Monday, February 6, 2012
યૂપીના મહાભારતમાં રાહુલ-પ્રિયંકા, 2014માં તાજપોશી માટેની નેટ પ્રેક્ટિસ!
pm candidates of congress will be young now
તાજેતરમાં ભારતીય રાજકારણમાં યુવા નેતૃત્વની ભારે ચર્ચા છે. કોંગ્રેસ હોય કે ભાજપ પરંતુ તેઓ નેતાગીરીમાં યુવાનોની વાત કરી રહ્યા છે. કોંગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવારના ફરજંદ રાહુલ ગાંધી હાલ 42 વર્ષના છે અને કોંગ્રેસની તમામ મશીનરી રાહુલ ગાંધીને તેમના વંશ સિવાય તાર્કિક રીતે પક્ષમાં પ્રસ્થાપિત કરવામાં લાગી ગઈ છે.
રાહુલ ગાંધીએ યૂથ કોંગ્રેસમાં આગળ પડતો ભાગ લીધો છે અને સાથે સક્રિય રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી છે. બિહાર વિધાનસભામાં કોંગ્રેસના રકાસ બાદ રાહુલ ગાંધીની આકરી ટીકા થઈ હતી. પરંતુ તેમ છતાં રાહુલ ગાંધી યૂપીમાં પણ કોંગ્રેસની આગેવાની લઈ રહ્યા છે. યૂપીમાં કોંગ્રેસના સારા દેખાવનો યશ-અપયશ રાહુલ ગાંધીના માથે ઓઢાડવામાં આવશે. જો યૂપીમાં કોંગ્રેસ સારો દેખાવ કરશે તો આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના કોંગ્રેસી ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે તેવી વાત પણ ખૂબ પ્રચલિત બની છે.
તાજેતરમાં ચૂંટણી પ્રચારમાં ઉતરેલા પ્રિયંકા ગાંધી અને તેમના પતિના નિવેદનો પણ દર્શાવી રહ્યા છે કે કોંગ્રેસનું સમગ્ર ધ્યાન રાહુલ ગાંધીની નેતાગીરીને તાર્કિક બનાવવા પર છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે તેમને જરૂર લાગશે, તો તેઓ રાજકારણમાં આવશે. એટલે કે તેનો ગર્ભિત અર્થ એવો તો નથી ને- કે રાહુલ ગાંધી પોતાની નેતાગીરીની તાર્કિકતા જનતામાં સાબિત કરવામાં નિષ્ફળ જશે તો તેઓ રાજકારણમાં આવશે.
તાજેતરમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે તેઓ વરસાદી દેડકી જ છે અને ચૂંટણી સમયે જ બહાર આવે છે. પરંતુ તેમણે રાજકારણમાં જોડાવાના સંકેત આપતા કહ્યુ કે તેમને જ્યારે જરૂર લાગશે ત્યારે તેઓ રાજકારણમાં આવશે. તેમણે કહ્યુ કે તમે પહેલા રાજનાથજી અને માયાવતીને પુછી આવો કે શું તેઓ રાજકારણમાં આવે? તેમણે કહ્યું હતું કે તેઓ જ્યારે રાજકારણમાં આવશે, ત્યારે તમને આપોઆપ ખબર પડી જશે.
રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાઢેરાએ કહ્યુ છે કે અત્યારે રાહુલ ગાંધીનો સમય છે, પ્રિયંકાનો સમય પણ આવશે. તેમણે ખુદ પણ રાજકારણમાં ઉતરવાની ગર્ભિત ઈચ્છા સ્પષ્ટપણે વ્યક્ત કરતા કહ્યુ છે કે તેમને લાગશે કે તેઓ પરિવર્તન કરી શકશે તેવું લાગશે અને જનતા ઈચ્છશે ત્યારે તેઓ રાજકારણમાં ઉતરશે.
યુવાનો દેશની દશા અને દિશા બદલતા હોય છે. ભારતની આઝાદીની લડાઈથી માંડીને દુનિયાની મોટામાં મોટી ક્રાંતિ તેની સાક્ષી છે કે યુવાનો વગર કોઈ પરિવર્તન ક્યાંય પણ શક્ય નથી. યુવાનોની તકદીર દેશની તકદીર હોય છે. જ્યારે યુવાનોનું ભાગ્ય બદલાય છે, ત્યારે દેશનું ભાગ્ય પણ આપોઆપ બદલાય જાય છે.
પરંતુ ભારતમાં રાજીવ ગાંધી સિવાય કોઈ યુવા અવસ્થામાં વડાપ્રધાન બની શક્યું હોય તેવું શક્ય બન્યું નથી. ભારતમાં રાજકારણને ઢળતી ઉંમરનો ખેલ ગણવામાં આવી રહ્યો છે. કબરમાં પગ લટકતા હોય અથવા તો ઘૂંટણ બરોબર કામ કરતાં ન હોય તેવા વખતે દેશના વડાપ્રધાન બની જવાના કિસ્સા ભારતમાં સામાન્ય છે.
ભારતમાં 50ના નેતાને યુવાન કહેવામાં આવે છે, ત્યારે 40થી 45 વર્ષની ઉંમરના નેતાઓ વિશ્વના મહાસત્તા તરીકે પ્રસ્થાપિત દેશોના સુકાન સંભાળે છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુનની ઉંમર 43 વર્ષ છે, બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ 45થી ઓછી ઉંમર ધરાવતા હતા. બિલ ક્લિન્ટન પણ ઓછી ઉંમર ધરાવતા હતા. રશિયાના વ્લાદિમીર પુતિન પણ બોરિસ યેલસ્તિન પાસેથી સત્તાના સુકાન સંભાળ્યા ત્યારે યુવાન હતા.
પરંતુ ભારતમાં સ્થિતિ તદ્દન ઉલ્ટી છે. ભારતમાં જવાહરલાલ નેહરુ 58 વર્ષે, ગુલઝારીલાલ નંદા 66 વર્ષે, લાલબહાદૂર શાસ્ત્રી 60 વર્ષે, ઈન્દિરા ગાંધી 49 વર્ષે, મોરારજી દેસાઈ 81 વર્ષે, ચરણસિંહ 77 વર્ષે, રાજીવ ગાંધી માત્ર 40 વર્ષે, વી. પી. સિંહ 58 વર્ષે, ચંદ્રશેખર 72 વર્ષે, નરસિંહરાવ 70 વર્ષે, વાજપેયી 72 વર્ષે, દેવેગૌડા 63 વર્ષે, આઈ. કે. ગુજરાલ 78 વર્ષે અને મનમોહન સિંહ 72 વર્ષે વડાપ્રધાન બન્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આઝાદી બાદ ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું અને યુવાનીમાં સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવનારા સરેરાશ નેતાઓ 60 વર્ષથી ઉપરના હતા. જેના કારણે વર્ષો સુધી ભારતમાં વયોવૃદ્ધ નેતાઓનું રાજનીતિમાં ભારે વર્ચસ્વ રહેલું છે.
પરંતુ ઉપરોક્ત આંકડા પરથી એક આંખ ઉડીને આંખે વળગે છે કે જવાહરલાલ નેહરુ 58 વર્ષે, ઈન્દિરા ગાંધી 49 વર્ષે અને રાજીવ ગાંધી માત્ર 40 વર્ષે વડાપ્રધાન બન્યા હતા. આમા એક વાત સામાન્ય છે કે જવાહરલાલ નેહરુ જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા, ત્યારે તેમની ઉંમર ચાલીસ વર્ષની હતી. તેમને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા બાદ કોંગ્રેસમાં યુવાનોની વાત અને યુવા નેતૃત્વની વાત કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીને પણ રાજકારણમાં પ્રસ્થાપિત કરવા માટે યુવા નેતૃત્વની વાત કરીને મોરારજી દેસાઈ અને કામરાજ જેવા જૈફ વયના રાજકારણીઓને સર્વોચ્ચ નેતૃત્વ લેવાથી દૂર રાખવામાં આવ્યા હતા.
ઈન્દિરા ગાંધીની દુર્ભાગ્યપૂર્ણ હત્યા બાદ કોંગ્રેસના નેતૃત્વે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવી દીધા હતા. તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 40 વર્ષની હતી. રાજીવ ગાંધીના સમયગાળામાં પણ દેશમાં યુવાનોને રાજકારણમાં આગળ આવવાની વાત ફરીથી ઉછળી હતી. રાજીવ ગાંધીએ 18 વર્ષની વયના વ્યક્તિને મતાધિકાર આપીને યુવાકાર્ડ ખેલ્યું હતું.
હાલ યુવાનોના નેતૃત્વની વાત કરનારી કોંગ્રેસે રાજીવ ગાંધીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં 70 વર્ષના નરસિંહરાવને વડાપ્રધાન બનાવ્યા હતા. તો 2004ની ચૂંટણી બાદ સોનિયા ગાંધીના વડાપ્રધાન પદના ત્યાગના એપિસોડ બાદ 72 વર્ષના ડૉ. મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ છે કે શું આ બંને પ્રસંગે કોંગ્રેસ પાસે યુવા નેતૃત્વનો કોઈ વિકલ્પ હતો નહીં? અથવા કોંગ્રેસમાં યુવા નેતૃત્વના વિકલ્પ માત્ર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વઢેરા જ છે.
દેશની 15 લોકસભામાં 2009માં ચૂંટાયેલા 79 સાંસદો 40 વર્ષથી નીચેની ઉંમરના હતા. માત્ર 36 સાંસદો 70 વર્ષ કે તેથી ઉપરની ઉંમરના હતા. હાલની લોકસભાના સાંસદોની સરેરાશ ઉંમર 53.30 વર્ષ છે. રાહુલ ગાંધી હાલ 42 વર્ષના છે અને પ્રિયંકા ગાંધી 40 વર્ષના છે.
ભારતમાં છેલ્લા એક દશકાથી દેશમાં યુવા નેતૃત્વની વાત થઈ રહી છે. આરએસએસના તત્કાલિન સરસંઘચાલક કે. એસ. સુદર્શને અટલ-અડવાણીના જૈફ નેતૃત્વ પર ગાળિયો કસવા યુવાનોના હાથમાં નેતૃત્વ આપવાની વાત કરી હતી. ત્યાર બાદ ખુદ તેમણે સરસંઘચાલક પદ છોડીને મોહન ભાગવતને સરસંઘચાલક પદ આપ્યું હતું. યુવા નેતૃત્વની વાતથી 86 વર્ષના અડવાણીના વડાપ્રધાન પદે આસિન થવાની આશાઓ બિલકુલ ઝાંખી થઈ છે. તો કોંગ્રેસમાં યુવા નેતૃત્વની લહેરે યુવા કોંગ્રેસ અને યૂથ કોંગ્રેસના રાહુલ ગાંધીના રાજકારણથી પોતાને પક્ષના નેતૃત્વ પર જનતાની નજરમાં તાર્કિક રીતે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
હાલના પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાઢેરાના નિવેદનો પરથી સ્પષ્ટ લાગી રહ્યુ છે કે તેમણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદે પહોંચાડવા માટેના તમામ રસ્તા મોકળા રાખ્યા છે. તેમના તરફથી હાલ કોઈ વિકલ્પ કોંગ્રસીઓ માટે ઉપલબ્ધ નથી. જો કે ભવિષ્યમાં તેઓ વિકલ્પ બની શકે તેવું પણ તેમના નિવેદનો પરથી પ્રતિપાદિત થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કરતાં પણ ઈન્દિરા ગાંધીના પડછાયા સમા પ્રિયંકા ગાંધી વાઢેરાને વધારે ક્રાઉડ પુલર માનવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બનવાની પોતાની અટકળો વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેમનો ઉદેશ્ય વડાપ્રધાન બનવાનો નથી. તેઓ યૂપીમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે.
પરંતુ અત્યારે તમામ કોંગ્રેસી મશીનરી યૂપીમાં જીત હાસિલ કરીને રાહુલ ગાંધીને રાજકારણમાં પ્રસ્થાપિત કરવામાં લાગી ગઈ છે. પરંતુ ભારતનું દુર્ભાગ્ય છે કે સદભાગ્ય પણ 60થી નીચેની ઉંમરે વી. પી. સિંહના અપવાદને બાદ કરતાં માત્ર નેહરુ-ગાંધી પરિવારના વ્યક્તિઓ જ વડાપ્રધાન બની શકે છે. તેમા રાહુલ ગાંધી માટે પણ યૂપીમાં કોંગ્રેસના સારા દેખાવ સાથે વડાપ્રધાન બનવા માટેના દરવાજા તાર્કિક રીતે ખુલ્લા થઈ જશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment