મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2017

જવાનોના ભોગે કાશ્મીરના પથ્થરબાજો પ્રત્યે હમદર્દી કેમ ?

માનવાધિકારના દંભમાં રાષ્ટ્રીય સુરક્ષા નેવે મૂકી શકાય નહીં

-     પ્રસન્ન શાસ્ત્રી


કાશ્મીરના બાંદીપોરાના પારી મોહલ્લા ખાતે એન્કાઉન્ટર વખતે જ પથ્થરબાજો દ્વારા સેનાના જવાનો પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજોના ભારે પથ્થરમારાને કારણે ત્રણ જવાનોને શહીદ થવાનો વારો આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટના કંઈ નવી નથી અને કદાચ છેલ્લી પણ નથી. પરંતુ આમા પથ્થરબાજોનો ઈરાદો બેહદ ખતરનાક હતો. એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડનારી બચાવ ટીમને રોકી રાખવા માટે ભારે પથ્થરમારો થયો હતો. આ જવાનો એટલા માટે શહીદ થયા.. કારણ કે પથ્થરબાજોના પાપે તેમને સમયસર સારવાર મળી શકી નહીં. ભાગલાવાદીઓના પિઠ્ઠુઓ એવા પથ્થરબાજો દ્વારા સેના અને સુરક્ષાદળોની બેહદ મોટી ઉશ્કેરણી કરવામાં આવી હતી. જેના પરિણામે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતને આકરી ચેતવણી આપવી 
પડી છે.

15 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પથ્થરબાજોને ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી હતી. કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી અભિયાનો દરમિયાન સુરક્ષાદળો પર પથ્થરો ફેંકનારાઓને આતંકવાદી ગણીને તેમની વિરુદ્ધ આતંકીઓ સામે કરાતી કાર્યવાહી કરવામાં આવશે. જનરલ રાવતની ચેતવણીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય,જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી તરફથી સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરન રિજિજૂ દ્વારા ભારતીય સેનાધ્યક્ષની ટીપ્પણીને ટેકો આપતા કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ છે અને પથ્થરબાજો સામે કાર્યવાહી થવી જોઈએ. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી તરફથી પણ કહેવામાં આવ્યુ છે કે જો પથ્થરબાજો એન્કાઉન્ટરના સ્થળોથી દૂર જવાનું નકારશે તો તેમને પણ ખતમ કરવામાં આવશે. ભારતીય સેનાધ્યક્ષ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીરના ડીજીપી એકસૂરમાં બોલી રહ્યા છે.. તેનો અર્થ એ છે કે ભાગલાવાદી તત્વો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ અને પથ્થરબાજોના કરતૂતો હદ વળોટી ચુક્યા છે.

બીજી તરફ જનરલ બિપિન રાવતની ચેતવણી ભારતની કથિત મુખ્યપ્રવાહની પાર્ટીઓ અને કાશ્મીરના ભાગલાવાદી તત્વોને પચી નથી. કાશ્મીરમાં ભાગલાવાદીઓ સૈયદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારુક અને યાસિન મલિકે પથ્થરબાજોની તરફદારી કરીને ભારતીય સેનાધ્યક્ષના નિવેદનને તાત્કાલિક પડકાર્યું હતું. ભાગલાવાદી પિઠ્ઠુઓએ એકસૂરમાં જનરલ રાવતના નિવેદનને નાગરિકોની કથિત હત્યાની ધમકી તરીકે જોયું છે અને પાકિસ્તાનના દોરીસંચાર હેઠળ હિંસાની જમીન તૈયાર કરનારા નાપાક તત્વોએ કાશ્મીરની કથિત આઝાદીની લડાઈ ચાલુ રાખવાની ગુલબાંગો પણ પોકારી છે.

ભાગલાવાદીઓ અને પથ્થરબાજોને મુખ્ય પ્રવાહની ગણાતી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓનો ટેકો મળ્યો છે. તો જમ્મુ-કાશ્મીરમાં સત્તાધારી ગઠબંધનની આગેવાની કરતી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પણ પથ્થરબાજોનું સમર્થન કરાયું છે. આ સૌથી મોટી આઘાતજનક બાબત છે. નેશનલ કોન્ફરન્સના નેતા દ્વારા પથ્થરબાજોને જાણે કે એન્કાઉન્ટર વખતે પથ્થરો ફેંકવાનો અધિકાર હોય તેવી અદામાં જનરલ બિપિન રાવત સામે અણછાજતી ટીપ્પણી પણ કરવામાં આવી છે.

કોંગ્રેસના દ્રષ્ટિકોણનું સ્પષ્ટીકરણ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદ તરફથી આપવામાં આવ્યું છે. ગુલામ નબી આઝાદે પથ્થરબાજોને બાળકો ગણાવ્યા છે. તેની સાથે ભારતીય સેનાધ્યક્ષ દ્વારા એન્કાઉન્ટરો વખતે હસ્તક્ષેપ કરનારા કાશ્મીરના આવા યુવાનો સામે કડક કાર્યવાહી કરવાના નિર્ણય સામે પણ ગુલામ નબી આઝાદે સવાલ ઉભો કર્યો છે. આઝાદે કહ્યુ છે કે ગત વર્ષ એકસોથી વધારે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે બસ્સોથી વધારે બાળકોએ પોતાની આંખો ગુમાવી છે. બાર હજાર લોકોને જેલમાં ધકેલી દેવાયા હતા. શું કેન્દ્ર સરકાર આનું પુનરાવર્તન કરવા માંગે છે? આઝાદે કાશ્મીરમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાનું જણાવીને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીને કારણે સ્થિતિ વધુ વણસવાની ભવિષ્યવાણી પણ કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સાથે ગઠબંધન સરકારની આગેવાની કરનારી પીડીપી પણ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસથી પાછળ નથી. પીડીપીએ ભારતીય સેનાને આવી સ્થિતિમાં શિસ્તબદ્ધ ફોર્સની જેમ સંયમ જાળવવાની સલાહ આપી છે. આ સલાહ આપનારા નિઝામુદ્દીન ભટ પીડીપીના મહાસચિવ અને ઉપાધ્યક્ષ છે.

બીજી તરફ પાડોશી દેશની વાત કરીએ. આ પાડોશી દેશ કાશ્મીરની હિંસાનો પ્રાયોજક અને પ્રોત્સાહક છે. તેની એક ઘટનાની વાત કરીએ. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક મુસ્લિમ દરગાહ ખાતે આત્મઘાતી હુમલામાં એકસો લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ માત્ર ચોવીસ કલાકમાં એકસોથી વધુ આતંકવાદીઓને ઠાર કરવાનો દાવો કર્યો છે. તો અફઘાનિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની સેનાને શૂટ એટ સાઈટના ઓર્ડર આપવામાં આવ્યા છે. જો કે આ પાકિસ્તાનના ચમચા જેવા ભાગલાવાદીઓ અને તેમના આતંકવાદીઓ માટે ભારતમાં માનવાધિકારના હોબાળા કરવામાં આવે છે. 

બુરહાન વાની નામના હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીને જમ્મુ-કાશ્મીર પોલીસે ઠાર કર્યો અને તેના બહાને પાકિસ્તાની આતંકવાદીઓ અને ભાગલાવાદીઓએ કાશ્મીર ખીણને બાનમાં લીધી હતી. માનવાધિકારના નામે આતંકવાદીઓના સમર્થનમાં ભાગલાવાદીઓના એજન્ટો જ નહીં, ભારતની કથિત મુખ્યપ્રવાહની રાજકીય પાર્ટીઓના નાના-મોટા નેતાઓએ સીધી કે આડકતરી રીતે આતંકવાદી બુરહાન વાનીના બહાને ખૂબ રાજકારણ ખેલ્યું છે. હવે તેમણે ભારતીય સેનાધ્યક્ષના જનરલ બિપિન રાવતના નિવેદન પર દેશદ્રોહી “ટોન” અખત્યાર કર્યો છે. શું પાકિસ્તાનમાં આવી સ્થિતિની કોઈ કલ્પના પણ કરી શકે છે? શું 100 આતંકવાદીઓને મારવા બદલ પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ બાજવા સામે કોઈએ વાવટા ફરકાવ્યા?  કોઈએ પાકિસ્તાની સેના અને સરકારને માનવાધિકારનો ઉપદેશ આપ્યો છે?

