોના માત્ર ત્રણ ટકા મત મળ્યા છે. જો કે ખ્રિસ્તિ સમુદાયના 10 ટકા વોટ ભાજપને મળ્યા છે. યુડીએફ  અને એલડીએફને કેરળમાં 25 વર્ષથી ઉપરના મતદાતાઓએ વોટ આપ્યા છે. જ્યારે ભાજપ કેરળમાં 25 વર્ષથી નીચેના મતદાતાઓમાં ઠીકઠીક પસંદગી પામ્યું છે. જો કે પચ્ચીસ વર્ષથી ઓછી ઉંમરના મતદાતાઓમાં 39 ટકાએ એલડીએફ, 30 ટકાએ યુડીએફ અને 23 ટકાએ ભાજપને પસંદ કર્યું હતું. કેરળની અંદર ઈઝહવા સમુદાયના ઘણાં નેતાઓ કમ્યુનિસ્ટ પાર્ટીઓની કેડર છે. કેરળમાં હિંદુ સમુદાયને એકજૂટ કરવામાં આવે અને રાષ્ટ્રવાદી લોકોને સંગઠિત કરવામાં આવે તો તેવા સંજોગોમાં કેરળમાં પણ આસામ જેવી રાજકીય સ્થિતિનો પ્રાદૂર્ભાવ ઉભો કરવાની તક છે.
તમિલનાડુનો સંદેશ-
તમિલનાડુમાં દ્રવિડ અને તમિલ ઓળખના રાજકારણને કારણે પેરિયારના સમયગાળાથી ડીએમકે અને એઆઈએ-ડીએમકેએ દ્વિધ્રુવીય રાજકારણ પર કબજો જમાવ્યો છે. અહીં ધાર્મિક વસ્તીસંતુલનમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓની સંખ્યા એટલી પ્રભાવી નથી. છતાં ભારતની રાજનીતિના હિંદુકરણ માટેની તક તમિલનાડુમાં ઉભી કરવા માટે હજી મોટો અવકાશ હોવાનું દેખાઈ રહ્યું છે. ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એકસો ટકા હિંદુપણું ધરાવતું તમિલનાડુ રાજકીય રીતે પણ હિંદુ ઓળખના આધારે આગળ વધે તેના માટે ઘણી મોટા વૈચારીક આંદોલનની અહીં જરૂર છે. તમિલ ઓળખ હિંદુ ઓળખથી અલગ નહીં હોવાનું જણાવવા માટે દર્શાવવા માટે તમિલનાડુના ગામડેગામડે પહોંચવાની જરૂર છે.
આસામની જીતમાં બે વર્ષ પહેલા બનેલી કોકરાઝારની મુસ્લિમો દ્વારા બોડો આદિવાસીઓને દબાવવાની કોશિશ સામે ઉભા થયેલા પ્રતિકારની ઘણી મોટી ભૂમિકા છે. અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વનવાસી કલ્યાણ આશ્રમ અને વિશ્વ હિંદુ પરિષદ જેવી સંસ્થાઓના જમીની સ્તરે કરવામાં આવેલા કામનું ઘણું મોટું યોગદાન છે. તો કેરળ અને પશ્ચિમ બંગાળમાં રાજકીય અસ્તિત્વ નોંધાવવામાં કામિયાબ રહેલા ભાજપની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શક્તિની ઘણી મોટી ભૂમિકા રહી છે.
દક્ષિણ ભારતનું રાજકીય પરિદ્રશ્ય-
પરંતુ સવાલ એ છે કે સંઘ માટે કેરળ અને તમિલનાડુમાં ઘણી મોટી લાગણી પ્રવર્તી રહી છે. મોટા-મોટા સંમેલનો તેના સાક્ષી છે. કેરળ અને તમિલનાડુથી આરએસએસના ઘણાં વિચારકો અને વરિષ્ઠ નેતાઓ આવ્યા છે. આરએસએસના ઘણાં મોટા નેતાઓએ સંઘકાર્યની શરૂઆત કેરળથી કરી છે. તેવા સંજોગોમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની આહલેક રાજકીય સ્તરે ભાજપને અહીં મોટો મંચ પુરો પાડી શક્યું નથી. તેના સંદર્ભે પણ 2019ની રાજકીય સ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિચારણા હાથ ધરવી જરૂરી છે. દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ભાજપની સરકારો આવી છે. પરંતુ તેમાં અસ્થિરતા અને અસંતોષનું પ્રમાણ ઘણું મોટું રહ્યું છે.
આની પાછળના કારણમાં સૌથી પહેલી માન્યતા ભાજપની હિંદી બેલ્ટની પાર્ટી તરીકેની માન્યતા એક મોટી અડચણ છે. દક્ષિણ ભારત ભૂતકાળમાં હિંદી ભાષા વિરુદ્ધના આંદોલનના ગઢ રહ્યા છે. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. બીજું દક્ષિણ ભારતમાં મજબૂત સ્થાનિક નેતાઓ આઝાદી વખતથી અહીં છે. સ્થાનિક નેતાગીરી ઉભી કરવાની કોશિશને ગંભીરતાથી આગળ વધારવી જરૂરી છે. લોકશાહી ક્યારેય વન મેન શૉ હોતો નથી અને સૌને આદર સૌના સાથ માટે બેહદ જરૂરી છે. દક્ષિણ ભારતના રાજ્યો વિકાસના મામલે અને સાક્ષરતા સહીતના માનવ વિકાસ સૂચકાંકમાં ઉત્તર ભારતના રાજ્યો કરતા ઘણાં આગળ છે. આવા સંજોગોમાં અહીં સરકારોના ગેરવહીવટથી તારવા માટે તારણહારની ભૂમિકામાં વ્ચક્ત થવાની નેતાઓની ભૂમિકા ભાજપ માટે ખતરનાક નીવડી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ બંને દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે. છતાં અહીં પ્રાદેશિક ભાવના પણ તેના કરતા પણ વધારે મજબૂત છે, તેનું ધ્યાન રાખવું જરૂરી છે. દક્ષિણ ભારતની ડેમોગ્રાફીના કોઈપણ પ્રકારના પરિવર્તન પર ઝીણવટભરી નજર અને તેને વધુ બગડવા નહીં દેવા માટેની કોશિશો ચાલુ રાખવી જરૂરી છે.
જનાદેશના સંદેશાને ડીકોડ કરવો જરૂરી-

