Saturday, February 4, 2012

મોદીને વડાપ્રધાનના ઉમેદવાર બનાવવા કે નહીં : ભાજપની દ્વિધા


bjp is at cross road on declaring narendra modi as pm candidate

જનમત સર્વેક્ષણો દુનિયામાં સાચા પડે છે. પરંતુ ભારત દુનિયાના આવા દેશોમાં અપવાદ છે. ભારતમાં જનમત સર્વેક્ષણ ભાગ્યે જ સાચા સાબિત થતા હોય છે. ભારતમાં આવા સર્વેક્ષણ વધારેમાં વધારે દેશના રાજકીય વલણનો અંદાજો આપી શકે છે. આવા સર્વેક્ષણ ચૂંટણી પરિણામોની વધારે નજીક હોય તેવું અપવાદરૂપ કિસ્સામાં જ બન્યું છે, તેમ છતાં એક ભારતીય પ્રકાશન સમૂહે દેશના મૂડને જાણવા માટે તાજેતરમાં એક સર્વેક્ષણ કર્યું છે. જેના કારણે ભાજપનો ચહેરો ખીલી ગયો છે. ખાસ કરીને સંગઠનમાં એવા લોકોના ચહેરા ખીલી ગયા છે કે જેઓ અનુભવે છે કે ભવિષ્ય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા સમૂહના હાથોમાં હશે.

આ સર્વેક્ષણના પરિણામો કોંગ્રેસ માટે હતાશાજનક અને ભાજપ માટે ઉત્સાહવર્ધક છે. સર્વે પ્રમાણે, જો આજે સામાન્ય ચૂંટણી થાય છે તો ભાજપને 140 બેઠકો મળે અને તે કોંગ્રેસથી આગળ નીકળી જશે. આ સર્વેમાં કોંગ્રેસને માત્ર 110 બેઠકો મળવાનું અનુમાન લગાવાયું છે. જ્યાં સુધી વ્યક્તિગત લોકપ્રિયતાનો સવાલ છે, ભવિષ્યમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પોતાના દાવાને બેગણો કરી લીધો છે. છ માસ પહેલા તેમને વડાપ્રધાન પદ માટે 12 ટકા સમર્થન મળ્યું હતું, પરંતુ હાલ તે વધીને 24 ટકા થઈ ગયું છે. તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે આ દોડમાં મોદી કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીથી આગળ નીકળી ગયા છે. સર્વેક્ષણ પ્રમાણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદ સંદર્ભે 17 ટકા સમર્થન મળ્યું છે. આ આંકડો છ માસ પહેલાના સર્વેક્ષણની સરખામણીએ ચાર ટકા ઓછો છે.

જો કે ભાજપે સર્વેક્ષણના પરિણામોથી ખુશી મનાવવા સાથે રાષ્ટ્રીય સ્તરે દેશના રાજકારણની અસ્થિરતાની પરિસ્થિતિનું પણ આકલન કરવું પડશે. સર્વેક્ષણના પરિણામોનું વિશ્લેષણ જણાવે છે કે એનડીએની યુપીએ પર પાતળી સરસાઈ રહેશે. આ બંને ગઠબંધનો લોકસભાની એક તૃતિયાંશ બેઠકો મેળવશે. બીજા શબ્દોમાં લોકસભા ત્રણ એકસરખા ભાગમાં વહેચાઈ જશે. જેમાં એનડીએ, યુપીએ અને ત્રીજી શક્તિ જેમાં ડાબેરી પક્ષો અને પ્રાદેશિક પક્ષો સંતુલન સ્થાપિત કરશે.

ટૂંકમાં આગામી સરકાર એવા સમીકરણો વચ્ચે બનશે, જેમાં પ્રાદેશિક પક્ષો અને ડાબેરીઓની ભૂમિકાને નજરઅંદાજ કરી શકાશે નહીં. નવીન પટનાયક, જયલલિતા અને ચંદ્રાબાબુ નાયડુ સત્તા સમીકરણ નિર્ધારીત કરવાની સાથે જ વડાપ્રધાન કોણ બનશે તે પણ નક્કી કરી શકે તેવી ભૂમિકામાં આવશે. ભારતના રાજકારણમાં એક બાબત સંજોગો ઉપર છોડી દેવાય છે અને તે વડાપ્રધાનનું પદ છે...કોંગ્રેસ હોય કે ભાજપ બઘાં પક્ષોએ હકીકતનો સ્વીકાર કરવો પડે છે.

સર્વેક્ષણમાં વડાપ્રધાન પદની દોડમાં સૌથી આગળ રહેલા નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમના માટે અત્યારે બધું જ સારું ચાલી રહ્યું નથી. વડાપ્રધાન તરીકેની તેમની દાવેદારીથી એનડીએનો એક વર્ગ અને બહારથી ટેકો આપનારા સહયોગી વિદ્રોહનું બ્યૂલ બજાવી શકે છે. કારણ કે આ લોકો નરેન્દ્ર મોદીને મતોના ધ્રુવીકરણના એજન્ટ માને છે. તેમને લાગે છે કે નરેન્દ્ર મોદીને કારણે મુસ્લિમ મતદારો તેમનાથી દૂર થાય છે. જયલલિતા અને નવીન પટનાયક નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદ માટેની દાવેદારીને ટેકો આપી શકે છે. પરંતુ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ કોઈપણ કિંમતે આવું કરશે નહીં.

વળી સર્વેક્ષણના પરિણામો પ્રમાણે, ભાજપ 140 બેઠકો સુધી ત્યારે પહોંચશે કે જ્યારે તે એનડીએનું અંગ હશે અને ચૂંટણી પહેલા પોતાના નેતૃત્વનો ખુલાસો ન કરે તે મહત્વનું પગલું હશે. જો નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરે છે, તો આ આંકડો વધશે કે ઘટશે? વળી એનડીએ વિસ્તરશે કે સંકોચાશે? તે પણ મહત્વના વિચારણીય મહાપ્રશ્નો ભાજપ સામે મોઢું ફાડીને ઉભા છે.

એમા કોઈ શંકા નથી કે મોદી આખા દેશમાં ભાજપના સૌથી વધારે લોકપ્રિય નેતા છે. પરંતુ પ્રચલિત ધારણા પ્રમાણે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં ભાજપ માટે ઘણાં રાજકીય જોખમો છે. આમ તો મોદીની ઉપસ્થિતિ બધાંને ઊર્જાથી ભરી દે છે, પરંતુ તેઓ તેમની ચારે બાજુ આભામંડળ બનાવી શકશે તેના પર શંકા પ્રવર્તી રહી છે. મોદી ભાજપના કોઈ અભિયાનને પ્રેરીત કરશે તો તેઓ સુશાસનના પક્ષધરોને આકર્ષિત કરશે, તો બીજી તરફ એવો વર્ગ મજબૂત થશે કે જે તેમને ખરાબીનું પ્રતીક માને છે. આમા મીડિયાનો એક મોટો વર્ગ પણ સામેલ હશે. કારણ કે મોદી પાસે આ વર્ગ માટે કોઈ સમય નથી. તેની સાથે બુદ્ધિજીવી વર્ગ મોદી વિરુદ્ધ આકરા હુમલા કરવામાં કોઈ કસર છોડશે નહીં.

બુદ્ધિજીવીઓ એકસૂરમાં દેશને જણાવશે કે મોદી દેશના વડાપ્રધાન બની જશે તો તેઓ મુસ્લિમો સાથે એવો વ્યવહાર કરશે કે જેવો જર્મનીમાં દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે હિટલરે યહૂદીઓ સાથે કર્યો હતો. તેઓ પ્રચાર કરશે કે મોદી મુસ્લિમોને નાગરીક અધિકારોથી વંચિત કરી દેશે. કારણ કે મોદીનું સદભાવના મિશન આવા વર્ગમાં તેમના માટે સદભાવના ઉભી કરે તેવી શક્યતા ઘણી ઓછી છે.

આ અભિયાનનો એક માત્ર ઉદેશ્ય હશે કે સામાન્ય ચૂંટણીઓને મોદી પર જનમત સંગ્રહમાં બદલવી અને યુપીએના કુશાસનથી લોકોનું ધ્યાન હટાવવું. કોંગ્રેસની નેતાગીરી માને છે કે જો મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બને છે તો બિનભાજપી વોટો તેમની સાથે આવી શકે છે. ત્યારે ભાજપનું ભવિષ્ય સૌહાર્દ અને મેળમિલાપની ભાવના પર અને તેની સંઘીય માળખાને મજબૂત કરવાની તેની ઈચ્છા પર નિર્ભર કરે છે. કેન્દ્રીકરણના વિચારનો ત્યાગ કરીને ભાજપ વધારેમાં વધારે પ્રાદેશિક પક્ષોને પોતાની સાથે લઈ શકે છે.

જો કે અત્યારની સ્થિતિ જોતા લાગે છેકે ભાજપના નેતાઓ હજી પોતાના રંગમાં આવ્યા નથી. સાચું એ છે કે મોદીએ ઘણાં વખત પહેલા જ પોતાની ક્ષમતાઓનું આકલન કરી લીધુ હતું. તેમને વધારે પ્રયત્ન કરવાની જરૂર છે અને પોતાના સદભાવના મિશનમાં બાકીના ભારતમાં વાસ્તવિક સદભાવનાનો સંદેશ તેમણે આપવો પડશે. ભાજપમાં એક વર્ગ હજુ પણ માને છે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા એક દુસ્સાહસિક પગલું હશે. ત્યારે હવે ભાજપના હાથમાં છે કે તેઓ ક્યાં પ્રકારનું જોખમ ઉઠાવે? કારણ કે ભાજપમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરાવવા થનગનતો વર્ગ પણ નાનો નથી.

વળી કોર્પોરેટ જગત અને આરએસએસની નેતાગીરીમાં નરેન્દ્ર મોદીનું રાજકીય વજન ઘણું વધારે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ સંઘના સીધા હસ્તક્ષેપ બાદ જ કેશુભાઈ પટેલનું સ્થાન લીધું હતું. બની શકે કે આવો કોઈ ગણતરીપૂર્વકનો ચમત્કાર સંઘ ફરીથી કરે...!!!

No comments:

Post a Comment