લેબલ મોદીત્વ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મોદીત્વ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2012

મોદીની ભૂમિકાવાળા SIT રિપોર્ટનો યૂપીની ચૂંટણીમાં ઉપયોગ થશે નહીં


sit report which investigate role of cm modi in riots will not be use in up election

ગુજરાતની 2002ના વર્ષમાં ઘટેલી ગોધરાકાંડ અને ત્યાર બાદના રમખાણોની ઘટના આજે પણ દીલમાં દર્દ બનીને ઉભરી આવે છે. પરંતુ આ કમનસીબ ઘટનાઓના દસ વર્ષ બાદ તે હવે ભૂતકાળ નથી, પરંતુ વોટ લણવાની ફેકટરી છે. જ્યારે મુસ્લિમ મતોની વાત હોય અને મુસ્લિમોને કોઈ ચોક્કસ પાર્ટી સામે ઉશ્કેરવાનો મામલો હોય, ત્યારે ગુજરાતની કમનસીબ ઘટનાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત ચર્ચામાં રહે છે.

કેટલાંક અહેવાલો પ્રમાણે, યૂપીની ચૂંટણીમાં અંદરખાને ગુજરાત રમખાણોની સીડીઓનો મુસ્લિમ વિસ્તારોમાં મતદાતાઓને ચોક્કસ દિશામાં પ્રેરીત કરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે 15મી ફેબ્રુઆરીએ યૂપીમાં ત્રીજા તબક્કાના મતદાન વખતે જ ગુજરાત રમખાણોમાં મોદી અને અન્ય પ્રભાવી વ્યક્તિઓની ભૂમિકાનો તપાસ કરતો રિપોર્ટ યોગાનુયોગ કોર્ટે જાકિયા જાફરી સહીતના અન્ય અરજદારો તીસ્તા સેતલવાડ અને મુકુલ સિંહાને હાલના તબક્કે આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સંદર્ભે નિર્ણાયક સુનાવણી 29 ફેબ્રુઆરી અને 15 માર્ચે થશે.

જો ગુજરાત રમખાણોના મામલે એસઆઈટીની તપાસનો આખરી રિપોર્ટ કે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કથિતપણે ક્લિનચીટ આપવામાં આવી છે, તે જાહેર થઈ જાત તો તેના કેટલાંક ભાગોને મુસ્લિમ મતોના રાજકારણમાં રાજકીય ઉપયોગની સંભાવનાને નકારી શકાય તેમ નથી. ત્યારે હવે સીટના રિપોર્ટને સાર્વજનિક કરવો કે નહીં અને વકીલોને વાંચવા માટે આપવો કે નહીં તેની સુનાવણી 29 ફેબ્રુઆરીએ થશે. સીટ 15મી માર્ચ સુધીમાં બાકીના તમામ દસ્તાવેજો અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરશે.

up votersબીજી તરફ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં થઈ રહી છે. જેમાં જાકિયા જાફરીની સીટનો રિપોર્ટ માંગતી અરજીની બુધવારની સુનાવણીના દિવસે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું હતું. જ્યારે એસઆઈટીના સીલબંધ કવરમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં રિપોર્ટ સંદર્ભે સુનાવણી વખતે 8મી ફેબ્રુઆરીએ યૂપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 11 ફેબ્રુઆરીમાં યૂપીમાં બીજા તબક્કાનું મતદાન થયું અને જાકિયા જાફરી તથા અન્યોને રિપોર્ટની નકલ આપવાની સુનાવણી 13મી માર્ચે થઈ. પરંતુ ત્યારે પણ કોર્ટે યોગાનુયોગ નિર્ણય આપ્યો નહીં અને સુનાવણી 15 ફેબ્રુઆરીએ કરવાનું ઠેરવ્યું.

