સોમવાર, 20 નવેમ્બર, 2017

2017ની ગુજરાતની ચૂંટણી: ભારતની રાજનીતિના હિંદુકરણના દ્રઢીકરણની પ્રક્રિયા




-          પ્રસન્ન શાસ્ત્રી

ધર્મ એક અફીણ હોવાનું હિંદુઓના અત્યંત ધર્માંવલંબનને ઉતારી પાડીને તેમની લાગણીને ઠેસ પહોંચાડવા માટે કમ્યુનિસ્ટ અને સોશલિસ્ટો દ્વારા બહુપ્રચારીત વાક્ય છે. આ વાક્ય ધર્માંધતાની હદે જનારા દેશદુનિયાના મુસ્લિમો માટે વાપરવામાં આવતું નથી. ભારતની રાજનીતિમાં સેક્યુલારિઝમનો અર્થ છે, હિંદુઓની લાગણીઓનો વિરોધ, અવગણના અને અનાદર.. ભારતની રાજનીતિમાં 60 વર્ષ જેટલો લાંબો સમય સુધી કેન્દ્રની સત્તામાં રહેનારી કોંગ્રેસે દેશમાં આવું જ સેક્યુલારિઝમ ચલાવ્યું છે. કોંગ્રેસનું આવું સેક્યુલારિઝમ ભારતની રાજનીતિમાં એક પરિપાટી બની ચુક્યું છે. આવા સેક્યુલારિઝ્મની રાજરમતના ખેલાડીઓને ગુજરાત સતત બાવીસ વર્ષથી હરાવતું આવ્યું છે. 2017ની ચૂંટણીના પરિણામમાં જીત કોની થશે તે મહત્વનું નથી, પણ આમા ફરીથી હિંદુદ્રોહીઓ નાપાસ થવાના હોવાનું નિશ્ચિત છે. 

રાજનીતિના હિંદુકરણમાં ગુજરાતની ભૂમિકા:

ભારતની આઝાદી વખતે સોમનાથ મંદિર નિર્માણનું કામ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભાઈ પટેલે સંસદમાં કાયદો પસાર કરાવીને કરાવ્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુએ સોમનાથ મંદિર નિર્માણમાં ખાસ રસ દાખવ્યો ન હતો. હવે ભારતની રાજનીતિના હિંદુકરણ માટે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જરૂરી છે. અયોધ્યા જ આઝાદ ભારતમાં રાષ્ટ્રીય રાજનીતિના હિંદુકરણનું પ્રારંભબિંદુ છે અને તેનું પૂર્ણબિંદુ પણ અયોધ્યા જ હશે.
ભારતની રાજનીતિના હિંદુકરણમાં ગુજરાતે એક રાષ્ટ્રીય ભૂમિકા નિભાવી છે. ગુજરાતે 1989-90, 2002, 2014માં ભારતના લોકોને રાષ્ટ્રીય દિશાનો નિર્દેશ કર્યો હતો. ગુજરાત જે દિશામાં ચાલ્યું તે દિશામાં દેશે મજબૂતાઈથી દોડવાનું મુનાસિબ માન્યું છે. 2017ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પણ એક આવો જ પડાવ છે. 18 ડિસેમ્બરે ગુજરાતની જનતાનો જે પણ કોઈ ચુકાદો આવશે, તેના આધારે ભારતના લોકો પોતાના ભવિષ્યને લઈને આગામી નિર્ણય કરવાના છે.

22 વર્ષથી ગુજરાત દેશની હિંદુત્વની રાજનીતિનો ગઢ રહ્યું છે. હિંદુત્વની રાજનીતિના ગઢના કાંગરા ખેરવવા માટે કોંગ્રેસ સતત કોશિશ કરતી રહી છે. પણ 2017માં કોંગ્રેસે હિંદુત્વની રાજનીતિના કાંગરા ખેરવવાના સ્થાને હિંદુત્વની રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં મંદિરે-મંદિરે ફરી રહ્યા છે. પોતાને શિવભક્ત પણ ગણાવી રહ્યા છે. આ બધું થઈ રહ્યું છે, ગુજરાતની ચૂંટણી જીતવા માટેની કવાયતના ભાગરૂપે. તો સામે પક્ષે વિકાસની વાતોની સાથે હિંદુઓની લાગણીઓની ચિંતાઓનો પડઘો પણ ભાજપના ચૂંટણી પ્રચારમાં દેખાઈ રહ્યો છે. એટલે કે કુલ મળીને દેશની રાજનીતિના હિંદુકરણના દ્રઢીકરણની પ્રક્રિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આગળ વધતી દેખાઈ રહી છે.

સાવરકરની હાકલ બનશે હકીકત:

વ્યવહારમાં હિંદુ રાષ્ટ્ર એવા ભારતની ઓળખને વિશ્વની સામે ફરીથી પ્રસ્થાપિત કરવાની એક લડાઈ હવે આખરી તબક્કા તરફ આગળ વધી રહી છે. આ લડાઈનો પહેલો પડાવ 1989-90ની રામરથ યાત્રા હતો, બીજો પડાવ 2002ની ગુજરાત ગૌરવયાત્રા હતી અને ત્રીજો પડાવ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હશે. સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે 1947 પહેલા ભારતની રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણની દૂરંદેશીથી ભરપૂર હાકલ કરી હતી. પરંતુ સમાજવાદ અને સામ્યવાદી વિચારધારાના અફીણના ઘેનમાં ચકચૂર બનેલા તત્કાલિન નેતાઓએ વીર સાવરકરની હાકલની અવગણના કરી હતી.

આઝાદી બાદ પણ સોશયાલિસ્ટ ગણાવવાની લ્હાયમાં કમ્યુનિસ્ટોની વૈચારીક કાંખઘોડીએ ચઢીને દેશની રાજનીતિમાં હિંદુઓને હાંસિયામાં ધકેલવાની સતત કોશિશ થઈ હતી. હિંદુઓની લાગણીઓને રંજાડવી અને માગણીઓને નામંજૂર કરવાનો ધંધો ચૂંટણીની રાજનીતિના કારોબારીઓ દ્વારા સતત થતો રહ્યો છે. ભારતને જાતિવાદી રાજકારણના વમળોમાં નાખનારા રાજનેતાઓએ પાકિસ્તાનના અસ્તિત્વમાં આવ્યા બાદ પણ પાકિસ્તાનવાદી વલણ ધરાવતા મુસ્લિમોને તુષ્ટિકરણની રાજનીતિમાં પ્રાસંગિકતાનો પ્રાણવાયુ પુરો પાડતા રહ્યા છે. સેક્યુલારિઝમના નામે હિંદુદ્રોહની ભારતદ્રોહી રાજનીતિ કરવી આવા રાજકારણીઓ માટે માત્ર ચૂંટણી જીતવાની રણનીતિ હતી.

પહેલો પડાવ:

ભારતમાં હિંદુઓને પોતાની સતત અવગણના અને અખંડ ભારતના તુષ્ટિકરણની રાજનીતિથી થયેલા ટુકડા સતત પીડા આપી રહ્યા હતા. 1989-90માં રામરથ યાત્રા ભારતની રાજનીતિના હિંદુકરણની દિશામાં પહેલો પડાવ હતો અને આ પહેલા પડાવની ચરમસીમા 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી ધ્વંસના સ્વરૂપમાં જોવા મળી હતી. બાબરી ધ્વંસ કોઈ ઈમારતને નષ્ટ થવાનો મામલો ન હતો. બાબરી ધ્વંસનો દિવસ દરેક ભારતીયો માટે સ્વાભિમાન દિવસ છે. બાબરના સેનાપતિ મીર બાંકી દ્વારા રામજન્મભૂમિને રંજાડવાના દુષ્કૃત્ય સામેનો સ્વાભિમાની હિંદુઓનો આક્રોશ હતો કે જેણે બાબરીને ધ્વંસ કરી હતી.

બીજો પડાવ:

ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયા સતત આગળ વધતી રહી અને 2002માં ગોધરાકાંડનો ગુનો કરનારા લોકો સામે ગુજરાતની જનતાએ રાજકારણીઓને નવી રાજકીય દિશાના નિર્દેશ કર્યા અને હિંદુ સ્વાભિમાનના ગૌરવપથ પર ગૌરવયાત્રા કાઢનારાઓને સતત જનસમર્થન આપ્યું  હતું. આ રાજનીતિના હિંદુકરણનો બીજો પડાવ હતો. 2002માં હિંદુઓના ગૌરવરથ પર સવાર થનારાઓને 2014માં દિલ્હીની ગાદીની સોંપણી પણ દેશભરના હિંદુઓએ કરી છે. ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયાના બીજા તબક્કાની આ ચરમસીમા છે.

ત્રીજા પડાવનો પ્રારંભ: ગુજરાતની પ્રેરણાથી કોંગ્રેસ હિંદુત્વના માર્ગે :

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયાના ત્રીજા તબક્કાની શરૂઆત છે. આ ત્રીજા તબક્કાની ચરમસીમા તેના પ્રારંભની તીવ્રતાના આધારે આકાર પામવાની છે. ગુજરાતની 2017ની ચૂંટણી રાજનીતિના હિંદુત્વની દિશામાં સીમાચિન્હરૂપ ઘટના છે. 2005માં અફઘાનિસ્તાનમાં તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ સાથે બાબરની મજાર પર માથું ટેકનારા રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં મંદિરે-મંદિરે દેવીદેવતાઓના દર્શન કરતા નજરે પડે છે. ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓ શિવભક્ત છે અને તેમના મંદિરે જવાથી ભાજપ ડરી રહ્યું છે.

મંદિરે-મંદિરે ફરતા રાહુલ ગાંધી:

ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ લેખ લખવાની તારીખ સુધીમાં ગત લગભગ 60 દિવસમાં ચાર વખત ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. આ ચાર મુલાકાતોમાં રાહુલ ગાંધીએ ગુજરાતના 20 જેટલા મંદિરોમાં માથું ટેકવ્યું છે.

રાહુલ ગાંધીએ 28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પાંચ મંદિરો દ્વારકાધિશ મંદિર, કાગવડમાં ખોડલધામ, વીરપુરમાં જલારામ મંદિર, ચોટિલાનું ચામુંડા મંદિર અને રાજકોટમાં દાસીજીવન મંદિર ખાતે દર્શન કર્યા હતા. પહેલી નવેમ્બરના ચૂંટણી પ્રચારના બીજા તબક્કામાં રાહુલ ગાંધીએ નડિયાદના સંતરામ મંદિર, ખેડાના રણછોડરાય મંદિર, ફાગવેલના ભાથીજી મહારાજના મંદિર, પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે પણ ગયા હતા. ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતની મુલાકાત વખથે રાહુલ ગાંધી નવેમ્બર મહિનામાં નવસારીના ઉનઈ માતાના મંદિર, ગાંધીનગરના અક્ષરધામ મંદિર, બનાસકાંઠાના અંબાજી મંદિર, મહેસાણાના બહુચરાજી મંદિર, વાલીનાથ મંદિર, પાટણના મેઘમાયા મંદિર અને વારનના ખોડિયાર મંદિર પણ ગયા હતા. કોંગ્રેસ કેડરનો દાવો છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં લગભગ તમામ મુખ્ય મંદિરોમાં જઈને દર્શન કર્યા છે અને આમાના ઘણાં એવા મંદિર છે કે જ્યાં નરેન્દ્ર મોદી 2001 બાદ કોઈપણ ચૂંટણી દરમિયાન દર્શન કરવા માટે ગયા નથી. 2012ની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર છ મંદિરમાં જ દર્શનાર્થે ગયા હતા.