શુક્રવારે 17 ફેબ્રુઆરીએ શ્રીનગરમાં ફરીથી પાકિસ્તાનના વાવટા લહેરાવામાં આવ્યા અને ભાગલાવાદીઓએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો હતો. તમે ટેલિવિઝન પર આવેલા કેટલાક ફૂટેજ જોવો તો સુરક્ષાકર્મીઓ ગિલોલમાં પથ્થર ભરાવીને ભાગલાવાદી પથ્થરબાજોનો સામનો કરી રહ્યા છે. શું આ પથ્થરબાજોને ગિલોલમાંથી પથ્થર મારવા જોઈએ કે ભડાકે દેવા જોઈએ? આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે જનરલ બિપિન રાવતે પથ્થરબાજોને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ભારત માટે કાશ્મીર એક જમીનનો ટુકડો નથી. ભારત માટે કાશ્મીર દેશની ઓળખ સાથે જોડાયેલો અભિન્ન હિસ્સો છે. કાશ્મીર મજહબી રાહે જોનારા પાડોશી દેશ માટે તે એક જમીનનો ટુકડો છે કે જે તેમણે 1947માં પાકિસ્તાન તરીકે મેળવ્યો છે. પાકિસ્તાની આતંકવાદ અને હિંસાવાદથી ત્રસ્ત કાશ્મીર ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ નિર્ણાયક છે.

જમ્મુ-કાશ્મીરનો મજહબી આતંકવાદ ભારત કોઈપણ હિસાબે ચલાવી શકે નહીં. જેવી રીતે ભારતે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને 1947માં નામંજૂર કર્યો હતો, તેવી જ રીતે ભારતે પાકિસ્તાનના મજહબી આતંકવાદનો પણ અસ્વીકાર કરવો જરૂરી છે. તેના માટે કાશ્મીરના ભાગલાવાદીઓ અને પથ્થરબાજોને પાકિસ્તાનના મજહબી આતંકવાદની જમીન તૈયાર કરવા માટેની પરિસ્થિતિ પેદા કરવાની મંજૂરી આપી શકાય નહીં. તેના માટે આવા તત્વો સામે ભારતીય સેના અને સુરક્ષાકર્મીઓએ નિશ્ચિતપણે કડક હાથે કામ લેવું પડશે.

માનવાધિકારની વાતો રાષ્ટ્રના ભોગે બોલવી, સાંભળવી કે વ્યવહારમાં ઉતારવી અયોગ્ય પણ છે અને દેશના લોકોની સાથે આવું વર્તન અન્યાય પણ છે. રાષ્ટ્રહિત છે કાશ્મીરમાંથી આતંકવાદનો ખાત્મો અને દેશના ખૂણેખૂણામાંથી મજહબી કટ્ટરવાદની સમાપ્તિ. વિકસિત બનવા તરફ આગળ વધી રહેલા ભારતના વિકાસને ટકાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા બેહદ જરૂરી છે. સુરક્ષા વગરના વિકાસનો પણ કોઈ અર્થ રહેશે નહીં. દેશની રાષ્ટ્રીય સુરક્ષા મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ થઈ શકે નહીં. આવી નીતિ સૌના સાથ અને સૌના વિકાસમાં અડચણરૂપ છે.

સોમવાર, 13 ફેબ્રુઆરી, 2017

પાકિસ્તાન આઈએસઆઈએસથી વધુ ખતરનાક


આતંક સામેની લડાઈ જીતવા પાકિસ્તાનના પાપનો ખાત્મો જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી


અમેરિકાના ઘણાં રાજદ્વારીઓ, સેનેટરો, ગુપ્તચર એજન્સીના અધિકારીઓ આતંકવાદની સામેની લડાઈમાં પાકિસ્તાનને ડબલ ક્રોસ માને છે. છતાં છેલ્લા અઢી દાયકાથી અમેરિકાના કોઈપણ રાષ્ટ્રપ્રમુખે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી નથી. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈસ્લામિક આતંકવાદ અને આઈએસઆઈએસના આતંકવાદના ખાત્માના ઘણાં વાયદા કરીને સત્તામાં આવ્યા છે. ત્ચારે તેમની પાસે આશા રખાઈ રહી છે કે તેઓ દુનિયામાંથી ઈસ્લામિક આતંકવાદને સમાપ્ત કરવાની લડાઈને નિર્ણાયક મોડ તરફ દોરી જશે અને આતંકનો ખાતમો કરશે. પરંતુ જ્યારે ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવી ત્યારે તેમા આશ્ચર્યજનક રીતે પાકિસ્તાનનો સમાવેશ કરાયો નથી. જો કે ટ્રમ્પના ઓર્ડર પર અમેરિકન કોર્ટે રોક લગાવી છે. પરંતુ ઈસ્લામિક આતંકવાદની લડાઈમાં પાકિસ્તાનની નકારાત્મક ભૂમિકાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવગણી શકે તેમ નથી. આવી અવગણના આતંકવાદના યુદ્ધમાં જીતના લક્ષ્યને વિલંબમાં નાખી શકે છે. 

અમેરિકાની 2001માં 9/11ની આતંકી હુમલાની ઘટના બાદ આતંકવાદ સામેની લડાઈ શરૂ થઈ હતી. પરંતુ તેના સોળ વર્ષ જેટલા સમયગાળામાં અફઘાનિસ્તાન અને ઈરાકમાં અબજો ડોલરનું આંધણ કરવા છતાં પરિણામ લગભગ શૂન્ય છે. તેનું એકમાત્ર કારણ પાકિસ્તાન નામનું પાપ છે. દુનિયામાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસને સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. પરંતુ ઈસ્લામિક આતંકવાદને પોતાની વ્યૂહાત્મક નીતિનું માધ્યમ બનાવનારા પાકિસ્તાનનો ખતરો આઈએસ કરતા અનેકગણો વધારે છે. પાકિસ્તાન દુનિયાનો માન્યતા પ્રાપ્ત દેશ છે અને તેની સાથે અમેરિકા અને ચીન જેવી મહાસત્તાનો હજીપણ ઘનિષ્ઠ વ્યૂહાત્મક સાથીદેશ છે. 

પરંતુ ઈસ્લામિક આતંકવાદની નીતિની રણનીતિથી પાકિસ્તાન અમેરિકા પાસેથી અબજો ડોલરનું ફંડ લઈ રહ્યું છે. બીજી તરફ અફઘાનિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોમાં મજહબી આતંકવાદને પોત્સાહિત કરીને અહીં અસ્થિરતા અને હિંસા પેદા કરવાનું કામ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા થઈ રહ્યું છે. આશંકાઓ તો એવી પણ વ્યક્ત થઈ ચુકી છે કે આઈએસઆઈએસની ફંડિંગ ચેનલની પાછળ પણ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની અગ્રણી ભૂમિકા છે. મધ્ય-પૂર્વના મુસ્લિમ દેશોના નેતા બનવાની હોડમાં પાકિસ્તાને જ અહીં આતંકની આગ ભડકાવી હોવાના પણ વ્યૂહાત્મક પુરાવાઓની ચર્ચાઓ વૈશ્વિક થિન્ક ટેન્કો દ્વારા થતી રહે છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અલકાયદાના આતંકી સામ્રાજ્યને કાયમ કરવાનું કામ તેમના આકાની ભૂમિકામાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ કર્યું હતું. તાલિબાનોને કથિત વૈશ્વિક જેહાદના નામે મજહબી આતંકનું અફીણ પાવાનું કામ આઈએસઆઈ દ્વારા થયું છે. પાકિસ્તાની સેના હજીપણ અફઘાનિસ્તાન અને તેની સરહદ નજીકના વિસ્તારોમાં તાલિબાની આતંકી નેટવર્કને પોષી રહ્યું છે અને તેમને આશ્રય પણ આપી રહ્યું છે. તેમા હક્કાની નેટવર્કની ઘણી કુખ્યાતી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટોના સંસ્થાનો સાથે ભારતીય મિશનોને પણ ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનો થકી કાબુ મેળવવા માટે પાકિસ્તાન હવે નવી ચાલ હેઠળ ભારતને બહાર રાખવા માટે આઈએસઆઈએસનું કાર્ડ ખેલી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના નબળા પડવાથી તેમનું સ્થાન આઈએસ લઈ લેશે તેવી શક્યતાઓ દર્શાવીને રશિયા અને ચીનને પાકિસ્તાન ભોળવવાની કોશિશ કરી રહ્યું છે. 

અમેરિકા આ વિસ્તારમાં છેલ્લા દોઢ દાયકાથી લશ્કરી રાહે સક્રિય છે. તેથી તેમની ગુપ્તચર સંસ્થા સીઆઈએના એજન્ટ્સ આઈએસઆઈના કારનામાઓથી સારી રીતે વાકેફ છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા અફઘાનિસ્તાનમાં આતંકનો ખેલ ચાલુ રાખીને અમેરિકા પાસેથી અબજો ડોલરનું ફંડ ઓકાવી રહી છે. તો બીજી તરફ પોતાનું વ્યૂહાત્મક વર્ચસ્વ વિસ્તારવા માટે આતંકનો ખેલ અફઘાનિસ્તાન અને કાશ્મીર એમ બંને ઠેકાણે ખેલી રહ્યું છે. 

