લેબલ લઘુમતી અનામત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ લઘુમતી અનામત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 12 જૂન, 2012

લઘુમતી સબક્વોટા: અનામતના રાજકારણે ધરી બદલી


-આનંદ શુક્લ
જાતિ આધારીત અનામતની રાજનીતિ ધાર્મિકતાને આધાર બનાવીને થવા લાગી છે. ગત શિયાળુ સત્રના સમાપનના બીજા દિવસે જ કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરીને ઓબીસીના 27.5 ટકા ક્વોટામાં લઘુમતીઓ માટે 4.5 ટકા સબક્વોટાની જાહેરાત કરી હતી. સૌથી વધારે મુસ્લિમ મતો ધરાવતા યૂપી સહીત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી આ નોટિફિકેશનના એક-બે દિવસમાં જ જાહેર થઈ હતી. જેના કારણે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના ઈરાદાઓ પર સવાલ ઉઠાવાયા હતા. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમો માટેના 4.5 ટકા સબક્વોટાને રદ્દ કરવાના આદેશ પર તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. આ બે ઘટનાઓથી અનામતના રાજકારણની ઓળખ થોડી સ્પષ્ટ થઈ છે. અનામતની બંધારણીય વ્યવસ્થાઓ અને અનામતનું રાજકારણ બે અલગ બાબતો છે.

ભારતીય બંધારણમાં આઝાદીના દશ વર્ષ સુધી એસસી અને એસટી માટે અનામતની વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી. પરંતુ અનામતની જાતિ આધારીત રાજનીતિ એવી ચાલી કે અલગથી ઓબીસી ક્વોટા ઉભા કરાયા. એસસી અને એસટી સમુદાયમાં નહીં આવનારી જાતિઓને પાછલે બારણેથી અનામતનું ગાજર બતાવીને રાજકીય રોટલા શેકવાની રાજનીતિ ભારતમાં લગભગ બે દશકા જેટલા લાંબા સમય સુધી ચાલી. કમજોરને સશક્ત બનાવવા માટે અનામતની વ્યવસ્થા બેશક હોવી જોઈએ. બંધારણમાંની અનામતની જોગવાઈ કોઈપણ હિસાબે અયોગ્ય નથી. પરંતુ તેના પર થતી રાજનીતિ અને તેના અમલીકરણમાં જરૂર કોઈને કોઈ ખામી છે કે જેના કારણે હકીકતમાં શોષિત, વંચિત અને પીડિત વર્ગને કોઈ મોટો ફાયદો થયો નથી.

2004ની લોકસભા ચૂંટણીથી ધર્મના આધારે અનામતનું રાજકારણ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવ્યું. જેમાં સમાજવાદી પાર્ટી અને બીએસપી સહીતના પ્રાદેશિક પક્ષો પણ જોડાયા. યૂપીની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને ધ્યાનમાં રાખીને 9 ટકા અને 18 ટકા અનામત આપવાના વચનો પણ અપાયા. અનામતના લાભાર્થી સમાજના ઉપેક્ષિત વર્ગોને મુખ્યપ્રવાહ સાથે જોડવાના માધ્યમ કરતાં રાજકીય પક્ષો અને સરકારો માટે રાજકીય હિતસાધનાનું સાધન અનામત બની ગયું. ઉપેક્ષિત વર્ગના ઉત્થાન માટે અનામત એક માધ્યમ ત્યારે બની શકે કે જ્યારે આ વર્ગના વ્યક્તિને યોગ્ય અવસર ઉપલબ્ધ કરાવવામાં આવે. તાજેતરમાં સંપન્ન આઈઆઈટીની લગભગ દસ હજાર બેઠકો માટેની પ્રવેશ પરીક્ષમાં પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સાડા ચાર ટકા અનામતથી તેમાં લઘુમતી સમુદાયના 325 બાળકોને જ મુશ્કેલીથી લાભ મળી શક્યો છે.

આવી જ હાલત નોકરીઓમાં છે. આપણે એ ભૂલવું જોઈએ નહીં કે અનામત સરકારી નોકરીઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ સુધી જ સીમિત છે. સચ્ચર કમિટી અને રંગનાથ મિશ્ર પંચે મુસ્લિમોની ગરીબી અને અસુરક્ષાની ભાવના દૂર કરવા માટે અનામત સિવાય આર્થિક મદદ સહીતની અન્ય ભલામણો પણ કરી હતી. જો કે તેના સંદર્ભે કેન્દ્ર સરકાર વધારે વાત કરવા ઈચ્છતી નથી.