2017ની ગુજરાતની ચૂંટણી એવી પહેલી ચૂંટણી છે કે જ્યાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંદિરોમાં જવાની સરખામણી થઈ રહી છે. એટલે કે જે ગુજરાતના હિંદુત્વની પ્રયોગશાળાના નામે ઓળખાવીને ગુજરાતની ચૂંટણીમાં હિંદુ આતંકવાદ અને મોત કા સોદાગર જેવા શબ્દપ્રયોગ કરનારી કોંગ્રેસને હવે નરમ હિંદુત્વના માર્ગે આવવું પડયું છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં પહેલીવાર મુસ્લિમોની ચર્ચા અને મુસ્લિમ નેતાઓની આગેવાની દેખાઈ રહી નથી. જંબુસરની જાહેરસભામાં પણ રાહુલ ગાંધીને મહંત દ્વારા આશિર્વાદ આપવાની ઘટના બની છે. કોંગ્રેસના ચૂંટણી સભાઓમાં જવલ્લે જોવા મળતી ઘટનાઓ 2017ની ગુજરાતની ચૂંટણીના અભિયાનોમાં જોવા મળી છે.
જૌહરની આગમાં દેશની આન-બાન-શાન માટે જીવન ન્યોછાવર કરી દેનારા ચિત્તોડના મહારાણી પદ્માવતી પર બનેલી ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડના મામલે ઉગ્ર આક્રોશનું દેશભરમાં વાતાવરણ છે. દર વખતે અભિવ્યક્તિની આઝાદીના નામે આવા તત્વોને છાવરનારા કોંગ્રેસના નેતાઓ દ્વારા પદ્માવતી ફિલ્મના વિરોધમાં લોકલાગણીની સાથે રહેવાની કોશિશ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે સૌથી ધ્યાન ખેંચનારી બાબત છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય મામલે થયેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓના મંથનમાં કેટલાક તારણો મીડિયામાં એન્ટની રિપોર્ટના નામે ખાસા ચર્ચાસ્પદ રહ્યા હતા. જેમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતીનો અનાદર કરતા અને લઘુમતીઓની આળપંપાળ કરતા સેક્યુલારિઝમ સંદર્ભે પાર્ટીના રાજકીય ભવિષ્યને લઈને કેટલીક ચેતવણીઓ આપવામાં આવી હતી. જેનો અમલ કદાચ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કરતા દેખાઈ રહ્યા છે.

હિંદુઓનું ભવિષ્યમાં પણ સમ્માન કરશે રાહુલ ગાંધી?:

આશા રાખીએ કે જેએનયુમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર કરનારાઓ પાસે જનારા રાહુલ ગાંધીને ભારતના વારસાનું ગૌરવ સમજાય અને તેને જાળવવાની ઈશ્વર તેમને શક્તિ આપે. ગૌહત્યા મામલે ચાલી રહેલા રાજકીય વિવાદમાં કેરળમાં યૂથ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જાહેરમાં વાછરડીનું ગળું રહેસવાની ઘટના જેવી રાક્ષસી વૃત્તિ ધરાવનારાઓથી કોંગ્રેસ મુક્ત બને. (રાહુલ ગાંધી એ જાહેરમાં ગૌકશી કરનારા યૂથ કોંગ્રેસના કાર્યકર્તાને પાર્ટીમાંથી બરતરફ પણ કર્યો છે.) તેવી જ રીતે ઈશાન ભારતના મેઘાલય જેવા રાજ્યો, ગોવા અને કેરળમાં બીફ મામલે ભાજપના કથિતપણે નરમ વલણ પર દેશભરનો હિંદુ ચિંતિત પણ છે.

ભારતના રાષ્ટ્રીયત્વની ઓળખ હિંદુઓથી છે. હિંદુ કોમવાદી શબ્દ નથી, પણ હિંદુ રાષ્ટ્રવાદી ઓળખને ઉજાગર કરતો શબ્દ છે. આવા સંજોગોમાં ભારત વિરોધી તત્વોના ખાત્મા માટે આખો દેશ રાષ્ટ્વાદના મુદ્દે એકજૂટ બને તેવું થવું જરૂરી છે. ગુજરાત હિંદુત્વના રાજકારણને કારણે ખામ થિયરીના જાતિવાદી રાજકારણમાંથી માંડ બહાર આવ્યું છે. જો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મંદિરોમાં દર્શને જઈને ઈશ્વર સામે માથું ટેકવે છે.. તો ઈશ્વર તેમને સદપ્રેરણા આપે અને ખરેખર નિતાંત વિશ્વ કલ્યાણની ભાવના ધરાવતા હિંદુઓની દેશની રાજનીતિમાં અવગણના બંધ કરવા માટે રાહુલ ગાંધીને પ્રેરીત કરે.
રાહુલ ગાંધીના પિતાશ્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ કોર્ટના નિર્દેશ બાદ અયોધ્યા ખાતે રામલલાના દર્શન માટે તત્કાલિન ઢાંચાના દરવાજા ખોલવાની હિંમત દેખાડી હતી. ભારતનો હિંદુ આશા રાખે છે કે શિવભક્ત રાહુલ ગાંધી શિવના ઈષ્ટ ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવી ભગવાન શિવ તેમને પ્રેરણા આપે. સોમનાથ મંદિર નિર્માણમાં પરનાના જવાહરલાલ નહેરુ જેવી નિરાશા રામમંદિર નિર્માણમાં દાખવવાનું રાહુલ ગાંધીએ ટાળીને પિતા રાજીવ ગાંધીને અનુસરવા જોઈએ. ભૂતકાળમાં રાહુલ ગાંધી જ કહી ચુક્યા છે કે ગાંધી-નહેરુ પરિવારના વ્યક્તિ વડાપ્રધાન હોત, તો બાબરી ધ્વંસ થવા દીધો ના હોત.. આશા છે કે ભવિષ્યમાં તેવો આવા નિવેદનો કરવાની રાજકીય ભૂલો નહીં કરે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 દૂર કરીને ભારતની એકતા અને અખંડિતતાને વધુ પ્રગાઢ બનાવવાની મુહિમ હોય કે દેશમાં ખરા અર્થમાં કાયદા સમક્ષ સૌ નાગરિકોને સમાન દરજ્જો મળે તેના માટે સમાન નાગરિક ધારાની વાત હોય કે ગૌહત્યા પ્રતિબંધ જેવી બંધારણમાં દર્શાવવામાં આવેલી ભાવના હોય તેને પુરી કરવા માટે શું રાહુલ ગાંધી દેશના હિંદુઓને સાથ આપશે?

દાદી ઈન્દિરા ગાંધીને પણ યાદ રાખજો:
રાહુલ ગાંધીના દાદી ઈન્દિરા ગાંધીની 100મી જન્મજયંતી તાજેતરમાં ગઈ છે. ઈન્દિરા ગાંધી સામેના એક હજાર વાંધા તેમના દ્વારા 1971માં પાકિસ્તાનને કારમી હાર આપીને બાંગ્લાદેશ બનાવવાને કારણે માફ છે. ખાલિસ્તાનવાદીઓના કબજા હેઠળથી સુવર્ણમંદિરને મુક્ત કરાવવા માટે ઓપરેશન બ્લૂસ્ટાર કરવાનો રાજકીય અને વ્યક્તિગત રીતે આત્મઘાતી ગણાતો નિર્ણય લેવાની હિંમત પણ ઈન્દિરા ગાંધીએ દાખવી હતી. તેના થોડા સમયગાળામાં ઈન્દિરા ગાંધીની કરપીણ હત્યા થઈ હતી. પણ આવી શક્યતાઓની આગોતરી જાણકારીઓ છતાં ઈન્દિરા ગાંધીએ જેવી રીતે રાષ્ટ્રહિતમાં ભાગલાવાદી અને આતંકવાદીઓ સામે પગલા લીધા તેવો આધ્યાત્મિક દોરી સંચાર પણ રાહુલ ગાંધીમાં થાય તેવી આશા સેવીએ..

હિંદુત્વ પ્લસ વિકાસની ફોર્મ્યુલા સ્વીકાર્ય બનશે:
તો સામે પક્ષે છેલ્લા કેટલાક સમયથી માત્ર વિકાસની વાતોનું વાજું વગાડનાર ભાજપને પણ પોતાના પાર્ટીના ખેસમાંથી લીલા રંગનો પટ્ટો કાઢીને આખો ખેસ કેસરી કરવાની જરૂર દેખાઈ છે. ગુજરાતમાં ગૌહત્યા સહીતના મુદ્દાઓ પર સરકાર દ્વારા કડક કાયદાનું એલાન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં પ્રખર હિંદુત્વવાદી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ ઉતારવામાં આવ્યા છે. વિકાસ પ્લસ હિંદુત્વની રણનીતિના આધારે ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે.

બાબરની મજાર પર જનારા મંદિરે જતા થઈ ગયા અને મંદિરે-મંદિરે દર્શને જનારા બહાદૂરશાહ ઝફરની મજાર અને સિદી સૈયદની મસ્જિદની મુલાકાતે પણ જવા લાગ્યા છે. તો મીડિયા અહેવાલોમાં ભાજપ દ્વારા કથિતપણે યુપીના મૌલવીઓને મુસ્લિમ વિસ્તારોમાં પ્રચાર માટે કથિતપણે ઉતારવામાં આવ્યાના દાવા કરાયા છે. આવી બાબતો રાજનીતિના હિંદુકરણની દિશાને વધુ વેગવંતી બનાવવાની જરૂરિયાત હોવાનો ઈશારો પણ કરી રહી છે. રાજનીતિના હિંદુકરણની દિશાને વધુ વેગવંતી બનાવવામાં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીઓ ઘણું મોટું દિશાનિર્દેશન કરનારી સાબિત થવાની છે. 18 ડિસેમ્બરે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ભારતની રાજનીતિના હિંદુકરણની દિશામાં ત્રીજા તબક્કાનું પ્રારંભબિંદુ સાબિત થવાનું છે. આશા રાખવી જોઈએ કે ભાજપ, કોંગ્રેસ અને ભારતીયતાની ઓળખ ધરાવતા તમામ પક્ષો અયોધ્યામાં રામજન્મભૂમિ માટે 2019માં સંસદમાં કાયદો બનાવવા માટે પ્રેરીત થાય તેવો ગુજરાતની જનતાનો ચુકાદો હશે.




 

સોમવાર, 16 ઑક્ટોબર, 2017

એક હિંદુની ચિંતા: હિંદુત્વના ગઢ ગુજરાતમાં માથું ઉંચકતો જ્ઞાતિવાદ!




2017માં ગુજરાતના દેખાડેલા રસ્તે ભારત ચાલશે
-   પ્રસન્ન શાસ્ત્રી

ગુજરાત ભારતમાં નવો ચિલો ચાતરનાર રાજ્ય તરીકે રાષ્ટ્રવાદી આંદોલનનું નેતૃત્વ લેતું આવ્યું છે. સામાજિક અને સાંસ્કૃતિક આંદોલનો જ નહીં, પણ રાજકીય આંદોલનોમાં પણ ગુજરાતે દેશનું નેતૃત્વ લીધું છે. ભારતની રાષ્ટ્રીય ઓળખ ભૂંસી નાખવાની કોશિશો સદીઓથી થઈ છે. વખતોવખત ભારતના રાજ્યોએ ભારત અને ભારતની રાષ્ટ્રીય ઓળખને બચાવવા માટે નેતૃત્વ લીધું છે. આઝાદી બાદ સેક્યુલરારિઝમના નામે ભારતની ઓળખ ભૂંસી નાખવાની કમ્યુનિસ્ટ-સોશયાલિસ્ટ કોશિશોને રોકવાનું કામ ગુજરાતે કર્યું છે.

ગુજરાતના લોકોની રાષ્ટ્રભક્તિ અને બલિદાનની ભાવના પર કોઈને લેશમાત્ર પર શંકા હોવી જોઈએ નહીં. ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડી ઈચ્છાશક્તિએ અંગ્રેજો અને પાન-ઈસ્લામિક તત્વોની મેલીમુરાદ સામે ભારતની અખંડિતતાની સુરક્ષા કરી છે. ગુજરાતની માટીની તાકાત છે કે વડાપ્રધાન પદની તમામ યોગ્યતા છતાં દેશ સામેના પડકારોને જોતા સરદાર સાહેબે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે રજવાડાઓને ભારતીય સંઘમાં સામેલ કરવાનું ભગીરથ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ એક બલિદાન છે અને તેને બિરદાવવું જોઈએ, કારણ કે જ્યારે દેશની એકાદ કોંગ્રેસ કમિટીને બાદ કરતા તમામ સરદાર વલ્લભભાઈ પટેલને દેશના વડાપ્રધાન જોવા ઈચ્છતા હતા અને ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધીના કહેવાથી સરદાર સાહેબે વડાપ્રધાન પદ છોડવાનો નિર્ણય માત્ર એક સેકન્ડમાં કર્યો હતો.

