Friday, May 27, 2011

ભારતના ભાગલાથી દ.એશિયામાં અસ્થિરતા આવી


દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદમાંથી જન્મેલી આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય, આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદની વિચારધારાએ પોતાના સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા.

જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓના વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી.

દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું અથવા તો તે પ્રભાવ ઓસરી રહ્યો હતો. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં છે. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું.

કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે. અત્રે સર્વવિદિત છે કે ઈસ્લામિક કટ્ટરપંથના અફીણથી પેદા થયેલા ઈસ્લામિક આતંકવાદનો પાકિસ્તાની શાસકો ભારત સામે રાજકીય અને સામરીક હિતો પાર પાડવા માટે લગભગ અઢી દાયકાથી ઉપયોગ કરી રહ્યાં છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામિક ક્ટ્ટરપંથની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને આવા વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના આગે જ્યારે અમેરીકાને દઝાડયું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે ભારતની ઘોષિત વિદેશ નીતિ ગૂટનિરપેક્ષતાને વરેલી જ હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું.

તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. તેના કારણે ચીન અને અમેરીકા વચ્ચે તે વખતે કોઈ ઘર્ષણ ઉભું થયું ન હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા.

ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ હતી. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી.

તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે.

એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અત્રે એક વાત સ્પષ્ટ બની છે કે જો ભારતનું વિભાજન ન થયું હોત અને અખંડ સ્વરૂપમાં ભારત અસ્તિત્વમાં હોત અને અહીં સેક્યુલર બંધારણ સાથેની સરકાર હોત તો ઈસ્લામિક કટ્ટરપંથીઓને આતંકવાદ અને અંતિમવાદ સુધીનો છૂટ્ટોદોર મળ્યો ન હોત. અખંડ ભારત ચીન સામે પણ શક્તિસંતુલન સાધી શકવાની સ્થિતિમાં હોત. અથવા તો પરિસ્થિતિને બીજી રીતે જોવામાં આવે તો પાકિસ્તાનનું અસ્તિત્વ જ ઈસ્લામિક કટ્ટરપંથ અને આતંકવાદ માટે ઓક્સિજનનું કામ કરી રહ્યું છે.

1947ની પરિસ્થિતિ પ્રમાણે કદાચ વૈશ્વિક શક્તિઓને અખંડ ભારતની સંભવિત તાકાતનો ડર લાગ્યો હોઈ શકે. તેવા સંજોગોમાં તેમણે પોતાના સામરીક અને વૈશ્વિક રાજકીય હીતોને ધ્યાનમાં રાખીને ભારતના વિભાજનનો કારસો ઘડયો હોઈ શકે. ત્યારે તેવી પરિસ્થિતિમાં ધર્મના આધારે સેક્યુલર ભારત સામે અસ્તિત્વમાં આવેલા ઈસ્લામિક પાકિસ્તાનના કટ્ટરપંથીઓ ક્ષેત્રમાં અસ્થિરતા માટે સૌથી વધારે કારણભૂત સાબિત થઈ રહ્યાં છે. આમ હાલની દક્ષિણ એશિયાની અસ્થિરતા માટે ભારત વિભાજન સૌથી મોટું અને મુખ્ય કારણ છે. હાલ પાકિસ્તાનની સ્ટેટ મશીનરી સાથે આ કટ્ટરપંથીઓ એવી રીતે મળી ગયા છે કે તેમને જુદા પાડવા પણ અશક્ય થઈ રહ્યાં છે.

ત્યારે પાકિસ્તાનમાંથી કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો હાસિયામાં ધકેલાય તો દક્ષિણ એશિયામાં હવે સ્થિરતા અને શાંતિની પુનર્સ્થાપના થઈ શકે તેમ છે. આ તમામ કવાયતમાં અમેરીકા સહીતના દેશોએ પાકિસ્તાનનો સેક્યુલર ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. ભારત વિરોધથી શરૂ થયેલી ક્ષેત્રીય અસ્થિરતા અત્યારે વિશ્વને ડરાવી રહી છે.

No comments:

Post a Comment