મુસ્લિમોને સબક્વોટાના મામલાને સુપ્રીમ કોર્ટે બંધારણીય મર્યાદાના ઉલ્લંઘન તરીકે જોયું છે. સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે આ અનામત ધાર્મિક આધારે આપવામાં આવ્યું છે અને તેની મંજૂરી બંધારણ આપતું નથી. સરકારના દાવા પ્રમાણે તેમણે વ્યાપક સર્વેને આધારે નિર્ણય કર્યો છે. જો કે ભારતના બહુ થોડા લોકો સાધન-સંપન્ન અને ઘણાં લોકો શોષિત, વંચિત તથા ઉપેક્ષિત છે. ત્યારે સરકારને ખાતરી થઈ ગઈ છે કે ઓબીસી સમુદાયના લોકોની સ્થિતિ હવે વધારે સુધરી હોવાથી તેમના અનામતને ઘટાડી શકાય છે? શું કેન્દ્ર સરકાર રાજકીય લાભ ખાટવા બાકીના 22 ટકા ઓબીસી ક્વોટાને વધારે વિભાજિત નહીં કરવાની ગેરેન્ટી આપશે?

રવિવાર, 1 જાન્યુઆરી, 2012

લઘુમતી અનામત ભારતમાં સિવિલ વોરનું કારણ બનશે?


-ક્રાંતિવિચાર

2014માં યોજાનારી લોકસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસની તકો ઘણી પાંખી છે. ભાજપને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આંકડે મધ દેખાઈ રહ્યું છે. જો કે કોંગ્રેસે ભાજપને લાભ ન પહોંચે તેના માટે લઘુમતી અનામતના કાર્ડ દ્વારા ચૂંટણીમાં મતના સમીકરણો સરભર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ એક હકીકત એ છે કે હિંદુઓએ થોડાક અપવાદને બાદ કરતાં ધર્મના નામે વોટિંગ કર્યું નથી. વળી આખા દેશમાં તો હિંદુઓએ એકસાથે ધર્મના નામે વોટિંગ ક્યારેય કર્યું નથી. જેના કારણે ભાજપને દિલ્હીમાં અન્ય પક્ષો સાથે જોડાણો કરીને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો છે. ગઠબંધનની રાજનીતિના તબક્કામાં 1998 પછી ભાજપે હિંદુકાર્ડ પોતાના તુરકમાં પાછું મૂકી દીધું છે, તેઓ હવે વિકાસની રાજનીતિનું કાર્ડ ખેલી રહ્યા છે. પરંતુ તેને કારણે તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર અને હિંદી બેલ્ટમાં ઉભી કરેલી હિંદુ વોટબેંક હાલ વેરવિખેર છે. જેને કારણે મુસ્લિમ વોટો ચૂંટણીની હારજીતમાં ઘણી બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં આવી ગયા છે. કારણ કે માનવામાં આવે છે કે મુસ્લિમ મતો હંમેશા થોકબંધ રીતે કોઈ એક પાર્ટીને મળે છે. જો કે આમા હજી અભ્યાસને અવકાશ છે. પરંતુ એક હકીકત એ છે કે ભાજપને મુસ્લિમ મતો ક્યારેય સારા પ્રમાણમાં મળ્યા નથી.

હિંદુત્વના રાજકારણથી સત્તાના સિંહાસન ભાગીદારીમાં સ્વાદ માણી ચુકેલુ ભાજપ પણ હવે સેક્યુલર રાજનીતિના નામે મુસ્લિમોના મતો મેળવવા માટે જાતજાતની તિકડમબાજી કરી રહ્યા છે. આ એવા સંજોગો છે કે જ્યારે ભારતીય રાજનીતિમાં દરેક પક્ષ લઘુમતી-મુસ્લિમોની સરભરા કરવાની વાત કરી રહ્યો છે. પરંતુ આ સ્થિતિ ભારત માટે બિલકુલ સારી નથી. તેને કારણે ભારતમાં બહુ મોટો વિસ્ફોટ થવાની શક્યતા રહેલી છે. પહેલી જાન્યુઆરીએ અમદાવાદની એક જાહેરસભામાં વિશ્વ હિંદુ પરિષદે લઘુમતી-મુસ્લિમ અનામત સામે દેશવ્યાપી આંદોલનની ઘોષણા કરી છે અને હિંદુઓને પણ વોટબેંક ઉભી કરીને બક્ષીપંચના કોટામાંથી લઘુમતીઓના કોટા સામે લડવાની હાકલ કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદના નવનિયુક્ત આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાએ કહ્યુ છે કે મુસ્લિમોને અનામત આપવાની તુષ્ટિકરણની નીતિઓ દેશમાં સિવિલ વોરની સ્થિતિ પેદા કરી શકે છે. આ પહેલા ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નક્વીએ પણ ધર્મ આધારીત અનામત ભારતમાં સિવિલ વોરનું કારણ બની શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.