ડબલ ક્રોસ પાકિસ્તાન અને તેની જાસૂસી સંસ્થા આઈએસઆઈની કરમકુંડળીથી ઘણાં અમેરિકન સેનેટેરો હવે વાકેફ થઈ ચુક્યા છે. આવા અમેરિકન સેનેટરોનું માનવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં આતંકી જૂથોને સમર્થન બંધ નહીં કરે, ત્યાં સુધી અમેરિકા વોર ઓન ટેરર જીત જીતી નહીં શકે. પાકિસ્તાનમાં જમાત-ઉદ-દાવાના આતંકી ચીફ હાફિઝ સઈદની કથિત નજરકેદને ડોનાલ્ડ ટ્રમ્પની અસર તરીકે જોવામાં આવે છે. તો અમેરિકાએ જૈશ-એ-મોહમ્મદના આતંકી ચીફ મસૂદ અઝહરને યુએનમાં આતંકવાદી જાહેર કરાવવાની ભારતની પહેલને પોતાના હાથમાં લઈ લીધી છે. તો તાજેતરમાં પાકિસ્તાનની સેનેટના ડેપ્યુટી સ્પીકરને અમેરિકાએ વીઝાઆપવાનો ઈન્કાર કર્યો છે. 

પરંતુ આવી કેટલીક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચુકી છે. ત્યારે વ્યૂહાત્મક અને સંરક્ષણ બાબતોના જાણકારોનો અભિપ્રાય છે કે જ્યાં સુધી પાકિસ્તાનને સામરિક અને નાણાંકીય મદદ બંધ કરવામાં નહીં આવે..ત્યાં સુધી પાકિસ્તાનની સેનાના ટોચના કમાન્ડરોના વલણમાં કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. પરંતુ અમેરિકાની હંમેશા દુવિધા રહીછે કે પાકિસ્તાનનો હક્કાની નેટવર્ક અને તાલિબાનો વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાનો ઈન્કાર તેને શકમંદ બનાવી દે છે. પરંતુ બીજી તરફ લેન્ડ-લૉક અફઘાનિસ્તાનમાં શાંતિઅને સ્થિરતા માટે અમેરિકાને પાકિસ્તાનનો સહયોગ જરૂરી પણ લાગે છે. આ સિવાય દુનિયા અને દક્ષિણ એશિયાના ઈસ્લામિક જગત પર પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માટે અમેરિકાને પાકિસ્તાનને પોતાની અસર હેઠળ રાખવું જરૂરી દેખાઈ રહ્યું છે. 

તેને કારણે પરમાણુ હથિયારોથી સજ્જ પાકિસ્તાન બાબતે અમેરિકા કોઈ નિર્ણય લઈ શકતું નથી. પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાનના અસ્તિત્વ વગરની દુનિયા ખરેખર વધુ શાંતિ ધરાવતી બની શકે છે. પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન.. મુલ્લા ઓમર જેવા અલકાયદા અને તાલિબાની આતંકવાદીઓને વર્ષો સુધી છુપાવીને રાખવામાં આવ્યા હતા. તો અલકાયદાનો નવો પ્રમુખ અલ ઝવાહીરી પણ પાકિસ્તાનમાં છૂપાયો હોવાની આશંકા છે. આ સિવાય 2015માં કેટલાંક આઈએસઆઈએસના ટોચના આતંકવાદીઓને પાકિસ્તાનમાં આશ્રય મળે તેવી શક્યતાઓ વહેતી થઈ હતી. આવા સંજોગોમાં આતંકના જનક પાકિસ્તાનનું વિખંડન એક ઉકેલ હોવા બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે. આ દિશામાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહીતની વૈશ્વિક શક્તિઓએ વિચારવી જરૂરી છે. દક્ષિણ એશિયામાં સંતુલન સ્થાપિત કરવા માટે પાકિસ્તાનની વ્યૂહાત્મક ઓકાત ઘટાડવી જરૂરી છે. ભારતને પ્રાદેશિક અને ગ્લોબલ પાવર તરીકે અમેરિકા સહીતના સુપરપાવરોએ વધુ વ્યૂહાત્મક મજબૂતાઈ આપવાની જરૂર છે. આના માટે અમેરિકાએ પોતાના વૈશ્વિક વર્ચસ્વનો નિર્ણાયક ઉપયોગ કરવાની પણ જરૂર છે. 

અમેરિકા ખાતેના પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ પાકિસ્તાનની દશકાઓ જૂની કાશ્મીર નીતિને નિશાને લેતા તેના વ્યૂહાત્મક હથિયાર સમા ઈસ્લામિક આતંકવાદ પર સવાલ પણ ઉઠાવ્યા છે. હુસૈન હક્કાનીનું માનવું છે કે કાશ્મીરનો મામલો ઉકેલાવાથી પણ મજહબી આતંકવાદ અને કોમવાદી ઘર્ષણોના પડકારો યથાવત રહેવાના છે. તાલિબાનો અફઘાનિસ્તાનમાં પોતાની જૂની ઈસ્લામિક વ્યવસ્થા કાયમ કરવાનું લક્ષ્ય છોડવાના નથી. તેમણે કહ્યુ છે કે મજહબી આતંકવાદનો અર્થ છે કે તમારા ધાર્મિક પંથમાં નહીં માનનારા લોકોની હત્યા કરવી. પાકિસ્તાનમાં મજહબી આતંકવાદને એક અતિ-રાષ્ટ્રવાદી દલીલ તરીકે રજૂ કરીને તેનું સમર્થન પણ કરવામાં આવે છે. તેથી આવા દ્રષ્ટિકોણના ચરમસીમા તરફ આગળ વધવાની સ્થિતિ પાકિસ્તાનના ખતરાનો સામનો કરવાનો યુદ્ધ એકમાત્ર વિકલ્પ રહી જશે. 

ભારત વિરોધી માનસિકતા અને આતંકની નીતિને કારણે પાકિસ્તાનનું વ્યૂહાત્મક ચિંતન ન તો અમેરિકાના હિતોની પૂર્તિ કરીરહ્યું છે અને ન તો તેનાથી પ્રાદેશિક સ્થિરતાનું લક્ષ્ય પૂર્ણ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં પાકિસ્તાનને આતંકવાદની તેની નીતિ છોડવા માટે બાધ્ય કરવા માટે આર્થિક-રાજદ્વારી-કૂટનીતિક અને જરૂરપડે લશ્કરી દબાણોની વળતી રણનીતિ જરૂરી બની જાય છે. 

અમેરિકા દ્વારા દાયકાઓથી પાકિસ્તાની સેનાને મજબૂત કરવાની એક નીતિ અપનાવવામાં આવી છે. તેનું દુષ્પરિણામ એ આવ્યું છે કે કાશ્મીરને બળપૂર્વક તફડાવી લેવાની શેખી મારનારા આતંકી જૂથોની શક્તિમાં વધારો થયો છે. આવા સંજોગોમાં ઈરાક-સીરિયા અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાન સામે ટ્રમ્પ વહીવટી તંત્રે વધુ કડક બનીને કાર્યવાહી કરવી પડશે. આના માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પે પોતાના દેશની બેવડી નીતિ છોડવાના સંકેત આપતા પાકિસ્તાનનનો મેજર નોન-નાટો એલાયનો દરજ્જો લઈ લેવાની અને તેને તેની હરકતો બદલ આતંકવાદી દેશ જાહેર કરાવવાના પગલા પણ ભરવાની તૈયારી રાખવી પડશે. 

બુધવાર, 14 ડિસેમ્બર, 2016

રાષ્ટ્રીય ઓળખ ગુમાવવાના ડરને કારણે યુરોપે પકડી દક્ષિણપંથની દિશા

-   પ્રસન્ન શાસ્ત્રી

યુરોપ અને અમેરિકામાં રાષ્ટ્રીય ઓળખ સામે ઉભા થયેલા જોખમોના પરિણામે ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટ વધારેમાં વધારે મજબૂત બની રહી છે. ફાર રાઈટ પોપ્યુલિટ મૂવમેન્ટને એવું કહી શકાય કે દેશ-રાષ્ટ્રની ઓળખ સામેના જોખમો સામેની જનતાની ચિંતાને કારણે દક્ષિણપંથી લાગણીઓની ચરમસીમા તરફ આગળ વધવાની પ્રક્રિયા.

2016માં આવી બે આશ્ચર્યજનક પરંતુ લોકપ્રિય વિજયની ઘટનાઓ જોવા મળી છે. જૂન માસમાં યુનાઈટેડ કિંગ્ડમ એટલે કે બ્રિટનમાં આવેલું જનમત સંગ્રહનું પરિણામ આવી પહેલી આશ્ચર્યજનક ઘટના હતી. જેમાં બ્રિટનના લોકોએ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવા માટેનો બ્રેક્ઝિટ તરીકે જાણીતો બનેલો ચુકાદો ફરમાવ્યો હતો. 

