લેબલ ગોધરાકાંડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગોધરાકાંડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 27 જુલાઈ, 2012

મોદીની ઉર્દૂ સાપ્તાહિક ‘નઈ દુનિયા’ને મુલાકાતના ગૂઢાર્થો


-આનંદ શુક્લ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉર્દૂ અખબાર ‘નઈ દુનિયા’ને આપવામાં આવેલી મુલાકાત બાદ રાજકારણ ગરમ થયું છે. નરેન્દ્ર મોદી દ્વારા 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો પછી દશ વર્ષ બાદ પ્રથમ વખત કોઈ ઉર્દૂ અખબારને મુલાકાત આપવામાં આવી છે. આ મુલાકાતમાં મોદીએ એવા સવાલોનો જવાબ પણ આપ્યો છે કે ભૂતકાળમાં જેને સાંભળીને તેઓ બોલવાનું બંધ કરી દેતા હતા અથવા મુલાકાત અધુરી મૂકીને નારાજગી સાથે સ્ટુડિયોમાંથી ચાલ્યા જતા હતા.

ઉલ્લેખનીય છે કે એનડીટીવીના વિજય ત્રિવેદી દ્વારા 2007ની ચૂંટણી વખતે લેવામાં આવેલા ઈન્ટરવ્યૂ વખતે હુલ્લડ સંદર્ભેના સવાલ પર મોદી ચોપરની બારીની બહાર જોતા રહ્યા અને બોલવાનું બંધ કરી દીધું હતું. આ સિવાય સીએનએન-આઈબીએન ચેનલ પર કરણ થાપરના કાર્યક્રમમાં મોદીને ગુજરાત રમખાણો સંદર્ભે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેઓ મુલાકાત છોડીને જતા રહ્યા હતા. જો કે કરણ થાપરના કાર્યક્રમમાં બનેલી ઘટનાના અઠવાડિયામાં જ હુલ્લડો સંદર્ભેના સ્ટિંગ ઓપરેશન તહેલકાએ જુદીજુદી ચેનલો પર પ્રસારીત કર્યા હતા.

પરંતુ દશ વર્ષ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવા તમામ સવાલોનો જવાબ નઈ દુનિયાના સંપાદક અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શાહીદ સિદ્દીકીને આપ્યા છે કે જેનાથી મોદી ભૂતકાળમાં આભડછેટ રાખતા હતા. ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી 2002 અથવા 2007 જેટલી સરળ દેખાઈ રહી નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે મોદી સામે વિરોધનું બ્યૂગલ બજાવ્યું છે. છ સ્થાનો પર પરિવર્તન મહાસંમલનોમાં 20 હજારથી માંડીને 60 હજાર સુધીની ભીડ કોઈપણ જાતની વાહન વ્યવસ્થા વગર એકઠી કરીને કેશુભાઈ પટેલે મોદી સરકારની ખુરશીના પાયા તો હચમચાવ્યા છે. આવા ટાણે ઉર્દૂ અખબારને ગુજરાત રમખાણો સંદર્ભે ઈન્ટરવ્યૂ આપીને મોદી કોઈ નવી રાજકીય શતરંજ માંડી રહ્યા હોવાની વાત પણ રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.

રાજકીય નિરીક્ષકોના મતે હાલ ગુજરાતમાં મોદી સરકાર 2012ના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં એન્ટીઈન્કમબન્સી અને કેશુભાઈ પટેલના વિરોધને કારણે બિનઆરામદાયક પરિસ્થિતિનો અનુભવ કરશે. તેવા વખતે કોઈને કોઈ લાગણીશીલ મુદ્દાની તલાશ મોદીને રહેશે. મોદીને પોતાના તરફ જુવાળ ઉભો કરવા માટે હજી પણ ગુજરાત રમખાણોના મુદ્દા મદદરૂપ સાબિત થઈ શકે છે. જો કે મોદીએ ઈન્ટરવ્યૂમાં પોતાનો પક્ષ ખૂબ સ્પષ્ટ રીતે મૂક્યો છે અને કોઈ હિંદુહ્રદય સમ્રાટની અદાથી એવી કોઈ છબી બનાવવા માટે આ ઈન્ટરવ્યૂ આપ્યો નથી. તેમ છતાં તેમની સાથે જોડાયેલી રમખાણો સંદર્ભેની બાબતો પ્રજામાં ફરી એક વખત જુવાળ પેદા કરી શકે છે. ગુજરાત રમખાણોની ચર્ચા માત્રથી મોદીનું સ્થાન પ્રજામાં મજબૂત થાય છે.

જો કે ઈન્ટરવ્યૂમાં મોદીએ રમખાણોમાં પોતાની ભૂમિકાનો બચાવ કરતા કહ્યુ છે કે જો તેઓ દોષિત હોય તો તેમને ફાંસી પર ચઢાવી દેવામાં આવે. એવી રીતે જાહેરમાં ફાંસી આપવામાં આવે કે આવું કૃત્ય કરવાની કોઈ રાજનેતા 100 વર્ષ સુધી હિંમત કરી શકે નહીં. આ સિવાય તેમણે કહ્યુ છે કે કોંગ્રેસમાં જવાથી કોઈ નેતા સેક્યુલર થઈ શકતો નથી. બાબરી ધ્વંસ વખતે શંકરસિંહ વાઘેલા ક્યાં મંચ પર હતા, તે તેમને પુછવું જોઈએ. મોદીએ ઈન્ટરવ્યૂમાં ગુજરાતમાં મુસ્લિમો ખુશ હોવાની, મુસ્લિમ અનામત સંદર્ભે આગવી અસહમતિ દર્શાવી અને ગુજરાતમાં રમખાણો રોકવા તેમની સરકારે શું કાર્યવાહી કરી ત્યાં સુધીની તમામ વાતો કરી છે. આ ઈન્ટરવ્યૂમાં મોદીમાં રમખાણો સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક પામેલી એસઆઈટીના રિપોર્ટમાં મળેલી ક્લિનચિટનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો.

રમખાણોના દશ વર્ષ બાદ મોદી જ્યારે હિંદુત્વવાદીમાંથી સદભાવનાવાદી બન્યા છે, ત્યારે ઉર્દૂ અખબારને આપવામાં આવેલો ઈન્ટરવ્યૂ મુસ્લિમ સમુદાયમાં પીઆર વધારવાની કવાયત તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કઠલાલની પેટાચૂંટણીથી ખુદ મોદી પણ એવું કહેતા થયા કે ભાજપને મુસ્લિમના અમુક ટકા વોટ મળ્યા એટલે જીત થઈ. આ ઘણું મોટું પરિવર્તન છે. 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ એકપણ મુસ્લિમ ઉમેદવારને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી. પરંતુ 2007ની વિધાનસભાની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મુસ્લિમોને ઉમેદવારીની તક આપી છે. જેમાં મોદીને લાગે છે કે સારા પરિણામ આવ્યા છે અને તેથી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેટલાંક મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ દર્શાવાય રહી છે.

ગત વર્ષ સપ્ટેમ્બર માસમાં મોદીએ સદભાવના મિશન અંતર્ગત અમદવાદ ખાતે ત્રણ ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં કુલ 33 ઉપવાસ કરીને પોતે મુસ્લિમ વિરોધી નહીં હોવાનો સંદેશ આપતો સદભાવનાવાદી ચહેરો બનાવવાનો પ્રયત્ન મોદીએ કર્યો. જો કે મોદીને તેમા કેટલી સફળતા મળી તેના પરિણામો તો તેમની રાષ્ટ્રીય રાજનીતિમાં સ્વીકાર્યતા અને ગુજરાતમાં મુસ્લિમો તરફથી ભાજપને મળનાર મતોથી જ સાબિત થશે. પરંતુ ઉર્દૂ અખબારને મુલાકાત પાછળનું ઈમેજ મેકઓવરનું ગણિત પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