આની સંભાવના પ્રબળ છે, રામજન્મભૂમિ પરના અલ્હાબાદ હાઈકોર્ટના હકારાત્મક ચુકાદા બાદ હાલ પૂરતો આ મુદ્દો કોલ્ડ બોક્ષમાં છે. પરંતુ કોંગ્રેસે પોતાના ટૂંકા રાજકીય હિતોને સાધવા માટે વિશ્વ હિંદુ પરિષદ જેવા હાલ સુષુપ્ત અવસ્થામાં રહેલા હિંદુત્વવાદી સંગઠને એક્ટિવ મોડમાં આવવાની તક પુરી પાડી છે. વિશ્વ હિંદુ પરિષદ જેવાં હિંદુવાદી સંગઠનો પાસે હિંદુત્વની રાજનીતિને ફરીથી કેન્દ્રમાં લાવવાનો હાલ મોકો છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એ છે કે હાલ કોઈ હિંદુત્વના મુદ્દાઓને સંપૂર્ણ ટેકો કરનારી પાર્ટી ઉપલબ્ધ નથી. ભાજપથી હિંદુ સંગઠનો સારા એવા પ્રમાણમાં આહત છે. રામમંદિર આંદોલન વખતે ભાજપે ખુલીને વિશ્વ હિંદુ પરિષદને ટેકો આપ્યો હતો. જેથી તેમના દ્વારા થયેલા જનજાગરણને ભાજપ તરફી મતોમાં પરિવર્તિત કરી શકાયું હતું. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં વીએચપી દ્વારા શરૂ કરવામાં આવનારા આવા કોઈ જનજાગરણની રાજકીય સ્તરે ચૂંટણીના માધ્યમથી અભિવ્યક્તિ કરી શકાય તેવો પક્ષ અસ્તિત્વમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે નિમણૂક વખતે મોહન ભાગવતે ભાજપની સર્જરી અને કેમોથેરપીની વાત કરી હતી. પરંતુ ભાજપ પણ હાલના વાતાવરણમાં હાર્ડકોર હિંદુત્વના માર્ગ પર આગળ વધવા માટે તૈયાર દેખાતું નથી.

તેવા સંજોગોમાં હાર્ડકોર હિંદુત્વના મુદ્દાઓ પર લઘુમતી અનામત સામે જાગૃત થનારા હિંદુ મતદારોને કોઈ પાર્ટી દ્વારા રાજકીય અભિવ્યક્તિની તક મળશે નહીં. આવા સંજોગોમાં હતાશ હિંદુ મતદાર અન્ય કોઈ રસ્તો પણ અપનાવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. જ્યારે સમાજની રાજકીય અભિવ્યક્તિનો સામાન્ય વિકલ્પ બંધ થઈ જતો હોય છે, તો તેવા સંજોગોમાં સમાજ રાજકીય મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓની પૂર્તિ માટે અન્ય માર્ગો પણ અપનાવતી હોય છે. ટ્યુનેશિયા, ઈજીપ્ત અને લીબિયા સહીતના દેશોના ઉદાહરણો આપણી પાસે છે. વળી લોકોને અહિંસક માર્ગે વાળનારા ગાંધી આપણી વચ્ચે 63 વર્ષ પહેલા ચાલ્યા ગયા છે. અહિંસક આંદોલનનો વારસો આગળ વધારનારા ગાંધીવાદી અણ્ણા હજારેની અણ્ણાગીરી મુંબઈમાં મોળી પડી છે. ત્યારે લોકો પોતાની આકાંક્ષા પૂર્ણ કરવા માટે અહિંસક વિકલ્પો સિવાયના અન્ય રસ્તા પર પણ આગળ વધશે તો દેશમાં ઘણી વિસ્ફોટક પરિસ્થિતિ પેદા થશે. આ દેશની સેક્યુલર રાજનીતિ લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિમાં ફેરવાઈ ગઈ ત્યારથી જ સિવિલ વોરની સ્થિતિ માટેની પટકથા લખાઈ ચુકી છે.

કોંગ્રેસ સહીતના પોતાને સેક્યુલર ગણાવતા અને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરનારા રાજકીય પક્ષો માટે ખરેખર આત્મવિશ્લેષણ કરવાનો સમય છે કે શું તેઓ દેશમાં હિંદુઓમાં જન્મજાત સેક્યુલારિઝમની ભાવનાને નષ્ટ કરવા માંગે છે? શું તેઓ હિંદુઓને હિંદુ તરીકે વોટ કરવા અને બીજી રાજકીય અભિવ્યક્તિ માટે કટ્ટર બનાવવા માંગે છે? શું તેઓ દેશમાં હિંદુઓને કટ્ટર રાજકીય અભિવ્યક્તિ તરફ ધકેલીને સિવિલ વોરની પરિસ્થિતિ પેદા કરી રહ્યા નથી? શું આગળ જતાં આજે બક્ષીપંચના અનામતમાં લઘુમતીનો ભાગ કર્યો, ભવિષ્યમાં અનુસૂચિત જાતિના અનામતમાં લઘુમતીને ભાગ આપશે અને પછી ઓપન કેટેગરીમાંથી 10 ટકા અનામત કાપીને લઘુમતીઓને રંગનાથ મિશ્ર પંચની ભલામણ પ્રમાણે અનામત આપશે? શું સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત માટેની મહત્તમ 50 ટકાની મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગવા માટે સરકાર બંધારણીય અને કાયદાકીય સ્તરે પ્રયત્નો અને તૈયારીઓ કરી રહી છે?