બીજી ઘટના ડિસેમ્બર માસમાં અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામોમાં સામે આવી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે. આ બંને જનચુકાદાઓ અમેરિકા અને બ્રિટન જેવા બે તથાકથિત ઉદારવાદી લોકતાંત્રિક સમાજો માટે દુનિયાના અન્ય દેશો અને ખાસ કરીને ભારત ખાતે ઉદારવાદનો આડંબર કરનારા રાજકીય, સામાજિક સંગઠનો માટે આઘાતજનક રહ્યા છે. વિસ્થાપિતોને આશ્રય સહીતના ઈમિગ્રેશન માટેના નીતિગત ખુલ્લાપણાના મતભેદો, વિવિધતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મુદ્દાઓને કારણે યુરોપ અને અમેરિકામાં ઘણી મોટી હદે રાષ્ટ્રીય ઓળખ અને અસ્તિત્વ બાબતે સ્થાનિક લોકોના અંતરમનમાં ઘૂઘવાટ અને ઉકળાટની ચરમસીમા તરફ આગળ વધવાની પ્રક્રિયાનો સંકેત આપી રહ્યા છે. 

બ્રેક્ઝિટ બાદ ફ્રેક્ઝિટની માગણી થઈ ચુકી છે. તો યુરોપની ત્રીજી એક મોટી ઘટનાની પણ ચર્ચા કરવી પડે તેમ છે. ઈટાલીને પરંપરાગત રીતે યુરોપીયન યુનિયનનું કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તેમ છતાં ઈટાલીમાં પણ યુરોપિયન યુનિયનથી વિરુદ્ધના વલણોની શરૂઆત થઈ ચુકી છે. તાજેતરમાં ઈટાલીએ પણ એસ્ટાબ્લિશમેન્ટને નામંજૂર કર્યું છે. ઈટાલીના જનમત સંગ્રહના પરિણામો અહીં દક્ષિણપંથી લાગણીઓ માટે આશાસ્પદ માનવામાં આવે છે. આવા જ વલણો ઘણાં યુરોપીયન દેશોમાં ચરમસીમા તરફ આગળ વધી રહ્યા છે.

અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીનેગંભીરતાથી લેવામાં આવતી ન હતી.  અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પ્રચાર વખતે સ્થાનિક મીડિયા જૂથો, નીતિ-રાજકારણ સંબંધિત સંસ્થાનોએ ટ્રમ્પને બિલકુલ ગંભીરતાથી લીધા ન હતા. પરંતુ તેમ છતાં અમેરિકાના મતદાતાઓની ભીતરના ઉંડાણમાં સામાજિક પરિવર્તનો સંદર્ભેની ગંભીર ચિંતાઓને કારણે ટ્રમ્પની ઉમેદવારી તેમના માટે બેહદ ગંભીર હતી. જેને કારણે અમેરિકાના તથાકથિત ઉદારવાદી લોકતાંત્રિક મૂલ્યોની પરવાહ કર્યા વગર અમેરિકનોએ અમેરિકાના હિતોની પરવાહ સાથે ટ્રમ્પને જીતાડયા છે. ભારત માટે અમેરિકા ખાતે સામે પ્રવાહે તરીને ટ્રમ્પે મેળવેલી જીત કોઈ આશ્ચર્ય પમાડનારી વાત નથી. ભારતમાં ગુજરાતમાં વિધાનસભાની ત્રણ ચૂંટણીઓમાં અને 2014ની લોકસભાની ચૂંટણીમાં મીડિયા અને કથિત થિંક ટેન્કો-બૌદ્ધિક સંગઠનોની લાગણીઓ વિરુદ્ધ ભારતની જનતા પોતાનો ચુકાદો ફરમાવી ચુકી છે. આવા પરિણામો માટે પણ ગુજરાત અને ભારતના લોકોના હ્રદય-મનમાં રાષ્ટ્ર સામેના ખતરાઓ અને પડકારો સંદર્ભે દશકાઓથી ધરબાયેલી ચિંતાઓ જ કારણભૂત હતી. 

અમેરિકનો જેવી જ ચિંતા અંગ્રેજોના દિલમાં પણ હતી. તેના કારણે મધ્ય-એશિયામાંથી આવી રહેલા મુસ્લિમ શરણાર્થીઓને આશ્રય આપવાના પ્રમાણમાં ઘટાડો કરવા માટે બ્રિટિશ મતદાતાઓએ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો ચુકાદો આપ્યો હતો. બ્રેક્ઝિટ ફરમાવતો જનમત બ્રિટનના રાજકીય નેતાઓને વિસ્થાપિતોને આવતા અટકાવવા માટેની નીતિના વાસ્તવિક અમલીકરણનો માર્ગ મોકળો કરવાની લાગણી ધરાવતો હતો. 2016માં અમેરિકા અને બ્રિટનના બંને વિજયો ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટના હાથમાં સાંકેતિક રીતે સત્તાના હસ્તાંતરણો દર્શાવનારા છે. 

યુરોપમાં કથિત ઈસ્લામફોબિક અતિવાદી દક્ષિણપંથી રાજકીય પક્ષોને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીઓમાં મોટા ફાયદાઓ થયા છે. જર્મનીમાં રાજકીય તાસિરમાં ધરખમ ફેરફારોના સંકેત મળી રહ્યા છે. જર્મનીમાં દક્ષિણપંથી રાજકીય પક્ષ અલ્ટરનેટિવ ફોર જર્મની એટલે કે એએફડી 16 જર્મન સ્ટેટ પાર્લામેન્ટ્સમાંથી દશમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. 2017માં અલ્ટરનેટિવ ફોર જર્મનીને પહેલી ફેડરલ વિકટ્રીની આશા છે. 

શરણાર્થીઓ વિરોધી નીતિઓ ધરાવતી ડેનિસ પીપલ્સ પાર્ટી ડેનમાર્કમાં 2015ની ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી બની છે. ડેનમાર્કની સંસદમાં શરણાર્થીઓ વિરોધી ખરડાને પસાર કરવામં ડેનિસ પીપલ્સ પાર્ટીના સમર્થન પર સત્તાધારી ગઠબંધનને આધારીત રહેવાની રાજકીય મજબૂરી છે. 

તો 2015માં સ્વીડન ખાતે મોટી સંખ્યામાં શરણાર્થીઓના આવ્યા બાદ અહીંના લોકોએ ઐતિહાસિક ચુકાદાના સંકેત આપ્યા છે. તાજેતરના ઓપનિયન પોલ્સમાં અતિવાદી દક્ષિણપંથી સ્વીડન ડેમોક્રેટ્સને 20 ટકાથી વધારે મત મળ્યા છે. 

ફ્રાન્સમાં પણ મરીન લે પેન દ્વારા રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે સંસ્કૃતિને સંપૂર્ણપણે આત્મસાત કરવા માટેની કરેલી હાકલે ઘણી મોટી અસર પેદા કરી છે. લા પેન ફ્રાન્સમાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ યુરોઝોન છોડીને ફ્રેન્ચ ફ્રાન્કને તાત્કાલિક અમલી બનાવવાનું જણાવી ચુક્યા છે. યુરોપ અને અમેરિકામાં મુસ્લિમ લઘુમતી અને મધ્ય-પૂર્વ એશિયામાંથી આવતા મુસ્લિમ શરણાર્થીઓને લઈને પેદા થયેલી જનતાની ચિંતાઓની અવગણના કરનારા રાજનેતાઓ હારી રહ્યા છે અથવા તો નબળા થવા લાગ્યા છે. 

યુરોપમાં 80ના દાયકાથી અતિવાદી દક્ષિણપંથી પાર્ટીઓએ સ્થાન જમાવ્યું છે. પરંતુ આવી અતિવાદી દક્ષિણપંથી પાર્ટીઓને યુરોપમાં સાતત્યપૂર્ણ અને સાર્વત્રિક રાજકીય ફાયદો મળ્યો નથી. ઓસ્ટ્રિયામાં બીજા વિશ્વયુદ્ધ બાદ અતિવાદી દક્ષિણપંથીઓના સત્તામાં આવવાની પ્રબળ આશંકાઓ પ્રવર્તી હતી. પરંતુ ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના મે માસના પ્રથમ રાઉન્ડમાં દક્ષિણપંથી ફ્રીડમ પાર્ટીના ઉમેદવારોને માત્ર એક ટકાની સરસાઈથી જીત મળી હતી. તો ડિસેમ્બર માસમાં ફ્રીડમ પાર્ટીને ઓસ્ટ્રિયાની ગ્રીન પાર્ટીથી સાત પોઈન્ટથી હારી ગઈ હતી. જો કે ઓસ્ટ્રિયામાં ફ્રીડમ પાર્ટીની લોકપ્રિયતા ત્રીસ વર્ષથી નીચેની વયજૂથના મતદાતાઓમાં વધી રહી છે. તો સ્વિટ્ઝરલેન્ડમાં પણ શરણાર્થીઓનો વિરોધ કરનારી સ્વિસ પીપલ્સ પાર્ટી 1999થી તમામ ફેડરલ ઈલેક્શનમાં વીસ ટકાથી વધારે મત પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. 

