મંગળવાર, 22 ડિસેમ્બર, 2015

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2015માં તાલુકા-જિલ્લા-નગરપાલિકા-મહાનગરપાલિકાઓની વોટિંગ પેટર્ન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતોની વોટિંગ પેટર્ન

230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. ઘણાં લાંબા અરસા બાદ કોંગ્રેસને તાલુકા પંચાયતોમાં ભાજપથી વધારે મત મળ્યા છે. તાલુકા પંચાયતોના પરિણામોને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે રેડ સિગ્નલ સમાન ગણવામાં આવે છે. વોટિંગ પેટર્નમાં નોટા- અપક્ષના મતોની સંખ્યા ભાજપને ઘણો મોટો રાજકીય સંદેશો પાઠવી રહી છે. 

ગુજરાતની 230 તાલુકા પંચાયતો તાજેતરની ચૂંટણીની વોટિંગ પેટર્ન ઘણી ચોંકવનારી દેખાઈ છે. લગભગ પંદર વર્ષ બાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. મળેલા આંકડા પ્રમાણે કોંગ્રેસને 46 ટકા એટલે કે 72 લાખ 35 હજાર 708 મત મળ્યા છે. તો ભાજપને કોંગ્રેસ કરતા 2.68 ટકા ઓછા મત સાથે કુલ મતના 43.32 ટકા મત મળ્યા છે. ભાજપને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 68 લાખ 14 હજાર 573 મત મળ્યા છે. 230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષોને 4.96 ટકા એટલે કે સાત લાખ 81 હજાર 486 મત મળ્યા છે. તો અન્યના ખાતામાં 1.41 ટકા એટલે કે બે લાખ બાવીસ હજાર બસ્સો ત્રીસ મત મળ્યા છે. જ્યારે નોટાના બટનનો ઉપયોગ કરનારા મતદાતાઓની સંખ્યા 2.88 ટકા એટલે કે ચાર લાખ 53 હજાર 149 મત મળ્યા છે. તો બીએસપીને 0.63 ટકા સાથે 99 હજાર 987 મત મળ્યા છે. જ્યારે એનસીપીને 0.18 ટકા એટલે કે 28 હજાર 659 મત મળ્યા છે. તો સીપીએમને માત્ર 1305 મત મળી શક્યા છે. સમાજવાદી પાર્ટીને 2549.. જેડીયુને 88 હજાર 169 મત મળી શક્યા છે. 230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ એક કરોડ 57 લાખ 27 હજાર 815 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

કોંગ્રેસને ભાજપ કરતા 2.68 ટકા જેટલા ઓછા મત મળ્યા છે. ભાજપ કરતા કોંગ્રેસને ચાર લાખ 21 હજાર 135 જેટલા વધુ વોટ મળ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના મતના અંતરમાં કરતા નોટાનો ઉપયોગ કરનારા મતદાતાઓની સંખ્યા બત્રીસ હજાર 14 જેટલી વધારે હતી. એટલે કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં નોટાનો વિકલ્પ પસંદ કરનાર ઉપલબ્ધ તમામ વિકલ્પો સિવાયના વિકલ્પની શોધમાં દેખાયા છે. તો અપક્ષ અને અન્યને પસંદ કરનાર મતદાતાઓની સંખ્યા 10 લાખ ત્રણ હજાર 716 જેટલી છે. તેથી અપક્ષ અને અન્યનો વોટ કાપવા માટે ક્યાં પક્ષે કેવી રીતે ઉપયોગ કર્યો તે પણ એક રાજકીય અભ્યાસનો વિષય બન્યો છે. 

કોંગ્રેસની ગુજરાતમાંથી સત્તા ગઈ ત્યારે મતદાતાઓની વોટિંગ પેટર્નમાં આવા જ સંકેતો સાંપડયા હતા. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીતને 2017માં ભાજપના વળતા પાણીની શરૂઆત તરીકે જોવામાં આવે છે. તો મોદીકાળમાં ગુજરાતમાં મુર્છિત અવસ્થામાં રહેલી કોંગ્રેસને ફરીથી કળ વળી હોય તેવું પણ દેખાઈ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીની આક્રમકતાથી દેખાઈ રહ્યું છે. પરંતુ ભાજપ પાસે હજીપણ નોટા અને અપક્ષ દ્વારા કપાયેલા મતોને પોતાના તરફ વાળવા માટે પોણા બે વર્ષ જેટલો સમય છે.. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતોની વોટિંગ પેટર્ન

31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ વોટિંગ પેટર્ન ભાજપની પોતાના ગઢમાં બગડી રહેલી રાજકીય પરિસ્થિતિનો તાગ આપે છે. નોટા અને અપક્ષની ભૂમિકાને કારણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. 

31 જેટલી જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને 47.85 ટકા સાથે 73 લાખ 34 હજાર 455 મત મળ્યા છે. તો ભાજપને 43.97 ટકા સાથે 67 લાખ 40 હજાર 397 મત મળ્યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષને 2.91 ટકા સાથે 4 લાખ 47 હજાર 136 મત મળ્યા છે. તો નોટાનો ઉપયોગ 2.95 ટકા એટલે કે 4 લાખ 53 હજાર 328 મતદાતાઓએ કર્યો છે. જ્યારે અન્ય પક્ષોના ઉમેદવારોને 0.97 ટકા સાથે એક લાખ 49 હજાર 652 મત મળ્યા છે. 

જ્યારે બીએસપીને 0.40 ટકા સાથે 61 હજાર 893 મત.. એનસીપીને 0.08 ટકા સાથે 13 હજાર 630 મત મળ્યા છે. સીપીએમએમને 0.02 ટકા સાથે 4 હજાર 496 મત.. એસપીને 0.01 ટકા સાથે એક હજાર 948 મત અને જેડીયુને 0.7 ટકા મત સાથે એક લાખ 19 હજાર 218 મત મળ્યા છે. 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ એક કરોડ 53 લાખ 26 હજાર 53 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

31 જિલ્લા પંચાયતો માટે કુલ એક કરોડ 53 લાખ 26 હજાર 53 મતદાતાઓએ વોટિંગ કર્યું હતું. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતા 3.88 ટકા વધુ મત મળ્યા છે. કોંગ્રેસને ભાજપ કરતા પાંચ લાખ 94 હજાર 58 જેટલા વધુ મત મળ્યા છે. આ તફાવત નોટા કરતા એક લાખ ચાલીસ હજાર 730 જેટલો વધુ છે. બંને પાર્ટીઓ વચ્ચેના મતનો તફાવત અપક્ષને મળેલા મત કરતા એક લાખ 46 હજાર 922 જેટલો વધુ છે. અપક્ષ અને નોટાને મળેલા કુલ મત નવ લાખ ચારસો ચોસઠ જેટલા છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ નોટા અને અપક્ષને મળેલા મતની કોંગ્રેસને મળેલી સરસાઈમાં મોટી ભૂમિકા રહી છે. 