જો કે 15 ફેબ્રુઆરીએ કોર્ટે કાયદાકીય અને ટેકનિકલ કારણોને ધ્યાનમાં રાખીને અરજદારોને રિપોર્ટ માંગવાની અરજી ફગાવી દીધી. હવે તમામ નિર્ણય 29 ફેબ્રુઆરી અને 15 માર્ચની તારીખો પર છે. 29 ફેબ્રુઆરી બાદ 3 માર્ચે ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે યૂપી સહીત પાંચ રાજ્યોમાં મતગણતરી 6 માર્ચે પૂર્ણ થવાની છે. ત્યારે ગુલમર્ગ કાંડના ફરીયાદી જાકિયા જાફરીને એસઆઈટીમાં મોદીની કથિત ભૂમિકાવાળો રિપોર્ટ આપવા સંદર્ભે 15 માર્ચ પછી કોર્ટ નિર્ણય કરશે.

કોર્ટની કાર્યવાહીને કારણે યોગાનુયોગ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ગુલમર્ગ કાંડ અને ગુજરાત રમખાણો પરના એસઆઈટી રિપોર્ટનો ઉપયોગ રાજકીય કારણોસર કોઈના પક્ષમાં કે વિપક્ષમાં કોઈ વ્યક્તિ, સંગઠન કે પક્ષ દ્વારા થઈ શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે યૂપીની ચૂંટણી દરમિયાન 139 બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં રહેલા રાજ્યના 19 ટકા મુસ્લિમ મતોને દરેક રાજકીય પક્ષ ઘણું વધારે મહત્વ આપી રહ્યા છે. જયપુરના સાહિત્ય ઉત્સવમાં પ્રતિબંધિત સેતાનિક વર્સિસના લેખક સલમાન રશ્દીને નહીં આવવા દેવાની વાત, મુસ્લિમોને અનામત સંબંધી નિવેદનો, બટલા હાઉસ એન્કાઉન્ટરના મામલે નિવેદનબાજી અને ગુજરાત રમખાણો હજી પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટેના મોટા હથિયાર સાબિત થાય તેવી પરિસ્થિતિ છે. તેમાં વિશિષ્ટ ઈમેજ સાથે પ્રચારીત કરાયેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સંડોવતો એસઆઈટીનો રિપોર્ટ યૂપીના ચૂંટણી રાજકારણમાં રાજકીય રોટલા શેકતા પક્ષો માટે મોટું હથિયાર સાબિત થઈ શકે તેમ હતું. પરંતુ હવે યોગાનુયોગ તે રિપોર્ટનો યૂપીની ચૂંટણીમાં રાજકીય ઉપયોગ થઈ શકશે નહીં.

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

મોદીનો ટ્રેક બદલાયો… શું તેઓ વાજપેયીના રસ્તે ચાલવા લાગ્યા છે?..!!


modi changes the track he walks on the road of vajpayee

નરેન્દ્ર મોદી 2002ના ગુજરાત રમખાણો બાદ દેશ-દુનિયામાં બદનામ થયેલું સૌથી મોટું નામ. પરંતુ એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં આ નામ સૌથી વધારે લોકપ્રિય છે. તેના કારણે તો એક દસકા જેટલા લાંબા સમયથી અનેક ઝંઝાવાતો સામે મોદીને ગુજરાતની જનતાએ સત્તાના સિંહાસન પર બેસાડયા છે.

દેશ-દુનિયામાં તેમના નામ પર કીચડ ઉછાળવામાં આવે છે, પણ ગુજરાતની જનતાએ તેમને ખોબલે-ખોબલે મતો આપીને ગુજરાતના સત્તાના સૂત્રો સોંપ્યા છે. ગુજરાતે છેલ્લા એક દસકામાં વિકાસના મામલે હરણફાળ ભરી છે. તો કોંગ્રસના વડપણવાળી યુપીએ સરકારની સચ્ચર કમિટીએ પણ કહ્યું છે કે ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ દેશના અન્ય ભાગોના મુસ્લિમો કરતાં ઘણી સારી છે છતાં નરેન્દ્ર મોદીની છબી કટ્ટર હિંદુત્વવાદી નેતાની છે.