દક્ષિણપંથી શક્તિઓના ઉભારને કારણે યુરોપ અને અમેરિકામાં શરણાર્થીઓ સંદર્ભે નીતિગત પરિવર્તનો મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ રહ્યા છે. યુનાઈટેડ કિંગ્ડમ ઈન્ડિપેન્ડન્સ પાર્ટીની સંસદમાં એક જ બેઠક હોવા છતાં બ્રેક્ઝિટ જનમત દરમિયાન તેની હાકલોની અસરકારક ભૂમિકા રહી છે. આ એક સૂચક ઉદાહરણ છે. 2017માં ફ્રાન્સની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં નેશનલ ફ્રન્ટના લા પેનને એક મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. માર્ચ-2017માં યોજાનારીચૂંટણીઓ માટે ગીર્ટ વાઈલ્ડર્સની આગેવાનીવાળી ડચ ફ્રીડમ પાર્ટીની સરસાઈમાં વધારો થયો છે. ગીર્ટ વાઈલ્ડર્સે -મેક ધ નેધરલેન્ડ્સ ગ્રેટ અગેઈનની વાત કરી છે.

યુરોપ અને અમેરિકામાં આગામી ચૂંટણીના પરિણામો કોઈપણ હોય, પરંતુ શરણાર્થીઓ સામેની લાગણીઓ નક્કરપણે સામાન્યીકરણ તરફ આગળ વધી રહી છે. અમેરિકામાં મુખ્ય પાર્ટીના ઉમેદવારોએ ક્યારેય ખુલ્લેઆમ ઈસ્લામફોબિયાને પ્લેટફોર્મ બનાવીને રાષ્ટ્રીય હિતો માટે મત માંગીને ટ્રમ્પ પહેલા ક્યારેય જીત મેળવી નથી. ટ્રમ્પે પણ પ્રચાર વખતે ગેરકાયદેસર મુસ્લિમ ઈમિગ્રેન્ટ્સને સામુહિકપણે હાંકી કાઢવાની અને તેમના પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે.

જર્મનીના ચાન્ચેસલર એન્જેલા મર્કેલને શરણાર્થીઓ માટે ઉદારતા દર્શાવનારા નેતા તરીકે યુરોપિયન યુનિયનમાં ઓળખવામા આવે છે. પરંતુ મર્કેલે પણ કાયદેસર રીતે શક્ય હોય તેવા તમામ સ્થાનો પર બુરખા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. સરહદ વગરના યુરોપની કલ્પનામાંથી જન્મેલા યુરોપિયન યુનિયનના ઉદારવાદી મૂલ્યો ધરાવતા સંસ્થાપક દેશો- ઈટાલી, જર્મની, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને ફ્રાન્સ 2017માં ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટની ચરમસીમા તરફ આગળ વધે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે ચૂંટણીઓમાં ઈમિગ્રેશન પોલિસી જ એક માત્ર મુદ્દો નથી. પરંતુ યુરોપ અને અમેરિકામાં શરણાર્થીઓ માટેની પ્રવર્તમાન નીતિઓને લઈને જનતાની અંદર ધરબાયેલી દહેશત અને ચિંતાઓ એક ચહેરો ચોક્કસપણે છે. 

સોમવાર, 21 નવેમ્બર, 2016

અમેરિકામાં ટ્રમ્પયુગ : ઈસ્લામિક આતંકવાદને છાવરતા અમેરિકન ગ્લોબલાઈઝેશનની હાર

-  પ્રસન્ન શાસ્ત્રી

અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જીતને ભારત ખાતે મીડિયાના કેટલાંક ખાસ તત્વો વિકૃત મુલવણી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત અમેરિકાની લોકશાહીની હાર છે! શું અન્ય દેશની લોકશાહીને ભારતની અંદર વ્યાપ્ત કથિત સેક્યુલારિઝમના વિકૃત માપદંડોથી મુલવી શકાય? અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ભારતની અંદર કેટલાક ખાસ રાજકીય-સામાજિક-મીડિયાના વર્તુળોમાં ચાલતો અથવા તો ચલાવાતો ગુંચવાડો નથી. આવો ગુંચવાડો હશે તો તેને અમેરિકામાં ભારતના ચોક્કસ તત્વોની જેમ છાવરવામાં આવતો નથી. લોકશાહીમાં જનતા જનાર્દન છે અને જનતાનો ચુકાદો જ સર્વોચ્ચ છે. તેથી અમેરિકાની લોકશાહી પ્રક્રિયામાં ત્યાંની જનતાએ આપેલો ચુકાદો ઐતિહાસિક છે અને તે દુનિયામાં કથિતપણે ઉદારવાદી અને નિર્વિવાદીતપણે આત્મઘાતી સાબિત થયેલા માપદંડો સામે અસ્વીકારનો બુલંદ થઈ રહેલો અવાજ પણ દર્શાવી રહ્યો છે. 

ઈસ્લામિક આતંકવાદ દુનિયાની 1400 વર્ષ જૂની સમસ્યા છે. આ ઈસ્લામિક આતંકવાદની સમસ્યા તાજેતરના દોઢસો વર્ષથી વધારે મોટો પડકાર બની છે. તેની પાછળનું કારણ પોલિટિકલ ઈસ્લામનો ઉદભવ અને ઉપયોગ છે. પોલિટિકલ ઈસ્લામના માઠા પરિણામોથી વિશ્વમાં કોઈપણ દેશ સૌથી વધારે પરિચિત અને પીડિત હોય તો તે ભારત છે. 1947 પહેલા અને 1947ના ભાગલા બાદ પોલિટિકલ ઈસ્લામના વિવિધ સ્વરૂપો અને તેની તકવાદી રાજકીય તત્વો સાથેની સાંઠગાંઠ અને તેને દુષ્પરિણામોથી ભારત સુપેરે પરિચિત છે. એ અલગ વાત છે કે હજીસુધી ભારતવિરોધી રહેલા પોલિટિકલ ઈસ્લામને નાથવા માટે ખુરશી પર બેસવા માટેના રાજકારણમાંથી નવરા નહીં પડેલા રાજકારણીઓ કંઈ કરી શક્યા નથી. 

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની જીત અમેરિકામાં ઈસ્લામિક આતંકવાદી વિચારધારા અને તેના વાહકોની સામે ઉભા થઈ રહેલા ખ્રિસ્તી દક્ષિણપંથીઓની સામુહિક ચિંતામાંથી ઉભા થયેલા ચિંતનની જીત છે. ભારતમાં કેટલાંક ચોક્કસ તત્વો ટ્રમ્પની જીતને ઈસ્લામફોબિયાની અમેરિકા ખાતેની જીતમાં ખપાવે છે. ટ્રમ્પની જીતને કારણે આઈએસઆઈએસ, અલકાયદા જેવા ઈસ્લામિક આતંકવાદીઓ તેનો પોતાના સંગઠનોમાં આતંકીઓની ભરતી માટે ઉપયોગ કરશે તેવા આકલનો પણ કરી રહ્યા છે. ખેર, આવા આકલનોનો તો ચાલતા રહેવાના.. પણ હકીકત એ છે કે ભારત હોય કે મ્યાંમાર હોય, યુરોપ હોય કે અમેરિકા હોય, જાપાન હોય કે પૂર્વ એશિયાના દેશો હોય તમામ બિનઈસ્લામિક દેશોમાં ઈસ્લામિક આતંકવાદના પડકાર સામે અસરકારક પગલા લેવા માટે અહીંની સરકારો પાસે લોકો આશા રાખીને બેઠા છે. તેથી અમેરિકામાં પણ ઈસ્લામિક આતંકવાદ સામે ઢીલીઢાલી નીતિની તરફદારી કરનારા ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના સ્થાને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકનોએ પસંદગી કરી છે. ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, યુરોપના અન્ય દેશોમાં આતંકવાદી હુમલાઓ બાદ દક્ષિણપંથી ઉભાર જોવા મળી રહ્યો છે. આખી દુનિયાને વીસ વર્ષ પહેલા ઉદારવાદી મુક્ત નીતિઓની સલાહ આપતા યુરોપ અને અમેરિકા હવે ભયાનક હદે રાષ્ટ્રવાદી બનવા તરફ આગળ વધી રહ્યા છે. બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો તેને પણ અહીં દક્ષિણપંથી રાષ્ટ્રવાદી ઉભાર તરીકે જોવાઈ રહ્યો છે. ફ્રાન્સ અને જર્મનીની આગામી ચૂંટણીઓમાં તેના સત્તાના સૂત્રો દક્ષિણપંથી પાર્ટી કે દક્ષિણપંથી વિચારો ધરાવતા નેતાઓના હાથમાં જવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. વિશ્વ આખાની એકમાત્ર ચિંતા આતંકવાદનો ખાત્મો કરવા બાબતે છે. 

2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલાની 9/11ના નામથી કુખ્યાત દુર્ઘટના સર્જાઈ હતી. તેના પંદર વર્ષના સમયગાળા દરમિયાન અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ. બુશ અને નિવર્તમાન રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા દ્રઢતાપૂર્વક આતંકવાદ મુસ્લિમ માન્યતાઓની આસપાસ વણાયેલા હોવાના અભિપ્રાયને નકારતા રહ્યા છે. 

11 સપ્ટેમ્બર-2001ના આતંકી હુમલાના બીજા દિવસે બુશે વોશિંગ્ટન ખાતેના ઈસ્લામિક સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશે ઈસ્લામ એટલે શાંતિ હોવાનું જણાવ્યું હતું. આતંકવાદનો ચહેરો ઈસ્લામનો વાસ્તવિક ચહેરો નહીં હોવાનું પણ બુશે જણાવ્યું હતું. ઈસ્લામની માન્યતાઓ ઉદ્દામવાદ અને આતંકવાદનું કારણ હોવાનું જાણવતા વિશેષજ્ઞો અને જૂથોને મુખ્યપ્રવાહમાંથી અમેરિકામાં હાંસિયામાં ધકેલી દેવાયા હતા. તેમને ઈસ્લામફોબિક ગણવવામાં આવ્યા હતા. 

પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ અમેરિકાનની ઈસ્લામિક દુનિયા સામેની નીતિઓને ઘડવાનું કામ આવા કથિત ઈસ્લામફોબિકના હાથમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના કેટલીક ટીપ્પણીઓ આને ખાસ ઉજાગર કરનારી છે. તેમણે સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અભિપ્રાય આપ્યો હતો કે ઈસ્લામ આપણને (અમેરિકાને કે બિનમુસ્લિમોને?) ધિક્કારતો હોવાનું લાગે છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં મુસ્લિમોની સંપૂર્ણપણે અમેરિકા ખાતે પ્રવેશબંધી કરવાના અને મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને પાછા ધકેલી દેવાની વાત પણ કરી છે. તો આતંકવાદીઓ સામે ઘાતક હથિયારોના ઉપયોગ અને આતંકવાદીઓના પરિવારજનોને ખતમ કરવા સુધીની વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી ચુક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આઈએસ સામેની બરાક ઓબામાની નીતિઓ સામે અસંતોષ પ્રગટ કરીને વધુ આકરી કાર્યવાહી જમીની અભિયાનોની વાત પણ કરી છે. હવે ટ્રમ્પ 20 જાન્યુઆરી-2017ના રોજ અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કરવા જઈ રહ્યા છે. અમેરિકામાં સત્તા હસ્તાંતરણ માટેની પ્રક્રિયામાં તેમની એક ટીમ લાગેલી છે. ગત ફેબ્રુઆરી માસમાં અમેરિકાના આગામી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક ફ્લિને ટ્વિટ કર્યું હતું કે મુસ્લિમોથી ડર કારણ વગરનો નથી. બ્રિટન ખાતેના ઈરાકી મૂળના વિશેષજ્ઞ આઈ. ક્યૂ. અલ-રાસુલીનો એક વીડિયો પણ તેમણે ફોરવર્ડ કરવા માટે વિનંતી કરી હતી. ઈરાકી મૂળના બ્રિટિશર અલ-રાસુલીએ ઈસ્લામને પશ્ચિમ સામે અવિરત યુદ્ધરત પંથ ગણાવ્યો હતો. 

તો ટ્રમ્પના ચીફ સ્ટ્રેટર્જિસ્ટ સ્ટીવ બેન્નોને 2014માં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પશ્ચિમી ખ્રિસ્તી જગત જેહાદિસ્ટ ઈસ્લામિક ફાસિજ્મ સામેના ક્રૂર અને લોહિયાળ સંઘર્ષના ખૂબ પ્રારંભિક તબક્કામાં છે. આ દુશ્મનની સામે કડક માપદંડો સાથે પગલા ભરવામાં નહીં આવે તો ગત બે હજારથી પચ્ચીસો વર્ષમાં મેળવેલું બધું નષ્ટ થઈ જશે. 2001થી 2016 સુધીના સમયગાળામાં અમેરિકાના નીતિ-નિર્ધારકોમાં આવેલું પરિવર્તન કોના કારણે આવ્યું તેનો પણ જવાબ આઈએસને ટ્રમ્પની જીતમાંથી  આતંકીઓની ભરતીમાં મદદ મળશે તેવી વાતો કરનારાઓએ ચોક્કસપણે આપવો જોઈએ. 

ટ્રમ્પ દ્વારા પસંદ કરાયેલા અમેરિકાના આગામી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક ફ્લિને ઈસ્લામને એપિક ફેલ્યોર એટલે કે ઐતિહાસિક નિષ્ફળ ગણાવ્યો છે. આની પાછળ પણ તેમના ઘણાં તર્કો છે. તો પાકિસ્તાનના આતંકી નેટવર્કોથી તેઓ સારી રીતે અવગત છે. તેમણે પાકિસ્તાનને અપાતી મદદને બંધ કરવાની ઘણી વખત પેરવી કરી છે. જો કે અમેરિકાની કેટલીક થિન્ક ટેન્કો ઓબામાના વહીવટી તંત્ર પર ઈજીપ્તના કટ્ટરવાદી સંગઠન મુસ્લિમ બ્રધરહુડના એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવતી રહી છે. હુમા અબેદીન હિલેરી ક્લિન્ટનના પ્રચાર અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. પાકિસ્તાની મૂળની આ મુસ્લિમ મહિલા પર પણ મુસ્લિમ બ્રધરહુડ માટે લાગણી દાખવવાનો આરોપ લાગતો રહ્યો છે.

ટ્રમ્પની જીતની સાથે વૈશ્વિકરણની કથિત વાતો વાર્તાઓ બનવા તરફ આગળ વધી રહી છે. વૈશ્વિકરણનું સૌથી મોટું તરફદાર અમેરિકા પોતાની પ્રકૃતિમાં ફેરફાર કરે તેવી પુરેપુરી શક્યતા છે. ત્યારે આવા મોટા પરિવર્તનના કારણ ઈસ્લામિક આતંકવાદને પ્રોત્સાહિત કરનારા ઈસ્લામિક દુનિયાના તત્વોને હતોત્સાહીત કરવાની પ્રક્રિયા બાબતે કેવી રીતે શરૂઆત કરવામાં આવશે? નહીંતર દુનિયાના ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ એટલે કે સભ્યતાઓના સંઘર્ષના પથ પર આગળ વધવાની સંભાવનાઓ વધારે પ્રબળ બનશે. જો કે આતંકવાદ અને તેના સમર્થકોને સભ્ય નહીં પણ અસભ્ય જ ગણી શકાય. એટલે કે સભ્યતાઓનો અસભ્યતા સામેના સંઘર્ષની શક્યતાઓ વધુ પ્રબળતા તરફ આગળ વધશે. બાકી સાઉદી અરેબિયાના નાણાંનું જોર અમેરિકામાં પણ નીતિઓ પર અલગ-અલગ લોબિસ્ટો દ્વારા દેખાતું રહે છે. આવી જ રીતે ઈસ્લામિક દુનિયાના પેટ્રોડોલરનું જોર ભારતમાં પણ ચોક્કસ રાજકીય વર્તુળો, મીડિયાના તત્વો, કથિત એનજીઓ સુધી જોઈ શકાય છે. પણ સવાલ એ પણ છે કે તેમની સામે કેમ કંઈ કરી શકાતું નથી? તેના સંદર્ભે પણ નિર્ણાયક વિચાર કરવો જરૂરી છે. 

