
-ક્રાંતિવિચાર
ભારતીય રાજકારણમાં ઘણી બદીઓ અને નબળાઈઓની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશમાં ભ્રષ્ટાચારના મુદ્દે થતી ચર્ચામાં પણ રાજકીય કલેવરને બદલવા સુધીના તર્કો આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી સુધારાની વાતો પણ જોરશોરથી થઈ રહી છે. આઝાદ ભારતની રાજનીતિક સંસ્કૃતિ ઘણો મોટો અભ્યાસનો વિષય રહી છે. આઝાદી પહેલા 1885માં અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ ભારતની રાજનીતિનું મોડલ હતી અને આઝાદી પછી પણ સૌથી વધારે વર્ષ સત્તાનો ભોગવટો કરવાને કારણે દેશના રાજકીય મોડલ તરીકે ચાલુ રહી. 1885માં અંગ્રેજ દ્વારા થયેલી કોંગ્રેસની સ્થાપના શું દેશને આઝાદ કરાવવા માટે થઈ હતી કે અંગ્રેજોની સત્તા ટકાવી રાખવા માટે થઈ હતી? આની બિટવિન ધ લાઈન્સ વાચક ખુદ સમજી શકે છે. (ઘોષિત એજન્ડા સિવાયના અઘોષિત એજન્ડાઓ હોવા રાજનીતિમાં હંમેશાથી સામાન્ય વાત રહી છે) 1885થી 1920 સુધી કોંગ્રેસે અંગ્રેજી હકૂમતની સામે કરેલા આંદોલનોની યાદી આજના કોંગ્રેસીઓ મહેરબાની કરીને આપે તો ખબર પડે કે તેમણે આંદોલનના નામે પત્રાચાર સિવાય કશું જ કર્યું ન હતું.
1920 બાદ દેશમાં ગાંધીજીના નેતૃત્વ નીચે આંદોલન થયા, પરંતુ કોંગ્રેસના બધાં આંદોલન અહિંસક રહ્યા. તેની પાછળનો તર્ક ગાંધીજીની અહિંસામાં આસ્થા હોઈ શકે. પરંતુ એક નીતિ સ્પષ્ટ રહી કે ગાંધીજીના નેતૃત્વમાં બનેલી કોંગ્રેસે અંગ્રેજી હકૂમતનો એક ચોક્કસ મર્યાદામાં રહીને વિરોધ કર્યો હતો, આજના કેટલાંક ટીકાકારો કહે છે કે માત્ર વિરોધનો દેખાવ કર્યો હતો. ભારતમાં અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવામાં દેશ-વિદેશમાં ભારતીય યુવાનો દ્વારા આપવામાં આવેલા બલિદાનો અને સુભાષચંદ્ર બોઝ દ્વારા દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સામ્રાજ્ય સામે જર્મન-જાપાનીઓ સાથે હાથ મિલાવવાની નીતિ વધારે કારણભૂત હતી. ગદ્દર આંદોલનથી લઈને મુંબઈમાં થયેલા નૌસૈનિક વિદ્રોહની તવારીખ ગાંધી અને તેમની આગવી કોંગ્રેસના આંધળા ભક્તોએ જોઈ લેવી. તેના સંદર્ભે અંગ્રેજી હકૂમત દ્વારા કરવામાં આવેલી નોંધો અને ફૂટનોટો અભિલેખાગારમાંથી તપાસી લેવી.