મુસ્લિમ સમુદાયમાં નરેન્દ્ર મોદીને સૌથી વધારે ધૃણાથી જોવામાં આવતું હોવાની માન્યતા છે. પરંતુ કઠલાલ વિધાનસભા બેઠક પર ભાજપને મળેલી જીત બાદ ખુદ મોદીએ જ કબુલ્યું કે આ જીતમાં મુસ્લિમ મતોની 30 ટકા જેટલી ભાગીદારી છે. અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ગાંધીનગરને બાદ કરતાં તમામ સ્થાનો પર ભાજપને બહુમતી સાથે સત્તા મળી ત્યારે પણ મુસ્લિમ મતો ભાજપને મળ્યા હોવાનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી દાવો કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કેસ સંદર્ભે આવેલા એક જજમેન્ટ બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સદભાવના મિશન હેઠળ ઉપવાસની શરૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કાંડ સંદર્ભેના ચુકાદામાં મોદીને ક્લિનચીટ મળી હોવાના દાવા કરાયા છે. જો કે તે ચર્ચાનો અને કાયદાકીય મુદ્દો છે. પરંતુ એકવાત સ્પષ્ટ છે કે મોદીએ પોતાની સત્તાના એક દશકામાં પોતાનો ‘રાજધર્મ’ તો નિભાવ્યો છે. મોદીના ઉપવાસ હવે શુક્રવારે ગોધારામાં થવાના છે. ગોધરાના પોલન બજાર ખાતેના કેસરી ચોકમાં સદભાવના ઉપવાસ થશે.

અહીં શુક્રવારે મુસ્લિમોને નમાજ પઢવા માટે ઈબાદતખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંભાવના છે કે મુસ્લિમો મોટી સંખ્યામાં મોદીના સદભાવના ઉપવાસમાં હાજર રહેશે. ગોધરાકાંડને 10 વર્ષ થવા આવશે, દસ વર્ષમાં સાબરમતી નદીમાં ઘણાં નીર વહી ગયા છે ત્યારે જોવાનું એ રહેશે કે 27 ફેબ્રુઆરી, 2002ના સાબરમતી એક્સપ્રેસ કાંડ વિશે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સદભાવના ઉપવાસમાં શું કહે છે? તેનો ઉલ્લેખ કરે છે કે નહીં? શું નરેન્દ્ર મોદી સાબરમતી એક્સપ્રેસની 10મી વરસીએ પણ ગોધરા સ્ટેશન પર પડેલા s-6 કોચની મુલાકાત લેશે કે જેમાં 58 જેટલા કારસેવકો જીવતા ભૂંજાયા હતા? સાબરમતી એક્સપ્રેસ કાંડના મોટાભાગના આરોપીઓ અને સજા પામેલા લોકો ગોધરાના સિગ્નલ ફળિયા અને પોલન બજારના છે. ત્યારે મુખ્યમંત્રી મોદી અહીં શું સદભાવના સંદેશ આપશે, તેને પર સૌની મીટ મંડાયેલી છે.

ગોધરા ખાતેના સદભાવના ઉપવાસથી સ્પષ્ટ થઈ જશે કે હિંદુત્વના પોસ્ટર બોય નરેન્દ્ર મોદી ભાજપના સર્વોચ્ચ નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરશે કે પોતાના આગવા મોદીત્વના સહારે રાજકીય વૈતરણી પાર કરીને દિલ્હીની ગાદીએ પહોંચવાનો પ્રયત્ન કરશે. એટલું તો સત્વ છે કે તેઓ લાલકૃષ્ણ અડવાણીના માર્ગે ચાલવા માગતા નથી. સારા હેતુ માટે થતું પરિવર્તન હંમેશા સારું હોય છે. સદભાવના માટે નરેન્દ્ર મોદીમાં આવેલા પરિવર્તનથી તેમની છબીમાં કોઈ પરિવર્તન થાય તો તે સુખદ છે.