ઉર્દૂ અખબાર નઈ દુનિયા ઉત્તર પ્રદેશના મુસ્લિમ સમુદાયમાં ઘણી મોટી પહોંચ ધરાવે છે. દેશના સૌથી વધારે મુસ્લિમો યૂપીમાં રહે છે અને મુસ્લિમ રાજનીતિ અહીંથી જ નિયંત્રિત થાય છે. જેના કારણે યૂપીમાં મોદીનું ઈમેજ મેકઓવર થાય, તો તેનો ફાયદો રાષ્ટ્રીય રાજનીતિમાં સ્વીકાર્યતા વધારવા માટે થઈ શકે છે. શાહીદ સિદ્દીકી સમાજવાદી પાર્ટીના સાંસદ છે, તેથી ઉર્દૂ અખબારમાં ઈન્ટરવ્યૂથી મુસ્લિમ મતોથી યૂપીની સત્તા હસ્તગત કરનારી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ મોદી માટે થોડી નરમાશ દાખવે તેવું પણ શક્ય છે. જેનો ફાયદો મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં મળી શકે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાની કવાયત વખતે બિહારના મુખ્યમંત્રી અને ઘોર મોદીવિરોધી નીતિશ કુમારે 2014ની ચૂંટણીમાં એનડીએ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા શરૂ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એનડીએ તરફથી વડાપ્રધાનપદનો ઉમેદવાર સેક્યુલર છબીવાળો હોવો જોઈએ. જેના જવાબમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવેત નિવેદન આપ્યું કે હિંદુત્વવાદી નેતા દેશના વડાપ્રધાન શા માટે બની શકે નહીં? આ નિવેદનને મોદીને સંઘ તરફથી મળેલા ટેકા તરીકે જોવામાં આવે છે. પરંતુ તેમ છતાં 2014 દરમિયાન દેશમાં પ્રાદેશિક પક્ષોની શક્તિને નજરઅંદાજ કરવી મોદી માટે શક્ય નથી. પ્રાદેશિક પક્ષો સેક્યુલારિઝમના મુદ્દે મોદીને રાજકીય રીતે અસ્પૃશ્ય ગણે તો તેમની રાજકીય મહત્વકાંક્ષાઓને ગ્રહણ લાગે તેવી શક્યતા છે. જેના કારણે મોદીનું હિંદુત્વવાદીમાંથી સદભાવનાવાદી ઈમેજ મેકઓવર તેમની પહેલી જરૂરત છે.

રાષ્ટ્રીય સ્તરે મુલાયમ સિંહ અને સમાજવાદી પાર્ટી નરેન્દ્ર મોદી તરફ નરમ વલણ અખત્યાર કરે, તો દેશના મુસ્લિમોનો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય તેવી પણ શક્યતા છે. જો કે પોતાના સાંસદ શાહીદ સિદ્દીકીના ઈન્ટરવ્યૂના ટાઈમિંગથી નારાજ થઈને મુલાયમ સિંહ ગુજરાતમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર 182 બેઠકો પર ઉતારે, તો પણ મોદીને ફાયદો જ થવાનો છે. રાજ્યમાં મુસ્લિમ મતદારોનો જોક સ્વાભાવિકપણે કોંગ્રેસ અને બિનભાજપી ઉમેદવારો તરફ રહેલો છે. તેથી મુસ્લિમોના થોકબંધ વોટ મોદીને બદલે કોંગ્રેસને મળતા રહ્યા છે. સમાજવાદી પાર્ટી ગુજરાતમાં ઉમેદવાર ઉભા રાખે, તો તેઓ મુસ્લિમ વોટબેંકમાં ભાગ પડાવે અને તેને કારણે કોંગ્રેસને વોટમાં નુકસાન જાય. જેનો સીધો ફાયદો નરેન્દ્ર મોદીને થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગોધરા ખાતે શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે બે અપક્ષ મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખીને મુસ્લિમ વોટ તોડવાની રણનીતિ ભાજપે ભૂતકાળમાં અપનાવી છે.

રાષ્ટ્રીય રાજકારણમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ વધવા માટે હિંદુત્વવાદી મોદીને સદભાવનાવાદી બનવું જરૂરી છે. સદભાવનાવાદી બનવા માટે મુસ્લિમો સાથે ઘણી પીઆરની કવાયત કરવી પડશે. આમા મુસ્લિમ મતોથી યૂપીમાં સત્તાસ્થાને પહોંચનારી સમાજવાદી પાર્ટીના નેતા શાહીદ સિદ્દીકીના મુસ્લિમોમાં પહોંચ ધરાવતા અખબાર નઈ દુનિયાનો સહારો મળે, તો તે મોદી માટે સૌથી વધારે ઉત્તમ છે. આ સિવાય મોદીને ગઠબંધન અને શક્તિશાળી પ્રાદેશિક પક્ષોના યુગમાં વડાપ્રધાનપદના ઉમેદવાર બનવા માટે જેડીયૂના નીતિશ કુમારનો વિકલ્પ પણ ઉભો કરવો પડે તેમ છે. જો કે આ વિકલ્પ તરીકે મુલાયમ સિંહ યાદવ સામે આવે નહીં, તો પણ તેમનું મોદી પ્રત્યેનું નરમ વલણ આવા વિકલ્પથી કમ નહીં હોય. 

સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

ગોધરાકાંડનો દાયકો: દેશની પાર્ટીઓને રાજકીય લાભ, મોદી માટે વૈશ્વિક નુકશાન


decade of godhra carnage cm narendra modi gets more political gain and tolerate most of the political disadvantages

10 વર્ષનો સમય આજના ઝડપી યુગમાં ઘણા પરિવર્તનો વાળો હોય છે. ગુજરાતમાં 10 વર્ષ પહેલા ગોઝારો ગોધરાકાંડ સર્જાયો અને તેની આગમાં રાજ્યની સદભાવના સળગી. પરંતુ આજે ખરેખર જાણે કે ગોધરાકાંડ અને ત્યાર બાદના રમખાણોના અઘોષિત પસ્તાવા સ્વરૂપે ગુજરાતના એક દાયકાથી સત્તાસીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન હેઠળ 36 ઉપવાસો કર્યા. 2002માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂટનનો ત્રીજો નિયમ ક્રિયાની પ્રતિક્રિયા સમજવાતા હતા અને 2012માં તેઓ સદભાવના મિશન ચલાવી રહ્યા છે. આ ઘણું મોટું પરિવર્તન છે. પરિવર્તન માત્ર નરેન્દ્ર મોદીમાં આવેલુ પરિવર્તન નથી, પરંતુ દેશની રાજનીતિમાં આવેલું અને રાજ્યની રાજનીતિમાં આવી રહેલું મોટું પરિવર્તન છે.

2002માં ગુજરાતમાં ભાજપ અને કેન્દ્રમાં વાજપેયીના વડપણ હેઠળ એનડીએની સરકારો હતી. ગુજરાતની ગોઝારી ઘટનાઓ બાદ ભાજપે કડક હિંદુત્વના મુદ્દા ધીમે ધીમે છોડવાની શરૂઆત કરી અને પોતાના એજન્ડા વિકાસ અને વાજપેયીની આસપાસ સેટ કરીને ફીલગુડ તથા ઈન્ડિયા શાઈનિંગના કેમ્પેઈન કર્યા. ભાજપે 2002 પછીની ગુજરાતને બાદ કરતાં એકપણ ચૂંટણી કટ્ટર હિંદુત્વના મુદ્દાઓ પર લડી નથી. 2005 સુધીની ચૂંટણીઓમાં ગોધરાકાંડ અને તેના પછીની ગુજરાતની ઘટનાઓમાં હિંદુ હીરો બની ચુકેલા નરેન્દ્ર મોદીનો પ્રચારમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારે ભાજપને જીતવા માટેના વોટ અપાવ્યા નથી. તેને કારણે 2007 પછીની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને પ્રચારમાં એક યા બીજી રીતે દૂર રાખવામાં આવ્યા. જ્યારે બિહારની વિધાનસભાની ચૂંટણી ટાણે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને પ્રચારથી દૂર રાખવા માટેના સ્પષ્ટ સંદેશ ભાજપ હાઈકમાન્ડને આપી દીધા. તેના કારણે નરેન્દ્ર મોદીની બિહારની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા ન હતા, તેમ છતાં નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં એનડીએએ મોટી સફળતા મળી.

બિહારની ચૂંટણી વખતે પોતાની ઈમેજને લઈને ઉભા થયેલા વિવાદના સંકેતો નરેન્દ્ર મોદી સમજે નહીં તેવા નાસમજ નથી. ગુજરાતમાં સીએમ તરીકે ગોધરાકાંડ બાદની ઘટનાઓને કારણે મળેલી ઈમેજને કારણે નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત અને સ્થિર થયા, તે ઈમેજ તેમના પીએમ બનવાની મહત્વકાંક્ષામાં મોટી અડચણ બની શકે છે. આનો અહેસાસ થયા બાદ જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સભાનપણે પોતાનો ઈમેજ મેકઓવર કરવાના જુદાંજુદાં પ્રયત્નો આદર્યા. ગુજરાતમાં મુસ્લિમો સુખી હોવાનો સચ્ચર સમિતિનો રિપોર્ટ દેશભરમાં પ્રચારીત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સચ્ચર કમિટીનો ભાજપે શરૂઆતથી વિરોધ કર્યો હતો અને તેને દેશવિભાજનના ષડયંત્રનો ભાગ પણ ગણાવ્યો છે.

