લેબલ ધર્મનિરપેક્ષતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ધર્મનિરપેક્ષતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 12 માર્ચ, 2013

ધર્મનિરપેક્ષ રાજનીતિ સત્ય-અસત્ય નહીં જાણનારી માત્ર “કૂટનીતિ”


-          - ક્રાંતિવિચાર
ધર્મ અને રાજનીતિની ભરપૂર ચર્ચા દેશમાં વખતોવખત થતી રહે છે. ચર્ચાના અંતે ધર્મ અને રાજનીતિને એકબીજાથી અલગ રાખવાની સૂફિયાણી વાતો હાંકે રાખવામાં આવે છે. ભારતીય રાજકારણમાં છેલ્લા લગભગ 100 વર્ષોથી ધર્મનિરપેક્ષતાની વાતો કરીને રાજનીતિને ધર્મનિરપેક્ષ કરવાની મુહિમ ચલાવવામાં આવી છે. ભારતના બંધારણમાં 1976માં આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ઈન્દિરા ગાંધીના રાજમાં ઉમેરાયો પણ ખરો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણમાં તેની શરૂઆતમાં કોઈપણ ઠેકાણે ધર્મનિરપેક્ષ શબ્દનો ઉપયોગ કે તેવી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પરંતુ ધર્મનિરપેક્ષતાના નામે ભારત વિભાજનની પૃષ્ઠભૂમિમાં મજબૂત થઈ રહેલી અને તત્કાલિન સત્તાધારી રાજકારણીઓ અને પક્ષ માટે પડકારરૂપ બનતી વિચારધારાને અટકાવવા માટે ધર્મનિરપેક્ષ રાજનીતિના રૂડાં લાગતા નામ હેઠળ નવી તરેહની રાજનીતિ શરૂ થઈ. આ રાજનીતિ આમ તો આઝાદી સમયથી પ્રભાવી રહી છે એટલે કે દેશમાં લગભગ 65 વર્ષોથી ધર્મનિરપેક્ષ રાજનીતિનો પ્રભાવ છે. પરંતુ આ રાજનીતિના પરિણામોની ચર્ચા કરીએ તો એક વાત સ્પષ્ટ બને છે કે દેશની એકતા અને અખંડિતાને ફાયદો થવાની જગ્યાએ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને આ નુકસાનીની પ્રક્રિયા હજીપણ વધુ તેજ ગતિથી ચાલી રહી છે.

ભારતની સદીઓ જૂની સભ્યતાએ ધર્મ અને ધર્મ આધારીત સંસ્કૃતિની વિશ્વને ભેટ આપી છે. આ સંસ્કૃતિએ વિશ્વમાં તમામના સુખની કામના કરી છે. આ સંસ્કૃતિએ વિશ્વના કલ્યાણની ઉદાત ભાવના પણ લોકો સામે મૂકી છે. ભારતીય જીવનધારાએ દર્શાવેલો ધર્મ જીવન જીવવાની કળા છે, જીવનને સારી રીતે અર્થપૂર્ણ રીતે જીવવા માટેનું વિજ્ઞાન છે. આપણે જીવનને તેના પુરા અર્થમાં જીવીએ તેના માટેનું શોધ-સંશોધન એટલે ધર્મ છે. ધર્મને જીવનકળાનો આત્મા ગણીએ, તો રાજનીતિ જીવનકળાનું શરીર છે. ધર્મ જો પ્રકાશ છે, તો રાજનીતિ પૃથ્વી છે. શરીર વગર આત્માનું લૌકિક દુનિયામાં અસ્તિત્વ નથી, તેવી રીતે આત્મા વગરનું શરીર સડવા લાગે છે. ધર્મ વગર રાજનીતિ સડેલુ શરીર માત્ર છે. ભારતની રાજનીતિ જે ધર્મનિરપેક્ષતાના માર્ગે આગળ વધી રહી છે, તે માત્ર અને માત્ર સડેલુ શરીર છે.

તેનાથી મોટી વાત આપણને ઈતિહાસ જણાવે છે. માનવ ઈતિહાસ જણાવે છે કે રાજનીતિવિહીન ધર્મ પણ અદ્રશ્ય થઈ જાય છે, ઈતિહાસની ગલીઓમાં ખોવાય જાય છે. ધર્મ અને રાજનીતિ વચ્ચે એક આંતરીક સંબંધ છે. ધર્મ જ્યારે રાજનીતિ પ્રત્યે ભારતમાં ઉદાસિન બન્યો છે. ત્યારે ત્યાં ભારત વિરોધે જન્મ લીધો છે. આ ભારત વિરોધ વ્યક્તિના અહિંદુ બનવામાં અથવા તો બીજા ધર્મનો ભય, લોભ, લાલચ, અંધશ્રદ્ધા જેવા કારણોથી ધર્માંતરણ કરવાથી પેદા થયો છે. આ કારણે ભારતવર્ષમાંથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તિબેટ, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા ભાગલા પડયા છે. હજી પણ આઝાદ એવા આપણા ખંડિત ભારતમાં ભારત વિરોધ આતંકવાદ, ધર્માંતરણ, ઘૂસણખોરી, લઘુમતી તુષ્ટિકરણના નામે ધર્મનિરપેક્ષ રાજનીતિની છત્રછાયામાં ફૂલીફાલી રહ્યો છે.