છેલ્લા શ્વાસ સુધી મા ભારતીની આરાધનામાં આયખું ખપાવી દેનારા શૂરવીર દેશભક્તોની યાદીમાં સાચા ગુજરાતી સરદાર પટેલની કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. રાષ્ટ્રનિષ્ઠા પદોથી ઉપર હોય છે અને સરદાર સાહેબનું વ્યક્તિત્વ આવી જ પ્રેરણા આપે છે. નર્મદા મૈયા, તાપી, સાબરમતી, મહીસાગર જેવી અનેક નદીઓના નીરથી સિંચાયેલી ધીંગી ધરા આવા દેશભક્તોને જન્મ આપે છે અને જેનાથી ભારતનું મસ્તક ગર્વથી વિશ્વની સામે ઊંચુ રહી શકે છે. રાજ્ય તરીકે પણ ગુજરાત સામુહિકપણે આવું જ કામ કરી રહ્યું છે. ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. આ કામ કોઈ એક અથવા બે દાયકાનું કામ નથી. ગુજરાત સદીઓથી સ્વાભિમાન, શૂરવીરતા અને વ્યાપારના માર્ગે ભારતનું નામ દુનિયાભરમાં રોશન કરતું રહ્યું છે.

ગુર્જર ધરાનો મહિમા વૈદિકકાળથી લઈને અલગ-અલગ રીતે વ્યક્ત થયો છે. અનેક સંઘર્ષો અને બલિદાનો થકી આજનું ગુજરાત બન્યું છે. 1960માં મહાગુજરાતની ચળવળ આવો જ એક મકામ હતો. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે સાચો ગુજરાતી સાચો રાષ્ટ્રભક્ત છે. પરંતુ ગુજરાતી ખૂબ જ પરિપકવ અને ધૈર્યશીલ પણ છે. ગુજરાતે ગુજરાત તરીકેના નિર્ણયો દેશ માટે કર્યા છે અને ખૂબ પરિપકવતા સાથે કર્યા છે. રાષ્ટ્રવાદ, હિંદુત્વ અને હિંદુ અસ્મિતા ગુજરાતના લોકજીવનનો અમીટ, અતૂટ ભાગ છે. ગુજરાતને હિંદુત્વથી કોઈ અલગ કરી શકે નહીં. મહંમદ ગઝનવીનું સોમનાથ પરનું આક્રમણ હોય, મહોમ્મદ ઘોરીની પાટણ પડાવવાની નિષ્ફળ કોશિશ હોય, અલાઉદ્દીન ખિલજીનો સામનો કરવાની વાત હોય કે એક મુસ્લિમ શરણાર્થીને બચાવવા અકબર જેવા શક્તિશાળી શહેનશાહ સામે બાથ ભીડવાની વાત હોય કે સિંધના સુલતાનની કચ્છ પરની મેલી નજરનો સામનો કરવા માટે એક લાખથી વધુ લોકોના બલિદાન આપવાની વાત હોય, ગુજરાતે આ લડાઈઓ લડવામાં ક્યારેય પાછી પાની કરી નથી.

આઝાદ ભારતના ઈતિહાસમાં નવનિર્માણ આંદોલન હોય કે કટોકટી સામેનો જંગ હોય, રામજન્મભમિ આંદોલન હોય કે પાકિસ્તાન તરફી પાંચમી કતારિયાઓની ટોળકી ગુજરાતે પોતાના તરફથી બરાબર લડાઈ લડી છે. આ લડાઈ માત્ર ગુજરાતને બચાવવા માટેની લડાઈ ન હતી. આ તો દેશની રાષ્ટ્રીય ઓળખ બચાવવાની લડાઈ હતી. સેક્યુલારિઝમના નામે ગુજરાતના હિંદુ ઓળખ પ્રત્યેના જોડાણની કથિત બુદ્ધિજીવી અને ઉધારની ઉદારતા લીધેલા કથિત ઉદારવાદીઓએ ખૂબ ટીકાઓ કરી, પણ તેમ છતાં ગુજરાત અડિખમ છે અને ગુજરાત અડિખમ જ રહેવાનું છે. હિંદુત્વ ગુજરાત અને ભારતમાં રાજકારણનો મુદ્દો નથી, સમાજજીવન અને સંસ્કૃતિનો પ્રાણ છે. સમાજ અને સંસ્કૃતિમાંથી હિંદુત્વની બાદબાકી એટલે ભારતની બાદબાકી છે.

2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતે ચિંધેલો રસ્તો આખા ભારતે 2014ની લોકસભાની ચૂંટણીમાં પકડયો હતો. હવે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ફરી એકવાર દેશને અને દેશના રાજકારણીઓને દિશાનિર્દેશ સ્વરૂપે આદેશ આપવાનું છે. 2017માં ગુજરાત જે કરશે, તેને 2019માં ભારત પણ અનુસરે તેવી પુરી શક્યતા છે. ગુજરાતના આદેશને કાને ધરવામાં આવશે, તો 2019 દેશ માટે કલ્યાણકારી વર્ષ હશે.

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી એક ટર્નિંગ પોઈન્ટ હશે. એક એવો ટર્નિંગ પોઈન્ટ કે જેમા હિંદુત્વ પોલિટિક્સના કર્ણધારોએ આત્મવિશ્લેષણ અને સિંહાવલોકનો કરવા પડશે, કારણ કે હિંદુત્વના ગઢ તરીકે જાણીતું ગુજરાત છેલ્લા અઢી વર્ષથી જ્ઞાતિવાદીયુગમાં પાછું ધકેલાઈ રહેલું દેખાઈ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન હોય કે ઓબીસી, એસસી, એસટી એકતા મંચ હોય કે ઉના કાંડ બાદ દલિત મૂવમેન્ટની વાત હોય. ગુજરાતમાં જાણે કે હિંદુત્વની ગર્જનાના સ્થાને માત્ર જ્ઞાતિવાદી ઘૂંઘવાટ ધુંધવાટમાં બદલાતો દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં જ્ઞાતિવાદી સ્તરે લોકોનું અઢી દાયકા પછી આમ વહેંચાવું હિંદુત્વની રાજકીય મૂવમેન્ટને મોટું અને હતોત્સાહિત કરનારું નુકસાન છે. જે ગુજરાતમાં અનેક બલિદાનો થકી એક મૂવમેન્ટને તેના ડેસ્ટિનેશન સુધી લઈ જવામાં કામિયાબી મળી છે, ત્યાં આ મૂવમેન્ટનો સંભવિત રકાસ પણ આના માટે જવાબદાર રાજકીય નેતૃત્વને પોતાના વલણનોની પુનર્વિચારણા કરવાનો કડક સંદેશો આપે છે.

હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દે ચૂંટાયા બાદ લોકોને મહેસૂસ થવું જોઈએ કરાવવું જોઈએ કે તેમની આકાંક્ષાઓ પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણની રાહ જોતા લોકોને આર્થિક સુધારાના નામે રંઝાડી શકાય નહીં. હિંદુઓની સાંસ્કૃતિક મહેચ્છાઓના મુદ્દે ચૂંટાયેલી સરકાર નોટબંધીને લાગુ કરી શકતી હોય અને જીએસટીને સંસદમાં પારીત કરાવીને રાષ્ટ્રહિત માટે લાગુ કરાવી શકતી હોય, તો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદીઓના ખાત્માની ઈચ્છા રાખનારાઓની કલમ-370 દૂર કરવાની માગણી અને કટ્ટરવાદી મુસ્લિમોની લઘુમતીઓના મૂળભૂત અધિકારોના નામે રાષ્ટ્રને પડકારવાની દાદાગીરીને રોકવા સમાન નાગરીક ધારો લાગુ કરવાની માગણી શું રાષ્ટ્રહિતમાં થનારી માગણીઓ નથી? પવિત્ર રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ અને સમગ્ર રાષ્ટ્રમાં ગૌહત્યા પ્રતિબંધિત કરવાની રાષ્ટ્રહિતની માગણીઓ પુરી કરવામાં કોઈ નક્કર કાર્યવાહી થતી કેમ દેખાતી નથી?

હિંદુ આકાંક્ષાઓ પૂર્ણ થવી ભારતના અચ્છે દિન છે. હિંદુ આકાંક્ષાઓને ઠેસ પહોંચવી અથવા તેને પુરી કરવામાં મોળા પડવું એટલે હિંદુત્વની રાજકીય મૂવમેન્ટને નુકસાન કરવાનું પાપ છે. કદાચ ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી દેખાઈ રહેલા જ્ઞાતિવાદી અવાજો અને તેને મળતું દેખાઈ રહેલું કથિત સમર્થન આવા જ કારણોની કડી છે. હજી સમય છે, સુધારી લેવાનો અને સુધરી જવાનો. એ ભુલવું જોઈએ નહીં કે ભારત એક લોકશાહી છે. લોકશાહીમાં લોકોનો અવાજ સુપ્રીમ છે અને તેનાથી સુપ્રીમ બીજું કંઈ જ નથી. વિકાસના દાવાઓ અને તેને પડકારતા અવાજો વચ્ચે લોકોને પોતાની આજીવિકા, મકાન, પ્રાથમિક સુવિધાઓ પણ જોઈએ છે. લોકોને રામ અને રોટી બંનેની દરકાર છે. રામનું નામ લઈને લોકોની રોટી છીનવી નહીં શકાય અને માત્ર રોટી આપીને રામને લોકોથી દૂર કરી શકાશે નહીં. રોટીની લાલચો આપીને લોકોને રામથી દૂર કરવાની કોશિશ કરનારાઓ રાજકારણમાં ખોવાવા લાગ્યા છે અને કદાચ ઓગળવાની તૈયારીમાં છે. પરંતુ રામના નામ સાથે રોટી પણ મળે તેવી વ્યવસ્થા નહીં હોય તો રોટીની વાત અને રામના નામનો દંભ કરનારા ફરીથી બેઠા થઈ જશે.

ભારતમાં રાષ્ટ્રીય ઓળખ માટેની લડાઈ સફળ થઈ છે. તેના માટે રાજકીય લડાઈમાં પણ સફળતા મળી છે. પરંતુ હજી સુધી તેની ચરમસીમા અને સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત થઈ શકી નથી. આના પહેલા હિંદુત્વના ગઢ ગુજરાતમાં જ્ઞાતિવાદી અવાજો વચ્ચે રાષ્ટ્રવાદની ચિંતા ગાયબ થતી દેખાઈ રહી છે. આવી સ્થિતિ ભારતનું રાષ્ટ્રીય નુકસાન છે. 92 વર્ષથી અવિરત ચાલતા રાષ્ટ્ર આરાધનમાં એક વિક્ષેપ છે. ભારતને રાષ્ટ્રીય નુકસાનમાંથી બચાવવા માટે ગુજરાતમાં હિંદુત્વને જાહેરજીવનમાં સાબૂત રાખવા માટે કારગર કોશિશો કરવી જરૂરી છે. હિંદુત્વવાદીઓને અસામાજિક ચિતરવાની રાષ્ટ્રવ્યાપી મુહિમને આનાથી બળ મળશે.

યાદ કરીએ સરદાર પટેલને જેમણે પોતાની વ્યક્તિગત બાબતોને બાજુએ મૂકીને રાષ્ટ્રને મહત્વ આપ્યું. ભારતના આઝાદ થયા બાદ સૌથી પહેલું કામ ગુજરાત અને ભારતની અસ્મિતાને પુનર્સ્થાપિત કરવાના ઈરાદે પવિત્ર સોમનાથ મંદિરનનું પુનર્નિમાણ કરાવ્યું અને કાયદો બનાવીને આના માટે કાર્યવાહી કરી. શું અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ સંસદમાં સોમનાથ મંદિર નિર્માણ માટે બનાવાયેલા કાયદાની તર્જ પર બનાવી શકાય નહીં?