2002માં કમનસીબ ઘટનાઓ બાદ ગૌરવ યાત્રા થકી પાંચ-પચ્ચીસ અને મિયાં મુશર્રફના જુમલાથી પોતાના આગવા હિંદુત્વથી મોદીત્વ સુધીનું રાજકારણ ખેલનારા નરેન્દ્ર મોદીને તેમની હિંદુ ઈમેજે પક્ષ અને સંઘ પરિવારમાં જબરદસ્ત રીતે મજબૂત બનાવી દીધા. મહત્વપૂર્ણ છે કે 2002ની રમખાણો બાદ ગોવા મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં જ્યારે મુખ્યમંત્રી મોદીએ પદ છોડવા માટે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેના વિરોધમાં ભાજપના નેતાઓ એકી અવાજે ઉભા થઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર ભારતના તત્કાલિન વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીએ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી. તેના પરથી ક્યાસ લગાવાય રહ્યા હતા કે ગુજરાતની ઘટનાઓથી અટલ બિહારી વાજપેયી ખુશ ન હતા અને તેઓ નરેન્દ્ર મોદીનું રાજીનામું લેવા ચાહતા હતા. ગોવા બેઠકમાં તેના માટેનો તખ્તો તૈયાર થઈ ગયો હતો. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતે રાજીનામાનો પ્રસ્વાવ મૂકીને વાજપેયી જૂથનો ખેલ બગાડી નાખ્યો હતો. અડવાણીએ પોતાની આત્મકથા- માય કન્ટ્રી, માય લાઈફમાં કેટલેક ઠેકાણે મોદી ગુજરાત રમખાણો વખતે પુરજોર સમર્થન કર્યું હોવાની વાત છે. રાજકીય વર્તુળોના માનવા પ્રમાણે, નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે ગુજરાતની કમનસીબ ઘટનાઓ પછી પણ ચાલુ રખાવવામાં અડવાણીની મોટી અને પ્રભાવી ભૂમિકા હતી.

ગૌરવયાત્રાના પ્રચાર કાર્ય નીચે નરેન્દ્ર મોદી 2002ની ચૂંટણી તમામ પ્રકારના તેમના વિરોધી પ્રચાર છતાં ભવ્ય રીતે જીતી ગયા. પરંતુ ખરો રાજકીય ખેલ ત્યાર પછી જ શરૂ થયો. ગુજરાતમાં કેશુભાઈ પટેલ જૂથના ગણાતા નરેન્દ્ર મોદીની સરકારમાં રહેલા મંત્રીઓને એક પછી એક સાઈડ લાઈન કરવાની શરૂઆત થઈ. તેને કારણે નરેન્દ્ર મોદીની સ્ટાઈલ ઓફ ફંક્શનિંગને કારણ બનાવીને અસંતોષનું વાતાવરણ પેદા થયું. તેને ગુજરાતના સંઘ પરિવારના જ કેટલાંક નેતાઓનો દોરીસંચાર હોવાનું પણ ચર્ચામાં આવ્યું. 2004 સુધીમાં તો નરેન્દ્ર મોદીની સામેનો વિરોધ ઘણો પ્રખર અને મુખર બન્યો. પરંતુ નરેન્દ્ર મોદીને તેમના વિરોધીઓ ડગાવી શક્યા નહીં. કારણ કે નરેન્દ્ર મોદીની જનતામાં હિંદુ હીરોની ઈમેજે તેમને ગુજરાતના રાજકારણમાં મોટી રાજકીય તાકાત આપી. ગુજરાતને હિંદુત્વની લેબોરેટરીમાં ફેરવવામાં સફળ થયેલો સંઘ પરિવાર મોદીની હિંદુ ઈમેજ સામે વામણો સાબિત થયો. તેના કારણે એક પછી એક કેશુભાઈ જૂથના ગણાતા ભાજપના મંત્રીઓ અને નેતાઓને અવગણીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે ચાલુ રાખવા ભાજપ હાઈકમાન્ડ અને સંઘ પરિવારના શીર્ષસ્થ નેતૃત્વની મજબૂરી બની ગઈ.

2007ની ચૂંટણી ટાણે પણ ઘણાં જ્ઞાતિ સંમેલનો થયા. નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ નેતાઓમાં મોટાભાગે પટેલ સમુદાયના નેતાઓનો સમાવેશ થતો હતો. તો સંઘ પરિવારના પટેલ નેતાઓ પણ મોદીથી ખાસા નારાજ હતા. તેને કારણે પટેલ સંમેલનો અને ઝડફિયા દ્વારા નવી મહાગુજરાત જનતા પાર્ટીએ મોદી વિરોધી મુહિમની રાજકીય ફ્રન્ટ ખોલી નાખી હતી. તેમ છતાં ગોધરાકાંડના અંડર કરંટ, મોદીની તે સમયની ભૂમિકામાં ઉછળેલી હિંદુ ઈમેજ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સંદર્ભે મોતના સોદાગર જેવો સોનિયા ગાંધીનો બફાટ ફરીથી મોદીને ચૂંટણી જીતવા માટેની સફળતા આપી ગયો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી ભાજપ અને સંઘ પરિવારના અન્ય નેતાઓને વામણા સાબિત કરવામાં સફળ થયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રદેશ સ્તરના નેતાઓને એક પછી એક ગુજરાત બહાર ખસેડવામાં આવ્યા અને ગુજરાતના નેતાઓને સાઈડ લાઈન કરવામાં આવ્યા. મોદીએ ભાજપ અને સંઘ પરિવાર પર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ ગુજરાતમાં સ્થાપી દીધું. આ બધી વાત એટલા માટે શક્ય બની કારણ કે મોદીની પ્રજામાં અંકિત થયેલી હિંદુ હીરોની ઈમેજે તેમને ખૂબ પ્રભાવી રાજકીય સ્થિરતા આપી.

પરંતુ નરેન્દ્ર મોદીની આ જ હિંદુ હીરોની ઈમેજ તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકાથી હજી સુધી વંચિત રાખી રહી છે. નીતિશ કુમારનો મોદી માટેનો રાજકીય અણગમો તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. ખુદ નાગપુરમાં નગરપાલિકામાં સત્તા પર કાબિજ થવા માટે ભાજપે મુસ્લિમ લીગનો ટેકો લીધો છે. નાગપુર ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીનું વતન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક છે. એટલે કે ભાજપ મુસ્લિમ લીગની મદદ લેવા માટે તૈયાર થાય છે, પરંતુ મોદીની મદદ લેવા માટે હવે 2005 જેવી ઉત્સુકતા દાખવતું નથી. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી અને મહારાષ્ટ્ર-મુંબઈની નગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર અભિયાનથી નરેન્દ્ર મોદી દૂર રહ્યા છે. જો કે તેના માટે જવાબદાર નરેન્દ્ર મોદીને ગણવામાં આવી રહ્યા છે અને તેમના ગડકરી અને યૂપી ચૂંટણી પ્રભારી સંજય જોશીના પાર્ટીમાં પુનર્પ્રવેશને કારણ ગણવામાં આવે છે. પરંતુ નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડવા માટે કોઈ ગંભીર પ્રયત્નો થયા હોય તેવું હજી સુધી બહાર આવ્યું નથી.

ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવતા હોવાના નિવેદનો કરે છે. તેમનું નિવેદન છે કે નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના છ ઉમેદવારોમાંના એક છે. તેના સ્પષ્ટ સંકેત છે કે 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા જ 2009ની ચૂંટણી માટે ભાજપે પોતાના તરફથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા, તેવી કોઈ વાત નરેન્દ્ર મોદી માટે 2014ની ચૂંટણીમાં થવાની નથી. ભાજપ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીમાં 2014ની ચૂંટણી વખતે વડાપ્રધાન પદના 6 ઉમેદવારો હશે. સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીની બની ગયેલી ઈમેજને કારણે બધાં તેમનામાં વડાપ્રધાન પદે પહોંચવાની ક્ષમતા જોઈ રહ્યા છે, પરંતુ પાર્ટીના કોઈ નેતા એવું નથી કહી રહ્યા કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે માત્ર નરેન્દ્ર મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. તેની પાછળ એનડીએનું રાજકારણ અને અન્ય ઘટકદળોના રાજકીય ગમા-અણગમાની મોટી ભૂમિકા રહેલી છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રમખાણોમાં ગુલમર્ગ હત્યાકાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ સદભાવના મિશનની શરૂઆત કરી હતી. તેઓ હવે ગુજરાતમાં સદભાવના મિશન અંતર્ગત હિંદુત્વના રાજકારણ પરથી આગવા મોદીત્વના સેક્યુલર રાજકારણ પર સ્વિચ ઓવર કરવા માગતા હોવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2011થી અત્યાર સુધી માત્ર સદભાવનાના નામે સેક્યુલર રાજકીય દ્રષ્ટિકોણની વાત જ કરી છે. તેમણે ભારતમાં ક્રિકેટ મેચ જોવા આવનારા પાકિસ્તાનીઓને અજમેરના વિઝા આપવાની વાત પણ કરી. તેમણે કરાચીના મુસ્લિમ પ્રતિનિધિમંડળ સાથે ખૂબ ઉત્સાહથી ફોટા પણ પડાવ્યા. ગોધરાકાંડ વખતે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આના માટે જવાબદાર લોકો અને તેમના આકાઓને નહીં બક્ષવાની વાત કરી હતી. પરંતુ સદભાવના મિશન અંતર્ગત ગોધરા ખાતે યોજાયેલા ઉપવાસના કાર્યક્રમના ભાષણમાં મોદીએ એકપણ વખત ગોધરાકાંડને યાદ કર્યો ન હતો. તેમણે ખૂબ સિફતપૂર્વક ગોધરાકાંડનો ઉલ્લેખ ટાળ્યો હતો. આ સદભાવના ઉપવાસ ગોધરાકાંડની 10મી વરસીના લગભગ સવા માસ પહેલા જ ગોધરામાં યોજાયા હતા.

