દુરાચાર, અત્યાચાર, અધર્મ, અન્યાય, મૂલ્યહીનતા વગેરે અનિષ્ટોના આતંકવાદ સામે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણે જીવનભર યુદ્ધ કર્યું છે અથવા તો કરાવ્યું છે. અધર્મ અને અન્યાયના આતંકવાદને મહાભારતના નિર્ણાયક યુદ્ધમાં કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં મોતને ઘાટ ઉતારવા પાછળ કૃષ્ણની જ પ્રેરણા હતી. કૃષ્ણ જ એ એકમાત્ર વ્યક્તિ હતા કે તેમણે મહાભીષણ યુદ્ધને ટાળવા માટે પૂર્ણ પ્રમાણિક પ્રયાસ કર્યો હતો. યુદ્ધભૂમિમાં જતાં પહેલા અધર્મ, અન્યાય અને આતંકના વાહક દુર્યોધનને કૃષ્ણે ઘણો સમજાવ્યો.
પરંતુ જ્યારે તેમને ખાતરી થઈ કે સમજાવટથી ધર્મની સ્થાપના નહીં થાય, સમજાવટથી ન્યાય નહીં મળે, સમજાવટથી આતંકનો અંત નહીં થાય. ત્યારે તેમણે અઢાર અક્ષણિ સેનાઓ સામે બાણવાળી અર્જૂનને યુદ્ધ કરવાની પ્રેરણા આપી હતી. યુદ્ધ ભૂમિમાં અર્જૂનના મનમાં વિષાદ પેદા થયો. અર્જૂન યુદ્ધથી હટવા માગતો હતો. અર્જૂન મારાકાટ કરવા માગતો ન હતો. અર્જૂન પોતાના ગણતો હતો તેવા યુદ્ધભૂમિમાં તેની સામે લડવા માટે ઉભેલા લોકોને મારવા ઈચ્છતો ન હતો. અર્જૂન પોતાના આપદ ધર્મ-ક્ષાત્ર ધર્મથી ભાગી જવા માગતો હતો. પરંતુ તે જ ક્ષણે કૃષ્ણે કુરુક્ષેત્રમાં પાંડવ-કૌરવ સેનાની બરાબર મધ્યમાં ઉભા રહીને અર્જૂનને ગીતા સંદેશ સંભળાવ્યો. આ સંદેશ માત્ર અર્જૂનને જ ન હતો સંભળાવ્યો. આ સંદેશ તમામ લોકોને છે કે જેઓ અર્જૂન બનવા માગે છે.
આ સંદેશ તમામ અર્જૂનોને છે કે જેઓ અધર્મ, અત્યાચાર, દુરાચાર, અન્યાય જેવા અનિષ્ટોના આતંકવાદ સામે લડવા માટે તૈયાર થાય છે અને રણભૂમિમાં હથિયાર છોડી દે છે. આ ગીતા સંદેશ ભારતને આતંકના મહાયુદ્ધ વખતે હથિયાર હેઠાં મૂકનારા ભારતના રાજકારણીઓને સ્પષ્ટ સંદેશ આપે છે કે ન્યાય માટે તે આતંકીઓની કૌરવ સેના સામે યુદ્ધ કરે.
પણ આ ગીતા સંદેશ આતંકવાદ સામેના મહાભારતની પૂર્વવેળાએ ભારતના હાલના ‘અર્જૂનો’ને સંભળાવે તેવા કૃષ્ણની જન્માષ્ટમીનો ભારતના લોકોને ઈન્તજાર છે. જો કે કૃષ્ણ તો લાગે છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય’ કહીને ચાલ્યા ગયા, હવે કૃષ્ણ બનવાની કે બનાવાની જવાબદારી ભારતની પ્રજાની છે. પ્રજાએ જ ‘પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ્’ માટે કૃષ્ણ બનીને અત્યાચાર રૂપી કંસને, દુરાચાર રૂપી જરાસંઘને, અન્યાય રૂપી શિશુપાલને અને અધર્મથી આતંકની પરાકાષ્ઠાએ પહોંચેલા દુર્યોધનોના વધ કરવા પડશે. ક્યાં સુધી નિર્દોષ લોકોની વહેતી રક્તધારાઓમાં આ દેશની પ્રજાના હ્રદય-મન આતંકનું સ્નાન કરશે? હવે આતંકીઓને રક્તપિપાસુ બનીને તેમના રક્તથી રક્તસ્નાન કરાવાનો વખત આવી ગયો છે.
કૃષ્ણને સમજવા બહુ જરૂરી છે. કૃષ્ણ શાંતિવાદી નથી, કૃષ્ણ યુદ્ધવાદી પણ નથી. વાસ્તવમાં વાદનો અર્થ થાય છે કે બેમાંથી આપણે એકને પસંદ કરીએ છીએ. કૃષ્ણ અ-વાદી છે. કૃષ્ણ કહે છે કે શાંતિથી શુભ ફલિત થતું હોય તો સ્વાગત છે. યુદ્ધથી શુભ ફલિત થતું હોય તો તેનું પણ સ્વાગત છે. કૃષ્ણ કહે છે કે જેનાથી મંગલયાત્રા ગતિમાન થતી હોય, જેનાથી ધર્મ વિકસિત બનતો હોય. જેનાથી જીવનમાં આનંદની સંભાવનાઓ વધતી હોય, તેનું સ્વાગત છે. શું આવું સ્વાગત ભારતની પ્રજા કૃષ્ણરૂપનો આવિર્ભાવ કરીને ન મેળવી શકે?
અહિંસાની વાત પાછળ જ્યારે કાયરતા છુપાઈને બેસી જાય છે, ત્યારે વાત બગડી જાય છે. આપણે અશાંત અનાચારી આતંકીઓ સાથે વાતચીત કરવાની વાત કરીએ છીએ. આપણા યુદ્ધ વિરોધ પાછળ આપણો મૃત્યુનો ડર છુપાઈને બેસી ગયો છે. પરંતુ આપણે યુદ્ધ નથી કરતાં તેથી કંઈ યુદ્ધ થોડું બંધ થાય છે. આપણે યુદ્ધ નથી કરતાં તો કોઈ બીજું આપણાં પર યુદ્ધ ઠોકી બેસાડે છે. આપણે લડવા ન જઈએ, તેથી લડાઈ બંધ થતી નથી. આ માનસિકતા કેવળ આપણને ગુલામ બનાવે છે. ત્યારે આતંકના ઠોકી બેસાડાયેલા યુદ્ધ સામે મહાભારત ન કરી શકવાની બહુ મોટી કિંમત આપણે ચુકાવી પડશે અને ઉલ્લેખનીય છે કે તે આપણે નિર્દોષ લોકોના મોત તથા સુરક્ષાકર્મીઓની શહીદી થકી ચુકાવી રહ્યાં છીએ. આપણને દુ:ખદ પરિણામ મળે છે, તે કોઈ મહાભારતના કારણે નથી મળી રહ્યું, પરંતુ આપણી મહાભારત કરવાની હિંમત નથી તેના કારણે આપણે આ પરિણામ મળી રહ્યાં છે.
બરાબર સમજવું પડશે કે દુર્યોધન શા માટે લડતો હતો? માણસો એની પાસે સારા હતા કે નરસા, એ એટલું જરૂરી નથી. એ લડી શા માટે રહ્યો હતો? એ લડવા પાછળના મૂલ્યો ક્યાં હતા? કૃષ્ણ અર્જૂનને લડવા માટે પ્રેરિત કરી રહ્યાં હતા, તો તેની પાછળ ‘વેલ્યુઝ’ કઈ હતી? અર્જૂનની લડાઈમાં એક તો બહુ મોટું નિર્ણાયક મૂલ્ય હતું, ન્યાય? આજે ફરીથી નિર્ણય કરવો પડશે કે ન્યાય શું છે? ન્યાયયુક્ત શું છે?
આતંકવાદને જન્મ આપનારાઓને તેને આગળ વધારનારાઓને આતંકિત કરવા પડશે. તેના માટે એક કુરુક્ષેત્ર લડવું પડશે, એક મહાભારત કરવું પડશે. આતંકને ખતમ કરવા માટે વાતચીત હવે બહુ નાની પડી રહી છે. આતંકને રણભૂમિમાં પરાસ્ત કરવું પડશે. જો કે હજી કોઈ કૃષ્ણને વાતચીત કરવી હોય તો આતંકવાદના દુર્યોધનો સાથે વાતચીત કરી શકે છે. પરંતુ તેણે પણ હવે ધ્યાન રાખવું પડશે કે જો તે કૃષ્ણ હશે તો શુભ માટે તેણે વાતચીતના અંતે નિર્ણય કરવો પડશે કે નિર્ણાયક મહાભારત કરવું કે ન કરવું? નિર્ણાયક મહાભારત ક્યાં કુરુક્ષેત્રમાં લડવું? જો આવો કૃષ્ણ આ જન્માષ્ટમીએ ન આવે, તો તે આવે એટલી જન્માષ્ટમીનો ઈન્તજાર રહેશે.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્
પરિત્રાણાય સાધૂનાં વિનાસાય ચ દૃષ્કૃતામ્ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે
લેબલ દુર્યોધન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ દુર્યોધન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
શુક્રવાર, 27 મે, 2011
આતંકવાદ સામેના મહાભારતમાં શ્રીકૃષ્ણ હવે સારથિ બનો!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)