લેબલ રાલેગાંવ સિદ્ધિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રાલેગાંવ સિદ્ધિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 18 ઑગસ્ટ, 2011

અણ્ણા હજારેને 21 સવાલ


આનંદ શુક્લ

(1) માનનીય અન્ના હજારે લોકપાલ નિયુક્ત કરવા માટે તમે આંદોલનની શરૂઆત કરી હતી, હવે તમે ભ્રષ્ટાચાર અને વ્યવસ્થા પરિવર્તન તથા બીજી આઝાદીની લડાઈનું આહ્વવાન કરવા લાગ્યા છો. ત્યારે તમે ભારતની લોકતાંત્રિક પદ્ધતિઓ પ્રમાણે આ વાત કરવા માંગતા હોય તેમ લાગતું નથી. તમારો ઈરાદો બીજા ગાંધી કે જેપી બનાવાની મહત્વકાંક્ષામાં દેશને અરાજકતા તરફ ઘસડી જવાનો તો નથી ને?

(2)તમારી વાતોને સાંભળીને લાગે છે કે કાં તો તમે સંભ્રમમાં છો અથવા લોકોને ભ્રમમાં નાખી રહ્યાં છો. તમે કોઈ અન્ય શક્તિઓના હાથમાં મ્હોરું બની ગયા હોય તેવી સંભાવના ઈન્કારી શકાય તેમ નથી. તો તેની તમે અથવા તમારી ટોળકી સ્પષ્ટતા શા માટે કરતાં નથી?

(3) અન્ના તમે તમારા ગામ રાલેગાંવ સિદ્ધિમાં ગ્રામ સુધારાના ઘણાં કાર્યક્રમો સફળતાપૂર્વક લાગુ કર્યા અને તમને ખ્યાતિ મળી. આવા કાર્યક્રમો અન્ય ગામડાંઓમાં લાગુ કરવાના પ્રયત્નો કેમ કર્યા નહીં? તમે અન્ય કેટલાં ગામોમાં આવા સફળ કાર્યક્રમો કર્યા છે? શું રાલેગાંવ સિદ્ધિની તમારી સફળતા તમારે રાજકીય આંદોલનો થકી અંકે કરવી હતી? તેના માટે જ તમે તમારી મહત્વકાંક્ષાઓની પૂર્તિ માટે મહારાષ્ટ્રની રાજકીય લડાઈઓ અને જનલોકપાલ બિલમાં કેટલાંક રાજકીય અને કદાચ અન્ય તત્વોનો હાથો બની ગયા છો?

(4) તાજેતરના વર્ષોમાં જોઈએ તો એક હકીકત સામે આવી છે કે કોઈ એક ક્ષેત્રમાં અનુકરણીય કામ કરનારા લોકોને નાયક બનાવીને તેમની છબીનો ઉપયોગ અન્ય ક્ષેત્રોમાં કરવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ આવા લોકો અન્ય ક્ષેત્રો માટે તૈયાર ન હોવાથી ટાંચા પુરવાર થયા છે. ત્યારે ટી. એન. શેષન, જી. કે. ખૈરનારની જેમ અન્ના હજારે તમારી પણ દશા થઈ રહી છે, તેવું તમને કેમ લાગતું નથી?

(5) અન્ના તમે જનલોકપાલ બિલના મસીહા તરીકે આજે અમારી સામે છો, પરંતુ શું આવા બિલની જરૂરિયાત, પ્રાસંગિકતા, ઉપયોગિતા, ઔચિત્ય વગેરે સંદર્ભે તમે કોઈ વિચાર કર્યો હતો અને કર્યો હતો તે શું છે? તમે તમારા રાજ્યોમાં ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ આંદોલન કર્યા અને તેમા લોકપાલ વગર જ સફળ થયા છો. આ સિવાય ગત વર્ષે લોકપાલ વગર જ ભ્રષ્ટાચારના 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ, કર્ણાટકનું માઈન્સ અને યેદિયુરપ્પાનું કૌભાંડ અને આદર્શ સોસાયટી જેવાં ઘણાં મોટામોટા ગોટાળા ખુલ્લા પડયા છે. ઘણાં પ્રભાવશાળી લોકોને જેલની હવા ખાવી પડી છે. ઘણાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ અને સીવીસી, સીબીઆઈ, એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ, લોકાયુક્ત, વગેરે હાલની લોકતાંત્રિક વ્યવસ્થામાં અસ્તિત્વમાં છે. શું તેનાથી એ નિષ્કર્ષ નીકળતો નથી કે વર્તમાન વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પુરતો અવકાશ છે? તમે લોકપાલની જીદ્દ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મેળવવા માટે તો નથી કરતાં ને?

(6) લોકપાલ લાવવા માટે તૈયાર હતા તો તમારે પહેલેથી જ લોકપાલનો મુસદ્દો તૈયાર કર્યા પછી જનતાની વચ્ચે જવું હતું, કોઈ ડાયલોગ કરવા હતા, જનજાગૃતિ કરવી હતી. પણ તેની જગ્યાએ એપ્રિલમાં અનશન અને અત્યારે અનશનના તાયફા શા માટે કરો છો? હું, બાવોને મંગળિયો બનીને ભારતના 121 કરોડ લોકોના પ્રતિનિધિત્વનો દાવો કરતી સિવિલ સોસાયટી થકી તમે સરકાર સાથે સંયુક્ત મુસદ્દા સમિતિમાં આટલી બેઠકોમાં શા માટે સામેલ થયા? તમે એક જ બેઠકમાં તમારી વાતો અને સૂચનો કહીને બહાર આવી શકતા હતા?

(7) તમે લોકતંત્રમાં લોકોને સર્વોપરી માનો છો. તો પછી સરકાર સાથે જનલોકપાલ મુદ્દે વાટાઘાટો અને વાતચીતનું નાટક શું કામ કર્યું? તમે સીધા જનમત એકઠો કરવાના કાર્યક્રમો સાથે જનતા વચ્ચે કેમ ન ગયા?

(8) અન્ના હજારે તમે સંસદની પ્રામાણિકતા પર સવાલો ઉભા કર્યા છે અને ચૂંટણી પ્રણાલી પર, તેમ છતાં તમે લોકતાંત્રિક પ્રક્રિયામાં અને દેશના બંધારણમાં કેવી રીતે વિશ્વાસ રાખો છો, તે સ્પષ્ટ કરો?

(9) તમે દેશની જનતાનું એમ કહીને અપમાન કર્યું છે કે પૈસા અને દારૂથી વોટરોની ખરીદી થાય છે. બીજા શબ્દોમાં કહું તો તમે મીડિયામાં આવતા થોડા કિસ્સાઓને આધારે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા પર પ્રશ્ન ચિન્હ કેવી રીતે લગાવી શકો? આવું કરતી વખતે તમે એ ઐતિહાસિક તથ્યો કેમ ભૂલી જાવ છો કે આ દેશની જનતાએ 1977, 1989, 1996, 1998માં સત્તા પરિવર્તનો કર્યા છે. શું આ બધાં સત્તા પરિવર્તનો પણ પૈસા અને દારૂથી વોટરોની ખરીદી કરીને કરવામાં આવ્યા છે? આવી વાહિયાત વાતો તમે કેમ કરો છો? લોકતંત્રમાં લોકોને સર્વોપરી માનો છો, પણ તમારી લોકો માટેની ધારણા સારી હોય તેમ લાગતું નથી?

(10) તમે ખુદને ગાંધીવાદી ગણાવો છો. માટે તમારો સવિનય કાનૂન ભંગ, અહિંસા, સત્યાગ્રહ, અનશન વગેરેમાં વિશ્વાસ હશે. પરંતુ બીજી તરફ તમે ગાંધીનો રસ્તો છોડીને શિવાજીનો માર્ગ અપનાવવાની ઘોષણા પણ કરી છે. એટલે કે તેનો અર્થ એ છે કે તમને ગાંધીના ચિંધ્યા માર્ગ પર પૂર્ણ વિશ્વાસ નથી અને શિવાજીના માર્ગે ચાલવાની ઘોષણાથી સ્પષ્ટ થાય છે કે તમને હિંસાથી કોઈ પરહેજ નથી. ત્યારે તમે તમારી જાતને ગાંધીવાદી કહેવાને કેવી રીતે લાયક છો?

(11) ગાંધીજી આત્મશુદ્ધિ માટે તેઓ જ્યાં હોય ત્યાં ઉપવાસ કરતાં હતા.તમે દિલ્હીમાં જ અનશન કરવાનો આગ્રહ શા માટે રાખો છો? (તમારામાં જો ગાંધી જેટલી નૈતિકતા હોત તો તમે રાલેગાંવ સિદ્ધિમાં કરોડ લોકોને ભેગા કરીને અનશન કરી શક્યા હોત અને સરકારને તમારા ઘૂંટણિયે પડવું પડત.)

(12) અન્ના હજારે 15 ઓગસ્ટનું મહત્વ તમને ખબર છે. સ્વતંત્રતા દિવસે દેશવાસીઓને અંધારું કરવાની જે અપીલ કરી, તે એક સ્વાધીન દેશની અસ્મિતાથી બિલકુલ વિપરીત તમને કેમ ન લાગી? તમે લોકોને ઓફિસમાંથી રજા લઈને આંદોલનમાં જોડાવાની દરખાસ્ત કરી. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે નૈતિક બળના આધારે ગાંધીજીના આંદોલનમાં લોકોએ નોકરીઓમાંથી રાજીનામું આપીને ભાગ લીધો હતો. શું તમારામાં આવા નૈતિક બળનો અભાવ નથી કે જેથી તમારે લોકોને નોકરીઓમાંથી રજા લેવાની દરખાસ્ત કરવી પડે છે?

(13) અન્ના તમે 15 ઓગસ્ટની સાંજે મીડિયાને તમારા પરિવારનું સભ્ય ઘોષિત કર્યું અને આશા વ્યક્ત કરી કે તમે બંને સાથે મળીને લડાઈ લડશો. પરંતુ તમે મીડિયાની પ્રસિદ્ધિથી આત્મમુગ્ધ હો તેમ નથી લાગતું? વળી લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા પણ ભ્રષ્ટ હોવાનું અને ભ્રષ્ટાચારથી ખદબદતું હોવાની વાત કોઈનાથી અજાણી નથી. ત્યારે તમે ભ્રષ્ટાચારને રોકવા માટે બીજા ભ્રષ્ટાચારીનો સાથ કેવી રીતે લીધો? તમારું આંદોલન મીડિયા સાથેની કોઈ ગોઠવણથી જ તો નથી ચાલતું ને? કારણ કે તમારું આંદોલન મીડિયામાં વધારે દેખાય છે. બાકી દેશ આખો અત્યારે સામાન્ય છે.

(14) એક તરફ તમે રાજકારણીઓનો સાથ લેવાની ના પાડો છો અને બીજી તરફ તમે અને તમારી ટોળકી લાલકૃષ્ણ અડવાણી સહીતના રાજકારણીઓના ઘરના ઉંબરા ઘસો છો. ત્યારે તમને લાગે છે કે આવા બેવડાં વલણોથી તમે કંઈપણ હાસિલ કરી શકશો? કારણ કે તંત્રમાં સુધારો કરવા કે તેને બદલવા માટે તમારે રાજકારણીઓની મદદ તો લેવી જ પડશે. પણ આ વાત તમને આંદોલનમાં જાહેરાતો કરતી વખતે ખબર પડતી ન હતી?

(15) તમે, અગ્નિવેશ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મનિષ સિસોદિયા જેવાં ચાર-પાંચ માણસોની ટોળકી ભેગી થઈને 121 કરોડ લોકોના પ્રતિનિધિત્વનો દાવો કેવી રીતે કરી શકો? ચૂંટણી પ્રક્રીયાથી ચૂંટાઈને દેશની સંસદ અને વિધાનસભાઓમાં બેઠેલા લોકો તમારા મતે દેશના 121 કરોડ લોકોના પ્રતિનિધિઓ નથી? તમે સંસદ અને વિધાનસભાઓની પ્રતિષ્ઠાને ઓછી કરવાના નિવેદનો કેવી રીતે આપી શકો? આ લોકોનું, લોકોના તંત્રનું અપમાન નથી?

(16) તમારી સાથેના અગ્નિવેશ માઓવાદીઓની તરફદારી કરે છે, કાશ્મીરના અલગતાવાદીઓને પંપાળે છે અને અમરનાથના શિવલિંગનું અપમાન કરીને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે. પરંતુ તેઓ તમારી સાથે હંમેશા હોય છે, પરંતુ રાષ્ટ્રવાદની વાતો કરનાર અને રાષ્ટ્રવાદી લોકોને આવકારનાર બાબા રામદેવ નામના ભગવાધારી સાધુને તમે મંચ પર આવવા દેવાની ના પાડતા રહ્યાં છો. આ પ્રકારનો અભિગમ હિંદુત્વવાદીઓ, રાષ્ટ્રવાદીઓ અને ભગવાધારીઓ સાથે શા માટે?

(17) તમારી સાથે ગુજરાતના વિકાસની વિરોધી મેધા પાટકર છે. તેઓએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો વિરોધ ઘણાં લાંબા સમયથી કર્યો હતો. પણ તેઓ તમારી સાથે છે. તો બીજી તરફ હર્ષ મંડર નામના મહાનુભાવ પણ ગુજરાત અને તેના લોકો માટે સારી ભાવના ધરાવતા નથી. તેમની સાથે નજીકનો ધરોબો રાખનારા લોકો પણ તમારી ટોળકીમાં છે. ત્યારે તમને તેનાથી કોઈ વાંધો કેમ ઉઠતો નથી?


(18)
મીડિયામાં આવેલા સમાચારોને આધારે તમે ગુજરાતના વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરો છો. પરંતુ અગ્નિવેશ અને મલ્લિકા સારાભાઈ જેવાં પક્ષપાતપૂર્ણ અભિગમવાળા લોકોની વાત માનીને ગુજરાતમાં ગોટાળા જ ગોટાળા હોવાની જાહેરાત કરો છો. જો આના માટે તમારી પાસે પુરાવા હોય તો તે પુરાવા તમે કેમ જાહેર કરતા નથી? હવે તો ગુજરાત સરકારે પંચની પણ રચના કરી છે.

(19) તમે ભ્રષ્ટાચાર સામે જ લડવા માંગતા હોય, તો તમારા મહારાષ્ટ્રમાં ઘણાં બધાં કૌભાંડો હજીપણ છે, પરંતુ તમે ત્યાં અનશન અને આંદોલનો કરવાના શા માટે બંધ કરી દીધા? તમારી ઈચ્છા રાષ્ટ્રીય સ્તરે ઝળકવાની તો ન હતી ને?

(20) મહારાષ્ટ્ર અને મુંબઈમાં ઉત્તર ભારતીયો પર મરાઠીવાદથી પ્રેરીત થઈને રાજ ઠાકરેના ગુંડાઓએ ઉત્તર ભારતીયો પર હુમલા કર્યા હતા. પરંતુ તમે તેની સામે કોઈ અનશન કે આંદોલન કર્યા નહીં, પરંતુ તેનાથી વિપરીત તમે રાજ ઠાકરેની પ્રશંસા કરી. તમારી આવી સંકુચિત પ્રાદેશિક દ્રષ્ટિ શા માટે છે?

(21) ગાંધીવાદી અન્ના હજારે ગાંધીજીએ પોતાની વાણીસંયમ અને મર્યાદાનો ક્યારેય ભંગ કર્યો નથી. તમે વડાપ્રધાનને લખેલા પત્રમાં ઘણો મર્યાદા ભંગ કર્યો છે. ત્યાર બાદ મનીષ તિવારીએ તમારી વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપ્યું છે. તમને વડાપ્રધાનને લખેલા પત્રમાં વાણીસંયમ અને મર્યાદાનો ભંગ થયો હોવાનું લાગે છે? તમારે આના માટે માફી શા માટે ન માગવી જોઈએ?

મિત્રો ઉપરોક્ત સવાલમાં કોઈ અન્ય સવાલ ઉમેરવો હોય તો તમારું સ્વાગત છે. તમારો સવાલ લખીને મને પોસ્ટ કરી દો.