ત્રણ હિંદુ સહોદરોને ત્રણ બાબતો યાદ કરાવવી છે --------

ભાઈ હાર્દિક પટેલ જય સરદાર સૂત્ર માત્ર બોલવા માટે જ નથી, અનુસરવા માટે પણ છે, આ વાતને યાદ રાખજો, પવિત્ર સોમનાથ મંદિરનું પુનર્નિમાણ ભારતની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભાઈ પટેલે રાષ્ટ્ર અને ગુજરાતની અસ્મિતા માટે કરાવ્યું હતું. તમે અયોધ્યામાં પવિત્ર રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે શું કરવા માંગો છો? શું રામમંદિર માટે આપના હ્રદયમાં કોઈ અનામત છે કે નહીં?

ભાઈ જિગ્નેશ મેવાણીને યાદ કરાવવાનું કે બાબાસાહેબ આંબેડકરે દલિત અધિકારોની વાત કરી હતી. પરંતુ આવી વાત તેમણે રાષ્ટ્રીય હિતના દાયરામાં કરી હતી. થોટ્સ ઓન પાકિસ્તાન અને તેમણે બૌદ્ધ મતાવલંબી થવા માટે આપેલા કારણો તેના ઉદાહરણો છે. આપ પણ બાબાસાહેબ આંબેડકરના માર્ગે દલિતો યુવાનોને રાષ્ટ્રહિતમાં ચાલવા માટે પ્રેરીત કરશો એવી આશા છે.

ભાઈ અલ્પેશ ઠાકોર, ક્ષત્રિય-ઠાકોર સમુદાયે હિંદુઓની ઓળખ અને આસ્થાઓ માટે વણલખ્યા ઘણાં બલિદાનો આપ્યા છે. ફાગવેલમાં સ્થાપિત ભાથીજી મહારાજનું મંદિર તેનો એક માત્ર પુરાવો છે. ગૌરક્ષા અને રાષ્ટ્રરક્ષા આપની રગ-રગમાં હશે તેવા વિશ્વાસ સાથે આપના સમુદાયનની વાત કરતા ભારતને નહીં ભૂલો તેવી આશા ઠગારી નહીં નિવડે તેવું માનીએ છીએ.








સોમવાર, 24 જુલાઈ, 2017

ડોકલામમાં ચીનની દાદાગીરી: ચીન સામે નાટોની તર્જ પર લશ્કરી ગઠબંધન જરૂરી


- પ્રસન્ન શાસ્ત્રી

ચીન ભારત સામે ખરાં અર્થમાં સૌથી મોટો વ્યૂહાત્મક પડકાર છે. 1962ના વિશ્વાસઘાતી યુદ્ધ બાદ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ખાતે ડ્રેગન એકંદરે શાંત રહ્યું છે. પરંતુ ચીન દ્વારા પાકિસ્તાનનો વ્યૂહાત્મક હથિયાર તરીકે સતત ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન ભારતનું વૈશ્વિક કદ અને શક્તિમાં ખાસો વધારો થયો છે. ભારતના છેલ્લા ઘણાં સમયથી રશિયાની સાથે અમેરિકા સાથેના સંબંધો પણ બેહદ ઘનિષ્ઠ સ્તરે આગળ વધી રહ્યા છે. તો યુરોપિયન યુનિયનના દેશો સાથે પણ ભારતના સંબંધોમાં ખાસી ઉષ્મા દેખાઈ રહી છે. ભારતને મળી રહેલા વૈશ્વિક મહત્વ વચ્ચે ઉત્તર કોરિયાની પરમાણુ હુમલાની ધમકીઓ અને દક્ષિણ ચીન સાગરમાં આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને નહીં માનવાની ચીનની વાતે તેનો અમેરિકા સાથેનો તણાવ વધાર્યો છે. 

અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન ડીસી ખાતે જૂન માસના આખરમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત પહેલા ચીને ભારતની સિક્કિમ સરહદે ભૂટાન-ચીનના ટ્રાઈજંક્શન ખાતે આવેલા ડોકલામ ખાતે રોડ નિર્માણની કોશિશ કરી હતી. તેનો ભૂટાનની સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને 2007ની ભારત સાથેની સંધિ પ્રમાણે ભૂટાનની સેનાએ ચીનની હરકતની ભારતીય સેનાને જાણકારી આપી હતી. ડોકલામ ખાતે ભારતીય સેનાએ ચીન દ્વારા ભૂટાન સરહદે કરવામાં આવતા સડક નિર્માણને થંભાવ્યું હતું. જેના કારણે ચીનની સેનાએ ભારતીય સેનાના બે જૂના બંકરો તોડી પાડયા હતા. અહીં ગત એક માસથી વધુ સમયથી ભારત અને ચીનના સૈનિકો આમને-સામને છે અને બીજિંગ તરફથી ભારતને સેના પાછી ખેંચવાની ધમકીઓ આપવામાં આવે છે. ભારતીય સરહદી વિસ્તારોમાં અવાર-નવાર ઘૂસણખોરી કરતા ચીનને ડોકલામમાં ભારતીય સેના દ્વારા આવો જવાબ મળવાની બિલકુલ આશા ન હતી. તેને કારણે પોતાને હવે અમેરિકાના પર્યાયરૂપ મહાસત્તા માનતું ચીન ધુંધવાયું છે. 

ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિને કારણે વોશિંગ્ટન દ્વારા આંતરરાષ્ટ્રીય બાબતોમાં 1930ના ફ્રાંસ અને બ્રિટનની જેમ હસ્તક્ષેપ ઓછો કરવાની નીતિની શરૂઆત થઈ ચુકી હોવાનું માનવામાં આવે છે. તેવા સંજોગોમાં ઉભી થનારી ખાલી જગ્યા પુરવા માટે ચીન અધીરું બન્યું છે. તેને કારણે દક્ષિણ ચીન સાગર અને પાકિસ્તાન તથા હિંદ મહાસાગરમાં તેણે પોતાની ગતિવિધિઓ વધુ આક્રમક બનાવી છે. આવા સંજોગોમાં ડોકલામ ખાતે ચીનની હરકત રોકવાની ભારતની રણનીતિક પહેલ બીજિંગના વિસ્તરવાદી મનસૂબાઓને રોકવા માટે નિર્ણાયક સાબિત થાય તેમ છે. 

ડોકલામનું ભારત અને ચીન માટે વ્યૂહાત્મક મહત્વ છે. ડોકલામ ખાતે સડક નિર્માણ કરીને ચીન ભારતના વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સિલિગુડી કોરિડોર એટલે કે ચિકનનેક સુધી પોતાની રણનીતિક પહોંચ વધારી શકે તેમ છે. ચીનની ડોકલામ ખાતેની હરકત ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. તેને કારણે ભારતે કોઈ મોટી સમસ્યાનો ભવિષ્યમાં સામનો કરવાની સ્થિતિ આવે તેના કરતા પહેલા જ ચીનને પડકારવાની વ્યૂહરચના અખત્યાર કરવામાં આવી છે. તેની સાથે 1949માં ચીનના તિબેટ પરના આક્રમણ વખતે ભારતે કરેલી ભૂલનું પુનરાવર્તન પણ ડોકલામ ખાતેની ભૂટાન સરહદે ટાળ્યું છે. 

1962ના યુદ્ધમાં ભારત સાથે વિશ્વાસઘાત કરીને જીત મેળવનારા ચીને 1963માં પાકિસ્તાન પાસેથી સંપૂર્ણ જમ્મુ-કાશ્મીરનો પાંચમો ભાગ એક કરાર હેઠળ પ્રાપ્ત કર્યો હતો. 1962માં ચીને અક્સાઈ ચીનનો 38 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો. 2010માં ચીને કાશ્મીર કાર્ડનો ભારત સામે ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરના લોકોને સ્ટેપલ વીઝા આપવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થઈને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પસાર થવાનો છે. જેની સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. તો ભારત દ્વારા ચીનની વન બેલ્ટ-વન રોડ પ્રોજેક્ટને નકારીને તેની બીજિંગ ખાતેની બેઠકનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. આને કારણે ચીનને કૂટનીતિક રીતે ભારત દ્વારા ખાસો ચચરાટ મળી ચુક્યો છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ તાજેતરમાં રાજ્યની અશાંત પરિસ્થિતિમાંચીનનો દોરીસંચાર હોવા બાબતે નિવેદન કર્યું છે. આ નિવેદન ખાસું ચિંતાજનક છે. ડોકલામ ખાતે ભારત ભૂટાન સાથેની સંધિ પ્રમાણે થિમ્પૂની મદદે દોડી ગયું છે. ચીનના સરકારી મીડિયાએ ભારતને ધમકી આપતા કહ્યુ છે કે પાકિસ્તાન ઈચ્છે તો તેઓ પણ કાશ્મીરમાં ભારત દ્વારા ડોકલામ ખાતે કરવામાં આવેલા હસ્તક્ષેપની જેમ દખલગીરી કરી શકે તેમ છે. જો કે બાદમાં ચીનના વિદેશ મંત્રાલયે કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો હોવાનું જણાવીને બીજિંગના પ્રસ્તાવને નકાર્યો છે. જમ્મુ-કાશ્મીર ખાતેની ભારત અને ચીનના કબજા હેઠળના કાશ્મીર વચ્ચેની 1597 કિલોમીટરની સરહદને સત્તાવાર રીતે ચીને સીમા વિવાદમાં ઘટાડી નાખી છે. આની પાછળનો ઉદેશ્ય ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીરના મામલે મેલી મુરાદ બર લાવવાનો છે. ચીને સીમા વિવાદમાં કરેલા કૂટનીતિક ઉમ્બાડિયા વડે જમ્મુ-કાશ્મીરમાં સાર્વભૌમતા મામલે પ્રશ્ન ઉભો કરીને દબાણ પેદા કરવાનું શરૂ કર્યું છે. ચીન-પાકિસ્તાન કોરિડોરના 46 અબજ ડોલરના પ્રોજેક્ટની ચહેલ-પહેલ વધવાની સાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ખાતે ચીનની લશ્કરી હાજરીમાં પણ વધારો થઈ રહ્યો છે. ભૂતકાળમાં પીઓકેમાં ચીનના સૈનિકોની હાજરીના અહેવાલો આવી ચુક્યા છે. જો કે ત્યારે ચીને આવા અહેવાલોને નકાર્યા હતા. પરંતુ ઈકોનોમિક કોરિડોરના નામે ચીનની વ્યૂહરચના જમ્મુ-કાશ્મીરમાં ભારતને ચીન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સીધા ઘેરવાની રણનીતિ પર આગળ વધવાની છે. 

ચીને પાકિસ્તાનને ભારત સામે પ્રોક્સિવૉર માટે પ્રોત્સાહિત પણ કર્યું છે અને પાકિસ્તાનના સામરિક હથિયાર આતંકવાદનો બીજિંગે પોતાના વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. જેને કારણે ચીન પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને યુએનની આતંકવાદીઓની યાદીમાં સામેલ કરાવવાની ભારતની કોશિશો સામે વીટોનો ઉપયોગ કરતું રહ્યું છે. તો ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારત સામે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર નહીં કરવાનો મામલો આગળ કરીને ચીન દ્વારા પાકિસ્તાનના સમર્થનમાં અડંગાબાજી પણ થઈ રહી છે. 

ચીને ઈશાન ભારતના ભાગલાવાદી તત્વો ખાસ કરીને નગા અને મિઝો ઉગ્રવાદીઓને ખાસા પ્રોત્સાહિત કર્યા છે. આસામના ઉગ્રવાદી સંગટન ઉલ્ફાનો લાંબા સમયથી ફરાર ચાલી રહેલો કમાન્ડર ઈન ચીફ પરેશ બરુઆ ચીનના યુન્નાન પ્રાંતના રુલ્લી ખાતે આશ્રય મેળવીચુક્યો છે. ઈશાન ભારતના અન્ય કેટલાક ઉગ્રવાદીઓ મ્યાંમારના યુન્નાન સાથેના સરહદી વિસ્તારાં ચીનના સમર્થનવાળી કાચિન ઈન્ડિપેન્ડન્સ આર્મીના નિયંત્રણવાળા વિસ્તારમાં છૂપાયા હોવાની પણ આશંકા છે. ઈશાન ભારતના નવ ઉગ્રવાદી જૂથોના સંયુક્ત મોરચાની રચનામાં ચીનનની ઈન્ટેલિજન્સ એજન્સીએ સક્રિય ભૂમિકા નિભાવી હોવાની વાત પણ કોઈનાથી છૂપી નથી. 2010માં તત્કાલિન કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લઈએ સ્વીકાર્યું હતું કે માઓવાદીઓ સહીતના ઉગ્રવાદી જૂથોને ચીની બનાવટના હથિયારો મળી રહ્યા છે. તેની સાથે પાકિસ્તાન અને ચીન વચ્ચેની વ્યૂહાત્મક ઘનિષ્ઠતાઓને કારણે આ બંને દેશોમાંથી કોઈ એક દેશ સાથેની લડાઈ ભારત માટે બે મોરચે યુદ્ધ લડવાનો રણનીતિક ખતરો લગભગ દોઢ દશકાથી પેદા કરી ચુકી છે. ચીનની વ્યૂહરચના તૈયારી હોય નહીં તેવા ભારતના મર્મસ્થાનોને નિશાને લેવાની છે. તેની પાછળનો ઈરાદો ભારતની વૈશ્વિક પ્રવાહોમાં વધતી ભૂમિકા પર લગામ લગાવીને બીજિંગના વ્યૂહાત્મક હિતોને આગળ વધારવાનો છે. જેને કારણે ચીન છેલ્લા ઘણાં વર્ષોથી એકપણ ગોળી છોડયા વગર ભારતને વિવિધ પ્રકારના ઘર્ષણોમાં નેપાળથી લઈને હિંદ મહાસાગર સુધી ફસાવી રહ્યું છે. 

ભારત સાથે સરહદ ધરાવતા બફર સ્ટેટ તિબેટનો ચીન દ્વારા કોળિયો કર્યાને 66 વર્ષ જેવો સમય વીત્યો છે. હાલ ચીનની નૌસેના પાસે દુનિયાની ઝડપથી વિકસતી સબમરીન ફ્લિટ છે. ચીનની સબમરીનો અવાર-નવાર હિંદ મહાસાગરમાં દેખા દેતી રહેછે. હિંદ મહાસાગરમાં ચીન પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની વ્યૂહરચનાને આગળ વધારી રહ્યુંછે. તેના પહેલા પગલા તરીકે ચીને દ્વિજબૌટી ખાતે હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પહેલો નેવલ બેસ સ્થાપિત કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ભારતની 7600 કિલોમીટર લાંબા સમુદ્ર કિનારે ભારતનું વ્યૂહાત્મક અને ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થયેલું છે. જેને કારણે હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી એક વ્યૂહાત્મક ખતરો પેદા કરી રહી છે. 

ડોકલામ ખાતેના સૈન્ય ગતિરોધ વચ્ચે ચીને કાશ્મીર-લડાખની સાથે સિક્કિમના જનમતસંગ્રહ દ્વારા ભારતમાં કરાયેલા વિલિનીકરણ સામે પણ સવાલો પેદા કરવાની કોશિશ કરી છે. 2003માં ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બીજિંગ મુલાકાત વખતે તિબેટને ચીનનો ભાગ માનવામાં આવ્યો હતો. તો ચીને સિક્કિમ પર ભારતના સાર્વભૌમત્વ પર સવાલો નહીં ઉઠાવવાની પરોક્ષ સંમતિ આપી હતી. પરંતુ ડોકલામ ખાતેના સૈન્ય ગતિરોધમાં સિક્કિમ મામલે પણ ચીન સવાલો શરૂ કરે તેવા સંકેતો મળી રહ્યા છે. આ સિવાય નફ્ફટાઈથી ચીન અરુણાચલ પ્રદેશના 90 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તાર પર પણ દાવો ઠોકતું રહ્યં છે. સિક્કિમનો મામલો ઉઠાવવો ચીનને વિશેષજ્ઞોના માનવા પ્રમાણે તેમને ભારત સાથેના સીમા વિવાદમાં સરસાઈની સ્થિતિમાં રહેવા માટે સિક્કિમનો મુદ્દો મદદરૂપ બનશે. 

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિબેટના આધ્યાત્મિક વડા દલાઈ લામાને રાજ્યાશ્રય આપ્યો હતો. દલાઈ લામા ભારતના માનવંતા મહેમાન છે. પરંતુ ચીનને આમા પેટમાં અવાર-નવાર દુખાવો ઉપડતો હોય છે. દલાઈ લામાની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે ચીને તાજેતરમાં અને ભૂતકાળમાં વાંધો ઉઠાવ્યો હતો અને ભારતને દુષ્પરિણામોની ધમકી આપી હતી. જો કે ભારત સરકારનું સાતત્યપૂર્ણ વલણ રહ્યું છે કે દલાઈ લામા ભારતના સમ્માનિત મહેમાન છે અને તેઓ ભારતમાં કોઈપણ ઠેકાણે ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવાસો કરવા માટે સ્વતંત્ર છે. ત્યારે ચીનના ઉમ્બાડિયાઓ સામે હવે ફરી એકવાર તિબેટિયનોને તેમના અધિકારો પાછા અપાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કર રણનીતિક પહેલ કરવાનો પણ સમય આવી ચુક્યો છે. 

આ સિવાય દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુકેલું ચીન ભારતને આર્થિક વોરફેરમાં પણ મ્હાત આપવા માટે ઓછી કિંમતના માલસામનનું ડમ્પિંગ કરવા સહીતના હથકંડાઓ પુરજોર રીતે અપનાવી રહ્યું છે. ચીનની હરકતો સામે ભારત દ્વારા પરંપરાગત નિવેદનોમાં સહયોગની વાતો કરવામાં આવે છે. ત્યારે સામે છેડે ચીન સ્પષ્ટ સંદેશા આપી રહ્યું છે કે એક આકાશમાં બે સૂર્ય હોઈ શકે નહીં અને પોતાના બર્બર રાષ્ટ્રવાદ દ્રારા ચીન એશિયાના એકમાત્ર સિરમોર તરીકે પ્રસ્થાપિત રહેવાની પેંતરાબાજી પણ કરી રહ્યું છે. 

ડોકલામ ખાતેના સૈન્ય ગતિરોધમાં ચીન દ્વારા ભારત સામે જ્ઞાનતંતુનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ છેડી દેવાયું છે. સંરક્ષણ અને નાણાં પ્રધાન અરુણ જેટલીએ જ્યારે ચીનની આડોડાઈ પર કહ્યુ હતુ કે 2017ના ભારતને ચીન 1962નું ભારત સમજવાની ભૂલ કરે નહીં.. તો તેના જવાબમાં ચીને પણ કહ્યું હતું કે ચીન પણ 1962ના સ્તરથી ઘણું વધુ શક્તિશાળી બની ચુક્યું છે અને ભારતને ફરીથી હરાવશે. સંસદમાં ડોકલામ ગતિરોધ પર વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ખૂબ સરસ નિવેદન આપ્યું અને બંને દેશોની સેના હટયા બાદ વાતચીતની તૈયારી દર્શાવી હતી. તેના જવાબમાં ચીન દ્વારા સુષ્મા સ્વરાજ પર ખોટું બોલવાનો આરોપ લગાવાયો છે અને બાદમાં ભારતને સેના પાછી ખેંચવાનું જણાવતા કહેવામાં આવ્યું છે કે પર્વતને હટાવવો સહેલો છે. પરંતુ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીને હટાવી શકાશે નહીં. 

1962ના યુદ્ધની ભારતની હારની વાત કરનારું ચીન 1967માં ભારતીય સેનાના જબરદસ્ત પ્રતિકારમાં પોતાના 400 સૈનિકોના માર્યા જવાની ઘટના ભૂલી જાય છે. તો 1987માં ચીનની આવી કોશિશોને ઉગતી ડામી દેવાની તત્કાલિન ભારતીય સેનાધ્યક્ષ જનરલ કે. સુંદરજીની વ્યૂહાત્મક પહેલોને પણ ચીન ભૂલી ગયું છે. ચીનનું કહેવું છે કે તેની કોઈ યુદ્ધમાં હાર થઈ નથી. પરંતુ જાપાન સામેના બે યુદ્ધોમાં ફ્રાન્સ અને બ્રિટન હોત નહીં તો પોતાની શું હાલત થાત, તેનો બીજિંગે વિચાર કરવો જોઈએ. તો વિયતનામ જેવા ટચુકડાં દેશ સામેની દાદાગીરી ચીનને ખાસી ભારે પડી ચુકી હતી અને તેને બીજિંગ યાદ કરવા માંગતું નથી. તો રશિયા સાથેના સરહદી વિવાદમાં એક લાખ વર્ગ કિલોમીટર વિસ્તારમાં ચીન દાવો કરતું હતું. પણ ચીને આમા ઘણી બધી સમજૂતી કરવી પડી હતી. તેને પણ બીજિંગે યાદ રાખવું જરૂરી છે. ડોકલામ ખાતેની ચીનની કોઈપણ લશ્કરી આક્રમકતાનો ભારતે પણ આવા અંદાજમાં જવાબ આપવો બેહદ જરૂરી છે. આવો જવાબ ચીનના સદાબહાર મિત્ર પાકિસ્તાનને પણ કાબુમાં રાખવા માટે જરૂરી છે.

ભારત કરતા ચીનની લશ્કરી શક્તિ વધુ હોવાની વાતો ઘણી ચર્ચાતી રહી છે. પરંતુ તેની સાથે ભારત કરતા ચીનની સરહદ ઘણી મોટી અને જટિલ હોવાનું ભૂલી જવાય છે. બાકી દુનિયાની લશ્કરી શક્તિમાં ચીન ત્રીજા ક્રમાંકે અને ભારત ચોથા ક્રમાંકે છે. ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સાઉથ-ઈસ્ટ એશિયન દેશોના રાષ્ટ્રાધ્યક્ષો મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના છે. આમાના મોટાભાગના દેશોને ચીન સાથેની મેરીટાઈમ સરહદે વિવાદો ચાલી રહ્યા છે. તેના દ્વારા ભારત ચીનને એક મોટો કૂટનીતિક સંદેશો આપી રહ્યું છે. પરંતુ ભારતે હવે માત્ર કૂટનીતિક સંદેશા સુધી મર્યાદીત રહેવું જોઈએ નહીં. ચીન સામે ભારતે સાઉથ-ઈસ્ટ એશિયન દેશો ખાસ કરીને મ્યાંમાર, મલેશિયા, ઈન્ડોનેશિયા, વિયતનામ, ફિલિપિન્સ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામે મળીને ચીનની વ્યૂહાત્મક દાદાગીરી રોકવા માટે નાટોની તર્જ પર એક લશ્કરી ગઠબંધન બનાવવા તરફ આગળ વધવું જોઈએ. 

રવિવાર, 21 મે, 2017

પશ્ચિમ બંગાળને બીજું કાશ્મીર બનતું અટકાવો

-    પ્રસન્ન શાસ્ત્રી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પશ્ચિમ બંગાળમાં વધી રહેલી જેહાદી પ્રવૃત્તિઓ અને ઘટી રહેલી હિંદુઓની વસ્તીને લઈને તાજેતરની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ચિંતા વ્યક્ત કરી છે. તેની સાથે કાર્યકર્તાઓને આરએસએસ તરફથી આગ્રહ કરાયો છે કે તેઓ પશ્ચિમ બંગાળની સરકારની કોમવાદી રાજનીતિ વિરુદ્ધ જાગરૂકતા પણ પેદા કરે. આરએસએસના સહસરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ પશ્ચિમ બંગાળમાં હિંદુઓની ઘટતી વસ્તીને દેશની એકતા અને અખંડિતતા માટે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. હોસબોલેએ કહ્યુ છે કે વિભાજન બાદ પૂર્વ પાકિસ્તાનથી હિંદુઓને પશ્ચિમ બંગાળમાં આશ્રય લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમ છથાં આશ્ચર્યજનક રીતે પશ્ચિમ બંગાળની વસ્તીગણતરીના 2011ના આંકડા પ્રમાણે હિંદુઓની વસ્તી 70.54 ટકા છે. જો કે 1951માં પશ્ચિમ બંગાળ ખાતે હિંદુઓની વસ્તી 78.45 ટકા હતી.

