લેબલ અમેરિકા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અમેરિકા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 3 ઑગસ્ટ, 2014

વૈશ્વિક પરિવર્તનોવાળી 21મી સદીમાં ભારતની અમેરિકા પાસેથી અપેક્ષા

- આનંદ શુક્લ
અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરી સાથે આવેલા ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળમાં અમેરિકી વાણિજ્ય પ્રધાન પેની પ્રિત્સકર પણ ભારતની મુલાકાતે આવ્યા હતા. અમેરિકાના વિદેશ પ્રધાનની મુલાકાત બહુકોણીય ઉદેશ્યોની પૂર્તિ માટે હતી. ત્યારે જોઈએ ભારતની અમેરિકા પાસે કઈ સંભવિત અપેક્ષાઓ છે....

અમેરિકાના વિદેશ પ્રધાન ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેમણે ગુરુવારે ભારત-અમેરિકા વચ્ચેની રણનીતિક વાટાઘાટોની સહઅધ્યક્ષતા કરી હતી. કેરીએ સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી સાથે પણ મહત્વની વાતચીત કરી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સપ્ટેમ્બર માસની પ્રસ્તાવિત અમેરિકાની યાત્રા માટે પણ જોન કેરી પૃષ્ઠભૂમિ તૈયાર કરી છે. એક નજર કરીએ અમેરિકા પાસે ભારતની તાત્કાલિક અપેક્ષાઓ પર...

ભારતની અમેરિકા પાસે અપેક્ષા રહેશે કે ઓબામા વહીવટી તંત્ર દ્વારા ભારતીયોના વીઝાના કડક બનાવાયેલા નિયમોમાં મુક્તિ મળે. દક્ષિણ એશિયા અને ભારતમાં ચાલી રહેલી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી પ્રવૃતિઓ સામે કડક પગલા આંતરરાષ્ટ્રીય મંચ પર લેવાય.

2008માં થયેલા મુંબઈ પરના ભીષણ આતંકવાદી હુમલાના અમેરિકી જેલમાં બંધ ગુનેગાર ડેવિડ હેડલીની પુછપરછ માટે ભારતને મંજૂરી મળે. વ્હીસલ બ્લોઅર સ્નોડેનના દાવા પ્રમાણે, અમેરિકી એજન્સીને ભારતના નેતાઓની જાસૂસીની મંજૂરી મળી છે. તો આ કથિત જાસૂસી બંધ કરવાની મોદી સરકારની તાત્કાલિક ઈચ્છા રહેશે. દેવયાની ખોબ્રાગડે સાથે થયેલા દુર્વ્યવહાર બાદ અમેરિકામાં અન્ય કોઈ ભારતીય રાજદ્વારીઓ સાથે અપમાનજનક વ્યવહારની સ્થિતિ ફરીથી ઉભી થાય નહીં.

સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત અમેરિકી યાત્રા દરમિયાન મહત્વના મુદ્દે સમજૂતી બને. તકનીકી બાબતો અને સંશોધનોમાં સહયોગમાં વધારો થાય. ભારતીય સૈન્યના આધુનિકીકરણ માટે અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રની મદદ મળે. વીમા અને સંરક્ષણ ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈને મંજૂરી બાદ અમેરિકી મૂડી રોકાણને આકર્ષિત કરવું.

દક્ષિણ એશિયામાં અસ્થિરતા અને આતંકવાદની સ્થિતિમાં ભારતના રાષ્ટ્રીય હિતોને અમેરિકાનો ટેકો મળે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્ય પદ માટે અમેરિકા વલણ બદલી ટેકો આપે. શીતયુદ્ધ બાદ એકધ્રુવીય થયેલા વિશ્વમાં ભારતને અમેરિકા સ્વરૂપે મજબૂત સાથીદાર મળે.

તાજેતરમાં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે કલાક રાહ જોવડાવી અને બીજા દિવસે મુલાકાત આપી હતી. જેને ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં એક મોટા ફેરફાર તરીકે પણ જાણકારો જોઈ રહ્યા છે. તો પાકિસ્તાનને તાજેતરમાં રશિયાએ ભારતને વેચ્યા હતા.. તેવા જ હેલિકોપ્ટરોની ખેપ આપી છે.

ત્યારે રશિયાના મર્યાદિત બનેલા વૈશ્વિક પ્રભાવ અને ભારત માટે સોવિયત સંઘના તબક્કા જેવી સંબંધોમાં ગાયબ થઈ રહેલી ઉષ્મા વચ્ચે અમેરિકા-ભારત નજીક આવે તે બંને દેશોની રણનીતિક જરૂરિયાત છે. 9-11ના હુમલા બાદ અમેરિકાને પોતાના રાષ્ટ્રીય હિતો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર એવા ભારતની જરૂરિયાત થોડાઘણાં અંશે સમજાઈ છે.

રવિવાર, 13 નવેમ્બર, 2011

કલામના અપમાન માટે અમેરિકાનો ઈસ્લામ ફોબિયા જવાબદાર!