આમ જોવો તો ગોધરાકાંડ અને તેના પછીના રમખાણોનો સૌથી વધારે રાજકીય ફાયદો મેળવનાર એક જ વ્યક્તિ છે અને તે હિંદુ હીરો બનેલા નરેન્દ્ર મોદી છે, કારણ કે તેમની મુખ્યમંત્રીની ખુરશીના પાયા ત્યાર પછી વધારે મજબૂત થયા છે. તો આ ઘટનાઓનું સૌથી વધારે નુકસાન ભોગવનાર વ્યક્તિ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે, કારણ કે ગુજરાતમાં રમખાણોમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગે મુસ્લિમો છે. તેને કારણે દેશભરમાં તેમની મુસ્લિમ વિરોધી છબીને ઉપસાવામાં આવી છે. જેને કારણે તેઓ ગઠબંધનની મુસ્લિમ વોટબેંકની રાજનીતિમાં અસ્પૃશ્ય બની ગયા છે. જેને કારણે તેમનું તમામ ક્ષમતાઓ છતાં વડાપ્રધાન પદે પહોંચવું હાલ અઘરું લાગી રહ્યું છે.

રવિવાર, 26 ફેબ્રુઆરી, 2012

...તો ગોધરાકાંડ બાદના રમખાણોનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો હોત!


pakistan might take advantage of gujarat riots after gadhra carnage

સરહદે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા લશ્કર ખડકાયું હોય અને દેશની ભીતર કોમી હિંસા ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશને સીધો ફાયદો પહોંચી શકે છે. 13મી ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો થયો અને ત્યાર બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરપારની લડાઈનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારતીય સેના પાકિસ્તાન સરહદે પહોંચી ગઈ અને પાકિસ્તાન સામેના લશ્કરી ઓપરેશનના આદેશની રાહ જોવા લાગી.

તેવા વખતે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા જંકશન પાસે સિગ્નલ ફળિયા નજીક ટોળા દ્વારા અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો સાથેની સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટનામાં 58 કારસેવકોના સ્થળ પર જ આગમાં ભડથું થઈ જવાથી મોત નીપજ્યા. પાછળથી વ્યક્તિ મૃત્યુ પામી. આ આગ એટલી વિકરાળ હતી કે ગુજરાતમાં ઠેરઠેર કોમી હુતાસણો ફેલાયા.

ગુજરાતના 151 શહેરો અને 993 ગામડાંઓમાં કોમી હિંસાની આગ ફેલાઈ. રાજ્યના 25 જિલ્લામાંથી 15થી 16 જિલ્લામાં નાનામોટા પ્રમાણમાં કોમી છમકલા થયા. જેમાં 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં કોમી હિંસાની તીવ્રતા સૌથી વધારે હતી. જેની મોટી અસર 15 માર્ચ સુધી ફેલાયેલી રહી. જો કે સમગ્ર કોમી છમકલાં જૂનના મધ્ય ભાગ સુધી ચાલુ રહ્યા. આ કોમી રમખાણોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર પહોંચી હતી. કારણ કે મોટાભાગના કારસેવકો આ બંને વિસ્તારોમાંથી આવતા હતા. મૃત્યુ પામેલા કારસેવકોમાં પણ તેમની સંખ્યા મોટી હતી. આ સિવાય ઉત્તર-પૂર્વની ગોધરા નજીકની આદિવાસી પટ્ટીમાં કોમી રમખાણોની તીવ્રતા મોટી હતી. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છ અપવાદરૂપ છમકલાંને બાદ કરતાં એકંદરે શાંત રહ્યા હતા.

ગુજરાતમાં 2002ની રમખાણોની ઘટનાનમાં 790 મુસ્લિમો અને 254 હિંદુઓ માર્યા ગયા હતા, જ્યારે 200થી વધારે લોકોને ગુમ થયેલા ગણાવાયા છે. ગોધરાકાંડ બાદ ભડકેલા હુલ્લડોમાં 500થી વધારે સ્થાનો પર તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 298 દરગાહો, 205 મસ્જિદો, 17 મંદિરો અને 3 ચર્ચોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 61 હજારથી વધારે મુસ્લિમો અને લગભગ 10 હજાર હિંદુઓ પોતાના ઘરમાંથી બેઘર બન્યા હતા. હુલ્લડો બાદ 27901 હિંદુઓ અને 7651 મુસ્લિમોને તોફાનો માટે જવાબદાર ગણીને જેલમાં નાખી દેવાયા હતા. હુલ્લડોને નિયંત્રિત કરવા માટે પોલીસે 10 હજાર રાઉન્ડ ફાયર કર્યા હતા. પોલીસ ગોળીબારમાં 93 મુસ્લિમો અને 77 હિંદુઓના મોત નીપજ્યા હતા.

આ કોમી રમખાણોને ડામવા માટે રાજસ્થાન અને અન્ય સરહદે યુદ્ધની તૈયારી કરીને ઉભેલા સૈનિકોને બોલાવવા પડયા. આ ઘટનાની તીવ્રતા અને સંવેદનશીલતાને જોતા આખા ઉત્તર ભારતમાં કોમી હુતાસણો ફેલાવવાની શક્યતાઓને જોતા સરકારે અન્ય વિશેષ વ્યવસ્થાઓ કરવી પડી હતી. જો કે સદભાગ્યે કોમી હિંસાની ઘટનાઓ ગુજરાત સુધી જ સીમિત રહી.

પરંતુ વિચાર કરો કે આવા સંજોગોમાં પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ થયું હોત અને કોમી હિંસા ગુજરાત સુધી જ સીમિત ન રહી હોત, તો દેશ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો હોત? શું આવી ઘટનાનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો ન હોત? શું દેશના પાંચમી કતારીયાને આવી ઘટનાઓ વધારે સબળ બનવા મૂળિયા મજબૂત કરવામાં મદદરૂપ બની ન હોત? આજે પણ ચૂંટણીઓમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટે ગુજરાતના રમખાણોને યાદ કરવામાં આવે છે. તો સરહદપાર ચાલતા આતંકવાદી કેમ્પોમાં ભારત વિરુદ્ધ જેહાદ માટે કટ્ટરવાદીઓ દ્વારા મુસ્લિમ યુવાનોની ઉશ્કેરણી કરીને બ્રેઈન વોશ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રમખાણો બાદ ગુજરાતમાં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો અને 2008માં અમદાવાદમાં 20 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની ઘટનાને આતંકવાદી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવે છે. ગુજરાત હજીપણ આતંકવાદી હુમલાઓ અને ઘટનાઓ સંદર્ભે સંવેદનશીલ ક્ષેત્રની શ્રેણીમાં ગણવામાં આવે છે.

ગોધરાકાંડના 10 વર્ષ પછી રાજકીય પ્રવાહ બદલાયો છે


Gujarat Modi Godhara: 10 years on, Riot-hit survivors await justice

ગુજરાતના ઈતિહાસમાં ગોધરાકાંડની ઘટના એવી મોટી ઘટનાઓમાંની એક છે કે જેમણે રાજ્યના સમાજજીવન અને રાજકીય જીવનના પ્રવાહને બદલી નાખ્યો છે. 27મી ફેબ્રુઆરી, 2012ના રોજ ગોધરાકાંડને પુરા દસ વર્ષ થશે. પરંતુ આ 10 વર્ષે પણ ગોધરાકાંડના કેટલાંક ગુનેગારોને ફાંસી અને કેદની સજાઓ બાદ પણ પ્રશ્નો તો ઉભા જ રહે છે. ગોધરાકાંડની દસમી વરસીએ આ સવાલોના જવાબ મેળવવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું ક્યાંય દેખાતું નથી. સવાલ છે કે એક દાયકાના સમયથી ભગવા રંગમાં રંગાયેલા ગુજરાતમાં ગોધરાકાંડની ઘટના બની.

આ ઘટના આઝાદ ભારતમાં ટ્રેન પર હુમલો કરીને તેને સળગાવી 58 લોકોના જીવ લઈ લેનારી પહેલી ઘટના હતી. આ ઘટનાના પડઘા ગુજરાતમાં ખૂબ ઘેરા પડયા અને ગુજરાતની સદભાવના ખોરવાઈ ગઈ, ગુજરાત કોમી હુતાસણમાં સપડાઈ ગયું. ગુજરાતમાં લગભગ 1 માસ જેટલો લાંબો સમય સુધી ચાલેલા કોમી દંગલોમાં લગભગ 1200 માણસો મોતને ભેટ ચઢયા. આ કોમી રમખાણોની ઘટનાને પરિણામે ગુજરાતને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે કલંક લાગ્યું. આ કલંકના ડાઘ હજીપણ ધોવાયા નથી.

પરંતુ તાજેતરમાં સીટની પુછપરછમાં ગુજરાત રમખાણો માટે જેમના પર આરોપો મૂકાય રહ્યા છે, તેવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 71 સવાલ-જવાબ લિક થયા છે. મુખ્યમંત્રી મોદીએ ગત વર્ષ સાડા નવ કલાક ચાલેલી સીટની પુછપરછમાં અધિકારી અશોક મલ્હોત્રાના સવાલોના જવાબ આપતા કહ્યુ હતુ કે ગુજરાત માટે રમખાણો નવી વાત નથી. ગુજરાતમાં રમખાણો 1714ની સાલથી થતા રહ્યા છે. આ રમખાણો મારા જન્મ પહેલા ઘણાં વખતથી થતા રહ્યા છે.

ટીકા કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા થઈ શકે છે. તેઓ જવાબદારીમાંથી છટકવા માટે કોમી રમખાણ જેવી ગંભીર ઘટનાને ડાઉન પ્લે કરી રહ્યા હોવાની વાત પણ આમાંથી છલકે છે. પરંતુ એક હકીકત એ છે કે મોદી પહેલાના શાસકોએ છેક 1714થી હંમેશા પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો છે. મોટાભાગે અત્યાર સુધીના તમામ શાસકો તેમા સફળ પણ થયા છે.

ત્યારે ગુજરાતના સોશ્યલ એન્જિનિયરીંગની પેટર્નમાં કોઈ આમૂલ પરિવર્તનની જરૂરિયાત હવે વર્તાઈ રહી છે. જેથી અમુક વર્ષોના અંતરાલથી થતી કોમી રમખાણોની ઘટના રાજ્યની સદભાવનાને બગાડે નહીં. જો કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના છેલ્લા દસ વર્ષના શાસનમાં 2002ની કમનસીબ ઘટનાઓ બાદ અમુક અપવાદોને બાદ કરતા આવી ઘટનાઓને ડામવામાં સફળ રહ્યા છે. તેમણે તાજેતરમાં પોતાના સદભાવના મિશન અંતર્ગત 36 ઉપવાસ કર્યા છે. પરંતુ સદભાવના મિશન 36 ઉપવાસે પુરું થઈ શકે તેમ નથી.

સદભાવના મિશનની જરૂરિયાતોમાં ઉપવાસ સિવાયની ઘણી બધી વાતોની દરકાર કરવી પડશે. હિંદુ-મુસ્લિમની જોડાજોડ વસ્તીવાળા લોકો પોતપોતાની રીતે સમસ્યાઓ આવે તેનો હલ કરતા હોય છે. પરંતુ સેક્યુલારિઝમના નામે હાસ અને આવકાર જેવા આસિયાનાઓમાં 100 ટકા હિંદુ વસ્તીમાં બેસીને હિંદુ-મુસ્લિમ એકતાની વાતો કરનારા ટોળાની ગુજરાતમાં કમી નથી. આવા લોકોના કમીનાપનને કારણે ગુજરાતની શાંતિને સૌથી વધારે જોખમ છે.

ગુજરાતને જોખમ છે, સતત આ ઘટનાઓમાંથી રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરનારા નપાવટ રાજકારણીઓથી. આ રાજકારણીઓને ઈંજન આપવાનું કામ સેક્યુલારિઝમના નામે રાડો પાડનારી કમીનાપનથી છલકતી ટોળકી કરી રહી છે. આ કમીનાપણાએ 10 વર્ષના ગાળામાં ગોધરાકાંડના અંડરકરંટને ગુજરાતના સમાજજીવનમાંથી ક્યારેય દૂર થવાનો મોકો આપ્યો નથી.

તો બીજી તરફ ગોધરાકાંડની વરસીએ તેનો ભોગ બનેલા કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. આ કાર્યક્રમોમાં પણ આત્મમંથન કરવાની જરૂરિયાત છે કે ગોધરાકાંડની ઘટના શા માટે બની? ગુજરાતના રાજકારણમાં કોણે તેનો લાભ લીધો? તેનાથી ગુજરાતના લોકોને શું નુકસાન થયું? ગુજરાતના ભવિષ્ય પર છેલ્લા દસ વર્ષના આધારે ક્યાં અને કેવા પડઘાં પડી રહ્યાં છે? સમાજમાં તેના સહિયારા તલસ્પર્શી અને હ્રદયસ્પર્શી ચિંતન અને મંથનની જરૂરિયાત છે. કારણ કે ગોધરાકાંડ જેવી ઘટનાઓ બનશે નહીં, તો ગોધરાકાંડ પછીના કોમી હુતાસણો પણ થશે નહીં.

તેના માટે સમાજજીવનમાં પડેલી હિંદુ અને મુસ્લિમ સંસ્થાઓએ કોઈપણ રાજકારણીના હાથા બન્યા વગર સામુહિક ચિંતન કરવા માટે એકઠા થવું જોઈએ. તેમણે પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક મતભેદોને સમાજજીવનથી અળગા રાખવા માટે કોઈ ચોક્કસ એક્શન પ્લાન બનાવવો જોઈએ. વળી ધાર્મિક અને સાંસ્કૃતિકમાંથી સામાજિક બનેલા પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે પણ સાથે મળીને પરિણામજનક વિચાર કરવો જોઈએ.

ભારતની સંસ્કૃતિ સહજીવનમાં માને છે, ભારતની સંસ્કૃતિ કલ્યાણમાં માને છે. ભારતનો હિંદુ હોય કે મુસલમાન, ભારતનો શીખ હોય કે ઈસાઈ કે અન્ય કોઈ ધર્મી વ્યક્તિ તે સહજીવન અને કલ્યાણની વિભાવનાનો એક યા બીજી રીતે સ્વીકાર કરે છે. જે આ સંસ્કૃતિના સંસ્કાર છે. આ સંસ્કારોના ધોવાણને અટકાવા માટે સમાજજીવનમાં કામ કરતાં અગ્રણી લોકોએ સામાજિકમાંથી રાજકીય બનેલા પ્રશ્નોને ઉકેલવાનો દોર પોતાના હાથમાં લઈ લેવો જોઈએ.

શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2012

મોદીની ભૂમિકાવાળા SIT રિપોર્ટનો યૂપીની ચૂંટણીમાં ઉપયોગ થશે નહીં


sit report which investigate role of cm modi in riots will not be use in up election

ગુજરાતની 2002ના વર્ષમાં ઘટેલી ગોધરાકાંડ અને ત્યાર બાદના રમખાણોની ઘટના આજે પણ દીલમાં દર્દ બનીને ઉભરી આવે છે. પરંતુ આ કમનસીબ ઘટનાઓના દસ વર્ષ બાદ તે હવે ભૂતકાળ નથી, પરંતુ વોટ લણવાની ફેકટરી છે. જ્યારે મુસ્લિમ મતોની વાત હોય અને મુસ્લિમોને કોઈ ચોક્કસ પાર્ટી સામે ઉશ્કેરવાનો મામલો હોય, ત્યારે ગુજરાતની કમનસીબ ઘટનાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત ચર્ચામાં રહે છે.

કેટલાંક અહેવાલો પ્રમાણે, યૂપીની ચૂંટણીમાં અંદરખાને ગુજરાત રમખાણોની સીડીઓનો મુસ્લિમ વિસ્તારોમાં મતદાતાઓને ચોક્કસ દિશામાં પ્રેરીત કરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે 15મી ફેબ્રુઆરીએ યૂપીમાં ત્રીજા તબક્કાના મતદાન વખતે જ ગુજરાત રમખાણોમાં મોદી અને અન્ય પ્રભાવી વ્યક્તિઓની ભૂમિકાનો તપાસ કરતો રિપોર્ટ યોગાનુયોગ કોર્ટે જાકિયા જાફરી સહીતના અન્ય અરજદારો તીસ્તા સેતલવાડ અને મુકુલ સિંહાને હાલના તબક્કે આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સંદર્ભે નિર્ણાયક સુનાવણી 29 ફેબ્રુઆરી અને 15 માર્ચે થશે.

જો ગુજરાત રમખાણોના મામલે એસઆઈટીની તપાસનો આખરી રિપોર્ટ કે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કથિતપણે ક્લિનચીટ આપવામાં આવી છે, તે જાહેર થઈ જાત તો તેના કેટલાંક ભાગોને મુસ્લિમ મતોના રાજકારણમાં રાજકીય ઉપયોગની સંભાવનાને નકારી શકાય તેમ નથી. ત્યારે હવે સીટના રિપોર્ટને સાર્વજનિક કરવો કે નહીં અને વકીલોને વાંચવા માટે આપવો કે નહીં તેની સુનાવણી 29 ફેબ્રુઆરીએ થશે. સીટ 15મી માર્ચ સુધીમાં બાકીના તમામ દસ્તાવેજો અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરશે.

up votersબીજી તરફ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં થઈ રહી છે. જેમાં જાકિયા જાફરીની સીટનો રિપોર્ટ માંગતી અરજીની બુધવારની સુનાવણીના દિવસે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું હતું. જ્યારે એસઆઈટીના સીલબંધ કવરમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં રિપોર્ટ સંદર્ભે સુનાવણી વખતે 8મી ફેબ્રુઆરીએ યૂપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 11 ફેબ્રુઆરીમાં યૂપીમાં બીજા તબક્કાનું મતદાન થયું અને જાકિયા જાફરી તથા અન્યોને રિપોર્ટની નકલ આપવાની સુનાવણી 13મી માર્ચે થઈ. પરંતુ ત્યારે પણ કોર્ટે યોગાનુયોગ નિર્ણય આપ્યો નહીં અને સુનાવણી 15 ફેબ્રુઆરીએ કરવાનું ઠેરવ્યું.

જો કે 15 ફેબ્રુઆરીએ કોર્ટે કાયદાકીય અને ટેકનિકલ કારણોને ધ્યાનમાં રાખીને અરજદારોને રિપોર્ટ માંગવાની અરજી ફગાવી દીધી. હવે તમામ નિર્ણય 29 ફેબ્રુઆરી અને 15 માર્ચની તારીખો પર છે. 29 ફેબ્રુઆરી બાદ 3 માર્ચે ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે યૂપી સહીત પાંચ રાજ્યોમાં મતગણતરી 6 માર્ચે પૂર્ણ થવાની છે. ત્યારે ગુલમર્ગ કાંડના ફરીયાદી જાકિયા જાફરીને એસઆઈટીમાં મોદીની કથિત ભૂમિકાવાળો રિપોર્ટ આપવા સંદર્ભે 15 માર્ચ પછી કોર્ટ નિર્ણય કરશે.

કોર્ટની કાર્યવાહીને કારણે યોગાનુયોગ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ગુલમર્ગ કાંડ અને ગુજરાત રમખાણો પરના એસઆઈટી રિપોર્ટનો ઉપયોગ રાજકીય કારણોસર કોઈના પક્ષમાં કે વિપક્ષમાં કોઈ વ્યક્તિ, સંગઠન કે પક્ષ દ્વારા થઈ શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે યૂપીની ચૂંટણી દરમિયાન 139 બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં રહેલા રાજ્યના 19 ટકા મુસ્લિમ મતોને દરેક રાજકીય પક્ષ ઘણું વધારે મહત્વ આપી રહ્યા છે. જયપુરના સાહિત્ય ઉત્સવમાં પ્રતિબંધિત સેતાનિક વર્સિસના લેખક સલમાન રશ્દીને નહીં આવવા દેવાની વાત, મુસ્લિમોને અનામત સંબંધી નિવેદનો, બટલા હાઉસ એન્કાઉન્ટરના મામલે નિવેદનબાજી અને ગુજરાત રમખાણો હજી પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટેના મોટા હથિયાર સાબિત થાય તેવી પરિસ્થિતિ છે. તેમાં વિશિષ્ટ ઈમેજ સાથે પ્રચારીત કરાયેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સંડોવતો એસઆઈટીનો રિપોર્ટ યૂપીના ચૂંટણી રાજકારણમાં રાજકીય રોટલા શેકતા પક્ષો માટે મોટું હથિયાર સાબિત થઈ શકે તેમ હતું. પરંતુ હવે યોગાનુયોગ તે રિપોર્ટનો યૂપીની ચૂંટણીમાં રાજકીય ઉપયોગ થઈ શકશે નહીં.

રવિવાર, 22 જાન્યુઆરી, 2012

હિંદુત્વવાદી વિકાસ પુરુષ મોદીને સદભાવના પુરુષની માન્યતા મળશે?


-ક્રાંતિવિચાર
ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા હતી, પરંતુ હવે તે મોદીત્વની લેબોરેટરી બની ગયું છે. અહીં મોદીત્વ હેઠળ મિશન સદભાવનાના પ્રયોગો થઈ રહ્યા છે. જે હાલ તેના અંતિમ ચરણમાં છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આદરેલા સદભાવનાના પ્રયોગો સંદર્ભે ઘણી શંકા-કુશંકાઓ સાથે સંભાવનાઓ પણ છે. રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય છે કે સદભાવના મિશનને ગુજરાતની જનતા કેવી રીતે જોઈ રહી છે, તેના માટે આગામી ચૂંટણીમાં કેવું વલણ અપનાવશે, લઘુમતી સમાજનો દ્રષ્ટિકોણ શું રહ્યો છે અને તે ક્યું રુખ અપનાવશે, મોદીને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા માટે સદભાવના ઉભી કરવાનો મોકો મળશે કે કેમ, મોદીની હિંદુત્વના પોસ્ટરબોયની ઈમેજ બદલાશે કે કેમ?

2001ના ઓક્ટોબર માસમાં નરેન્દ્ર મોદીને કેશુભાઈ પટેલને હટાવીને સંઘના દોરીસંચારથી ગુજરાતના મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યા હતા. સંઘ અને ભાજપના ઉપરના નેતાઓ આમ કરી શક્યા કારણ કે ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા બની ચુક્યું હતું. ગુજરાતમાં કોઈ નેતા નહીં, પણ વિચારધારાને પ્રજામત મળી રહ્યો હતો. પરંતુ 27 ફેબ્રુઆરી, 2002ની ગોઝારી ગોધરાકાંડની ઘટના બાદ રાજ્ય મોદીત્વની પ્રયોગશાળામાં ફેરવાયું. સાબરમતી ટ્રેનના ત્રણ કોચને લગાડવામાં આવેલી આગ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ. આખા ગુજરાતને દઝાડનારી કમનસીબ ઘટનાઓમાં અંદાજે 1200 લોકોના મોત થયા. ત્યાર પછી હિંદુત્વની વિચારધારા, સંઘ-ભાજપ-વીએચપી અને મોદીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામીભર્યા કલંકિત કરનારા આક્ષેપો સામે ઝઝુમવું પડયું. કેટલેક ઠેકાણે દેશી-વિદેશી મીડિયાએ ભાન ભૂલીને ગુજરાત અને ગુજરાતની જનતાને પણ નિશાન બનાવીને કેટલીક બદનામ વાતો ફેલવવાનો પ્રયત્ન કર્યો.

આ બધી ઉથલ-પાથલ વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે તક હતી, હિંદુત્વની વિચારધારાના સંરક્ષક તરીકે જનતા અને હિંદુવાદી સંગઠનોમાં પોતાનો સિક્કો જમાવવાની, હિંદુત્વના પોસ્ટરબોય બનવાની. પોતાના પર ઉછળી રહેલા કીચડની પરવાહ કર્યા વગર મોદીએ ગુજરાતના ગૌરવને મુદ્દો બનાવીને ગૌરવ યાત્રા કાઢી. ગૌરવયાત્રાની સભામાં એક સાથે લાખ-લાખ ઉંચા થતા હાથ આજે પણ ભૂલાય તેમ નથી. ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મીડિયાના પક્ષપાતી વલણ છતાં નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતાએ ભવ્ય વિજય અપાવ્યો. 1989 પછી રામજન્મભૂમિ આંદોલનની તીવ્રતાને કારણે બદલાયેલી પરિસ્થિતિમાં ગુજરાતમાં સત્તા પર આવવા માટે હિંદુત્વ જ એકમાત્ર રસ્તો હતો. સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી માટે આ રસ્તો સરળ હતો અને તેઓ તેના દ્વારા સત્તા પર પણ પહોંચી ગયા, એટલું જ નહીં પોતાની સત્તાને પક્ષમાંના વિરોધોને ડામીને સુદ્રઢ પણ બનાવી શક્યા.

આજે એક દશકાથી વધારે સમયથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે આસિન છે. આ એક દશકામાં ગુજરાતે ઘણાં ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ પણ ભરી છે. પરંતુ મોદીમાં દેશના વડાપ્રધાન બનવાની એક સંભાવના રહેલી છે. આ વાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટાથી માંડી ઘણાંએ કરી છે. ચીન-જાપાન જેવા દેશો પણ નરેન્દ્ર મોદીમાં ભારતના વડાપ્રધાન બનવાની સંભાવના જોઈ રહ્યા છે. અમેરિકામાં કોંગ્રેસની એક એજન્સીના રિપોર્ટમાં 2014નો ચૂંટણી જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો હોવા સંદર્ભની વાતો પણ આવી હતી.

પરંતુ સવાલ એ હતો કે 2002ની કમનસીબ હુલ્લડોની ઘટનાનું કલંક લઈને શું નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન પદે આસિન થઈ શકે છે? જો મોદીનું નામ આટલું કલંકિત થયું ન હોત, તો કદાચ 2009ની સામાન્ય ચૂંટણીમાં અડવાણીને એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની જગ્યાએ મોદીનું નામ આગળ કરાયું હોત. પરંતુ એક તરફ કટ્ટર હિંદુત્વવાદી હોવાની છબીથી મોદીને ગુજરાતમાં સત્તા મળી હતી, તો બીજી તરફ કેન્દ્રમાં તેમને દેશના સર્વોચ્ચ પદે પહોંચવાની રાજનીતિ કરવામાં આ છબી જ અડચણરૂપ લાગી રહી હતી. તેનો સૌથી કડવો અનુભવ તેમને બિહારની ચૂંટણીમાં થયો. જેડીયૂના નીતિશ કુમારના દબાણના કારણે જ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ભાજપ હાઈકમાન્ડે ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા હતા. તેની સાથે હકીકત એ હતી કે હિંદુત્વની ગાડીમાં ચઢીને મોદીએ વિકાસના પાટા પર ગુજરાતને ઘણું આગળ દોડાવ્યું હતું. તેમની સરકારનો પર્ફોર્મન્સ રિપોર્ટ ઘણો સારો હોવાનું ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ માન્યું છે. ભાજપની દેશમાં જ્યાં પણ સત્તા આવતી તે તમામ જગ્યાએ ગુજરાતના વિકાસ મોડેલને અપનાવવાની વાત પણ થતી.

પરંતુ મોદીને તેમના રાષ્ટ્રીય રાજકારણના પ્રતિસ્પર્ધીઓ મહત્વની અથવા તો મુખ્ય ભૂમિકામાં આવવા ન દેવા માટે તેમની કટ્ટર હિંદુત્વવાદી છબીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આની ખાતરી થતાં જ મોદી પોતાની ઈમેજ મેકઓવર માટેની તકની રાહ જોઈ રહ્યા હતા. આમ તો તેમણે પોતાની કટ્ટર રાજનીતિને સારા એવા સમય પહેલા જ બદલી નાખી છે. તેવામાં ગુલમર્ગ કાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટે સીટના અહેવાલના આધારે સ્થાનિક કોર્ટમાં કેસની ચલાવવા સંદર્ભે ચુકાદો આપ્યો. તેનું મોદીના ખેમા તરફથી અર્થઘટન કરવામાં આવ્યું કે તેમને ગુજરાત રમખાણોના આરોપો સંદર્ભે ક્લિનચીટ મળી ગઈ છે. આ ચુકાદાને અવસર બનાવીને તેમણે 17 સપ્ટેમ્બરે, 2011ના રોજ 55 કલાકના ઉપવાસ કર્યા અને તેને સદભાવના નામ આપ્યું. આ ઉપવાસ બાદ તેમણે ગુજરાતના જિલ્લેજિલ્લે જઈને એક-એક દિવસના સદભાવના ઉપવાસના મિશનની જાહેરાત કરી. મોદીની સભામાં જય શ્રી રામના નારાની જગ્યાએ અલ્લાહ હો અકબરના નારા બોલાયા.

નરેન્દ્ર મોદીએ 20 જાન્યુઆરીએ 2002ની કમનસીબ ઘટનાઓના એપી સેન્ટર ગોધરા ખાતે એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા. આ પ્રસંગે તેઓ ગ્રીન સેડના વસ્ત્રપરિધાન અને સ્ટેજ પરના પોસ્ટરથી સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા કે તેઓ હવે કેસરી રંગની જગ્યાએ લીલા રંગને પણ મહત્વ આપી રહ્યા છે. તેમણે ગોધરા ખાતેના સદભાવના મિશનમાં કેસરી પાઘડીના સ્થાને તિરંગા પાઘડી પહેરી હતી. આની સાથે તેમમે ગોધરા ખાતે આપેલા પોતાના ઉદબોધનમાં એકપણ વાર ગોધરાકાંડનો ઉલ્લેખ કર્યો નથી, અહીં તેમણે એકપણ વાર ગોધરાકાંડમાં માર્યા ગયેલાઓ પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી નથી, તેમણે ગોધરાકાંડ પછીના તોફાનોમાં માર્યા ગયેલાઓ માટે પણ ગોધરાની સદભાવનામાં કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. તેમણે ગોધરા ખાતેના ઉપવાસમાં એવી કોઈ ખાતરી પણ આપી નથી કે ગુજરાતમાં આવી ગોધરાકાંડ કે તેના બાદના તોફાનો જેવી કોઈ ઘટના તેમના શાસનમાં ક્યારેય બનશે નહીં.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર વિકાસની વાત કરી, પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવી, જેમકે પહેલા વણઝારા માટી નાખવા ગધેડા રાખતા અને હવે જેસીબી મશીન રાખે છે, પાણીની અછતને કારણે પહેલા ટેન્કરો દોડતા અને તેમણે પાઈપલાઈનોથી પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. તેમણે જિલ્લે જિલ્લે ઉદ્યોગોની જાળ બિછાવીને ગુજરાતનું ઔદ્યોગિકકરણ કર્યું છે. અહીં સારા રસ્તા બનાવ્યા છે, 15 વર્ષમાં ગુજરાતમાં પરિવર્તન લાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં કોઈ કોમી હુલ્લડ થયું નથી, બાળકોને કર્ફ્યુ શબ્દની ખબર નથી. કોંગ્રેસના નેતાઓ પણ વોટ માંગવા માટે ગુજરાતના વિકાસની વાત કરે છે. અન્ય પ્રદેશને ગુજરાત બનાવી દેવાના નામે વોટ માંગવામાં આવે છે. ગુજરાત એટલે વિકાસ છે અને વિકાસ એટલે ગુજરાત છે, બંને એક સિક્કાની બે બાજુ છે.

ઉપરોક્ત તમામ વાતો નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2011થી પોતાના દરેક સદભાવના ઉપવાસમાં રટી રહ્યા છે. પણ આનો અર્થ શું કરવો? શું મોદી હવે વિકાસ પુરુષમાંથી સદભાવના પુરુષ કરવાની કોશિશ કરી રહ્યા છે?

શું ગુજરાતમાં ખરેખર સદભાવના પ્રવર્તી રહી છે? સદભાવના પ્રવર્તી રહી છે, તો કોના માટે પ્રવર્તી રહી છે? કેટલાંક ઉદ્યોગપતિઓ માટેની સદભાવના, ગોહત્યા કરનારા કસાઈ પ્રત્યેની સદભાવના, ભૂમાફિયાઓ પ્રત્યેની સદભાવના, કેટલાંક નામચીન શખ્સો માટેની સદભાવના, ગુજરાતમાં છાશવારે લૂંટ કરનારા લૂંટારાઓ પ્રત્યેની સદભાવના? આનો જવાબ ગુજરાતના મુખ્યમંત્રી પાસે જરૂરથી હશે અને તેમણે તેનો પણ જવાબ ગુજરાતની છ કરોડની જનતાને આપવો જોઈએ.

આની સાથે સવાલ એ છે કે શું સદભાવનાથી મોદીની ઈમેજ મેકઓવરની કોશિશ કામિયાબ થશે? શું મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્ય ભૂમિકા મળે તેવી સદભાવના ઉભી થશે? શું લઘુમતી સમુદાય તેમના પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલશે? શું હિંદુ મતદારો તેમના સદભાવના પુરુષના સ્વરૂપને સ્વીકારશે? કટ્ટર હિંદુત્વવાદી નેતામાંથી વિકાસ પુરુષ અને વિકાસ પુરુષમાંથી સદભાવના પુરુષ બનવાનો પ્રયત્ન કરી રહેલા મોદીને ગુજરાતની જનતા ભૂતકાળની ચૂંટણીઓની જેમ જ સ્વીકારશે?

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

ઉપવાસોથી મોદીને રાજકીય સદભાવના સ્થાપવાની તક?


-આનંદ શુક્લ

ઉપવાસ પ્રાયશ્ચિતનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેનાથી આત્મશુદ્ધિ થાય છે. કદાચ આત્મશુદ્ધિ અને પ્રાયશ્ચિતની ભારતના રાજકારણમાં સૌથી વધારે કોઈને જરૂર છે, તો તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. નરેન્દ્ર મોદી હિંદુત્વની રાજનીતિના ખભે બેસીને ગુજરાતના મુખ્યમંત્રી પદે પહોંચ્યા છે, પરંતુ 2002માં ગોધરાકાંડ અને તેના પછી ફાટી નીકળેલા કોમી રમખાણોએ મોદીને કોમવાદી નેતા બનાવી દીધા છે. ગોધરાકાંડ અને ગોધરાકાંડ પછીની ઘટનાઓ ન રોકી શકવા માટે નરેન્દ્ર મોદીને જરૂરથી દર્દ મહેસૂસ થવું જોઈએ અને તેનું પ્રાયશ્ચિત પણ તેમણે કરવું જોઈએ. જ્યારે રાજનેતા ઉપવાસ કરે છે, તો તેમાં રાજકીય હેતુ આપમેળે નિહિત બની જાય છે. નેતાઓ દ્વારા આવા ઉપવાસો પહેલા પણ થતા રહ્યા છે, જેવા કે નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે, પરંતુ આ કદાચ પહેલીવાર છે કે જ્યારે કોઈ ઉપવાસે રાષ્ટ્રીય આયોજનનું સ્વરૂપ લીધું છે. નરેન્દ્ર મોદીને હ્રદય છે અને તેમાં પણ પરિવર્તન થઈ શકે છે. તેમના સદભાવના મિશન અંતર્ગતના ત્રણ દિવસના ઉપવાસમાં ખોટું કશું જ નથી. રાજકીય ઉદેશ્યવાળા ઉપવાસ કરવા અને તેના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાનો મોદીને પૂરો અધિકાર છે.

પરંતુ એ સમજવું અઘરું છે કે તેમણે આ ઉપવાસના આયોજન પાછળ આટલો તામ-જામ કેમ કર્યો છે? જેમ કે વ્યાપક પ્રબંધન, તડક-ભડક અને પ્રચાર તંત્ર સાથે થઈ રહેલા ઉપવાસથી એવું લાગી રહ્યું છે કે જાણે કે રાજકીય પક્ષનું મહાઅધિવેશન અથવા રેલી થઈ રહી હોય. ઉપવાસ ભારતીયોની ધાર્મિક શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની સફર માટેનું સૌથી સરળ અને સાદું સાધન છે. મહાત્મા ગાંધી પણ આત્મશુદ્ધિ અર્થે ઉપવાસ કરતાં હતા, પરંતુ તેમના ઉપવાસમાં ફાઈવસ્ટાર કલ્ચર હંમેશા ગેરહાજર રહેતુ હતું. નરેન્દ્ર મોદીએ પણ પોતાના ઉપવાસ સાદાઈથી કર્યા હોત તો તેનું મહત્વ અનેકગણું વધી જાત અને તેના સંદર્ભે આટલો હોબાળો થાત નહીં. પરંતુ મોદીના ફાઈવસ્ટાર ઉપવાસથી દેશની જનતામાં એ સંદેશો જઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી ઉપવાસ દ્વારા પોતાના રાજકીય કદને વિસ્તાર આપી રહ્યાં છે અને પોતાને 2014ની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે તૈયાર કરી રહ્યાં છે, તો તેમાં લોકોનો દોષ કાઢવો ખોટો છે. કારણ કે ઉપવાસની ઘોષણા ગુજરાતના રમખાણો સંદર્ભેના મોદીને રાહત આપનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીનો દાવો છે કે તે સદભાવના મિશન હેઠળ ત્રણ દિવસના ઉપવાસ દ્વારા એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવા ચાહે છે. પરંતુ એ હજી સુધી સ્પષ્ટ થયું નથી કે તેમને એકતા અને સદભાવનાનું અભિયાન છેડવાની એકાએક જરૂર શા માટે પડી? આમ જોવો તો મોદીના ફાસ્ટ ફેસ્ટિવલમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીથી માંડીને મોટાભાગના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અથવા આવી રહ્યાં છે. બધાં સ્વીકારે છે કે મોદીમાં વડાપ્રધાન બનવાની હેસિયત છે. મોદીના ઉપવાસના કાર્યક્રમમાં આવીને ભાજપના નેતાઓએ મને-કમને પોતાનું સમર્થન આપ્યું છે. કમને એટલા માટે કે વિદેશ અને ઉદ્યોગપતિઓ દ્વારા વડાપ્રધાન પદ માટેના નરેન્દ્ર મોદીને દાવેદાર ગણવા છતાં અને દેશભરમાં નંબર વન મુખ્યમંત્રી રહેવા છતાં ભાજપમાં હજી પણ તેઓ નંબર વન નેતા તરીકેની માન્યતા પ્રાપ્ત કરી શક્યા નથી. આમ મોદીના ઉપવાસો આવા ઘણાં સવાલ ઉભાં કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીએ ઉપવાસના પ્રારંભે કહ્યું છે કે તે એ સુનિશ્ચિત કરવા ચાહે છે કે ગુજરાત ક્યારેય પણ માનવતાના માપદંડોમાંથી નીચે ઉતરશે નહીં. તેમણે કહ્યું છે કે હુલ્લડોનું દર્દ તેઓ મહેસૂસ કરે છે. તેમણે હુલ્લડો સંદર્ભે શાબ્દિક માફી માંગી નથી. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે જો તેઓ ગુજરાતના તોફાનો માટે જવાબદાર હોય, તો તેમને ફાંસી આપવામાં આવે. પરંતુ એક વાત એ પણ છે કે ગુજરાતના હુલ્લડપીડિતો હિંદુ હોય કે મુસલમાન તેમને સંપૂર્ણ ન્યાય મળી શક્યો નથી. તેના કારણે જુદાંજુદાં રાજકીય પક્ષોને નરેન્દ્ર મોદીને નવેસરથી ઘેરવાનો અવસર મળી ગયો છે.

વિરોધી રાજકીય પક્ષો દ્વારા નરેન્દ્ર મોદીની ઘેરાબંધી એ જ સ્ટીરીયો ટાઈપ આક્ષેપો નીચે થઈ રહી છે. વિરોધી રાજકીય પક્ષોની પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે તેઓ દુષ્પ્રચારની રાજનીતિમાં પોતાનો વિશ્વાસ ધરાવે છે અને જો તેમનું ચાલે તો ખુદ ન્યાયાધીશ બનીને મોદીને ફાંસીની સજા સંભળાવી દે. પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે દેશમાં ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્રતાથી જીવંત સ્થિતિમાં છે. દેશના ન્યાયતંત્ર પર કોઈ રાજકીય પક્ષને વિશ્વાસ હોય કે ન હોય, પણ દેશની જનતાને તો વિશ્વાસ છે. પરંતુ મોદી વિરોધી રાજકીય પક્ષોએ એક વાત ગાંઠે બાંધવા જેવી છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધના રાજકીય રુદનથી તેઓ વધારે મજબૂત બન્યા છે. એ પણ હાસ્યાસ્પદ છે કે નરેન્દ્ર મોદીના મિશન સદભાવના નીચેના ઉપવાસનો વિરોધ કરનારી કોંગ્રેસ તેમના પ્રદેશ સ્તરના નેતાઓને ઉપવાસ કરવા દઈ રહી છે.

જો નરેન્દ્ર મોદી ઉપવાસ દ્વારા રાજકીય સ્ટંટ કરી રહ્યાં છે, તો તેનાથી મોટો તમાશો ફૂટપાથ પર બેસીને કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા સરીખા નેતાઓ કરી રહ્યાં છે. આખરે કોંગ્રેસ અથવા અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિ કોઈને ઉપવાસ કરવાથી કેવી રીતે રોકી શકે? જો નરેન્દ્ર મોદીના ઉપવાસની જાહેરાત બાદ આટલી હાયતોબા મચાવામાં ન આવત તો કદાચ આની આટલી ચર્ચા પણ ન થાત. નરેન્દ્ર મોદીના ઉપવાસ દ્વારા સદભાવના કાયમ કરવામાં કેટલી સફળતા મળશે, તે કહેવું અઘરું છે. પરંતુ મોદીના ઉપવાસ વિરુદ્ધ થઈ રહેલા હોબાળાથી નરેન્દ્ર મોદીનું રાજકીય સ્વરૂપ વધારે વિરાટ બનશે અને તેનો તેમને રાજકીય લાભ પણ મળશે.