લેબલ અફઘાનિસ્તાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અફઘાનિસ્તાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 3 નવેમ્બર, 2011

ચીન-પાક સૈન્ય કવાયતો “યૂયી”ના ખતરનાક ઈરાદા


-આનંદ શુક્લ

ચીન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક દશકામાં સંયુક્ત સૈન્ય પ્રવૃતિઓમાં ઉત્તરોત્તર વ્યૂહાત્મક રણનીતિ નીચે વધારો થઈ રહ્યો છે. તેના કારણે ભારત સરકારે પણ ચીન અને પાકિસ્તાનને જવાબ આપવા માટે પોતાની વ્યૂહરચના વધુ સુદ્રઢ બનાવી છે. ભારતે ચીન સરહદે પાંચ વર્ષમાં એક લાખથી વધારે સૈનિકો તહેનાત કરવાની યોજના જાહેર કરીને પોતાના ઈરાદા જાહેર કરી દીધા છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અને ચીનના સૈન્ય ગઠબંધનથી ભારત માટે ચિંતાના ઘણાં કારણો ઉભા થયા છે. ચીન પાકિસ્તાન સાથે સૈન્ય ગતિવિધિઓ વધારીને ભારત પર સામરીક દબાણ ઉભું કરી રહ્યું છે. તેની સાથે પાકિસ્તાનને પણ ભારત વિરુદ્ધ હવા ભરીને તૈયાર કરી રહ્યું છે.

ચીની ભાષામાં ‘યૂયી’નો અર્થ મિત્ર થાય છે. પાકિસ્તાન આગામી સપ્તાહે યૂયી-4ની તૈયારીમાં લાગેલું છે. યૂયી-4 ચીન અને પાકિસ્તાન વચ્ચે ચોથી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. બે સપ્તાહ સુધી ચાલનારો આ સંયુક્ત અભ્યાસ ક્યાં થવાનો છે, તેના સંદર્ભે પાકિસ્તાને હજી સુધી કોઈ જ માહિતી જાહેર કરી નથી. આ પહેલા ચીન અને પાકિસ્તાન વચ્ચે ભારતને સામરીક સંદેશ આપતાં ત્રણ સંયુક્ત સૈન્ય અભ્યાસો થઈ ચુક્યા છે. આમાની એક સંયુક્ત સૈન્ય કવાયત પાકિસ્તાનમાં અને બાકીની બે ચીનમાં થઈ છે.

2004માં પહેલીવાર ચીને શિન્ચિયાંગ પ્રાંતના ટેક્સકોરગનમાં પાકિસ્તાન સાથે સૈન્ય અભ્યાસ કર્યો હતો. તેને યૂયી-1 તરીકે ઓળખવામાં આવ્યો હતો. 2006માં યૂયી-2 પાકિસ્તાનાના એબટાબાદની પહાડીઓમાં કરવામાં આવ્યો હતો. આ એ જ એબટાબાદ છે કે જ્યાં અલકાયદાનો સરગના ઓસામા બિન લાદેન છુપાયો હતો. ચીની મિલિટ્રી એજન્સીને ઓસામા બિન લાદેન એબટાબાદમાં છૂપાયો હોવાની જાણ ન હોય, તો તે ચીની સેનાની જાસૂસી વિફળતા ગણવી જોઈએ.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની 101મી એન્જિનિયરિંગ રેજીમેન્ટ આ વર્ષ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં રાજસ્થાન અને પંજાબની સીમાઓ પર પાકિસ્તાની સેના સાથે સંયુક્ત કવાયત કરી ચુકી છે. આ લશ્કરી કવાયતને યૂયી-3 નામ આપવામાં આવ્યું હતું. આ સૈન્ય કવાયત ભારતીય સરહદના ઘણાં વિસ્તારોમાં થઈ. તે દરમિયાન પાકિસ્તાનના રહીમીયાર ખાન પાસે સુરયાન અને ચોર માનના જે વિસ્તારોમાં ચીનની સેનાની આખી બ્રિગેડ હતી, તે ભારતના જેસલમેર જિલ્લાના તાનોટ-કિશનગઢથી ઘણી નજીકમાં હતી.

રાજસ્થાન અને પંજાબની સરહદો પર કોઈ એક માસ સુધી ચીન અને પાકિસ્તાની સેનાની સંયુક્ત કવાયત થતી રહી અને ભારત ચુપચાપ જોતું રહ્યું. ભારતીય સંરક્ષણ મંત્રાલયે આ વાત સામાન્ય જનતાની જાણકારીની પહોંચની બહાર રાખી. પરંતુ એપ્રિલ-2011માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાર હજાર ચીની સૈનિકોની હાજરી હોવાની વાત ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કે.ટી.પરનાયકે કરી અને તેની સાથે જ ચીનની પાકિસ્તાન અને પીઓકેમાં સક્રિયતા એક ઘણો મોટો મુદ્દો બની ગયો. ભારતીય સેનાના વડા જનરલ વી. કે. સિંહે પણ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીની સૈનિકોની ઉપસ્થિતિની વાતને સ્વીકારી છે.

વળી ચીન પાકિસ્તાનના તાલિબાની વિસ્તારમાં પોતાનું લશ્કરી થાણું સ્થાપવા માગે છે. તેની પાછળ તેનો હેતુ તેના શિન્ચિયાંગ પ્રાંતમાં ઉઈગુર આતંકવાદીઓને કાબુમાં રાખવાનો છે. ચીને આ પહેલા પાકિસ્તાનને શિન્ચિયાંગના ઉઈગુર મુસ્લિમ આતંકવાદીઓને પાકિસ્તાનના વજીરીસ્તાન જેવાં વિસ્તારોમાં તાલીમ મળતી હોવાની વાત કરીને ઝાટકણી પણ કાઢી હતી. આ સિવાય પાકિસ્તાને બલુચિસ્તાન ખાતેના ગ્વાદર પોર્ટ નજીક ચીની નૌસેનાનું થાણું બની રહ્યું છે. ચીન એક વર્ષથી તેની પાછળ લાગેલું હતું. હવે આ પ્રોજેક્ટને પાકિસ્તાન સરકારે મંજૂરી આપી દીધી છે. આ માત્ર કહેવાની વાત છે કે ચીન ગ્વાદર ખાતેના નૌસૈનિક થાણાંથી શિન્ચિયાંગના ઉઈગુર મુસ્લિમ આતંકવાદીઓને કાબૂમાં રાખવાની તજવીજ હાથ ધરશે. હકીકતમાં ગ્વાદર ખાતેના ચીની નૌસેનાના થાણું ભારત સરકાર માટે અલ્ટીમેટમ છે કે તેઓ પોતાની નૌસેનાને ઝડપતી મજબૂત કરે અને અરબી સમુદ્રમાં પોતાના વર્ચસ્વ માટે વધુ સક્રિય બનાવે.

ચીન દ્વારા ગ્વાદર નજીક નૌસૈન્ય થાણાંની સ્થાપના માટે સરસ વાર્તા બનાવવામાં આવી છે. ચીનના શિન્ચિયાંગ પ્રાંતમાં સક્રિય ઉઈગુર મુસ્લિમ વિદ્રોહીઓ અને અલકાયદા સાથે જોડાયેલા તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટના સભ્યોની ટ્રેનિંગ બલુચીસ્તાનમાં થાય છે. તેમને ઈરાદો શિન્ચિયાંગને એક અલગ ઈસ્લામિક દેશ ઘોષિત કરવાનો છે. પરંતુ ચીન દ્વારા બનાવાયેલી વાર્તાથી સત્ય ઘણું અલગ છે. ચીન જે પ્રકારે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ નજીક નૌસૈન્ય થાણું બનાવી રહ્યું છે, તેનાથી તેની મધ્ય-પૂર્વ, અફઘાનિસ્તાન અને ઈરાનાં પહોંચ અમેરિકાથી પણ વધારે સુચારું બની જશે.

તાજેતરમાં વિયેતનામના પોર્ટ પરથી પાછા આવી રહેલા ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ આઈએનએસ ઔરાવતને દક્ષિણી ચીન સાગરમાં ચીનના જહાજે પોતાનો જળવિસ્તાર ખાલી કરવા માટે તાકીદ કરી હતી. દક્ષિણ ચીન સાગર વિસ્તાર પર ચીન દાવો કરી રહ્યું છે. પરંતુ તેના પર વિયેતનામ, ફિલિપિન્સ અને અન્ય દેશો પણ દાવો કરી રહ્યાં છે. આ સિવાય દક્ષિણ ચીન સાગરના વિયેતનામના દાવાવાળા બ્લોકમાં ભારતની તેલ કંપની દ્વારા તેલ દોહન કરવાના પ્રોજેક્ટનો પણ ચીને વિરોધ કર્યો હતો. તેણે આ પ્રોજેક્ટને ચીનની સાર્વભૌમતા પર અતિક્રમણ સુદ્ધાં ગણાવ્યો હતો. પરંતુ તેની સામે ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિવાદીત ક્ષેત્ર હોવા છતાં ભારતની પરવાહ કર્યા વગર કારાકોરમ હાઈવે બનાવીને નવા સિલ્ક રુટને તૈયાર કરી રહ્યું છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સાથે જોડાયેલા નવો સિલ્ક રુટ મધ્ય એશિયા અને તુર્કી થઈને યુરોપ સાથે સાંકળવાની ચીનની મહત્વકાંક્ષા છે. આ સિવાય ચીન પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરને જોડવા માટે યૂરો-એશિયા લેન્ડ બ્રિઝ બનાવવાની યોજના પણ બનાવી રહ્યું છે. ચીનની આ મનસા ઈસ્તંબુલમાં ચાલી રહેલા અફઘાન સંમેલનમાં સ્પષ્ટ થઈ છે. નવા સિલ્ક રુટ અને યૂરો-એશિયા બ્રિઝની વાતને આગળ વધારવા માટે શિન્ચિયાંગ પ્રાંતના ગવર્નર નૂર બકરી નવી દિલ્હી આવી રહ્યાં છે. ચીન અફઘાનિસ્તાનમાં ઊર્જા અને ખનીજ દોહનની ગણતરીઓ રાખી રહ્યું છે. પરંતુ તેના માટે ચીને પોતાના મુસ્લિમ બહુલ શિન્ચિયાંગ પ્રાંતનો વિકાસ કરવો પડે તેમ છે. બકરી ભારત મુલાકાત દરમિયાન કઈ બ્લૂ પ્રિન્ટની વાત કરે છે, તેના પરથી ભારત-ચીનની ભૂમિકા વધારે સ્પષ્ટ બનશે.

પાછલી વખતે પાકિસ્તાનના કારણે તુર્કીમાં થયેલા અફઘાન સંમેલનમાં ભારતને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ વખતે ભારત અફઘાન સંમેલનમાં ગયું. તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત વગર અફઘાનિસ્તાનનું ભલું થશે નહીં તેવી અફઘાનિસ્તાન સહીત ઘણાં દેશોની માન્યતા છે. ખનીજ સંપત્તિથી ભરપૂર અફઘાનિસ્તાનના હાજીગાકથી ઈરાનના છબહાર સુધી ભારત રેલવે લિંક બિછાવવા માંગે છે. જો કે પાકિસ્તાન અહીં પણ અડંગાબાજીની પોતાની આદત ચાલુ રાખી રહ્યું છે. ભારત દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરીની ઘટના બાદ અફઘાનિસ્તાન વિસ્તારમાં વધારે આક્રમક છે. ઈસ્તંબુલ સંમેલનમાં અફઘાનિસ્તાનના હાજીગાક અને ઈરાન સીમા સુધી ભારતીય રેલવે લિંકનો પ્રસ્તાવ મૂકીને ભારતે પોતાના ઈરાદા વધારે સ્પષ્ટ કર્યા છે. અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચેની ભારતની પ્રસ્તાવિત રેલવે લિંક પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી માત્ર 72 કિલોમીટર પશ્ચિમમાં છે. પાકિસ્તાનને આશંકા છે કે આ રેલવે લિંક બન્યા પછી ભારત તેના પર સામરીક દબાણ વધારી દેશે. સાથે ભારત ગ્વાદર નજીકના ચીની નૌસૈન્ય થાણાં પર પણ નજર રાખી શકશે.

પાકિસ્તાન અમેરિકાના પડખાને લાત મારીને ચીનની સોડમાં જઈ રહ્યું છે. પાકિસ્તાની સેના સાથે ચીની સૈન્ય કવાયત યૂયી એટલે કે મિત્રથી એક વાત સ્પષ્ટ બની છે કે ચીન પાકિસ્તાની સેનાને પોતાનું ગાઢ મિત્ર માની રહ્યું છે. તથા બંને સંયુક્ત લશ્કરી કવાયતો કરીને બંનેના સામાન્ય શત્રુ ભારતને આંખો દેખાડી રહ્યાં છે. તેના જવાબમાં ભારત સેનાના આધુનિકીકરણ પાછળ પાંચ વર્ષમાં 64 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું છે. ભારત સૈન્ય શક્તિમાં વધારો કરીને તેના આધુનિકીકરણને પ્રાથમિકતા આપવા માટે પાંચ વર્ષનો સમયગાળો ફાળવી રહ્યું છે. તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે આગામી પાંચ વર્ષમાં દક્ષિણ એશિયામાં ચીન-પાકિસ્તાન જુગલબંધી બનાવીને ભારતને દબડાવાની કોશિશ કરશે. પરંતુ તેની સામે ભારત પણ છાતી કાઢીને ચાલી શકે તેવી રણનીતિ વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે. ભારતે પણ આગામી સમયમાં અમેરિકા, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવાં દેશો સાથે સૈન્ય સંબંધો વધારે ગાઢ કરીને સંયુક્ત લશ્કરી કવાયતો કરવી જોઈએ. ભારતે અફઘાનિસ્તાનમાં પોતાની વિકાસના કામોની સક્રિયતા સાથે લશ્કરી રાહે સક્રિય થવા માટેની પણ તૈયારીઓ રાખવી પડશે. ભારતે આગામી સમયમાં દક્ષિણ એશિયામાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે પાકિસ્તાનને કાબૂમાં રાખવું પડશે અને તેના માટે તેના ખરેખરા આકા ચીનને ધ્યાનમાં રાખીને લશ્કરી તૈયારીઓ કરવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક સંરક્ષણ નિષ્ણાતોએ ચીન અને પાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત વખતે ભારત પર મુંબઈ સ્ટાઈલના આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. ત્યાર બાદ ભારતની પાકિસ્તાન સામેની સંભવિત સૈન્ય કાર્યવાહી સામે પાકિસ્તાન અને ચીન બંને મોરચો ખોલશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે ભારતે હવે ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિન હેઠળ પાકિસ્તાન અને ચીન બંનેને જવાબ આપવો પડશે.

બુધવાર, 19 ઑક્ટોબર, 2011

પાકિસ્તાનના પાપે દ. એશિયામાં સ્થિતિ બેકાબૂ બનશે


-આનંદ શુક્લ

દક્ષિણ એશિયામાં પરિસ્થિતિ ઝડપથી વણસી રહી છે. પાકિસ્તાનના તાબા હેઠળના ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની જૂથના તાલિબાની નેટવર્કને ખતમ કરવા માટે અમેરિકા દબાણની પરિસ્થિતિ બનાવી રહ્યું છે. ઉત્તરી વજીરીસ્તાનની અફઘાનિસ્તાન સાથેની સરહદ પર અમેરિકી સેનાનો ભારે જમાવડો છે. તેવી પરિસ્થિતિમાં ઉત્તરી વજીરીસ્તાન પર અમેરિકા સૈન્ય કાર્યવાહી કરે તેવી પ્રબળ શક્યતાઓ દર્શાવાય રહી છે. અમેરિકાની સંભવિત કાર્યવાહી સામે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કિયાનીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન પર કોઈપણ કાર્યવાહી કરતાં પહેલા અમેરિકા દશ વખત વિચાર કરે. તેમણે પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે હવે પાકિસ્તાન પરમાણુ શક્તિ છે, પાકિસ્તાન ઈરાક અથવા અફઘાનિસ્તાન નથી. તો બીજા પક્ષે પાકિસ્તાનના સ્થાયી કૂટનીતિક સાથીદાર ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યપદ માટે પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો છે. ચીનની આ સોગઠી એવા સમયે છે કે જ્યારે અમેરિકા પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

પાકિસ્તાનના એબટાબાદ ખાતે અલકાયદાના સરગના ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતારનારા અમેરિકી ઓપરેશન બાદ બંને દેશો વચ્ચે પહેલા જેવા કૂટનીતિક અને સામરીક સંબંધો રહ્યા નથી. અમેરિકાએ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો ઉત્તરી વજીરીસ્તાનથી અફઘાનિસ્તાનમાં તાલિબાની હકૂમત અને પ્રભાવ ફેલાવવા મથતાં હક્કાની જૂથ સાથે સંબંધ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. માનવામાં આવે છે કે 2014માં અમેરિકા અને નાટો સૈનિક અફઘાનિસ્તાનમાંથી નીકળી જશે, ત્યારે પાકિસ્તાન હક્કાની નેટવર્ક દ્વારા અફઘાનિસ્તાનમાં પોતાના સામરીક હિતોને સાધશે. હક્કાની નેટવર્ક હાલ તાલિબાનોનું સૌથી મજબૂત જૂથ છે. તેથી સંભાવના છે કે હક્કાની નેટવર્ક વિદેશી દળોના અફઘાનિસ્તાન છોડયા પછી પ્રભાવમાં આવી શકે છે. અમેરિકાના પાકિસ્તાન પર હક્કાની નેટવર્ક સાથેના સંબંધોના આક્ષેપ બાદ પણ ચીન પાકિસ્તાનના બચાવમાં ઉતરી આવ્યું હતું. તેણે પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડનારો સૌથી મહત્વનો દેશ ગણાવ્યો હતો. હજી પણ ચીન પાકિસ્તાનને કૂટનીતિક સ્તરે મદદ કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનના વડાપ્રધાન હામિદ કરજાઈએ ભારત મુલાકાત વખતે બે સામરીક સમજૂતીઓ કરી હતી. તેના કારણે પણ પાકિસ્તાનના પેટમાં તેલ રેડયું છે. તેમાં એક સમજૂતી ભારતને અફઘાનિસ્તાનમાંથી તેલ અને અન્ય ખનીજ સંસાધનોના ઉત્ખનન માટેની પરવાનગી આપવાની અને બીજી સમજૂતી અફઘાનિસ્તાનની સેના અને પોલીસને તાલીમ આપવાની કરવામાં આવી છે. ભારત સાથે અફઘાનિસ્તાનની થયેલી સામરીક સમજૂતીઓથી પાકિસ્તાન વધારે નારાજ થયું છે. તેના કારણે આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં ભારત વિરુદ્ધ પ્રવૃતિઓ તેજ કરે તેવી સંભાવના છે. ભૂતકાળમાં અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ ખાતે ભારતીય દૂતાવાસ પર આઈએસઆઈના ઈશારે બે વખત આત્મઘાતી હુમલા થઈ ચુક્યા છે.

હવે હક્કાની જૂથના તાલિબાનો અમેરિકા અને નાટો સેનાને પણ નિશાન બનાવી રહ્યાં છે. તેમણે કાબુલમાં અમેરિકી દૂતાવાસમાં હુમલાની કાર્યવાહી પણ કરી છે. જેનાથી અમેરિકા સખત નારાજ છે. તેમણે પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે તેઓ ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની નેટવર્કની નશ્યત કરે. આમ ન કરવા પર અમેરિકાએ પાકિસ્તાનના વિસ્તારમાં સૈન્ય કાર્યવાહીની પણ ચેતવણી આપી છે. જો કે ઓસામા બિન લાદેન સામેના ઓપરેશન બાદ પાકિસ્તાને પોતાની પહેલી પ્રતિક્રિયામાં તેને પાકિસ્તાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવી હતી. ત્યારથી જ પાકિસ્તાને અમેરિકાની તેના વિસ્તારમાં સંભવિત સૈન્ય કાર્યવાહી સામે કડક વલણ અપનાવ્યું છે. ત્યારે તેવી પરિસ્થિતિમાં પાકિસ્તાન અમેરિકાને કોઈક જવાબ આપે, તેવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ રહી છે. જનરલ કિયાનીએ અમેરિકાની સંભવિત કાર્યવાહીની શક્યતા જોઈને ટોપ કમાન્ડર્સ સાથે બેઠકો પર બેઠકો કરી છે.

ત્યારે પાકિસ્તાન દ્વારા અમેરિકાની સંભવિત સૈન્ય કાર્યવાહી બાદ થનારા છમકલાંથી દક્ષિણ એશિયામાં અરાજકતાની પરિસ્થિતિ વધારે વણશે તેવી સ્થિતિ સર્જાય શકે છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનના કટ્ટરપંથીઓ અમેરિકા વિરુદ્ધ વધુ ઉગ્ર હિંસક કાર્યવાહી પર ઉતરી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. પાકિસ્તાની સેનાની અંદરના ચીન તરફી કટ્ટરપંથી તત્વો અમેરિકા પ્રત્યે દુર્ભાવનાઓ રાખી રહ્યાં છે. અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધના યુદ્ધના નામે તાલિબાનો અને અલકાયદા સામે થયેલી તમામ કાર્યવાહીથી પાકિસ્તાની સેનાનું આ જૂથ અત્યંત નારાજ છે. ત્યારે ચીનને ખોળે ગયેલી પાકિસ્તાની સેના અમેરિકા સાથે ભીડાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જો આવી પરિસ્થિતિ ઉભી થશે, તો અમેરિકા અને નાટો સેનાની 2014માં અફઘાનિસ્તાન છોડી દેવાની ટાઈમ લાઈન પાછી ઠેલાશે. આવી પરિસ્થિતિમાં અમેરિકા અને ભારત અફઘાનિસ્તાનમાં કોઈ નવા સમીકરણો પર કામ કરે તેવી પણ સંભાવનાઓ ઉભી થઈ શકે છે.

પાકિસ્તાનના અમેરિકા વિરોધી વલણના સ્થાયી બનવાથી અમેરિકાએ ભારત પર દારોમદાર રાખવો પડશે. વળી ભારતની સુરક્ષાની દ્રષ્ટિથી અફઘાનિસ્તાનની સ્થિતિ સુધરે તે વધારે ઈચ્છનીય છે. તેના કારણે ભારતે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સુધારવા માટે વ્યૂહાત્મક રીતે પણ પોતાની રણનીતિ આગળ વધારવી પડશે. અત્યારે અફઘાનિસ્તાનમાં નાટો અને અમેરિકી સેનાની ઉપસ્થિતિ ભારત માટે સામરીક દ્રષ્ટિએ ઘણી હકારાત્મક છે. પરંતુ પાકિસ્તાનની ઓસામા બિન લાદેન સામેની અમેરિકી કાર્યવાહીમાં પોલ ખુલી જતાં હવે તેના સામરીક હિતો જોખમાયા છે. ભવિષ્યમાં હક્કાની નેટવર્ક સામે અમેરિકા ઓસામા બિન લાદેન જેવું કોઈ ઓપરેશન કરવાની હિંમત દાખવે છે કે નહીં, તેના પર દક્ષિણ એશિયાની આગળની પરિસ્થિતિનો આધાર છે. પાકિસ્તાનને ઔપચારીક રીતે આતંકવાદી રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું નથી. પરંતુ અમેરિકા અને નાટો દળોનું પાકિસ્તાન પ્રત્યે વલણ આતંકવાદી દેશ સામેના વલણ જેવું જ છે. ત્યારે સવાલ એ છે કે દક્ષિણ એશિયાની વણસી રહેલી પરિસ્થિતિમાં ભારતે કેવી તૈયારી કરવી? ચીનને ખોળે બેઠેલા પાકિસ્તાન દ્વારા હક્કાની નેટવર્કને બચાવવા માટે અમેરિકા સામેના સંભવિત ઉબાડિયાથી ઉભી થનારી પરિસ્થિતિમાં ભારતે કેવી ભૂમિકા નીભાવવી જોઈએ?

શુક્રવાર, 27 મે, 2011

ભારતના ભાગલાથી દ.એશિયામાં અસ્થિરતા આવી


દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદમાંથી જન્મેલી આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય, આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદની વિચારધારાએ પોતાના સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા.

જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓના વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી.

દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું અથવા તો તે પ્રભાવ ઓસરી રહ્યો હતો. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં છે. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું.

કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે. અત્રે સર્વવિદિત છે કે ઈસ્લામિક કટ્ટરપંથના અફીણથી પેદા થયેલા ઈસ્લામિક આતંકવાદનો પાકિસ્તાની શાસકો ભારત સામે રાજકીય અને સામરીક હિતો પાર પાડવા માટે લગભગ અઢી દાયકાથી ઉપયોગ કરી રહ્યાં છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામિક ક્ટ્ટરપંથની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને આવા વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના આગે જ્યારે અમેરીકાને દઝાડયું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે ભારતની ઘોષિત વિદેશ નીતિ ગૂટનિરપેક્ષતાને વરેલી જ હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું.

તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. તેના કારણે ચીન અને અમેરીકા વચ્ચે તે વખતે કોઈ ઘર્ષણ ઉભું થયું ન હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા.

ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ હતી. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી.

તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે.

એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અત્રે એક વાત સ્પષ્ટ બની છે કે જો ભારતનું વિભાજન ન થયું હોત અને અખંડ સ્વરૂપમાં ભારત અસ્તિત્વમાં હોત અને અહીં સેક્યુલર બંધારણ સાથેની સરકાર હોત તો ઈસ્લામિક કટ્ટરપંથીઓને આતંકવાદ અને અંતિમવાદ સુધીનો છૂટ્ટોદોર મળ્યો ન હોત. અખંડ ભારત ચીન સામે પણ શક્તિસંતુલન સાધી શકવાની સ્થિતિમાં હોત. અથવા તો પરિસ્થિતિને બીજી રીતે જોવામાં આવે તો પાકિસ્તાનનું અસ્તિત્વ જ ઈસ્લામિક કટ્ટરપંથ અને આતંકવાદ માટે ઓક્સિજનનું કામ કરી રહ્યું છે.

1947ની પરિસ્થિતિ પ્રમાણે કદાચ વૈશ્વિક શક્તિઓને અખંડ ભારતની સંભવિત તાકાતનો ડર લાગ્યો હોઈ શકે. તેવા સંજોગોમાં તેમણે પોતાના સામરીક અને વૈશ્વિક રાજકીય હીતોને ધ્યાનમાં રાખીને ભારતના વિભાજનનો કારસો ઘડયો હોઈ શકે. ત્યારે તેવી પરિસ્થિતિમાં ધર્મના આધારે સેક્યુલર ભારત સામે અસ્તિત્વમાં આવેલા ઈસ્લામિક પાકિસ્તાનના કટ્ટરપંથીઓ ક્ષેત્રમાં અસ્થિરતા માટે સૌથી વધારે કારણભૂત સાબિત થઈ રહ્યાં છે. આમ હાલની દક્ષિણ એશિયાની અસ્થિરતા માટે ભારત વિભાજન સૌથી મોટું અને મુખ્ય કારણ છે. હાલ પાકિસ્તાનની સ્ટેટ મશીનરી સાથે આ કટ્ટરપંથીઓ એવી રીતે મળી ગયા છે કે તેમને જુદા પાડવા પણ અશક્ય થઈ રહ્યાં છે.

ત્યારે પાકિસ્તાનમાંથી કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો હાસિયામાં ધકેલાય તો દક્ષિણ એશિયામાં હવે સ્થિરતા અને શાંતિની પુનર્સ્થાપના થઈ શકે તેમ છે. આ તમામ કવાયતમાં અમેરીકા સહીતના દેશોએ પાકિસ્તાનનો સેક્યુલર ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. ભારત વિરોધથી શરૂ થયેલી ક્ષેત્રીય અસ્થિરતા અત્યારે વિશ્વને ડરાવી રહી છે.