આરએસએસ તરફથી પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલી હિંદુ વિરોધી હિંસક ઘટનાઓની ટીકા કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે હિંદુઓ પર પૂર્વ નિયોજિત હુમલા થવાને કારણે ધુલાગઢમાં 13 ડિસેમ્બર-2016ના રોજ આગચંપી, લૂંટ અને મહિલાઓ સાથે છેડછાડની જેવી ભયંકર ઘટનાઓ બની હતી. એક તરફ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારી શાળાઓને કોમવાદી ગણાવીને પશ્ચિમ બંગાળની સરકાર બંધ કરાવવાની ધમકીઓ આપી રહી છે, તો બીજી તરફ સિમુલિયા મદરસા જેવી હજારો સંસ્થાઓમાં જેહાદી અને કટ્ટરપંથની તાલીમ સંદર્ભે મમતા બેનર્જીની સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે.

પશ્ચિમ બંગાળમાં હિંદુઓની દયનીય સ્થિતિ અને વોટબેંકની રાજનીતિને કારણે વધી રહેલી મુસ્લિમોની રાજકીય દાદાગીરીની ચર્ચાઓ વિદેશના પત્રકારો પણ કરી રહ્યા છે. તેને કારણે પશ્ચિમ બંગાળમાં ધાર્મિક વસ્તી અસંતુલનના ગંભીર પરિણામોની આશંકા સાથેના કેટલાક આકલનો પણ વહેતા થયા છે. જમ્મુ-કાશ્મીરમાં હિંદુની સંખ્યા 70 ટકાથી ઓછી છે. જેને કારણે કાશ્મીર ખીણમાંથી 1989માં ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને પોતાના જ દેશમાં નિરાશ્રિત થવાનો વારો આવ્યો હતો અને આજે પણ તેઓ પોતાના પૈતૃક ઘરોમાં રહેવા માટે જઈ શકયા નથી. પશ્ચિમ બંગાળમાં પણ કંઈક આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં હિંદુઓની વસ્તી 70 ટકા અને મુસ્લિમોની વસ્તી 30 ટકાની આસપાસ થઈ છે. તેને આધારે અમેરિકાની ખ્યાતનામ પત્રકાર જેનેટ લેવીએ આશંકા વ્યક્ત કરી છે કે હવે કાશ્મીર બાદ પશ્ચિમ બંગાળનો નંબર છે.

ધાર્મિક વસ્તી ગણતરીનું અસંતુલન ભારતના અસ્તિત્વ માટે કેટલું ખતરનાક છે, તેની હકીકત જેનેટ લેવીએ પોતાના લેખમાં ઉજાગર કરી છે. જેનેટ લેવીએ લખ્યું છે કે વિભાજન વખતે ભારતના હિસ્સામાં આવનારા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 12 ટકાથી થોડીક વધારે હતી. જ્યારે પાકિસ્તાનના હિસ્સામાં ગયેલા પૂર્વ બંગાળમાં હિંદુઓની વસ્તી 30 ટકા જેટલી હતી. આજે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 27 ટકા થઈ ચુકી છે. કેટલાક જિલ્લાઓમાં તો મુસ્લિમોની વસ્તી 63 ટકા સુધી થઈ ચુકી છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી 30 ટકાથી ઘટીને માત્ર 8 ટકા બાકી બચી છે. અમેરિકન થિન્કર મેગેઝીનમાં પ્રકાશિત થયેલા જેનેટ લેવીના આર્ટિકલમાં મુસ્લિમ શરણાર્થીઓ માટે દરવાજો ખોલી રહેલા પશ્ચિમી દેશોને ખતરાની ચેતવણી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં રાજનીતિનું કેન્દ્રબિંદુ 27 ટકા મુસ્લિમ વોટની આસપાસ છે. ટીએમસીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ગત બંને ચૂંટણીઓમાં મુસ્લિમ વોટરોએ સમર્થન આપ્યું છે. જેને કારણે મમતા બેનર્જીએ પોતાની સરકારની નીતિઓને પણ મુસ્લિમ તુષ્ટિકરણવાળી બનાવી છે. આ નીતિ હેઠળ સાઉદી અરેબિયાથી ફંડ મેળવતી દશ હજારથી વધુ મદરસાઓને માન્યતા આપીને ત્યાંની ડિગ્રને સરકારી નોકરીઓ માટે યોગ્ય માનવામાં આવે છે. આ સિવાય મસ્જિદોના ઈમામોને જાતભાતના વજિફા ઘોષિત કરવામાં આવ્યા છે. જેનેટ લેવીના આર્ટિકલ પ્રમાણે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એક ઈસ્લામિક શહેર વસાવવાનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. આખા બંગાળમાં મુસ્લિમ મેડિકલ, ટેક્નિકલ અને નર્સિંગ સ્કૂલો ખોલવાનું કામ થઈ રહ્યું છે. આ સિવાય માત્ર મુસ્લિમોનો ઈલાજ કરનારી હોસ્પિટલો પણ બનાવાઈ રહી છે. મુસ્લિમ યુવાનોને સાઈકલથી લઈને લેપટોપની લ્હાણી કરતી સ્કીમો ચાલી રહી છે. આમા ધ્યાન રાખવામાં આવે છે કે લેપટોપમાત્ર મુસ્લિમ યુવતીઓને નહીં પણ મુસ્લિમ યુવકોને જ મળે. દારૂણ ગરીબી સામે લડી રહેલા લાખો હિંદુ પરિવારોને બંગાળમાં આવી કોઈપણ યોજનાનો ફાયદો આપવામાં આવતો નથી.

અમેરિકન પત્રકાર જેનેટ લેવીનું કહેવું છે કે ઈસ્લામિક ધાર્મિક માન્યતાઓમાં ખુલ્લેઆમ દુનિયાભરમાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાની વાત કહેવામાં આવી છે. દરેક સ્થાને ઈસ્લામ બળજબરીથી ધર્માંતરણ અને બિનમુસ્લિમોની હત્યા દ્વારા ફેલાયેલો છે. જેનેટ મુજબ મુસ્લિમોની વસ્તીના વધારા સાથે દુનિયાભરમાં આતંકવાદ, કઠમુલ્લાપણું અને ગુનાખોરીમાં વધારો થાય છે. દુનિયાભરમાં મુસ્લિમોની વસ્તીના પ્રભુત્વ ધરાવતા સ્થાનો પર ધીમેધીમે શરિયતના કાયદાની માગણી પણ શરૂ થાય છે અને તે માગણી અલગ દેશની માગણી સુધી પહોંચે છે. અમેરિકન પત્રકાર જેનેટ લેવી આના માટે ઈસ્લામની અંદર ધરબાયેલી 1400 વર્ષ જૂની કટ્ટરવાદી અને સહઅસ્તિત્વને નકારનારી દુર્ભાવનાઓને જવાબદાર માને છે.

2007માં કોલકત્તા ખાતે બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીન વિરુદ્ધ હુલ્લડો ભડકી ઉઠયા હતા. પશ્ચિમ બંગાળમાં ઈશનિંદાનો ઈસ્લામિક કાયદો લાવવાની મુસ્લિમ સંગઠનોની માગણીની આ પહેલી કોશિશ હતી. તસલીમા નસરીને 1993માં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેમને બળજબરીથી મુસ્લિમ બનવવાના મુદ્દા પર લજ્જા નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકના પ્રકાશન બાદથી તેઓ બાંગ્લદેશ છોડીને કોલકત્તામાં આવી ગયા હતા. અહીં ચોંકાવનારી બાબત એ છે કે હિંદુઓ પર અત્યાચારની કહાની લખનારા તસલીમા નસરીનને બાંગ્લાદેશ જ નહીં, પણ ભારતના મુસ્લિમોએ પણ નફરતની જનરથી જોયા. એક તરફ લેખિકા તસલીમા નસરીનના ગળા કાપવાના ફતવા જાહેર થતા રહ્યા અને પશ્ચિમ બંગાળની ડાબેરી અથવા તો તૃણમૂલ કોંગ્રેસની સરકારો મુસ્લિમ કટ્ટરપંથીઓની હરકતો સામે આંખ આડા કાન કરતી રહી હતી. તેમને પોતાની મુસ્લિમ વોટબેંકના નારાજ થઈ જવાનો ડર હતો. 2013માં પશ્ચિમ બંગાળમાં કેટલાક કટ્ટરપંથી મૌલાનાઓએ અલગ મુગલિસ્તાનની માગણી શરૂ કરી દીધી હતી. 2013માં પશ્ચિમ બંગાળમાં ઠેકઠેકાણે હુલ્લડો થયા અને હિંદુઓના મકાનો-દુકાનો અને મંદિરો બાળી નાખવામાં આવ્યા હતા. આરોપ છે કે મમતા બેનર્જીની સરકારે હુલ્લડખોર મુસ્લિમો પર કાર્યવાહી નહીં કરવાના પોલીસને કથિતપણે ઓર્ડર આપ્યા હતા. પશ્ચિમ બંગાળમાં એક નવી વાત પણ સામે આવી છે કે દેશભરમાં હુલ્લડખોર મુસ્લિમોનો હિંદુઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવતો નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની મોટી વસ્તી ધરાવતા માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દિનાજપુર જિલ્લાઓમાં મુસ્લિમો હિંદુઓની દુકાનોમાંથી સામાન ખરીદતા નથી. અહીં મુસ્લિમો હુલ્લડો પણ કરે છે અને હિંદુઓને બહિષ્કાર પણ કરે છે. જેને કારણે આ વિસ્તારોમાંથી હિંદુઓને મોટાપ્રમાણમાં વિસ્થાપિત થઈને અન્યત્ર જવાની ફરજ પડી છે અને તેને કારણે અહીં હિંદુઓ લઘુમતીમાં આવી ચુક્યા છે.

જૂન-2014માં મમતા બેનર્જીએ અહમદ હસન ઈમરાન નામના કુખ્યાત જેહાદીને ટીએમસીમાંથી રાજ્યસભાનો સાંસદ બનાવ્યો હતો. અહમદ હસન ઈમરાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સ્ટૂડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સિમીનો સહસંસ્થાપક હતો. આ સિવાય આરોપ છે કે અહમદ હસન ઈમરાને શારદા ચિટફંડ ગોટાળાના નાણાં બાંગ્લદેશના જેહાદી સંગઠન જમાત-એ-ઈસ્લામી સુધી પહોંચાડયા છે. આની પાછળનો ઉદેશ્ય બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામીને હિંદુ વિરોધી હુલ્લડો કરવામાં નાણાંકીય મદદ કરવાનો હોવાની આશંકા છે. આ વ્યક્તિ વિરુદ્ધ એનઆઈએ અને સીબીઆઈની તપાસ ચાલી રહી છે. લોકલ ઈન્ટેલિજન્સ યુનિટના અહેવાલ પ્રમાણે ઘણાં હુલ્લડો અને આતંકવાદીઓને શરણ આપવામાં હસનનો હાથ છે. તેના પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે સંબંધો હોવાના પણ આરોપ લાગતા રહ્યા છે. મમતા દ્વારા ભવિષ્યમાં પણ ઈસ્લામિક કટ્ટરવાદીઓને સંસદમાં મોકલવામાં આવે તેવી સંભાવના છે.

