બુધવાર, 20 જુલાઈ, 2022

હિંદુ જનાક્રોશ સામે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીને માગવી પડી હતી માફી........

આનંદ શુક્લ

--------0----------

ખામ થિયરી: માધવસિંહ સોલંકીને હાથના કર્યા હૈયે વાગ્યા-------

ભાગલાની પીડામાંથી પસાર થયેલા ભારત અને ભારતના લોકોને ખંડિત સ્વતંત્રતાના માત્ર 30 વર્ષ જેટલા ઓછા સમયમાં વોટબેંકની રાજનીતિના માઠાં પરિણામો અનુભવાયા હતા. વિભાજનની વિભિષિકામાંથી પસાર થયેલા દેશવાસીઓને જાતિવાદનું ધીમું ઝેર રાજકારણીઓ દ્વારા પીવડાવાય રહ્યું હતું. આજે જે ગુજરાતને હિંદુત્વની રાજનીતિની પ્રયોગશાળા તરીકે સ્યૂડો-સેક્યુલર પક્ષો અને સંગઠનો દ્વારા ઓળખાવામાં આવે છે, તે ગુજરાત નવું રાજ્ય બન્યા બાદથી છેક 1989 સુધી જ્ઞાતિવાદી રાજકારણની પ્રયોગશાળા બનાવી દેવાયું હતું. ગુજરાતમાં વોટબેંકની રાજનીતિના પ્રયોગો કરનારાઓમાં કૉંગ્રેસના તત્કાલિન નેતાઓ ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી અને સનત મહેતા હતા. તેમણે દેશમાં કટોકટી બાદની ગુજરાતની ચૂંટણીમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) જ્ઞાતિસમીકરણનો એક પ્રયોગ કર્યો હતો. આ વોટબેંકના પ્રયોગને કારણે રાજ્યમાં હિંદુ સમાજમાં વૈમનસ્યની સ્થિતિ પેદા થઈ હતી. 1981માં માધવસિંહ સોલંકી ખામ થિયરીના પ્રયોગથી સત્તામાં આવ્યા અને તેની સાથે અનામત અને અનામત વિરોધી આંદોલન શરૂ થયા હતા. જોકે માધવસિંહ સોલંકીએ પાંચ વર્ષની ટર્મ પુરી કરી હતી.

1985ની વિધાનસભાની ચૂંટણીમાં ખામ થિયરીના વધુ જલદ પ્રયોગે ગુજરાતમાં હિંદુ સમાજમાં વધુ જ્ઞાતિગત વૈમનસ્ય પેદા કર્યું હતું. પરંતુ જ્ઞાતિવાદી સમીકરણોને સાધીને માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતમાં કૉંગ્રેસે 149 બેઠકો પ્રાપ્ત કરી હતી. પરંતુ તેની સાથે જ જ્ઞાતિવાદી વોટબેંકની પ્રયોગશાળા બનેલા ગુજરાતમાં ફરી એકવાર અનામત અને અનામત વિરોધી આંદોલનો શરૂ થયા હતા. શરૂઆતમાં જ્ઞાતિવાદી આંદોલનો બાદમાં હિંદુ-મુસ્લિમ રમખાણોમાં બદલાયા હતા. 20 જૂન, 1985ના રોજ પ્રતિબંધ છતાં અમદાવાદમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. જો કે આખરે રાજ્યમાં બેકાબુ હિંસાની સ્થિતિને જોતા 6 જુલાઈ, 1985ના રોજ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના નિર્દેશ પ્રમાણે માધવસિંહ સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 1985માં હિંસાની ઘટનાઓ ઓગસ્ટ માસ સુધી ચાલુ રહી હતી.

વોટબેંકની રાજનીતિએ ગુજરાતની શાંતિ ભરખી----------

ખામ થિયરીના જ્ઞાતિવાદી રાજકારણે ગુજરાતની શાંતિને જાણે કે ભરખી લીધી હતી. આવી સ્થિતિનો ફાયદો લઈને મુસ્લિમ સમુદાયના અસામાજીક તત્વોની ગુંડાગીરી પણ વધી હતી. મુસ્લિમ બુટલેગરો દ્વારા દારૂ સહીતના ગેરકાયદેસર ધંધાઓ પર દાદાગીરી ચાલતી હતી.તેને કારણે તો 26 જુલાઈ,1985ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ ઘોષણા કરી હતી કે જે પોલીસ અધિકારીઓના અધિકાર ક્ષેત્રમાં બુટલેગરો પોતાના કારોબાર કરતા હશે, તેના માટે તેમને (સંબંધિત પોલીસ અધિકારીને) જવાબદાર ઠેરવીને તેમને સજા કરવામાં આવશે. જેને કારણે હંગામી ધોરણે ત્યારે પોલીસ, રાજકારણીઓ અને ગેરકાયદેસર કારોબારીની પ્રવૃત્તિ પર લગામ લાગી હતી. પોલીસે ઘણાં ગેંગસ્ટર્સની ધરપકડ કરી હતી અને શસ્ત્રો પણ ઝડપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે 8 મે, 1985ની રાત્રિએ અમદાવાદના કાળુપુર વિસ્તારમાં પોલીસ સબઈન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણા કોમવાદી હુમલો ખાળવાની કાર્યવાહી દરમિયાન ગોળી વાગવાથી વીરગતિ પામ્યા હતા. મહેન્દ્રસિંહ રાણાના બલિદાન માટે બુટલેગર અબ્દુલ લતીફની ગેંગ પર આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
જો કે કૉંગ્રેસના નેતાઓની ખામ થિયરીના પરિણામે ગુજરાત કોમવાદી હિંસાની આગમાં ઝોકાયું હતું. 9 જુલાઈ, 1986ના રોજ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી, ત્યારે તેના પર હુમલો કરાયો હતો. રથયાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 11 લોકોના જીવ ગયાનું નોંધાયું હતું. જ્યારે અન્ય કેટલાકે ગણતરીના દિવસોમાં જીવ ગુમાવ્યો હતો. તેની સાથે હુલ્લડની શરૂઆત પણ થઈ હતી.

હુલ્લડખોરો સામે હિંદુ જનાક્રોશ-----

રથયાત્રા પર હુમલાના પગલે થયેલી હિંસાના વિરોધમાં હિંદુ રક્ષા સમિતિ દ્વારા 12 જુલાઈ, 1986ના રોજ ગુજરાત બંધની ઘોષણા કરવામાં આવી હતી. હિંદુ રક્ષા સમિતિના બંધના એલાનની અસર મુખ્યત્વે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં થઈ હતી. અમદાવાદની કપડાં મિલો સહીત શહેરમાં બંધ પાળવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત પણ સજ્જડ બંધ રહ્યું હતું. જો કે રાજ્યના અન્ય વિસ્તારોમાં બંધની મિશ્ર અસર રહી હતી. આ બંધ દરમિયાન હિંસક ઘટનાઓમાં 24 લોકોના જીવ ગયા હતા. 1986માં થયેલા હુલ્લડમાં 80 જેટલા લોકોના મોત નીપજ્યા અને એક સપ્તાહની હિંસામાં 150 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

જો કે 1985ની સરખામણીએ 1986ની કોમવાદી હિંસાને ઝડપથી ડામી દેવામાં આવી હતી. તત્કાલિન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી પી. ચિદમ્બરમ અમદાવાદ દોડી આવ્યા હતા. એસઆરપી, સીઆરપીએફ, બીએસએફની 54 કંપનીઓ અને અન્ય સુરક્ષાકર્મીઓની તહેનાતી કરી દેવામાં આવી હતી. આંતરીક સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી પી. ચિદમ્બરમે 24 કલાકમાં સ્થિતિ પર કાબુ મેળવ્યાનો દાવો કર્યો હતો. કાર્યવાહીમાં 3401ની ધરપકડ કરાય હતી અને તેમા 61 લોકોને નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ એરેસ્ટ કરવામાં આવ્યા હતા.

શોભાયાત્રા-જુલૂસ પર પ્રતિબંધ-----

અમરસિંહ ચૌધરીની સરકાર સામે તત્કાલિન પરિસ્થિતિઓમાં હિંસા રોકવી સૌથી પહેલી પ્રાથમિકતા હતી. તેના કારણે રાજ્યમાં શોભાયાત્રાઓ અને જુલૂસ કાઢવા પર રોક લગાવાય હતી. 1986માં 27 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રાઓ કાઢવાની કોશિશો થઈ હતી. જેમા ફરીથી હિંસા થવાની આશંકાઓએ પણ આકાર લીધો હતો. હિંદુ સુરક્ષા સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાની ઘોષણાઓ થઈ હતી. પોલીસે આવા શોભાયાત્રા કાઢવાના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. જેમાં ઘણાં લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

જન્માષ્ટમીની શોભાયાત્રા રોકવા બેફામ બળપ્રયોગ-

અમદાવાદ ખાતેના શાહપુરમાં આવેલા અદ્વૈત આશ્રમ તરફથી જન્માષ્ટમીના રોજ શોભાયાત્રા કાઢવાની ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણા અદ્વૈત આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પંચાલે કરી હતી. ઘોષણાના પગલે કાર્યવાહીની ચિમકી આપતી નોટિસ પોલીસ દ્વારા અદ્વૈત આશ્રમ ખાતે ચોંટાડવામાં આવી હતી. જો કે અદ્વૈત આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પંચાલ અને ડૉ. પ્રવીણ તોગડિયા સહીતના નેતાઓ શાહપુરમાં શોભાયાત્રા કાઢવા માટે મક્કમ હતા. જેને ધ્યાનમાં રાખીને પોલીસે અમરસિંહ ચૌધરીની સરકારના આદેશથી અદ્વૈત આશ્રમની 10 સ્તરીય ઘેરાબંધી કરી હતી.

આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પર કાર્યક્રમ બંધ રાખવા સરકાર- પોલીસ દ્વારા દબાણ કરાયું હતું. સંન્યાસ આશ્રમના મહંત સહીતના લોકોએ તેમને શોભાયાત્રા બંધ રાખવા સમજાવવાની કોશિશો કરી જોઈ હતી. તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી બુટાસિંહના દબાણમાં તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પણ મોહનભાઈ સાથે કાર્યક્રમ રોકવા મામલે વાતચીત કરી હતી. મોહનભાઈ પંચાલ આ ઘટનાને યાદ કરતા જણાવે છે કેચારથી પાંચ વખત આવી વાતચીત થઈ હતી. શોભાયાત્રાને લઈને અડગતાને જોતા પોલીસ ફોર્સ વધારવામાં આવી અને શાહપુરમાં 25 હજાર પોલીસકર્મીઓની તહેનાતી કરાય હતી. તત્કાલિન મુખ્યમમંત્રી અમરસિંહ ચૌધરીના કહેવાથી દ્વારકાના તત્કાલિન શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ મોહનભાઈને ફોન કરીને કાર્યક્રમ રોકવા જણાવ્યું અને સંદેશાવાહકોને પણ મોકલ્યા હતા.

જો કે જન્માષ્ટમીના દિવસે પોલીસ ફોર્સની તહેનાતી વચ્ચે શોભાયાત્રા કાઢવાનું નિર્ધારીત કરાયું હતું. જન્માષ્ટમીના દિવસે મોહનભાઈ અને તેમના ધર્મપત્નીને આશ્રમના દરવાજે પોલીસે રોકયા હતા. પરંતુ તેમણે ટ્રસ્ટી હોવાનું જણાવીને અંદર જવા માટે ખાસી રકઝક કરી હતી. બાદમાં તેમને પોલીસે અંદર દીધા હતા..

મંદિરમાં ગયા બાદ મોહનભાઈ પંચાલ અને તેમના ધર્મપત્નીએ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાને હાથલારીમાં મૂકીને પૂજા કરી હતી અને અદ્વૈત આશ્રમમમાં જ શોભાયાત્રાની શરૂઆત કરી હતી. જ્યારે તેઓ પગથિયાં તરફ આગળ વધ્યા તો આસપાસ એકઠાં થયેલા સેંકડો લોકોમાંથી કોઈએ દરવાજો ખોલી નાખ્યો હતો. જેને કારણે રસ્તા પર પ્રતિમા સાથે હાથલારી લઈને મોહનભાઈ અને તેમના ધર્મપત્ની પહોંચ્યા હતા. લોકો સ્વયંભૂ શોભાયાત્રામાં જોડાવા લાગ્યા હતા.

આને જોતો પોલીસે બેફામ બળપ્રયોગ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને મોહનભાઈ, તેમના ધર્મપત્ની સહીતના શોભાયાત્રામાં સામેલ થયેલા લોકોને ખૂબ માર્યા હતા. મૂર્તિને અદ્વૈત આશ્રમમાં પાછી મૂકવામાં આવી હતી. 25 હજાર જેટલા લોકોની સ્ટેડિયમ ખાતે અટકાયત કરાય હતી. જો કે બાદમાં સાંજે તમને છોડી મૂકવામાં આવ્યા હતા.

હિંદુ આક્રોશ સામે ઝુક્યા CM, અમરસિંહ ચૌધરીને માગવી પડી માફી----

પરંતુ શોભાયાત્રા રોકયા બાદ મંદિરમાં પોલીસ જોડાં પહેરીને ગર્ભગૃહમાં ગઈ હોવાના મામલે જનાક્રોશ હતો. આ સિવાય મંદિરની અંદર પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેને કારણે આક્રોશિત લોકોએ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી માફી માંગે તેવી માગણી કરી હતી. આ માગણી સાથે હજારો લોકો એકઠા થયા હતા.

જ્યારે પોલીસની કાર્યવાહી અને વ્યાપેલા જનાક્રોશની જાણ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને થઈ, તો તેઓ પરિસ્થિતિનો તાગ પામી ગયા હતા. અમરસિંહ ચૌધરીએ આખા મામલામાં અદ્વૈત આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ પંચાલ સાથે 10 વખત ચર્ચા કરી હતી. મોહનભાઈ પંચાલે ઘટનાને યાદ કરતા કહ્યુ હતુ કે માફી માંગવા માટે અમરસિંહ ચૌધરી તૈયાર થઈ ગયા હતા. તેમને માફી માંગવાનો ડ્રાફ્ટ લખીને અપાયો હતો. આના માટે રાત્રિના 11 વાગ્યાનો સમય નિર્ધારીત કરાયો હતો. આની પાછળનું કારણ એવું હતું કે રાત્રિના 11 વાગ્યે ભીડ પ્રમાણમાં ઓછી હશે.

જો કે જનાક્રોશિત ભીડ રાત્રિના 11 વાગ્યે પણ મંદિરમાં હાજર હતી. મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી રાત્રે 11 વાગ્યે નક્કી કર્યા મુજબ આવ્યા અને આક્રોશિત ભીડ વચ્ચે મંદિરના મુખ્ય દરવાજાથી જ અંદર પ્રવેશ્યા હતા. અમરસિંહ ચૌધરીએ માફી માંગી હતી. પરંતુ લોકો વધુ ઉત્તેજીત થયા હોવાનું દેખાતા તેમને પાછલા દરવાજેથી સુરક્ષાકર્મીઓ લઈ ગયા હતા. જો કે આ દરમિયાન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી સાથે ટપલીદાવ થયો હતો. તેઓ રાત્રે 12 વાગ્યે અહીંથી નીકળી શક્યા હતા. મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી દ્વારા માફી મંગાયા બાદ લોકો વિખરાયા હતા. પરંતુ જનાક્રોશને શાંત થવામાં અઠવાડિયાનો સમય લાગ્યો હતો.

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં હિંદુત્વની લાગણીઓ આસમાને હતી. અબ્દુલ લતીફ સહીતના મુસ્લિમ બુટલેગરો સાથેની રાજકારણીઓની સાઠગાંઠ સામે પણ જનાક્રોશ વધી રહ્યો હતો. આ ઘટના બાદ યોજાયેલી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની જીત થઈ હતી. આ આખી ઘટના ગુજરાત માટે મહત્વના ટર્નિંગ પોઈન્ટ હતી, કારણ કે જ્ઞાતિવાદ કરનારા રાજકારણીઓને હિંદુ લાગણીઓ સામે ઝુકવું પડયું હતું.

1987માં ગેંગસ્ટર અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખ બન્યો ગુજરાતના રાજકારણનો ટર્નિંગ પોઈન્ટ

 - આનંદ શુક્લ

--0-

ગુજરાતમાં અમદાવાદ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર છે. અમદાવાદમાં રાજકીય વર્ચસ્વ ગાંધીનગરની ગાદી પર બેસવા માટે જરૂરી ગણાય છે. અમદાવાદમાં ગુજરાતના તમામ જિલ્લાઓના લોકો વસવાટ કરે છે. ક્યારેક ટેક્સટાઈલ મિલોને કારણે ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતા અમદાવાદમાં ભારતના વિવિધ રાજ્યોના લોકો પણ આવીને સ્થાયી થયા છે. પરંતુ અમદાવાદ કોમવાદી દ્રષ્ટિકોણને લઈને બેહદ સંવેદનશીલ શહેરોમાંથી એક છે. અમદાવાદના કોટ વિસ્તાર અને પશ્ચિમ અમદાવાદની પેટર્ન પણ આવી સંવેદનશીલતાનું પ્રતિબિંબ પુરું પાડે છે. 1987માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત ગુજરાતના રાજકારણ માટેનો એક ટર્નિંગ પોઈન્ટ પણ માનવામાં આવે છે. આ ચૂંટણીમાં ભાજપનો વિજય કૉંગ્રેસના રાજ્યમાં વળતાપાણી અને ગાંધીનગરના કેસરિયાં ગઢમાં પરિવર્તિત થવાનના સંકેત હતા. જો કે AMCને સર કર્યા પહેલા ભાજપને રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં 1982માં જીત મળી ચૂકી હતી. પરંતુ તેમ છતાં 1984ની લોકસભાની ચૂંટણી હોય કે 1985ની વિધાનસભાની ચૂંટણી હોય, ભાજપને રાજ્યમાં કોઈ ખાસ સફળતા મળી શકી ન હતી. પરંતુ 1987માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત સાથે ગુજરાતમાં રાજકીય પાસાંઓ બદલાવાની શરૂઆત થઈ હતી. તેને કારણે આ ચૂંટણીમાં મળેલી ભાજપની જીતને ગુજરાતના રાજકારણમાં હિંદુત્વના પ્રગટીકરણ માટે એક ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.

 ખામ થિયરીથી હિંદુઓમાં જાતિવાદનું ઝેર વધ્યું-----------------

ગુજરાતમાં હિંદુત્વ માટેની ભાવના સદીઓથી વણાયેલી છે. નિશંકપણે હિંદુત્વ ગુજરાતના હ્રદયની ધડકન છે. સામાજીક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ હિંદુત્વ ગુજરાતના લોકજીવનમાં અભિવ્યક્ત થતું રહ્યું છે. પરંતુ 1960થી 1985 સુધીના સમયગાળામાં કટોકટીના અપવાદરૂપ વર્ષોને બાદ કરતા ગુજરાતમાં કૉંગ્રેસ મોટી બહુમતી સાથે સત્તામાં આવતી હતી.

જૂની કેટલીક ચૂંટણીઓના આંકડા પર નજર કરીએ, તો 1962માં તત્કાલિન વિધાનસભામાં 154 બેઠકોમાંથી કૉંગ્રેસને 113, સ્વતંત્ર પાર્ટીને 26 બેઠકો મળી હતી. 1962માં ભારતીય જનસંઘે લડેલી 26માંથી એકપણ બેઠક પર તેને જીત મળી ન હતી.

1967માં રાજ્યની વિધાનસભાની તત્કાલિન 168 બેઠકોમાંથી કૉંગ્રેસને 93, સ્વતંત્ર પાર્ટીને 66 અને ભારતીય જનસંઘને માત્ર એક બેઠક પર જીત મળી હતી. 1967માં ભારતીય જનસંઘ માત્ર 16 બેઠકો પર ચૂંટણી લડયું હતું.

1972ની વિધાનસભાની ચૂંટણી 1969ના અમદાવાદ ખાતેના હુલ્લડો બાદ પ્રથમ વખત યોજાઈ રહી હતી. જો કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ભારતે આપેલી કારમી હારની અસરતળે 1972માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને 140, NCOને 16 અને ભારતીય જનસંઘને માત્ર 3 બેઠકો મળી હતી. ભારતીય જનસંઘે 1972માં વિધાનસભાની ચૂંટણીમાં 99 ઉમેદવારો ઉતાર્યા હતા.

1974માં હોસ્ટેલની મેસમાં ભાવવધારાએ નવનિર્માણ આંદોલનને જન્મ આપ્યો હતો. આ આંદોલનમાં ભારતીય જનસંઘની વિદ્યાર્થી વિંગ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ દેખાવકારો સાથે જોડાયા હતા. તો લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા સંપૂર્ણ ક્રાંતિની હાકલ, ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા કટોકટી લાગુ થવી અને નાગરિક પ્રતિકાર આંદોલન વચ્ચે તત્કાલિન રાજકીય ઘટનાક્રમ બેહદ ઝડપથી બદલાય રહ્યો હતો. જનમત પણ પોતાની પરંપરાગત રાજકીય અસરથી મુક્ત થવા લાગ્યો હતો. આ ઘટનાક્રમોમાં ભારતીય જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા તેના આનુષંગિક સંગઠનો નાગરિક હિતોને લઈને આંદોલનમાં સામે થયા હતા.

1975માં 182 વિધાનસભા બેઠકોમાંથી કૉંગ્રેસને 75 અને ભારતીય જનસંઘને 18 બેઠકો પર જીત મળી હતી. જનસંઘે 1975માં 40 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જો કે કટોકટી બાદ પરિવર્તિત થયેલા જનમતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં કૉંગ્રેસના નેતાઓએ રાજકારણને કલુષિત જાતિવાદનો અખાડો બનાવ્યો હતો. કૉંગ્રેસના નેતાઓ ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી અને સનત મહેતાની તિકડીએ ખામ (KHAM) થિયરી હેઠળ જાતિવાદનું રાજકારણ શરૂ કર્યું હતું. જેમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ મતોના સમીકરણથી સત્તા મેળવવાનો રાજકીય પેંતરો બનાવવામાં આવ્યો હતો.

1980ની વિધાનસભાની ચૂંટણીમાં ખામ થિયરી હેઠળ કૉંગ્રેસને 141 અને ભાજપને 9 બેઠકો પર જીત મળી હતી. જાતિવાદના આધારે સત્તા મેળવ્યા બાદ માધવસિંહ સોલંકીની સરકારે જાતિવાદી રાજકારણને આગળ વધારીને ગુજરાતના સામાજીક તાણાંવાણાને નુકસાન પહોંચાડતું રાજકારણ ખેલવાની શરૂઆત કરી હતી. એસસી-એસટી અનામત સિવાયની શ્રેણીમાં વધુ કેટલાક સમુદાયોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવાની જોગવાઈ માધવસિંહ સોલંકીની તત્કાલિન સરકારે કરી હતી. આની સામે 1982માં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભારતીય જનતા પાર્ટીએ ટેકો આપ્યો હતો. જો કે આ નવી અનામતની જોગવાઈ સામેનો વિરોધ અનામત વિરોધી અને અનામત તરફી આંદોલનોમાં બદલાયો હતો.

આની પાછળના કારણોમાં મિનાક્ષીપુરમ ધર્માંતરણ મામલામાં તત્કાલિન ઈન્દિરા ગાંધીની સરકાર સામે હિંદુ સમુદાયમાં આક્રોશ મુખ્ય કારણ હતું. હિંદુ સમાજમાં ધર્માંતરણ સામે વ્યાપેલા આક્રોશના વિખેરણ માટે આયોજનબદ્ધ રીતે દેશભરમાં અનામતના રાજકારણને સંબંધિત રાજ્યોમાં રોષની તીવ્રતા પ્રમાણે આગળ વધારવામાં આવી રહ્યું હતું. જો કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ધર્માંતરણના મુદ્દાને લઈને ગુજરાત સહીત દેશભરમાં જનજાગરણ શરૂ કરાયું હતું. આ સિવાય રામજન્મભૂમિને મુક્ત કરાવી ભવ્ય રામમંદિર નિર્માણના મુદ્દાને પણ જનતા સમક્ષ લઈ જવાનું શરૂ કરાયું હતું. 1983માં ગુજરાત ખાતે ગંગાજળ યાત્રા પણ કાઢવામાં આવી હતી. 1983માં જ ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ચૂંટણીમાં જીત સાથે પહેલી સફળતા મળી હતી.

પરંતુ આગળ વધી રહેલી હિંદુત્વના ભાજપના માધ્યમથી રાજકીય પ્રગટીકરણની સંભાવનાઓને ત્યારે ગ્રહણ લાગ્યું કે જ્યારે તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી. ત્યાર બાદ 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને દેશભરમાંથી માત્ર બે બેઠકો પર જીત મળી હતી. જો કે ગુજરાત હિંદુત્વના રાજકીય પ્રગટીકરણનો મજબૂત કિલ્લો બનશે, તેવા સંકેત કૉંગ્રેસને મળેલી મોટી જીત છતાં મળ્યા હતા. 1984ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી બે બેઠકોમાંથી એક બેઠક  ગુજરાતના મહેસાણાની હતી.

1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય શતરંજ પર ખામ થિયરીની ચાલ ચાલનારા માધવસિંહ સોલંકીએ ક્વોટા થકી અનામતનું રાજકારણ આગળ વધાર્યું હતું. 1985ની વિધાનસભાની ચૂંટણીમાં અનામતના રાજકારણ થકી માધવસિંહ સોલંકીએ કૉંગ્રેસને 149 બેઠકો પર જીત અપાવી હતી અને ભાજપને માત્ર 11 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જો કે અનામત આંદોલન 1985માં કોમી રમખાણોમાં ફેરવાયા હતા.

ખામ થિયરીના રાજકારણે મુસ્લિમ ગુંડાને છાવર્યો--------------------

ભારતમાં લોકશાહીને સત્તાલોલુપ રાજકારણીઓએ સૌથી વધુ મતો મેળવવાનો ખેલ બનાવી દીધો છે. મતસમીકરણો ગોઠવવામાં અસામાજીક તત્વોને છાવરવાનું પણ સત્તાલોલુપ તત્વો કરતા રહ્યા છે. ગુજરાતમાં પણ ખામ થિયરી એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ મતોના ખેલે આવા તત્વોની રાજકીય ઢાલ બનવાનું કામ કર્યું છે. ગુજરાતમાં મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરીને દારૂબંધી લાગુ કરાય છે. પરંતુ દારૂબંધીને ગેરકાયદેસર દારૂના વેપાર થકી ભ્રષ્ટાચારનું એક માધ્યમ પણ જાતિવાદી રાજકારણ સાથે 1980ના દાયકાથી બનાવી દેવાયું છે. આ ખેલમાં બુટલેગરો, રાજકારણીઓ અને પોલીસની સાઠગાંઠના આરોપો સતત લાગતા રહ્યા છે.

દારૂબંધી વચ્ચે દારૂનો ધંધો--------------------------

અબ્દુલ લતીફ પણ આવી જ સાઠગાંઠનું પરિણામ હતો. 1980ની આસપાસ અબ્દુલ લતીફે વિદેશી દારૂની હેરાફેરી શરૂ કરી હતી. ત્યારે લતીફ એક સ્થાનિક બુટલેગર માત્ર હતો. પરંતુ બે નંબરના ધંધા અને નાણાંના ખેલે લતીફનું કદ વધાર્યું હતું. 1985ની ચૂંટણીમાં અબ્દુલ લતીફે સ્થાનિક ધારાસભ્યોમાંથી એક મોહમ્મદ હુસૈન બારૈજાને મદદ કરી હતી. મુંબઈની અંધારીઆલમની જેમ અમદાવાદમાં પણ અંડરવર્લ્ડ વોટબેંકની રાજનીતિને કારણે ખતરનાક હદે ફાલવા લાગ્યું હતું.

હુલ્લડોમાં લતીફની સંડોવણી----------------

1985માં અનામત આંદોલન કોમી હુલ્લડોમાં ફેરવાયું અને ત્યારે લતીફે મુસ્લિમ વિસ્તારોમાં સક્રિયતા દાખવી હતી. લતીફે દવા, ભોજન, હુલ્લડમાં ભોગ બનેલા મુસ્લિમોને નાણાંકીય મદદ પણ પુરી પાડી હતી આરોપો તો ત્યાં સુધી લાગ્યા હતા કે લતીફે હુલ્લડો દરમિયાન હથિયારો પણ પુરાં પાડયા હતા. હુલ્લડોમાં લતીફના ગોડફાધર આલમઝેબે દરિયાપુર-કાળુપુર, શાહઆલમ, શાહપુર, જમાલપુર અને ગોમતીપુરના સ્થાનિક મુસ્લિમ ગુંડાઓને બંગડીઓ મોકલીને તેમની રમખાણો માટે ઉશ્કેરણી કરી હતી. જેને કારણે વાત વણસી હતી. અમદાવાદમાં રમખાણોને કારણે સતત કર્ફ્યૂ રહેતો, પણ જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા માટે એકાદ બે કલાકની કર્ફ્યુ મુક્તિ વચ્ચે લતીફની ગેંગના ગુંડાઓ રસ્તાઓ પર ઉતરીને સામુહિક છૂરાબાજી કરતા હતા. માત્ર એકાદ કલાકમાં 100થી 150 લોકો છુરાબાજીનો ભોગ બનીને ઘાયલ થતા હતા. ભોગ બનનારાઓમાં મોટાભાગના હિંદુઓ જ હતા. આમા દરરોજ સરેરાશ 10થી 15 લોકોના મોત પણ થતાં હતા. જેને કારણે લતીફના નામનો ખોફ પણ વધવા લાગ્યો હતો. તો લતીફ એક ગુંડામાંથી અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં મસીહા કે નેતા તરીકે સ્થાપિત થવા લાગ્યો હતો.

PSI મહેન્દ્રસિંહ રાણાની વીરગતિ----------------

1985માં અમદાવાદમાં હુલ્લડો વચ્ચે કાળુપુર અને દરિયાપુર વિસ્તારમાં વીજળી ડુલ થતાં અંધારપટ છવાયો હતો. અંધારપટ વચ્ચે કાળુપુર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ મહેન્દ્રસિંહ રાણાને સંદેશો મળ્યો કે ભંડેરીપોળ પર સતત પથ્થરમારો અને સળગતા કાકડા ફેંકવામાં આવી રહ્યા છે. મહેન્દ્રસિંહ રાણા અંધારા વચ્ચે ચોકીમાં હાજર માત્ર બે કોન્સ્ટેબલોને લઈને ભંડેરીપોળ પહોંચ્યા હતા. પીએસઆઈ રાણા પાસે સર્વિસ રિવોલ્વર, ટોર્ચ અને લાકડી જ હતી. અંધારાને કારણે ત્રણ ફૂટ દૂર પણ જોઈ શકાય તેમ ન હતું. ટોર્ચથી ચારે તરફ નજર દોડાવામાં આવી, તો કોઈ દેખાતું ન હતું. પરંતુ કાકડા અને પથ્થરો સતત પોળ પર ત્રાટકી રહ્યા હતા. લતીફ ગેંગ પાસે તો અત્યાધુનિક રાયફલ અને રિવોલ્વર આવી ગઈ હતી. અંધારામાં લતીફની ગેંગ તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં પીએસઆઈ મહેન્દ્રસિંહ રાણાને ગોળી વાગી હતી અને તેઓ વીરગતિ પામ્યા હતા. પીએસઆઈ રાણાની વીરગતિ સમયે તેમના પત્ની સગર્ભા હતા અને તેમને છેલ્લા દિવસો જતા હતા. મહેન્દ્રસિંહ રાણા રજા પર જવાના હતા. આ ઘટના બાદ લતીફ સામે જનાક્રોશ વધી રહ્યો હતો. તો લતીફ સામે તત્કાલિન કૉંગ્રેસ સરકારની નિષ્ક્રિયતા પણ હિંદુઓને ખૂંચી રહી હતી.

પોપટિયાવાડમાં લતીફનો અડ્ડો---------

રાજનેતાઓ અને પોલીસને પણ સમજાવા લાગ્યું હતું કે લતીફને મોટો બનાવીને તેમણે મોટી ભૂલ કરી હતી. લતીફ અમદાવાદના દરિયાપુરના પોપટિયાવાડ વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય ચલાવતો હતો. પોપટિયાવાડ વિસ્તારમાં પોલીસ એકલ-દોકલ ઘૂસવાની હિંમત પણ કરી શકતી ન હતી. લતીફના નામે ઓક્ટ્રોય ચોરી સહીતના બેનંબરના ધંધા પુરજોર આગળ વધવા લાગ્યા હતા.

હુલ્લડો વચ્ચે ટર્નિંગ પોઈન્ટ-------------

1985માં અમદાવાદના હુલ્લડો બાદ કોટવિસ્તારમાંથી હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો પોળોમાંથી મકાનો વેચીને બહાર જવા લાગ્યા. હિંદુઓ નારણપુરા, સોલા સહીતના વિસ્તારોમાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં જવા લાગ્યા હતા. તો મુસ્લિમો જુહાપુરા ખાતે સ્થળાંતરીત થવા લાગ્યા હતા. 1985માં રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. તત્કાલિન રાજ્ય સરકારના હુકમ છતાં જગન્નાથ મંદિર ખાતેથી સ્વયંભૂ રથયાત્રા શરૂ થઈ હતી. રથયાત્રા જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે હિંસક ઘટનાઓ પણ બની હતી. જેને કારણે જનાક્રોશમાં વધારો થયો હતો.

ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા અને અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે પણ હુલ્લડોની શક્યતાઓને જોતા રાજ્યમાં ધાર્મિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 1986માં અદ્વૈત આશ્રમ ખાતેથી જન્માષ્ટમીની યાત્રા કાઢવાની કોશિશને પણ પોલીસબળ વાપરીને કચડી નાખવામાં આવી હતી. આ ઘટનાને લઈને પણ હિંદુઓમાં જનાક્રોશ વધ્યો હતો.

ગુજરાતમાં અશાંત સ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે પણ ઘટનાક્રમો ઝડપથી બદલાય રહ્યા હતા. રામજન્મભૂમિ આંદોલન આગળ વધી રહ્યું હતું. 1987માં રામ-જાનકી યાત્રા કાઢવામાં આવી હતી. 1987માં જ નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી ભાજપમાં ભલે 1987માં મહત્વની ભૂમિકામાં આવ્યા હોય, પરંતુ અમદાવાદની સામાજીક-સાંસ્કૃતિક ઘટનાઓમાં તેમની સક્રિયતા ઘણાં સમયથી હતી. તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પણ નરેન્દ્ર મોદીને ક્યારેક મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં 1985ની સ્વયંભૂ રથયાત્રાની ઘટના કારણભૂત હતી. જોકે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી સામે સૌથી પહેલો પડકાર અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવાનો હતો. આના માટે 1985થી અમદાવાદ અને ગુજરાતમાં ઘટી રહેલી ઘટનાઓ હિંદુ સેન્ટિમેન્ટ્સને રાજકીય વાચા આપવાનું એક માધ્યમ બનવાની હતી. નરેન્દ્ર મોદી સંગઠન અને વ્યૂહરચનામાં માહેર હતા.

લતીફની 5 બેઠકો પરથી ઉમેદવારી--------------

આ ઘટનાક્રમો વચ્ચે લતીફને જેલભેગો પણ કરવામાં આવ્યો હતો. જો કે લતીફ સાબરમતી જેલમાંથી બહારની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યો હતો. જેલમાં બેઠાબેઠા લતીફને રાજનેતા બનવાની મહત્વકાંક્ષા પણ જાગી હતી. હુલ્લડોના 2 વર્ષ વીતવા છતાં લતીફનો અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં દબદબો યથાવત હતો. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પર તેની નજર હતી. લતીફ જેલમાંથી પેરોલ મેળવવા માટે અવાર-નવાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી કરતો હતો અને કોર્ટ અરજી ફગાવી દેતી હતી. જો કે લતીફની માતાનું અવસાન થતા, તેને પોલીસ જાપ્તા સાથે જેલની બહાર લાવવામાં આવ્યો હતો. લતીફની માતાની અંતિમયાત્રામાં 40 હજારથી વધારે લોકો સામેલ થયા હતા. જેલમાં પાછા જતી વખતે લતીફે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાંચ બેઠકો પરથી અપક્ષ તરીકે ઉમેદવારી દાખલ કરી હતી. જેમાં દરિયાપુર, કાળુપુર, દાણીલીડા, જમાલપુર અને રાયખડની બેઠકો સામેલ છે. ચૂંટણી વખતે લતીફ જેલમાં જ હતો, તે એકપણ દિવસ પ્રચાર કરવા માટે આવ્યો ન હતો. તેમ છતાં અબ્દુલ લતીફને પાંચ બેઠકો પરથી જીત મળી હતી.

અબ્દુલ લતીફના એકસાથે પાંચ બેઠકો પરથી ઉમેદવારી નોંધાવાને કારણે ભાજપને એક મોટો મુદ્દો મળ્યો હતો. પ્રચારમાં ભાજપના નેતાઓ જનતાને પુછતા હતા કે તમારે કોણ જોઈએ, અમે કે લતીફ?

લતીફ દરિયાપુર, વાડીગામ, જમાલપુર, રાયખડ અને દાણીલીમડા એમ કુલ પાંચ બેઠકો પરથી અપક્ષ ચૂંટણી લડયો હતો. આ ચૂંટણીમાં પાંચેય બેઠકો પરથી લતીફને 42698 જેટલા વોટ મળ્યા હતા. પરંતુ પાંચમાંથી એક બેઠક પરથી જ તે કોર્પોરેટર રહી શકે તેમ હોવાથી તેણે વાડીગામ વોર્ડની બેઠક ચાલુ રાખી હતી અને બાકીને ચાર બેઠકો છોડી હતી.

પરિણામે દરિયાપુરમાંથી ભામિની બેન (ભાજપ), જમાલપુરમાંથી ઇમ્તિયાઝ કાદરી (કોંગ્રેસ), દાણીલીમડામાંથી કાંતીભાઈ પરમાર (જનતાદળ) તથા રાયખડમાંથી ગુરુ પ્રસાદ નાયડુ (ભાજપ) ચૂંટાઈ આવ્યા હતા. વિજયી ઘોષીત થયા હતા. આમ મ્યુનિસિપલ બોર્ડમાં ભાજપ (BJP) નાં બે સભ્યોની સંખ્યા વધી હતી.


લતીફને વોર્ડ દીઠ મળેલા વોટ-----------

દરિયાપુર વોર્ડમાં અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખને સૌથી વધુ 7729 વોટ મળ્યા હતા. આ બેઠક લતીફે ખાલી હતી. જેથી ભગવતીપ્રસાદ છગનલાલ પંચાલ 5489 અને ભામિનીબહેન કાલીદાસ પટેલ 5165 વોટ સાથે વિજેતા જાહેર થયા હતા.

વાડીગામ વોર્ડમાંથી અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખને 9862 વોટ મળ્યા હતા અને આ બેઠક તેણે ચાલુ રાખી હતી. આ બેઠક પરથી અન્ય વિજેતા મોહમ્મદ હુસેન ઈસ્માઈલભાઈ પટેલને 8439 વોટ મળ્યા હતા.

જમાલપુર વોર્ડમાંથી અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખને 9814 વોટ મળ્યા હતા. આ બેઠક તેણે ખાલી કરી હતી. જેને કારણે સિંધુભાઈ કાળીદાસ મકવાણા 2489, ખુરશીદઅહેમદ સૈયદઅહેમત સૈયદને 7198 અને ઈમ્તિયાઝ અહેમદમીયાં કાદરીને 3711 વોટ સાથે વિજેતા જાહેર કરાયા હતા.

રાયખડ વોર્ડમાંથી અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખને 7617 વોટ મળ્યા હતા. આ બેઠક લતીફે ખાલી કરતા અનીસાબેગમ મિર્ઝાને 6810, અમરીશભાઈ જાગરિયાને 6199 અને ગુરુસ્વામી નાયડુને 5997 વોટ સાથે વિજેતા જાહેર કરાયા હતા.

દાણીલીમડા વોર્ડમાંથી અબ્દુલલતીફ અબ્દુલવહાબ શેખને 7676 વોટ મળ્યા હતા. જો કે આ બેઠક લતીફે ખાલી કરી હતી. આ બેઠક પરથી કાંતિલાલ પરમાર 3521, ગઝનફરખાન પઠાણ 4433 અને ચંદુલાલ નાયક 4161 વોટથી જીત્યા હતા.



ગુજરાતના રાજકારણનું દિશા પરિવર્તન-----------

અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ચૂંટણીમાં 1987માં ભાજપને મળેલી જીત આખા દેશમાં મહાનગરપાલિકામાં ભાજપને મળેલી પહેલી જીત હતી. ભાજપની આ જીતે ગુજરાતના રાજકારણની દિશા બદલી નાખી હતી. તો ગુજરાતના બદલાયેલા રાજકારણે ભારતની રાજનીતિની દિશામાં પણ પરિવર્તન આણ્યું હતું. 1989માં દેશભરમાં રામશિલા પૂજન થયા હતા. તેની વચ્ચે લોકસભા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભાજપે જનતાદળ સાથે ગઠબંધન કર્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં જનતાદળના ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી અને ભાજપના કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી તરીકે 1989માં સત્તામાં આવ્યા હતા. 1990માં રામજ્યોતિ અને વિજયાદશમી યાત્રા અને લાલકૃષ્ણ અડવાણીની રામરથયાત્રાએ હિંદુઓનું રાજકીય મોબિલાઈઝેશન કર્યું હતું. 1995માં ગુજરાતમાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું અને શંકરસિંહના બળવા બાદનો સમયગાળો બાદ કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો ગુજરાતમાં કૉંગ્રેસ 1989થી વનવાસ ભોગવી રહી છે.


-----------0--------------------

બુધવાર, 9 ડિસેમ્બર, 2020

હાથમાં ગીતા, હ્રદયમાં ભારત ભક્તિ લઈને સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર વીરતાના શક્તિપુંજ ખુદીરામ બોસ

 

હાથમાં ગીતા લઈને સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર ક્રાંતિકારી ખુદીરામ બોસ  (ભાગ-1)

-------------0-----------0------------------0--------------

ગીતાના કર્મના સિદ્ધાંતથી પ્રેરીત થઈને સ્વતંત્રતાના યજ્ઞમાં પ્રાણની આહૂતિ આપનાર ક્રાંતિકારીની અનોખી શૌર્યગાથાની વાત કરવી છે. આ ક્રાંતિકારી ભારતના સ્વાધીનતા સંગ્રામમાં સ્વતંત્રતા માટે પહેલો બોમ્બ વિસ્ફોટ કરનાર અને સૌથી પહેલા ફાંસીના તખ્ત પર બલિદાન આપનાર તથા સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર સ્વતંત્રતાસેનાની છે.

---------0-----------------                                        

દ્રશ્ય:1

તારીખ         11 ઓગસ્ટ, 1908

સમય           સવારે 6 કલાક

સ્થાન           મુઝફ્ફપુર જેલ

સિંહબાળ જેવો 18 વર્ષનો જુવાન અડગ ડગલા દઈને જેલમાંથી નીકળીને પોતાના સર્વોચ્ચ બલિદાન માટે બલિવેદી તરફ આગળ વધી રહ્યો છે... આ બલિવેદી એટલે ફાંસીનો માંચડો છે. સ્વાધીનતા સંગ્રામમાં સૌથી પહેલા અને સૌથી નાની વયના ક્રાંતિકારી પોતાના જીવનની રાષ્ટ્રયજ્ઞમાં આહૂતિ આપવા માટે આગળ વધી રહ્યા છે. તેમના ચહેરા પર કોઈ ડર નથી, કોઈ હડબડાટ નથી. યુવાનના હાથમાં રહેલી ભગવદ ગીતા અને તેના મોંઢામાંથી નીકળતા ભારતમાતા કી જય અને વંદેમાતરમના સૂત્રો તેની નિર્ભયતાનો ખુલ્લો પુરાવો છે. કર્મનો સિદ્ધાંત શીખવતી હિંદુઓની પરમ શ્રદ્ધેય ભગવદ ગીતામાં આ યુવાનની અતૂટ શ્રદ્ધા છે. આ યુવાને તો માત્ર 13 વર્ષની વયે કંઠસ્થ કરી હતી.

ફાંસીના તખ્તા પાસે પહોંચ્યા બાદ યુવાને સૌથી પહેલા હાથમાંથી ભગવત ગીતાને માથે લગાવીને પ્રણામ કર્યા.. ભારતમાતા કી જય અને વંદે માતરમનો જયકાર કર્યો... ત્યારે ભારતમાતાની પરતંત્ર હોવાની પીડા તેના ચહેરા પર છલકી ઉઠી, યુવાનના છેલ્લા શબ્દો હતા- ઘણો ગરીબ છું હું માર, મારી પાસે ભારતમાતાના ચરણોમાં અર્પણ કરવા માટે મારો પ્રાણ જ હતો.

આટલું બોલ્યા પછી ફરી એકવાર તેમના ચહેરા પર સ્મિત રેલાવા લાગ્યું, ફાંસીના ફંદાને ચુમતા કાળું કપડું પહેરી ગાળિયો ખુદ પોતાના ગળામાં નાખ્યો અને વંદેમાતરમના ઉદ્ઘઘોષ સાથે તેઓ ફાંસીના ફંદે ઝુલી ગયા.. ભારતના સ્વાધીનતા સંગ્રામમાં ફાંસીએ ઝુલીને બલિદાન આપનાર આ સૌથી નાની વયનો યુવાન બીજું કોઈ નહીં ક્રાંતિજ્યોત સમા ખુદીરામ બોસ હતા.

માત્ર 18 વર્ષ 8 માસ અને 8 દિવસની વયે સર્વોચ્ચ બલિદાન આપનાર ખુદીરામ બોસની ચિતા ગંડક નદીના તટ પર વસેલા ચંદવારાના સોડા ગોદામ ચોકમાં સજી હતી. આ સ્થાન મુઝફ્ફરપુર સેન્ટ્રલ જેલથી માત્ર બે કિલોમીટરના અંતરે હતું.

ખુદીરામ બોસની ફાંસીથી અંગ્રેજોને લાગ્યું કે ક્રાંતિની જ્યોતિ બુઝાઈ ચુકી છે. પરંતુ ક્રાંતિપુંજ ખુદીરામ બોસનું શરીર માત્ર પંચતત્વમાં વિલિન થયું હતું, તેમના વિચારો અને ભારતમાતાની સ્વતંત્રતાની અદમ્ય આકાંક્ષા બંગાળ અને ભારતના યુવાનોમાં રોપાય ચુક્યા હતા. ક્રાંતિજ્યોતને બુઝાવવાની કોશિશ કરનાર અંગ્રેજ સરકારના એક-એક પ્રયત્ને ક્રાંતિજ્યોતને ક્રાંતિજ્વાળા અને બાદમાં જ્વાળામુખીમાં ફેરવી દીધી હતી.

જેલમાં ખુદીરામ બોસને ફાંસી આપવાની પ્રક્રિયાનો આદેશ આપનારા મેજિસ્ટ્રેટે બાદમાં જણાવ્યું હતું કે ખુદીરામ બોસ એક સિંહબાળની જેમ ફાંસીના તખ્તા તરફ ચાલી રહ્યો હતો. દુબળું-પાતળું શરીર હોવા છતાં તેની આંખોમાં ચમક હતી. તેની આંખોમાં સહેજ પણ ડર દેખાતો ન હતો. તે શાનથી ફાંસીના તખ્તા તરફ આગળ વધી રહ્યો હતો કે જાણે તેને આ ઘડીની પહેલેથી જ ખબર હતી.

ખુદીરામના બલિદાને સ્વાધીનતા સંગ્રામમાં અનેક ક્રાંતિકારીઓને પ્રેરણા આપી હતી. બંગાળના બુનકરોએ એક ખાસ પ્રકારની ધોતી બનાવવાનું શરૂ કર્યું હતું. આ ધોતીની કિનારી પર ખુદીરામ લખેલું હતું. ખુદીરામ દ્વારા પ્રજ્વલિત થયેલી ક્રાંતિજ્યોત ક્રાંતિજ્વાળામાં ફેરવાઈ ચુકી હતી અને તેની ગરમી અંગ્રેજ સલ્તન ખમી શકે તેમ ન હતી. 1905માં બંગાળના ભાગલા કરનારી અંગ્રેજ સરકાર સામે માત્ર 16 વર્ષની વયે બંગભંગ વિરુદ્ધના આંદોલનમાં ઉતરનાર યુવાનની ફાંસી બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું, ખુદીરામ બોસ ખરેખર શેર-એ-હિંદ હતા અને તેમના સમ્માનમાં બંગાળમાં ભાવપૂર્ણ લોકગીતો દ્વારા આંદોલન આગળ વધ્યું. આખરે અંગ્રેજ સરકારે 11 ડિસેમ્બર-1912ના રોજ બંગાળ વિભાજનનો નિર્ણ પાછો ખેંચવો પડયો હતો.

--------0---------------

હાથમાં ગીતા લઈને સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર ક્રાંતિકારી ખુદીરામ બોસ  (ભાગ-2)

 

3 ડિસેમ્બર, 1889ના રોજ બંગાળના મિદનાપુર ખાતે ખુદીરામ બોસનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોકનાથ અને માતાનું નામ લક્ષ્મીદેવી હતું. માત્ર 6 વર્ષની વયે અનાથ થયેલા ખુદીરામ બોસનું લાલન-પાલન તેમની મોટી બહેને કર્યું હતું. ખુદીરામના માતા બેહદ ધાર્મિક હતા અને તેના કારણે નાનપણથી ખુદીરામ બોસનું વલણ પણ આવું જ હતું. તેમણે 13 વર્ષની વયે ભગવદ ગીતા કંઠસ્થ કરી લીધી હતી. તેની સાથે જ નાનપણથી તેમના મનમાં આઝાદીની લગન લાગી હતી. નવમા ધોરણ બાદ ખુદીરામ બોસે અભ્યાસ છોડી દીધો હતો. 1905માં બંગાળના વિભાજન વખતે તેઓ સ્વતંત્રતા આંદોલનમાં સામેલ થઈ ગયા હતા.

ખુદીરામ બોસ ઘણાં ક્રાંતિકારી સંગઠનો સાથે જોડાયા હતા. તેમની મુલાકાત ક્રાંતિકારી લેખક સત્યેન્દ્રનાથ બોસ સાથે થઈ હતી. બંનેએ સાથે મળીને ઘણા ક્રાંતિકારી સાહિત્યનું સંપાદન અને વિતરણ શરૂ કર્યું હતું. તેના કારણે તેમના પર રાજદ્રોહના આરોપ પણ લાગ્યા હતા. પરંતુ પુરાવાના અભાવમાં તેઓ બચી ગયા હતા.

બંગાળ વિભાજનના વિરુદ્ધમાં શરૂ થયેલા આંદોલનમાં ખુદીરામ બોસ સત્યેન બોસ દ્વારા લખવામાં આવેલી સોનાર બાંગ્લા પત્રિકાનું વિતરણ કરતા હતા. 28 ફેબ્રુઆરી-1906ના રોજ અંગ્રેજ પોલીસે તેમને પકડવાની કોશિશ કરી તો તેઓ પોલીસના ચહેરા પર મુક્કો મારીને ભાગી છૂટવામાં સફળ થયા હતા. 16 મે, 1906ના રોજ પોલીસે તેમની ધરપકડ કરી. પરંતુ પુરાવાના અભાવમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

બંગાળના વિભાજન સામે લોકોને જાગૃત કરવા માટે વંદેમાતરમ લખેલા ચોંપાનિયાં વહેંચીને તેઓ જનજાગૃત્તિ કરતા હતા. 28 ફેબ્રુઆરી-1906ના રોજ અંગ્રેજ પોલીસે ખુદીરામની સોનાર બંગલા નામની પત્રિકા વહેંચતા ધરપકડ કરી હતી. પરંતુ તેઓ પોલીસના સકંજામાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. 16 મે, 1906ના રોજ પોલીસે ફરીથી તેમની ધરપકડ કરી, પરંતુ નાની વયના કારણે તેમને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા હતા.

---------0------------------

હાથમાં ગીતા લઈને સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર ક્રાંતિકારી ખુદીરામ બોસ  (ભાગ-3)

 

બંગભંગ વિરુદ્ધના આંદોલનમાં ભાગ લેનારા આંદોલનકારીઓ માટે કોલકત્તાના જિલ્લા મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડની બર્બરતાપૂર્ણ કાર્યવાહી ખુદીરામ બોસ અને તેમના સાથી ક્રાંતિકારીઓના ગુસ્સાનું કારણ બની હતી. અંગ્રેજ સરકારે કિંગ્સફોર્ડને પ્રમોશન આપીને મુઝફ્ફપુર મોકલી દીધો હતો. પરંતુ તેમ છતાં ખુદીરામ બોસ અને તેમના સાથીદારો યુગાંતર સમિતિની ગુપ્ત બેઠકમાં કિંગ્સફોર્ડને મારવાની યોજના બનાવી ચુક્યા હતા.

બંગભંગ વિરુદ્ધના આંદોલનમાં કિંગ્સફોર્ડની આંદોલનકારીઓને આપવામાં આવેલી સજાના વિરોધમાં તેની હત્યાની યોજનાને અમલી બનાવવાની જવાબદારી ખુદીરામ બોસ અને પ્રફુલ્લ ચાકીને આપવામાં આવી હતી. ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ મુઝફ્ફરપુર જઈને કિંગ્સફોર્ડની રેકી કરી હતી અને 30 એપ્રિલ-1908ના દિવસે કિંગ્સફોર્ડની બગી જેવી દેખાતી બગી પર બોમ્બ ફેંક્યો હતો અને તેઓ ત્યાંથી ભાગી છૂટયા હતા.

આ બોમ્બ વિસ્ફોટનો અવાજ ત્રણ માઈલ સુધી સંભળાયો અને તેના પડઘા લંડન સુધી પડયા હતા. જો કે કિંગ્સફોર્ડની બગી થોડા સમય બાદ પસાર થઈ અને તે બચી ગયો હતો. જો કે બોમ્બ વિસ્ફોટને કારણે બગીમાં બેઠેલી બે અંગ્રેજ મહિલાઓના મોત નીપજ્યા હતા. પરંતુ આનાથી બેખબર બંને ક્રાંતિકારીઓ કિંગ્સફોર્ડના માર્યા જવાનું માગીને ભાગી છૂટયા હતા. ઉઘાડા પગે 24 માઈલ ભાગીને બંને વેની રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા.

રેલવે સ્ટેશન પર કેટલાક લોકોની વાતચીત પરથી તેમને જાણકારી મળી કે વિસ્ફોટમાં બે અંગ્રેજ મહિલાઓના મોત નીપજ્યા છે. તેના પર ખુદીરામ બોસે આશ્ચર્ય વ્યક્ત કરીને સવાલ કર્યો કે શું તો કિંગ્સફોર્ડ જીવતો છે? આ સવાલ સાંભળીને બંનેને પકડવા માટે જાળ બિછાવીને બેઠેલી અંગ્રેજ પોલીસના એક કર્મચારીને શંકા ગઈ અને વેની સ્ટેશન પર તેમને ઘેરી લીધા હતા. પ્રફુલ્લકુમાર ચાકીએ યુગાંતર સમિતિનો ભેદ ખુલી જાય નહીં તેના માટે ખુદને ગોળી મારીને વીરગતિ પામ્યા હતા. જ્યારે ખુદીરામ બોસની ધરપકડ કરવામાં આવી હતી.

-------0----------

હાથમાં ગીતા લઈને સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર ક્રાંતિકારી ખુદીરામ બોસ  (ભાગ-4)

 

ખુદીરામ બોસે નીડરતાથી કિંગ્સફોર્ડને મારવાની કોશિશ કરી હોવાનું પોલીસને આપેલા નિવેદનમાં સ્વીકાર્યું હતું. તેમણે બે અંગ્રેજ મહિલાના મોત બદલ ઘણો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. 8 જૂન-1908ના રોજ ખુદીરામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ખુદીરામ બોસને કોર્ટમાં લઈ જતી વખતનું દ્રશ્ય પણ ક્રાંતિકારીની લલકને છાજે તેવું હતું. દુબળા-પાતળા શરીરમાં ચિત્તા જેવી સ્ફૂર્તિ, પાતળા હોઠ પર ગર્વિલુ સ્મિત, કમરમાં કિનારીદાર સફેદ ધોતી અને દેહ પર લાંબો ખાદીનો કુર્તો પહેરેલા ખુદીરામ બોસ ખભા પર બંગાળી અંગરખુ નાખીને અંગ્રેજ પોલીસના ઘેરામાં અદાલત તરફ આગળ વધી રહ્યા હતા. તેમના કૂર્તાના એક-એક દોરામાંથી સોડાઈ રહેલી દેશભક્તિની ખુશ્બૂ, યુવાન હોવા છતા બાળક જેવા લાગતા ઓજસ્વી ખુદીરામના હાથમાં ખનકતી હાથકડીઓ અને પગમાં પડેલી બેડીઓ ટોળે વળેલા લોકોનું ધ્યાન ખેંચી રહી હતી. આ યુવાન કાળના કપાલ પર તેના એક-એક ડગલે ભારતના સ્વાધીનતા સંગ્રામમાં ક્રાંતિકારીઓ માટે પ્રેરણાદાયી શૌર્ય ગાથા લખી રહ્યો હતો.

આસપાસની ભીડમાંથી એક મહિલાએ કહ્યું, હાય રામ- આટલી નાની ઉંમરમાં આટલી મોટી સજા.... આવી ક્રૂર અંગ્રેજ સરકાર પર લાનત છે.

ખુદીરામે મહિલા સામે જોઈને સ્મિત રેલાવ્યું... તો મહિલાએ ફરીથી તેને સંબોધીને કહ્યું કે અરે બેટા! હજી તો તારી ખેલવા-કૂદવાની ઉંમર છે. ત્યારે તું શા માટે મોતની સામે બાખડી પડયો? દેશ પર મરી ફિટનારા હજી તો ઘણાં લોકો છે.

મહિલાના કરુણાસભર સ્વર સાંભળીને બાળક લાગતા અંગ્રેજોની પોલીસની વચ્ચે ચાલતા દેશભક્તે ખૂબ જ પ્રેમથી તેના માટે વિલાપ કરી રહેલા મહિલા સામે જોયું.. તેમણે કહ્યુ- અરે મા તું તો મારી માતા જેવી છે. માતાના દૂધ પર હજારો જન્મનું બલિદાન કરવામાં આવે તો પણ ઓછું પડે.. મા.. જ્યારે પણ ક્યારેય દેશની સ્વાધીનતાનો ઈતિહાસ લખવામાં આવશે,  તો કોઈ એ નહીં કહી શકે કે આ રાષ્ટ્રની સ્વતંત્રતા માટેના મહાયજ્ઞમાં નાના બાળકોનું યોગદાન ઓછું રહ્યું... આવું વિચારીને જ હું ભારતમાતા કાજે મારું બલિદાન કરી રહ્યો છું.

હાથકડી અને બેડીઓમાં ઝકડાયેલા ખુદીરામ બોસના અવાજમાં સ્વતંત્રતાની આકાંક્ષાની અજબની ખણક હતી અને તેના શબ્દોના રણકાને પારખનારી ભીડે જોશભેર ભારતમાતા કી જય અને વંદેમાતરમના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા.... આ સૂત્રોચ્ચાર સાંભળીને અદાલતમાં બેઠેલા અંગ્રેજ સરકારના જજને કંપારી છૂટી ગઈ હતી.

દેખાવમાં 13થી 14 વર્ષનો લાગતો 18 વર્ષનો છોકરો સામાન્ય લાગતો છોકરો જ્યારે અદાલતમાં જઈ રહ્યો હતો, તો કોર્ટની બહાર હકડેઠઠ્ઠ ભરાયેલી ભીડને નિયંત્રિત કરવા માટે વધુ પોલીસ ફોર્સ બોલાવવી પડી હતી. જ્યારે ખુદીરામ બોસ અદાલતના કઠઘરામાં છાતી કાઢીને ઉભો રહ્યો... તો તેના ચહેરા પર ડરનું નામોનિશાન ન હતું.

ભારતમાતાની સ્વતંત્રતા કાજે જીવ ન્યોછાવર કરવાની તમન્ના ધરાવતા આ છોકરાની સામે અંગ્રેજ જજે ઘુરકિયું કરતા સવાલ કર્યો- તારું નામ શું છે?

ખુદીરામ બોસે કહ્યુ હતુ કે નામમાં શું રાખ્યું છે શ્રીમાન. નામ અને જશની કામના તો છીછરા લોકો કરે છે. વીર, દેશભક્ત અને સંતો તો નામથી ઘણાં દૂર રહે છે. દેશભક્ત યુવાનનો આ જવાબ અંગ્રેજ જજને ખુંચ્યો હતો.

જજે ખુદીરામને તતડાવતા કહ્યુ, સીધેસીધો જવાબ આપ, નકામી વાતોમાં સમય વેડફીશ નહીં.

ખુદીરામે જજને જવાબ આપતા કહ્યુ કે તને જવાબ સંભળાય અને સમજાય ત્યારે ને.... સારું થશે કે તું ભારત છોડીને તારા દેશમાં પાછો જતો રહે... નહીંતર સમય બરબાદ કરીશ નહીં, નહીંતર બેમોત માર્યો જઈશ.

આટલું સાંભળીને જજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને તેણે ખુદીરામને કહ્યુ સટ અપ- ઈડિયટ. જજ મેજ પર વારંવાર હથોડી પછાડીને બૂમો પાડતો રહ્યો કે હવે તેને એ સજા આપીશ કે તારા હોશ ઠેકાણે આવી જશે.

ખુદીરામ બોસે નીડરતાથી જવાબ આપ્યો કે તારા કાયદામાં મોતથી પણ મોટી કોઈ સજા છે.. જો હોય તો તે પણ મને આપી દે. અમે બંગાળના સિંહો ડરવાના નથી. બહાદૂર મોતથી નહીં, પણ જમીન પર ઘસડાઈને ચાલવાવાળા જીવનથી ડરે છે. તેની સાથે આસપાસ બેઠેલા લોકો અને બહાર ઉભેલી ભીડે ભારતમાતા કી જય અને વંદેમાતરમના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા..

થોડો સમય જજ હતપ્રભ બનીને ચુપચાપ બધું જોતો રહ્યો... બાદમાં તેમણે સવાલ કર્યો કે તે બગી પર બોમ્બ કેમ ફેંક્યો હતો?

18 વર્ષના છોકરાએ નિર્ભિકતાથી જવાબ આપ્યો કે હું દરેક પ્રકારના વિરોધનો સામનો કરવાનું શીખ્યો છું. કિંગ્સફોર્ડ એટલો ક્રૂર છે કે તેને પાઠ ભણાવવાનો જ હતો.

જજે ફરીથી સવાલ કર્યો કે આ કામ માટે તારી કોઈએ ઉશ્કેરણી કરી હતી?

ખુદીરામે ગર્જના કરી કે જી હા...

જજે સવાલ કર્યો કે કોણે ?

આટલો સવાલ સાંભળતાની સાથે જ ખુદીરામ બોસે એકીશ્વાસે કહ્યુ... મારા અંતરાત્માએ, મારા જમીરે.. મારી માતાના દૂધે અને મારી ભારતમાતાએ.

જજે ખુદીરામને વચ્ચેથી અટકાવતા કહ્યુ કે છોકરા તું આવી રીતે નહીં માને, હું તને ફાંસીની સજા ફટકારી રહ્યો છું.

ખુદીરામે કહ્યુ ધન્યવાદ જજસાહેબ, આ તો હું પોતે જ ઈચ્છું છું. આ તો મારા જીવનની શુભ ઘડી છે. ભારતમાતા પર સર્વસ્વ ન્યોછારવર કરવાનો મોકો તમે મને આપી રહ્યા છો. ખુદીરામ બોસ આટલું બોલીને જોરજોરથી હસવા લાગ્યા હતા.

જજને ખુદીરામનું હાસ્ય ખૂંચી રહ્યુ હતું અને તેણે ગુસ્સાને દબાવીને કહ્યુ કે સજા સાંભળીને છોકરા તું પાગલ થઈ ગયો છે. જો તું અંગ્રેજ સરકાર સમક્ષ તારી ભૂલ બદલ માફી માંગી લઈશ તો હું તારી ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દઈશ.

જજના વિનમ્રતાના દેખાડાવાળા નાટકને પારખતા ખુદીરામ બોસે કહ્યુ, માફી માંગી લઉં હરામખોર. ગુનો તું કરે અને માફી હું માગું... આટલું બોલતાની સાથે જ ખુદીરામ જજનું ગળું પકડવા માટે દોડયા. પોલીસ વચ્ચે ન આવી હોત.. તો આ દેશભક્તે જજનું ગળું દબાવી દીધું હોત. પોલીસથી હાથ છોડાવતા ખુદીરામ બોસે ફરીથી ગર્જના કરી કે એટલું યાદ રાખજો જજસાહેબ, મે 13 વર્ષની ઉંમરે જ આખી ગીતા કંઠસ્થ કરી લીધી છે. મારો અહીં પુનર્જન્મ થશે. જલ્દીથી પાછો ફરીશ અને સૌથી પહેલા તમને ગોળીએ દઈશ. મારું નિશાન ચુકવાનું નથી. બરાબર જોઈ લો મને. પુનર્જન્મમાં મારા ગળા પર ફાંસીનું નિશાન હશે... ઓળખી લેજો મને.

પોલીસ ખુદીરામ બોસનું મોંઢુ બંધ કરીને તેમને કાળ કોઠરીમાં ખેંચી ગઈ હતી. અદાલતની બહાર એકઠી થયેલી ભીડે ત્યારે સતત જયકારા લગાવ્યા હતા.

11 ઓગસ્ટ, 1908ના રોજ ખુદીરામ બોસને ફાંસી આપવામાં આવી હતી. જો કે ખુદીરામ બોસની ફાંસી બાદ ડરી ગયેલા કિંગ્સફોર્ડને લાગતું હતું કે ક્રાંતિકારીઓ તેની હત્યા કરી નાખશે. આ ડરને કારણે કિંગ્સફોર્ડ ભારત છોડીને તેના ઈંગ્લેન્ડ પાછો ચાલ્યો ગયો હતો અને ભારતમાં ક્રાંતિની જ્વાળાઓ જ્વાળામુખી બનીને છેક 1947માં સ્વતંત્રતા સુધી પ્રજ્જવલિત રહી