આ તમામ સવાલોના જવાબ સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરનારા રાજકીય પક્ષોએ આપવા પડશે. કારણ કે દેશ નિશ્ચિતપણે એક બહુ મોટી વિસ્ફોટક પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. લઘુમતી અનામતને ભારતના વિભાજન સાથે જોડીને ફરી ભાગલાના બીજ રોપાયાના પણ દાવા થઈ રહ્યા છે. ભારતનો ઈતિહાસ ધર્મના નામે થયેલી મારકાટથી ભરપૂર છે. છેલ્લા 64 વર્ષમાં ઈતિહાસની ધર્મના નામે થયેલી મારકાટના પ્રમાણમાં ઘણાં નાના છમકલાં થયા છે. પરંતુ કદાચ આ પરિસ્થિતિ હિંદુઓમાં અધિકારો પર ધાડ પડે તેવા નિર્ણયો કરનારને ગોઠતી હોય તેમ લાગતું નથી. લઘુમતીઓને ધર્મના નામે અનામતની રેવડી વહેંચીને ચૂંટણી જીતવા નીકળેલા રાજકીય પક્ષો ફરીથી ધર્મના નામે મારકાટનો દોર શરૂ કરાવવા માંગે છે.

ભારત સેક્યુલર લોકશાહી દેશ છે. પરંતુ ભારતના લોકોને તેવો અનુભવ થઈ રહ્યો નથી. નથી આવો અનુભવ હિંદુને થઈ રહ્યો, નથી મુસલમાનને થઈ રહ્યો, નથી ખ્રિસ્તીને થઈ રહ્યો કે નથી શીખને આવો અનુભવ થઈ રહ્યો. કારણ શું છે, આ બધાંનું? કારણ માત્ર સેક્યુલારિઝમના નામે વિકૃત લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિ કરીને બહુમતી હિંદુ સમાજમાં અન્યાય બોધ ઉભો કરવાની રાજકારણીઓની રણનીતિ. શું આ સ્થિતિ એક ભારતીય તરીકે તમને સિવિલ વોરનું કારણ બને તેવી વિસ્ફોટક લાગતી નથી? ઉલ્લેખનીય છે કે અમદાવાદની જાહેરસભામાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ હિંદુઓને બંધારણ બદલીને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની હાકલ કરી છે.

સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં ધાર્મિક લઘુમતી કેવી?


-ક્રાંતિવિચાર

ભારત એક સેક્યુલર દેશ છે. એવો દેશ કે જેનો કોઈ ધર્મ નથી. પરંતુ આ દેશમાં ધર્મ આધારીત અનામત આપવાનો ખેલ શરૂ થઈ ગયો છે. શું સેક્યુલર દેશમાં ધર્મ વિશેષના લોકોને અનામત હોઈ શકે? ભારતના બંધારણમાં પણ ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈ નથી. તેના કારણે આવો કોઈપણ પ્રયાસ હાલના બંધારણ પ્રમાણે ગેરબંધારણીય છે. એટલે કે ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈ કરવા માટે બંધારણીય સુધારો કરીને તેમા ફેરફાર કરવો આવશ્યક છે.

તાજેતરમાં લોકપાલ બિલની ચર્ચા દરમિયાન જોગવાઈ કરવામાં આવી કે એક અધ્યક્ષ અને આઠ સભ્યોવાળી લોકપાલ સમિતિમાં ઓછામાં ઓછું 50 ટકા અનામત આપવામાં આવે. આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે લોકપાલ બિલમાંથી લઘુમતી અનામત શબ્દ હટાવાયા સંદર્ભે હોબાળો કરીને કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારને ઢળવા માટે ઢાળ આપ્યો. લોકપાલ બિલમાં લઘુમતી શબ્દ દાખલ કરવામાં આવ્યો. જ્યારે લોકપાલ બિલમાં લઘુમતી અનામતને ભાજપે ગેરબંધારણીય ગણાવ્યું, ત્યારે કોંગ્રેસ તરફથી જવાબ આપવામાં આવ્યો કે લઘુમતીને અનામત ગેરબંધારણીય નથી અને સંસદને કાયદો બનાવવાની સત્તા છે, તે બંધારણીય કે ગેરબંધારણીય છે કે નહીં તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે.

મુસ્લિમ વોટબેંકની રાજનીતિમાં આનાથી મોટી કોઈ બેશરમી હોઈ શકે નહીં. હકીકતમાં બંધારણ પ્રમાણે બંધારણીય પદો અને સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનું અનામત નથી. વળી ધર્મ આધારીત અનામત પણ શિક્ષણ, નોકરીથી માંડીને કોઈપણ જગ્યાએ રાખવામાં આવ્યું નથી. જો કોઈ કાયદો બંધારણની જોગવાઈ સાથે બંધબેસતો ન હોય, તો તે ગેરબંધારણીય કહેવાય કે નહીં? વળી સંસદને કાયદો બનાવવાની અને બંધારણને બદલવાની પણ સત્તા છે. પરંતુ તેના સંદર્ભે બંધારણે તેમને અમુક શરતો અને જોગવાઈઓ હેઠળ આવી સત્તા આપી છે. શું કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર આવી જોગવાઈઓની શરતો પુરી કરે છે?