ગાંધીજીની કોંગ્રેસ આગવી એટલા માટે બની ગઈ હતી કે સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભિ સીતારામૈયાને હરાવીને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. પણ ગાંધીજીની નામરજીને કારણે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ટકી શક્યા નહીં અને તેમને હારીને રાજીનામું આપવું પડયું. ત્યાર બાદ તેમને વિદેશની ધરતી પર આઝાદ હિંદ ફોજની સ્થાપના કરીને લશ્કરી રાહે દેશને આઝાદ કરવાનો રસ્તો લેવો પડયો હતો. ગાંધીજીની હત્યા બાદ કોંગ્રેસ નહેરુ-ગાંધી પરિવારની આગવી કોંગ્રેસ બની ગઈ. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કહે છે, તે કોંગ્રેસમાં અમુક અપવાદોને બાદ કરતાં આખરી સિદ્ધાંત બની રહેતો. વડાપ્રધાન નરસિંહ રાવના વખતમાં કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીએ સોનિયા ગાંધીને થોડા સાઈડ લાઈન કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ તેમ છતાં તેમને કોંગ્રેસીઓએ તેમના કાર્યાલયમાંથી ધોતી-બંડીમાં ટિંગાટોળી કરીને બહાર કાઢયા હતા.
ખેર આવી અંગ્રેજ દ્વારા સ્થપાયેલી પહેલા ગાંધીજીની અને પછી નહેરુ-ગાંધી પરિવારની આગવી બની ગયેલી કોંગ્રેસ પાર્ટી સિવાય છેલ્લા 112 વર્ષથી હિંદુસ્તાન પાસે રાજકીય પક્ષનું કોઈ મોડલ જ નથી. ભારતીય રાજનીતિમાં હંમેશા કોંગ્રેસ મોડલ હાવી રહ્યું છે. સ્વાતંત્ર્યવીર સાવરકરે દેશને બચાવવા માટે રાજનીતિનું કોંગ્રેસ મોડલ ખતમ કરવાની વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરને કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક ગોલવલકરને સાવરકરે ભારતીય જનસંઘની સ્થાપના કરવાને સ્થાને હિંદુ મહાસભા લઈ લેવાની વાત કરી હતી. પરંતુ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. ભારતીય જનસંઘ અને પછી 1979માં બનેલી ભારતીય જનતા પાર્ટી હંમેશા પાર્ટી વિથ ડિફરન્સ હોવાનું ગાણું ગાતી રહી. પરંતુ આજે સ્થિતિ જોવો તો કોંગ્રેસનું રાજકીય મોડલ વધારે મજબૂત બન્યું છે અને દેશના સૌથી મોટા વિપક્ષ ભાજપ પર પણ પડી છે. થોડાઘણાં અંશે કમ્યુનિસ્ટ પાર્ટીઓ અને પ્રાદેશિક પક્ષો પર પણ તેની અસર પડી છે.
ભારતના સમાજવાદી, કમ્યુનિસ્ટ અને હિંદુત્વવાદી નેતાઓના રાજકીય કુળ કોઈને કોઈ રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે. આઝાદી પહેલા અને પછી કોંગ્રેસમાંથી પક્ષો બનવાનો કાળક્રમ ચાલુ જ રહ્યો છે. હજીપણ તે ચાલુ છે. સૌથી મોટા વિપક્ષ ભાજપમાં પણ કોંગ્રેસી કુળના વ્યક્તિઓનો પગપેસારો સારા પ્રમાણમાં થયો છે. જો કે અપવાદમાં શિવસેના અને કમ્યુનિસ્ટ પાર્ટીઓ છે. પરંતુ તેમનો ગજ રાષ્ટ્રીય સ્તરે વાગતો નથી, તેઓ સીમિત ક્ષેત્રની પાર્ટીઓ છે. કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિક પરંપરા રહી છે કે હંમેશા સત્તાની સાથે રહેવું અને સત્તાના વિરોધમાં રહેવું પડે તો તેવા સમયે સીમિત વિરોધ કરવો. કોંગ્રેસમાં આંતરીક લોકશાહી બિલકુલ ખતમ છે. નહેરુથી રાજીવ ગાંધી સુધી નિર્ણયોમાં આંતરીક લોકશાહીને ધ્યાને લેવાતી ન હતી. સોનિયા ગાંધીમાં પણ આ પરંપરા પ્રત્યક્ષ રીતે ચાલુ છે. રાહુલ ગાંધીએ યૂથ કોંગ્રેસમાં ચૂંટણીઓ કરાવીને આંતરીક લોકશાહી હોવાનો દેખાડો કર્યો છે. પરંતુ રાજકારણના જાણકારો કોંગ્રેસમાં આંતરીક લોકશાહી હોવાની વાતથી સહમત નથી.