નરેન્દ્ર મોદી પ્રત્યે મીડિયાના એક વર્ગમાં હજી પણ સદભાવના નથી. તેઓ નરેન્દ્ર મોદી પ્રત્યે પક્ષપાતપૂર્ણ વલણ દર્શાવે છે. તેમનું આ વલણ હજી પણ ચાલુ છે અને મોકો મળતા જ તેઓ આ વલણને તીવ્રતાથી દર્શાવે છે. ત્યારે સદભાવના મિશનથી મીડિયાના આ વર્ગમાં સદભાવના સ્થપાશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. આજના યુગમાં મીડિયા વ્યક્તિની છબીને બનાવે છે અને બગાડે છે. ત્યારે નરેન્દ્ર મોદીની હિંદુત્વવાદી છબી લોકોમાં મીડિયા થકી જ વધારે ગાઢ બની છે. જેનો લાભ લઈને નરેન્દ્ર મોદીના પક્ષ અને વિપક્ષમાં રહેલા રાજકીય પ્રતિસ્પર્ધીઓ તેમની ઈમેજને કારણ બનાવીને અવાર-નવાર તેમની રાજકીય મહત્વકાંક્ષામાં ગ્રહણ લગાવી રહ્યા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતોના ગણિતને આગળ કરીને જેડીયૂના નીતિશ કુમારે મોદીને બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવતા રોક્યા હતા. પરંતુ કદાચ હવે તેમને યૂપીમાં રોકી શકાશે નહીં. ત્યારે શું સદભાવના મિશન તેમના રાષ્ટ્રીય રાજનીતિમાં વડાપ્રધાન બનવા સુધીના મિશનમાં કોઈ રીતે મદદરૂપ થશે કે કેમ? તે પણ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપની સૌથી મોટી વિડંબણા એ છે કે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય નેતૃત્વ પોતાનું પ્રતિસ્પર્ધી સમજે છે. જેના કારણે તેઓ હિંદુત્વવાદી ઈમેજમાં કેદ રહીને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકામાં ન આવે, તેના માટે ગઠબંધન અને અન્ય કારણો આગળ કરીને તેમને રોકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભાજપનું હાઈકમાન્ડ ગણાતી કેન્દ્રીય નેતાગીરી કરતાં નરેન્દ્ર મોદી આખા દેશમાં સૌથી મોટા ક્રાઉડ પુલર નેતા છે.

આમ જોવો તો નરેન્દ્ર મોદી માટે પક્ષની અંદર પણ કેન્દ્રીય સ્તરે સદભાવના ઘણી ઓછી છે. તેવા સંજોગોમાં મોદી માટે ગુજરાતમાં સદભાવના મિશન સાથે ભાજપમાં પણ પોતાના તરફે સદભાવના ઉભી થાય તેવું કોઈ મિશન ચલાવવાની હજી પણ જરૂરત છે. મોદીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા હોવાની વાત અંબાણી બંધુઓથી માંડીને જાપાન-ચીન અને છેલ્લે અમેરિકી કોંગ્રેસના રિપોર્ટમાં પણ કહેવામાં આવી છે. છેલ્લે ચેન્નઈ ખાતે તુઘલક મેગેઝીનના સંપાદક અને રાજકીય વિશ્લેષક ચો. રામાસ્વામીએ પણ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં એનડીએ તરફથી આગળ કરવાની વાત કરી છે.

અડવાણીએ પણ કહ્યુ છે કે નરેન્દ્ર મોદીનું કદ વધવાથી તેમને ઘણો ગર્વ થયો છે. પરંતુ મોદીને રાષ્ટ્રીય રાજનીતિમાં તેમના કદ પ્રમાણેની ભૂમિકા આપવામાં કઈ દુર્ભાવના નડે છે અને તેને કેવી રીતે સદભાવનામાં ફેરવવી તે પણ મોદી માટે યક્ષપ્રશ્ન છે? જો કે નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા આપણું ગુજરાત, આગવું ગુજરાતથી મોદીત્વની શરૂઆત કરી હતી, પણ અત્યારે મોદીત્વ સૌનો સાથ, સૌના વિકાસના સ્ટેશને આવીને ઉભું છે, તે પણ ઘણું સૂચક છે.

રવિવાર, 22 જાન્યુઆરી, 2012

હિંદુત્વવાદી વિકાસ પુરુષ મોદીને સદભાવના પુરુષની માન્યતા મળશે?