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ લઘુમતી નક્કી કરવા માટે ચર્ચાની જરૂરત હોવાનું જણાવ્યુ છે, કારણ કે ધર્મનિરપેક્ષ લોકશાહીમાં ધાર્મિક લઘુમતીનો કોઈ મતલબ નથી. તેમણે કહ્યુ છે કે રાજકીય કારણો અથવા દપબાણને કારણે એક ધાર્મિક જનસમૂહ કોઈ એવા રાષ્ટ્રમાં વસેલો હોય કે જેનો પોતાનો ધર્મ હોય, માત્ર તેવી સ્થિતિમાં જ તે વર્ગને ધાર્મિક લઘુમતી કહેવો જોઈએ. એટલે કે ભારતમાં સેક્યુલર લોકશાહી છે. અહીં ધર્મ વ્યક્તિની અંગત બાબત છે. દેશનું શાસન ધર્મનિરપેક્ષે છે. માટે ભારતમાં કોઈ ધાર્મિક લઘુમતી નથી. જો કે પડોશી દેશ પાકિસ્તાન ધર્મના આધારે પેદા થયો છે. તે ઈસ્લામિક પ્રજાસત્તાક છે. માટે પાકિસ્તાનમાં રહેનારા બિનમુસ્લિમો ધાર્મિક લઘુમતી છે. તેમના હકીકતમાં લઘુમતી અનામતની જરૂરત છે.

જોશીએ પોતાના તાર્કિક દલીલમાં કહ્યુ છે કે ભાષાકીય લઘુમતી તો સમજમાં આવે છે, પરંતુ એ સ્પષ્ટ કરવું જોએ કે દેશનો ધર્મ ક્યો છે અને ક્યાં લોકોને બહુમતી કહી શકાય છે. જોશીએ એમ પણ કહ્યુ છે કે જૈનવાદનો એક ધર્મ તરીકે અર્થ છે, પરંતુ હિંદુત્વ માટે શું કહીશું ખુદ સુપ્રીમ કોર્ટ પણ કહી ચુકી છે કે આ જીવન જીવવાની રીત છે. એટલે કે શું ભારતમાં 80 ટકાથી વધારે લોકો હિંદુ પંથ-સંપ્રદાયના લોકો છે? પરંતુ શું તેમના પંથ-સંપ્રદાયને દેશનો પંથ-સંપ્રદાય ગણાવામાં આવે છે? જો તેમને દેશના પંથ-સંપ્રદાય ગણવામાં ન આવતા હોય, તો દેશમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય પંથ-સંપ્રદાયના લોકો લઘુમતીમાં કેવી રીતે ગણાય?

વળી ભારતમાં ધાર્મિક લઘુમતીઓની એક મોટી વસ્તી એવા લોકોની છે જે ધર્માંતરણથી આ વર્ગમાં આવ્યા છે. અહીંના મૂળ નિવાસી ધર્મને બદલી નાખ્યા બાદ તેમને લઘુમતી કેવી રીતે કહી શકાય? ખુદ મહાત્મા ગાંધીએ પણ આ સવાલ ઉઠાવ્યો હતો કે ધર્મ પરિવર્તન બાદ નાગરીક પોતાના જ દેશમાં લઘુમતી કેવી રીતે કહી શકાય? ગાંધીજીએ પણ આવા લોકોને લઘુમતી ગણવાનો ઈન્કાર કર્યો હતો.

આ દેશની 121 કરોડની વસ્તીમાં મુસ્લિમો અંદાજે 14 ટકા છે. એટલે કે દેશમાં અંદાજે કુલ 18 કરોડ મુસ્લિમો છે. જ્યારે સામે હિંદુઓમાં સેંકડો પંથ-સંપ્રદાય, નાત-જાત છે. હિંદુ સમાજના કોઈપણ એક પંથ-સંપ્રદાય, નાત-જાતની સંખ્યા મુસ્લિમોના 18 કરોડના આંકડાની આસપાસ પહોંચતી નથી. જો લઘુમતીઓ ગણવી હોય તો તેઓ પણ એક રીતે લઘુમતી છે. આમ જોવો તો ભારત લઘુમતીઓનો જ દેશ છે. તો પછી મુસ્લિમોને લઘુમતી ગણીને અનામતના લાભ કેવી રીતે વહેંચી શકાય?

ભારતમાં ખરેખર ધાર્મિક લઘુમતી કોણ? તેની નવેસરથી ખુલ્લા મંચ પર ચર્ચા કરવાની જરૂરત છે. વોટબેંકના રાજકારણમાં મસ્ત રાજકીય પાર્ટીઓ લઘુમતીઓના નામે મુસ્લિમોના થોક વોટ પર કબજો જમાવવા રાજકીય તિકડમબાજી કરી રહ્યા છે. આ રાજકીય તિકડમબાજીનું જ ફરજંદ ધર્મ આધારીત અનામત છે. આ રાજકીય તિકડમબાજી કેટલી ખતરનાક છે, તેનો આ રાજકીય પાર્ટીઓ પોતાના નાના અને નજીકના રાજકીય હિતોને સાધવામાં વિચાર કરતાં નથી.

