Saturday, February 4, 2012

ભાજપ હવે નરેન્દ્ર મોદીને PM પદ માટે પ્રોજેક્ટ કરી રહ્યું છે


bjp is now projectin narendra modi as pm candidate

એક સીએમની પીએમ તરીકેની સફર હવે શરૂ માનવામાં આવી શકે છે. ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ એક ટેલિવિઝન ચેનલને મુલાકાતમાં જણાવ્યુ કે નરેન્દ્ર મોદીમાં ભાજપ અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન એમ બંને બનવાની અસાધારણ ક્ષમતા છે. જો કે તેમણે કહ્યુ હતુ કે ભાજપના નેતાઓ સાથે મળીને યોગ્ય સમયે વડાપ્રધાન પદના ઉમેદવારને નક્કી કરશે. બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ પણ ગડકરીના સૂરમાં સૂર મિલાવીને દહેરાદૂનમાં જણાવ્યું છે કે મોદીમાં દેશના વડાપ્રધાન બનવાની અસાધારણ ક્ષમતા હોવાના ગડકરીના અભિપ્રાય સાથે સંમત છે.

જો કે ગડકરીનું છ માસ પહેલાનું નિવેદન પણ યાદ કરવા જેવું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં કોઈને વડપ્રધાનના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે નહીં અને પાર્ટીમાં વડાપ્રધાન પદના ઘણાં દાવેદાર છે. રાજકીય સંકેતો અને ભાજપના સૂત્રોનું માનીએ તો પાર્ટીમાં વડાપ્રધાન પદના દાવેદાર નેતાઓમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી, યશવંત સિંહા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનનો સમાવેશ થાય છે. આ સિવાય જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વડાપ્રધાન પદની દોડમાં ‘ડાર્ક હોર્સ’ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પરંતુ 2012ના ડીસેમ્બર માસમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહેલા ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ ટેલિવિઝન ચેનલને મુલાકાતમાં સ્પષ્ટ કર્યુ હતુ કે તેઓ વડાપ્રધાન પદની કોઈની દાવેદારીને તોડવાનું કામ કરશે નહીં અને મોદી જો ભાજપના અધ્યક્ષ તરીકે સૂત્રો હસ્તગત કરવા ઈચ્છતા હશે તો તેઓ તેનું સમર્થન કરશે. ગડકરીએ પોતાનો ભાજપ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ લંબાવવામાં રસ ધરાવતા ન હોવાની વાત પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે.

આ સ્પષ્ટ સંકેત છે કે હિંદુત્વના પાટા પર મોદીત્વની ગાડીને વિકાસના ડબ્બામાં સદભાવના યાત્રીઓ સાથે દિલ્હી સ્ટેશને જવા માટે ભાજપ અધ્યક્ષ તરફથી લીલીઝંડી દેખાડવામાં આવી છે. એક તરફ દેશમાં યુપીએ વિરુદ્ધ વાતાવરણ સપાટી પર દેખાઈ રહ્યું છે. તેના કારણે દેશમાં વચગાળાની ચૂંટણીઓની આશંકા વચ્ચે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના એનડીએને સફળતા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પરંતુ તેનો લિટમસ ટેસ્ટ યૂપી, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા એમ પાંચ રાજ્યોની ચૂંટણીમાં થવાનો છે. ત્યારે આવા સમયે ગડકરીનું વિધાન સ્પષ્ટ કરે છે કે હવે ભાજપ મોદીને વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરવા માંગે છે. વળી બિહારમાં ચૂંટણી પ્રચાર અભિયાનથી દૂર રહેલા મોદી હવે યૂપીમાં પ્રચાર કરશે. તેઓ યૂપીમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે સદભાવના મિશનની શરૂઆત વખતે જ નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. અમેરિકી કોંગ્રેસની એક એજન્સીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 2014માં લોકસભાની ચૂંટણીનો જંગ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનો જંગ બની રહેશે. તેમા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર માનવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદીના સુશાસન, વિકાસ અને ભ્રષ્ટાચારને લગામ કસવાની નીતિની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

ત્યાર બાદ ગત વર્ષ સદભાવના મિશનની શરૂઆતના 55 કલાકના ઉપવાસ દરમિયાન પણ ભાજપના વરિષ્ઠ નેતાઓએ મોદીના ઉપવાસમાં સામેલ થઈને તેમની પીએમની ઉમેદવારી સંદર્ભે સદભાવના દર્શાવી હોવાના સંકેતો આપ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગમાં તે વખતે લખ્યુ હતુ કે હવે અમેરિકી નેતાઓ અને વિદેશ મંત્રાલયની એ વાતને મહત્વ આપવામાં આવી રહ્યું છે કે ભાજપ સત્તામાં પાછું ફરશે અને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે, કારણ કે અમેરિકી વિશ્લેષકોનું માનવું છે કે એક પછી એક ગોટાળાને કારણે કોંગ્રેસના જનાધારમાં ખૂબ મોટો ઘટાડો થયો છે.

તે વખતે રાજકીય વિશ્લેષકોએ અડવાણીના બ્લોગ પરથી ક્યાસ લગાવ્યો હતો કે તેમણે મોદીને વડાપ્રધાન બનવા માટે પોતાના આશીર્વાદ આપી દીધા છે અને તેમને પણ દેખાઈ રહ્યુ છે કે મોદી દેશના આગામી વડાપ્રધાન બની શકે છે અને માની લીધુ છે કે મોદી જ આ પદ માટે ભાજપના સૌથી વધારે કાબેલ નેતા છે.

ઉલ્લેખનીય છે કે 2009માં એનડીએ તરફથી પીએમ ઈન વેઈટિંગ રહેલા અડવાણીને 2014માં પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયત્ન ભાજપની એક લોબી કરી રહી છે. પરંતુ ખુદ અડવાણીએ ભૂતકાળમાં માન્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર છે. બાદમાં તેમણે પોતાના નિવેદનને વધારે કૂટનીતિક બનાવીને રજૂ કર્યું છે.

તાજેતરમાં ચેન્નઈમાં તુઘલક મેગેઝીનના વાર્ષિકોત્સવમાં અડવાણીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીનું રાજકીય કદ વધવાથી તેમને ઘણી ખુશી થઈ રહી છે. આ કાર્યક્રમમાં તુઘલક મેગેઝીનના તંત્રી અને રાજકીય વિશ્લેષક ચો. રામાસ્વામીએ પણ મોદીને રાષ્ટ્રીય સ્તરે મોટી અને મહત્વની ભૂમિકામાં લઈ જવાની વાતની તરફેણ કરી હતી.

જો કે તાજેતરમાં મોદી સંદર્ભે ગડકરી દ્વારા કરવામાં આવેલા નિવેદનના ઘણાં રાજકીય અર્થ નીકળી શકે તેમ છે. કુશવાહ કાંડ બાદ ગડકરીની પક્ષ અને પક્ષની બહાર ઘણી ફજેતી થઈ છે. તેને કારણે તેઓ કુશવાહ કાંડથી ભાજપના નેતાઓનું ધ્યાન બીજે હટાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોઈ શકે. વળી તેમની ડીસેમ્બર માસમાં ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે સંઘ તરફથી તેમના અથવા ભાજપ પર કોઈ દબાણ હોઈ શકે કે હવે તેમનો ‘નાઈટ વોચમેન’નો રોલ પૂરો થઈ રહ્યો છે. આ સિવાય મોદીની ગુજરાત અને ગુજરાત સિવાયના રાજ્યમાં ખૂબ મોટી લોકપ્રિયતા છે, તેનો પાંચ રાજ્યોની ચૂંટણીમાં લાભ લેવાનો પણ કોઈ ઉદેશ્ય ગડકરીના વિધાન પાછળ હોઈ શકે. આ સિવાય ભાજપની નેતાગીરી પર કોર્પોરેટ લોબીનું પણ દબાણ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ચીન-જાપાન જેવા દેશો પણ મોદીમાં ભારતના આગામી વડાપ્રધાન જોઈ રહ્યા છે. 2009ના વાઈબ્રન્ટ ગુજરાત વખતે દેશના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટા, કુમારમંગલમ બિરલા, સુનિલ મિત્તલે નરેન્દ્ર મોદીમાં ભારતના વડાપ્રધાન બનવાની સ્પષ્ટ સંભાવના જોઈ હતી.

અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે તેમના પિતા ધીરુભાઈ અંબાણી પણ મોદીને લાંબી રેસનો ઘોડો કહેતા હતા. તેમણે કહ્યુ હતુ કે જો એક નરેન્દ્ર મોદી ગુજરાત માટે આટલું બધું કરી શકે છે, તો ભારત માટે ઘણું બધું સંભવ થઈ જશે જો નરેન્દ્ર મોદી દેશના નેતા તરીકે મળી જાય.

સુનિલ મિત્તલે અનિલ અંબાણીની વાતને આગળ વધારીને કહ્યુ કે તેઓ કહેવા માંગે છે કે જો દેશમાં કોઈ સીઈઓ છે, જે એક કંપની નથી, એક સેક્ટર નથી, એક પ્રદેશ નથી, એક દેશને ચલાવી શકે છે તો તે નરેન્દ્ર મોદી છે.

મહત્વપૂર્ણ છે કે 2009ની લોકસભાની ચૂંટણીમાં અડવાણી એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને તેવામાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા સંદર્ભેના ઉદ્યોગપતિઓના અભિપ્રાયો બાદ ભાજપે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવી પડી હતી કે તે વખતની લોકસભાની ચૂંટણીમાં અડવાણી જ ભાજપ અને એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે 2007ની વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક સપ્તાહ પહેલા જ અડવાણીને 2009ની દોઢ-બે વર્ષ બાદની લોકસભાની ચૂંટણી માટે રાજકીય ગણતરી સાથે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

2009ના લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી નિષ્ફળતાના દોષનો ટોપલો અડવાણીની વડાપ્રધાન પદ માટેની ઉમેદાવારી પર ઓઢાડી દેવામાં આવ્યો હતો. પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમારના ઘોર વિવાદને કારણે નરેન્દ્ર મોદીને પ્રચાર અભિયાનથી દૂર રાખવામાં આવ્યા હતા. ત્યારે સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે બિહાર પાસે તેમના મોદી છે. (સુશીલ કુમાર મોદી જેઓ હાલ બિહારના નાયબ મુખ્યમંત્રી છે) સુષ્માએ કહ્યુ હતુ કે મોદી મેઝિકની બિહારમાં જરૂર નથી. ત્યાર બાદ સુષ્મા સ્વરાજ અને મોદી વચ્ચે સંબંધોમાં થોડી કટુતા આવી હોવાના મીડિયા અહેવાલો પણ ચમક્યા હતા.

ભાજપના ઈન્દૌર ખાતેના રાષ્ટ્રીય અધિવેશનમાં સુષ્મા સ્વરાજે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનના ખૂબ વખાણ કર્યા હતા અને તેમને ભાજપના સંવેદનશીલ મુખ્યમંત્રી નંબર વન ગણાવ્યા હતા. આ સિવાય મીડિયા અહેવાલો પ્રમાણે, અરુણ જેટલી પણ વડાપ્રધાન પદની પોતાની દાવેદારીને મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. તો અહેવાલો પ્રમાણે, મોદીથી નારાજ સંઘ પણ ગડકરીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરે તેવા સમાચાર પણ ચમક્યા હતા. ગડકરી મધ્ય પ્રદેશમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી હતી. જો કે હવે ગડકરીએ કહ્યુ છે કે તેઓ ક્યારેય વડાપ્રધાન પદના દાવેદાર ન હતા. તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે મોદીની તરફેણમાં તેઓ સંઘના નેતૃત્વની હામી બાદ પોતાને આ દોડમાંથી બહાર કરી રહ્યા છે.

શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેએ પહેલા જ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ વધારવાની વાતને ટેકો આપી દીધો છે. તો બીજી તરફ તેમના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરે પણ ગુજરાતના પ્રવાસ દરમિયાન મોદીના ગુણગાન કરી ગયા છે. તેમણે કહ્યુ હતુ કે જો ભાજપ તરફથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના દાવેદાર બનાવવામાં આવશે, તો તેમની પાર્ટી નિશ્ચિતપણે તેનું સમર્થન કરશે. જો નરેન્દ્ર મોદી જેવા કાબેલ શખ્સ દેશના વડાપ્રધાન બનશે તો તેમને ખુશી થશે.

ત્યારે એક સીએમ હવે પોતાની પીએમ તરીકેની યાત્રાની તૈયારીના ભાગરૂપે સદભાવના મિશન કરી રહ્યા હોવાનું ઘણાં રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. મોદી પોતાની ઈમેજ મેકઓવર સાથે ક્યારે અને કેવી રીતે રાષ્ટ્રીય રાજનીતિની ફલકમાં આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગુજરાત વિધાનસભાની ટર્મ ડીસેમ્બર માસમા પૂર્ણ થાય છે. ત્યારે માનવામાં આવે છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય હાસિલ કરીને રાષ્ટ્રીય રાજકારણના અખાડામાં ઉતરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરીની ભાજપ અધ્યક્ષ તરીકેની ટર્મ પણ ડીસેમ્બરના આખરમાં સમાપ્ત થાય છે અને તેઓ હવે તેને લંબાવવા માટે તૈયાર નથી.

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો મોદીની પોપ્યુલારિટી ગુજરાત અને ગુજરાત બહાર સ્વચ્છ મુખ્યમંત્રી તરીકેની છે, આ પોપ્યુલારિટીને પાંચ રાજ્યોની ચૂંટણીમાં વટાવી ખાવા માટે પણ ગડકરી દ્વારા મોદીની વડાપ્રધાન પદની દાવેદારી આગળ કરતું નિવેદન કરાયું હોવાની વાત સંશોધનનો વિષય છે. જો કે આ સાથે એક વાત સ્પષ્ટ છે કે ભાજપમાં સંઘ અને/અથવા કોર્પોરેટ લોબીના દોરીસંચાર સાથે હવે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાનું ચાલુ કરી દીધું છે.

No comments:

Post a Comment