રાજનીતિ પ્રત્યેની ભારતીય લોકોની નિરસતાનું પરિણામ છે કે અખંડ ભારતના ઘણાં મોટા ભૂભાગ પરથી ભારતીયોએ પોતાનો પ્રભાવ ગુમાવી દીધો છે. આ પ્રક્રિયા ખંડિત એવા આઝાદ ભારતમાં પણ ચાલુ છે. પરંતુ તેનું આશ્ચર્ય કોઈને થવું જોઈએ નહીં. જીવનની સક્રિય સત્તા, જીવનને બદલવાનું સક્રિય આંદોલન, જીવન ચલાવવા અને તેનું નિર્માણ કરવાની વ્યવસ્થા એટલે રાજનીતિ છે. જ્યારે ભારતીયોએ છેલ્લા એક હજાર વર્ષના ઈતિહાસમાં રાજનીતિને ધુત્કારી છે, ધિક્કારી છે. રાજનીતિ પ્રત્યેનો પૂર્વગ્રહ હજી પણ ભારતીયોમાં ઠાંસીઠાંસીને ભરવામાં આવી રહ્યો છે. ભારતનું દુર્ભાગ્ય છે કે જીવન સાથે અંતર્સંબંધ ધરાવનારી રાજનીતિ પ્રત્યે ભારતીયો ઉદાસિન બન્યા. ભારતનું દુર્ભાગ્ય સમજવું જોઈએ કે હજાર વર્ષથી રાજનીતિ અને ધર્મ વચ્ચે કોઈ સંબંધ રાખવામાં આવ્યો નહીં. હજાર વર્ષના ગાળામાં રાજનીતિ અને ધર્મ વચ્ચે જે પણ કોઈ સંબંધ હતો, તે માત્ર કર્મકાંડ જેવો રહ્યો. ભારતની રાજનીતિ અને ધર્મ હંમેશા એકબીજા તરફ પીઠ કરીને વિરોધીની જેમ વર્તયા. હજાર વર્ષની ભારતની ગુલામી આનું પરિણામ છે. ભારતના સામાજિક જીવનમાં ધર્મને મહત્વ આપવામાં આવ્યું, પણ ધર્મમાં રાજનીતિને મહત્વ મળ્યું નહીં. જેના પરિણામે ભારતના ધાર્મિક એવા આમ આદમીને લાગ્યુ કે કોઈપણ રાજા હોય, તેમને કોઈ ફરક પડતો નથી. કોઈપણ રાજસત્તામાં આવે, તેના સંદર્ભે તેમને વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી. રાજનીતિ પ્રત્યેની ધૃણા અને ધિક્કારની ઘર કરી ગયેલી લોકભાવનાએ તેમને રાજનીતિથી નિરપેક્ષ બનાવ્યા. આ પ્રકારે ભારતનો ધર્મ અને ભારતના લોકોનું ધાર્મિક મન રાજનીતિનિરપેક્ષ બન્યું.

મેસિડોનિયાના એલેક્ઝાન્ડરના આક્રમણ વખતે ભારતની પશ્ચિમોત્તર સરહદે એક ક્રાંતિજ્વાળા ઉઠી હતી. ચાણક્ય નામના એક રાષ્ટ્રવાદીએ ભારતને અખંડ બનાવી શક્તિશાળી બનાવવાની નેમ રાખી હતી. ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્ય થકી ભારત ભૂખંડના ઘણાં મોટાભાગને એકચક્રી શાસન હેઠળ લાવીને શક્તિશાળી બનાવી દીધો હતો. પણ ભારતીય મન કેટલાંક સામાજિક અને ધાર્મિક સંજોગો અને કારણોથી રાજનીતિથી નિરપેક્ષ થઈને નિર્લેપ ધર્મધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. ભારતને અખંડ કરવાની ચાણક્ય-ચંદ્રગુપ્ત જેવી પ્રબળ ક્રાંતિજ્વાળાઓ પેદા થઈ નહીં. જો કે ભારતના પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ જેવા રાષ્ટ્રપુરુષોએ ભારતીયતાને ધર્મ સાથે ટકાવી, તેના માટે ઘણાં બલિદાનો પણ આપ્યા. આ બલિદાનોની પરંપરા ભારતની સ્વતંત્રતાની લડાઈ વખતે પણ ચાલી. ખુદીરામ બોઝ જેવા દુધમલ ક્રાંતિકારીઓ શ્રીમદ ભગવત ગીતાને પ્રેરણા બનાવીને ભારતમાતાની ગુલામીની ઝંઝીરો તોડવા માટે ફાંસીના ગાળિયાને હાર ગણીને માંચડે ઝૂલી ગયા. ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં શ્રીમદ ભગવત ગીતા ક્રાંતિકારીઓની સૌથી મોટી પ્રેરણા તરીકે હંમેશા સાથે રહી.

પરંતુ જ્યારે ભારત આઝાદ થયું. ત્યારે રાજનીતિએ ધાર્મિક ભારતીયો દ્વારા તેની થયેલી ઉપેક્ષાનો બદલો લીધો. હિંદુસ્તાનની રાજનીતિને પહેલા અઘોષિતપણે અને બાદમાં ઘોષિતપણે ધર્મનિરપેક્ષ બનાવવામાં આવી. હજારો વર્ષ ધર્મ અને ધાર્મિક લોકો રાજનીતિ નિરપેક્ષ રહ્યા તેનું અંતિમ પરિણામ હિંદુસ્તાનની રાજનીતિએ ધર્મનિરપેક્ષ બનીને આપ્યું. આમ તો ધર્મનિરપેક્ષ થવાનો અર્થ થાય છે, સત્યથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે પ્રેમથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે જીવનના ગહનત્તમ જ્ઞાનની સરવાણીથી નિરપેક્ષ થવું. કોઈપણ રાજનીતિ જો ધર્મથી નિરપેક્ષ હશે, તો તે મનુષ્યના શરીરમાં વધારે ઘેરો પ્રવેશ કરી શકશે નહીં અને તે સમાજ માત્ર શરીરની આસપાસ જીવવા લાગે છે. આવા સમાજમાંથી એવી રીતે દુર્ગંધ પેદા થવા લાગશે કે જે મરેલા વ્યક્તિમાંથી પેદા થાય છે. આઝાદીના 65 વર્ષ જેટલું ખંડિત ભારતનું જીવન દુર્ગંધ, કુરુપતા, ગ્લાનિ અને દુખ તથા પીડાથી ભરપૂર છે. કદાચ મનુષ્ય જાતિના ઈતિહાસમાં કોઈપણ દેશ સ્વતંત્ર થયા બાદ આટલી હદે ક્યારેય પતિત થયો નથી કે જેટલું પતન ભારતનું થયું છે. આ દુર્ઘટના ઘટવા પાછળ સબળ કારણો છે. જીવનને ઉચ્ચસ્તર પર લઈ જનારા જે સિદ્ધાંતો છે, તે સિદ્ધાંતોનું સામુહિક નામ ધર્મ છે. પરંતુ ખંડીત એવા આઝાદ ભારતની રાજનીતિએ આવા ધર્મને પોતાની સરહદોમાંથી દેશવટો આપી દીદો છે. રાજનીતિએ ધર્મનિરપેક્ષ બની રહેવાની વાહિયાત જીદ્દ પકડી છે. ધર્મ એક પડકાર છે ઉપર ઉઠવાનો, ધર્મ એક પડકાર છે સતત ઉપર ચઢવાનો. ધર્મ મનુષ્યને જીવનના ઉંચામાં ઉંચા શિખરે ચઢવાની હાકલ કરે છે.

પરંતુ રાજકારણીઓ ચાહતા નથી કે ધર્મથી રાજનીતિને કોઈ સંબંધ રહે. કારણ કે જેવો રાજનીતિનો ધર્મ સાથે સંબંધ થાય છે, રાજકારણીઓને પોતાનામાં આમૂલ પરિવર્તનો કરવા પડે તેવી સ્થિતિઓ પેદા થાય છે. રાજકારણીઓ ચાહતા નથી કે તેમને ષડયંત્રમાં ખલેલ પહોંચાડવા માટે, ચોરી અને બેઈમાની-ભ્રષ્ટાચાર કરવા માટે અસત્ય આચરણ અને અનાચાર કરવા માટેની તેમની રાજકીય વ્યવસ્થાને ધર્મની સાથે જોડવાથી પરિવર્તિત કરવી પડે. પરંતુ જાણકારોનું માનીએ તો રાજનીતિ ધર્મથી અલગ થઈને માત્ર કૂટનીતિ રહી જાય છે. ધર્મથી અલગ થનારી રાજનીતિ એ રાજનીતિ તરીકેનું પોતાનું સ્વરૂપ જ ગુમાવી દે છે. આવી રાજનીતિ સત્ય અને અસત્યનો કોઈ ફરક કરતી નથી. ખંડિત ભારતે આઝાદીના આટલા વર્ષો સુધી રાજનીતિના નામે સત્ય અને અસત્યને નહીં ઓળખનારી કૂટનીતિ કરી છે. ભારતના બધાં જ રાજકારણીઓએ આમા ભાગીદારી કરી છે. જેના કારણે પાકિસ્તાન આપણને આંખો દેખાડી રહ્યું છે, અમેરિકા-ચીન બ્લેકમેઈલિંગ કરી રહ્યા છે. મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાનો યોગ્ય ઉકેલ કરવાને સ્થાને તેનું તુષ્ટિકરણ રાષ્ટ્રીય રાજનીતિનું સ્વરૂપ બન્યું છે. સરહદે ભારતીય સૈનિકોને બર્બરતાનો ભોગ બનવું પડે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વિકરાળ સમસ્યા ભારતના ઘણાં સ્થાનો પર વસ્તીસંતુલન બગાડી રહી છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના પ્રશ્ને માઝા મૂકી છે. આમ આદમીને ધર્મનિરપેક્ષ રાજનીતિ કોઈપણ રીતે રાહત આપી રહી નથી. આમ આદમીને પીડતી આવી ધર્મનિરપેક્ષ રાજનીતિનો શું અર્થ છે? રાજનીતિમાં ધર્મ હોત, ધાર્મિક મૂલ્યો હોત, તો રાજનીતિનું આ હદે અધ:પતન થયું ન હોત. બે પ્રકારની સ્થિતિ હોય છે, એક મન અને હ્રદયમાંથી પ્રેરણાઓ ફૂટતી હોય છે, બીજી સ્થિતિ એવી છે કે શરીરના ઉર્ધ્વ ભાગમાંથી પ્રેરણા જન્મે અને તે પણ પાછી ઉધારની હોય. ધર્મનિરપેક્ષ રાજનીતિ આવી બીજા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે. ધર્મને પંથ-સંપ્રદાયના સ્વરૂપમાં જોનારા અને માનનારાઓની સમજ પર દયા ખાવી જોઈએ. પરંતુ દેશની રાજનીતિ ધર્મનિરપેક્ષ નહીં, પરંતુ રાજનીતિની ધરી ધર્મ બને તેના માટે સામૂહીક જાગરૂકતાની જરૂર છે. આવી ધર્મ આધારીત રાજનીતિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આવી રાજનીતિ દેશમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાઓમાંથી આમ આદમીને મુક્તિ અપાવશે.

ભારત હજાર વર્ષથી ધર્મને રાજનીતિ દૂર રાખીને જે ભૂલ કરતું આવ્યું છે, તેવી જ સામા છેડાની ભૂલ રાજનીતિને ધર્મનિરપેક્ષ બનાવીને કરવામાં આવી છે. આવી ભયંકર ભૂલને જેટલી ઝડપથી સુધારી લેવામાં આવશે, તેટલા ભારતવાસીઓ વધારે સુખી, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. 

મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2013

ધર્મનિરપેક્ષતાનો દંભ છોડો, સાચા હિંદુ બનો


-          ક્રાંતિવિચાર

શું મનુષ્ય ધર્મથી નિરપેક્ષ રહી શકે? ધર્મથી નિરપેક્ષ રહેનારા મનુષ્યમાં અને પ્રાણીમાં કોઈ ફેર રહે? પણ ભારતમાં 1950માં અમલમાં આવેલા બંધારણમાં 1976માં કટોકટી વખતે ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આ શબ્દ બંધારણના મૂળ ઘડવૈયાઓએ બંધારણમાં મૂક્યો ન હતો. પરંતુ કટોકટી વખતે ઈન્દિરા ગાંધીના શાસનમાં બંધારણીય સુધારા દ્વારા આ શબ્દ ભારતીય બંધારણના આમુખમાં પાછળથી મૂકવામાં આવ્યો. આમ તો ભારતને ધર્મનિરપેક્ષ બનાવવાનું ચલણ 1947થી અસ્તિત્વમાં હતું. પરંતુ 1976માં તેને બંધારણમાં સામેલ કરીને ભારતીય રાજનીતિની દિશાને ડામાડોળ કરવામાં આવી.

દેશમાં વોટબેંકની એક નવી રાજનીતિ શરૂ થઈ. ભારત સાથે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને નાગરીક તરીકેના ઘણાં અધિકારોમાં કાપ મૂકવામાં આવ્યો. આજે પણ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં હિંદુ વોટરો પ્રભાવહીન રહે તેવી વ્યવસ્થા અસ્તિત્વમાં છે. તેની વિરુદ્ધ ભારતમાં 14 ટકાની આસપાસ રહેલા મુસ્લિમોને ભારતની તમામ ચૂંટણીઓમાં સમાન અધિકાર અને પ્રભાવથી વોટ કરવાનો અધિકાર છે. જેના પરિણામે હંમેશા એક ચોક્કસ દિશામાં વોટિંગ કરનારા મુસ્લિમ મતદારોને પોતાની સાથે જોડી રાખવા માટે કોંગ્રેસના સૌથી પ્રભાવી વડાપ્રધાનો જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણની ભારતના અસ્તિત્વ માટે જોખમી રાજનીતિ શરૂ કરી.

આ રાજનીતિ દર દસકે સતત નીચેના સ્તરે પહોંચતી ગઈ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે, મુસ્લિમોની હાલતને અનુસૂચિત જાતિના લોકો કરતા પણ ખરાબ ગણતો સચ્ચર કમિટીનો રિપોર્ટ આવ્યો છે. ત્યાર બાદ મુસ્લિમ વોટો સાચવવા માટે વડાપ્રધાન મનમોહનસિંહે 15 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અલગ લઘુમતી મામલાનું મંત્રાલય બનાવ્યું છે. વડાપ્રધાન મનમોહનસિંહે જાહેર કર્યું છેકે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. ધર્મનિરપેક્ષતાની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનું આનાથી વરવું ઉદાહરણ બીજું કોઈ મળે તેમ નથી. હવે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવાની માગણી થઈ રહી છે. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સરકારોએ મુસ્લિમોને અનામત આપવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ અનામતનો કોર્ટની રાહે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ સુધી સરકારની ધર્મના નામે અનામત આપનારી નીતિ સાથે કોર્ટે ખાસી અસહમતિ દર્શાવી છે.

ભારતની આઝાદીનો ઈતિહાસ આપણને ભણાવાય છે. પરંતુ સાથે ભારતના ભાગલાનો ઈતિહાસ પણ ભણાવવો જોઈએ. ભારતના ભાગલા ધર્મના નામે થયા તેમ કહેવાય છે. પરંતુ હકીકત એ છે કે ભારતના ભાગલા ઈસ્લામ અને મુસ્લિમોના નામે થયા છે. તત્કાલિન બ્રિટિશ સરકારે સેપરેટ ઈલેક્ટોરેટની વ્યવસ્થાને મંજૂરી આપીને ભારતના ભાગલાનું મૂળ નાખી દીધું હતું. આઝાદ પણ ખંડિત ભારતમાં હાલ મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વચનો આપનારા નેતાઓ છે. અત્યારે શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમોને અનામતની વાત થઈ રહી છે. પરંતુ આવનારા દિવસોમાં અત્યારની ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ જોતા લાગી રહ્યું છે કે મુસ્લિમોને રાજકીય ક્ષેત્રમાં પંચાયતો, વિધાનસભાઓ અને સંસદમાં અનામતની માગણી પણ ઉઠશે. લોકસભામાં લોકપાલ બિલની ચર્ચા વખતે પોતાને ધર્મનિરપેક્ષ ગણાવતા નેતાઓની દલીલો જોઈ હોય તો તેના પરથી આના સંકેતો મળે છે. લોકપાલની નિયુક્તિ માટેની પસંદગી સમિતિમાં એસસી, એસટી અને લઘુમતીના નામે મુસ્લિમો સભ્યને અનામત કરવાની માગણી ઉઠી હતી. તે પહેલા ક્યારેય કોઈપણ બંધારણીય પદ માટેની પસંદગીમાં ધર્મના નામે અનામતની માગણી થઈ નથી.

ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણનું ઝેર ભારતની વ્યવસ્થામાં હવે તેની ચેતનાને અસર કરવા લાગ્યું છે. ભારતની સેનાની ત્રણેય પાંખ, પોલીસ અને જ્યુડિશરીમાં કેટલાં મુસ્લિમો છે, ક્યા પદ પર છે તેના આંકડા સચ્ચર કમિટી બનાવીને મેળવવામાં આવ્યા છે. સચ્ચર કમિટી દ્વારા મુસ્લિમ સિવાયની અન્ય લઘુમતીઓ સંદર્ભે વિસ્તૃત અભ્યાસ અને આકલનો પુરતા પ્રમાણમાં આપવામાં આવ્યા નથી. તેના પરથી ચોક્કસ માનવાને કારણ છે કે સચ્ચર કમિટી કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ ગઠબંધનની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને પ્રાસંગિક બનાવવાની એક વ્યવસ્થાનો ભાગ હતી. ભારતમાં હાલ ગરીબોની મોટી સંખ્યા છે. કહેવામાં આવે છે કે ગરીબી ઘટી રહી છે. પરંતુ આમ આદમીની સ્થિતિને જોવામાં આવે તો ગરીબો 42 ટકાની આસપાસ છે. જો કે સરકાર પાસે અલગ-અલગ રિપોર્ટો પ્રમાણે જુદાંજુદાં આંકડા છે. પરંતુ બધાનો એકમત છે કે ભારતમાં ગરીબો ઘણા મોટા પ્રમાણમાં છે. તો શું આ ગરીબોમાંથી 80 ટકા લોકો મુસ્લિમ હશે? સચ્ચાઈ એ છે કે ભારતમાં રહેનારા ગરીબોમાંથી 80 ટકા હિંદુઓ છે. તો લાભ ગરીબોને મળવો જોઈએ કે મુસ્લિમોને?

છેલ્લા 15 વર્ષથી ભારતમાં ગરીબલક્ષી યોજનાઓને મુસ્લિમલક્ષી યોજનામાં ફેરવવાનું વલણ સામે આવ્યું છે. દેશની સંપત્તિની ભાગબટાઈ ધર્મના નામે થઈ રહી છે. યોજનાઓમાં લઘુમતીઓના નામે મુસ્લિમોના ભાગને અલગ કરવાનું વલણ અપનાવાય રહ્યું છે. ત્યારે આ નીતિ બનાવનારી સરકારોએ જવાબ આપવો જોઈએ કે 125 કરોડના દેશમાં હિંદુઓ 84 ટકા છે. ભારતને ટેક્સની જે આવક થાય છે, તેમા 85 ટકા હિસ્સો હિંદુઓનો છે. તો જે ટેક્સ આપનારા લોકો છે, તેના નાણાનો ઉપયોગ ધર્મના નામે ભાગબટાઈમાં કેમ કરવામાં આવે છે? આનાથી પણ મોટું આશ્ચર્ય ત્યારે થાય છે કે મંદિરોમાં હિંદુઓ દ્વારા કરવામાં આવતા દાનનો ઉપયોગ હિંદુ ધાર્મિક કાર્યો સિવાય અન્ય કામોમાં વપરાય છે. કેટલેક ઠેકાણે મુસ્લિમોને સબસિડી અને મદરસાઓના કામમાં હિંદુઓ દ્વારા મંદિરોને દાનમાં અપાયેલા નાણાંમાંથી ફંડ ફાળવવામાં આવતા હોવાના ઉદાહરણો પણ કેટલેક ઠેકાણે સામે આવ્યા છે.

ધર્મનિરપેક્ષતાના નામે દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. જેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કસાબ જેવા જેહાદી આતંકીને ભારત સરકારે ધર્મનિરપેક્ષતાની રાજનીતિના પરિણામે સાડા ચાર વર્ષ સાચવી રાખ્યો..તો સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને લાંબા સમય સુધી તિહાડમાં બિરયાની ખવડાવી પડી. આ બંને નરરાક્ષસોને ભારત સરકારે છુપી રીતે ફાંસી આપી. ફાંસીની તારીખો પહેલેથી જાહેર કરવામાં પણ સરકારને જોખમ દેખાતું હતું. આ ધર્મનિરપેક્ષતાની રાજનીતિમાં મજબૂર બનેલી ભારતની વ્યવસ્થાની કહાણી છે.

મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યને બંધારણીય રીતે વિશેષ દરજ્જો આપતી કલમ-370 દૂર કરવાની વાત કરવી ભારતની રાજનીતિમાં કોમવાદી ગણાય છે. ચાર લગ્નો માટે સ્વતંત્ર મુસ્લિમોને સમાન નાગરીક ધારા હેઠળ કાયદા સામે તેમને સમાન કરવાની વાતને ભારતમાં સાંપ્રદાયિક ગણવામાં આવ છે. મોગલ લૂંટારા બાબરના બર્બર સેનાપતિ મીર બાંકી દ્વારા ધ્વસ્ત કરાયેલા રામમંદિરના સ્થાનેથી બાબરી ઢાંચો હટાવવાના કામને હિંસાનું કારણ ગણવામાં આવે છે. રામ ભારત રાષ્ટ્રના શિખર પુરુષોમાંના એક છે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ ભારતની અસ્મિતાનું પુનર્સ્થાપન છે. પરંતુ આને કટ્ટરપંથી કામ ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તે ભારતમાં કાળું છે. દુનિયાના કોઈપણ દેશમાં કોઈ રાજ્યનો વિશેષ દરજ્જો તે દેશની એકતા અને અખંડિતામાં અડચણ બનતો હોત, તો તેને તુરંત દૂર કરવામાં આવ્યો હોત. દુનિયામાં કોઈ દેશમાં કોઈ ધર્મના લોકોના વિશેષાધિકાર દેશની દુર્ગતિનું કારણ બનતા હોત, તો તેને તુરંત સમાન નાગરીક ધારા નીચે લાવવામાં આવ્યા હોત. વિશ્વના કોઈ દેશની અસ્મિતાને કોઈ લૂંટારાએ ખંડિત કરી હોત, અપમાનિત કરી હોત, તો તેનું પુનર્સ્થાપન કરવામાં આવ્યું હોત. ભારતમાં ચાલી રહેલી રાજનીતિને કારણે આપણે ભારતના લોકો આમ કરી શકતા નથી.

કાળાને ધોળું અને ધોળાને કાળું કરવાની રાજનીતિનો પર્યાય ધર્મનિરપેક્ષતા બની ગઈ છે. ધર્મનિરપેક્ષતાના નામે અપનાવવામાં આવેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને કારણે મુસ્લિમોની ખૂબ આળપંપાળ કરવામાં આવી રહી છે. જેને કારણે મુસ્લિમોના અસામાજિક તત્વોને નજરઅંદાજ કરવામાં આવે છે. જેહાદના નામે ચાલતા આતંકવાદની સામે આંખ આડા કાન કરવામાં આવે છે. મુસ્લિમોને અનામતથી માંડીને આર્થિક સહાયતા પુરી પાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ બધી બાબતોમાં હિંદુઓના અધિકારો અને હિતોને બલિ ચઢાવવામાં આવે છે. ક્યારેક કાર્લ માર્ક્સે ધર્મને અફીણ સમાન ગણાવ્યું હતું. પરંતુ ભારતના રાજકારણમાં ધર્મનિરપક્ષેતા અફીણ સમાન છે. જેના કારણે હિંદુઓને ઘોર અન્યાય થઈ રહ્યો છે. ભારતના હિતોને આઘાતજનક નુકસાન થઈ રહ્યું છે. ભારતની સમસ્યાઓ ઉકેલાવાના બદલે ધર્મનિરપેક્ષ રાજનીતિને પરિણામે વધારે ગુંચવાય છે. ત્યારે પોતાને હિંદુ નહીં, પણ ધર્મનિરપેક્ષ ગણાવતા હિંદુઓએ પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ધર્મનિરપેક્ષ માત્ર હિંદુઓ થઈ રહ્યા છે. ધર્મનિરપેક્ષોની સંખ્યા આઝાદી પહેલા મુસ્લિમો કરતા હિંદુઓમાં વધારે હતી. આઝાદી પછી પણ આ પરિસ્થિતિમાં કોઈ મોટો ફેર પડયો નથી. મુસ્લિમ વ્યક્તિ રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક એવી કોઈપણ પ્રકારની ઓળખમાં પોતાની ધાર્મિક ઓળખને સૌથી વધારે અને પહેલુ પ્રાધાન્ય આપે છે. ત્યારે ધર્મનિરપેક્ષતાના નામે હિંદુઓ પોતાની રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને પાતાળમાં ધકેલીને ઓળખવિહીન થઈ રહ્યા છે. આ દેશમાં હિંદુઓ ઓળખવિહીન બનશે, તો ખરેખર ભારતના અસ્તિત્વ પર જોખમ આવશે. તેવા સંજોગોમાં ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને દેશવટો આપવો જોઈએ.