-ક્રાંતિવિચાર
ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા હતી, પરંતુ હવે તે મોદીત્વની લેબોરેટરી બની ગયું છે. અહીં મોદીત્વ હેઠળ મિશન સદભાવનાના પ્રયોગો થઈ રહ્યા છે. જે હાલ તેના અંતિમ ચરણમાં છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આદરેલા સદભાવનાના પ્રયોગો સંદર્ભે ઘણી શંકા-કુશંકાઓ સાથે સંભાવનાઓ પણ છે. રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય છે કે સદભાવના મિશનને ગુજરાતની જનતા કેવી રીતે જોઈ રહી છે, તેના માટે આગામી ચૂંટણીમાં કેવું વલણ અપનાવશે, લઘુમતી સમાજનો દ્રષ્ટિકોણ શું રહ્યો છે અને તે ક્યું રુખ અપનાવશે, મોદીને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા માટે સદભાવના ઉભી કરવાનો મોકો મળશે કે કેમ, મોદીની હિંદુત્વના પોસ્ટરબોયની ઈમેજ બદલાશે કે કેમ?

2001ના ઓક્ટોબર માસમાં નરેન્દ્ર મોદીને કેશુભાઈ પટેલને હટાવીને સંઘના દોરીસંચારથી ગુજરાતના મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યા હતા. સંઘ અને ભાજપના ઉપરના નેતાઓ આમ કરી શક્યા કારણ કે ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા બની ચુક્યું હતું. ગુજરાતમાં કોઈ નેતા નહીં, પણ વિચારધારાને પ્રજામત મળી રહ્યો હતો. પરંતુ 27 ફેબ્રુઆરી, 2002ની ગોઝારી ગોધરાકાંડની ઘટના બાદ રાજ્ય મોદીત્વની પ્રયોગશાળામાં ફેરવાયું. સાબરમતી ટ્રેનના ત્રણ કોચને લગાડવામાં આવેલી આગ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ. આખા ગુજરાતને દઝાડનારી કમનસીબ ઘટનાઓમાં અંદાજે 1200 લોકોના મોત થયા. ત્યાર પછી હિંદુત્વની વિચારધારા, સંઘ-ભાજપ-વીએચપી અને મોદીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામીભર્યા કલંકિત કરનારા આક્ષેપો સામે ઝઝુમવું પડયું. કેટલેક ઠેકાણે દેશી-વિદેશી મીડિયાએ ભાન ભૂલીને ગુજરાત અને ગુજરાતની જનતાને પણ નિશાન બનાવીને કેટલીક બદનામ વાતો ફેલવવાનો પ્રયત્ન કર્યો.

આ બધી ઉથલ-પાથલ વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે તક હતી, હિંદુત્વની વિચારધારાના સંરક્ષક તરીકે જનતા અને હિંદુવાદી સંગઠનોમાં પોતાનો સિક્કો જમાવવાની, હિંદુત્વના પોસ્ટરબોય બનવાની. પોતાના પર ઉછળી રહેલા કીચડની પરવાહ કર્યા વગર મોદીએ ગુજરાતના ગૌરવને મુદ્દો બનાવીને ગૌરવ યાત્રા કાઢી. ગૌરવયાત્રાની સભામાં એક સાથે લાખ-લાખ ઉંચા થતા હાથ આજે પણ ભૂલાય તેમ નથી. ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મીડિયાના પક્ષપાતી વલણ છતાં નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતાએ ભવ્ય વિજય અપાવ્યો. 1989 પછી રામજન્મભૂમિ આંદોલનની તીવ્રતાને કારણે બદલાયેલી પરિસ્થિતિમાં ગુજરાતમાં સત્તા પર આવવા માટે હિંદુત્વ જ એકમાત્ર રસ્તો હતો. સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી માટે આ રસ્તો સરળ હતો અને તેઓ તેના દ્વારા સત્તા પર પણ પહોંચી ગયા, એટલું જ નહીં પોતાની સત્તાને પક્ષમાંના વિરોધોને ડામીને સુદ્રઢ પણ બનાવી શક્યા.

આજે એક દશકાથી વધારે સમયથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે આસિન છે. આ એક દશકામાં ગુજરાતે ઘણાં ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ પણ ભરી છે. પરંતુ મોદીમાં દેશના વડાપ્રધાન બનવાની એક સંભાવના રહેલી છે. આ વાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટાથી માંડી ઘણાંએ કરી છે. ચીન-જાપાન જેવા દેશો પણ નરેન્દ્ર મોદીમાં ભારતના વડાપ્રધાન બનવાની સંભાવના જોઈ રહ્યા છે. અમેરિકામાં કોંગ્રેસની એક એજન્સીના રિપોર્ટમાં 2014નો ચૂંટણી જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો હોવા સંદર્ભની વાતો પણ આવી હતી.