વેટ ફોર માઈ બુક ઓન ઉર્દૂ શાયરીમાં મમતા બેનર્જીએ નમાજની પેશકશ બાદ ઈદની ઘોષણા કરી હતી. 2014માં અમેરિકાના રાજદ્વારી કેથલીન સ્ટીફન્સને કોલકત્તા ખાતે મળવાનો મમતા બેનર્જીએ ઈન્કાર કર્યો હતો. કારણકે કેથલીન સ્ટીફન્સે ટીપુ સુલ્તાન મસ્જિદના ઈમામ મોહમ્મદ નૂર ઉર રહમાન બરકત સામે વાંધો વ્યક્ત કર્યો હતો. પોલીસ અધિકારી નજરૂલ ઈસ્લામના એક પુસ્તક વ્હોટ મુસ્લિમ્સ શુડ ડૂમાં ઈમામોને બિનઈસ્લામિક વજિફા આપવા બદલ મમતા બેનર્જીની ટીકા કરવામાં આવી હતી. આ પુસ્તિકાની 25 હજાર નકલો વહેંચાયા બાદ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા તેને માર્કેટમાંથી હટાવી લેવડાવાઈ હતી.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારમાં બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભારત દ્વારા કરવામાં આવેલી મદદની ટીકા કરતી રેલી યોજાઈ શકે છે અને આ રેલીમાં કઠમુલ્લાઓ પાકિસ્તાન તરફથી બાંગ્લાદેશી યુદ્ધઅપરાધીઓની પ્રશંસા કરવાનું પણ ચુકતા નથી. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો દિવસેને દિવસે એકજૂટ થઈ રહ્યા છે. જ્યારે હિંદુઓ સામાજિક અને રાજકીય એમ બંને સ્તરે ખંડિત થઈ રહ્યા છે. ત્યાં સુધી કે બંગાળના તથાકથિત ભદ્રલોક અને સુશીલ સમાજના ગણાતા બંગાળીઓ પણ ઈસ્લામિક કટ્ટરવાદી શક્તિઓ સામે ઝુકતા દેખાઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારની વાત કરનારા તસલીમા નસરીનને કોલકત્તામાંથી કઠમુલ્લાઓ બહાર કાઢવાની માગણી સાથે હિંસાખોરી પર ઉતરી આવે છે. તો ગૌહત્યા પર હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ જઈને મુસ્લિમો સ્ટેટ્સમેન હાઉસની અંદર હિંસક વ્યવહાર અપનાવીને ખુલ્લુ પ્રદર્શન પણ કરી શકે છે. મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા 65 ડેસિબલ પેરામીટરના ઉપયોગનું ખુલ્લું ઉલ્લંઘન પણ તેઓ કરે છે. મુસ્લિમો કોલકત્તાના મધ્યમાં કુખ્યાત વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેન માટે પણ એક શોકસભાનું આયોજન કરી ચુક્યા છે. આવા ઘણાં ઉદાહરણો છે કે જેમાં બંગાળના કથિત સુધારાવાદી અને કમ્યુનિસ્ટો સહીતના ઉદારવાદીઓએ એક હરફ સુદ્ધાં પણ ઉચ્ચાર્યો નથી. માટે જ પશ્ચિમ બંગાળમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદમઠમાં ઉજાગર થયેલી રાષ્ટ્રવાદની ભાવનાઓને ફરીથી નવપલ્લવિત કરવી પડશે. આ પશ્ચિમ બંગાળનું અસ્તિત્વ શ્યામાપ્રસાદ મુખર્જીના અથાગ પ્રયત્નોનું પરિણામ છે. જેમણે જમ્મુ-કાશ્મીરના બે વિધાન અને બે પ્રધાનોની વ્યવસ્થાનો વિરોધ કરવા માટે બલિદાન આપ્યું હતું. તે પશ્ચિમ બંગાળમાં શ્યામાપ્રસાદ મુખર્જીની પરંપરા તેને ભારતનું બીજું કાશ્મીર બનતું અટકાવશે અને અહીં રાષ્ટ્રવાદી શક્તિઓને એકજૂટ કરીને દેશદ્રોહી વિચારો અને તત્વોનો મુકાબલો પણ કરશે.

રવિવાર, 14 મે, 2017

પાકિસ્તાન સામે યુદ્ધની લાચારી કે શાંતિની ચતુરાઈ?

ઈન્દિરા ગાંધી બાદ સત્તામાં આવેલા તમામ વડાપ્રધાનો અત્યાર સુધી મોટે ભાગે પાકિસ્તાનની આતંકવાદી હરકતો સામે આકરા નિવેદનો આપીને મોટાભાગે નાની-મોટી કાર્યવાહી કરીને ચુપચાપ રહેવાનું પસંદ કરતા રહ્યા છે. આતંકની ખૂનામરકીથી ભારતને લોહીલુહાણ કરવાની નીતિને સહન કરવું ભારતની લાચારી છે કે ચતુરાઈ?  બે ભારતીય જવાનોના સિરચ્છેદની ઘટના બાદ પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરવાનો જનાક્રોશ પણ છે. ત્યારે વધુ એક સવાલ પણ ચર્ચાવો જોઈએ કે પાકિસ્તાન પ્રેરીત સમસ્યાઓને દૂર કરવા માટે યુદ્ધ કરવું સરકારની લાચારી હશે કે ચતુરાઈ? 

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ અંકુશ રેખા નજીકના વિસ્તારોની મુલાકાત લઈને કાશ્મીરના આતંકવાદને કથિત આઝાદીની લડાઈના નામે સમર્થન આપવાની વાત કરી હતી. તેના થોડા સમયગાળામાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે બે ભારતીય જવાનોના સિરચ્છેદ કર્યા હતા. ત્યાર બાદ ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. આ તણાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સૈનિકોને જમાવડો વધારી દીધો છે. તો ભારતીય સેના દ્વારા બોફોર્સ તોપની તેનાતીના અહેવાલો પણ આવ્યા છે. તણાવ વચ્ચે સરહદે પાકિસ્તાની સેના દ્વારા સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવે છે. તેની પાછળનો ઉદેશ્ય કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાનો છે. 

પાકિસ્તાનની અમાનવીય હરકતને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વિકલ્પો પર વિશેષજ્ઞો વિચારણા કરી રહ્યા છે. જેમાં સ્પેશ્યલ ફોર્સિસ દ્વારા પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની નીતિ અપનાવવાનો પણ એક વિકલ્પ છે. આવા સંજોગોમાં આર્ટિલરીના લોન્ગરેન્જ ફાયરપાવર દ્વારા પાકિસ્તાની પોસ્ટોને સર્જિકલ સ્ટ્રાઈક વખતે ઉડાવી દેવાની પણ એક વ્યૂહરચના પર વિચારણા થઈ શકે છે. પાકિસ્તાન તરફથી પણ ભારતની સંભવિત કાર્યવાહી પર વિચારણા થઈ રહી હશે. કૂટનીતિક ઉમ્બાડિયા કરતા પાકિસ્તાનનો ઈરાદો કાશ્મીરના મામલાને આંતરરાષ્ટ્રીય ફલક પર લાવવા માટે તણાવને યુદ્ધના સ્તર સુધી લઈ જવાનો જરૂરથી હશે. આવી સ્થિતિમાં ભારતની પ્રતિક્રિયા બેહદ આકરી રહેશે. તેની પાછળનો હેતુ કાશ્મીરમાં ચાલી રહેલી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓની ખૂનામરકીને કાયમી ધોરણે બંધ કરાવવાનો રહેશે. 

2003માં એલઓસી પર યુદ્ધવિરામ જાહેર થયા બાદ સરહદે આર્ટિલરીનો ઉપયોગ સંરક્ષણ નિષ્ણાતો પ્રમાણે સરહદી તણાવને 1990થી 2003ના સમયગાળા તરફ દોરી જશે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને કારણે જમ્મુ-કાશ્મીરની સરહદોની આસપાસના વિસ્તારમાં ચીનના શ્રમિકો અને કદાચ સૈનિકોની પણ ખાસી સંખ્યા હોવાનો અંદેશો છે. યુદ્ધનું સ્તર પરમાણુ યુદ્ધ સુધી પહોંચે તેવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ અને દબાણની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આવા સંજોગોમાં પાકિસ્તાનનો આતંકવાદ સહન કરવો અને આકરી નિંદા કરતા નિવેદનો આપવા સરકારની લાચારી છે કે ચતુરાઈ?

બીજી એક સ્થિતનો પણ વિચાર કરીએ... 2003ના શસ્ત્રવિરામ બાદ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ જમ્મુ-કાશ્મીરના સીમાડા ઓળંગીને આગળ વધ્યો હતો. કદાચ શસ્ત્રવિરામ કારગીલ યુદ્ધ બાદના તણાવને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈને લાગુ કરાયો હશે. પરંતુ 2008માં મુંબઈ પર થયેલો 26-11નો હુમલો આવા આતંકી હુમલા અને વિસ્ફોટોનું સૌથી મોટું ઉદાહરણ છે. આવા હુમલા થવાની પણ શક્યતાઓ આંતરરાષ્ટ્રીય થિંક ટેન્કો દ્વારા વખતો વખત દર્શાવવામાં આવી છે. આવા સંજોગોમાં જનાક્રોશને ધ્યાનમાં રાખીને સરકાર પર પાકિસ્તાન સામે કાર્યવાહીનું પુરેપુરું દબાણ રહેશે. આવા જનાક્રોશના દબાણમાં સરકાર પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે.. તો આ સરકારની લાચારી હશે કે ચતુરાઈ? 

શરીફ-સજ્જનની મુલાકાત: બેકચેનલ ડિપ્લોમસીમાં વ્યાપારીક હિતોનો પેચ


પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે સજ્જન જિંદલની સાથેની મુલાકાતને બેકચેનલ ડિપ્લોમસી ગણાવીને ભારત સાથે તણાવ ઘટાડવાની કોશિશ ગણાવી છે. શરીફના નિવેદન બાદ ભારતના ઉદ્યોગપતિ સજ્જન જિંદલ ફરી એકવાર ચર્ચામાં છે. પાકિસ્તાન સાથે તણાવ ઘટાડવું ભારતીય વિદેશ મંત્રાલય માટે પણ આસાન નથી. ત્યારે સજ્જન જિંદલ આ કામ કેવી રીતે કરી રહ્યા છે અને મોદી-શરીફ વચ્ચે પુલ બનવાની ખૂબી તેમનામાં કેવી રીતે આવી અને તેમની પૃષ્ઠભૂમિ જાણવાની ઉત્સુકતામાં વધારો થયો છે. 

જેએસડબલ્યૂ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન સજ્જન જિંદલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ નવીન જિંદલના મોટાભાઈ છે. તેમની કંપની ભારતમાં સ્ટીલ ઉત્પાદન કરનારી બીજા ક્રમાંકની સૌથી મોટી ખાનગી કંપની છે. સજ્જન જિંદલનો માઈનિંગ, ઊર્જા, પોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ઘણો મોટો કારોબાર છે. 

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ સજ્જન જિંદલના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથેના નિકટવર્તી સંબંધોથી ભારતમાં ઘણાં લોકોને ચોક્કસ આશ્ચર્ય થશે. પરંતુ હકીકત એવી છે કે શરીફનો પરિવાર પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિ કુટુંબોમાં સામેલ છે. શરીફના પરિવારનો પણ સ્ટીલનો મોટો કારોબાર છે. પાકિસ્તાનના વડાપ્રધાનની પારિવારીક કંપનીનું નામ ઈત્તેફાક ગ્રુપ ઓફ કંપની છે. તેનો પાકિસ્તાનના પંજાબમાં મોટો કારોબાર છે. આ કંપનીની સ્થાપના નવાઝ શરીફના પિતા મુહમ્મદ શરીફે કરી હતી. હાલ શરીફની પારિવારીક કંપનીનો વહીવટ તેમના ભત્રીજાના હાથમાં છે. આ તથ્યોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે સજ્જન જિંદલના શરીફના પરિવાર સાથે વ્યાપારીક સંબંધો છે. 