બાકી આખા વિશ્વના કલ્યાણની ભાવના ધરાવતા, વિશ્વના તમામ જડચેતનને સુખી કરવાની લાગણી ધરાવતા અને દરેક પ્રાણીઓમાં સદભાવનાની સ્થાપનાની ઈચ્છા કરનાર હિંદુને કોઈ ધર્મનિરપેક્ષતા શીખવાની જરૂર નથી. હિંદુઓની આવી ઉદાત્ત ભાવનાથી મહાન ધર્મનિરપેક્ષતા નથી. પોતાને ધર્મનિરપેક્ષ ગણાવનારા વ્યક્તિઓમાં આ ભાવનાઓ ગાયબ હોય છે. ત્યારે ધર્મનિરપેક્ષ કરતા હિંદુ બની રહેવું ભારત માટે વધારે હિતાવહ છે. 

ગુરુવાર, 21 જૂન, 2012

એનડીએ તૂટી જશે?:'હિંદુત્વવાદી' મોદીની ઈમેજ પર નીતીશ કુમારનું રાજકારણ

-આનંદ શુક્લ

એનડીએમાં હાલની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ઉમેદવારની ચર્ચા ઓછી અને 2014ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા વધારે થઈ રહી છે. ગુજરાતમાં 2012ના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ગુજરાતમાં હાલની પરિસ્થિતિ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને અન્ય અસંતુષ્ટોની વિરોધમાં સક્રિય થયેલી રાજકીય ધરીથી નરેન્દ્ર મોદી માટે ગત વિધાનસભા ચૂંટણીઓ જેવી સરળ પરિસ્થિતિ નથી. કેશુભાઈ પટેલના ગઢ રાજકોટની કારોબારીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાતિવાદી રાજકારણ પર નિશાન સાધવા માટે નીતીશ કુમારના બિહાર પર ટીપ્પણી કરી હતી. નરેન્દ્ર મોદીએ કેશુભાઈ અને અન્ય અસંતુષ્ટો દ્વારા ચલાવવામાં આવતા પટેલ અને અન્ય જ્ઞાતિઓના સંમેલનો પર નિશાન સાધવા બિહાર અને યૂપીના જાતિવાદી રાજકારણનો દાખલો આપીને તેને તેમની દુર્દશા માટે જવાબદાર ઠેરવ્યા હતા.

પરંતુ તેના કારણે ત્રણ વર્ષ પહેલા અંગારા નીચે ધરબાયેલી મોદી વિરોધી આગ બિહાર ખાતેથી ફરીથી ભભૂકી ઉઠી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને છેલ્લા કેટલાંક સમયથી નિવેદનો આપવાના શરૂ કર્યા છે. તેમણે કહ્યુ છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા વ્યક્તિ હોવા જોઈએ. નીતીશ કુમારની પાર્ટી જેડી-યૂ સેક્યુલર છબીવાળા વડાપ્રધાનપદના ઉમેદવાર સંદર્ભે કોઈપણ જાતની સમજૂતી કરવા માટે તૈયાર નથી. તેના માટે તેઓ 1997થી ભાજપ સાથેના પોતાના ગઠબંધનનું બલિદાન આપવા માટે પણ તૈયાર છે. જેડીયૂના પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યુ છે કે બિહારની સરકાર સત્તામાં રહે કે ન રહે, પરંતુ ધર્મનિરપેક્ષતાના મુદ્દે તેમની પાર્ટી કોઈ સમજૂતી કરશે નહીં.

ભાજપમાં મુંબઈ ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં ઘટેલા રાજકીય ઘટનાક્રમ પરથી એવો સંદેશ જાય છે કે પાર્ટીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવાનું મન બનાવી લીધું છે. જો કે સંજય જોશી પ્રકરણ બાદ ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં મોદીનું નામ લીધા વગર ટીકા કરવામાં આવી. પાંચજન્યમાં સંઘના વરિષ્ઠ વિચારક દેવેન્દ્ર સ્વરૂપે મોદીની સંગઠનાત્મક ક્ષમતા પર સવાલ ઉભા કર્યા. ત્યારે બિહારમાંથી પણ એક અવાજ ઉઠયો હતો કે પાર્ટીને કોઈ હાઈજેક કરી શકે નહીં. આ અવાજ હતો બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીનો. ભાજપમાં પ્રદેશ સ્તરથી માંડીને રાષ્ટ્રીય સ્તરે મોદી તરફી અને મોદી વિરોધી જૂથ હોવાનું કોઈનાથી હવે છુપું નથી. મોદી તરફી જૂથ મોદીને કોઈપણ ભોગે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાવવા માટે તત્પર છે. જ્યારે મોદી વિરોધી જૂથ મોદીના 2002ના ગુજરાત રમખાણોના કલંકિત ઈતિહાસ પૃષ્ઠને આગળ કરીને તેમના રાજકીય ઈરાદાઓ ધરાશાયી કરવાનો પ્રયત્ન કરે છે.

એનડીએમાં જેડીયૂના નીતીશ કુમાર સાથે ભાજપના મોદી વિરોધી જૂથને ખાસો ધરોબો છે. નીતીશ કુમારે તાજેતરમાં ઈકોનોમિક ટાઈમ્સ અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા હોવા જોઈએ. આ મુલાકાતમાં નીતીશ કુમારે મોદીનું નામ તો લીધુ નથી. પરંતુ સમીક્ષકોના માનવા પ્રમાણે, નિવેદન નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ચાલી રહેલી રાજકીય ઉઠાપઠક અને કવાયત સામે છે. નીતીશ કુમારને નરેન્દ્ર મોદીના વિરોધી ગણવામાં આવે છે. નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સૌથી મોટી રાજકીય અડચણ પણ નીતીશ કુમારને ગણવામાં આવે છે. કોસી નદીમાં આવેલા વિનાશક પૂર વખતે ગુજરાત સરકારે બિહારને પાંચ કરોડ રૂપિયાની મદદ કરી હતી. બિહારમાં રાષ્ટ્રીય કારોબારી વખતે મોદીની મુલાકાતના ટાણે અખબારોમાં આની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોદી અને નીતીશ કુમારની સાથે તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ બિહારમાં ટાંકણે વિધાનસભાની ચૂંટણીઓ હોવાને કારણે નીતીશ કુમાર મુસ્લિમ વોટબેંકને લઈને ખાસા સતર્ક હતા. તેમણે તાત્કાલિક મોદી સરકારને બિહારને આપવામાં આવેલી પાંચ કરોડ રૂપિયાની મદદ પાછી આપી. ભાજપની કારોબારીમાં આવેલા નેતાઓ માટેનો રાત્રિભોજનનો કાર્યક્રમ પણ રદ્દ કર્યો. જેને નરેન્દ્ર મોદીની હાજરી સાથે જોડીને જોવામાં આવ્યો.

બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર ચૂંટણી પ્રચારક નરેન્દ્ર મોદીને દૂર રાખવામાં આવ્યા. જેનું સીધું કારણ નરેન્દ્ર મોદી માટે નીતીશ કુમારનો અણગમો હતો. જો કે જાણકારોના માનવા પ્રમાણે, મોદી અને નીતીશ વચ્ચેના સંબંધો 2010 બાદ જ બગડયા. વાજપેયી સરકારમાં 2002ના ગુજરાત રમખાણો બાદ પણ કેન્દ્રીય મંત્રી તરીકે નીતીશ કુમારે ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે અને મોદી સાથે મંચ પર પણ બેઠા છે. સમીક્ષકો પ્રમાણે, મોદીનું હિંદુત્વ અને નીતીશ કુમારનો સેક્યુલરવાદ બંને તકવાદી છે. મોદીને જ્યાં સુધી હિંદુત્વની મદદથી ગુજરાતની ગાદી પર બેસવામાં મદદ મળતી હતી, ત્યાં સુધી તેના એજન્ડાને આગલ વધાર્યા. જ્યારે તેમને વડાપ્રધાનપદે પહોંચવાની રાજકીય મહત્વાકાંક્ષામાં હિંદુત્વ અડચણ લાગવા લાગ્યું, તો તેમણે સદભાવના મિશન હેઠળ ઉપવાસો કર્યા. પોતાની રાજકીય ઈમેજ બદલવા માટે પુરજોર કોશિશ કરી. જ્યારે નીતીશ કુમારે ગુજરાત રમખાણો બાદ મોદી સરકારને બરખાસ્ત નહીં કરવાના મુદ્દે વાજપેયીની સરકારના મંત્રીપદનું બલિદાન આપ્યું ન હતું. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે 2002ની ઘટનાઓ બાદ પણ મંચ ઘણી વખત બેઠાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના 16 ટકા મુસ્લિમ મતોને નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ વિરોધી છબીને કારણ બનાવીને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરી.

નીતીશ કુમારના મોદી સામેના મનાતા નિવેદન મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જવાબ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યુ છે કે કોઈ હિંદુત્વવાદી ભારતના વડાપ્રધાન કેમ બની શકે નહીં? જો કે તેમણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ સ્પષ્ટ થઈ ગયું છે કે મોદીની દાવેદારીના ટેકામાં સંઘ ખુલીને સામે આવી ગયો છે. ભાજપે પણ સંઘના સૂરમાં સૂર મિલાવતા જેડીયૂ પર હુમલો કરતા કહ્યું છે કે પાર્ટીને કોના સર્ટિફિકેટની જરૂરત નથી. અહીં મુદ્દો છે કે ભારતમાં 82 ટકા હિંદુ વસ્તી છે. હિંદુત્વ ભારતની જીવન પદ્ધતિ છે. આ તથ્યને સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. ભારતની ધર્મપરાયણ પ્રજાને ધર્મનિરપેક્ષ બનાવવી હકીકતમાં પાપ છે. ધર્મ ભારતના અસ્તિત્વની મુખ્ય ધરી છે. ભારતમાં સંપ્રદાય-પંથ નિરપેક્ષતા આવે તે જરૂરી છે. પરંતુ ભારત ધર્મનિરપેક્ષ બની શકે નહીં. હિંદુત્વ જીવન પદ્ધતિ હોવાને કારણે આપમેળે જ તે સેક્યુલર છે. ત્યારે દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બનાવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ ઉંબાડિયા કરતા રહે છે. પરંતુ હિંદુત્વના નામ પર દેશના વડાપ્રધાન બનવા જોઈએ નહીં તેમ કહેનારા નેતાઓની અહીં ભરમાર છે. દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બને, સેનાધ્યક્ષ બને, મુખ્ય ન્યાયાધીશ બને, અરે વડાપ્રધાન બનવાનું વ્યક્તિત્વ ધરાવનારો મુસ્લિમ વડાપ્રધાન બને તો પણ કોઈને વાંધો નથી. તો હિંદુત્વવાદી વ્યક્તિના વડાપ્રધાન બનવા બાબતે વાંધો શા માટે ઉઠાવવામાં આવે છે?

જો કે સમગ્ર રાજકીય ઘટનાક્રમનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે નીતીશ કુમાર હાલ ભલે વડાપ્રધાનપદની દાવેદારી રજૂ કરતા ન હોય. પરંતુ તેમની ધરબાયેલી રાજકીય મહત્વકાંક્ષા જોર મારી રહી છે. ગુજરાત રમખાણો બાદ રાજ્યમાં મોદીના શાસન નીચે વિકાસ યાત્રા થઈ. કેટલાંક સર્વેમાં ગુજરાતના વિકાસને અવ્વલ દરજ્જાનો ગણાવવામાં આવ્યો. મોદી વિરોધીઓએ ગુજરાત રમખાણોની ચર્ચા કરી અને મોદીએ વિકાસના કામો કર્યા હોવાની છાપ પણ હાલ પ્રવર્તી રહી છે. બિહારના મુખ્યમંત્રી બનતા પહેલા નીતીશ કુમારે મોદી સંદર્ભેના કેટલાંક ભ્રમ દૂર કરી દીધા. મોદી વગર ભાજપ માટે ચૂંટણીમાં સારો દેખાવ કરવો શક્ય નથી. નીતીશ કુમારે બિહાર વિધાનસભાની ગત ચૂંટણીમાં મોદીને પ્રચાર અભિયાનથી દૂર રખાવ્યા હતા. છતાં જેડીયૂ અને ભાજપનું ગઠબંધન ત્રણ ચતુર્થાંસ બહુમતીથી સત્તામાં આવ્યું. મુસ્લિમ મતો મોદીના કારણે ભાજપથી દૂર થાય છે, તેવી માન્યતાને દ્રઢીભૂત કરી. કારણ કે મોદીના નહીં આવવાથી ભાજપ-જેડીયૂ ગઠબંધનને મુસ્લિમોએ ખોબલેને ખોબલે મત આપ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કથિત હિંદુત્વવાદી છાપને નીતીશ કુમારે પોતાની રાજનીતિનો મહત્વનો ભાગ બનાવ્યો. મોદીને પોતાની વડાપ્રધાન બનવાની રાજકીય મહત્વકાંક્ષામાં કટ્ટર ઈમેજ અડચણરૂપ લાગતા તેમણે પણ હિંદુત્વની કાંચળી ઉતારવાની શરૂઆત કરી. દરેક ઠેકાણે ગુજરાતની વિકાસ યાત્રાની વાતો પુરજોર કરવા માંડી. ઈમેજ મેકઓવર માટે સુપ્રીમ કોર્ટની કથિત ક્લિનચીટવાળા ગુલમર્ગ કાંડ સંદર્ભેના ઓર્ડર બાદ સદભાવના મિશન શરૂ કર્યું. તેના હેઠળ તેમણે કુલ 33 જગ્યાએ 36 ઉપવાસો કર્યા. આ સમગ્ર તામજામમાં 200 કરોડનો ખર્ચો થયો. પરંતુ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા મોદીને હિંદુત્વવાદી નેતા ગણાવતું તેમના નામ લીધા વગરનું નિવેદન ઘણી મોટી અસર પેદા કરશે. સંઘ જેને હિંદુત્વવાદી ગણતું હશે,તેને રાજકીય પક્ષો કેવી રીતે સેક્યુલર ગણશે? એટલે ચર્ચા એવી પણ છે કે મોહન ભાગવતે મોદીને કોથળામાં પાંચશેરી મારીને એનડીએના ગઠબંધનમાં તેમની વડાપ્રધાનપદની ઉમેદવારીને હાલ બ્રેક મારી દીધી છે.

હાલની પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની પ્રવૃતિ સામે એનડીએના ભાજપ પછીના સૌથી મોટા પક્ષ જેડીયૂના વાંધા બાદ તિરાડ વધુ પહોળી બની છે. રાજકીય વિશ્લેષકોના મતે મોદીને આગળ કરવાથી 2014 પહેલા એનડીએ તૂટી જશે. મોદીના હિંદુત્વવાદી ચહેરાથી એનડીએમાં ભાજપ બાદ શિવસેના સિવાયના તમામ પક્ષોને કોઈને કોઈ વાંધો છે. આવી પ્રવાહી પરિસ્થિતિમાં હિંદુત્વવાદી નરેન્દ્ર મોદીને 2014ની વડાપ્રધાનપદની ઉમેદવારી કરાવવા માટે ભાજપે એનડીએનું વિસર્જન કરીને હિંદુત્વવાદી એજન્ડા પર પાછા ફરવું પડે તેમ છે. રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવી અને સમાન નાગરિક ધારાનો અમલ જેવા મુદ્દાઓ ફરીથી જીવિત કરવા પડે. આ મુદ્દાઓ દોઢ દશકથી કોમન મિનિમમ પ્રોગ્રામના નામે કોલ્ડ બોક્ષમાં મૂકી દેવામાં આવ્યા છે. બીજી તરફ સંઘ પરિવારના વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનના કેટલાંક વરિષ્ઠ નેતાઓનો મોદી સામેનો અણગમો જગજાહેર છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો ગજગ્રાહ પણ ઘણો મોટો છે. વળી પ્રખર હિંદુત્વવાદી સંગઠન મોદી દ્વારા ગાંધીનગરમાં તોડવામાં આવેલા 250થી વધારે મંદિરોના મુદ્દે નારાજ છે. વિશ્વ હિંદુ પરિષદના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે મોદીની સરખામણી મહંમદ ગઝની સાથે કરી હતી.

આવા સંજોગોમાં મોદીની હિંદુત્વવાદી છબી દુનિયામાં યથાવત છે, પરંતુ સંઘપરિવારમાં તેને ગ્રહણ લાગેલું છે. ગુજરાતના વિચારપત્ર નિરીક્ષકના એક અંકમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથે થયેલી ખાનગી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે મોદીએ તેમને જણાવ્યુ કે તેમણે મોટીસંખ્યામાં હિંદુ મંદિરો તોડયા હોવા છતાં તેમને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. (શબ્દશ વાત યાદ નથી, બાકી જે વાત હતી તેનો મર્મ આવો કંઈક હતો) આનો અર્થ એ થયો કે મોદી પોતાની હિંદુત્વવાદી છબી તોડવા માટે ખૂબ ધમપછાડા કરી રહ્યા છે. પરંતુ 2002ની ગુજરાત રમખાણોની ઘટનામાં તેમની ઉભી થયેલી ઈમેજ વધારે ગાઢ સાબિત થઈ છે. આવા સંજોગોમાં મોદીની વડાપ્રધાનપદ માટેની એનડીએમાં દાવેદારીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની રાજનીતિથી ગ્રહણ લાગી રહ્યું છે.