-ક્રાંતિવિચાર

અમેરિકા દુનિયાભરમાં માનવતાવાદ અને સેક્યુલારિઝ્મનો ઝંડો પોતાના હિતોની તરફેણમાં હંમેશા ફરકાવતું રહ્યું છે. અમેરિકાની માનવતા ઈરાક અને અફઘાનિસ્તાનના હજારો નિર્દોષ નાગરીકોએ અનુભવી છે. અમેરિકાની માનવતા વિયેતનામે અનુભવી છે, અમેરિકાની માનવતા જાપાનના હીરોશીમા અને નાગાશાકીએ પણ અનુભવી છે. પોતાને માનવતાવાદી ગણાવતા અમેરિકા પાસે દુનિયાનો અનેકવાર વિનાશ કરવાની શક્તિ ધરાવતા ઘાતક પરમાણુ અને અન્ય શસ્ત્રોનો અખૂટ ભંડાર છે. અમેરિકાનું સેક્યુલારિઝ્મ પણ તેના માનવતાવાદ જેટલું જ પોકળ છે. અમેરિકા 9/11ની દુનિયાની અત્યાર સુધીની સૌથી મોટી આતંકવાદી ઘટના બાદ સફાળી જાગી અને ત્યાર બાદની તેના દરેક એક્શનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાનું રિએક્શન જોવા મળ્યું છે. અમેરિકાના માનવા પ્રમાણે, વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પરનો હુમલો દુનિયાના તે વખતા સૌથી વધારે ખતરનાક અને ઘાતક ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલકાયદાએ તેના સરગના ઓસામા બિન લાદેનના આદેશ પર કર્યો છે. ત્યાર બાદ અમેરિકાએ પોતાના તમામ માનવતા અને સેક્યુલારિઝ્મના તમામ સિદ્ધાંતોને કોરાણે મૂકીને પાગલ હાથીની જેમ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. હજી પણ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના અને નાટોદળો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 2014 સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે. પણ હજી સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે અમેરિકા પોતાના વચનનું પાલન કરશે.

સતત ઈસ્લામિક આતંકવાદીઓ તરફથી આતંકી હુમલાના ભયાનક ઓથાર નીચે જીવતું અમેરિકા કદાચ નીતિઓ ઈસ્લામ અથવા મુસ્લિમો વિરુદ્ધ નહીં બનાવતું હોય, પરંતુ તેની દરેક કાર્યવાહી ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધની છે. અમેરિકાના પ્રવર્તમાન આતંકવાદ વિરોધી કાયદા લઈ લો, ઈમિગ્રેશન પોલીસી લઈ લો અથવા તેના એરપોર્ટ અને અન્ય જાહેર સ્થાનોની સુરક્ષાની વ્યવસ્થાના નીતિ-નિયમો અને કાયદા લઈ લો, તેમાં ક્યાંકને ક્યાંક કોઈને કોઈ રીતે મુસ્લિમો વિરુદ્ધની માનસિકતા પ્રતિબિંબિત થઈ રહી છે. અમેરિકાના નીતિ-નિયમો અથવા કાયદામાં મુસ્લિમ વિરોધી જોગવાઈઓ નહીં હોય, પરંતુ લાગે છે કે તેનો અમલ કરનારા અમેરિકીઓમાં મુસ્લિમ અને ઈસ્લામનો વિરોધ જાણે-અજાણે ઘર કરી ગયો છે.

તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના અતિસમ્માનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામનું બે વખત અપમાનજનક રીતે ચેકિંગ કરવામાં આવ્યું. 29 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના જેએફકે એરપોર્ટ પર પહેલા તો રાત્રે બે વાગ્યે ભારતના મિસાઈલમેન કલામની તલાશી લેવામાં આવી અને જ્યારે તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠા, તો સુરક્ષાકર્મીઓએ વિમાનના બંધ દરવાજા ઉઘાડાવીને કલામની તલાશી લેવા માટે જીદ્દ કરી. એર ઈન્ડિયાના કર્મચારીઓએ કહ્યું કે કલામ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, ત્યારે સુરક્ષાકર્મીઓ થોડા ઢીલા પડયા. પણ વિસ્ફોટકોની તપાસ કરવાના બહાને કલામના જૂતાં અને જેકેટ લઈને જતાં રહ્યાં.

ભારતના સૌથી સમ્માનીય રાષ્ટ્રપતિઓમાંથી એક અબ્દુલ કલામ દેશમાં સુરક્ષા તપાસમાંથી મુક્તિ મેળવનારા સમ્માનિત વ્યક્તિઓના બ્યૂરો ઓફ સિવિલ એવિએશનના લિસ્ટમાં સ્થાન ધરાવે છે. પરંતુ એપ્રિલ-2009માં દિલ્હી એરપોર્ટ પર કોન્ટિનેન્ટલ એરલાઈન્સના અધિકારીઓએ પણ કલામની તલાશી લીધી હતી. આ ઘટના ભારતમાં બની હોવાથી મોટો હોબાળો મચી ગયો હતો. તેના પરિણામે નાગરીક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સના અધિકારીઓ વિરુદ્ધ આપરાધિક કેસ દાખલ કરવાની વાત કરી હતી, પરંતુ હજી સુધી તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી.