પરંતુ સવાલ એ હતો કે 2002ની કમનસીબ હુલ્લડોની ઘટનાનું કલંક લઈને શું નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન પદે આસિન થઈ શકે છે? જો મોદીનું નામ આટલું કલંકિત થયું ન હોત, તો કદાચ 2009ની સામાન્ય ચૂંટણીમાં અડવાણીને એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની જગ્યાએ મોદીનું નામ આગળ કરાયું હોત. પરંતુ એક તરફ કટ્ટર હિંદુત્વવાદી હોવાની છબીથી મોદીને ગુજરાતમાં સત્તા મળી હતી, તો બીજી તરફ કેન્દ્રમાં તેમને દેશના સર્વોચ્ચ પદે પહોંચવાની રાજનીતિ કરવામાં આ છબી જ અડચણરૂપ લાગી રહી હતી. તેનો સૌથી કડવો અનુભવ તેમને બિહારની ચૂંટણીમાં થયો. જેડીયૂના નીતિશ કુમારના દબાણના કારણે જ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ભાજપ હાઈકમાન્ડે ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા હતા. તેની સાથે હકીકત એ હતી કે હિંદુત્વની ગાડીમાં ચઢીને મોદીએ વિકાસના પાટા પર ગુજરાતને ઘણું આગળ દોડાવ્યું હતું. તેમની સરકારનો પર્ફોર્મન્સ રિપોર્ટ ઘણો સારો હોવાનું ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ માન્યું છે. ભાજપની દેશમાં જ્યાં પણ સત્તા આવતી તે તમામ જગ્યાએ ગુજરાતના વિકાસ મોડેલને અપનાવવાની વાત પણ થતી.

પરંતુ મોદીને તેમના રાષ્ટ્રીય રાજકારણના પ્રતિસ્પર્ધીઓ મહત્વની અથવા તો મુખ્ય ભૂમિકામાં આવવા ન દેવા માટે તેમની કટ્ટર હિંદુત્વવાદી છબીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આની ખાતરી થતાં જ મોદી પોતાની ઈમેજ મેકઓવર માટેની તકની રાહ જોઈ રહ્યા હતા. આમ તો તેમણે પોતાની કટ્ટર રાજનીતિને સારા એવા સમય પહેલા જ બદલી નાખી છે. તેવામાં ગુલમર્ગ કાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટે સીટના અહેવાલના આધારે સ્થાનિક કોર્ટમાં કેસની ચલાવવા સંદર્ભે ચુકાદો આપ્યો. તેનું મોદીના ખેમા તરફથી અર્થઘટન કરવામાં આવ્યું કે તેમને ગુજરાત રમખાણોના આરોપો સંદર્ભે ક્લિનચીટ મળી ગઈ છે. આ ચુકાદાને અવસર બનાવીને તેમણે 17 સપ્ટેમ્બરે, 2011ના રોજ 55 કલાકના ઉપવાસ કર્યા અને તેને સદભાવના નામ આપ્યું. આ ઉપવાસ બાદ તેમણે ગુજરાતના જિલ્લેજિલ્લે જઈને એક-એક દિવસના સદભાવના ઉપવાસના મિશનની જાહેરાત કરી. મોદીની સભામાં જય શ્રી રામના નારાની જગ્યાએ અલ્લાહ હો અકબરના નારા બોલાયા.

નરેન્દ્ર મોદીએ 20 જાન્યુઆરીએ 2002ની કમનસીબ ઘટનાઓના એપી સેન્ટર ગોધરા ખાતે એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા. આ પ્રસંગે તેઓ ગ્રીન સેડના વસ્ત્રપરિધાન અને સ્ટેજ પરના પોસ્ટરથી સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા કે તેઓ હવે કેસરી રંગની જગ્યાએ લીલા રંગને પણ મહત્વ આપી રહ્યા છે. તેમણે ગોધરા ખાતેના સદભાવના મિશનમાં કેસરી પાઘડીના સ્થાને તિરંગા પાઘડી પહેરી હતી. આની સાથે તેમમે ગોધરા ખાતે આપેલા પોતાના ઉદબોધનમાં એકપણ વાર ગોધરાકાંડનો ઉલ્લેખ કર્યો નથી, અહીં તેમણે એકપણ વાર ગોધરાકાંડમાં માર્યા ગયેલાઓ પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી નથી, તેમણે ગોધરાકાંડ પછીના તોફાનોમાં માર્યા ગયેલાઓ માટે પણ ગોધરાની સદભાવનામાં કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. તેમણે ગોધરા ખાતેના ઉપવાસમાં એવી કોઈ ખાતરી પણ આપી નથી કે ગુજરાતમાં આવી ગોધરાકાંડ કે તેના બાદના તોફાનો જેવી કોઈ ઘટના તેમના શાસનમાં ક્યારેય બનશે નહીં.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર વિકાસની વાત કરી, પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવી, જેમકે પહેલા વણઝારા માટી નાખવા ગધેડા રાખતા અને હવે જેસીબી મશીન રાખે છે, પાણીની અછતને કારણે પહેલા ટેન્કરો દોડતા અને તેમણે પાઈપલાઈનોથી પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. તેમણે જિલ્લે જિલ્લે ઉદ્યોગોની જાળ બિછાવીને ગુજરાતનું ઔદ્યોગિકકરણ કર્યું છે. અહીં સારા રસ્તા બનાવ્યા છે, 15 વર્ષમાં ગુજરાતમાં પરિવર્તન લાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં કોઈ કોમી હુલ્લડ થયું નથી, બાળકોને કર્ફ્યુ શબ્દની ખબર નથી. કોંગ્રેસના નેતાઓ પણ વોટ માંગવા માટે ગુજરાતના વિકાસની વાત કરે છે. અન્ય પ્રદેશને ગુજરાત બનાવી દેવાના નામે વોટ માંગવામાં આવે છે. ગુજરાત એટલે વિકાસ છે અને વિકાસ એટલે ગુજરાત છે, બંને એક સિક્કાની બે બાજુ છે.

ઉપરોક્ત તમામ વાતો નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2011થી પોતાના દરેક સદભાવના ઉપવાસમાં રટી રહ્યા છે. પણ આનો અર્થ શું કરવો? શું મોદી હવે વિકાસ પુરુષમાંથી સદભાવના પુરુષ કરવાની કોશિશ કરી રહ્યા છે?

શું ગુજરાતમાં ખરેખર સદભાવના પ્રવર્તી રહી છે? સદભાવના પ્રવર્તી રહી છે, તો કોના માટે પ્રવર્તી રહી છે? કેટલાંક ઉદ્યોગપતિઓ માટેની સદભાવના, ગોહત્યા કરનારા કસાઈ પ્રત્યેની સદભાવના, ભૂમાફિયાઓ પ્રત્યેની સદભાવના, કેટલાંક નામચીન શખ્સો માટેની સદભાવના, ગુજરાતમાં છાશવારે લૂંટ કરનારા લૂંટારાઓ પ્રત્યેની સદભાવના? આનો જવાબ ગુજરાતના મુખ્યમંત્રી પાસે જરૂરથી હશે અને તેમણે તેનો પણ જવાબ ગુજરાતની છ કરોડની જનતાને આપવો જોઈએ.

આની સાથે સવાલ એ છે કે શું સદભાવનાથી મોદીની ઈમેજ મેકઓવરની કોશિશ કામિયાબ થશે? શું મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્ય ભૂમિકા મળે તેવી સદભાવના ઉભી થશે? શું લઘુમતી સમુદાય તેમના પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલશે? શું હિંદુ મતદારો તેમના સદભાવના પુરુષના સ્વરૂપને સ્વીકારશે? કટ્ટર હિંદુત્વવાદી નેતામાંથી વિકાસ પુરુષ અને વિકાસ પુરુષમાંથી સદભાવના પુરુષ બનવાનો પ્રયત્ન કરી રહેલા મોદીને ગુજરાતની જનતા ભૂતકાળની ચૂંટણીઓની જેમ જ સ્વીકારશે?