બ્રિટિશરોએ વસાહતો સ્થાપીને આખી દુનિયા પર રાજ કર્યું હતું. અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ બાદ કમ્યુનિઝમનો ડર દેખાડી વિશ્વમાં અલગ-અલગ દેશોમાં લશ્કરી થાણા સ્થાપ્યા હતા. તેની સાથે અમેરિકાના મૂડીવાદી મૂડીપતિઓએ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા દુનિયાના ગરીબ વિકાસશીલ દેશોમાં આર્થિક શોષણનો ભરડો લેવાનું શરૂ કર્યું. તેના માટે તેમણે ઉદારીકરણ અને વૈશ્વિકરણના નામે નવી અમેરિકાના શોષણને સ્થાન આપતી વૈશ્વિક નીતિના ચક્કરમાં દુનિયાને નાખી દીધી હતી. અમેરિકન છાપ ગ્લોબલાઈઝેશનમાં ભારત જેવા દેશોને ઈસ્લામિક આતંકવાદ સામે આંખ આડા કાન કરવાના હતા. પાકિસ્તાનમાંથી ફેલાતા ઈસ્લામિક આતંકવાદે અમેરિકાને અફઘાનિસ્તાનના માર્ગે નુકસાન કર્યું નહીં ત્યાં સુધી સેક્યુલારિઝમના વિકૃત માપદંડોનું પ્રચલન ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં દ્રઢીકરણ કરવા માટે મીડિયા લોબિસ્ટોને યેનકેન પ્રકારે સીધા કે આડકતરી રીતે પ્રેરીત પણ કરાતા રહ્યા છે. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના એજન્ટ ફઈની પાસે ઘણાં ભારતીય મીડિયાકર્મીઓ અને કથિત વિચારકો અવાર-નવાર જઈ આવ્યા છે.

પણ અમેરિકામાં ટ્રમ્પની જીત અમેરિકા દ્વારા અત્યાર સુધી ચલાવવામાં આવેલા ગ્લોબલાઈઝેશનની હાર છે. તેની સાથે અમેરિકન રાષ્ટ્રવાદની ટ્રમ્પની જીત સાથે મોટી જીત થઈ છે. દેશના અસ્તિત્વનો આધાર રાષ્ટ્રવાદ છે. રાષ્ટ્રવાદ વગરના ગ્લોબલાઈઝેશનનો વિચાર અમેરિકાની લોકશાહીના ચુકાદામાં નામંજૂર કરાયો છે. તેમાં ઈમિગ્રેશન પોલિસીથી માંડીને ઈસ્લામિક આતંકવાદ સુધીની સમસ્યાઓ સંદર્ભે નવી નીતિઓના આગાજના સંકેત મળી રહ્યા છે. એક ધ્રુવીય દુનિયામાં અમેરિકાનો ઘટી રહેલો વૈશ્વિક પ્રભાવ અમેરિકાની ચૂંટણીમાં એક ઘણો મોટો મુદ્દો રહ્યો છે. અમેરિકના ઘટતા વૈશ્વિક પ્રભાવની પાછળ ઈસ્લામિક આતંકવાદ ઘણું મોટું કારણ છે. અમેરિકાને ઈસ્લામિક દુનિયાના પાકિસ્તાન જેવા કટ્ટરવાદી દેશો સાથે મિલભગત કરીને ચીન પડકારી રહ્યું છે. ઉત્તર કોરિયાને પણ ચીન પોતાના વ્યૂહાત્મક હથિયાર તરીકે અમેરિકા સામે વાપરી રહ્યું છે. રશિયા સાથે સારા સંબંધો બાંધવામાં બરાક ઓબામા નિષ્ફળ ગયા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ગ્રેટ અમેરિકા બનાવવાના નામે મેળવેલી જીત અમેરિકનોની હકીકતમાં રહેલી પીડાની ઘણી હદે ચાડી ખાય છે. 

મંગળવાર, 11 ઑક્ટોબર, 2016

પાકિસ્તાની આતંક સામે સર્જિકલ સ્ટ્રાઈક આવકાર્ય શરૂઆત

- પ્રસન્ન શાસ્ત્રી

પાકિસ્તાનનો પાયો અમન નથી. તેથી પાકિસ્તાન સાથેની તમામ પ્રકારની શાંતિ માટેની કોશિશો ઠગારી નિવડશે. પાકિસ્તાન એક એવી સમસ્યા છે કે જે માત્ર ભારત માટે પડકાર નથી રહી. પાકિસ્તાનની સમસ્યાના મૂળિયાને તપાસવામાં આવે, તો તે આખી દુનિયાની સમસ્યાનું મૂળ છે. પાકિસ્તાન આખી દુનિયા માટે પડકારરૂપ બનેલી સમસ્યા છે. પાકિસ્તાન સાથે શાંતિ પ્રક્રિયા માટે અમેરિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયે 1947થી ભારત પર ખૂબ મોટું દબાણ રાખ્યું છે. 1971 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવા દેવાયું નથી. કારગીલમાં પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની ઘૂસણખોરી છતાં ભારતને અંકુશ રેખા નહીં ઓળંગવા માટે આંતરરાષ્ટ્રીય મંચો પરથી અને ખાસ કરીને અમેરિકા દ્વારા ભયાનક દબાણ કરવામાં આવ્યું હતું.

ભારતની સામે પાકિસ્તાની આતંકવાદને નાથવા માટે ઘણી વ્યૂહાત્મક અડચણો છે. આવી વ્યૂહાત્મક અડચણોમાં ક્યારેક અમેરિકા, તો ક્યારેક ચીન  એક અથવા બીજી રીતે પાકિસ્તાનને બચાવતા રહ્યા છે. પરંતુ ત્રણ દાયકાથી ચાલી રહેલા પાકિસ્તાની આતંકવાદ સામે ભારતીયોની સહનશક્તિ હવે સમાપ્ત થઈ ચુકી છે. ભારતની સરકારો પર છેલ્લા ઘણાં વર્ષોથી ભારતની જનતાના આક્રોશનું ઘણું મોટું દબાણ પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ગુરુદાસપુરથી શરૂ કરીને પઠાનકોટથી માંડીને ઉરી ખાતેના હુમલાઓએ પાકિસ્તાનના આતંકવાદીઓની હરકતો સામે ભારતીયોના આક્રોશને ભડકાવી દીધો છે. બસ અચાનક ભારતની સરકારે ઉરી હુમલા બાદ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પીઓકે તરીકે ઓળખાતા વિસ્તારમાં જઈને સેનાના કમાન્ડોને સર્જિકલ સ્ટ્રાઈક માટે મોકલવા માટે મજબૂર થવું પડયું છે. આતંકવાદીઓ સામે કડક હાથ કામ લેવાની પહેલ અને વ્યૂહાત્મક અડચણની અંકુશ રેખા ઓળંગીને પાકિસ્તાનીઓના કબજા હેઠળના વિસ્તારમાં જઈને કાર્યવાહી કરવી એક આવકાર્ય પગલું છે. છેલ્લા ત્રીસ વર્ષથી ભારતની જનતા જેની રાહ જોઈ રહી હતી તેવું એકમાત્ર પગલું જનતાની જાણકારીમાં સરકાર દ્વારા સત્તાવાર મૂકવામાં આવ્યું છે.

પરંતુ એક સર્જિકલ સ્ટ્રાઈક એ તો માત્ર એક મોટી લડાઈની શરૂઆત માત્ર છે. ઉરી હુમલા બાદ પીઓકેમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ લગભગ ત્રણથી ચાર હુમલા સેના અને પોલીસને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે. તેનો સીધો અર્થ છે કે પાકિસ્તાની આતંકવાદીઓ અને તેનું આકા પાકિસ્તાની સેના –સરકાર- આઈએસઆઈ બિલકુલ સુધરવાના નથી. પાકિસ્તાનના આતંકી નેટવર્કના ખાત્મા માટે ભારતે આવી ઘણી બધી સર્જિકલ સ્ટ્રાઈક્સ અને ભીષણ યુદ્ધ સુધીના વિકલ્પો માટે તૈયારી કરવી પડશે. પાકિસ્તાન એક એવો રોગ છે કે જેનો ઈલાજ માત્ર બળપ્રયોગ છે. પાકિસ્તાનને બળપ્રયોગ સિવાયની અન્ય કોઈ ભાષાથી બુદ્ધિ આવતી નથી. પાકિસ્તાનના આતંકવાદીઓને સંરક્ષણ આપતી તેમની સેના અને ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને નબળી પાડવાની દિશામાં ભારત તરફથી વૈશ્વિક કૂટનીતિક અને વ્યૂહાત્મક કોશિશોને અસરકારક રીતે ઝડપથી આગળ વધારવી જરૂરી છે. 

