લેબલ ભાવવધારો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ભાવવધારો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 જુલાઈ, 2014

મોદીના અચ્છે દિનના સ્વપ્નલોકની સચ્ચાઈ જનતાને કડવી દવા!

આનંદ શુક્લ

મોંઘવારી ક્યારે ઘટશે? દેશના આર્થિક આરોગ્ય સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોક્ટર બનીને કડવી દવા પાઈ રહ્યા છે. જેના કારણે દૂધ… પેટ્રોલ-ડીઝલ.. રેલવે ભાડા… સબસિડી વગરના સિલિન્ડર.. ડુંગળી અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી બની છે. 10મી જુલાઈએ બજેટમાં પણ મોદી સરકાર કમ્મરતોડ ભાવવધારાથી જનતાને કોઈ રાહત આપે તેવા સંકેતો સાંપડતા નથી. લોકોને મનમોહનોમિક્સ અને મોદીનોમિક્સમાં હજી સુધી કોઈ તફાવત દેખાયો નથી. ત્યારે જનતાનો સવાલ એ છે કે મોદીએ ચૂંટણી પહેલા અચ્છે દિનનો વાયદો કર્યો હતો, તે અચ્છે દિન ક્યાં ખોવાય ગયા છે? જનતાને મોદી સરકારની મુશ્કેલીઓ સાંભળવા કરતા પોતાની સમસ્યાઓના ઉકેલમાં વધારે રસ છે.

લગભગ 10 વર્ષ સુધી મોંઘવારીના ભાર તળે દબાયેલી જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અચ્છે દિનના વાયદામાં આશાનો સંચાર થયો હતો. પરંતુ ત્યાર બાદ દૂધ, પેટ્રોલ-ડીઝલ અને અન્ય વસ્તુઓમાં ભાવવધારા થવાની શરૂઆત થઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવા ખાતે આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે પોતાની સરકારની મજબૂરી ગણાવી. તેમણે દેશની આર્થિક દુર્દશા માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવી અને અર્થતંત્રના આરોગ્યને સુધારવા માટે કડવી દવા આપવાની વાત કરી હતી.

દેશના અર્થતંત્રને કડવી દવા પાવા માટે વડાપ્રધાન મોદી ડોક્ટરની ભૂમિકામાં આવ્યા. તેમની સરકારે રેલવે ભાડામાં આઝાદી બાદનો સૌથી મોટો 14 ટકા જેટલો વધારો જનતાના માથે ઝીંક્યો અને નૂરભાડા પણ વધાર્યા. મોદી સરકારના મંત્રીઓએ યુપીએ સરકારની જેમ તર્કો આપવા માંડયા અને નિર્ણયને પુરોગામી સરકારનો ગણાવીને પોતાના હાથ ખંખેરવાનો પ્રયત્ન કર્યો. રેલવે ભાડમાં વધારા સામે લોકોમાં ખૂબ જ રોષ ફેલાયો છે.

ડોક્ટર મોદીની કડવી દવાના ડોઝ અપતા હતા અર્થતંત્રને પણ તેનાથી મોઢું કડવું થવા લાગ્યું જનતાનું. મોદી સરકારે પેટ્રોલમાં 1.69 રૂપિયા અને ડીઝલમાં 50 પૈસાનો વધારો તાજેતરમાં કર્યો. ડુંગળી સહીતની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા. તો સબસિડી વગરના રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયા 50 પૈસાનો વધારો કરાયો છે. જેના પરિણામે જનતાએ ઉપરાઉપરી ભાવવધારા સામે દેશભરમાં દેખાવો થયા અને મોદીના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યુ છે કે નબળા ચોમાસાની મીડિયામાં આવતી ખબરોને કારણે જમાખોરી વધી રહી છે અને જમાખોરીથી મોંઘવારી વધી રહી છે. દિલ્હીમાં જમાખોરોના ઠેકાણાઓ પર છાપામારી શરૂ થઈ છે અને રાજ્યોને પણ તેના માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

તો કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટ પહેલા સંકેત આપ્યા છે કે તેઓ સામાન્ય બજેટમાં સસ્તી લોકપ્રિયતાના સ્થાને અર્થતંત્રની સ્થિતિ સુધારવા પર જોર આપશે.

તેવામાં જનતાને આગામી સપ્તાહે રજૂ થનારા મોદી સરકારના બજેટમાં આકરા નિર્ણયો જોવા મળી શકે છે. જેટલીએ કહ્યુ છે કે મહેસૂલી ખાદ્ય એક મોટો પડકાર છે. મોંઘવારી પણ અત્યારે આસામાને છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટટોને એક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. જેટલીએ કહ્યુ છે કે અત્યારે મોંઘવારી સ્વીકાર્ય મર્યાદાથી ઉપર છે. તેમ છતાં ત્રણ-ચાર વર્ષની નિરાશા બાદ આશા દેખાઈ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાના પગલા લેવાથી પરહેજ કરશે,કારણ કે તેનાથી રાજકોષની હાલત બગડી જશે.

આર્થિક સુધારાને નામે કેન્દ્રમાં આવેલી છેલ્લી કેટલીક સરકારોએ મોંઘવારીને ખુબ જ સોંઘી કરી નાખી છે. જેના કારણે સોંઘવારીની આશામાં સેવતી જનતાનું જીવન દુભર બન્યું છે. ભારતમાં સત્તામાં કોઈપણ આવે પણ સત્તાપક્ષની ભાષા અને નીતિઓમાં હાલના તબક્કે કોઈ જ ફરક લાગી રહ્યો નથી. વળી જાણકારો પ્રમાણે, સબસિડી હટાવી લેવાની નીતિ આગળ કરનારી સરકારોએ ઉદ્યોગો માટે અંદાજે સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની રાહતોની લ્હાણી કરી છે. ત્યારે સવાલ એ છે કે કલ્યાણરાજ્ય ભારતની સરકાર પ્રોફિટ મેંકિગ કંપનીમાં ફેરવાઈ ગઈ છે? લોકોને એ પણ પ્રશ્ન થાય છે કે આ કેવા આર્થિક સુધારા છે..જેમાં મોંઘવારી સતત વધતી રહે છે. આ આર્થિક વિકાસના સુધારાના નામે કોનો વિકાસ થઈ રહ્યો છે?

ચૂંટણી પ્રચારમાં મોદી લોકોને પુછતા હતા કે યુપીએ સરકારે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનો વાયદો પુરો કર્યો છે? પણ હવે મોદી ખુદ સત્તામાં છે અને મોંઘવારી મામલે લોકોને નિરાશા પ્રાપ્ત થઈ છે. ત્યારે મોદી 200 દિવસમાં પણ મોંઘવારીને ઘટાડે તો તેમની અચ્છે દિન આવ્યાની વાત થોડી-ઘણી સાચી સાબિત થાય..

ગુરુવાર, 31 મે, 2012

હવે આમ આદમીના ખિસ્સાની આગ પર ‘પેટ્રોલ’ જ છંટાશે કે પાણી?


 -આનંદ શુક્લ
પેટ્રોલના ભાવમાં સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા 10 ટકા જેટલો જંગી વધારો કરવામાં આવતા આમ આદમી વધારે બિચારો બની ગયો છે. આમ આદમીના ખિસ્સામાં લાગેલી આગે દેશમાં આક્રોશનો માહોલ પેદા કરી દીધો છે, પરંતુ હવે જોવાનું  એ રહે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ આગ પર રોલબેકનું પાણી છાંટે છે કે પેટ્રોલને પડવા દેશે? 31 મે,ના રોજ એનડીએ અને ડાબેરી પક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ ભારત બંધ સંદર્ભેના પ્રારંભિક અહેવાલો પ્રમાણે, દેશભરમાં તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કેટલાંક ઠેકાણે હિંસક ઘટનાઓ પણ બની રહી છે.
લોકો આક્રોશિત છે અને તેમના આક્રોશનો લાભ એક રાજકીય મોરચા પાસેથી બીજા રાજકીય મોરચા તરફ જતો દેખાઈ રહ્યો છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાં મામલે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર વિરુદ્ધનું વાતાવરણ પેદા થઈ ગયું છે. તેમાં 2012ના અંત સુધીમાં ગુજરાત સહીત પાંચ રાજ્યોની ચૂંટણી આવતી હોવા છતા પેટ્રોલના ભાવમાં કરવામાં આવેલી 7.50 રૂપિયાની પ્રતિ લિટરે વૃદ્ધિએ માહોલ વધારે પ્રમાણમાં સરકાર વિરોધી બનાવી દીધો છે.
22મી મેએ બજેટ સત્રની સમાપ્તિ બાદ તાત્કાલિક 23મી મેના રોજ ઓઈલ કંપનીઓ સામે ઝૂકીને સરકારે એકસાથે 7.50 રૂપિયા પ્રતિ લિટરે ભાવવધારાને મંજૂરી આપી દીધી. પેટ્રોલની કિંમતો સંદર્ભે એકસામટો કરવામાં આવેલો આ સૌથી મોટો ભાવવધારો છે! યુપીએ સરકારે અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતોમાં 28 વખત ભાવવધારો કર્યો છે. 25 જૂન, 2010થી 23 મે, 2012ના બે વર્ષના સમયગાળામાં પેટ્રોલની કિંમતોમાં 15 વખત વધારો કરવામાં આવ્યો છે. 47.93 રૂપિયા પ્રતિ લિટરથી ભાવ વધીને 77.92 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
પેટ્રોલના જંગી ભાવવધારાને મંજૂરી આપનારી યુપીએ સરકાર કહી રહી છે કે પેટ્રોલિયમ કંપનીઓને જીવિત રાખવા માટે કિંમતોમાં વધારો જરૂરી હતો. પરંતુ સચ્ચાઈ સરકારી તર્ક-દલીલથી બિલકુલ વિપરીત છે. દેશની ત્રણેય પેટ્રોલિયમ કંપનીઓ  ઈન્ડિયન ઓઈલ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ સતત નફો રળી રહી છે. આ ત્રણેય કંપનીઓએ ટેક્સની કપાત બાદ પણ 2009-10માં 13,050 કરોડ રૂપિયા, 2010-11માં 10,531 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો રળ્યો છે. સતત તગડો નફો કરતી પેટ્રોલિયમ કંપનીઓ આ વર્ષે પણ તે રસ્તે જ આગળ વધી રહી છે.
સરકારના આમ આદમીને પીડનારા નિર્ણય સામે યુપીએ સરકારના ઘટક દળોમાં પણ ઘણાં મોટા પ્રમાણમાં નારાજગી  પ્રવર્તી રહી છે. 26મી મેના રોજ પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાંચ કિલોમીટર લાંબા વિશાળ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. રીટેલમાં એફડીઆઈ મુદ્દે મમતા બેનર્જીએ આક્રમક વલણ અપનાવતા યુપીએ સરકારને  પારોઠના પગલાં ભરવા પડયા હતા. તો પેટ્રોલના જંગી ભાવવધારા સામે પણ મુખ્યમંત્રી તરીકે પહેલી વખત મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ કોઈ પ્રદર્શનની આગેવાની કરી છે.
એનસીપી પણ આ નિર્ણયથી નારાજ છે. ડીએમકેએ પણ તમિલનાડુમાં 30મી મેના રોજ પેટ્રોલની  કિંમતોમાં ભાવવધારાના વિરુદ્ધમાં દેખાવો કર્યા હતા. ચેન્નઈમાં ડીએમકે સુપ્રીમો એમ. કરુણાનિધિએ કહ્યુ હતુ કે ગઠબંધન અલગ વાત છે, પરંતુ તેમનું કર્તવ્ય લોકોને અસર કરનારી નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવો પણ છે. એનડીએ હોય અથવા વી. પી. સિંહની કેબિનેટ હોય, તેમણે ગઠબંધનોથી સંબંધો તોડયા છે. જો કે બીજા દિવસે જ ડીએમકેએ યુપીએ ગઠબંધન તોડવાની ધમકી આપ્યાની વાતને નકારી હતી.
કોંગ્રેસમાં પણ પેટ્રોલના જંગી  ભાવવધારા સામે અસંતોષ ભડકી રહ્યો છે. સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ 29મી મેએ કહ્યુ કે પેટ્રોલનો ભાવવધારો યોગ્ય નથી. પેટ્રોલિયમ કંપનીઓએ કંઈક ઉદારતા દેખાડવી જોઈતી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અનિલ શાસ્ત્રીએ લોકો રોલબેકની પ્રતિક્ષા કરી રહ્યા હોવાનું અને લોકામાં ભારે આક્રોશ હોવાની વાતને સ્વીકારી છે. પરંતુ સવાલ એ છે કે યુપીએ સરકાર અંદર-બહારથી આટલા વિરોધ છતાં પણ પેટ્રોલની કિંમતોમાં ભાવવધારો પાછો ખેંચશે કે નફ્ફટ તર્કોનો મારો ચાલુ રાખશે?

પેટ્રોલના ભાવવધારા  સામે ભારત બંધ કરી રહેલા એનડીએના કાર્યકાળના 6 વર્ષના ગાળામાં 35 વખત કિંમતો વધી હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યો છે. આમ તો દાવા-પ્રતિદાવાના માહોલમાં લાગી રહ્યું છે કે યુપીએ અને એનડીએ મોરચાઓ પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારા સંદર્ભે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે.
પેટ્રોલના ભાવવધારા પર તમામ પ્રકારના હોબાળા વચ્ચે ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે કહ્યુ છે કે ડીઝલ, કેરોસિન અને રાંધણ ગેસ પર 1 લાખ 90 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે અને સંરક્ષણ બજેટ 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાનું છે અને ગ્રામીણ વિકાસ મંત્રાલયનું બજેટ 99 હજાર કરોડ રૂપિયા છે. આ ક્યાં પ્રકારનો  દેશ છે?

ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ ધનિકોના પ્રમાણમાં આમ આદમી માટે વધારે થાય છે. ડીઝલનો સૌથી વધારે ઉપયોગ રેલવે અને ટ્રાન્સપોર્ટમાં થાય છે. જ્યારે પેટ્રોલનો ઉપયોગ દેશના નાના-મોટા શહેરો અને 6 લાખ ગામડાઓ સુધી નહીં પહોંચેલી જાહેર ટ્રાન્સપોર્ટ સેવાને કારણે લોકોને મજબૂરીથી કરવો પડે છે. ત્યારે સવાલ એ છે કે આમ આદમીના ઉપયોગમાં આવતી પેટ્રોલિયમ પેદાશો પર સબસિડી ચાલુ રહે અને ધનિકો દ્વારા થતા બેફામ ઉપયોગ પર નિયંત્રણ રહે તેવી વ્યવસ્થાનો વિચાર સરકારો કેમ કરતી નથી?

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પેટ્રોલના ભાવમાં વધારો ધીરે-ધીરે કરવો જોઈતો હતો. જો કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય હેઠળના પેટ્રોલિયમ નિયોજન અને  વિશ્લેષણ વિભાગ પ્રમાણે, ઓઈલ કંપનીઓને પેટ્રોલની પડતર કિંમત 44 રૂપિયા પ્રતિ લિટર પડે છે. તેના સિવાય સરકાર પેટ્રોલ પર 14.35 રૂપિયા કર લગાવે છે, જેમાંથી 6.35 રૂપિયા એક્સાઈઝ, 6 રૂપિયા વિશેષ ઉત્પાદન કર અને 2 રૂપિયા વધારાની એક્સાઈઝ લગાવે છે.
ત્યારે નાણાં મંત્રાલય પ્રતિ લિટર પર ઉત્પાદન કરમાં 5 રૂપિયા કપાત કરી દેત, તો તેનાથી આમ આદમીને રાહત પણ મળત અને ભાવવધારાની નોબત જ આવત નહીં. 2005માં વેટ લાગુ  કરવા માટેના દાશમુન્શી કમિશને દેશભરમાં એક સમાન 20 ટકા વેટ લગાવવાની ભલામણ કરી હતી, પરંતુ તેને રાજ્યોએ સ્વીકારી નહીં અને પોતાપોતાના હિસાબથી વેટના દરો નિર્ધારીત કરી લીધા છે.
તેને પરિણામે દેશભરમાં વેટના દરોમાં વધઘટને કારણે પેટ્રોલના ભાવમાં પણ ચઢ-ઉતર રહેલી છે. પરંતુ આવી સ્થિતિમાં રાજ્યો પોતાના વેટ દરો ઘટાડવા માટે તૈયાર નથી. ત્યારે પ્રશ્ન એ છે કે ગોવાએ વેટ દરોમાં 11 રૂપિયાનો ઘટાડો કરીને રાજ્યના લોકોને રાહત આપી હતી, તો બીજા રાજ્યો પોતાના વેટના દરમાં ઘટાડો કરવાનો ઈન્કાર કેમ કરી રહ્યા છે?

આમ આદમીને રાહત પહોંચાડવાની જવાબદારી ભારતના સમવાયી તંત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સહિયારી જવાબદારી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમાં પચાસ-પચાસ ટકાના દરે વધારો ભોગવીને પ્રજાને રાહત કેમ આપી શકે નહીં?

પેટ્રોલના ભાવમાં જંગી વધારાથી ફૂગાવો પણ વધે તેવી શક્યતા દર્શાવાય રહી છે. તેનો અર્થ એ છે કે રૂપિયાની ખરીદ  શક્તિમાં વધારે ઘટાડો થશે અને ભારતીય રિજર્વ બેંકના હસ્તક્ષેપ છતાં વ્યાજ દરોને વધારવા પડશે. તેના કારણે વૃદ્ધિદર ઘટશે અને લોકોની ખરીદ શક્તિ ઘટવાને કારણે ફેકટરીના માલની ખપતમાં ઘટાડો નોંધાશે.
યુપીએ-2 તેના કાર્યકાળમાં ખોટી આર્થિક નીતિઓને કારણે ફૂગાવાના દરમાં વૃદ્ધિ, કૃષિ સંકટ, વધતી બેરોજગારી જેવી મુખ્ય સમસ્યાઓનું નિવારણ કરવામાં નિષ્ફળ રહી છે. લોકોમાં હતાશા અને આક્રોશ વધી રહ્યો  છે. ખેડૂતો આત્મહત્યા માટે પ્રેરાય રહ્યા છે અને આમ આદમી ચક્કાજામ તથા બંધ કરતો નજરે પડે છે. સમય આવી ગયો છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર આમ આદમીની સાથે મજાક બંધ કરે, પેટ્રોલનો જંગી ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચે અને વધતા ફૂગાવા તથા મોંઘવારી પર કાબુ મેળવવા કડક પગલાં ઉઠાવે.