લોકપાલને બંધારણીય દરજ્જો આપવા માટે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પ્રયત્ન કરી રહ્યા છે. લોકપાલને બંધારણીય સંસ્થા બનાવવામાં કોંગ્રેસ કામિયાબ થશે, તો પ્રવર્તમાન બિલ પ્રમાણે તે કદાચ એવી પહેલી બંધારણીય સંસ્થા હશે કે જેમાં ધર્મ આધારીત લઘુમતી અનામત હશે. વળી કેન્દ્રીય કેબિનેટે ઓબીસીના 27.5 ટકા કોટામાં લઘુમતીઓને 4.5 ટકા સબકોટા આપ્યા છે. તેનો પહેલી જાન્યુઆરીથી અમલ થઈ રહ્યો છે.

શિક્ષણ, નોકરી સાથે બંધારણીય સંસ્થાઓમાં પણ લઘુમતી અનામત ઘુસાડવાનું ગંદુ વોટબેંકનું રાજકારણ આગળ જતાં ધર્મ આધારે સંસદ, વિધાનસભાઓ, વિધાનપરિષદો, મંત્રીમંડળો, સીવીસી, સીબીઆઈ જેવી બંધારણીય સંસ્થાઓ અને પદો માટે અનામતની માગણી કરશે. કદાચ ફરીથી દેશમાં સેપરેટ ઈલેક્ટોરેટ માટે પણ ચળવળ ચલાવવામાં આવે. આ બધી પરિસ્થિતિ ખંડિત ભારતના ઈતિહાસના પુનરાવર્તન જેવી હશે. ત્યારે સવાલ એ છે કે શું આપણે પાકિસ્તાનની માગણી કરનારાઓની ચાલો અને માગણીઓ ભૂલી ગયા? ફરીથી ખંડિત ભારતમાં આપણે નવી પાકિસ્તાન જેવી માગણીને જન્મ તો આપી રહ્યા નથી ને? પણ દૂરગામી પરિણામોને જોઈને દેશહિતમાં દેશહિતચિંતક રાજકારણીઓના દુકાળમાં આ વાત વિચારવાની કોઈને દરકાર નથી.

ગુરુવાર, 22 ડિસેમ્બર, 2011

અણ્ણાના આંદોલનને કોંગ્રેસી જવાબ લઘુમતી અનામતની ભ્રમજાળ!


-ક્રાંતિવિચાર
લઘુમતી અનામતના કોંગ્રેસી કાર્ડથી અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ફૂગ્ગો ફૂટી જશે. લોકસભામાં લોકપાલ બિલ રજૂ થવાનું હતું, ત્યારે તે કેવી રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તંત્ર પેદા કરશે તેના પર ચર્ચા થઈ ન હતી. પરંતુ લોકપાલની સમિતિ અને સર્ચ કમિટીમાંથી એસસી, એસટી, ઓબીસી, મહિલા માટે ઓછામાં ઓછું 50 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી. પરંતુ કોંગ્રેસના વડપણ નીચેની યુપીએ સરકારે લોકપાલના અનામતની જોગવાઈમાંથી લઘુમતી શબ્દ હટાવી લીધો. લોકસભામાં લાલુપ્રસાદ યાદવે આ મુદ્દે તોફાન મચાવ્યું અને લોકપાલમાં લઘુમતીઓને અનામતની જોગવાઈ પાછી લેવડાવી. ભારતીય બંધારણ પ્રમાણે ધર્મ આધારીત અનામત ગેરબંધારણીય છે. પરંતુ ભારતીય બંધારણને સુપ્રીમ ગણવાની વાત કરનારી ભારતીય લોકશાહીની સુપ્રીમ સત્તા સંસદમાં બંધારણની ભાવનાને દરકિનાર કરવામાં આવી. લોકસભામાં રજૂ કરવામાં આવેલા સરકારી લોકપાલ બિલના નવા ડ્રાફ્ટમાં અનામતની જોગવાઈમાં લઘુમતી શબ્દ ફરીથી દાખલ કરવામાં આવ્યો.