આ સિવાય કોંગ્રેસના આંદોલનો આઝાદી પહેલા પણ મૂડીવાદી અને સામંતી લોકોના કબજામાં રહ્યા હતા. આઝાદી બાદ પણ કોંગ્રેસના ફંડમાં મૂડીવાદીઓનો ઘણો મોટો ફાળો છે. જેના કારણે કોંગ્રેસના શાસકોએ દેશ માટેના હિત માટે નીતિ ઘડવાને બદલે તેમના દાનદાતા મૂડીવાદીઓને ફાયદો કરાવતી અર્થનીતિ બનાવતા રહ્યા. પ્રજાનો અનુભવ છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા છે, દેશમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી છે. કોંગ્રેસ અથવા તેના વડપણવાળી સરકારના શાસનકાળમાં ભ્રષ્ટાચારની કલંકિત પરંપરા છે. જેને જીપકાંડથી લઈને 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કાંડ સુધીનો વારસો મળ્યો છે.
કોંગ્રેસ પાર્ટીના રંગઢંગને અન્ય રાજકીય પક્ષોએ પણ વત્તાઓછા પ્રમાણમાં સ્વીકાર્યો છે. જો કે આવા પક્ષોની કોંગ્રેસ પર કોઈ અસર થઈ નથી. કોંગ્રેસ પાર્ટીના ઝંડામાં લીલો રંગ છે, તો ભાજપે પણ પોતાના ઝંડામાં લીલો રંગ કર્યો છે. શિવસેના જેવી કેટલીક પાર્ટીઓને બાદ કરતાં દેશની મોટાભાગની રાજકીય પાર્ટીઓના ઝંડામાં લીલો રંગ છે. લીલા રંગનો સવાલ નથી, સવાલ છે કે તેઓ લીલા રંગને ચોક્કસ સંપ્રદાય સાથે જોડીને પોતાની પાર્ટીના ઝંડામાં સમાવી રહ્યા છે. કોંગ્રેસના રાજકીય મોડેલે દેશમાં બહુમતીને ભાંડવાની અને લઘુમતી ખાસ કરીને મુસ્લિમોને ગળે લગાડવાની નીતિ અપનાવી. દેશની વસ્તીના 83 ટકા હિંદુઓને જાતિઓમાં વહેંચીને ક્યારેય એક થવા દીધા નહીં, પરંતુ મુસ્લિમ વોટબેંકને ફાલવા દીધી. વળી દેશમાં 1947થી 1989 સુધી વચ્ચેના અઢી વર્ષને બાદ કરીને કેન્દ્ર તથા દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા ચલાવનારી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે તેને પહેલા કાર્યકાળમાં સચ્ચર સમિતિ બનાવીને દેશના મુસ્લિમોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. સચ્ચર સમિતિએ દેશના દલિતો કરતાં પણ મુસ્લિમોની હાલત ખરાબ હોવાનું કહ્યું. જો સચ્ચર સમિતિના અહેવાલોને સાચા માનીએ તો મુસ્લિમોની બદતર હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે કોંગ્રેસના રાજકીય મોડલ પ્રમાણે મુસ્લિમો વોટબેંક છે અને દર પાંચ વર્ષે કોઈને કોઈ ટૂકડો ફેંકીને તેમના મતો અંકે કરી લેવા. આ રણનીતિ હેઠળ ભાજપ, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી અને અન્ય મોટાભાગની પાર્ટીઓ કોંગ્રેસી મોડેલ હેઠળ પોતાની રાજનીતિ કરવા લાગી.
દેશના વડાપ્રધાન મનમોહન સિંહ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તો હાલમાં મુસ્લિમો માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકાનો સબક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સલમાન ખુરશિદે ઉત્તર પ્રદેશમાં સત્તા મળ્યા બાદ આ સબક્વોટા 9 ટકા કરવાનો વાયદો પણ કર્યો છે. તો સમાજવાદી પાર્ટીએ એક ડગલું આગળ વધીને કહ્યું છે કે તેઓ મુસ્લિમોના સબક્વોટાને 18 ટકા કરી દેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ડાબેરી મોરચા સરકારે પણ રાજ્યમાં મુસ્લિમો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. એનડીએના શાસનકાળમાં હજ સબસિડી વધારવી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવી જેવી નીતિઓ પણ બની છે. આ કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિ છે. જે હજી પણ વધારે અધમ કક્ષાઓ જવા માટે તૈયાર બેઠી છે.
કોંગ્રેસની પાકિસ્તાન નીતિ પણ 1995 પછી દેશના મુસ્લિમ મતોના રાજકારણ સાથે જોડાઈ ગઈ હોય તેમ લાગે છે. એનડીએ સરકારે પણ આગ્રા સમિટ અને શાંતિવાર્તાના તાયફા કરીને તેને ચાલુ રાખી. તો અત્યારે યુપીએ સરકાર પણ મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતનો દોર ચાલુ રાખી રહી છે. ચીન સામેની નીતિમાં 1962માં કોંગ્રેસે નહેરુના ભરોસે થાપ ખાધી અને ભારતીય સેનાના માથે હારનું કલંક લગાડયું. આજે પણ ચીન નીતિમાં કોઈ વ્યાપક પરિવર્તન આવ્યું નથી. ચીનના આક્રમણનો ખતરો હજી પણ ચાલુ છે. ત્યારે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો ચીન સામે આકરા પગલા લેવાની વાત કરવાને બદલે તેમની સાથે વેપાર વધારવાની અને માત્ર વાતચીત કરવાની નીતિ અપનાવાની તરફેણ કરે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે કૂટનીતિક, સામરીક અને લશ્કરી રાહે ભારતના હિતમાં લઈ શકાય તેવા પગલાં લેવા જોઈએ તેવું ચિંતન આપી શકે તેવો એકપણ રાજકીય પક્ષ આજે અસ્તિત્વમાં નથી.
ભારતની આર્થિક નીતિ હંમેશા મૂડીવાદી રહી છે અને તેનાથી અમીર-ગરીબની ખાઈ સતત વધી રહી છે. ઉદારીકરણને એવી રીતે અપનાવ્યું છે કે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ બેવડી થઈ ગઈ છે. ગરીબોના કલ્યાણની વાત કોંગ્રેસ સહીતના તમામ પક્ષો કરે છે, પરંતુ ગરીબોનું કલ્યાણ ગરીબી હટાવોના નારાથી આજ સુધી થઈ શક્યું નથી. ગરીબો પણ દેશમાં સતત વધી રહ્યા છે. તેનો અર્થ છે કે ગરીબી પણ વધી રહી છે.
દેશમાં ચાલી રહેલા આતંકવાદને નાથવામાં સરકાર નિષ્ફળ જઈ રહી છે. તેનું કારણ છે કે આતંકવાદના મુદ્દે પણ મુસ્લિમ મતોનું રાજકારણ કોંગ્રેસ સહીતના પક્ષો પર હંમેશા હાવી રહે છે. તેને કારણે આતંકવાદને નાબૂદ કરવા માટે કોઈ રાષ્ટ્રીય નીતિ બની શકી નથી. વિકટ પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસની દરેક વાત એક યા બીજી રીતે અન્ય રાજકીય પક્ષો પણ આગળ વધારી રહ્યા છે. કોંગ્રેસે પોતાના પક્ષમાં એસસી, એસટી, લઘુમતી, મહિલા વગેરે સેલ બનાવ્યા તો તેનું પણ તમામ પક્ષોએ અનુકરણ કર્યું છે. (અપવાદો ઘણા થોડા છે અને તે નિષ્પ્રભાવી છે) એક સમયે પોતાની સભામાંથી મુસ્લિમોને ઉઠીને જતા રહેવાનું કહેનાર દેશનો મુખ્ય વિપક્ષ પણ લઘુમતી સેલ બનાવી રહ્યો છે. સેક્યુલર દેખાવાની રાજકીય સંસ્કૃતિ પણ કોંગ્રેસના રાજકીય મોડલની દેણ છે. તેનો અત્યારનો સૌથી મોટો પુરાવો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે.
હાર્ડલાઈન હિંદુત્વના પોસ્ટરબોય ગણાતા નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનથી સેક્યુલર ચહેરો ઓઢવાનો પ્રયત્ન કર્યો છે. આજે તેઓ ટોપી અને દાઢીવાળા સાથે સદભાવના ઉપવાસ કરી રહ્યા છે. એક સમયે તેમની સભામાં જય શ્રીરામના સૂત્રોચ્ચાર સંભળાતા હતા, આજે સદભાવના ઉપવાસની શરૂઆત અલ્લાહ હો અકબરના નારાથી થાય છે. મુસ્લિમ ટોપીઓ અને લીલી પાઘડી પહેરવાના કોંગ્રેસી કલ્ચરને ભાજપના અટલ બિહારી વાજપેયી અને અડવાણીએ ઘણાં વખત પહેલેથી અપનાવી લીધું હતું. કદાચ નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસ આ કડીમાં નવું આયામ ઉમેરી રહ્યા છે.
ઘણાંના મનમાં પ્રશ્ન થાય છે કે કટોકટી, 1989માં વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષના એકજૂટ થવા છતાં, વાજપેયીના વડપણ નીચે 6 વર્ષ એનડીએનું શાસન હોવા છતાં કોંગ્રેસ વારંવાર બેઠી કેમ થઈ જાય છે? તો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા ઉંડા હોવા નથી, પરંતુ કોંગ્રેસનું વૈકલ્પિક રાજકીય મોડલ વિપક્ષો આપી શક્યા નથી. હા, તેઓ કોંગ્રેસની સત્તાનો વિકલ્પ બની શકે છે, તેના મોડલનો નહીં. સત્તામાં આવ્યા પછી તેમને કોંગ્રેસના મોડલ પ્રમાણે જ રાજ ચલાવવું પડે છે. બસ કોંગ્રેસ ખરાબમાં ખરાબ તબક્કાઓ છતાં બેઠી થઈ જાય છે, તેનું આ એક માત્ર કારણ છે કે ભારતની રાજનીતિમાં એકમાત્ર મોડલ છે અને તે છે કોંગ્રેસ.
ભારતમાં કોંગ્રેસની સત્તાનો વિકલ્પ થોડા સમય માટે મળી શક્યો છે. પરંતુ કોંગ્રેસના રાજકીય મોડલનો વિકલ્પ હજી સુધી ભારતને મળી શક્યો નથી. દેશના રાજકારણમાં કોંગ્રેસી મોડલના ઉત્પાતને કારણે જ ભારતમાં કટોકટી અને અન્ય રાજકીય બ્લંડરો સર્જાયા છે. જો આ કોંગ્રેસી મોડલનો ભારત વિકલ્પ નહીં શોધી શકે તો ફરીથી એક વખત ભારત પોતાના 65 વર્ષ જૂના ઈતિહાસના કાળને દોહરાવશે. ઉલ્લેખનીય છે કે ભારતના વિભાજન વખતે પણ કોંગ્રેસનું રાજકીય મોડલ સૌથી વધારે પ્રભાવી હતું અને તેણે મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે ઘૂંટણિયા ટેકવીને વિભાજન અને હિંદુઓની કત્લેઆમ ડાયરેક્ટ એક્શનના નામે મુંગે મોઢે ભૂખ્યા પેટે સહન કરી હતી. ભારતને પોતાની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક સમસ્યાઓથી છૂટકારો મેળવવો હશે તો કોંગ્રેસના રાજકીય મોડલને સમાપ્ત કરવું પડશે.