સૂત્રો મુજબ સજ્જન જિંદલ અવાર-નવાર ઈસ્લામાબાદ આવન-જાવન કરે છે. તેમની ઈસ્લામાબાદની મુલાકાતનો ઉદેશ્ય અફઘાનિસ્તાનના બામિયાનથી કરાચી પોર્ટ સુધી કાચું લોખંડ લાવવા માટે યોગ્ય રીતે માર્ગ ઉપલબ્ધ થાય તેના માટેની કોશિશો કરવાનો છે. બામિયાનથી હાજીગાકના રસ્તે કાચું લોખંડ કરાચી પોર્ટ પર લાવવામાં આવે છે. આ કાચું લોખંડ પાકિસ્તાનના પોર્ટથી ભારતના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં આવેલા પોર્ટ્સ પર પહોંચે છે. 

2011માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કરાર થયો હતો. આ કરારમાં સજ્જનની જેએસડબલ્યૂ અને નવીન જિંદલની સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ પણ સામેલ હતી. આ કરાર માટે ભારતની સરકારી કંપની સેલના નેતૃત્વમાં એક કોન્સોર્ટિયમ સામેલ હતું. તેમણે મોન્નેટ ઈસ્પાત અને અફઘાન આયર્ન એફિસ્કો સાથે સમજૂતી કરી હતી. તેના પ્રમાણે.. હાજિગાક ખાતે દર વર્ષે દશ લાખ ટન ઉત્પાદન કરતી સ્ટીલ મિલ અને 1.8 અબજ ટન કાચા લોખંડનો રિઝર્વ ઉભો કરવાની સમજૂતી કરી હતી. 

પાકિસ્તાન ટુડેમાં પ્રકાશિત થયેલા ગો નવાઝ ગો શીર્ષક હેઠળના આર્ટિકલમાં લેખક આરિફ નિઝામીએ દાવો કર્યો છે કે સજ્જન જિંદલની શરીફ સાથેની મુલાકાત અંગત વ્યાપાર સંબંધિત હતી. અફઘાનિસ્તાનમાં દોઢ અબજ ડોલરનું કાચા લોખંડનું કન્સેશન ધરાવે છે. આ કાચું લોખંડ ભારત લઈ જવા માટે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ પરિવહનનો માર્ગ નથી. માટે કાબુલથી જિંદલની પાકિસ્તાન મુલાકાત ટ્રાન્સિટ રાઈટ સુરક્ષિત કરવા માટેની હતી. 

શરીફ અને સજ્જન જિંદલ વચ્ચેની ઘનિષ્ઠ મિત્રતા ડિસેમ્બર-2015માં સાર્વજનિક થઈ હતી. 25 ડિસેમ્બર-2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાબુલથી ઈસ્લામાબાદ વડાપ્રધાન નવાઝ શરીફને હેપ્પી બર્થડે કહેવા માટે પહોંચ્યા હતા. તે દિવસે શરીફના દોહિત્રીના નિકાહનો પણ પ્રસંગ હતો. આ મુલાકાત પાછળ સજ્જનની ભૂમિકા હોવાની ચર્ચાઓ હતી. મે-2014માં નરેન્દ્ર મોદીની શપથવિધિમાં નવાઝ શરીફ સામેલ થયા હતા. ત્યારે શરીફે સજ્જન જિંદલ દ્વારા આયોજિત ટી-પાર્ટીમાં પણ ભાગ લીધો હતો. 

આ સિવાય નવેમ્બર-2014માં કાઠમંડૂ ખાતેની સાર્ક સમિટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલની અસર હતી. મોદી અને શરીફે પહેલા દિવસે એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું. ત્યારે મોદી અને શરીફ વચ્ચે સાર્ક સમિટથી અલગ મુલાકાતનું માધ્યમ સજ્જન જિંદલ બન્યા હોવાના મીડિયા અહેવાલોમાં દાવા થયા હતા. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે આવા દાવાઓને નકાર્યા હતા. મહત્વપૂર્ણ છે કે પત્રકાર બરખા દત્તે પોતાના પુસ્તક ધિસ અનક્વાઈટ લેન્ડ-સ્ટોરીઝ ફ્રોમ ઈન્ડિયાઝ ફોલ્ટ લાઈનમાં બે દેશોના કૂટનીતિક સંબંધોમાં સજ્જન જિંદલની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. આમ તો ભૂતકાળથી લઈને અત્યાર સુધીમાં રાષ્ટ્રહિતના નામે થતી કૂટનીતિ કે રાજનીતિમાં વ્યાપારીક હિતોની ભૂમિકા નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ત્યારે સજ્જન-શરીફની મુલાકાતોમાં બેકચેનલ ડિપ્લોમસીના નેપથ્યમાં કારોબારી હિતોની ભૂમિકા છે કે નહીં તેનો પણ ખુલાસો થવો જરૂરી છે..

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે: પણ ઉમેદવાર કોની પસંદગીના હશે મોદીની કે મોહન ભાગવતની?

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. વાઈએસઆર કોંગ્રેસે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એનડીએને ટેકો જાહેર કર્યો છે. તેલંગાણા રાષ્ટ્રીય સમિતિએ પણ આ ચૂંટણીમાં ભાજપને ટેકો આપવાના સંકેતો આપ્યા છે. શરદ પવારે પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએની સ્થિતિ મજબૂત હોવાની ટીપ્પણી કરી છે. જેને કારણે ભાજપના ઉમેદવાર આગામી રાષ્ટ્રપતિ બને તેવી શક્યતા પ્રબળ બની છે. 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએને ટેકો આપતા વાઈએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીએ ભાજપ પાસે પોતાના ઉમેદવારને જીતડવા પુરતું સમર્થન હોવાની ટીપ્પણી કરી છે. જગમોહન રેડ્ડીએ કહ્યુ છે કે ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં અથવા તો અન્ય ઉમેદવાર ઉતારવાનો કોઈ મતલબ નથી. તેમણે એનડીએને ચૂંટણીમાં ટેકો આપવાની જાહેરાત પણ કરી છે. તો તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને ટેકો આપવાના સંકેતો કર્યા છે. 

તેવામાં વિપક્ષી એકતાની કોશિશોને શરદ પવારે પણ પોતાની ટીપ્પણીથી પંકચર કરી દીધી છે. શરદ પવારનું કહેવું છે કે ભાજપ અને તેના અન્ય સાથીપક્ષો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બેહદ મજબૂત હોવાનું લાગી રહ્યું છે. એક તરફ વિપક્ષી ઉમેદવાર માટે સંમતિ સાધવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીથી માંડીને ડાબેરી નેતા સીતારામ યેચુરી સુધીના રાજકારણીઓ કોશિશો કરી રહ્યા છે. પરંતુ તમિલનાડુના એઆઈએડીએમકે અને ઓડિશાના બીજેડીએ પોતાના પત્તા હજી ખોલ્યા નથી. 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓના સભ્યો મતદાન કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના કોલેજિયમમાં કુલ વોટ સંખ્યા 10 લાખ 93 હજાર 654ની છે. જીત માટે આના પચાસ ટકા એટલે કે પાંચ લાખ 46 હજાર 828 વોટ જોઈએ. એનડીએના સાંસદો અને ધારાસભ્યોના વોટને જોડીએ તો તેનું મૂલ્ય પાંચ લાખ 32 હજાર 592 વોટ થાય છે. એટલે કે એનડીએના ઉમેદવારને જીતવા માટે હજી 14 હજાર 236 વોટ જોઈએ. વાઈએસઆર કોંગ્રેસના સાથને કારણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએની સ્થિતિ મજબૂત થઈ છે. 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએનું પલડું ભારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની પસંદગીના ભાજપના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત છે. પરંતુ ભાજપ તરફથી ઉમેદવારની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા પર પણ સૌની નજર મંડાયેલી છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહન ભાગવતની પસંદગીના હશે, તો ચૂંટણી ગણિતમાં ગડબડ ઉભી થવાની શક્યતા છે. 

ભારતની લોકશાહીમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ઘણી મર્યાદીત છે. પરંતુ તેમ છતાં વિશેષ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ બની જાય છે. તેથી કેન્દ્રમાં સત્તામાં રહેલો કોઈપણ પક્ષ પોતાના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે. જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે મજબૂત સ્થિતિ ધરાવતા ભાજપની આગેવાનીવાળા એનડીએ દ્વારા પોતાની પસંદગીના રાષ્ટ્રપતિ બનાવવાની કોશિશો તેજ બની છે. 

એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારો સંદર્ભે કેટલીક ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. તેમાં સૌથી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું નામ ચર્ચામાં આવ્યું હતું. શિવેસના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોહન ભાગવતને રાષ્ટ્રપતિ બનાવવાની માગણી કરી હતી. પરંતુ ખુદ મોહન ભાગવતે આવી કોઈપણ વાતને રદિયો આપીને પોતાના નામની અટકલો પર વિરામ લગાવ્યું હતું. 

બીજું સૌથી મોટું નામ રામજન્મભૂમિ આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીનું છે. અડવાણી સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટની મીટિંગ વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આના સંદર્ભે વાતચીત થઈ હોવાના મીડિયા અહેવાલો હતા. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા બાબરી ધ્વંસ મામલે અડવાણી સહીતના ભાજપના 12 નેતાઓ સામે ફોજદારી કેસ ચલાવવાનો ચુકાદો આવ્યો છે. જાણકારો પ્રમાણે.. અડવાણીના રાષ્ટ્રપતિ બનવા પાછળ કોઈ કાયદાકીય અડચણો નથી. તેમ છતાં અદાલતી કારણો અને નૈતિકતાના આધારે આના સંદર્ભે અડવાણીનું નામ પાછળ ધકેલાઈ ગયું છે. માનવામાં આવે છે કે અડવાણીના નામનો વિપક્ષ તરફી વિરોધ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ તેમની 89ની જૈફવય અને 2013માં નરેન્દ્ર મોદીના ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિની અધ્યક્ષ બનવાનો ગોવા કારોબારી વખતે કરાયેલો વિરોધ અને પીએમ પદના ઉમેદવાર જાહેર થવા વખતે પણ અડવાણી દ્વારા કરાયેલો વિરોધ તેમની પસંદગીમાં નકારાત્મક બાબત ગણાય છે. 

મહિલા અને સારી છબી ધરાવતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની દોડમાં છે. પરંતુ તેમની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને કારણે તેમની દાવેદારી થોડી નબળી માનવામાં આવે છે. 

દલિત અને દક્ષિણ ભારતીય તરીકે કેન્દ્રીય પ્રધાન એમ. વેંકૈયા નાયડુ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની દોડમાં સામેલ છે. તેમના નામ પર વિપક્ષ સંમત થાય તેવી શક્યતા ઘણી ઓછી છે. કદાચ ભાજપને પણ વેંકૈયા નાયડુના નામ પર સંમતિ સધાવાની આશા નહીં હોય. 

આ તમામ પરિસ્થિતિમાં ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મૂર્મૂનું નામ સૌથી આગળ છે. દ્રૌપદી મૂર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ ચૂંટણી જીતી જાય છે.. તો તેઓ દેશના પહેલા આદિવાસી સમુદાયમાંથી આવતા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મૂર્મૂના આદિવાસી હોવાની રાષ્ટ્રીય રાજનીતિ પર પણ વ્યાપક અસર પેદા થવાની શક્યતા છે. 

ભાજપ પર હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એકાધિકાર હોવાનું માનવામાં આવે છે. પરંતુ ભાજપના ઘણાં કામકાજો અને નિર્ણયોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સલાહનો મોટો પ્રભાવ હોવાની પણ ચર્ચા રહે છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની પસંદગી વખતે પણ આરએસએસની ભૂમિકાની ચર્ચા અને તેનો હાથ ઉપર રહ્યો હોવાની અટકળો વહેતી થઈ હતી. આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની પસંદગીનો હશે કે સંઘ પ્રમુખ મોહન ભાગવતની પસંદગીના હશે તેના પર એનડીએના ઉમેદવારની જીતનો મોટો આધાર છે. આમા મોહન ભાગવતની પસંદગી ચાલશે તો ચૂંટણી ગણિતમાં ગડબડ થવાની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં.