ગુરુવાર, 25 એપ્રિલ, 2019

ક્રાઈસ્ટચર્ચ ટુ કોલંબોનો “મુસ્લિમ વિરુદ્ધ ખ્રિસ્તી”નો ટેરર ટ્રેક: શ્રીલંકામાં ઈસ્ટર પર 359ના મોત માટે ISIS જવાબદાર, ભારતમાં સાવધાની જરૂરી


ક્રાઈસ્ટચર્ચનો કોલંબોમાં બદલો!

શ્રીલંકાના ત્રણ ચર્ચો અને ચાર ફાઈવસ્ટાર હોટલોને નિશાન બનાવતા આઠ આત્મઘાતી વિસ્ફોટોમાં 359 લોકોના જીવ ગયા અને 450થી વધુ લોકો ઘાયલ થયા છે. શ્રીલંકામાં ખ્રિસ્તીઓના પર્વ ઈસ્ટરની ઉજવણી રવિવારે આતંકવાદીઓએ લોહિયાળ બનાવી તાજેતરના અને જૂના કેટલાક ટેરર એટેકની યાદ તાજી કરાવી છે. ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે મસ્જિદમાં નમાજ પઢનારા લોકો પર 15મી માર્ચે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 55 લોકોનો જીવ લેનારા ક્રાઈસ્ટચર્ચ એટેકના હુમલાખોરે તેનું ફેસબુક લાઈવ કર્યું હતું અને તેણે પોતાના હુમલામાં ખ્રિસ્તી અને મુસ્લિમો વચ્ચેના સદીઓ જૂના વૈમનસ્યને તાજેતરની કેટલીક આતંકી ઘટનાઓ સાથે સાંકળ્યા હતા.
શ્રીલંકામાં ત્રણ ચર્ચો અને ચાર ફાઈવસ્ટાર હોટલોને નિશાન બનાવીને આતંકવાદીઓએ ઈરાદા સ્પષ્ટ કર્યા હતા કે તેમનો ઉદેશ્ય શ્રીલંકાના ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવવાનો હતો અને તેની સાથે વૈભવી હોટલમાં આવનારા વિદેશી પર્યટકોને પણ મોતને ઘાટ ઉતારવાના ઈરાદાથી હુમલા કર્યા હતા. આ હુમલામાં 35થી વધુ વિદેશીઓના જીવ ગયા હતા. આખા મામલાની શ્રીલંકન પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 78થી વધુ લોકોની ધરપકડો કરવામાં આવી છે. શરૂઆતમાં શ્રીલંકાની એજન્સીઓને સ્થાનિક ક્ટ્ટરવાદી મુસ્લિમ સંગઠન નેશલન તૌહીદ જમાત એટલે કે એનટીજે પર આશંકા હતી. આ આશંકા ત્યારે મજબૂત થઈ કે જ્યારે સુરક્ષા એજન્સીઓએ આઠ વિસ્ફોટમાં નવ આત્મઘાતી હુમલાખોરોની ઓળખ કરી હતી. આ આત્મઘાતી હુમલાખોરોમાં એક મહિલા ફિદાઈન પણ સામેલ હતી. જેને કારણે શ્રીલંકાની સરકાર દ્વારા બુરખા પર પ્રતિબંધ મૂકવાને લઈને વિચારણા પણ શરૂ કરવામાં આવી છે.
શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા આતંકી વિસ્ફોટોની જવાબદારી આઈએસઆઈએસ દ્વારા લેવામાં આવી અને તેના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે આ ક્રાઈસ્ટચર્ચ એટેકનો બદલો છે. પરંતુ શું હુમલા પ્રતિહુમલામાં બે અલગ-અલગ ધર્મોના અંતિમવાદીઓ દ્વારા ક્રિયા-પ્રતિક્રિયાનો કોઈ ખેલ દુનિયાભરમાં ચાલી રહ્યો છે?
એલર્ટની અવગણના પડી ભારે
ગલ્ફ ન્યૂઝે એએફપીને ટાંકીને અહેવાલમાં જણાવ્યુ હતું કે શ્રીલંકાના પોલીસ પ્રમુખ પુજુથ જયસુંદરે 11 એપ્રિલે દેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઈનપુટ્સ મોકલ્યા હતા અને તેમા આતંકી હુમલાની શક્યતાઓ પ્રત્યે સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
ઈન્ટેલિજન્સ એલર્ટમાં એક વિદેશી ઈન્ટલિજન્સ એજન્સીના પણ ઈનપુટ્સને જોડવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે નેશનલ તૌહીત જમાત એટલે કે એનટીજે નામનું સંગઠન શ્રીલંકામાં કેટલાક મહત્વના ચર્ચોને નિશાન બનાવવાની ફિરાકમાં છે. આ સંગઠનના નિશાના પર કોલંબોમાં ભારતીય હાઈકમિશન પણ હતું. ઈનપુટ્સમાં આની જાણકારી આપવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે એનટીજેનું નામ શ્રીલંકામાં વિસ્ફોટોમાં ઉછળ્યું છે, તે એક કટ્ટરવાદી મુસ્લિમ સંગઠન છે. ગત વર્ષે પણ આ સંગઠન ત્યારે ચર્ચામાં આવ્યું હતું કે જ્યારે કેટલાક બૌદ્ધ ધર્મસ્થાનો પર હુમલા કરવામાં આવ્યા હતા. જો કે તે હુમલાની જવાબદારી હજી સુધી કોઈએ લીધી નથી.
તાજેતરના આતંકી હુમલાની યાદ થઈ તાજી
જો કે શ્રીલંકાના ઈસ્ટરના પ્રસંગે તાજેતરના શ્રેણીબદ્ધ વિસ્ફોટો થકી કરવામાં આવેલા આતંકી હુમલાને કારણે ઈજીપ્તમાં 2017માં ઈસ્ટર પહેલાના રવિવારે હુમલો કરીને 45 લોકોને મોતને ઘાટ ઉતારવાની ઘટના હોય કે પાકિસ્તાનના લાહોરનો 2016માં 75 ખ્રિસ્તીઓના જીવ લેનારો ઈસ્ટર્ન ટેરર એટેક હોય, તેની યાદ તાજી કરે છે. તો શ્રીલંકામાં છ ઠેકાણે શ્રેણીબદ્ધ રીતે થયેલા વિસ્ફોટ અને હુમલા 2008માં મુંબઈ એટેકની સાથે પણ સમાનતા ધરાવે છે અને તેમા પણ વિદેશીઓ સહીત 166 લોકોના મોત નીપજ્યા હતા. છેલ્લા કેટલાક દશકાઓમાં આતંકી હુમલામાં વધારો થયો છે. આમાના મોટાભાગના આતંકી હુમલા ઈસ્લામિક આતંકી જૂથો દ્વારા કરવામાં આવ્યા છે. તો અન્ય કેટલાક હુમલા વ્હાઈટ નેશનાલિસ્ટ્સ અને અન્ય જૂથો દ્વારા પણ થયા છે.
ગત સપ્તાહે બલૂચ સ્વતંત્રતા સંગઠનના બંદૂકધારીઓ દ્વારા પાકિસ્તાનમાં 14 સુરક્ષાકર્મીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને ઈરાની આતંકવાદી પર હત્યા કરવાનો આરોપ મૂકીને તહેરાનને કાર્યવાહી કરવા માટે વિરોધ પત્ર પણ લખ્યો છે. આ પહેલા એપ્રિલમાં ક્વેટા ખાતે હજારા સમુદાયના શિયાપંથી મુસ્લિમોને નિશાન બનાવીને કરાયેલા વિસ્ફોટમાં 45 જેટલા લોકો માર્યા ગયા હતા. આ હુમલાને પાકિસ્તાનની બહાર ખાસ મહત્વ પ્રચાર માધ્યમોમાં મળ્યું ન હતું. તો શુક્રવારે કાબુલમાં સરકારી સંસ્થાઓ પર આતંકી હુમલા થયા હતા.
આ તમામ આતંકી હુમલા સરખા નથી, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં થયેલા હુમલા સેના અને સરકારને નિશાન બનાવીને કરાયા છે. એક ક્વેટાના હુમલામાં ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવીને કરાયો હતો. પરંતુ સામ્યતા હુમલાની પદ્ધતિઓમાં હતી અને આ એક સંગઠનોનું નેટવર્ક છે કે જેઓ એકબીજા પાસેથી આતંકની રીત-રસમો શીખે છે. ખાસ કરીને તેઓ આઈએસઆઈએસ અને અન્ય તેના જેવા આતંકી સંગઠનો સાથે સંકળાયેલા છે. ખૂના-મરકીની પ્રવૃત્તિઓમાં હથોટી મેળવનારા અલકાયદા અને તેના જેવા અન્ય જૂથોના અનુભવો પરથી આઈએસઆઈએસ બન્યું છે.

પાકિસ્તાનના ટેરર નેટવર્કના કનેક્શનની તપાસ જરૂરી
શ્રીલંકાના હુમલાઓનું સ્પષ્ટ ચિત્ર ઉપસવાનું હજી બાકી છે. તેની પાછળ ખરા જવાબદાર કોણ છે, તેની તપાસ થઈ રહી છે. પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નિવેદનમાં શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાને વખોડયો છે અને તેઓ શ્રીલંકા સાથે હોવાનું પણ જણાવ્યું છે. પરંતુ આઈએસઆઈએસના દક્ષિણ એશિયા અને શ્રીલંકા સહીતના દેશોમાં ટેરર નેટવર્કના કનેક્શન પાકિસ્તાનમાં આઈએસઆઈ દ્વારા ઉભા કરવામાં આવેલા જેહાદી ટેરર નેટવર્ક સાથે હોવાની વાત પણ નકારી શકાય તેમ નથી. લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ કે અન્ય પાકિસ્તાની ટેરર ગ્રુપ પણ આઈએસઆઈએસના મોડ્યુલને લોજિસ્ટિક અને ટ્રેનિંગ જેવા સપોર્ટ આપતું હોવાની વાતની પણ વૈશ્વિક જાસૂસી એજન્સીઓએ તપાસ કરવી જરૂરી છે.
શ્રીલંકામાં ગૃહયુદ્ધના જખ્મો છે તાજા
આતંકવાદ સામે લડવાનો શ્રીલંકાનો ઈતિહાસ ઘણો લાંબો છે. પરંતુ તેની મોટાભાગની આતંક વિરુદ્ધની લડાઈ ભાગલાવાદી જૂથ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમની ભાગલાવાદી ચળવળ સાથે હતી અને તેને 2009માં શ્રીલંકાએ હાર આપી હત. એલટીટીઈ બૌદ્ધ બહુલ શ્રીલંકામાં તમિલ હિંદુ લઘુમતીમાં મૂળિયા ધરાવતું હતું. શ્રીલંકાની કુલ વસ્તીમાં ખ્રિસ્તી માત્ર આઠ ટકા અને મુસ્લિમ 12 ટકા છે.
દક્ષિણ એશિયામાં આઈએસઆઈએસનો પગપેસારો
પરંતુ 2016માં ચોંકવાનારો ખુલાસો થયો હતો કે 32 શ્રીલંકન મુસ્લિમો આઈએસઆઈએસમાં સામેલ થયા છે અને તેમણે દેશ છોડી દીધો હતો. આમાના ઘણાં શિક્ષિત કુટુંબોમાંથી હતા અને તેને કારણે શ્રીલંકાના સત્તાવાળાઓને આશ્ચર્ય પણ લાગ્યું હતું. સ્થાનિક મુસ્લિમ સમુદાયે સરકારના નિવેદનને વખોડતા તેને શ્રીલંકન મુસ્લિમની છબી ખરાબ કરનારું ગણાવ્યું હતું. આઈએસના ઓસ્ટ્રેલિયન મેમ્બરે આવું જ દર્શાવ્યું હતું કે તેના એક “આદરણીય ચાચા” શ્રીલંકામાં તેમના ઘરે પાછા ફર્યા છે. કેટલાક અન્ય અહેવાલો સંકેતો આપી રહ્ય છે કે આઈએસના ભારત ખાતેના મેમ્બર્સના શ્રીલંકામાં સંપર્કો હોવાની શક્યતા છે અને આઈએસની હાર પછી સીરિયા-ઈરાકમાંથી પાછા ફરી રહેલા આઈએસના આતંકી ચિંતાનું કારણ પણ છે. બાંગ્લાદેશમાં કટ્ટરવાદની પ્રક્રિયા સાથે આ સમાનતા ધરાવે છે. 2016માં ઢાકા એટેક આઈએસથી પ્રેરીત શિક્ષિત આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમા પણ કાફેમાં વિદેશીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ભૂતકાળમાં ઈસ્ટર એટેક્સને ઈસ્લામિક આતંકી જૂથો દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાન, ઈજીપ્ત અને 2011ના ઈરાક ખાતેના આતંકી હુમલા સામેલ છે. જો કે શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાઓના સ્વરૂપની જટિલતા અને સંયોજન 2008ના મુંબઈ એટેક જેવા વધુ લાગી રહ્યા છે. તે વર્ષે 12 કોઓર્ડિનેટેડ બોમ્બિંગ અને શૂટિંગ એટેક મુંબઈ ખાતે થયા હતા, જેમાં તાજ હોટલનું કેફે, ઓબેરોયય ટ્રિડેન્ટ હોટલ અને યહુદીનું પ્રાર્થનાઘર સામેલ હતા. 2008ના મુંબઈ હુમલાને પાકિસ્તાની આતંકી જૂથ લશ્કરે તૈયબાએ કો-ઓર્ડિનેટ કર્યો હતો. મુંબઈ હુમલામાં શ્રીલંકામાં થયેલા વિસ્ફોટોના સ્થાને બંદૂકધારીઓ દ્વારા નિર્દોષોની હત્યાઓ કરવામાં આવી હતી.
શ્રીલંકાના નેગૌમ્બોનું સેન્ટ સેબેસ્ટાઈન ચર્ચ, કોલંબોનું સેન્ટ એન્થની ચર્ચ અને બટ્ટિકાલોઆનું ઝિઓન ચર્ચને વિસ્ફોટમાં નિશાન બનાવાયા છે. જ્યારે કોલંબોની ત્રણ ફાઈવસ્ટાર હોટલો સિન્નામોન ગ્રાન્ડ, શાંગરી-લા અને કિંગ્સબરીને વિસ્ફોટથી નિશાન બનાવાઈ છે. આ ત્રણેય મુખ્ય હોટલો કોલંબોના મુખ્ય માર્ગ પર છે અને આ મુખ્ય માર્ગો શહેરના ઘણાં મુખ્ય વિસ્તારોને સાંકળે છે.
એપ્રિલમાં આપવામાં આવેલા એલર્ટમાં ચર્ચો અને શ્રીલંકા ખાતેના ઈન્ડિયન હાઈ કમિશનને નિશાન બનાવવાની કોશિશ સંદર્ભે સતર્ક રહેવા માટે શ્રીલંકાના પોલીસ પ્રમુખે નિર્દેશ આપ્યા હતા. કોલંબોમં જે હોટલોને નિશાન બનાવવામાં આવી છે, આ હોટલો હાઈકમિશનની ઓફિસની નજીક છે. સિક્યુરિટી નોટમાં એપ્રિલમાં ઈસ્લામિક જૂથ દ્વારા હુમલાના આયોજન સંદર્ભે કહેવામાં આવ્યું હતું.
પરંતુ ન્યૂઝીલેન્ડમાં થયેલા મસ્જિદો પરના બંદૂકધારીના હુમલા બાદ ધાર્મિક સ્થાનો અને પ્રાર્થનાસ્થળો પર હુમલાની શક્યતાને લઈને જાગૃતિ વધારવાની જરૂર છે. શ્રીલંકામાં શરૂઆતના અહેવાલો મુજબ મૃતકોનો આંકડો મોટો થવાના સંકેત મળી રહ્યા છે. ત્યારે સવાલ એ પણ છે કે તાજેતરના સમયમાં આવા હુમલા સામાન્ય થઈ રહ્યા છે. અત્યાધુનિક ટેક્નોલોજી અને ઈન્ટેલિજન્સ શેયરિંગ છતાં સરકારોને આવા હુમલા અટકાવવા માટે કોઈ માર્ગ મળી રહ્યો નથી.
ભારતમાં સતર્કતા જરૂરી
શ્રીલંકાના આતંકવાદી હુમલામાં સામેલ એક આત્મઘાતી હુમલાખોર ઝહરાન હાશિમ સ્થાનિક મુસ્લિમ કટ્ટરવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાતનો અગ્રણી હતો અને ભારતમાંથી ફરાર ઈસ્લામિક ધર્મોપદેશક ડૉ. ઝાકિર નાઈકનો પ્રશંસક હતો. મહત્વપૂર્ણ છે કે ઢાકા એટેકના હુમલાખોરો પણ ઝાકિર નાઈકના પ્રશંસકો હતા. આ સિવાય આત્મઘાતી હુમલાખોરમાંથી એક ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોમાં ઉચ્ચાભ્યાસ પણ કરી ચુક્યો હતો. તો આખા હુમલામાં શ્રીલંકાના એક અમીર મુસ્લિમ પરિવારની ભૂમિકા પણ ચોંકાવનારી હતી.
ભારત માટે નિસ્બતની વાત એ છે કે શ્રીલંકા ભારતથી બેહદ નજીક અને સાંસ્કૃતિક રીતે ગાઢ સંબંધ ધરાવનારો પાડોશી દેશ છે. તેની સાથે જ ઈસ્ટર પર શ્રીલંકામાં લોહી રેડનાર આત્મઘાતી હુમલાખોરોમાંથી મોટાભાગના તમિલ ભાષી શ્રીલંકન મુસ્લિમ હતા. જેને કારણે ભારતના દક્ષિણ ભારતના રાજ્યો ખાસ કરીને તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર, તેલંગાણામાં ટેરર નેટવર્કનો સળવળાટ શ્રીલંકાના આવા તત્વો સાથે અને વૈશ્વિક સ્તરે પણ જોડાયેલો હોવાની શક્યતાની એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવાની જરૂર છે. ભારતમાં પણ વર્ધા અને હૈદરાબાદ ખાતે આઈએસઆઈએસ સાથે સંકળાયેલા શકમંદોને ઝડપવા માટે દરોડાની કાર્યવાહી ઈસ્ટર પહેલા જ શરૂ થઈ હતી. તેના પહેલા પણ આઈએસની સાથે સંબંધિત મોડ્યુલનો પર્દાફાશ એનઆઈએના કેટલાક દરોડામાં પડયો હતો. જેને કારણે આઈએસઆઈએસનો અફઘાનિસ્તાન-પાકિસ્તાનથી ભારતીય ઉપખંડમાં પ્રવેશ માત્ર શ્રીલંકા માટે જ નહીં, પણ બાંગ્લાદેશ, મ્યાંમાર, ભારત, નેપાળ, ભૂટાન, ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશો માટે બેહદ વધારે છે. સીરિયા અને ઈરાકમાં નષ્ટ થઈ ચુકેલા આઈએસના આતંકીઓ ત્યાંથી પોતાના દેશોમાં પાછા ફરી રહ્યા છે અને અહીં તેઓ ઈસ્લામિક આતંકવાદની પ્રવૃત્તિઓને આગળ વધારવાની ફિરાકમાં છે. આવા લોકો ધાર્મિક વૈમનસ્યને બ્રેનવોશિંગ દ્વારા ફેલાવે છે.
આતંકવાદ સામેની લડાઈમાં દંભ ત્યાગો
પરંતુ આશ્ચર્યની વાત એ રહી છે કે ભારતમાં આતંકવાદનો ધર્મ ગણવામાં આવતો નથી. તો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટર ઈસ્ટર પર ચર્ચોમાં માર્યા ગયેલા લોકોને ખ્રિસ્તી તરીકે ઉલ્લેખિત કરવાનો ઈન્કાર કરે છે. સવાલ એ છે કે માર્યા ગયેલા શું ખ્રિસ્તી સમુદાયના ન હતા અને જો હતા અને તેમનો ધાર્મિક ઓળખ સાથેનો ઉલ્લેખ નહીં કરવામાં આવે તો શું ઈસ્લામિક આતંકવાદ ફેલાવનારા આઈએસઆઈએસ દ્વારા તેમને છોડી દેવામાં આવશે? જો આમ થવાનું નથી તો માનવતા અને સેક્યુલારિઝમના દંભને કારણે આઈએસઆઈએસના આતંકીઓને ફાલવા-ફૂલવા માટે જે સમુદાયમાંથી જમીન મળે છે, તેમના તરફ સંભવિત પીડિતોને જાગૃત કરવા અને તેમ કરીને આવા સમુદાયોમાં આવી જમીન પુરી પાડનારા કે તેની સામે આંખ આડા કાન કરનારાઓ પર દબાણ વધારવામાં આવે તો તેમા હકીકતમાં નુકસાન શું છે?

રવિવાર, 17 માર્ચ, 2019

કોંગ્રેસમુક્ત ભારતના નામે ભાજપનું કોંગ્રેસીકરણ પાર્ટી વિથ ડિફરન્સ સામે સૌથી મોટો ખતરો



-     પ્રસન્ન શાસ્ત્રી


 


રાજકીય ચિંતક રજની કોઠારીએ સ્વતંત્રતા બાદની ભારતીય રાજકીય વ્યવસ્થાને કોંગ્રેસ સિસ્ટમનું નામ આપ્યું હતું. એટલે કે બહુપક્ષીય રાજકીય વ્યવસ્થા બાદ પણ કેન્દ્ર અને રાજ્યોમાં કોંગ્રેસનો સિક્કો ચાલવો અથવા કોંગ્રેસની રાજકીય પરંપરાઓ તેની માનસિકતા સાથે જ ચાલવી. આજે કોંગ્રેસનો સિક્કો ઘણાં અંશે અમુક રાજ્યોને બાદ કરતા રાજકીય ચલણની બહાર છે. પરંતુ કોંગ્રેસ સિસ્ટમની સૌથી મોટી અસર ભારતના રાજકીય માહોલમાં ઘર કરી ગયેલી એ જ જૂની રાજકીય માનસિકતાઓ અને પરંપરાઓ છે. આનું સૌથી મોટું ઉદાહરણ પાર્ટી વિથ ધ ડિફરન્સ ગણાવાતી ભારતીય જનતા પાર્ટી પર જોવા મળી રહ્યું છે. 2014માં કોંગ્રેસમુક્ત ભારત બનાવવાની વાત ભાજપ દ્વારા પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનોમાં કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસમુક્ત ભારતનો અર્થ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની પોષક બની ચુકેલી કોંગ્રેસ સિસ્ટમને હટાવવાનો હતો. આતંકવાદ અને કોમવાદી બની ચુકેલા સેક્યુલારિઝમની માનસિકતાને દૂર કરીને ભારતની રાષ્ટ્રવાદથી પ્રેરીત હિંદુત્વ આધારીત માનસકિતાને અસરકારક બનાવવાનો હતો.


પરંતુ શું આવું માત્ર કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ઉછીના લેવા માત્રથી શક્ય બની જશે? સોનિયા ગાંધીના નિકટવર્તી રહેલા કોંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની કેરળ ખાતેની રેલી વખતે જ ભાજપમાં સામેલ થયા હતા. ટોમ વડક્કનને કોંગ્રેસના પ્રવક્તા તરીકે ભૂતકાળમાં એક ટ્વિટ કર્યું હતું કે એક વખત તમે ભાજપમાં સામેલ થઈ જાવ છો, તો તમારા તમામ આરોપો સાફ થઈ જાય છે. આ ટ્વિટના એક માસ બાદ ટોમ વડક્કનના ભાજપમાં સામેલ થવાને કારણે તેમના જૂના ટ્વિટને રિટ્વિટ કરીને તેમની ઉપર આકરા કટાક્ષ કરવામાં આવે છે. બાલાકોટ એરસ્ટ્રાઈક પર કોંગ્રેસના વલણથી નારાજ થઈને વડક્કને દેશપ્રેમ સાથે સમજૂતી નહીં કરવાની વાત કરીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું હોવાનું જણાવ્યું છે. પરંતુ શું તેઓ રામમંદિર, કલમ-370 અને સમાન નાગરીક ધારા જેવા દેશપ્રેમના વિષયો પર પણ ભાજપ સાથે હવે સંમત હોવાનું માની લેવું કે આવા વિષયો પર તેઓ ફરીથી કોંગ્રેસમાં જાય ત્યાં સુધી રાહ જોવી?


તો બિહાર કોંગ્રેસના પ્રવક્તા રહેલા વિનોદ શર્મા પણ ભાજપમાં સામેલ થયા અને તેમણે કારણ આપ્યું હતું કે પુલવામા એટેક બાદ થયેલી એરસ્ટ્રાઈક પર કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવાને કારણે કોંગ્રેસી કાર્યકર્તાઓને પાકિસ્તાનના એજન્ટ ગણવામાં આવે છે અને તેથી તેમણે ભારે મનથી કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાનું પસંદ કર્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા રામકૃષ્ણ વિખે પાટિલના પુત્ર સુજય વિખે પાટિલ પણ ભાજપમાં જોડાયા છે. આ સિવાય ગુજરાતમાં ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે.


આ સિવાય બીજા કેટલાક ઉદાહરણો પર નજર કરીએ, તો ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર કે જેમના ઉપર મીટૂ અભિયાન હેઠળ કેટલીક મહિલા પત્રકારો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તેઓ ભૂતકાળમાં પત્રકાર તરીકેના પોતાના કાર્યકાળમાં અને કોંગ્રેસની સાથે રહેવા દરમિયાન ભાજપ-આરએસએસ-વીએચપીના રાષ્ટ્રવાદને કોમવાદનું નામ આપીને ગંભીર આરોપો સાથેની નિવેદનબાજી અને પુસ્તક લખી ચુક્યા છે. 2002માં ગુજરાતની ઘટનાઓ મામલે રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ આવી ટીકાત્મક વાતો એમ. જે. અકબર કરી ચુક્યા છે. તેઓ પણ 2014ની લોકસભાની ચૂંટણીના ટાણે જ ભાજપમાં જોડાયા છે. શું આટલું મોટું હ્રદયપરિવર્તન તેમના ભાજપીકરણને કારણે થયું કે સત્તાધારી પાર્ટીમાં પ્રભાવ ભોગવવાની કોઈ લલક તેમને ભાજપમાં દોરી ગઈ હશે? જો કે 2019ની લોકસભાની ચૂંટણીમાં હ્રદયપરિવર્તનોના પવન વચ્ચે છેલ્લી માહિતી સુધી તો તેઓ ભાજપમાં જ છે.


પક્ષપલટુ તરીકે પંકાયેલા જગદમ્બિકાપાલ 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલા ભાજપ-આરએસએસ-વીએચપી અને ખુદ નરેન્દ્ર મોદી માટે અનાપ-સનાપ બોલતા ટેલિવિઝન ડિબેટોમાં ખાસા દેખાતા હતા. તેઓ રમઝાન વખતે મુસ્લિમ પહેરવેશમાં ખભા પર રૂમાલ અને માથે નમાજ ટોપી પહેરીને આવેલા પણ યાદ આવતા હશે. પરંતુ 2014ની લોકસભાની ચૂંટણીમાં જગદમ્બિકાપાલ ભાજપમાં જોડાયા અને લોકસભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. જો કે તેમની વિચારધારાત્મક દ્રઢતા અને પ્રતિબદ્ધતા ભાજપના મૂળ વિચાર સાથે કેટલી રહેશે તેના પર શંકાઓ તો રહેવાની જ છે.


મણિપુરમાં બીરેન સિંહ કોંગ્રેસ બાદ ભાજપના ટેકાથી મુખ્યપ્રધાન બન્યા હતા. ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી વખતે સતપાલ મહારાજ, તેમના પત્ની અમૃતા રાવત, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય બહુગુણા, ભૂતપૂર્વ સ્પીકર યશપાલ, ભૂતપૂર્વ પ્રધાન હરકસિંહ રાવત, સુબોધ ઉનિયાલ, પણવ સિંહ, કેદારસિંહ રાવત, પ્રદીપ બત્રા, રેખા આર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા. ઉત્તરાખંડની ભાજપની સરકારના પ્રધાન મંડળમાં સતપાલ મહારાજ, યશપાલ આર્ય, હરકસિંહ રાવત, સુબોધ ઉનિયાલ અને રેખા આર્યને સ્થાન પણ આપવામાં આવ્યા હતા.


ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસમાં લાંબો સમય રહેનારા યુપી અને ઉત્તરાખંડ રાજ્યોના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણદત્ત તિવારી, રીટા બહુગુણા જોશી, અમરપાલ ત્યાગી, ધીરેન્દ્રસિંહ, રવિકિશન સહીતના નેતાઓ વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપના ઉમેદવાર બનીને જીત્યા હતા. તેમાના રીટા બહુગુણા જોશી યોગી આદિત્યનાથની સરકારના કેબિનેટમાં પ્રધાન પણ છે.


ગોવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિજય પાઈ ખોટ, પ્રવીણ જ્યાંતે અને પાંડુરંગ મદકાઈકર ભાજપમાં સામેલ થયા હતા. તેમને તમામને ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. જેને કારણે ગોવામાં ભાજપમાં આંતરીક વિરોધની સ્થિતિ પણ પેદા થઈ હતી. પરંતુ કોંગ્રેસમુક્ત ભારત બનાવવાના ચક્કરમાં આવા વિરોધની પણ અવગણના કરવામાં આવી હતી.


અરુણાચલ પ્રદેશમાં 2014ની વિધાનસભાની ચૂંટણીમાં 60માંથી 42 ધારાસભ્યો કોંગ્રેસના હતા. અહીં પણ રાજકીય આંટાપાટા વચ્ચે ભાજપે 47 ધારાસભ્યો સાથે સરકાર બનાવી હતી. પેમા ખાંડુ પહેલા પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલમાં સામેલ થયા અને બાદમાં ભાજપમાં સામેલ થયા હતા. તેમના પિતા દોરજી ખાંડૂ કોંગ્રેસની સરકારમાં મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. પેમા ખાંડુ ભાજપમાં જોડાયા બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા.


આસામમાં પણ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના હેમંત વિશ્વ શર્મા, પલ્લબ લોચન દાસ, જયંત મલ્લ બરુઆ, પિયૂષ હજારિકા, રાજન બોરઠાકુર, અબુ તાહિર બેપારી, બિનાદા સૈકિયા, બોલિન ચેતિયા, પ્રદાન બરુઆ અને કૃપાનાથ મલ્લ જેવા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આસામમાં ભાજપની જીત પાછળ પંદર વર્ષ કોંગ્રેસમાં રહેનારા હેમંત વિશ્વશર્માની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. તેમને ભાજપે ઉત્તર-પૂર્વમાં પાર્ટીને જોરશોરથી આગળ વધારવાનું કામ સોંપ્યું છે. હેમંત વિશ્વશર્મા અને પલ્લબ લોચન દાસ આસામની સર્બાનંદ સોનોવાલની સરકારમાં પ્રધાનો પણ છે.


2014ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ, તો ત્યારે ચૌધરી બિરેન્દ્રસિંહ, રાવ ઈન્દ્રજીતસિંહ, જગદમ્બિકાપાલ, ડી. પુરંદેશ્વરી, કૃષ્ણા તીરથ સહીત ઘણાં કોંગ્રેસી નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા અને ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. તેમના કેટલાક પ્રધાનો પણ બન્યા હતા. ભાજપના 2014માં જીતનારા 282 સાંસદોમાંથી 50 જેટલા સાંસદો કોંગ્રેસી મૂળના હોવાની પણ એક મોટી ચર્ચા ચૂંટણી પરિણામો વખતે ચાલી હતી.


ગુજરાતને તો હિંદુત્વના ગઢ કે હિંદુત્વની પ્રયોગશાળા તરીકે ભારતના રાજકારણમાં ઓળખવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં 22 વર્ષથી સત્તામાં રહેનારા ભાજપને અહીં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 2014ની લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતવા છતાં 100 બેઠકો પણ મળી ન હતી. સત્તા જરૂરથી ટકી પણ 100થી નીચે બેઠકો જીતીને મેળવેલી સત્તા આટલી મજબૂત પાર્ટી માટે ગુજરાતમાં હાર જેવી જ જીત ગણવી પડે તેવી સ્થિતિ હતી. ગુજરાતમાં 2007થી અત્યાર સુધીમાં 35 જેટલા ટોચના કોંગ્રેસી નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો ભાજપમાં આવી ચુક્યા છે. તેમાના 17ની પાસે ભાજપમાં પદ છે અને આમાના કેટલાક એવા છે કે જેમને ભાજપમાં સામેલ થતાની સાથે જ ગુજરાત સરકારમાં પ્રધાન પદે બેસાડવામાં આવ્યા છે.


2007માં એક ધારાસભ્ય, 2012માં 11 ધારાસભ્યો-ત્રણ સાંસદ અને એક ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ, 2018માં 14 ધારાસભ્યો અને એક સાંસદ, તથા 2019માં ચાર ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. આમા એક ધારાસભ્ય પર કથિતપણે 35 કરોડની લાંચ લેવાનો પણ આરોપ છે.


કોંગ્રેસી મૂળના ગુજરાત ભાજપના આવા કેટલાક નેતાઓના નામ પર નજર કરીએ, તો તેમા નીમાબહેન આચાર્ય, વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા, છબીલ પટેલ, લાલસિંહ વડોદરિયા, જશાભાઈ બારડ, રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રભુ વસાવા, પરેશ વસાવા, કુંવરજી હળપતિ, દેવજી ફતેપુરા, અનિલ પટેલ, નરહરિ અમીન, દલસુખ પ્રજાપતિ, ઉદેસિંહ બારિયા, નટવરસિંહ પરમાર, રાઘવજી પટેલ, જયેદ્રસિંહ પરમાર, જીવાભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પી. આઈ. પટેલ, ડૉ. તેજશ્રી પટેલ, શંકર વારલી, કરમશી પટેલ, અમિત ચૌધરી, બલવંતસિંહ રાજપૂત, છનાભાઈ ચૌધરી, રામસિંહ પરમાર, માનસિંહ ચૌહાણ, સી. કે. રાઉલજી, ભોલાભાઈ ગોહિલ, કુંવરજી બાવળિયા, આશાબહેન પટેલ, જવાહર ચાવડા અને પરસોત્તમ છાબરિયાનો સામાવેશ થાય છે.


આવા કેટલાક ભાજપમાં કોંગ્રેસમાંથી આયાત થયેલા નેતાઓના નામ પણ ઘણાં રસપ્રદ છે. જેમાં નજમા હેપતુલ્લા, કર્નલ સોનારામ જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને તેમને જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહની ટિકિટ કાપીને ઉમેદવાર બનાવાયા હતા. હવે રાજસ્થાનમાં ભાજપની સત્તા પણ નથી અને માનવેન્દ્રસિંહ પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ જોડાઈ ચુક્યા છે.


ભાજપમાં જોડાયેલા ભૂતપૂર્વ વિદેશ પ્રધાન એસ. એમ. કૃષ્ણા અને તમિલનાડુના લલિતા કુમારમંગલમ રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેમના ભાઈ પી. આ. કુમારમંગલમ કેન્દ્રની પી. વી. નરસિમ્હારાવની સરકારમાં પ્રધાન હતા અને તેમના પિતા કમ્યુનિસ્ટ હતા. ડી. પુરન્દેશ્વરી મનમોહનસિંહની સરકારમાં પ્રધાન હતા અને તેઓ એન. ટી. રામારાવના પુત્રી છે.


આમ તો આ આર્ટિકલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા નેતાઓની જ ચર્ચા કરવામાં આવી છે. પરંતુ બે નામની વિશેષ ચર્ચા તેઓ બિનકોંગ્રેસી હોવા છતાં કરવી પડે તેમ છે. કારણ કે આવા નેતાઓની માનસિકતા નહીં બદલાય તો તેમના જેવા નેતાઓ મળીને ભાજપની પાર્ટી વિથ ડિફરન્સની રહી-સહી આબરૂ પણ મિટાવી દેશે. આવા બે નામમાં પહેલું નામ સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા નરેશ અગ્રવાલનું છે.


રામમંદિર નિર્માણનો ભાજપે વાયદો કર્યો છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રામલહેર પર સવાર થઈને ભાજપ ચાર વખત દિલ્હીની ગાદી પર આવ્યું છે. પરંતુ નરેશ અગ્રવાલે સંસદમાં સમાજવાદી પાર્ટીના સાંસદ તરીકે ભગવાન રામ માટે એલફેલ શબ્દપ્રયોગ કર્યા હતા. તેઓ ભાજપમાં રહીને લોકોને આપવામાં આવેલા રામમંદિર નિર્માણના વાયદાને કેવી રીતે પુરો કરશે તેના ઉપર ભાજપના ઘણાં ટેકેદારો અને પાર્ટી માટે સહાનુભૂતિ ધરાવનારાઓને શંકા છે. ભ્રષ્ટાચાર હટાવવાની ભાજપની જૂની વાત છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં સારદા ચિટફંડ ગોટાળામાં જેમનું નામ ઉછળ્યું હતું, તેવા ટીએમસીના ભૂતપૂર્વ નેતા મુકુલ રોય હવે ભાજપમાં છે.


પક્ષપલટુંઓ ભારતીય રાજનીતિને વરવા સ્તરે લઈ જનારા પરિબળોમાંથી એક છે. રાજકીય પક્ષો આજે સત્તા મેળવવાની ટોળકી બનીને રહી ગયા હોય તેવો ભાસ પણ આવા વિચારધારાત્મક ગઠબંધન કે માનસ પરિવર્તન વગરના પક્ષપલટાથી થયા વગર રહેતો નથી.


કોંગ્રેસના નેતાઓના ભાજપમાં સામેલ થઈને સીધી ચૂંટણી લડવાની ટિકિટ કે પ્રધાન પદુ ધરી દેવાની વાતની સાથે ભાજપની કેડર આધારીત અને સંઘના વિચારોને આગળ વધારનારી પાર્ટી તરીકેની છાપ પણ ભૂંસાવા લાગી છે. તેના સિવાય ભાજપ સદસ્યતાઓના મામલામાં દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે. તો કોંગ્રેસમુક્ત ભારતની વાત કરનાર ભાજપને કોંગ્રેસના ઉછીને નેતાઓની જરૂર કેમ પડે છે તેવો સવાલ પણ ઉઠવા લાગ્યો છે.


કોંગ્રેસના ઉછીના નેતાઓની આયાતની સૌથી ખરાબ અસર ભાજપના કાર્યકર્તાઓના નૈતિકબળ પર જાણે-અજાણે પડી રહી છે. ભાજપના કર્મઠ કાર્યકર્તાઓ આવા ઉછીના નેતાઓની આયાતથી ઠગાયાની અનુભૂતિ પણ કરે છે. કારણ કે લાંબા સમય સુધી પાર્ટીમાં મહેનત કરનારા આવા કાર્યકર્તાઓના સ્થાને આયાતી નેતા ચૂંટણી જીતી જાય છે, મુખ્યપ્રધાન કે કેન્દ્રીય પ્રધાન કે રાજ્યની સરકારમાં પ્રધાન પદ મેળવી લેતો હોય છે.


કોંગ્રેસમુક્ત ભારત એટલે માત્ર કોંગ્રેસની સરકારોથી મુક્ત ભારત એવો અર્થ કરવામાં આવે છે કે હકીકતમાં કોંગ્રેસની સિસ્ટમ મુક્ત ભારત બનાવવાની કોશિશ થઈ રહી છે. કોંગ્રેસની સરકારોને હટાવવાથી તો ભાજપ આવા રાજ્યોમાં સરકાર બનાવવામાં કામિયાબ રહ્યું છે. પરંતુ કોંગ્રેસમુક્ત સિસ્ટમ માટે જરૂરી સંગઠન ઉભું કરવામાં ભાજપ આવી રીતે ખાસ કોઈ સફળતા મેળવી શક્યું નથી. 


આવા કોંગ્રેસમાંથી આયાતી નેતાઓની ભરમાર જોતા એક બાબત પણ નિશ્ચિતપણે દેખાઈ રહી છે કે ભાજપ કોંગ્રેસમુક્ત ભારત બનાવવા માટે હાલ પણ સક્ષમ નથી. કારણ કે આયાતી કોંગ્રેસીઓની ભરમાર દર્શાવે છે કે ભાજપ તેના દાવા જેટલી મજબૂત રાજકીય પાર્ટી નથી. પરંતુ ભાજપ સત્તામાં થોડીક નબળી દેખાવા લાગશે અથવા જનતામાં પ્રતિસાદ ઓછો મળવાની સંભાવના હશે, તો તેવી સ્થિતિમાં કોંગ્રેસમાંથી આયાત થયેલા નેતાઓના ફરીથી હ્રદયપરિવર્તન થઈને પાછા તેમની મૂળ પાર્ટીમાં નહીં જાય તેવી કોઈ ખાતરી નથી. 


આવા હ્રદયપરિવર્તન જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 દૂર કરવી, રામમંદિર નિર્માણ, સમાન નાગરીક ધારો લાગુ કરવો, સંપૂર્ણ ગૌહત્યા પ્રતિબંધ અને આતંકવાદ-કટ્ટરવાદના સફાયા માટે દ્રઢતાપૂર્વક કાર્યવાહી જેવા મુદ્દાઓ વખતે નહીં થાય તેની કોઈ ખાતરી નથી. તો પછી કોંગ્રેસની સિસ્ટમથી મુક્તિ મેળવવાના નામે કોંગ્રેસ જેવા જ ક્રિયાકલાપો અપનાવીને કોંગ્રેસની સિસ્ટમને આઝાદ ભારતમાં મજબૂત કરવાનું કામ ભારતને કોંગ્રેસમુક્ત બનાવવાના નામે શા માટે થઈ રહ્યું છે?


ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી દ્વારા જમ્મુ-કાશ્મીરમાં એક વિધાન, એક પ્રધાનની માગણી સાથેનું બલિદાન, પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું આર્થિક અને રાજકીય ચિંતન અને દ્વિતિય સરસંઘચાલક શ્રીગુરુજીના વિચારોનું માર્ગદર્શન ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ બનાવે છે. આવા વિચારો અને બલિદાનોને ભૂલીને નેતાઓની આયાતથી પાર્ટી વિથ ડિફરન્સને ભૂંસવાનો ખતરો પેદા કરી ચુકી છે. કોંગ્રેસમુક્ત ભારત માનસિકતા, વિચાર અને રીતરસમોના ધરમૂળથી પરિવર્તનથી શક્ય બનશે, કોંગ્રેસી નેતાઓની આયાતથી નહીં.

રવિવાર, 23 ડિસેમ્બર, 2018

હિંદુત્વવાદી રાજનીતિ ભાજપની ગુલામ નથી


હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોની હારના સંકેત

હિંદુત્વવાદી રાજનીતિ ભાજપની ગુલામ નથી

-     પ્રસન્ન શાસ્ત્રી

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની હાર ભાજપ માટે રાજકીય દ્રષ્ટિએ બેહદ અસામાન્ય બાબત છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનું પંદર વર્ષથી શાસન હતું અને રાજસ્થાનમાં 2013ની વિધાનસભામાં ભાજપે ભારે બહુમતીથી જીત મેળવી હતી અને 2014ની લોકસભામાં ભાજપને રાજસ્થાનમાં 25માંથી 25 બેઠકો પ્રાપ્ત થઈ હતી. છત્તીસગઢ અને મધ્યપ્રદેશને ભૂતકાળમાં ગુજરાતની જેમ ભાજપશાસિત મોડલ સ્ટેટ તરીકે 2012 પહેલા પ્રચારીત કરાયા હતા.  જો કે લગન હોય તેના ગાણા ગવાયના અંદાજમાં 2012થી 2014 દરમિયાન ભાજપશાસિત મોડલ સ્ટેટ તરીકે પાર્ટીના તત્કાલિન વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર ધરાવતા ગુજરાતને જ પ્રચારીત કરવામાં આવ્યું હતું. 
2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદી બેલ્ટના મહત્વના આ ત્રણેય રાજ્યોની કુલ 65 લોકસભા બેઠકોમાંથી ભાજપને 62 પર જીત મળી હતી. રાજસ્થાનમાં 25માંથી 25, મધ્યપ્રદેશમાં 29માંથી 27 અને છત્તીસગઢમાં 11માંથી 10 બેઠકો ભાજપને મળી હતી. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં ઉત્તરપ્રદેશની 80માંથી 73 બેઠકો પર એનડીએની જીત બાદ સૌથી મોટું બીજું યોગદાન હિંદી બેલ્ટના આ ત્રણેય રાજ્યોનું રહ્યું હતું.
આ ત્રણેય રાજ્યોમાં અંદાજે 90 ટકા કે તેથી વધારે પ્રમાણ હિંદુઓનું છે. મધ્યપ્રદેશમાં 6.5 ટકા, છત્તીસગઢમાં બે ટકા અને રાજસ્થાનમાં નવ ટકા જેટલા મુસ્લિમો વસવાટ કરે છે. આંગળીના વેઢે ગણાય તેટલી બેઠકો પર મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક છે. આ ત્રણેય રાજ્યોમાં આરએસએસ-વીએચપી દ્વારા રામમંદિર નિર્માણ માટે આંદોલન છેડવાની કોશિશો થઈ હતી. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતથી માંડીને યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સુધીના નેતાઓએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નિવદેનો આપ્યા હતા. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી વખતે જ અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગી આદિત્યનાથના કોંગ્રેસને અલી જોઈએ અને ભાજપને બજરંગબલી જેવા નિવેદનો વચ્ચે બજરંગબલીને દલિત ગણાવતું નિવેદન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પહેલા જ રાજસ્થાન અને અવિભાજીત મધ્યપ્રદેશ હિંદુત્વની પ્રયોગશાળા તરીકે કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓ પ્રચારીત કરતા રહ્યા છે. અન્ય રાજ્યો અને કેન્દ્રીય સ્તર પહેલા આ રાજ્યોમાં ટેકસ્ટ બુક બદલાઈ ચુકી છે. આ રાજ્યોના આદિવાસી ક્ષેત્રોમાં વનવાસી કલ્યાણ આશ્રમ ખાસું સક્રિય છે. પરંતુ આ ત્રણેય હિંદી બેલ્ટના મહત્વપૂર્ણ રાજ્યોના પરિણામો હિંદુત્વને ડેકોરેટિવ પોલિટિક્સનો ભાગ બનાવીને માત્ર રૂપકો તરીકે ઉપયોગ કરનારા રાજકારણીઓ માટે એક લાલબત્તી સમાન છે. કુલ મળીને ભારતની રાજનીતિના હિંદુકરણને એક મોટો ધક્કો છે અને તેથી જ તેના ગંભીર રાજકીય અર્થો પણ છે. રામજન્મભૂમિ આંદોલનના પ્રારંભે આ રાજ્યોમાં ભાજપને જનતા દ્વારા સત્તા સોંપવાની શરૂઆત થઈ ચુકી હતી. એક રીતે હિંદી બેલ્ટના ત્રણેય રાજ્યો હિંદુત્વની રાજનીતિના ગઢ પણ ગણાતા હતા. તેમ છતાં 2014ની લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદના નામે ભાજપને સમર્થન આપનારા ત્રણેય મહત્વપૂર્ણ રાજ્યોમાં ભાજપની હાર હિંદુત્વવાદીઓના અંતરમનમાં નિરાશાનો પણ સંકેત આપે છે. દેવાલય પહેલા શૌચાલયની વાત કરવા છતાં પણ 2014માં હિંદુ મતદાતાઓએ ભાજપને હિંદુ અંતરમનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વોટ આપ્યા હતા. પરંતુ હિંદુ અંતરમનની આકાંક્ષાઓની સતત અવગણના થઈ હોવાની એક લાગણી પણ આકાર લઈ ચુકી છે અને કદાચ એટલા માટે જ ભાજપ પર હિંદુ વોટરનો ભરોસો ડગમગવા લાગ્યો હોવાના સંકેત હિંદી બેલ્ટના ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામોએ સંકેત આપ્યા છે.
માત્ર હિંદુ પ્રતીકોને આગળ કરીને થતી રાજનીતિમાં હિંદુ અંતરમનની આકાંક્ષાઓની કોઈ પૂર્તિ થતી દેશના 78 ટકા જેટલા હિંદુઓએ છેલ્લા સાડા ચાર વર્ષમાં જોઈ નથી. પાકિસ્તાનના મસૂદ અઝહર જેવા આતંકવાદીઓ રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ સામે ધમકીઓ આપતી ઓડિયો ટેપ જાહેર કરી રહ્યા છે. ત્યારે ભારતની છેલ્લા ત્રીસ વર્ષની સૌથી શક્તિશાળી સરકાર અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે કોઈપણ રાજકીય સક્રિયતા દાખવવાની દરકાર ધરાવતી નહીં હોવાની રાજકીય ઢબે જ હજી સુધી વર્તી રહી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલાવા મામલે નિવેદનબાજીઓમાં કોંગ્રેસના નેતા અને એડવોકેટ કપિલ સિબ્બલને જવાબદાર ઠેરવીને સરકાર પોતાની જવાબદારીમાંથી કદાચ છટકી જવાની કોશિશ કરી રહી છે. ભાજપ અને સંઘ પરિવાર પાસે કપિલ સિબ્બલને જવાબ આપી શકે તેવા વકીલો છે. તો પછી આવી બાલિશ દલીલોનો શો અર્થ છે?
તેની સાથે જ હિંદુઓ વ્યવસાયની દ્રષ્ટિએ ખેડૂત, સરકારી કર્મચારી, શ્રમિક, સ્ટૂડન્ટ, દુકાનદાર અને મિડલ ક્લાસ તથા ગરીબ પણ હોય છે. હિંદુ ધર્મની સાથે જ જ્ઞાતિના આધારે તેઓ એસસી, એસટી, ઓબીસી અને આદિવાસી તથા જનરલ કેટેગરીમાં આવતા લોકો પણ હોય છે. રામજન્મભૂમિ આંદોલન, કાશ્મીરની કલમ-370 અને સમાન નાગરિક ધારાએ અલગ-અલગ રાજકીય દ્રષ્ટિકોણોમાં સામન્જસ્યતા સ્થાપિત કરીને હિંદુ વોટબેંકને એકીકૃત સ્વરૂપ આપ્યું હતું. તેના કારણે જ ભાજપ આ રાજ્યોમાં સત્તામાં આવતું રહ્યું છે. પરંતુ હિંદુ અંતરમનની આકાંક્ષાઓની અવગણનાએ ઉભી કરેલી નિરાશા હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં પ્રતિબિંબિત થઈ રહી છે
.
હિંદુઓએ અંતરમનની આકાંક્ષાઓ હકીકત બનશે તેવી આશા સાથે ઘણી વખત વોટિંગ કર્યું છે. 2014માં પણ જ્યારે ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામનું એલાન કર્યું, ત્યારે રામજન્મભૂમિ આંદોલનની પૃષ્ઠભૂમિમાં ગુજરાતે 2002માં અનુભવેલી ઘટનાઓને કારણે 2014માં હિંદુ આકાંક્ષાનો માહોલ બન્યો હતો. પરંતુ મિડલ ક્લાસને અચ્છે દિનની અનુભૂતિ થઈ શકી નહીં. તેની સામે પહેલા નોટબંધી અને નાના દુકાનદારોને જીએસટીની આંટીઘૂંટીએ ખૂબ હેરાન કર્યા. તો પેટ્રોલ-ડીઝલના ભાવવધારાએ પણ જનાક્રોશમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. ખેડૂતોની સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ નહીં આપી શકવાની સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા દેવામાફીના વાયદાઓ પણ ત્રણેય રાજ્યોમાં ખાસી અસર પેદા કરી ગયા હતા.
ત્રણેય રાજ્યોની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના વળતા પાણી જોવા મળ્યા છે. જેમાં 2013ની વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ રાજસ્થાનમાં ભાજપને 80 ટકા બેઠકો મળી હતી અને 2018માં અહીં ભાજપની બેઠકો માત્ર 31 ટકા થઈ છે. મધ્યપ્રદેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિધાનસભા બેઠકો 67 ટકામાંથી ઘટીને 42 ટકા પર પહોંચી છે. જ્યારે છત્તીસગઢના ગ્રામ્ય વિસ્તારોમાં 52 ટકાથી ઘટીને ભાજપની બેઠકો 17 ટકા પર પહોંચી છે. હિંદી બેલ્ટમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય મિજાજના બદલવાના સંકેત તરીકે આ ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામને જોવાઈ રહ્યા છે. તેમા ખેડૂતોની સમસ્યાઓ અને મિડલ ક્લાસની મુશ્કેલીઓની મોટી ભૂમિકા છે. તેની સામે એસસી-એસટી એક્ટના મામલા સાથે સંબંધિત ઘટનાઓ અને જાતિવાદી રાજકારણની પણ મોટી ભૂમિકા છે.
આ સિવાય છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા પણ પોતાની છબીના કાયાકલ્પની કોશિશ થઈ રહી છે. કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ તરફ જઈ રહી હોવાનું લાગી રહ્યું છે. ગુજરાત, કર્ણાટક, કૈલાસ-માનસરોવરથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢના મંદિરોમાં રાહુલ ગાંધીની ટેમ્પલ રનનો પણ પીએમ મોદીના કોંગ્રેસમુક્ત ભારતના અભિયાનને મોટો આંચકો લાગવાનું મહત્વનું કારણ છે. શિવસેના હોય કે ફારુક અબ્દુલ્લા હોય, ચંદ્રાબાબુ નાયડુ હોય કે એમ. કે. સ્ટાલિન હવે રાહુલ ગાંધી પપ્પૂ નહીં હોવાનું કહેવા લાગ્યા છે. તેની સાથે જ પીએમ મોદીની મસ્જિદોની મુલાકાત અને બહાદૂરશાહ ઝફરની મજાર પર જવા જેવી બાબતોની પણ ઘણી ઘેરી અસર હિંદુ અંતરમન પર પેદા થઈ ચુકી છે. જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ભાજપની ગઠબંધન સરકાર બની હોવા છતાં આતંકવાદ અને સરહદે પાકિસ્તાનનો બેફામ ગોળીબાર તેમા શહીદ થતા જવાનોના મૃતદેહો જોઈને દેશ ઉકળી ઉઠયો હતો. આખરે ભાજપને મહબૂબા મુફ્તિની મહોબ્બતને અલવિદા કહીને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવું પડયું છે. માત્ર 10થી 15 ટકા મતદાન સાથે શ્રીનગર બેઠક પરથી ફારુક અબ્દુલ્લા લોકસભાના સાંસદ બન્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ છથી સાત તબક્કામાં કરાવવી પડી છે. પાકિસ્તાન યુએન સુધી કાશ્મીર મુદ્દે ઉમ્બાડિયા કરી રહ્યું છે.
આ ત્રણ રાજ્યો પહેલા જ તેની હારના સંકેત ભાજપને ઉત્તરપ્રદેશ અને બિહારની તમામ પેટાચૂંટણીમાં હાર તરીકે મળી ચુક્યા હતા. યુપીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ગોરખપુર અને નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યની ફૂલપુર લોકસભા બેઠક પરની ભાજપની હાર હિંદુ અંતરમનની આકાંક્ષાઓની અવગણના હોવા બાબતે ભાજપ હાઈકમાન્ડ દ્વારા કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહીં. ભાજપ કેરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં પણ હારી ગયું હતું. કેરાનાથી હિંદુઓના હિજરતના દાવાઓ ખુદ ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમ છતાં કેરાના બેઠક પર ભાજપની હાર થઈ હતી. આ ત્રણેય બેઠકો હિંદુ બહુલ બેઠકો છે. કેરાનામાં મુસ્લિમ વોટર્સની સંખ્યા વધારે છે. પણ એટલી પણ નથી કે હિંદુ વોટરની એકજૂટતા સામે ટક્કર લઈ શકે.
હિંદુ અંતરમનને એક સવાલ વિહવળ બનાવી રહ્યો છે કે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં પ્રચંડ બહુમતી હોવા છતાં ભાજપની સરકારો રામમંદિર નિર્માણ માટે કેમ કોઈ નક્કર રૂપરેખા માટે સક્રિય દેખાઈ રહી નથી? આરએસએસ દ્વારા રામમંદિર નિર્માણ માટે કાયદાની માગણી કરવામાં આવી છે. તો આરએસએસના નેતા એમ પણ કહી રહ્યા છે કે રામમંદિર નિર્માણની માગણી કરીને તેઓ કોઈ ભીખ માંગી રહ્યા નથી. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પર દબાણ વધારતા આખરે કહી જ દીધું છે કે જો આ વાત તેમના હાથમાં હોત, તો રામમંદિર નિર્માણનું કામ 24 કલાકમાં શરૂ થઈ જાત. માનવામાં આવે છે કે આ નિવિદન યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને કદાચ નિશાન બનાવીને આપ્યું છે. તેવામાં ભાજપ જો રામમંદિર નિર્માણ મામલે કોઈ નક્કર પગલું નહીં ભરે, તો તેવી સ્થિતિમાં હિંદુત્વવાદી સંગઠનોના કાર્યકર્તાઓ અને તેમના ટેકેદારોમાં મોટી નિરાશા ચૂંટણી પરિણામોમાં ચુકવવાનો વારો આવે તેવી ભીતિ પણ ભાજપ-સંઘ પરિવારના એક વર્ગમાં મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે. હિંદુત્વવાદી રાજનીતિ પર મોનોપોલી અને હિંદુઓને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણવાની માનસિકતા બંને પ્રકારના રાજનેતાઓ માટે આ એક લાલબત્તી છે.
લોકસભા ચૂંટણી બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પૂર્વોત્તરના રાજ્યોને બાદ કરતા બાકીના તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા વોટની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે. હરિયાણામાં 2014માં 34.7 ટકા અને પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 33.2 ટકા, મહારાષ્ટ્રમાં 2014માં 27.3 ટકા અને વિધાનસભા ચૂંટણીમાં 27.8 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 2014માં 34.4 ટકા અને વિધાનસભા ચૂંટણીમાં 23 ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે ઝારખંડમાં 2014માં ભાજપને 40.10 ટકા અને વિધાનસભામાં 31.3 ટકા, દિલ્હીમાં 2014માં 40.10 ટકા અને 2015ની વિધાનસભાની ચૂંટણીમાં 31.3 ટકા વોટ ભાજપને મળ્યા હતા. તો બિહારમાં 2014માં 29.4 ટકા અને 2015ની વિધાનસભામાં 24.4 ટકા, આસામમાં 2014માં 36.5 ટકા અને 2015ની વિધાનસભામાં 29.5 ટકા, પશ્ચિમ બંગાળમાં 2014માં 18 ટકા અને 2016ની વિધાનસભામાં 10.2 ટકા, ગોવામાં 2014માં 53.40 ટકા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં 32.5 ટકા વોટ મળ્યા હતા. મણિપુરમાં 2014માં ભાજપને 11.9 ટકા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં વધારા સાથે 36.3 ટકા વોટ મળ્યા હતા. જો કે પંજાબમાં 2014માં 8.7 ટકા અને 2017ની વિધાનસભામાં 5.4 ટકા, યુપીમાં 2014માં 42.3 ટકા અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 39.7 ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપને 2014માં 55.3 ટકા અને 2017ની વિધાનસભામાં 46.5 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. ગુજરાતમાં 2014માં 60.11 ટકા અને 2017ની વિધાનસભામાં 48.8 ટકા વોટ, હિમાચલપ્રદેશમાં 2014માં 53.31ટકા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં 48.8 ટકા વોટ ભાજપને મળ્યા હતા. મેઘાયલમાં 2014માં 8.9 ટકા અ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં નજીવા વધારા સાથે 9.6 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ત્રિપુરામાં 2014માં માત્ર 5.7 ટકા અને 2018ની વિધાનસભામાં ધરખમ વધારા સાથે 43 ટકા વોટ મેળવી ભાજપને મોટી જીત મળી હતી. તો નાગાલેન્ડમાં 2014માં ભાજપને બિલકુલ પસંદ કરવામાં આવ્યું ન હતું અને 2018માં ભાજપને 15.4 ટકા વોટ નાગાલેન્ડમાંથી મળ્યા હતા. જ્યારે કર્ણાટકમાં 2014માં 43 ટકા અને 2018ની વિધાનસભાની ચૂંટણીમાં 36.35 ટકા વોટ મળ્યા હતા. તો છત્તીસગઢમાં 2014માં 48.7 ટકા અને 2018ની વિધાનસભા ચૂંઠણીમાં 33 ટકા, મધ્યપ્રદેશમાં 2014માં 54 ટકા અને 2018ની વિધાનસભાની ચૂંટણીમાં 40.9 ટકા, રાજસ્થાનમાં 2014માં 54.9 ટકા અને 2018ની વિધાનસભામાં 38.8 ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે મિઝોરમમાં 2014માં શૂન્ય ટકા સામે 2018ની વિધાનસભામાં આઠ ટકા અને તેલંગાણામાં 2014ના 8.5 ટકા સામે 2018ની વિધાનસભા ચૂંટણીમાં 7.1 ટકા વોટ ભાજપને પ્રાપ્ત થયા હતા. 
બિહારમાં 2015માં વિધાનસભાની ચૂંટણીમાં આરજેડી-જેડીયુ-કોંગ્રેસ મહાગઠબંધનને જીત મળી હતી. આ વોટિંગ પેટર્ન પ્રમાણે 2019માં વોટિંગ થાય, તો બિહારમાં આરજેડીની બેઠકો ચારમાંથી 12, જેડીયુની બેઠક બેમાંથી આઠ થવાની સંભાવના છે. જો કે જેડીયુ હવે એનડીએમાં સામેલ છે. 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 વિધાનસભા બેઠકો પર જીત મળી હતી. 2019માં દિલ્હીમાં આ પેટર્ન પર વોટિંગ થાય,તો દિલ્હીની સાત બેઠકો ભાજપ પાસેથી આમ આદમી પાર્ટીના ખાતામાં જાય છે. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી જેવી વોટિંગ પેટર્ન રહે, તો 2019માં 11ના સ્થાને 15 બેઠકો ટીઆરએસને મળી શકે તેમ છે. આવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીની 34 બેઠકો 38માં ફેરવાઈ શકે છે. તમિલનાડુમાં એઆઈએડીએમકેની બેઠક 37માંથી 34 થવાની સંભાવના છે. તો આ વોટિંગ પેટર્ન પર ઓડિશામાં બીજેડીને 20ના સ્થાને 21, જ્યારે તેલુગૂદેશમ પાર્ટીને 15 અને અન્યને 99 બેઠક મળવાની શક્યતા છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી હવે એનડીએની સાથે નથી. જ્યારે તમિલનાડુમાં જયલલિતા અને કરુણાનિધિ પણ હવે નથી. તેથી અહીં વોટિંગ પેટર્ન બદલાવાની પુરી સંભાવના છે. યુપીમાં 2017ની વોટિંગ પેટર્ન પર 2019માં મતદાતા વોટ કરે તો સમાજવાદી પાર્ટીને પાંચ અને બહુજન સમાજ પાર્ટીને ત્રણ બેઠકો મળી શકે છે. જો કે હવે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને કારણે ભાજપને વધુ આકરી ટક્કર મળવાની સંભાવનાઓ રાજકીય બાબતોના જાણકારો દર્શાવી રહ્યા છે.
અંગ્રેજી અખબાર લાઈવ મિન્ટ પ્રમાણે, લોકસભા ચૂંટણી બાદની વિધાનસભા ચૂંટણીની પેટર્ન પર 2019માં વોટિંગ થશે તો ભાજપને 219 બેઠકો મળે તેવી સંભાવના છે. 2014માં ભાજપને 282 બેઠકો મળી હતી. જ્યારે 2014માં 44 બેઠકો પર જીત મેળવનારી કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીની વોટિંગ પેટર્નના આધારે 2019માં વોટિંગ થાય તો 97 બેઠકો મળવાની સંભાવના છે. એટલે કે એક તો કોંગ્રેસમુક્ત અભિયાનના નામે કોંગ્રેસયુક્ત ભાજપ 2019માં ધાર્યો રાજકીય પ્રભાવ જમાવી શકશે નહીં. તો તેની સામે મોદી મેજિક બેઅસર થવાને કારણે અન્ય કોઈ હિંદુ અંતરમનની આકાંક્ષાને અનુરૂપ રાજકીય વિકલ્પના અભાવમાં કોંગ્રેસ ફરીથી બેઠી થવા લાગશે. 
2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ 15 રાજ્યોમાં લોકસભાની 27 બેઠકો પર પેટાચૂંટણી થઈ હતી. આ 27 લોકસભા બેઠકોમાંથી 16 પર એનડીએનો કબજો હતો, પરંતુ પેટાચૂંટણીમાં એનડીએ માત્ર નવ બેઠકો બચાવી શકી છે અને સાત બેઠકો ગુમાવી છે. મોદીની હિંદુવાદી છબીના ઉગ્ર ટેકેદારો માટે પહેલો આંચકો દેવાલય પહેલા શૌચાલય હતો, બીજો આંચકો ગૌરક્ષકોને ગુંડા ગણાવતી ટીપ્પણી હતી. એસસી-એસટી એક્ટ મામલે દલિતો અને સવર્ણ જ્ઞાતિઓ વચ્ચે રાજકીય સંતુલન જાળવવામાં પણ બેદરકારી દાખવવામાં આવી. મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામોમાં આની મોટી અસર હોવાનું માનવામાં આવે છે. એમા મિડલ કલાસ અને કારોબારીઓની નોટબંધી અને જીએસટી સંબંધિત મુશ્કેલીઓમાં મોદીનું મસ્જિદોમાં જવું, મુસ્લિમોના પયગંબરના જન્મદિવસનો શુભેચ્છા સંદેશો આપવો પણ તેમની હિંદુવાદી છબીના ટેકેદારોને બિલકુલ અસ્વીકાર્ય રહ્યો હશે. તેવામાં સવાલ એ છે કે હિંદુત્વવાદીઓના અંતરમન ઘાયલ છે અને શું હિંદુત્વવાદી રાજનીતિનું નેતૃત્વ કરનારાઓને હિંદુઓના અંતરમનને પહોંચેલી ઈજાઓનો કોઈ અહેસાસ છે? આભ ફાટે ત્યારે થિંગડા મારવાની સ્થિતિ ટાળવી જોઈએ. હિંદુઓના અંતરમનની આકાંક્ષાને આદર આપવા માટે 2019 પહેલા હજીપણ સમય છે.