ભારતના સૌથી સમ્માનિત વૈજ્ઞાનિકોમાંના એક ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ ભારતના મિસાઈલ પ્રોજેક્ટના પિતામહ છે. દેશની સુરક્ષા જરૂરિયાતોની પૂર્તિ કરીને તેને પગભર બનાવવામાં કલામનું અથાગ યોગદાન રહેલું છે. ગીતાનું અધ્યયન કરનારા કલામ ખરેખર દેશહિતચિંતક રાષ્ટ્રપુરુષ છે. તેઓ પંથ-સંપ્રદાયના તમામ ભેદભાવોથી પર છે. તેમના જીવનકાળમાં ક્યારેય પંથ-મજહબના નામે કોઈપણ પ્રકારની સંકુચિતતાને સ્થાન હોવાનું ક્યારેય સામે આવ્યું નથી. આવા મહાન વ્યક્તિને દેશના રાષ્ટ્રપતિ બનવાનું સમ્માન પણ મળ્યું છે. ભારતમાં રાષ્ટ્રપતિને ટર્મ પૂર્ણ થયા બાદ પણ વિશેષ સમ્માન આપવામાં આવે છે. પરંતુ કલામની સાદગીને કારણે તેમણે પોતાના વિશેષાધિકારની ક્યારેય પરવાહ કરી નથી. તેઓ હાલ ભારતના કોમનમેન બનીને સારા કાર્યો કરી રહ્યાં છે.
અમેરિકાની તાજેતરની અપમાનજનક ઘટના બાદ પણ તેમના નજીકના સૂત્રોનું માનીએ તો કલામ આવી ચીજોને કોઈ મુદ્દો બનાવતા નથી અને વાત વધાર્યા વગર સુરક્ષા એજન્સીઓ સાથે હંમેશા સહયોગ કરે છે. આ કલામની મહાનતા છે. પરંતુ સવાલ કલામ નામના વ્યક્તિનો નથી. સવાલ ભારતના રાષ્ટ્રપતિ પદે રહેલા વ્યક્તિની ગરિમાનો છે. કલામ સાથેના કોઈપણ અપમાનજનક વ્યવહાર સીધી રીતે ભારત સામેના અપમાનજનક વ્યવહાર તરીકે જ જોવો જોઈએ.

શું અમેરિકા અન્ય દેશોના ગણમાન્ય વ્યક્તિઓના આવા ચેકિંગ કરે છે? શું અમેરિકાએ રશિયા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અથવા અન્ય દેશોના પ્રવર્તમાન અથવા ભૂતપૂર્વ ગણમાન્ય રાષ્ટ્રપતિઓ કે વડાપ્રધાનોનું ચેકિંગ કરે છે? જો તેઓ આમ ન કરતાં હોય તો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ચેકિંગ માત્ર તેમના નામને કારણે તો કરવામાં આવ્યું નથી ને? શું મુસ્લિમ હોવાનું દર્શાવતા નામોની સાથે અમેરિકી સુરક્ષા એજન્સીઓને કોઈ પક્ષપાત હોય છે? આ તમામ બાબતોના જવાબ ભારત સરકારે અમેરિકા પાસેથી માંગવા રહ્યાં. ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકી સરકાર સામે કલામ સાથેના એરપોર્ટ પર થયેલા અપમાનજનક વ્યવહારનો મામલો ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે, તે પ્રશંસનીય છે.

ભારતે કહ્યું છે કે જો એવી અસ્વીકાર્ય પ્રવૃતિઓ રોકાશે નહીં, તો અમેરિકાથી આવનારા સમ્માનિત અતિથિઓ સાથે પમ આવી જ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણાએ અમેરિકામાં ભારતના રાજદૂત નિરુપમા રાવ સાથે વાતચીત કરતાં તેમને નિર્દેશ આપ્યા છે કે તેઓ આ મામલાને લેખિતમાં વોશિંગ્ટન ખાતે શીર્ષસ્થ સ્તર પર ઉઠાવે. ભારતની સુરક્ષા તપમાસમાં છૂટ મેળવનારા વ્યક્તિઓની યાદી અમેરિકા માટે બાધ્યકારી નથી, પરંતુ તેમણે પણ સમ્માનિત લોકોના મામલામાં એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો આપણે કરીએ છીએ. થોડા વખત પહેલા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ ભારત આવ્યા હતા, પરંતુ તેમને કોઈપણ પ્રકારની સુરક્ષા તપાસમાંથી પસાર થવાનો વખત આવ્યો ન હતો.

અમેરિકા દ્વારા ભારતના નામી લોકો સાથેનો દુર્વ્યવહાર કંઈ નવી વાત નથી. ભારતના ફિલ્મ એક્ટર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનને તેમના નામને કારણે લગભગ 8થી 9 કલાક સુધી એરપોર્ટ પર કડક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડયું હતું. આ સિવાય જ્યોર્જ ફર્નાન્ડિઝ એનડીએ સરકારમાં સંરક્ષણ પ્રધાન હતા, ત્યારે તેમને અમેરિકી પ્રવાસ દરમિયાન કપડાં કઢાવીને સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. જેનો તેમણે ભારત પાછા ફરીને ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ભારતના સમ્માનિત વ્યક્તિઓના સમ્માનને જાળવી રાખવા માટે કડક શબ્દોમાં કહેવું જોઈએ. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન ફિલ્મ એક્ટર્સ છે, એટલે તેમનું ચેકિંગ કરે તેની સામે તો કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ તેમના નામને કારણે તેમને વધારાની કનડગત કરવામાં આવે તે પણ ખોટું છે.

સેક્યુલારિઝ્મ અને માનવતાનો દંભ કરતા અમેરિકાની સુરક્ષા એજન્સીઓ મોટાભાગે ઈસ્લામ ફોબિયાથી પીડાતી હોય તેવું લાગી રહ્યું છે. તેમના ઈસ્લામ ફોબિયાના જે પણ કોઈ કારણ હશે, પરંતુ તેમ છતાં પણ તેમણે તેનો ઈલાજ કરવો જોઈએ. તેના માટે તેઓ બહારી ઈલાજ તો કરી રહ્યાં છે, પણ કલામ સાથેના દુર્વ્યવહાર પરથી સ્પષ્ટ બન્યું છે કે તેમના ઈસ્લામ ફોબિયાને દૂર કરવા માટે આંતરીક મનોચિકિત્સકીય ઈલાજની પણ જરૂર છે. ભારતને સેક્યુલારિઝ્મના ઉપેદશ આપવા માટે અને સેક્યુલારિઝ્મ શીખવાડવા માટે અમેરિકા પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ઘણો પ્રયત્ન કરી રહ્યું છે. તેના નાણાંથી ફલતી-ફૂલતી એનજીઓનો ભારતમાં કોઈ તોટો નથી. પરંતુ ભારતમાં હજી સુધી આ પ્રકારની કોઈ દેશના સમ્માનિત વ્યક્તિ સાથે અપમાનિત કરવાની ઈસ્લામ ફોબિયાથી કારણભૂત ઘટના બની નથી.

સોમવાર, 24 ઑક્ટોબર, 2011

પાકિસ્તાનની અમેરિકાને ધમકી: વિનાશકાળે વિપરીત બુદ્ધિ!


-આનંદ શુક્લ

9/11ના ભીષણ આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ઓક્ટોબર-2001માં અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ યુદ્ધના નામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. આ દશ વર્ષોમાં અમેરિકાએ અફઘાનિસ્તાન યુદ્ધમાં તાલિબાનો અને અલ કાયદાના ખાત્મા માટે અબજો ડોલરનો ધુમાડો કર્યો છે. પાકિસ્તાનને પણ આતંકવાદના યુદ્ધમાં પોતાના સામરીક સાથીદાર ગણાવીને કરોડો અબજ ડોલરની સૈન્ય સહાયતા કરી છે. અમેરિકાના અબજો ડોલરના ધુમાડા છતાં હજી અફઘાનિસ્તાનમાં તાલિબાની નેટવર્ક સાબૂત છે. તો પાકિસ્તાને પણ અમેરિકી સૈન્ય સહાયતાનો ભારત પર લશ્કરી સરસાઈ સ્થાપવા માટે જ ઉપયોગ કર્યો છે. આમ તો અમેરિકાને પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં ભારત તરફથી સૈન્ય કાર્યવાહીનો ભય દેખાડીને બ્લેક મેઈલિંગ કરતું હતું. 26/11ના મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદેથી પોતાના એક લાખ સૈનિકોને ભારત સાથે યુદ્ધની સંભાવના દેખાડીને પોતાની પૂર્વ સરહદે ખસેડવાની ધમકી આપી હતી.

ભારતે પાકિસ્તાનને આતંકવાદી સમસ્યાનું મૂળ કહ્યું છે. ભારતના ઘણાં રાજકારણીઓ પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરાવવા માટેની પેરવી કરી રહ્યાં છે. પરંતુ ત્યારે અમેરિકા પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં પોતાનું મજબૂત સાથીદાર ગણાવીને આવી તમામ દલીલોને નજરઅંદાજ કરતું આવ્યું છે. અમેરિકાને હવે આતંકવાદ વિરુદ્ધના યુદ્ધના એક દશકા બાદ ખબર પડી છે કે સમસ્યા તો પાકિસ્તાનમાં છે. અમેરિકાએ પાકિસ્તાનના ઉત્તરી વજીરીસ્તાન ખાતેથી ઉબાડિયા કરતાં હક્કાની નેટવર્કને ખતમ કરવા માટે પાકિસ્તાનને તાકીદ કરી છે. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે જો પાકિસ્તાન હક્કાની નેટવર્કને ખતમ નહીં કરે તો પછી તેઓ ઉત્તરી વજીરીસ્તાનમાં એકતરફી લશ્કરી કાર્યવાહી કરીને હક્કાની નેટવર્કને ખતમ કરશે. પરંતુ આતંકવાદને રાજકીય અને સામરીક હથિયાર તરીકે ઉપયોગ કરતાં પાકિસ્તાનની સેનાના વડા જનરલ કયાની હક્કાની નેટવર્કને રણનીતિક સંપત્તિ માની રહ્યા છે. પાકિસ્તાની કટ્ટરપંથીઓ 2014ની રાહ જોઈ રહ્યાં છે, જ્યારે અમેરિકી અને નાટો દળોની અગ્રિમ પંક્તિના સૈનિકો અફઘાનિસ્તાન છોડી દેશે. પાકિસ્તાની જનરલને લાગે છે કે ત્યારે હક્કાની નેટવર્ક જેવાની મદદથી તે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે.

છેલ્લા કેટલાંક મહીનાઓથી પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો ઘણાં કથળ્યા છે. અમેરિકા પોતાના સૈનિકોને ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની નેટવર્ક સામે ટકરાવા માટે તૈયાર કરી રહ્યું છે. અમેરિકાનું દ્રઢપણે માનવું છે કે હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રયાસોને ધક્કો પહોંચાડી રહ્યું છે. અમેરિકી ગુપ્તચર સંસ્થાનું માનવું છે કે કાબુલના અમેરિકી દૂતાવાસ પર હુમલા માટે હક્કાની નેટવર્ક જ જવાબદાર છે. આથી અમેરિકા હક્કાની નેટવર્કને તેના દુસ્સાહસની સજા આપવા માટે પાકિસ્તાન પર તેમની વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી માટે દબાણ બનાવી રહ્યું છે. જો કે પાકિસ્તાની સેના હક્કાની નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છતી નથી. તેના બે અનિવાર્ય કારણો છે.

પાકિસ્તાની સેના થોડા વર્ષો પહેલા વજીરીસ્તાનમાં તાલિબાન સામેની લડાઈમાં પરાજીત થઈ હતી. પાકિસ્તાની સેના માટે આ અપમાનજનક સ્થિતિ હતી. પાકિસ્તાની સેનાને અનિચ્છાએ ક્ષેત્રમાં તાલિબાની વર્ચસ્વ પણ સ્વીકારવું પડયું છે. આથી પાકિસ્તાની સેના ફરીથી તાલિબાની નેટવર્ક સામે લડીને પોતાની વધારે ફજેતી કરાવવા ઈચ્છતી નથી. વળી આ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાનમાં સૈન્ય પ્રતિષ્ઠાનો અને સરકારી મશીનરી વિરુદ્ધ તાલિબાની કાર્યવાહી તેજ થવાનો ખતરો પણ છે. બીજી તરફ જનરલ કયાની ભવિષ્યમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે હક્કાની નેટવર્કનો ઉપયોગ કરવા માટે તલપાપડ છે. ત્યારે અમેરિકા હક્કાની નેટવર્કને આઈએસઆઈની સેના કહી રહ્યું છે, તે અનાયાસ નથી.

કથિત સીઆઈએ એજન્ટ રેમન્ડ ડેવિસની પાકિસ્તાનમાં ધરપકડ બાદ અમેરિકા અને પાકિસ્તાનના સામરીક સંબંધોમાં ઓટની સ્થિતિ સર્જાઈ હતી. રેમન્ડ ડેવિસ પર બે પાકિસ્તાનીઓના ખૂનનો આરોપ હતો. અમેરિકા ઘણી સમજૂતી બાદ તેને પાકિસ્તાનથી મુક્ત કરાવી શક્યું. આ ઘટના પછી અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે કે આખરે પાકિસ્તાન પર કેટલો ભરોસો કરી શકાય? ત્યાર બાદ મે-2011માં અમેરિકાની સ્પેશ્યલ ફોર્સે પાકિસ્તાની રાજધાની ઈસ્લામાબાદ નજીક એબટાબાદમાં આતંકના સરગના અલકાયદાના સુપ્રિમો ઓસામા બિન લાદેનને એક ગુપ્ત ઓપરેશનમાં ખતમ કર્યો. આ ઓપરેશનમાં પાકિસ્તાન અપમાનિત તો થયું, સાથે તેના જૂઠ્ઠાણાં પણ બેનકાબ થયા. આ નિરાશામાં પાકિસ્તાની સેના સાબિત કરવા મથી રહી છે કે હજી પણ તે પોતાના દેશની સુરક્ષા કરવા માટે સક્ષમ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ તાનાશાહ જનરલ મુશર્રફે ઓસામા બિન લાદેન સામેની અમેરિકી કાર્યવાહીને પાકિસ્તાનના સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો હતો. પાકિસ્તાની સેના દેશવાસીઓ વચ્ચે પોતાનો સિક્કો જમાવવા માટે છેલ્લા છ માસથી અમેરિકા સામે આકરું વલણ દર્શાવી રહી છે.

પાકિસ્તાની સેના પોતાના કથિત છાપ અને શાખ બચાવવા માટે હવાતિયાં મારી રહી છે. અમેરિકાની સંભવિત એકતરફી લશ્કરી કાર્યવાહીનો મુકાબલો કરવા માટે પાકિસ્તાની જનરલે કડક નિવેદન આપીને તેની સાબિતી પણ આપી દીધી છે. અમેરિકાને આપવામાં આવેલી જનરલ કયાનીની ચેતવણીના અર્થો પાકિસ્તાનતી વધારે સારી રીતે અન્ય કોઈ જાણી શકે તેમ નથી. કયાનીનું નિવેદન દુસ્સાહસની પરાકાષ્ઠા છે. જનરલ ક્યાનીએ નિવેદન આપ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાન સામે એક તરફી લશ્કરી કાર્યવાહી કરતાં પહેલા દશ વખત વિચારવું જોઈએ, કારણ કે પાકિસ્તાન ઈરાક અથવા અફઘાનિસ્તાન નથી. પાકિસ્તાન પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે. પરંતુ હકીકત એ છે કે જો અમેરિકા પોતાનો સંયમ ગુમાવી દેશે, તો પાકિસ્તાન પાસે કોઈ મોકો રહેવાનો નથી. પાકિસ્તાનને અમેરિકાનો ગુસ્સો ઈરાક અથવા અફઘાનિસ્તાનથી પણ બદતર સ્થિતિમાં પહોંચાડી શકે છે. વળી પાકિસ્તાનના જનરલ કયાનીએ યાદ રાખવું જોઈએ કે જ્યોર્જ બુશના કાર્યકાળ દરમિયાન રિચર્ડ આર્મિટેજે 9/11 બાદ અલકાયદાનો પક્ષ તાણી રહેલા જનરલ મુશર્રફને કડક ચેતવણી આપી હતી અને તેના કારણે પાકિસ્તાનને તાલિબાનો સાથે પોતાના દશકો જૂનાં સંબંધો ખતમ કરીને અફઘાનિસ્તાનમાં પોતાની વિદેશ નીતિ બદલવા માટે મજબૂર થવું પડયું હતું.

પાકિસ્તાન ફરીથી પોતાની મર્યાદાઓ ઓળંગી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાની સેનાના કેટલાંક મઠાધીશો માની બેઠા છે કે અમેરિકા સાથે ક્યારેય અથડામણ થવાની નથી. પરંતુ અમેરિકાને પોતાની પરમાણુ ક્ષમતાની ધમકી આપનારી પાકિસ્તાની સેનાએ સમજી લેવું જોઈએ કે અમેરિકા ભારત નથી. માની લો કે અફઘાન-પાક સીમા પર અમેરિકી સૈનિકો પર પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે, તો શું વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઘટનાનો બદલો લેવા માટે અફઘાનિસ્તાન સુધી દોડી આવનાર અમેરિકા પાકિસ્તાનને પાસરું કરવામાં કોઈ કચાશ ચોડશે? આવી પરિસ્થિતિમાં કદાચ પાકિસ્તાનનું નામોનિશાન મટી જાય તે હદે પણ અમેરિકા જઈ શકે છે. ક્રિયા અને પ્રતિક્રિયાના પાયાના સિદ્ધાંતથી પાકિસ્તાની જનરલ સારી રીતે વાકેફ છે. ભારત પર નિશાન સાધવા માટે આતંકવાદી જૂથોનો ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન ભારતના વાણીશૂરા રાજનેતાઓને સારી રીતે જાણે છે. તેના કારણે તેઓ સંસદ પર હુમલો અને મુંબઈ હુમલા જેવાં જઘન્ય આતંકીકાંડ કર્યા પછી પણ શાંતિથી સોડ તાણી શકે છે. પરંતુ પાકિસ્તાન અમેરિકા સાથે ભારત જેવો વ્યવહાર કરશે, તો અમેરિકા પાકિસ્તાનના આવા તત્વોને સદા માટે સુવડાવી દેશે. વળી ભારત પાકિસ્તાન પડોશી દેશો છે અને અમેરિકા પાકિસ્તાનથી 5 હજાર કિલોમીટર દૂર છે. ત્યાં સુધી પાકિસ્તાનના પરમાણુ હથિયાર પહોંચી શકે તેમ નથી. આવા સંજોગોમાં પાકિસ્તાનના પરમાણુ હથિયાર વાપરવાના કોઈપણ ઉબાડિયાંથી પાકિસ્તાનના અસ્તિત્વ સામે અમેરિકા બહુ મોટા જોખમો ઉભા કરવા માટે સક્ષમ છે.

તાલિબાનો સાથેની જુગલબંધી પાકિસ્તાનના અસ્તિત્વ માટે હવે સૌથી મોટું જોખમ છે. લશ્કરે તોઈબા પણ હવે પાકિસ્તાન વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને લશ્કરે તોઈબાને પાળ્યું-પોષ્યું છે અને તેના હિતોને આગળ વધાર્યા છે. અમેરિકા સામે પરમાણુ હથિયાર વાપરવાની ધમકી આપ્યા બાદ પણ પાકિસ્તાની જનરલ આવી કોઈ ગુસ્તાખી કરે તેવા પાગલ નથી. કારણ કે અમેરિકા પાકિસ્તાન સાથે સરહદો ધરાવતો દેશ નથી. વળી છેલ્લા કેટલાંક સમયથી પરિસ્થિતિએ કરવટ બદલી છે, ત્યારથી એક વાત સ્પષ્ટ બની છે કે અમેરિકા પોતાના સામરીક હિતોને ધ્યાનમાં રાખીને લાંબો સમય સુધી ધીરજ રાખવાની ભૂલ કરવા તૈયાર નથી. તેવા સંજોગોમાં પાકિસ્તાનની અક્કડ રહેવાની ગુસ્તાખી તેને ભારે પડી શકે તેમ છે.

તાજેતરમાં અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ હામિદ કરજાઈએ કહ્યું છે કે પાકિસ્તાન પર કોઈપણ દેશ હુમલો કરશે, તો તેવી પરિસ્થિતિમાં તે પાકિસ્તાનો સાથે આપશે. પરંતુ હકીકત એ છે કે હામિદ કરજાઈ અમેરિકા અને નાટો દળોની પરવાનગી વગર પાંદડુ પણ હલાવી શકે તેમ નથી. વળી લીબિયામાં નાટો દળોની મદદથી તાનાશાહ કર્નલ મુઅમ્મર ગદ્દાફીના 42 વર્ષના શાસનનો અમેરિકાના દોરીસંચારથી અંત આવ્યો છે. ત્યારે પાકિસ્તાન દ્વારા અમેરિકાને આંકવામાં ભૂલ કરવી ભારે પડી શકે તેમ છે.

શુક્રવાર, 27 મે, 2011

ભારતના ભાગલાથી દ.એશિયામાં અસ્થિરતા આવી


દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદમાંથી જન્મેલી આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય, આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદની વિચારધારાએ પોતાના સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા.

જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓના વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી.

દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું અથવા તો તે પ્રભાવ ઓસરી રહ્યો હતો. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં છે. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું.

કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે. અત્રે સર્વવિદિત છે કે ઈસ્લામિક કટ્ટરપંથના અફીણથી પેદા થયેલા ઈસ્લામિક આતંકવાદનો પાકિસ્તાની શાસકો ભારત સામે રાજકીય અને સામરીક હિતો પાર પાડવા માટે લગભગ અઢી દાયકાથી ઉપયોગ કરી રહ્યાં છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામિક ક્ટ્ટરપંથની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને આવા વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના આગે જ્યારે અમેરીકાને દઝાડયું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે ભારતની ઘોષિત વિદેશ નીતિ ગૂટનિરપેક્ષતાને વરેલી જ હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું.

તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. તેના કારણે ચીન અને અમેરીકા વચ્ચે તે વખતે કોઈ ઘર્ષણ ઉભું થયું ન હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા.

ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ હતી. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી.

તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે.

એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અત્રે એક વાત સ્પષ્ટ બની છે કે જો ભારતનું વિભાજન ન થયું હોત અને અખંડ સ્વરૂપમાં ભારત અસ્તિત્વમાં હોત અને અહીં સેક્યુલર બંધારણ સાથેની સરકાર હોત તો ઈસ્લામિક કટ્ટરપંથીઓને આતંકવાદ અને અંતિમવાદ સુધીનો છૂટ્ટોદોર મળ્યો ન હોત. અખંડ ભારત ચીન સામે પણ શક્તિસંતુલન સાધી શકવાની સ્થિતિમાં હોત. અથવા તો પરિસ્થિતિને બીજી રીતે જોવામાં આવે તો પાકિસ્તાનનું અસ્તિત્વ જ ઈસ્લામિક કટ્ટરપંથ અને આતંકવાદ માટે ઓક્સિજનનું કામ કરી રહ્યું છે.

1947ની પરિસ્થિતિ પ્રમાણે કદાચ વૈશ્વિક શક્તિઓને અખંડ ભારતની સંભવિત તાકાતનો ડર લાગ્યો હોઈ શકે. તેવા સંજોગોમાં તેમણે પોતાના સામરીક અને વૈશ્વિક રાજકીય હીતોને ધ્યાનમાં રાખીને ભારતના વિભાજનનો કારસો ઘડયો હોઈ શકે. ત્યારે તેવી પરિસ્થિતિમાં ધર્મના આધારે સેક્યુલર ભારત સામે અસ્તિત્વમાં આવેલા ઈસ્લામિક પાકિસ્તાનના કટ્ટરપંથીઓ ક્ષેત્રમાં અસ્થિરતા માટે સૌથી વધારે કારણભૂત સાબિત થઈ રહ્યાં છે. આમ હાલની દક્ષિણ એશિયાની અસ્થિરતા માટે ભારત વિભાજન સૌથી મોટું અને મુખ્ય કારણ છે. હાલ પાકિસ્તાનની સ્ટેટ મશીનરી સાથે આ કટ્ટરપંથીઓ એવી રીતે મળી ગયા છે કે તેમને જુદા પાડવા પણ અશક્ય થઈ રહ્યાં છે.

ત્યારે પાકિસ્તાનમાંથી કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો હાસિયામાં ધકેલાય તો દક્ષિણ એશિયામાં હવે સ્થિરતા અને શાંતિની પુનર્સ્થાપના થઈ શકે તેમ છે. આ તમામ કવાયતમાં અમેરીકા સહીતના દેશોએ પાકિસ્તાનનો સેક્યુલર ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. ભારત વિરોધથી શરૂ થયેલી ક્ષેત્રીય અસ્થિરતા અત્યારે વિશ્વને ડરાવી રહી છે.

અમેરિકામાં 9/11 તો સ્વામી વિવેકાનંદે પણ કર્યું હતું!


11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા ભારતીય સંન્યાસીએ કહેલી વાત વિચારીએ, તેમણે કહ્યું હતું કે ‘જેમ જુદાંજુદાં સ્થળેથી નીકળતાં નદીના અનેક વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ, જુદાંજુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરળ યા અટપટાં હોય, તો પણ અંતે તો એ બધાં તારા પ્રત્યે જ લઈ જાય છે.’ આ સંન્યાસી અન્ય કોઈ ન હતા પરંતુ દેશ-દુનિયાના સેંકડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ હતા.

સ્વામી વિવેકાનંદનું પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ

ભગવા વસ્ત્રોમાં સજ્જ કેસરી પાઘડીવાળા સ્વામી વિવેકાનંદનું તૈલચિત્ર આજે પણ દેશ અને દુનિયાના સેંકડો યુવાનોને પ્રેરણા આપી રહ્યું છે. તેમની આંખોના ભાવ આજે પણ ભારતના યુવાનોમાં નચિકેતાને શોધી રહ્યાં છે, કે જે ભારતને પરમ વૈભવે પહોંચાડી શકે. તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી બળ અને ધૈર્ય નીતરે છે.

જ્યારે તેઓ 1892માં અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં અસરકારક ભાષણ દ્વારા ભારતીય વેદાંતના સિદ્ધાંતોને તર્કબદ્ધ રીતે સમજાવીને પોતાના સ્થાન પર બેઠાં ત્યારે ત્યાં આવેલા તમામ ધર્માચાર્યો તેમની પ્રભાવી વાણીમાં હિંદુ ધર્મ અને તત્વજ્ઞાન અંગે સાંભળીને શું બોલવું? તે નક્કી કરી શક્યા ન હતા!

સ્વામી વિવેકાનંદની ઉંચી ખડતલ દેહયષ્ટિ, વેધક અને તેજસ્વી વિશાળ આંખો, ઘેરો અને સમૃદ્ધ એવો સ્વર તેમના પ્રતિભાશાળી તથા પ્રભાવશાળી વ્યક્તિત્વને વિશિષ્ટ શક્તિ પ્રદાન કરતાં હતા. તેઓએ ખરેખર 11 સપ્ટેમ્બર, 1892ના દિવસે વિશ્વ ધર્મ પરિષદમાં ભારત માટે ‘દિગ્વિજય’ કર્યો હતો. તેઓ ધાર્મિક હોવા છતાં સમર્પણ તેમના માટે સ્વભાવગત ન હતું! તેમનું મન એક વિજેતાનું મન હતું. શું તફાવત હતો સ્વામી વિવેકાનંદના વિચારોમાં અને અન્ય ધર્માચાર્યોના વિચારમાં? સ્વામી વિવેકાનંદે કોઈ જ વિદ્વતાપૂર્ણ નિંબધ વાંચ્યો ન હતો. તેમજ કોઈના ભલામણ પત્ર પણ સાથે લાવ્યા ન હતા. સૌને સવાલ થયો હતો કે ભારતથી આવેલા એક અજાણ સંન્યાસીએ કેવી રીતે આટલો ઉંડો પ્રભાવ પાડયો?

તેનો જવાબ સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના શિકાગો ખાતે થયેલા ઉદબોધનમાંથી મળી જાય છે. આ પરિષદમાં અન્ય ધર્માચાર્યો પોતાના ધર્મના ઈશ્વર અંગે બોલ્યા હતા, જ્યારે સ્વામી વિવેકાનંદ સૌના ઈશ્વર વિશે બોલ્યા હતા!જો કે આ વાત હજી સુધી સમજી ન શકનારા આપણે હજી પણ આપણાં ઈશ્વર માટેની લડાઈઓ ચાલુ રાખી છે.

ઓસામાના 9/11ને કદાચ સ્વામી વિવેકાનંદે પારખી લીધું હતું!


સ્વામી વિવેકાનંદે કદાચ 11 સપ્ટેમ્બર, 1893ના દિવસે જ ઓસામા બિન લાદેનના દોરી સંચાર હેઠળ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થનારા અમેરીકા પરના ભીષણ આતંકવાદી હુમલાને કદાચ જોઈ લીધો હશે. કારણ કે સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ઉદઘાટન વખતે બોલાયેલા શબ્દો તેના સાક્ષી છે.

વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાનઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે.’ સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદના ઘંટારવને યાદ કરીને કહ્યું હતું કે ‘આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદાંજુદાં માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃતિઓનો, સર્વઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતાં સર્વ ત્રાસનો મૃત્યુ ઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.’

વિશ્વમાં આતંકવાદની સૌથી મોટી ઘટના 11 સપ્ટેમ્બર, 2001ના દિવસે થઈ હતી. તેના વિલન અલકાયદા અને તેનો સરગના ઓસામા-બિન-લાદેન હતા. આ ઘટનાને આતંકના ઈતિહાસમાં 9/11ની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 11 સપ્ટેમ્બર, 1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના અજાણ્યા સંન્યાસી ભગવા વસ્ત્રધારી સ્વામી વિવેકાનંદે ભારત અને હિંદુ ધર્મનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજ કોઈ યુદ્ધ કરીને, કોઈ હિંસા કરીને કે કોઈ પ્રકારની બળજબરીથી મળેલા વિજયને કે ઓસામાના જેવા આતંકી કુકૃત્યોને પરિણામે ફરક્યો ન હતો. પણ પ્રેમ, સમજણ અને જ્ઞાન દ્વારા સ્વામી વિવેકાનંદે ભારતમાં જન્મેલા અને વિશ્વમાં અનેક સ્વરૂપે પ્રસરેલા સનાતન હિંદુ ધર્મની ધ્વજ પતાકા પોતાના ઓજસ્વી ભાષણથી ફરકાવી હતી.

આ પણ અમેરીકા પર એક હુમલો હતો, પણ આ હુમલો હતો અમેરીકા અને અન્યોના જ્ઞાનના ગરુર પરનો હુમલો. આ એવો હુમલો હતો કે જેમાં એક પણ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ઘાયલ થઈ ન હતી કે મૃત્યુ પામી ન હતી. હા, ત્યાં ઉપસ્થિત સેંકડો લોકો સ્વામી વિવેકાનંદના હિંદુ ધર્મ ચિંતન અને તત્વજ્ઞાનથી નતમસ્તક જરૂર થઈ ગયા હતા. 1893ના શિકાગોમાં થયેલા 9/11ના હીરો સ્વામી વિવેકાનંદ હતા.

વિશ્વ ધર્મ પરિષદમાં કહેલી સ્વામી વિવેકાનંદની વાતોને જો માનવ સમાજે યાદ રાખી હોત તો કદાચ 9/11ની ભીષણ આતંકવાદી હુમલાની ઘટના બની ન હોત. ધર્મો વચ્ચે સંવાદની પ્રક્રિયા સાધી શકાય હોત તો કદાચ જેહાદી આતંકવાદીઓના જથ્થા તૈયાર કરનારા ઓસામ બિન લાદેનો પેદા થઈ શક્યા ન હોત. સારા વિશ્વ ધર્મ સંવાદથી કદાચ ધર્મના નામે ચાલતો આતંકવાદ નિર્મૂળ કરી શકાશે. કદાચ ઓસામ બિન લાદેન અને તેના અનુયાયીઓની વિચારધારા અને માનસિકતાને વિશ્વમાંથી રૂખસદ આપી શકાશે.

તમારો અભિપ્રાય


વાચકમિત્રો સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ભાષણ સંદર્ભે અને તેમણે આપેલા દ્રષ્ટિકોણ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? તમને લાગે છે કે ભારતે સ્વામી વિવેકાનંદના વૈચારીક માર્ગદર્શન હેઠળ પોતાનો પથ નક્કી કરવો જોઈએ? ભારતીય તત્વજ્ઞાનને ઘેરાયથી સમજવાની જરૂર છે? તમારો મત અમને નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં લખીને મોકલી જણાવશો.