લોકસભામાં ભાજપના નેતા સુષ્મા સ્વરાજે ધર્મ આધારીત લઘુમતી અનામતને ગેરબંધારણીય ઠેરવ્યું છે. ભાજપ લોકપાલમાં ધર્મ આધારીત લઘુમતી અનામતનો વિરોધ કરી રહ્યું છે. વળી બંધારણમાં પણ ધર્મ આધારીત અનામતની કોઈ જોગવાઈ નથી. આથી જો લોકપાલમાં લઘુમતી અનામત દાખલ કરવું હોય તો બંધારણીય સંશોધનની જરૂરત પડશે. આ બંધારણીય સંશોધનને પારીત કરવા માટે ગૃહમાં બે તૃતિયાંશ બહુમતીની જરૂર પડશે. પરંતુ ભાજપ લોકપાલમાં લઘુમતી અનામતના મુદ્દે વિરોધ પર કાયમ રહે તો બંધારણીય સંશોધન પારીત થશે નહીં અને લાલુ, મુલાયમ, બીએસપી, ડાબેરીઓ લઘુમતી અનામત વગરનું લોકપાલ પારીત થવા દેશે નહીં. આવા સંજોગોમાં કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારને માટે સાપ પણ મરી જશે અને લાઠી પણ નહીં તૂટે તેવી પરિસ્થિતિ પેદા થશે. એટલે કે અણ્ણાનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન નબળું પડશે અને ભાજપને લઘુમતી અનામતની ભ્રમજાળમાં ફસાવીને કોંગ્રેસ વિરોધી વાતાવરણને તરફેણમાં ફેરવવાની તક મળશે.

ભ્રષ્ટાચારથી ભ્રમિત બનેલી યુપીએ સરકારે હાલ દેશને દિગ્ભ્રમિત કર્યો છે. યુપીએ સરકારના ભ્રષ્ટાચારના પાપનો ઘડો હવે ભરાઈ ચુક્યો છે. અણ્ણા હજારે યુપીએ સરકારના પાપના ઘડાને ફોડવા માટે જનલોકપાલનો પાણો ફેંકી ચુક્યા હતા. પરંતુ યુપીએ સરકારની શાતિર વકીલ મંત્રી ત્રિપુટીએ અણ્ણા હજારેના જનલોકપાલના પાણાનું નિશાન લોકપાલમાં લઘુમતી અનામતના કીડીના ચટકાથી ચુકવી દીધું છે. કોઈપણ પરિસ્થિતિમાં સરકારની લોકપાલનો ભાજપ અથવા અન્ય પક્ષો દ્વારા વિરોધ થવાનો છે અને તેવા સંજોગોમાં લોકપાલ બિલ પારીત થશે નહીં અથવા મહામુશ્કેલીએ પારીત થશે. વળી બે તૃતિયાંશ બહુમતીથી ધર્મ આધારીત લઘુમતી અનામતને લોકપાલમાં દાખલ કરાવવાની કોંગ્રેસની મનસા પૂર્ણ થશે નહીં. પરંતુ તેઓ રાજકીય રીતે કહી શકશે કે તેમણે લોકપાલમાં લઘુમતી અનામત માટે લાલુ, મુલાયમ, બીએસપી અને ડાબેરીઓના દબાણમાં પ્રયત્ન કરી જોયો પણ લઘુમતી વિરોધી ભાજપે તેને સફળ થવા દીધો નહીં. આ સ્થિતિમાં જીત યુપીએ સરકારની થવાની છે. તેની સાથે મુસ્લિમોના ઉત્થાન માટેની સચ્ચર કમિટીની ભલામણો અને રંગનાથ મિશ્રા પંચની લઘુમતી અનામતની જોગવાઈ લાગુ કરવાનો મુદ્દો પણ કોલ્ડ બોક્ષમાંથી ગરમ થઈને બહાર આવ્યા છે.

જેના આધારે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે લઘુમતી અનામતના કાર્ડનો ઉપયોગ કરી શકશે. ઉત્તર પ્રદેશમાં દેશના કુલ મુસ્લિમોના 50 ટકા મુસ્લિમો રહે છે. જ્યારે ઉત્તર પ્રદેશની કુલ વસ્તીમાં મુસ્લિમોની ટકાવારી 20 ટકા છે. મુસ્લિમ મતો યૂપીની 403માંથી 100થી વધારે બેઠકો પર નિર્ણાયક સ્થિતિમાં છે. તેવા સંજોગોમાં કોઈપણ પક્ષને મુસ્લિમ વોટની લાલચ જાગી શકે છે. આવી સ્થિતિમાં સમાજવાદી પાર્ટી પહેલા જ જાહેરાત કરી ચુકી છે કે તેઓ સંસદમાં આવનારા લઘુમતી-મુસ્લિમ અનામતના કોઈપણ બિલને ટેકો આપશે. માયાવતીએ પોતાની અનામતની રાજનીતિ હેઠળ મુસ્લિમોને અનામત આપવા સંદર્ભે વડાપ્રધાનને પત્રો લખ્યા હતા. જો કે વડાપ્રધાને આ સંદર્ભે એક રાજ્ય તરીકે માયાવતી સરકાર નિર્ણય કરી શકે તેમ હોવાની વાત અન્ય રાજ્યોના મુસ્લિમ અનામતની વ્યવસ્થાને ટાંકીને કરી હતી. હાલ કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો મુસ્લિમ અને/અથવા ખ્રિસ્તી અનામત આપી રહ્યા છે.

પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુસ્લિમ મતોની ફસલ લણવા માટે કોંગ્રેસ પણ ટાંપીને બેઠી હતી. જેવો લોકપાલમાં લઘુમતી અનામતનો મુદ્દો ગરમ થયો કે તેમણે હથોડો મારી દીધો. 22મી ડીસેમ્બરે ક્રિસમસ નિમિત્તે સંસદની કાર્યવાહી 27 ડીસેમ્બર સુધી સ્થગિત રહેવાની છે, ત્યારે કેન્દ્રીય કેબિનેટે ઓબીસી ક્વોટામાંથી લઘુમતી-મુસ્લિમોને 4.5 ટકા અનામત આપવાની ઘોષણાને મંજૂરી આપી દીધી છે. વળી આ ટાઈમિંગનું પણ ઘણું મહત્વ છે. ઉત્તર પ્રદેશ સહીતના પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત પણ 23મી ડીસેમ્બરની આસપાસ થવાની છે. ચૂંટણીની જાહેરાત બાદ આચાર સંહીતા લાગુ થઈ જાય તો તેવી સ્થિતિમાં મુસ્લિમ-લઘુમતી અનામતનું કાર્ડ ખેલી શકાય નહીં. આથી આચાર સંહીતા લાગુ થતાં પહેલા કેન્દ્રીય કેબિનેટે ઓબીસી ક્વોટામાંથી લઘુમતીઓને અનામત આપવાની જાહેરાત કરીને મુસ્લિમ મતોનો લાભ ખાંટી લેવાનો પેંતરો કોંગ્રેસના વડપણવાળી યુપીએએ કર્યો છે.

કોંગ્રેસના ઈશારે યુપીએ સરકાર દ્વારા શરૂ થયેલી લઘુમતી અનામતની રાજનીતિને કારણે ભાજપને પોતાના જૂના પથ પર જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભાજપ ધર્મ આધારીત અનામતને ટેકો આપી શકશે નહીં. જો તેઓ લઘુમતી અનામતને ટેકો આપશે, તો તેમની પરંપરાગત હિંદુ વોટબેંક ધોવાઈ જશે. જો તેઓ લઘુમતી અનામતને ટેકો નહીં આપે, તો મુસ્લિમ વોટો ભાજપને મળવાનો જે આભાસ પેદા થયો છે તે અદશ્ય થઈ જશે. પરંતુ ભાજપ પોતાની પરંપરાગત હિંદુ વોટબેંક ધોવાઈ જાય તેવું બિલકુલ ઈચ્છશે નહીં. તેવા સંજોગોમાં ભાજપ દ્વારા ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈનો વિરોધ થશે. વળી સંઘ પરિવાર પણ આવી જોગવાઈના વિરોધ સંદર્ભે સક્રિય બનશે. વિશ્વ હિંદુ પરિષદે પણ લઘુમતી અનામતના વિરોધમાં 27-28 ડીસેમ્બરે દેખાવ કરવાનું એલાન કર્યું છે. આ એલાન એવા વખતે છે કે જ્યારે અણ્ણા હજારે મુંબઈના આઝાદ મેદાનમાં જનલોકપાલ બિલ માટે 27થી 29 ડીસેમ્બર સુધીના ત્રણ દિવસના અનશન કરવાના છે.

આને કારણે સંભાવના એવી પણ છે કે લોકપાલનો મુદ્દો લઘુમતી અનામતના ઉછાળાયેલા મુદ્દાથી અભરાઈ પર ચઢી જશે અથવા અણ્ણાનું આંદોલન કમજોર પડશે. આ સ્થિતિ કોંગ્રેસ અને યુપીએ માટે બેહદ હકારાત્મક રહેશે. હાલની પરિસ્થિતિમાં અણ્ણાના આંદોલનથી પેદા થયેલું કોંગ્રેસ વિરોધી વાતાવરણ એનડીએ માટે ફાયદાકારક છે. પરંતુ લઘુમતી અનામતની જોગવાઈઓ અને જાહેરાતથી કોંગ્રેસ તેની સામેની રાજકીય નકારાત્મકતાને સંતુલિત કરવામાં સફળ થશે. જો કે તેના કારણે દેશ માટે માઠી પરિસ્થિતિ ઉભી થશે. દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણ મઝહબી અનામતના વિભાજનકારી પેંતરાઓથી ઘર્ષણ અને તણાવ પેદા થશે. જેના કારણે ભ્રષ્ટાચાર, મોંઘવારી, ચીનનું આક્રમક વલણ, પાકિસ્તાનનું પ્રોક્ષીવોર, આતંકવાદ અને અન્ય મહત્વની સમસ્યાઓ તરફથી જનતાનું ધ્યાન હટી જશે. દેશ મઝહબી અનામતના ભમ્મરિયા વમળમાં ફસાઈ જશે. આ પરિસ્થિતિ 2014ની લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રહે તેવું કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર કદાચ ઈચ્છશે કે જેથી તેમની ભ્રષ્ટાચારની ભૂતાવળો કબરોમાંથી બહાર ન આવે.