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોનો એક જ સંદેશ છે કે આઈડિયા ઓફ ઈન્ડિયાની મજબૂતીનો આધાર ભારતનું ધાર્મિક વસ્તીસંતુલન છે. આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ તેના ઉદાહરણો છે. પરંતુ અહીં ભાજપનું રાજકીય અસ્તિત્વ વધવું આઈડિયા ઓફ ઈન્ડિયાને મજબૂત બનાવવાની એક તક ઉભી કરે છે અને સાથે તેમની જવાબદારીઓ પણ વધારે છે. આઈડિયા ઓફ ઈન્ડિયામાં હિંદુત્વની બાદબાકી શક્ય નથી, આવી કોશિશો ભારત વિરોધી છે અને તેને સ્વીકારી શકાય તેમ નથી. તેનું પણ ધ્યાન ઈન્ડિયા ફર્સ્ટ અભિયાન માટે આઈડિયા ઓફ ઈન્ડિયાની વાત કરીને કેટલીક નકામી દલીલો કરનારી પાર્ટીઓને ધ્યાનમાં રાખીને ઈન્ડિયા ફર્સ્ટ અભિયાન માટે આગળ વધી રહેલા ભાજપે ધ્યાન પર લેવી જોઈએ. આઈડિયા ઓફ ઈન્ડિયાને મજબૂત કરવા માટે રાજકીય મોરચો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે નક્કર, નિશ્ચિત અને સ્પષ્ટ ભૂમિકા પણ લેવી જોઈએ.

શુક્રવાર, 22 એપ્રિલ, 2016

પાકિસ્તાની આતંકવાદને ચીનનો ટેકો, યુએનમાં વાપર્યો વીટો

પાકિસ્તાની આતંકવાદને ચીનનો ટેકો, યુએનમાં વાપર્યો વીટો
- પ્રસન્ન શાસ્ત્રી

ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં વીટો અધિકારનો ઉપયોગ કરીને જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરને પ્રતિંબંધિત આતંકવાદીની યાદીમાં સામેલ કરવાના ભારતના પ્રસ્તાવને રદ્દ કરાવ્યો છે. તેની સાથે ચીનની પાકિસ્તાનના રાજ્ય પ્રેરીત આતંકવાદ સાથેની સાંઠગાંઠ પણ ખૂબ ખરાબ રીતે ખુલ્લી પડી ગઈ છે. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પ્રેરીત આતંકવાદી જૂથ છે અને તેણે ભારતમાં સંસદ પરના હુમલા સહીત છેલ્લે પઠાનકોટ એરફોર્સ સ્ટેશન ખાતે એટેક કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રસ્તાવ સામે ચીનનો વીટો હકીકતમાં પાકિસ્તાન દ્વારા ઉપયોગ કરાયેલો હિડન વીટો હતો.

જૈશ-એ-મોહમ્મદને 2001થી સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનની યાદીમાં રાખવામાં આવ્યું છે. પરંતુ ચીને જૈશ-એ-મોહમ્મદ ચીફને પ્રતિબંધિત આતંકવાદીની યાદીઓમાં સામેલ કરવા માટે ટેક્નિકલ આધારોને આગળ કરીને વીટોનો ઉપયોગ કરવાની બાબતને યોગ્ય ગણાવી છે. આ પહેલા ચીન દ્વારા લશ્કરે તોઈબાના ટોચના કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવી સામેના ભારતના પ્રસ્તાવને પણ સંયુક્ત રાષ્ટ્રમાં ચીને વીટો કરીને રદ્દ કરાવ્યો હતો. લખવી 2008ના મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. 2008 પહેલા પણ ચીને જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરને પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવા મામલે વિરોધ કર્યો હતો. પાકિસ્તાની સેના સાથે જોડાયેલા આતંકવાદી જૂથોને ચીનના વલણને કારણે ભારત અને અફઘાનિસ્તાનમાં પોતાની આતંકી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન મળશે. 

ચીન અને પાકિસ્તાનની ધરી ભારતીય ઉપખંડમાં ભારત સામે ઘણાં વ્યૂહાત્મક અને સુરક્ષાલક્ષી પડકારો પેદા કરી રહી છે. ચીન પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પર દક્ષિણ એશિયામાં પોતાના વ્યૂહાત્મક હિતો બાબતે નિર્ભરતા ધરાવે છે. 

ચીન દ્વારા દક્ષિણ ચીન સાગર વિવાદમાં પ્રાદેશિક અસ્થિરતા પેદા કરવા માટે ઉત્તર કોરિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. તેવી રીતે અફઘાનિસ્તાન અને ભારતમાં પાકિસ્તાની સેના દ્વારા પ્રાયોજિત આતંકવાદને પણ ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં વીટો વાપરીને છૂટોદોર અપાયો છે. જેના માટે દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરી સામે પડકાર બનેલા અમેરિકા સાથે ભારતની વધી રહેલી ઘનિષ્ઠતાને પણ કેટલાક વિશ્લેષકો જવાબદાર ગણી રહ્યા છે. અમેરિકા અને ભારત એકબીજાના સૈન્ય ઠેકાણાઓનો લોજિસ્ટિક સપોર્ટ માટે ઉપયોગ કરે તેવી એક સંધિ પર હસ્તાક્ષર કરવા બાબતે યુએનમાં ચીને દેખાડેલા પાકિસ્તાનપ્રેમ બાદ સંમતિ સધાઈ છે. અમેરિકા દક્ષિણ ચીન સાગર ખાતે પોતાની 60 ટકા નૌસેનાને તેનાત કરવા જઈ રહ્યું છે.

પાકિસ્તાની સેનાના ઓપરેશન ઝર્બે-અજ્બમાં પીઓકે ખાતે ઉઈઘૂસ આતંકવાદીઓના કેમ્પોને નષ્ટ કરાયા છે. ચીનના ઝિનઝિયાંગ પ્રાંત ખાતે ઉઈઘૂર ઈસ્લામિક આતંકવાદીઓ વંશીય હિંસા કરતા હતા. જો કે ઈસ્લામિક જેહાદી આતંકવાદના વલણોની ખાસિયત છે કે તેઓ જરાક ગાફેલ થવાની અવસ્થામાં ફરીથી માથું ઉંચકતા હોય છે. તેથી હાલ પાકિસ્તાની સેનાનો અભાર વ્યક્ત કરવા માટે ચીને આઈએસઆઈના આતંકી જૂથના પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધિત યાદીમાં સામેલ થવાથી બચાવી લીધો છે. પરંતુ આગામી સમયમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તોઈબાના આતંકવાદી કેમ્પોમાં તાલીમા પામેલા ઉઈઘૂર આતંકવાદીઓના હુમલાથી બચવા માટે ચીને તૈયાર રહેવું પડશે. 

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની ઈસ્લામાબાદની મુલાકાત વખતે 46 અબજ ડોલરનો ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) બનાવવા માટે સંમતિ સધાઈ હતી. જેના કારણે ચીનના પાકિસ્તાનમાં ઘણાં મોટા સ્ટ્રેટજિક ઈન્ટરેસ્ટ છે. જેમાં સીપીઈસી એક મોટું કારણ છે. ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની સુરક્ષા બંને દેશો માટે યક્ષપ્રશ્ન છે. તેને પાકિસ્તાનના આતંકવાદી જૂથોથી મોટું જોખમ છે. આવા સંજોગોમાં ચીન લશ્કરે તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા ભારત અને અફઘાનિસ્તાનમાં ઓપરેટ કરતા આતંકવાદી જૂથો સાથે સંબંધો જાળવે તો જેહાદી આતંકીઓનું જોખમ તેઓ ટાળી શકે તેમ છે. તેથી પહેલા લખવી અને પછી મસૂદ અઝહરને ચીને બચાવ્યા છે. 

ચીન દ્વારા વીટોનો સંયુક્ત રાષ્ટ્રમાં કરાયેલો ઉપયોગ માત્ર અને માત્ર રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના હુકમથી જ કરાયો છે. તેના માટે ચીનના મિડલ રેન્જના પીપલ્સ લિબરેશન આર્મીના અધિકારીઓની ભૂમિકા બિલકુલ હોઈ શકે નહીં. જિનપિંગ હાલ ચીનના સર્વોચ્ચ શક્તિ ધરાવતા રાષ્ટ્રપ્રમુખ છે અને તેમના હાથમાં પીપલ્સ લિબરેશન આર્મીની બાગડોર પણ છે. તેથી તેમની સંમતિ વગર ડિપ્લોમેટિક સ્તરે કોઈપણ પાંદડુ હલે તેવો કોઈ અવકાશ નથી. 

ચીન દ્વારા પીઓકેમાં ઝેલમ નદી પર પાવર પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. નૌગાંવ સેક્ટર ખાતે ચીનના સૈનિકોની હાજરી હોવાના ચિંતાજનક અહેવાલો પણ આવી ચુક્યા છે. તાજેતરમાં ચીન અને પાકિસ્તાનની સેનાઓ અને વાયુસેનાએ પણ સંયુક્ત લશ્કરી કવાયતો હાથ ધરી હતી. તો પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર ખાતે કોઈ ષડયંત્ર કરી રહ્યું હોવાનું ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોનું માનવું છે. અહેવાલો છે કે રાજસ્થાન સરહદે સંવેદનશીલ વિસ્તારોમાં પાકિસ્તાને ગુપચુપ રીતે પાક્કા બંકરો બનાવી રહ્યું છે. આવા પાક્કા બંકરો યુદ્ધ માટેની તૈયારીના ઉદેશ્યથી બનાવાય છે. તેને ડેઝર્ટ વોરફેયર ટેકનીકથી બનાવવામાં આવ્યા છે. ગત એક માસમાં પાકિસ્તાને રાજસ્થાન સરહદે આવા 180 પાકા બંકરો બનાવ્યા છે. આના સિવાય વધુ એકસો બંકરો બનાવવાની તૈયારી પણ પાકિસ્તાને કરી છે. આ બંકરો જેસલમેર, બિકાનેર અને શ્રીગંગાનગરથી લગભગ દોઢ કિલોમીટરના અંતરે બનાવવામાં આવ્યા છે. ચિંતાજનક વાત એ છે કે આ સરહદે મોટી સંખ્યામાં ચીનીઓ પણ હાજર છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને આ વિસ્તારમાં સેટેલાઈટ ફોન્સના સિગ્નલ્સ મળી રહ્યા છે. આ સેટેલાઈટ ફોન સિગ્નલ્સ ચીનની કંપનીઓના હોવાનું જાણવા મળે છે. ચીનની કંપનીઓના કારીગરોની સુરક્ષામાં મોટી સંખ્યામાં ચીનની સેનાના સૈનિકો પણ તેનાત છે. બીએસએફ દ્વારા ફ્લેગ મિટિંગ દરમિયાન આ મામલે વાંધો વ્યક્ત કરાયો હતો.
હકીકત ધ્યાને લેવાવી જોઈએ કે ભારતની લાખ કોશિશો છતાં ચીન ભારતનું મિત્ર ક્યારેય રહ્યું નથી. તેના સાથે પાકિસ્તાનના રાવલપિંડી ખાતેના સૈન્ય મુખ્યમથક ખાતેના જનરલો સાથે મળીને ચીન દ્વારા ભારત સામે લશ્કરી પડકારો ઉભા કરાયા છે. પાકિસ્તાન માટે ચીન પોતાની લશ્કરી ક્ષમતાઓની ભારત સામે સરસાઈ કે સંતુલન માટેની જરૂરિયાત છે. તો ચીન માટે પાકિસ્તાન એશિયામાં સ્વિંગ પાવર તરીકે ઉભરી રહેલા ભારત સામેનું સામરિક હથિયાર છે. ચીન અને પાકિસ્તાન સાથે શાંતિપાઠ કરનારી ટ્રેક-ટુ ડિપ્લોમસી બિલકુલ કારગાર સાબિત થઈ નથી અને થવાની નથી. ચીન અને પાકિસ્તાન બંને સાથે ભારત સમ્માનજનક શાંતિ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં ત્યારે જ આવી શકશે કે જ્યારે ભારતીય સેનાઓને યુદ્ધની તૈયારીઓની સજ્જતાના ઉચ્ચસ્તરે રાખવામાં આવે. તેની સાથે ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને સરહદોએ યુદ્ધની સ્થિતિમાં વિજય પ્રાપ્ત થાય તેવી લશ્કરી સરસાઈ માટે વાયુસેનાને વધુ મજબૂત બનાવવી પડશે. 

અનામતનું રાજકારણ હિંદુ એકતા તોડવાનું કાવતરું

સંઘમુક્ત ભારત પાકિસ્તાની એજન્ડાઅનામતનું રાજકારણ હિંદુ એકતા તોડવાનું કાવતરું

- પ્રસન્ન શાસ્ત્રી


સંઘ દ્વારા હિંદુત્વનું દ્રઢીકરણ


1947માં અખંડ ભારતમાંથી પાકિસ્તાનના નામે જ્યારે બે ટુકડા કાપીને ભાગલા કરવામાં આવ્યા હતા, ત્યારે સેક્યુલર હિંદુઓની રાજકીય રીતે હાર થઈ હતી. મુસ્લિમ લીગે ફેલાવેલા વૈમનસ્યથી અખંડ ભારતમાં પાનઈસ્લામિક મૂવમેન્ટના માર્ગે અંગ્રેજોના દોરીસંચાર હેઠળ પોલિટિકલ મુસ્લિમની અલગ હોમલેન્ડની મનસા ફળીભૂત થઈ હતી. અંગ્રેજોની ભાગલા કરો અને રાજ કરોની નીતિમાં સૌથી વધુ ધાર્મિક ભાગલાવાદને પ્રોત્સાહન આપવાની નીતિ તેમની સત્તાની વ્યૂહરચનાનો ભાગ રહી હતી. આજે પણ અંગ્રેજોની ધાર્મિક ઓળખની ભાગલાવાદી માનસિકતાને પ્રોત્સાહિત કરવાની વારસાઈ કથિત સેક્યુલર રાજકીય પક્ષોના હાથમાં છે. તેમ છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિંદુત્વનું ભારતની સમાજનીતિમાં સંરક્ષણ કરવાનું અશક્ય લાગતું કપરું કામ સેક્યુલર રાજકારણના વાવાઝોડામાં સામા પવને ચાલીને પણ કર્યું છે. હજી પણ આરએસએસ અને તેની પ્રેરણાથી કામ કરતા હિંદુ સંગઠનો અને રાષ્ટ્રવાદી જૂથો હિંદુત્વને દ્રઢીભૂત કરીને ભારતને વિશ્વમાં ગૌરવભેર સ્થાને સ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આમ કરતા રહેશે.

1947માં હાર, 2014માં જીત


1947માં ભારતના વિભાજનની પીડા સાથે પોલિટિકલ મુસ્લિમ લીગ સામે હારેલો સેક્યુલર હિંદુ 2014 સુધીમાં રાજકીય રીતે ઘણો જાગ્રત થયો હતો. તેનું પરિણામ હતું કે હિંદુવાદી ભાજપના હિંદુત્વવાદી છબી ધરાવતા નેતા નરેન્દ્ર મોદીને ભારતના ઓળખ વાંછનારા અને તેને સ્થાપિત કરવાની ઈચ્છા ધરાવતા હિંદુઓએ સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તાની સોંપણી કરી હતી. 2014માં પોલિટિકલી જીતેલો ઓળખ ઉજાગર કરવાની મનસા ધરાવતો હિંદુ જીત્યો, પણ  2016 સુધીમાં તો જીતેલો હિંદુ અનામતના આંદોલનના નામે ફરીથી જાતિવાદી ચક્કરમાં ફસાઈ ચુક્યો છે. 

ગુજરાત હિંદુત્વનો ગઢ


ગુજરાત હિંદુત્વનો ગઢ ગણાય છે. લગભગ ત્રણ દાયકાથી આરએસએસ અને તેની અસર તળે ભાજપનો અહીં સામાજિક અને રાજકીય પ્રભાવ છે. 1998થી ભાજપની ગુજરાતમાં અવિરત સત્તા પણ છે. જેમાં ગુજરાતની રાજનીતિના હિંદુકરણ પર માત્ર દેશમાં નહીં, પણ વિદેશોમાં પણ ભારતના સેક્યુલર કાગડાઓની ભારે કાગારોળ થતી રહી છે. ગુજરાતમાં બેહુદી સેક્યુલર રાજનીતિના નામે ચાલતી તુષ્ટિકરણની વોટનીતિને આરએસએસ દ્વારા રાજ્યની રાજનીતિના હિંદુકરણે ઝડપથી બદલી નાખી છે. ભારતની રાજનીતિના હિંદુકરણ માટેનું માર્ગદર્શક પણ ગુજરાત જ બન્યું છે. 2014માં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપે પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવીને દેશભરમાં કેન્દ્રમાં સત્તા મેળવવા માટે વોટ માંગ્યા અને દેશના લોકોએ અઢળક અપેક્ષાઓ વચ્ચે મત આપ્યા પણ ખરા.. કેન્દ્રમાં પ્રવર્તમાન સરકારમાં ત્રીસ વર્ષના ગઠબંધનના નામે ચાલેલા તકવાદી રાજકારણમાંથી જનતાના ખોબલેને ખોબલે મળેલા વોટે છૂટકારો અપાવ્યો. 

ગુજરાતમાં અનામત આંદોલન


ત્રીસ વર્ષ બાદ કોઈ એક પક્ષને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી છે. ત્રીસ વર્ષની સૌથી શક્તિશાળી રાજકીય સ્થિતિ હાલની સરકારની હોવાનું તેના સત્તામાં આવ્યાના પહેલા દિવસથી ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તેમ છતાં ગુજરાતથી પટેલ અનામત આંદોલનની શરૂઆત થઈ. સરકારના લગભગ એક વર્ષ બાદ પટેલ અનામત આંદોલનની માગણી માટે આર્થિક વિકાસનું મોડલ અને ગુજરાતમાં છેલ્લા બાર વર્ષથી ચાલેલું રાજકારણ જવાબદાર છે. આની પાછળ દોરીસંચાર બની શકે કે વિરોધ પક્ષોનો હોય, પરંતુ ગુજરાતનું વિકાસ મોડલ જોબલેસ ડેવલોપમેન્ટ મોડલ હોવાની ઘણાં અર્થશાસ્ત્રીઓએ ચર્ચા કરી છે. આવા સંજોગોમાં સ્પર્ધાત્મક વિશ્વમાં ઘટી રહેલી રોજગારીની તકો, ખેડૂતોની સમસ્યાઓ અને જમીન સંપાદન જેવા ઘણાં મુદ્દાઓ પટેલ સમુદાય સહીતના ગુજરાતના લોકોને સ્પર્શે છે. પટેલ સમુદાય મોટાભાગે ભાજપનો ટેકેદાર રહ્યો છે. અનામતની માગણીના આંદોલન પહેલા ગુજરાતની રાજનીતિના હિંદુકરણ બાદ પટેલ સમુદાયે રાજકીય દ્રષ્ટિએ પોતાની જાતિવાદી ઓળખ જાહેર કરી ન હતી. અપવાદરૂપ કિસ્સામાં 2012માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં બનેલી ગુજરાત પરિવર્તન પાર્ટી માટે આવી માન્યતા બની હતી. પરંતુ હવે કેશુભાઈ પટેલ ભાજપમાં છે અને જીપીપીનું અસ્તિત્વ નથી. કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર બન્યાના લગભગ એક વર્ષ બાદ પટેલ અનામત આંદોલન શરૂ થયું હતું.


ભાજપશાસિત રાજ્યોમાં અનામતની માગણી


રાજસ્થાનમાં ગુર્જર સમુદાયે પણ વસુંધરા રાજે સિંધિયાની સરકાર સમક્ષ અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં અનામતની માગણી કરી હતી. તો હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરની સરકાર સમક્ષ જાટ સમુદાયે હિંસક આંદોલન કરીને અનામત આપવા માટે ભાજપની સરકારને લાચાર કરી હતી. તો આંધ્રપ્રદેશમાં ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ સાથે ભાજપની જોડાણ સરકાર છે. અહીં પણ કાપુ સમુદાયે અનામતની માગણી સાથે આંદોલન કર્યું હતું. જો કે કાપુ સમુદાયની અનામતની માગણી સાથેનું આંદોલન લગભગ સપ્તાહમાં ઠંડુ પડી ગયું છે. મહારાષ્ટ્રમાં ફડણવિસના નેતૃત્વમાં ભાજપ અને શિવસેનાની જોડાણ સરકાર છે. અહીં પણ મરાઠા સમુદાય ઓબીસી અનામતની માગણી કરી રહ્યો છે. જો કે મહારાષ્ટ્રમાં આના માટે પટેલ, ગુજ્જર, જાટ અથવા કાપુ સમુદાયની જેમ આંદોલન કરવામાં આવ્યું નથી. પરંતુ હકીકત એ છે કે અનામતની માગણી કરી રહેલા સમુદાયો મોટાભાગે સંપન્ન હોવાની માન્યતા ધરાવે છે અને તેની સાથે તેઓ ભાજપ અથવા એનડીએના રાજકીય રાહે મોટા ભાગે ટેકેદાર હોવાનું પણ માનવામાં આવે છે. તેની સાથે હાલ અનામતની માગણી સાથેના આંદોલનોવાળા રાજ્યોમાં ભાજપ અથવા તો એનડીએની સરકારો છે. તેથી એક માન્યતા એવી છે કે આની પાછળ વિરોધ પક્ષોનો અસંતુષ્ટોને હાથો બનાવીને દોરીસંચાર કરાયો હોય. 

આંદોલનોના સંભવિત કારકો


વિરોધ પક્ષ ત્યારે જ સબળ બનતા હોય છે, જ્યારે સત્તાપક્ષ નબળા દેખાતા હોય છે. વળી સત્તાપક્ષ ,ત્યારે જ નબળા દેખાતા હોય છે, જ્યારે તેઓ જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં ઉણા ઉતરતા લાગતા હોય અને આવી સ્થિતિમાં જનતાના મોહભંગનો તબક્કો શરૂ થયો હોય. ગુજરાતમાં શક્તિશાળી નેતૃત્વ કર્યાની એક સર્વસામાન્ય છાપ નરેન્દ્ર મોદી માટે આખા વિશ્વમાં પ્રવર્તી રહી છે. આવી જ અપેક્ષા ભારતના વડાપ્રધાન તરીકે તેમની પાસે લોકોને હોય તેવું અપેક્ષિત છે. પરંતુ હજીસુધી મોંઘવારી કાબુમાં લઈ શકાઈ નથી. પેટ્રોલ-ડીઝલ અને દાળથી માંડીને જીવનજરૂરિયાતની ઘણી વસ્તુઓ લોકોને આભે આંબતી મોંઘવારીમાં ઘણી દૂર લાગી રહી છે. તો રોજગારી ઉભી કરવામાં પણ એટલી સફળતા મળી શકી નહીં હોવાની એક માન્યતા રાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહી છે. ખેડૂતોની સમસ્યાને નજરઅંદાજ કરીને જમીન સંપાદન બિલ પારીત કરાવવા માટે કોશિશો કરાઈ હોવાની એક છાપ પણ પ્રવર્તી રહી છે. મહત્વપૂર્ણ છે કે પટેલ, જાટ, ગુજ્જર, કાપુ સમુદાયો મોટાભાગે ખેતી-પશુપાલન સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જો કે સરકારે હવે જમીન સંપાદન બિલ સંદર્ભે પોતાની જીદને છોડી દીધી હોય છે. પરંતુ આ આખા ઘટનાક્રમમાં વિપક્ષના હાથમાં લોકોમાં શક્તિશાળી બનવાનો એક મોટો ચોક્કસથી હાથ લાગ્યો છે. 

તો જમ્મુ-કાશ્મીરમાં અફઝલ ગુરુને શહીદ ગણાવતી અને સોફ્ટ સેપરેટિસ્ટ એજન્ડા માટે વગોવાયેલી પીડીપી સાથે ભાજપે જોડાણ સરકાર બનાવી છે. જમ્મુ-કાશ્મીરની પીડીપી-ભાજપની ગઠબંધન સરકારના કાર્યકાળમાં માથું ઉંચકતા ભાગલાવાદીઓ અને દર શુક્રવારે નમાજ બાદ પાકિસ્તાન, આઈએસઆઈએસ, લશ્કરે તોઈબા, હાફિઝ સઈદ અને બગદાદી જેવાના વાવટા તથા તસવીરો લઈને ભારત વિરોધી સૂત્રોચ્ચાર થતા આખો દેશ જોઈ રહ્યો છે. આવા સંજોગોમાં ગુરુદાસપુર, ઉધમપુર અને છેલ્લે પઠાનકોટ ખાતેના આતંકવાદી હુમલાઓની ઘટનાઓ પણ લોકોના દિલોદિમાગમાં પુરોગામી કોંગ્રેસી ગઠબંધનવાળી સરકારો જેવી નીતિઓની છબી ઉપસાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક યોજાયેલી લાહોર યાત્રા સંદર્ભે પણ જનતાના દિલમાં ઘણાં સવાલો છે. તેની સાથે પાકિસ્તાન સામેની નીતિમાં દેખાતી ઢીલાશ પણ ભારતની જનતાના દિલનો કોરી ખાય છે. આવા સંજોગોમાં જાણે કે હવે અપેક્ષાના બોજ તળે સત્તામાં આવેલી સરકાર સામે જનતાના મોહભંગનો તબક્કો શરૂ થયો હોવાનું પણ માનવામાં આવે છે. દિલ્હી અને બિહારમાં ભાજપને મળેલી કારમી હાર આવા મોહભંગના તબક્કા તરફ સંકેત કરી રહી છે. 

રાષ્ટ્રીય મુદ્દાઓ પ્રત્યે ઉદાસિનતા


અહીં એક તથ્ય ધ્યાન ખેંચે તેવું છે. ભાજપની ઓળખ પાર્ટી વિથ ડિફરન્સ તરીકે રાષ્ટ્રવાદી એજન્ડા લાગુ કરનારી પાર્ટી તરીકેની અપેક્ષા સાથે જોડાયેલી છે. લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને સમાન નાગરિક ધારો દેશમાં લાગુ કરવાની બાબતો સામેલ કરવામાં આવી છે. પરંતુ આ ત્રણ મુદ્દાઓ પર સરકારે પોતાના બે વર્ષના કાર્યકાળમાં કોઈપણ નક્કર કહી શકાય તેવું કામ કર્યું નથી. આ સિવાય દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની લાગણીને ઝડપાઈ રહેલા ગૌમાંસ અને કપાતા ગૌવંશ અને ગાયોની કતલ સામે દુભાઈ રહી છે. લવ-જેહાદની ઘટનાઓમાં હિંદુ દિકરીઓને દોઝખમાં જતી અટકાવવા માટે કોઈ કાયદાકીય કોશિશો લાગુ કરાતી નહીં હોવાની પણ એક ફરિયાદ પ્રવર્તી રહી છે. તેની સાથે પાકિસ્તાન પ્રેરીત આતંકી નેટવર્ક અને વૈશ્વિક આતંકી જૂથ આઈએસના વધી રહેલી અસરોને રોકવા માટે નક્કર પગલા ભરવા બાબતે સુસ્તી સામે પણ પઠાનકોટ હુમલાની ઘટના બાદ સવાલો થઈ રહ્યા છે. આવા સંજોગોમાં ડર છે કે 1947માં સેક્યુલર હિંદુની હાર 2014માં પોલિટિકલી એક્ટિવ હિંદુની જીતમાં બદલાઈ છે. પરંતુ શું પોલિટિકલી એક્ટિવ બનેલા હિંદુઓની અપેક્ષા પર રાજકીય નેતૃત્વ ઉણાં ઉતરવાની પરંપરાઓ પર જ ચાલશે? 

માથું ઉંચકતા દેશવિરોધી તત્વો


દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભારતવિરોધી સૂત્રોચ્ચારની ઘટના બને અને છઠ્ઠા ધોરણના મોનિટર બનવાની ઓકાત નહીં ધરાવતો વ્યક્તિ વિદ્યાર્થી નેતામાંથી રાષ્ટ્રીય નેતા બનવાની કોશિશ કરે, જેએનયુથી નાગપુર સુધી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકારે, આરએસએસ અને હિંદુત્વ વિશે ઘસાતી ટીપ્પણીઓ કરે, હિંદુત્વની રાજનીતિના આઈકોન વીર સાવરકર સંદર્ભે એલફેલ ભાષાનો ઉપયોગ કરે. શ્રીનગર એનઆઈટીમાં ભારતની ક્રિકેટ ટીમની હારની ઉજવણી થાય અને પાકિસ્તાન જિન્દાબાદના સૂત્રોચ્ચાર થાય. આનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓ પર જમ્મુ-કાશ્મીર પોલીસ ભારતમાતા કી જય બોલીને તિરંગો ફરકાવવા બદલ લાઠીચાર્જ કરે. હદ તો ત્યારે થાય છે કે મુસ્લિમ લીગનો સાપ પાકિસ્તાન ગયા બાદ તેના લિસોટા જેવા પાલિકા સ્તરના નેતા ધાર્મિક લાગણીઓના નામે ગળા પર ચાકુ મૂકશો તો પણ ભારતમાતા કી જય નહીં બોલું તેવા પડકારો ફેંકીને ભારતના લોકોના દિલમાં રહેતી ભારતમાતાની આસ્થાને પડકારે.. અને તેવા સંજોગોમાં દેખીતી સક્રિયતા નહીં હોવાના મામલે સરકારને પોલિટિકલી એક્ટિવ હિંદુઓની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે ઘણી વધુ મહેનત કરવી પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. 

સંઘમુક્ત ભારત પાકિસ્તાનવાદીઓ માટે ઉત્સાહવર્ધક


2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને 2019માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે જેડીયુ અધ્યક્ષ બનીને હવે રાષ્ટ્રીય રાજકારણમાં બિનભાજપી જૂથોને એકજૂટ કરવા માટે હાકલ કરી છે. તેના માટે સત્તર વર્ષ સુધી ભાજપ સાથે એનડીએમાં રહેલા નીતિશ કુમારે સંઘમુક્ત ભારત બનાવવા માટે બિનભાજપી વિરોધપક્ષોને એક થવા માટે આહવાન કર્યું છે. મતલબ કે નીતિશ કુમારે કોંગ્રેસમુક્ત ભારત સામે સંઘમુક્ત ભારતનું એલાન કરીને હવે આરએસએસ અને હિંદુત્વને રાજકીય નિશાન બનાવવાનું નક્કી કરી લીધું છે. 

કદાચ 2019ની લોકસભાની ચૂંટણી એવી પહેલી ચૂંટણી હશે કે જેમાં સંઘમુક્ત ભારતના નામે હિંદુત્વમુક્ત ભારત બનાવવાના નામે એક હિંદુ સમુદાયમાં જન્મેલા નેતા નીતિશ કુમાર વોટ માંગશે. સેક્યુલારિઝમના નામે મુસ્લિમ વોટબેન્કોમાંથી વોટના ઉપાડની ચાલતી રાજનીતિમાં હવે એવી કક્ષા આવી ચુકી છે કે પોલિટિકલી એક્ટિવ હિંદુઓને ખતમ કરવામાં આવે અને તેમને ફરીથી 1947ની સ્થિતિમાં સેક્યુલર હિંદુના નામે પોલિટિકિલી ડિસકેનેક્ટ કરીને નિષ્ક્રિય કરી દેવામાં આવે. જેથી વોટબેન્ક માટે મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અનામત આપી શકાય. બાંગ્લાદેશથી આવતા મુસ્લિમ ઘૂસણખોરોને બેરોકટોક પોતાની વોટબેન્ક બનાવી શકાય. દેશના લાખો કરોડો રૂપિયાને ભ્રષ્ટાચાર કરીને લૂંટી શકાય. અનામતની આગ ભડકાવીને કાસ્ટ સેન્સસના નામે તેને વધુ ઉગ્ર બનાવવાની રાજરમત કરી શકાય.. સેક્યુલારિઝમના નામે વોટબેન્કના પોલિટિક્સ કરીને તુષ્ટિકરણને ફરીથી પ્રસ્તુત બનાવવાની નીતિશકુમાર જેવા નેતાઓ કોશિશ કરશે. તેના માટે કાસ્ટ સેન્સસનો ઉપયોગ કરીને જાતિવાદી અનામતના આંદોલનનો ખેલ પણ ખુલીને ખેલવામાં આવશે. તેના દ્વારા હિંદુઓના પોલિટિકલી એક્ટિવ થવાથી ઉભી થયેલી હિંદુઓની રાજકીય એકતાને તોડવાની કોશિશ થશે. 

સંઘમુક્ત ભારતનું એલાન કરવું એટલે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ભારત તોડવાના એજન્ડાને સમર્થન આપવા જેવું છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ભારતમાં જાતિવાદી રાજકારણ ખૂબ અધમ કક્ષાએ ચાલે અને તેના માટે અનામત તરફી અને અનામત વિરોધી આંદોલનથી ભારતમાં જાતિયુદ્ધ ફાટી નીકળે તેવી મનસા કંઈ કોઈનાથી છૂપાયેલી નથી હિંદુ એકતા પાકિસ્તાની આઈએસઆઈને ભારતમાં આતંકનો ખેલ ખેલવામાં મોટી અડચણ છે. પાકિસ્તાનના આઈએસઆઈ તરફી સંરક્ષણ નિષ્ણાત સૈયદ તારીક પીરઝાદાએ એક ન્યૂઝ ચેનલ પર આવો સંકેત કરતું એક બેહદ સૂચક નિવેદન કર્યું હતું. પાકિસ્તાની વિશેષજ્ઞ તારીક પીરઝાદાએ કહ્યુ હતું કે મોદીને રોકવા માટે હિંદુઓને જાતિના આધારે વિભાજિત કરવા જોઈએ અને તેમને આશા છે કે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ આવું જ કરી રહ્યા છે. કદાચ હવે રાહુલ ગાંધી અને કેજરીવાલ સાથે નીતિશ કુમારના નામને પણ સામેલ કરવું પડે. પાકિસ્તાને ભારતમાં ક્યારેય હિંદુ રાજનીતિ માથું ઉંચકે તેવું પસંદ કર્યું નથી. તેથી સંઘમુક્ત ભારતની નીતિશ કુમારની હાકલ સીધેસીધી પાકિસ્તાન અને ભારતમાં રહેલા પાકિસ્તાનવાદીઓ માટે ઉત્સાહવર્ધક છે. 1947માં ભારતના સેક્યુલર હિંદુની દેશના ભાગલારૂપે પાકિસ્તાનની રચનારૂપી ઘટનાથી હાર થઈ હતી. હિંદુત્વવાદી સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિંદુત્વ અને રાષ્ટ્રવાદને ઉજાગર કરીને દેશના ઘણાં હિંદુઓને પોલિટિકલી એક્ટિવ કર્યા છે અને એક રાજકીય પરિવર્તનના સપનાને સકારા કર્યું છે. આ રાજકીય પરિવર્તનને રાષ્ટ્રીય રાજકારણના હિંદુકરણ દ્વારા આરએસએસ અને તેની પ્રેરણાથી કામ કરતા સંગઠનો દ્રઢીભૂત કરવા કોશિશ પણ કરશે. તેવા સંજોગામાં સ્વાભાવિકપણે પાકિસ્તાન અને પાકિસ્તાનવાદીઓને સંઘ આંખના કણાંની જેમ ખૂંચશે. તેમાં સંઘમુક્ત ભારતની વાત તો આવા લોકોને ગળા નીચે લાપસીની જેમ ઉતરી જશે!

આર્થિક અનામત દેશનું ડેથ વોરંટ


આર્થિક આધારે અનામતની વાતો અને તર્કો થઈ રહ્યા છે. પરંતુ ભારતીય બંધારણની વારંવાર દુહાઈ આપનારા સગવડિયા સેક્યુલર રાજકીય પક્ષોએ અનામતની જોગાવાઈ સંદર્ભે બાબાસાહેબ આંબેડકરના દ્રષ્ટિકોણને ધ્યાને લેવો પડશે. ભારતીય બંધારણની જોગવાઈ પ્રમાણે હિંદુ સમાજમાં જાતિગત ભેદભાવથી સામાજિક રીતે પછાત જાતિઓને સામાજિક સમાનતાના માધ્યમ તરીકે અનામત આપવામાં આવ્યું છે. અનામતનો આધાર ધર્મ અથવા આર્થિક સ્થિતિ બિલકુલ નથી. વળી આર્થિક આધારે અનામતની વાત કરવામાં આવે તો તેવા સંજોગોમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓને પાછલા બારણે અનામત આપવામાં સગવડિયા સેક્યુલર રાજકીય પક્ષો માટે એક સરળતા ઉભી થઈ જશે. ભારતની કુલ વસ્તીમાં પાંચમો ભાગ મુસ્લિમ-ખ્રિસ્તી સમુદાયોનો છે. આર્થિક આધારે અનામત ભારત સામે ડેથ વોરંટની વ્યવસ્થા હશે. હાલની અનામતની જોગવાઈઓ ખ્રિસ્તી અને મુસ્લિમ સંસ્થાઓ દ્વારા ધર્માંતરણની કોશિશો પર સ્પીડ બ્રેકરનું કામ કરે છે. પરંતુ આર્થિક આધારે અનામતની કોઈપણ કોશિશ ખ્રિસ્તી મિશનરીઓ અને પેટ્રોડોલરની રેલમછેલ ધરાવતી મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓના મિશન ધર્માંતરણને પ્રોત્સાહક સાબિત થશે. 


આંબેડકરના ભારતપ્રેમની અવગણના કરનારાઓથી સાવધાન


ભારતને બંધારણ સોંપતી વખતે 25 નવેમ્બર-1949ના રોજ બંધારણીય સભામાં પોતાના આખરી સંબોધનમાં ડો. આંબેડકરે ભારતીય સમાજને એક અંતર્વિરોધ ભરેલા તબક્કામાં પ્રવેશ સંદર્ભે ઈશારો કર્યો હતો. આંબેડકરે કહ્યુ હતુ કે 26 જાન્યુઆરી, 1950થી આપણે એક અંતર્વિરોધ પૂર્ણ જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. રાજનીતિમાં આપણી પાસે સમાનતા હશે, જ્યારે સામાજિક અને આર્થિક જીવનમાં આપણે અસમાનતાથી ગ્રસ્ત હોઈશું. રાજનીતિમાં આપણે એક વ્યક્તિ-એક વોટ અને એક વોટ-એક મૂલ્યના સિદ્ધાંતને માન્યતા આપી ચુક્યા હોઈશું. સામાજિક અને આર્થિક જીવન સાથે જ આપણે સામાજિક-આર્થિક માળખાનું અનુસરણ કરતા આપણે એક વ્યક્તિ-એક મૂલ્ય- વાળા સિદ્ધાંતનો નિષેધ કરી રહ્યા હોઈશું. આંબેડકરનું રાજનીતિક સપનું જાતિવ્યવસ્થાના ભેદભાવો સંપૂર્ણપણે ખતમ કરીને સમરસ સમાજની સમજ ઉભી કરવાનું હતું. પરંતુ તત્કાલિન રાજકીય-સામાજિક દબાણો વચ્ચે પછાત અને કચડાયેલી જાતિઓને તાત્કાલિક રાહત આપવા માટે આંબેડકરે અનામત વ્યવસ્થાને પોતાના મોટા રાજનીતિક સપનાને સાકાર કરવા માટેના પહેલા પગથિયા તરીકે પસંદ કર્યું હતું. 

પરંતુ ત્યાર પછીની ભારતની રાજનીતિમાં અનામતનું રાજકારણ હિંદુ એક્તાને તોડવાનું એક મોટું કાવતરું બની ચુક્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે થોટ્સ ઓન પાકિસ્તાનમાં મુસ્લિમ લીગના રાજકારણ અને પાકિસ્તાન સંદર્ભે ખૂબ બેબાક વિચારો રજૂ કર્યા છે. તેની સાથે તેમણે બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા માટે આપેલા કારણોમાં તેમનો રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ ઉજાગર થાય છે. પણ આંબેડકરના નામનો દુરુપયોગ કરીને હિંદુ એકતા માટે ખતરનાક રાજનીતિ કરનારાઓ બંધારણના ઘડવૈયાના રાષ્ટ્રવાદી ભારતપ્રેમી દ્રષ્ટિકોણને રાજકીય દુકાનો બંધ થવાની ભીતિથી સતત દબાવવાની કોશિશ કરતા રહે છે.