કોઈપણ લડાઈમાં પોતાની શક્તિઓ અને ખામીઓની ઓળખ સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. તેની સાથે સામે રહેલા દુશ્મની ઓળખ પણ મહત્વપૂર્ણ છે. ભારતની સામે રહેલા પાકિસ્તાની આતંકવાદને દુશ્મન સમજીને માત્ર તેના સુધીની મર્યાદીત કાર્યવાહી દુરસ્ત ઈલાજ કરી શકશે નહીં. ભારતમાં આતંકવાદનું મૂળ કારણ પાકિસ્તાનની વિચારધારા અને તેમાંથી ઉભી થયેલી માનસિકતા છે. પાકિસ્તાન પોતાના ઈસ્લામિક દેશ ગણાવી રહ્યું છે. ઈસ્લામની કંઈ વિચારધારા સાચી અને કઈ વિચારધારા ખોટી તેની ચર્ચામાં ભારત અને ભારતના લોકોએ ફસાવવાની જરૂર નથી. પાકિસ્તાનના મલીન દિમાગમાં ચાલી રહેલા જોખમી વિચારોના મૂળ પ્રવાહને ભારતે બરાબર ઓળખવો પડશે. પાકિસ્તાન ધાર્મિક સહઅસ્તિત્વના ઈન્કારના આધારે બનાવાયું છે. આ ધાર્મિક સહઅસ્તિત્વનો ઈન્કાર વિભાજન પહેલાની રાજકીય ઈસ્લામની મજહબી માન્યતાઓનું પરિણામ છે. પાકિસ્તાન રુઢિવાદથી કટ્ટરવાદ,કટ્ટરવાદથી આતંકવાદ અને આતંકવાદથી અંતિમવાદના માર્ગે કથિત મજહબી માન્યતાઓને આધારે આગળ વધી રહ્યું છે. ભારતના લોકોના મનમાં માનવતાને બચાવવા માટેની લડાઈ સંદર્ભે કોઈપણ પ્રકારની શંકાઓ હોવી જોઈએ નહીં. માનવતાને બચાવવાની વૈશ્વિક લડાઈમાં ભારતની ઈચ્છાએ કે અનિચ્છાએ તેને તેમા સામેલ થવાનું જ છે. વળી માનવતાને બચાવવાની લડાઈ ખુદ ભારતના સ્વરક્ષણની લડાઈ પણ છે. 

પ્રવર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યોમાં આમૂલચૂલ પરિવર્તનો દેખાઈ રહ્યા છે. અમેરિકા હવે ભારતનું વધુ સારું મિત્ર બની રહ્યું છે, પરંતુ પાકિસ્તાન સાથેની દોસ્તી અમેરિકાની વ્યૂહાત્મક લાચારી હોય તેવું ઘણાં જાણકારો તારણ કાઢી રહ્યા છે. તો ચીન પાકિસ્તાનની પડખે વધુ મજબૂતાઈથી ઉભેલું દેખાય છે. રશિયા પણ પાકિસ્તાન સાથે ઠંડાયુદ્ધની સમાપ્તિ પછી ગત ત્રણ વર્ષોમાં સંબંધો સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતું દેખાઈ રહ્યું છે. ઠંડાયુદ્ધમાં તત્કાલિન સોવિયત સંઘની લાલસેનાઓ સામે લડનારા તાલિબાનો સાથે તેનું ઉત્તરાધિકારી એવું રશિયા ખાનગી રાહે પાકિસ્તાનની મદદથી પોતાના મધ્ય-પૂર્વના વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને વાટાઘાટો પણ કરી રહ્યું હોવાના આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો છે. તો દક્ષિણ ચીન સાગરમાં આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને નહીં માનવાની જીદ અહીં ચીન અને અમેરિકા વચ્ચે મોટા તણાવને આકાર આપી રહી છે. આવા સંજોગોમાં ભારત માટે પોતાના રાષ્ટ્રીય હિતોની સર્વોપરીતા રાષ્ટ્રીય સુરક્ષા હોવા અંગે એક સ્પષ્ટતા હોવી જરૂરી છે. પાકિસ્તાનનની ન્યૂસન્સ વેલ્યૂને કારણે અમેરિકા સામેના સમીકરણોને જોતા ચીન અને રશિયા બંને તેની સાથે નજીક જવાની કોશિશ કરી રહ્યા છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદને કારણે શાંતિ અને સ્થિરતા પંદર વર્ષના આતંકવાદ સામેના અમેરિકાના યુદ્ધ છતાં પણ સ્થાપિત કરી શકાઈ નથી. આવા સંજોગોમાં અમેરિકા અને નાટો દેશોને પણ અફઘાનસ્તાનમાં એકસો અબજ ડોલરના અત્યાર સુધીના સૌથી વધુ ખર્ચાળ યુદ્ધમાંથી પોતાના હાથ પાછા ખેંચવા છે. પરંતુ તેના માટે કદાચ તેમને દક્ષિણ એશિયા ખાતે એક મજબૂત ખભાની પણ વ્યૂહાત્મક જરૂરીયાતો છે. કદાચ અમેરિકા છેલ્લા ઘણાં વર્ષોથી પાકિસ્તાનની હરકતોને સંતુલિત કરવા માટે ભારતની ભૂમિકા સંદર્ભે ગંભીરતાથી વિચાર કરી રહ્યું હોવાના સંકેતો પણ કેટલીક અમેરિકન થિન્ક ટેન્કો અને સામરિક વિશ્લેષકોની ટીપ્પણીઓમાંથી મળી રહ્યા છે. જો કે ભારત અને અમેરિકાના સરકારો સત્તાવાર રીતે આવી કોઈપણ ભૂમિકા સંદર્ભે ચુપકીદી સેવી રહ્યા છે.

પાકિસ્તાનને અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેના ઠંડાયુદ્ધમાં વોશિંગ્ટનનો સાથે તેની વ્યૂહાત્મક ન્યૂસન્સ વેલ્યૂને કારણે મળ્યો હતો. તો હવે નવા વૈશ્વિક પરિદ્રશ્યમાં પણ તેને રશિયા અને ચીન દ્વારા આવો સાથ મળે તેવી શક્યતાઓ ઘણી પ્રબળ હોવાનું નકારવામાં આવતું નથી. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત કરવાના મામલે ચીન ત્રણ વખત વીટો શક્તિનો ઉપયોગ કરી ચુક્યું છે. તો ભારતના ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં પ્રવેશના બાધિત કરવામાં પણ ચીન અને પાકિસ્તાનની જુગલબંધી કોઈનાથી અજાણી નથી. 

ભારતે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિની સત્વરે સમીક્ષા કરીને તેને તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂર છે. ભારતમાં થનારી કોઈપણ વિકાસયાત્રા મજબૂત સેના થકી મળનારી સુરક્ષા વગર ગમે ત્યારે અને પાકિસ્તાન-ચીન ઈચ્છે ત્યા અટકી જશે. તેથી વ્યૂહાત્મક અડચણોને દૂર કરીને પાકિસ્તાની આતંકવાદીઓ, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની નાપાક સાજિશો અને પાકિસ્તાની સેનાના ઉંબાડિયાઓને મજબૂતાઈથી જવાબ આપવાની રણનીતિ પ્રમાણે આગળ વધવું જરૂરી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને અસરકારક ઈન્ટેલિજન્સ માટે વધુ સક્રિય કરવાની જરૂર છે. તેની સાથે ભારતની અંદર રહેલા આતંકી નેટવર્ક સામે કડકાઈપૂર્વકની કાર્યવાહી માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોર્ડ તથા જે-તે રાજ્યોની ક્રાઈમ બ્રાન્ચને વધુ અસરકારક કામગીરી માટે ફ્રીહેન્ડ આપવાની જરૂર છે. 

પાકિસ્તાન સાથે શાંતિ માટેની કોઈપણ વાટાઘાટો તેની નાપાક હરકતોને કારણે સફળ થવાની નથી. પાકિસ્તાન સાથેની કૂટનીતિ પણ સૈન્ય શક્તિના પરચા વગર અસરકારક નિવડવાની નથી. કોઈપણ ડિપ્લોમસી જમીન પર સૈન્યની શક્તિને સક્રિય કર્યા વગર સફળ થઈ શક્તી નથી. તેથી પાકિસ્તાન અને તેના પાયાના મલિન વિચારોના પડકારોનો સામનો કરવા માટે ભારતની સામર્થ્યવાન સેનાને વધુ શક્તિશાળી બનાવવી જરૂરી છે. એટલે કે ભારતને બૂલેટ ટ્રેન કરતા પહેલા પાંચમી પેઢીના અત્યાધુનિક યુદ્ધવિમાનો વસાવવાની જરૂર છે. આ સિવાય મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, અત્યાધુનિક નૌસૈન્ય શક્તિ અને આર્ટલરી તથા ભૂમિસેનાને વધુ અસરકારક કામગીરી કરવા માટેના આધુનિકીકરણને પુરઝડપે આગળ વધારવું જરૂરી છે. 

તેની સાથે જનતાની માનસકિતા અને પરિપક્વતાને વધારે ઉચ્ચસ્તરે લઈ જવા માટેની કાર્યવાહીઓ સરકાર અને સામાજિક-રાજકીય ક્ષેત્રોમાં કામ કરતી સંસ્થાઓએ હાથમાં લેવી જોઈએ. તેના માટે હવે વધુ રાહ જોઈને સમય બગાડવાની જરૂર નથી. આ સિવાય માનવતાનો વિરોધ કરનારાