Monday, July 23, 2012

દ્વિરાષ્ટ્રવાદને ખોટો ઠેરવવા ભારતે હિંદુ ઓળખ ધારણ કરવી પડશે


પાકિસ્તાન ઈસ્લામના પાયા પર રચાયું છે. પાકિસ્તાન હિંદુ વિરોધના આધાર પર રચાયું છે. પાકિસ્તાન સહસ્ત્રાબ્દિઓથી અસ્તિત્વ ધરાવતા ભારત નામના રાષ્ટ્રના વિરોધના આધારે બન્યું છે. તેના કારણે પાકિસ્તાને પાછળથી બનાવેલી પોતાની રાજધાનીને ઈસ્લામાબાદ નામ આપ્યું છે. પરંતુ અખંડ ભારતના ભાગલા થકી પાકિસ્તાનના કપાયા બાદ બાકી રહેલા ખંડિત ભારતમાં હિંદુઓના નામે કોઈ વસ્તુ સરકારી રાહે થઈ નથી. ભારતના અસ્તિત્વના મૂળમાં હિંદુ તરીકે ઓળખાતી મહાજાતિની સનાતની વિચારધારા છે. ભારતમાં હિંદુઓની બહુમતી છે. ભારતનો આત્મા અને ઓળખ હિંદુઓની જીવનપદ્ધતિ છે. પરંતુ ભારતને હિંદુ ઓળખ હજી સુધી મળી શકી નથી. ભારતને હિંદુ ઓળખ નહીં મળવા માટે સૌથી વધારે જવાબદાર હોય, તો તે છે તથાકથિત સેક્યુલારિઝમના નામે વિભાજન કાળથી ભારતમાં વસી ગયેલા મુસ્લિમોની ખુશામતની નીતિ, મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ, મુસ્લિમોથી ભયભીત થઈને હથિયાર હેઠાં મૂકી દેવાની સરકારી નીતિ.

ભારતે સેક્યુલર બંધારણીય કલેવરમાં જે પણ કંઈ મેળવ્યું છે, તે ઘણું ઓછું છે. ભારતે હિંદુ ઓળખ સાથે આગળ વધવાનું નક્કી કર્યું હોત, તો દેશે આત્મવિશ્વાસ સાથે ઘણી વધારે સિદ્ધિઓ હાંસલ કરી હોત. ઈતિહાસ સાક્ષી છે કે ગાંધીજીએ દ્વિરાષ્ટ્રવાદના મહંમદ અલી ઝીણાના વિચાર સાથે દ્રઢતાથી અસહમતિ દર્શાવી હતી. દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતના ઈન્કાર સ્વરૂપે સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઈચ્છા છતાં ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ખંડિત ભારત તથા પાકિસ્તાનમાં હિંદુ-મુસ્લિમ વસ્તીઓની તબાદલા-એ-આબાદીની વાતનો અસ્વીકાર કર્યો હતો. જો કે ભારતમાં રહેનારો મુસ્લિમ પોતાને હિંદુ સંસ્કૃતિ અને ધર્મનું અભિન્ન અંગ ગણે તેવી માનસિકતા દેશમાં 1857ની પ્રથમ ક્રાંતિ પહેલા શરૂ થયેલા અરબસ્તાની વહાબી આંદોલનને કારણે શક્ય બની શકી નથી. વહાબી અને તેના જેવાં કટ્ટર ઈસ્લામપંથી નવજાગરણ આંદોલનોએ દ્વિરાષ્ટ્રવાદની મુસ્લિમ લીગી માનસિકતાને ખિલવા માટે ખુલ્લુ આકાશ પુરું પાડયું છે. મુસ્લિમોની ઉપાસના પદ્ધતિ અલગ હોવા માત્રથી તેમને હિંદુ સંસ્કૃતિ અને ધર્મથી અલગ ગણી ન શકાય તે વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત એ છે કે મુસ્લિમોની ઉપાસના પદ્ધતિ જ અલગ નથી, તેમણે વહાબી આંદોલન થકી પોતાની જીવનશૈલીને પણ હિંદુઓથી અલગ કરવા માટે ભરચક પ્રયત્નો કર્યા છે. જેમાં તેમને મહદઅંશે સફળતા મળી છે.

આમ પણ આક્રમણોના રસ્તે ભારતમાં પગ જમાવવામાં કામિયાબ થયેલા ઈસ્લામના અનુયાયીઓમાં ભરપૂર હિંદુ વિરોધ તો હતો. જેના કારણે દેશમાં ઘણી મોટી સંખ્યામાં હિંદુઓની કતલ કરવી મુસ્લિમ બાદશાહોનું ધાર્મિક કૃત્ય હતુ. હિંદુઓના ધર્માંતરણ મુસ્લિમ બાદશાહોની શાન ગણાતા. પરંતુ ભક્તિ આંદોલન અને સૂફીઓના વધતા પ્રભાવ હેઠળ હિંદુ-મુસ્લિમો ખરેખર એકમેકમાં ભળીને ભારતના હિંદુ પ્રવાહમાં સામેલ થઈ રહ્યા હતા. પરંતુ આ વાત અરબસ્તાન તરફ મોઢું રાખીને વટલાયેલા હિંદુઓને કટ્ટર મુસ્લિમ બનાવવાની મનસા સેવનારા મુલ્લા-મૌલવીઓને ખૂબ ખૂંચી હતી. તેથી ધાર્મિકતાના રંગમાં આ મૌલવીઓ અને મુલ્લાઓએ અરબસ્તાનના વહાબી આંદોલનને ભારતમાં ઈસ્લામના નવજાગરણ હેતુથી આણ્યું. જેના કારણે ભારતના મુસ્લિમોમાં કટ્ટરતાએ પગદંડો જમાવવા માંડ્યો.

વહાબી આંદોલન સિવાય પણ અન્ય કેટલાંક કટ્ટર ઈસ્લામપંથી આંદોલનો ભારતના જુદાંજુદાં વિસ્તારોમાં ચાલ્યા. જેનો હેતુ ભારતમાં મુસ્લિમના નામે અલગ અને કટ્ટર ધાર્મિક ઓળખ ઉભી કરીને હિંદુ સંસ્કૃતિ અને ધર્મમાં ભળવાને કારણે ઓછા થતા ઈસ્લામના પ્રવાહને નવજાગૃત કરવાનો હતો. કટ્ટર ઈસ્લામપંથી આંદોલનો થકી ભારતમાં મુસ્લિમો પોતાને હિંદુ સંસ્કૃતિ અને ધર્મથી અલગ ગણવા લાગ્યા. જેના ભાગરૂપે મુસ્લિમોએ ટૂંકો લેંઘો અને કમીઝનો પહેરવેશ અપનાવ્યો, જ્યારે હિંદુઓ ધોતી અને ઝભ્ભો પહેરતા. હિંદુઓ હિંદી સહીતની પ્રાદેશિક ભાષા બોલતા, પરંતુ મુસ્લિમોએ ઉર્દૂને પોતાની બોલચાલની ભાષા બનાવવાનો પ્રયત્ન કર્યો. હિંદુસ્થાનમાં હિંદુ-મુસ્લિમ લશ્કરી છાવણીઓમાં પેદા થયેલી ઉર્દૂ ભાષા મુસ્લિમોની ભાષા તરીકે ઓળખાવાની શરૂઆત થઈ. મુસ્લિમોએ હિંદુ સંસ્કૃતિ અને ધર્મની નાની-મોટી વાતોનો પોતાના નવજાગરણ આંદોલનમાં વિરોધ કરવાનું શરૂ કર્યું. ભાષા, પહેરવેશ, ખાનપાન, રહેણી-કરણીથી માંડીને તમામ નાની-મોટી વાતોમાં હિંદુઓથી અલગ દેખાવાની કોશિશ શરૂ કરી. મુસ્લિમ કટ્ટરપંથીઓને ઈસ્લામના અનુયાયીઓ પોતે અલગ રાષ્ટ્ર હોવાની ભાવનાને દ્રઢીભૂત કરવામાં સફળતા, સિંધ, સરહદ પ્રાંત, પાકિસ્તાન, ઉત્તર ભારત અને બંગાળમાં મોટા પ્રમાણમાં મળી.

એક રાષ્ટ્ર તરીકે અસંખ્ય આક્રમણો છતાં અકબંધ રહેલું ભારત કટ્ટર ઈસ્લામપંથી નવજાગરણના વહાબી જેવા આંદોલનોના તબક્કામાં જ દ્વિરાષ્ટ્રમાં રૂપાંતરીત થવા લાગ્યું હતું. આ દેશને એક રાષ્ટ્ર તરીકે ગણવો ભારતમાતા તરફની આપણી હિંદુ લાગણીનું કારણ છે. પરંતુ જ્યારે આપણે દેશને એક રાષ્ટ્ર તરીકે ગણતા હોઈએ અને તેવા વખતે દેશની બીજી મોટી વસ્તી મુસ્લિમો પોતાને અલગ રાષ્ટ્ર ગણતા હોય તો તેનું પરિણામ વિભાજન જ આવે. જે આપણે 1947માં દશ લાખ હિંદુઓની કત્લેઆમ સાથે જોઈ ચુક્યા છીએ. આઝાદી બાદ પણ ભારતમાં મુસ્લિમોમાં પોતે હિંદુઓથી અલગ રાષ્ટ્ર હોવાની ભાવના ગઈ નથી. ઉલ્ટાનું દેશના શાસકોની હિંદુ વિરોધી માનસિકતાથી ચાલેલી મુસ્લિમ ખુશામત અને તુષ્ટિકરણની સેક્યુલારિઝમની નીતિઓને કારણે મુસ્લિમોની પોતે અલગ રાષ્ટ્ર હોવાની ભાવના વધારે દ્રઢ બની છે. જેના પરિણામે દેશના ઘણાં મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ભારતથી અલગપણાની ભાવના સ્પષ્ટ દેખાય છે. જમ્મુ-કાશ્મીર તેનું સૌથી મોટું ઉદાહરણ છે કે જ્યાં 70 હજાર સૈનિકોના બલિદાન છતાં આજે પણ મુસ્લિમ આતંકવાદ અને અલગતાવાદે પગ જમાવેલો છે. કાશ્મીર ખીણમાં 97 ટકા મુસ્લિમ વસ્તી છે, જેના પરિણામે ત્યાં ખતરનાક રીતે આતંકવાદી પ્રવૃતિઓ ચાલી રહી છે.

આ સિવાય ભારતમાં ચાલતી ઈસ્લામિક આતંકવાદી પ્રવૃતિઓને દેશના અન્ય મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી ટેકો મળતો હોવાની વાત ગુપ્તચર સંસ્થાઓએ અલગ-અલગ સ્તરે કરી છે. સેક્યુલરવાદીઓની દલીલ છે કે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં બાંગ્લાદેશ બનવાને કારણે ઝીણાની દ્વિરાષ્ટ્રવાદની થિયરી ખોટી પડી છે. પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો બંને ધર્મના નામે 1947થી 1971 સુધી એક રહ્યા તે હકીકત સામે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. જો પાકિસ્તાનના શાસકોએ બાંગ્લાદેશ પ્રત્યે સ્નેહાળ અભિગમ અપનાવ્યો હોત, તો આજે પણ બંને એક હોત તે વાતનો પણ ઈન્કાર કરી શકાય તેમ નથી. ભાગલાના 65 વર્ષ બાદ પણ 1971 બાદનું પાકિસ્તાન અનેક ગૃહયુદ્ધો અને કપરી પરિસ્થિતિ છતાં ભારત સામે તો એકજૂટ થઈને ઉભું છે. 1971 બાદ બાંગ્લાદેશનું હજી સુધી વિભાજન થયું નથી. શું પાકિસ્તાન અને બાંગ્લાદેશની એકજૂટતાના પાયામાં ઈસ્લામ નથી? શું ઈસ્લામ સામે પાકિસ્તાન અને બાંગ્લાદેશની હાલની તમામ પ્રાદેશિકતાઓ નિષ્પ્રભાવી નથી? શું આ અખંડ ભારતમાં રહેલા મુસ્લિમોની પોતે અલગ રાષ્ટ્ર હોવાની માનસિકતાની સાબિતી નથી?

પાકિસ્તાન અને બાંગ્લાદેશ એકબીજા સાથે જમીનથી જોડાયેલા હોત, તો તેઓ અલગ થયા ન હોત અથવા ભારત 1971ના યુદ્ધની જેમ તેમને અલગ કરી શક્યું ન હોત. આજે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમો પોતે હિંદુઓ કરતા અલગ રાષ્ટ્ર હોવાની માનસિકતાને કારણે બંને દેશોના અસ્તિત્વ ટકાવી રાખીને જીવી રહ્યા છે. ખંડિત ભારત તરફથી ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના મહાસંઘ અથવા ભાગલા ખતમ થઈ જવાની દલીલો અલગ-અલગ સ્તરે જુદીજુદી સંસ્થાઓ અને લોકોએ કરી છે. પરંતુ પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં આવી કોઈ દલીલબાજી કે નિવેદનબાજી કરવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ શક્યતા નથી. તેનું કારણ છે કે તેઓ પોતાને હિંદુઓથી અલગ રાષ્ટ્ર માને છે. કોઈ અસ્તિત્વ ધરાવતી વસ્તુનો ઈન્કાર કરવાથી જમીન પરની હકીકતો બદલાઈ જતી નથી. કોઈને જમીની હકીકતને નજરઅંદાજ કરવાથી તેવી બાબતોના અસ્તિત્વ ખતમ થઈ શકતા નથી.

ભારતની અત્યાર સુધીની અખંડિતતા માટે તેની વિવિધતા અને સેક્યુલર કલેવરને જવાબદાર માનીને તેમને જશ આપવામાં આવે છે. પરંતુ તમે કલ્પના કરો કે ભારતમાં જમ્મુ-કાશ્મીરની જેમ મુસ્લિમ પ્રભાવવાળા અને મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ જેવા ખ્રિસ્તી પ્રભાવવાળા રાજ્યોની સંખ્યા વધારે હોય, તો તેવા સંજોગોમાં ભારત આઝાદીના 65 વર્ષ સુધી અખંડ રહી શકત. ભારતમાં હિંદુ બહુમતીમાં છે, તેવા એકપણ વિસ્તારમાં અલગતાવાદી અથવા આતંકવાદી આંદોલનો-પ્રવૃતિઓ થઈ નથી. આ દેશના એકપણ હિંદુ સંગઠન કે વ્યક્તિએ પોતે હિંદુ હોવાની ઓળખને આગળ કરીને ભારત વિરુદ્ધ કોઈ અલગતાવાદી કે આતંકવાદી આંદોલન કર્યા નથી. ભારતની 65 વર્ષની અખંડિતાનું કારણ દેશમાં હિંદુઓની બહુમતીનો પ્રભાવ હોવાનું છે. દેશ સેક્યુલર સરકાર ધરાવે છે, પરંતુ હિંદુ ઓળખ વગરનો સેક્યુલર સમાજ અસ્તિત્વમાં આવશે તે દિવસે ભારતની એકતા અને અખંડિતા પર મોટું જોખમ હશે. ભારતને પોતાનું માનવાનો ભાવ હિંદુ હોવાને કારણે વ્યક્તિમાં સ્વાભાવિકપણે પેદા થાય છે. જેનું ઉદાહરણ દેશવિરોધી પ્રવૃતિઓ અને આતંકવાદમાં બિનહિંદુઓની બહુલતા છે. (નોંધ:માઓવાદ અને નક્સલવાદ દેશવિરોધી આંદોલન છે, પરંતુ અલગતાવાદી આંદોલન નથી. તેમને ભારતથી અલગ દેશ બનાવવો નથી, પરંતુ ભારતની સત્તા કબજે કરવી છે. તેમનો વિરોધ શાસન અને શાસકો સામે છે. નક્સલવાદી અને માઓવાદી પ્રવૃતિમાં હિંદુ લોકોની બહુલતા છે. પરંતુ તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવતા નથી. જેથી આને કારણ બનાવીને કુતર્કો કરતા પહેલા પોતાને બૌદ્ધિક કહેનારાઓએ વિચારવું જ રહ્યું.)

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંયુક્ત ઐતિહાસિક ઘટનાક્રમના તથ્યો પરથી સ્પષ્ટ છે કે હિંદુઓ દ્વિરાષ્ટ્રવાદની થિયરીને માનતા નહીં હોવા છતાં ઈસ્લામના આધારે દેશનું વિભાજન થયું. મુસ્લિમો દ્વિરાષ્ટ્રવાદની થિયરીને માનતા હોવાને કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને ભારતના વિરોધમાં આજે પણ અસ્તિત્વમાં છે. ભારત હિંદુ બહુમતીના પ્રભાવમાં હોવાને કારણે આઝાદીના 65 વર્ષે હજી પણ અખંડિત રહ્યું છે. દેશમાં બિનહિંદુઓની બહુમતીવાળા ક્ષેત્રોમાં અલગતાવાદ, આતંકવાદ અને દેશદ્રોહી પ્રવૃતિ વધારે પ્રમાણમાં થઈ રહી છે. આથી પાકિસ્તાનનું વિભાજન દ્વિરાષ્ટ્રવાદની થિયરીની નિષ્ફળતા ગણાવી દેવી તથ્યો સામે આંખ આડા કાન કરવાની વાત બની રહેશે. એટલે કે દ્વિરાષ્ટ્રવાદની મુસ્લિમોને પોતે અલગ રાષ્ટ્ર હોવાની ઝીણાની થિયરી પાકિસ્તાનના વિભાજન છતાં પણ નિષ્ફળ ગઈ નથી. તેને નિષ્ફળ બનાવવા માટે ભારતે મુસ્લિમ ખુશામતખોરીવાળું સેક્યુલર કલેવર છોડીને હિંદુ ઓળખને ધારણ કરવી પડશે. ભારતને વિકૃત મુસ્લિમોની ખુશામત અને તુષ્ટિકરણ કરનારા સેક્યુલરવાદે બેહદ નુકસાન કર્યું છે.

No comments:

Post a Comment