શહેરી વિસ્તારની પાર્ટી ગણાતા ભાજપ માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાના પરિણામો રાહત આપનારા જરૂર છે. પરંતુ અહીં પણ મતોનું ધોવાણ થયું છે અને કોંગ્રેસના મતમાં વધારો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોના આધારે સેમીઅર્બન અને અર્બન વિસ્તારોમાં કોંગ્રેસને અમુક વિધાનસભાઓમાં સરસાઈ મળી હોવાનું તારણ પણ વહેતું થયું છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાઓની વોટિંગ પેટર્ન 

56 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 44.69 ટકા સાથે 37 લાખ ત્રણ હજાર 127 મત મળ્યા હતા. તો કોંગ્રેસને 39.59 ટકા સાથે 32 લાખ 80 હજાર 150 મત મળ્યા હતા. અપક્ષનો 11.97 ટકા સાથે નવ લાખ 91 હજાર 932 મત મળ્યા હતા. અન્ય પક્ષોને 1.44 ટકા સાથે એક લાખ 19 હજાર 448 મત મળ્યા હતા. તો નોટાનો ઉપયોગ માત્ર 0.36 ટકા એટલે કે 30 હજાર 623 મતદાતાઓએ કર્યો હતો. તો બીએસપીને 0.72 ટકા સાથે 60 હજાર તેંત્રીસ મત.. એનસીપીને 0.65 ટકા સાથે 54 હજાર 91 મત.. સીપીએમને 0.07 ટકા સાથે 6 હજાર 536 મત... સીપીએમએમને 0.07 ટકા સાથે 6 હજાર 10 મત મળ્યા હતા. સમાજવાદી પાર્ટીને 0.05 ટકા એટલે કે ચાર હજાર 434 મત.. જેડીયુને 0.34 ટકા સાથે 28 હજાર 437 મત મળ્યા છે. નગરપાલિકા માટે કુલ 82 લાખ 84 હજાર 821 મતદાતાઓએ મતદાન કર્યું હતું. 

અર્ધશહેરી વિસ્તારોમાં ભાજપને કોંગ્રેસ કરતા પાંચ ટકા વધારે મત મળ્યા છે. બંને પક્ષો વચ્ચે ચાર લાખ બાવીસ હજાર 977 મતનો રહ્યો છે. જો કે અપક્ષ અને અન્યને મળેલા મતનો સરવાળો અગિયાર લાખ અગિયાર હજાર 360નો છે. જે ભાજપ અને કોંગ્રેસના મતોની તફાવત કરતા લગભગ બેગણો છે. આવા સંજોગોમાં અપક્ષ અને અન્ય અહીં ભાજપ અને કોંગ્રેસની હાર-જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓની વોટિંગ પેટર્ન

છ મહાનગરપાલિકાની વોટિંગ પેટર્ન ભાજપ માટે સારી છે. અહીં ભાજપે પોતાની સત્તા તો જાળવી રાખી છે. પરંતુ તેમના મતની ટકાવારીમાં ખાસું ધોવાણ જોવા મળ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 50.13 ટકા એટલે કે 76 લાખ 4 હજાર 169 મત મળ્યા છે. તો કોંગ્રેસને 41.12 ટકા એટલે કે 62 લાખ 37 હજાર 26 મત મળ્યા છે. અન્ય પક્ષોના ખાતામાં 1.69 ટકા સાથે બે લાખ 57 હજાર 673 મત ગયા છે. અપક્ષને 2.71 ટકા એટલે કે ચાર લાખ 11 હજાર 583 મત મળ્યા છે. નોટાનો ઉપયોગ કરનારા મતદાતા 0.54 ટકા એટલે કે 82 હજાર 382 જેટલા રહ્યા હતા. તો બીએસપીને 1.85 ટકા એટલે કે બે લાખ 80 હજાર 667 મત.. એનસીપીને 1.16 ટકા એટલે કે એક લાખ 77 હજાર 405 મત... સીપીએમએમને 0.26 ટકા એટલે કે 40 હજાર 691 મત મળ્યા હતા. સમાજવાદી પાર્ટીને 0.48 ટકા સાથે 73 હજાર 776 મત મળ્યા હતા. તો જેડીયુને 0.009 ટકા સાથે માત્ર એક હજાર 421 મત મળ્યા હતા. છ મહાનગરપાલિકામાં એક કરોડ 51 લાખ 66 હજાર 793 મતદાતાઓએ વોટિંગ કર્યું હતું. 

ગુજરાતમાં લગભગ 43 ટકા જેટલો શહેરી વિસ્તાર છે. છ મહાનગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી છે. ભાજપને કોંગ્રેસ કરતા 9.01 ટકા વધુ મત મળ્યા છે. બંને વચ્ચે 13 લાખ 67 હજાર 143 જેટલા મતનો તફાવત છે. જેમાં અપક્ષ અને અન્યના મતનો સરવાળો છ લાખ 69 હજાર 256 થાય છે. તો મહાનગરપાલિકામાં બીએસપી અને એનસીપીના મતોનો સરવાળો ચાર લાખ 58 હજાર 72 જેટલો થાય છે. અપક્ષ.. અન્ય.. બીએસપી અને એનસીપીના મતોનો સરવાળો અગિયાર લાખ 27 હજાર 328 થાય છે. મહાનગરપાલિકામાં બીએસપી દલિત સમાજ અને એનસીપી પણ ચોક્કસ સમુદાયનો મોટો વોટ શેયર ધરાવે છે. 

અમદાવાદ અને સૂરતની મહાનગરપાલિકાઓ પર સૌની નજર હતી. અહીં બીએસપી-એનસીપી ફેક્ટર સાથે સુરતમાં અપક્ષને મળેલા મતોનું પરિબળ ઘણું મહત્વનું રહ્યું છે. મહાનગરપાલિકાઓમાં સૌથી રસપ્રસદ મુકાબલો રાજકોટમાં રહ્યો હતો. 
અમદાવાદની વોટિંગ પેટર્ન પ્રમાણે ભાજપને 50. 47 ટકા સાથે 31 લાખ 47 હજાર 131 મત મળ્યા હતા. કોંગ્રેસને 42.22 ટકા સાથે 26 લાખ 32 હજાર 840 મત મળ્યા છે. બંને વચ્ચે પાંચ લાખ 14 હજાર 291 મતનો તફાવત છે. ભાજપને કોંગ્રેસ કરતા 8.25 ટકા વધુ મત મળ્યા છે. 

અમદાવાદમાં બીએસપીને 92 હજાર 171.. એનસીપીને 66 હજાર 972 .. સીપીએમએમને 16 હજાર 478.. સમાજવાદી પાર્ટીને 12 હજાર 454 અને અન્યના ખાતામાં 32 હજાર 900 મત ગયા છે. જ્યારે અપક્ષને 38 હજાર 647 મત મળ્યા છે. 

સુરતમાં ભાજપને 51.76 ટકા સાથે 18 લાખ 89 હજાર 891 મત મળ્યા હતા. તો કોંગ્રેસને 39.01 ટકા સાથે 14 લાખ 45 હજાર 521 મત મળ્યા છે. ભાજપને કોંગ્રેસ કરતા 12.75 ટકા જેટલા વધુ મત મળ્યા છે. ભાજપને કોંગ્રેસ કરતા ચાર લાખ 65 હજાર 370 જેટલા વધુ મત મળ્યા છે. 

સૂરતમાં બીએસપીને 71 હજાર 186 .. એનસીપીને 34 હજાર 554 .. સીપીએમએમને ત્રણ હજાર અઠ્ઠાવીસ.. અન્યને 66 હજાર 273.. અપક્ષને એક લાખ પિસ્તાલીસ હજાર 787 મત મળ્યા છે. અહીં નોટાનો 16 હજાર 14 મતદાતાઓએ ઉપયોગ કર્યો છે. સુરતમાં અપક્ષને મળેલા પોણા બે લાખ મતોની ભૂમિકા પણ અવગણી શકાય તેમ નથી. 

જેટલીના બચાવમાં અડવાણીનું ઉદાહરણ, વડાપ્રધાન મોદીના વઝીરને ખાસ રાજકીય સંકેત ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ વઝીર અરુણ જેટલીની કામગીરીથી છેલ્લા કેટલાંક સમયથી તેઓ નારાજ છે. પરંતુ તેમને સીધું કહી શકતા નથી. બિનઆધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે.. સેવન- આરસીઆરથી જેટલી તરફ આંગળી ચિંધતા ડીડીસીએ વિવાદની શરૂઆત કરવાની લીલીઝંડી આપી હોવાનું મનાય છે. આ વિવાદ સંપૂર્ણપણે ચગાવાયા બાદ જેટલીના સંરક્ષણના નામે મોદીએ ભાજપની સંસદીય દળની બેઠક સમક્ષ  અડવાણીની જેમ બેદાગ બનીને જેટલી બહાર આવશે તેવું નિવેદન કરીને પોતાના પ્રધાનમંડળના વઝીરને કોઈ ખાસ રાજકીય સંકેતો આપ્યા છે. 

ભાજપના દિગ્ગજ નેતાઓને ઘેરતા વિવાદોના ટાઈમિંગ પણ ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ તરફ સંકેત કરે છે.. બજેટ સત્ર પહેલા ડીડીસીએના આરોપના ચક્રવ્યૂહમાં અરુણ જેટલીને ફસાવવાની કોશિશ અને કીર્તિ આઝાદને ખુલ્લા દાવાઓની આઝાદી પાછળ ભાજપની અંદરની કોઈ હરકત છે કે કેમ તેવા પણ સવાલો અને અટકળબાજીઓ દિલ્હીના રાજકીય વર્તુળોમાં વહેતી થઈ છે. 

ભાજપની સંસદીય દળની બેઠકમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી પર ડીડીસીએ મામલે કરાયેલા આરોપના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી પ્રતિક્રિયાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે જેવી રીતે રામજન્મભૂમિ આંદોલનના રથ પર સવાર થઈને અડવાણી લોકપ્રિયતાને આંબી રહ્યા હતા. ત્યારે જ હવાલા કાંડમાં તેમનું નામ ઉછળ્યું હતું. તે વખતે ડાયરીમાં ખાલી નામના ઉલ્લેખ માત્રથી અડવાણીએ સાંસદ પદ સહીતના પાર્ટીના પદો પરથી રાજીનામા આપી દીધા હતા. હવાલા કાંડમાંથી તેઓ બેદાગ સાબિત થયા ત્યારે જ તેમણે ફરીથી ચૂંટણી લડી હતી અને ભાજપના ઉચ્ચપદે કામ કરવાની જવાબદારી સ્વીકારી હતી. 

અડવાણીની જેમ જેટલીને બેદાગ સાબિત થઈને નીકળશે તેવા પીએમ મોદીના નિવેદનથી રાજકીય વર્તુળોમાં અટકળબાજી તેજ બની છે. આમ તો 2002 ઘટનાઓની પડકારજનક રાજકીય સ્થિતિમાં જેટલી નરેન્દ્ર મોદી સાથે જ રહ્યા હતા. ગોવા કારોબારીમાં ગુજરાતના મુખ્યપ્રધાન પદે નરેન્દ્ર મોદી જ હોવા જોઈએ તેવો ભાજપનો સ્પષ્ટ મત ઉભો કરવામાં અરુણ જેટલીની ઘણી મોટી ભૂમિકા હતી. આમ તો જેટલીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગતપણે ઘણાં ખુશ છે. તેથી તેમને અમૃતસર ખાતે નવજોતસિંહ સિદ્ધૂના સ્થાને લોકસભાની ટિકિટ આપીને ચૂંટણી લડાવી હતી. હારવા છતાં જેટલીને કેન્દ્રીય નાણાં પ્રધાન અને સંરક્ષણ પ્રધાન એમ એક સાથે બે મહત્વના પ્રધાનપદા પણ આપ્યા હતા. મનોહર પર્રિકરના સંરક્ષણ પ્રધાન બનાવ્યા બાદ જેટલી પાસે નાણાં મંત્રાલય જેવું મહત્વપૂર્ણ ખાતું છે. 

આમ તો મોદીની કેબિનેટમાં ભલે રાજનાથ નંબર-ટુ ગણાતા હોય.. પરંતુ અરુણ જેટલી હકીકતમાં વડાપ્રધાનના વઝીર હોવાની માન્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા માટે અર્થતંત્રની ગતિ અને ઊંચો વિકાસ દર નાણાં મંત્રાલય પાસેથી તેમની પહેલી અપેક્ષા હોઈ શકે છે. પરંતુ નાણાં મંત્રાલયનું પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે.. તેવું નહીં હોવાની ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ડીડીસીએ વિવાદમાં જેટલી સામે આમ આદમી પાર્ટીના આરોપો બાદ ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ અડવાણીનું ઉદાહરણ આપીને એક કાંકરે બે પક્ષીઓ માર્યા હોવાની ચર્ચા છે. 

ચર્ચા છે કે વડાપ્રધાન મોદી આમ તો અંગતપણે જેટલીથી ખુશ છે. પરંતુ નાણાં મંત્રાલયના પ્રદર્શનથી એટલા ખુશ નથી. જેનો સીધો અર્થ થાય છે કે જેટલીના કામકાજથી તેઓ ખુશ નહીં હોય. આવા સંજોગોમાં વડાપ્રધાન મોદીએ અડવાણીનું ઉદાહરણ આપીને જેટલીને રાજીનામું આપવાના સંકેત આપ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. કેટલાંક રાજકીય જાણકારોનું કહેવું છે કે આને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ માટેની કામરાજ યોજનાની શરૂઆત પણ કહી શકાય. જેવી રીતે ઈન્દિરા ગાંધીના વડાંપ્રધાન બન્યા બાદ કામરાજ યોજના હેઠળ કોંગ્રેસના અડચણરૂપ જૂનાજોગીઓને સરકારમાંથી હટાવીને પાર્ટી સંગઠનમાં મોકલવામાં આવ્યા હતા. તેવી રીતે વડાપ્રધાન મોદી પણ તેમની સરકારના બાકી બચેલા સાડા ત્રણ વર્ષથી ઓછા સમય માટે કામરાજ યોજનાની તર્જ પર પ્રધાનમંડળમાં કોઈ ફેરફારની ઈચ્છા ધરાવતા હોય તો તેને નકારી શકાય તેમ નથી. 

વળી લલિતગેટ મામલે કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ.. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયા સામેની આક્ષેપબાજી થઈ ચુકી છે. જેના કારણે મોનસૂન સત્ર ધોવાયું હતું. તો મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન સામે વ્યાપમનું કૌભાંડ પણ ખૂબ આક્રમક રીતે કોંગ્રેસે સંસદમાં ઉઠાવ્યું હતું. છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહ સામે પણ ચોખાના કૌભાંડનો મામલો ઉઠાવાયો હતો. તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ પદ માટે રિપીટ થવાનું નક્કી મનાતું હતું તેવા સમયે જ પ્રવર્તમાન પરિવહન પ્રધાન નીતિન ગડકરી સામે પૂર્તિ કાંડ સામે આવ્યો હતો. ભાજપના મહત્વના નેતાઓ સામે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના ટાઈમિંગને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ રહે છે કે કદાચ ક્યાંક પીએમઓમાંથી તો કોઈ દોરીસંચાર તો થતો નથી ને... ગડકરીના મામલે તો આરએસએસના એક વયોવૃદ્ધ નેતાએ સીધી શંકાઓ પણ વ્યક્ત કરી હતી. 

ત્યારે જેટલી સામે બજેટ સત્ર પહેલા જ ડીડીસીએ મામલે ભાજપના જ સાંસદ કીર્તિ આઝાદ દ્વારા કરવામાં આવેલા ખુલ્લા દાવાઓ અને આમ આદમી પાર્ટી-કોંગ્રેસના આક્રમક વલણો ચોક્કસ રાજકીય સંકેતો આપી રહ્યા છે. જેટલી પણ સોનિયા ગાંધી સાથે મળીને તેમની પાર્ટીના સાંસદ દ્વારા તેમની વિરુદ્ધ કથિત ષડયંત્રની આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. 

ત્યારે સવાલ એ છે કે કીર્તિ આઝાદને જેટલી દબાણમાં આવે તેવા સાત વર્ષ જૂના મામલાને આવી રીતે ઉઠાવવાની આઝાદી કોણે આપી?.. શું ભાજપની અંદરથી કોઈ દોરીસંચાર છે? .. શું પીએમઓ કીર્તિ આઝાદની આક્ષેપબાજી કરતા દાવાઓની આઝાદી સામે આંખ આડા કાન કરી રહ્યું છે? દિલ્હીના રાજકીય વર્તુળોમાં જેટલીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીપ્પણી બાદ ઉપરથી શાંત લાગતા કેન્દ્રીય રાજકારણમાં અટકળબાજીના વમળો પેદા થયા છે.

રવિવાર, 15 નવેમ્બર, 2015

સીરિયાના ગૃહયુદ્ધની સાઈડ ઈફેક્ટ યુરોપ પર ત્રાટકેલું શરણાર્થીઓનું સંકટ

સીરિયાને વિદેશી શક્તિઓએ ભેગા મળીને પોતાની સરસાઈ સાબિત કરવાનો અખાડો બનાવી દીધું છે. તો સુપરપાવરોના ટકરાવ વચ્ચે ઈરાન અને સાઉદી અરેબિયાની પ્રાદેશિક સ્તરે પ્રભાવ વધરવાની લડાઈ પણ તીવ્ર બની છે. જેના કારણે સીરિયા હવે શિયા-સુન્નીપંથીઓની સૌથી મોટી યુદ્ધભૂમિમાં તબ્દીલ થઈ ચુક્યું છે. પરંતુ અહીં લાગેલી આતંકની આગ દુનિયાને દઝાડી રહી હોવાથી હવે તે વૈશ્વિક પડકાર છે.

સીરિયાના ગૃહયુદ્ધને બીજા વિશ્વયુદ્ધના સૌથી મોટા માનવીય સંકટ ગણવામાં આવે છે. સીરિયાના ગૃહ યુદ્ધમાં પાંચ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેટલા જ લોકો ગુમ થયા છે અથવા ઈજાગ્રસ્ત બન્યા છે. તો બે કરોડ વીસ લાખ જેટલા લોકો નિરાશ્રિત બનીને દુનિયામાં ભટકીને દોઝખનો જીવતેજીવત અનુભવ કરી રહ્યા છે. પરંતુ તેનાથી પણ વધારે ગંભીર બાબત એ છે કે સીરિયા ઈસ્લામિક જગતના સૌથી તીવ્ર ધાર્મિક મતભિન્નતાના શિયા-સુન્ની પંથી વર્ગવિગ્રહની સૌથી મોટી યુદ્ધભૂમિ પણ બની ચુક્યું છે. તેના પરિણામે મધ્ય-પૂર્વ એશિયાની સરહદો પર તેની ગંભીર અસર થઈ રહી છે અને વિશ્વમાં પણ આતંકવાદની આગ સીરિયાની સમસ્યા સાથે વધુ ભભૂકી ઉઠી છે. 

સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદે દેશમાં વિરોધને દબાવી દેવા માટે કરેલી કોશિશોએ પ્રાદેશિક ગૃહયુદ્ધને ભડકાવ્યું છે. સીરિયામાં હાલ ત્રણ અલગ-અલગ શક્તિઓનું વર્ચસ્વ છે. સીરિયાના પશ્ચિમ ભાગમાં અલાવાઈટ અને લઘુમતીના પ્રભાવવાળી અસદની સરકારની સત્તા છે. તેને ઈરાનિયન રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા તાલીમ પામેલા શિયા જૂથોનો ટેકો છે. સીરિયાના મધ્યભાગમાં સુન્ની મોડરેટ.. ઈસ્લામિક અને જેહાદી જૂથોનું વર્ચસ્વ છે. જેમાં આઈએસઆઈએસ અને અલકાયદા સાથે જોડાયેલા જમાત-અલ-નુસરાનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર-પૂર્વમાં કુર્દીશ લોકોના પીપલ્સ પ્રોટેક્શન યુનિટ્સ એટલે કે વાયપીજી પશ્ચિમ કુર્દીસ્તાનના રોજાવા સુધીના ક્ષેત્ર પર નિયંત્રણ મેળવ્યું છે. 

ઘરવિહોણા થયેલા લોકો નજીકના દેશોમાં શરણ શોધતા હોય છે. તેનો ફાયદો પાડોશી દેશો પોતાના વંશીય એજન્ડાને આગળ વધારવા માટે કરતા હોય છે. તેના કારણે સીરિયાના સામાજિક તાણાવાણાંને તોડી રહ્યા છે. ઈરાન અને રશિયાના ટેકાથી અસદ હજી સુધી સત્તામાં ટકી રહ્યા છે. તો તુર્કી.. જોર્ડન.. સાઉદી અરેબિયા.. કતર અને યુએઈ સુન્નીપંથી બળવાખારો જૂથોને ટેકો આપી રહ્યા છે. જ્યારે કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી વાયપીજીને સમર્થન આપી રહી છે. 

રશિયા-અમેરિકાના હસ્તક્ષેપ બાદ સીરિયાના ગૃહયુદ્ધમાં હાર-જીતનો ફેંસલો અધ્ધરતાલ

સીરિયામાં હિંસાગ્રસ્ત સ્થિતિ અને આઈએસના આતંકને કારણે નિરાશ્રિતો આશ્રય શોધવા માટે દુનિયાભરમાં ભટકી રહ્યા છે. શરણાર્થીઓ અન્ય દેશમાં આશ્રય મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
સીરિયા અને ઈરાકની સરહદો ભૂંસીને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે કબજો જમાવ્યો છે. આઈએસના આતંકના ખેલને કારણે સીરિયાના લોકોએ દેશ છોડીને અન્ય સ્થાનો પર આશ્રય શોધવાનું શરૂ કર્યું છે. ચાલીસ લાખ નોંધણી પામેલા સીરિયન નિરાશ્રિતોમાંથી લેબનોન અને તુર્કીએ સંયુક્તપણે ત્રીસ લાખ શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. 2011થી અત્યાર સુધીમાં પાંચ લાખ સીરિયન નિરાશ્રિતોએ યુરોપમાં શરણું શોધવાની કોશિશ કરી છે. અમેરિકાએ પણ બે હજાર જેટલા રેફ્યુજીને પોતાને ત્યાં શરણ આપ્યું છે. તો અમેરિકા પણ આવતા વર્ષે દશ હજારથી વધારે સીરિયન શરણાર્થીઓને આશ્રય આપે તેવી પણ શક્યતા છે.
ટ્યુનેશિયા અને ઈજીપ્ત ખાતે આંદોલનો સાથે બંને આરબ દેશોના તાનાશાહને સત્તા  છોડવી પડી હતી. પરંતુ સીરિયાનું યુદ્ધ આરબ વિશ્વમાં ઉભી થયેલી હલચલમાં વિશિષ્ટ છે. પરંતુ ગૃહયુદ્ધના મામલે સીરિયા કંઈ ખાસ નથી. સ્ટેન્ડફોર્ડ્સ જેમ્સ ફીયોરનની દલીલ છે કે ગૃહયુદ્ધ માટે ભાગે મજબૂત બનેલા અને પહેલેથી અસ્તિત્વમાં રહેલી નીતિઓ પર અસંમતિ ધરાવતા રાજકીય જૂથોની સાપેક્ષ શક્તિના ધક્કાથી મોટાભાગે શરૂ થાય છે. ત્યાર બાદ જંગમાં સામેની બાજુને તાત્કાલિક સરસાઈ મેળવતા રોકવા માટે આગળ વધારવામાં આવે છે. ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપતના રિપોર્ટ પ્રમાણે અસદે પહેલા વિરોધ પ્રદર્શનોની પ્રતિક્રિયામાં કેટલાંક રાજકીય કેદીઓને મુક્ત કરીને નાગરિકોની ફરિયાદ પર પુરતું ધ્યાન આપવા માટે આદેશ કર્યા હતા. પરંતુ તીવ્ર પરિવર્તનો સાથેના વિખવાદો સીરિયામાં રાષ્ટ્રીય કટોકટીનું સ્વરૂપ ધારણ કરી ચુક્યા છે.
એટલાન્ટિક ડોમિનિક તિર્નેય પ્રમાણે અસદ હેતુપૂર્વક વિરોધીઓને ઉગ્રવાદી બનાવે છે કે જેથી બળવાખોરો અપ્રસ્તુત બની જાય. આ સાથે અસદે આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ સામે લડવાનું ટાળીને જેલમાંથી આતંકવાદીઓને મુક્ત કર્યા છે. આઈએસના મજબૂત થવાથી અસદની સામેના બળવાખોર જૂથોને આતંકવાદી સંગઠનની સામે હિંસક ઘર્ષણોમાં ઉતરવું પડે છે.
રાજનીતિશાસ્ત્રના પ્રોફેસર બાર્બરા એફ. વોલ્ટરે કહ્યુ છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ ગૃહયુદ્ધો સરેરાશ દશ વર્ષ જેટલા ચાલ્યા છે. પરંતુ તેમાં સામેલ કેટલાંક જૂથો તેને લંબાવવા ધમપછાડા કરતા રહે છે. મોટા ભાગે બળવો વિદેશી દોરીસંચાર દૂર થાય કે તેમના દ્વારા ટેકો પાછો ખેંચાય ત્યારે બંધ થઈ જતો હોય છે. તો અસાતત્યપૂર્ણ અથવા આંશિક ટેકો પણ મોટાભાગે હારની ભૂમિકા તૈયાર કરતા હોય છે. પરંતુ જ્યારે સીરિયાના ગૃહયુદ્ધની જેમ બંને તરફથી વિદેશી હસ્તક્ષેપ વધે છે... ત્યારે આવા ગૃહયુદ્ધનો હારજીતનો ફેંસલો થતો નથી અને તે ઝડપથી પુરું પણ થતું નથી. 

સીરિયાનું ગૃહયુદ્ધ મહાસત્તાનો જંગ કે ઈસ્લામિક શિયા-સુન્ની મતભેદોની સૌથી મોટી યુદ્ધભૂમિ?

ઈરાક અને સીરિયામાં વધી રહેલા આતંકવાદી જૂથ આઈએસના વર્ચસ્વ અને સીરિયામાં ગૃહયુદ્ધની સ્થિતિએ મિડલ-ઈસ્ટની સ્થિતિને વધુ ગંભીર અને જટિલ બનાવી દીધી છે. સીરિયાની સમસ્યા દેખાય છે.. તેટલી સરળ નથી. તેમાં અમેરિકા અને રશિયા સહીતની મહાસત્તાઓથી માંડીને ઈસ્લામિક જગતના આંતરીક મતભેદોની પણ મોટી ભૂમિકા છે.
સિરીયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધના પાંચમા વર્ષે રશિયા દ્વારા 30 સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા હવાઈ હુમલાથી નવો તબક્કો શરૂ થયો છે. સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદની સરકારને બચાવવા માટે રશિયાના હવાઈ હુમલા ઘણાં મદદગાર સાબિત થઈ રહ્યા છે. તો બીજી તરફ અમેરિકાએ પોતાની સૈન્ય હાજરી વધારવાની શરૂઆત કરી છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન અસદની સ્થિતિ મજબૂત કરીને ગૃહયુદ્ધના અંત બાદ અમેરિકા સાથેની રાજદ્વારી વાટાઘાટોમાં મહાસત્તા તરીકેનો પ્રભાવ જાળવી રાખવાની મનસા ધરાવે છે. પરંતુ ધ એટલાન્ટિક્સના નવા પ્રોજેક્ટ હેઠળ ડેવિડ ઈગ્નાસિયસે અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે સીરિયાની શિયાપંથી સરકાર અને ઈરાન સાથેની રશિયાની ભાગાદીરીથી સીરિયા યુદ્ધ માટે કારણભૂત ઈસ્લામિક વિશ્વમાં ચાલતા શિયા-સુન્ની મતભેદ વધુ ઘાતક બનશે.
તાજેતરના સીરિયાના ગૃહયુદ્ધની શરૂઆત 20111માં અસદની સરકાર સામેના શાંતિપૂર્ણ દેખાવોથી થઈ હતી. ત્યાર બાદ અહીં હિંસક બળવાખોરી શરૂ થઈ હતી. સીરિયાનું ગૃહયુદ્ધ આંશિકપણે સરકાર વિરુદ્ધ લોકોનો જંગ છે.. આંશિકપણે અસદના લઘુમતી સમુદાય અલાવાઈટ્સ સામેનું ધર્મયુદ્ધ છે.. જેમાં ઈરાન અને લેબનાનના હિઝબુલ્લાહનો અસદને સાથ મળી રહ્યો છે. જો કે સીરિયાનું ગૃહયુદ્ધ રશિયા અને ઈરાનનું અમેરિકા તથા તેના મિત્રદેશો સામેનું પ્રોક્સી વૉર પણ છે. સીરિયાના ગૃહ યુદ્ધમાં લગભગ બે લાખ ત્રીસ હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આઈએસના વધતા પ્રભાવ વચ્ચે સીરિયાની અડધોઅડધ વસ્તી નિરાશ્રિત બનીને દુનિયાના દેશોમાં આશ્રય શોધી રહ્યા છે.
સીરિયામાં અસદના સત્તાવાર જોડાણને રશિયા અને ઈરાન તરફથી ટેકો મળી રહ્યો છે.. તો અમેરિકા અને મિત્રદેશો સાઉદી અરબિયાના સાથી ખાડીદેશો સાથે મળીને અસદ સામેના બંડખોરોને મદદ કરી રહ્યા છે. જો કે આ બધાં દેશોનો એકમાત્ર સમાન શત્રુ આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ છે. જો કે પરસ્પર એકબીજાના હિતોનો વેધ સીરિયાના તમામ જૂથોને ઈસ્લામિક સ્ટેટ કરતા વધુ એકબીજા સાથે લડાવી રહ્યો છે.
2013થી ગણતરી કરવામાં આવે તો સીરિયામાં તેર જેટલા મોટા બળવાખોર જૂથો યુદ્ધ લડી રહ્યા છે. અમેરિકાની ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીએ નાનાથી માંડીને મોટા બંડખોર જૂથોની ગણતરી કરીને સીરિયામાં કુલ 1200 જૂથો લડી રહ્યા હોવાનું જણાવ્યું છે. અમેરિકાની આગેવાનીમાં નવ દેશોની ગઠબંધન સેના સીરિયામાં હવાઈ હુમલા કરી રહી છે. જો કે કેનેડાના નવા વડાપ્રધાને સીરિયાના સૈન્ય અભિયાનથી અલગ થવાની વાત કરી છે. રશિયાએ ઈરાન અને હિઝબુલ્લાહના લડાકુઓ સાથે મળીને સીરિયામાં આઈએસ અને અન્ય બંડખોર જૂથો વિરુદ્ધ હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ સિવાય દુનિયાના ડઝનબંધ દેશોના લોકો આઈએસ અને સીરિયાના અલગ-અલગ બંડખોર જૂથોમાં સામેલ થવા માટે આવતા રહે છે.
સીરિયાના ગૃહયુદ્ધને મુખ્યત્વે ચાર મુખ્ય શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે. જેમાં પહેલા મોડરેટમાંથી જેહાદી બનેલા બંડખોરો.. અસદની સેનાઓ અને તેમના ટેકેદારોના વફાદારો.. ઉત્તર-પૂર્વ સીરિયામાં સ્વાયત્તતા મેળવી ચુકેલા કુર્દીશ.. આ કુર્દીશ જૂથો હાલ અસદને દૂર કરવા ઈચ્છતા નથી. કુર્દીશ જૂથો આઈએસ સામે લડી રહ્યા છે. જ્યારે ચોથી શ્રેણીમાં વિદેશી શક્તિઓનો સમાવેશ થાય છે.
સીરિયાના ગૃહયુદ્ધમાં અસદની સરકારને રશિયા, ઈરાન અને હિઝબુલ્લાનો ટેકો મળ્યો છે. તો અસદ સામે લડી રહેલા બંડખોર જૂથોને અમેરિકાની ગઠબંધન સેના.. તુર્કી અને સાઉદી અરેબિયાના દોરીસંચારવાળી ખાડી દેશોની સેનાનો સાથ મળ્યો છે. 
સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ઈસ્લામિક જગતના ધાર્મિક મતભેદોની ભૂમિકા ઘણી મોટી છે. જેમાં શિયાપંથી ઈરાન, અસદના અલાવાઈટ્સ સમુદાય અને હિઝબુલ્લા એક તરફ છે.. તો બીજી તરફ ખાડીદેશો, અસદ વિરોધી બંડખોરો અને સુન્ની આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો સમાવેશ થાય છે. જો કે અસદ સામેના બંડખોર જૂથો અને આઈએસઆઈએસ એકબીજાના કટ્ટર દુશ્મનો તરીકે લડી રહ્યા છે. 
સીરિયાના ગૃહ યુદ્ધમાં અમેરિકા અને રશિયા વચ્ચે મહાસત્તા તરીકે મિડલ-ઈસ્ટમાં વર્ચસ્વના જંગ માટે પ્રોક્સી વૉર લડાતું હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં અમેરિકા અને ખાડી દેશો સાથે યુરોપીયન દેશોની ગઠબંધન સેના છે. તો સામેની બાજું હિઝબુલ્લાહ અને ઈરાનને રશિયાનો ટેકો મળ્યો છે. 
સીરિયામાં લડી રહેલા તમામ દેશો આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ તેમાં રશિયા અને ઈરાન જેવા દેશો સીરિયામાં અસદની સત્તા રહે તેવો દ્રષ્ટિકોણ ધરાવે છે. જ્યારે અમેરિકા અને ખાડી દેશો ઈસ્લામિક સ્ટેટ સામે લડવાના નામે અસદ પદભ્રષ્ટ થાય તેવો અભિપ્રાય ધરાવે છે. 
કુલ મળીને રશિયાએ અસદના ટેકેદારોની તરફદારી સાથે સીરિયાના ગૃહયુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો છે. તો અમેરિકાએ અસદ વિરુદ્ધ બળવો કરનારા જૂથો તરફથી સીરિયામાં ઝંપલાવ્યું છે. તેના માટે અમેરિકા દ્વારા બળવાખોરોના ચોક્કસ જૂથોને તાલીમ અને શસ્ત્રો આપવામાં આવે છે. અમેરિકાના અસદને પદભ્રષ્ટ કરવાના લક્ષ્યાંકમાં વિરોધાભાસ પણ ઉભરી આવ્યો છે. સીરિયામાં આઈએસ સૌથી મજબૂત અસદ વિરોધી આતંકી જૂથ છે. પરંતુ અમેરિકા આઈએસને ખતમ કરીને તેના સિવાયના બંડખોરોને અસદના સ્થાને સત્તા પર બેસાડવા ઈચ્છે છે. એટલે કે દુશ્મનનો દુશ્મન સીરિયાની લડાઈમાં અમેરિકાનો મિત્ર નથી. પરંતુ અસદના કેટલાંક ચોક્કસ દુશ્મન બળવાખોર જૂથને અમેરિકા મિત્ર બનાવવા માટે મદદ કરી રહ્યું છે.
જ્યારે સીરિયા સંકટમાં રશિયાએ ખૂબ ઓછી સંવેદનશીલતા દાખવીને બળવાખોર જૂથોમાં કોઈ ભેદ નહીં કરવાનો દ્રષ્ટિકોણ અપનાવીને તમામ અસદ વિરોધી જૂથોને એક જ કાટલે તોળવાનું પોતાની લશ્કરી કાર્યવાહીમાં શરૂ કર્યું છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે ઓક્ટોબર માસમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આપેલા નિવેદનનો પડઘો સીરિયામાં રશિયાની કાર્યવાહીમાં દેખાઈ રહ્યો છે. સર્ગેઈ લાવરોવે કહ્યુ હતુ કે જો આતંકવાદી લાગે તો આતંકવાદીની જેમ વર્તો અને આતંકવાદીની જેમ લડો.. તે આતંકવાદીઓ છે.. 
બરાબર ? 

સીરિયાના ગૃહયુદ્ધને જટિલ ચક્રવ્યૂહ બનાવનારા બનાવનારા ત્રણ ખેલાડી – અમેરિકા, ઈરાન અને રશિયા!

સીરિયાના ગૃહયુદ્ધમાં ત્રણ મુખ્ય ખેલાડીઓ છે. જેમાં સૌથી મોટું ખેલાડી અમેરિકા છે. તેની સાથે ઈરાન અને રશિયા પણ અન્ય મહત્વના સૂત્રધાર છે. સીરિયામાં આ ત્રણેય દેશના હિતો એકબીજા સાથે હરિફાઈ કરી રહ્યા છે અને એકમાત્ર લક્ષ્ય તેમને જોડે તેવી શક્યતા છે. જેમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ખાતમો અમેરિકા, ઈરાન અને રશિયાનું સમાન લક્ષ્ય છે.
અમેરિકાનું લક્ષ્ય સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અસદને પદભ્રષ્ટ કરવાનું છે. તેના માટે અમેરિકા ચોક્કસ સીરિયન બળાવખોર જૂથોનું સમર્થન કરી રહ્યું છે. આ સિવાય અમેરિકા અન્ય ત્રણ લક્ષ્યો પણ ધરાવે છે. જેમાં ઈરાકને સૈન્ય સહયોગ આપવાનું લક્ષ્ય ઈરાન સાથે મેળ ખાય છે. તો ઈઝરાયલ સાથે મિત્રતા જાળવી રાખવાનું હિત રશિયા સાથે મેળ ખાય છે. જો કે તેના માટે અમેરિકાએ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવા માટે પણ લડાઈ લડવી પડે છે. તે અમેરિકા.. ઈરાન અને રશિયાનું સમાન લક્ષ્યાંક છે.
સીરિયામાં ઈરાનના પણ મોટા હિતો સંકળાયેલા છે. ઈરાનના ચાર સ્વતંત્ર રાષ્ટ્રીય હિતો છે. જેમાં સૌથી પહેલું લેબનાનના બળાવખારો જૂથ હિઝબુલ્લાહનું સમર્થન કરવાનું છે. બીજું હિત ઈરાનનું પ્રાદેશિક વર્ચસ્વ વધારવાનું છે. તેના માટે તે સાઉદી અરેબિયાના પ્રાદેશિક વર્ચસ્વને પડકારવા ઈચ્છે છે. તેની સાથે ઈઝરાયલ સાથે આમનો-સામનો કરવાનું પણ તેનું ચોથું રાષ્ટ્રીય હિત છે. ઈરાનના રશિયા સાથે મેળ ખાતા હિતોમાં સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અસાદને સૈન્ય અને રાજદ્વારી સમર્થન પુરું પાડવાનું લક્ષ્ય છે. બીજું ઈરાન અને રશિયા બંને સીરિયા ખાતે અમેરિકાની નીતિનો સામનો કરવા ઈચ્છે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે મેળ ખાતું માત્ર એક જ લક્ષ્ય છે અને તે છે ઈરાકને અરાજકતામાંથી બહાર લાવવા માટે ઈરાકની સરકારને લશ્કરી સહયોગ પુરો પાડવાનું છે.
30 સપ્ટેમ્બરથી રશિયાએ સીરિયામાં ભીષણ હવાઈ હુમલા શરૂ કર્યા છે. જેમાં રશિયાના બે સ્વતંત્ર હિતો છે. એક રશિયા પોતાની મહાસત્તા તરીકેની પ્રતિષ્ઠાની પુનર્સ્થાપના કરવા ઈચ્છે છે અને તેની સાથે ભૌગોલિક રીતે રશિયાની નજીકના મધ્ય-પૂર્વ એશિયા પર પ્રાદેશિક પ્રભાવ જમાવવાની પણ મોસ્કો ઈચ્છા ધરાવે છે. આ સાથે અમેરિકા અને રશિયાનું સમાન લક્ષ્ય ઈઝરાયલ સાથેની મિત્રતા જાળવવાનું પણ છે.
અમેરિકા, રશિયા અને ઈરાન ત્રણેયને સુન્ની આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટથી જોખમ છે. તેથી ત્રણેયનું સમાન લક્ષ્ય સીરિયા અને ઈરાકમાંથી આતંકવાદી જૂથ આઈએસનો પ્રભાવ ખતમ કરવાનું છે. આ ત્રણેય દેશોના સમાન અને સ્પર્ધાત્મક હિતોના ટકરાવે સીરિયાના ગૃહયુદ્ધને જટિલ ચક્રવ્યૂહ બનાવી દીધો છે.

2015ના નવેમ્બર માસ સુધીમાં ફ્રાન્સમાં થયા છે 6 આતંકી હુમલા

ફ્રાન્સ અને ખાસ કરીને તેની રાજધાની પેરિસ 2015ની શરૂઆતથી જ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાના આતંકી હુમલાના જોખમ તળે જ રહ્યું છે. ફ્રાન્સની ભૌગોલિક સ્થિતિ અને ડેમોગ્રાફીનો આઈએસ પર ઘણી મોટી ભૂમિકા હોવાનું પણ જાણકારો માની રહ્યા છે. તાજેતરના હુમલાને સામેલ કરવામાં આવે 2015માં ફ્રાન્સમાં કુલ છ આતંકવાદી હુમલા થયા છે.
સાત જાન્યુઆરી, 2015ના રોજ પેરિસમાં કાર્ટૂન મેગેઝીન શાર્લી હેબ્દોના કાર્યાલય પર બે બંદૂકધારીઓએ અંધાધુંધ ફાયરિંગ કરીને ચાર કાર્ટૂનિસ્ટ એક મુખ્ય સંપાદક સહીત વીસ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

3 ફેબ્રુઆરી, 2015ના રોજ નાઈસમાં એક યહુદી સામુદાયિક કેન્દ્ર પર હુમલો કરીને તેની સુરક્ષામાં તેનાત ત્રણ સૈનિકોને ઘાયલ કરાયા હતા. 

19 એપ્રિલ, 2015ના રોજ એક અલ્જેરિયન દ્વારા બે ચર્ચો પર હુમલો કરાયો હતો. તેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. 

26 જૂન, 2015ના રોજ પૂર્વ ફ્રાન્સની ગેસ ફેક્ટરીમાં શંકાસ્પદ હુમલાખોરે એક વ્યક્તિનું માથું વાઢયું હતું અને બે વ્યક્તિઓને ઘાયલ કરી હતી. 

21 ઓગસ્ટ-2015ના રોજ એમ્સટર્ડમથી પેરિસ જતી એક હાઈસ્પીડ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી. તેમા ચાર લોકો ઘાયલ થયા હતા. 

14 નવેમ્બર, 2015ના રોજ પેરિસમાં સાત સ્થાનો પર આતંકી હુમલા થયા અને 160થી વધુ લોકોના મોત નીપજ્યા.. જ્યારે બસ્સોથી વધારે લોકો ઘાયલ થયા છે.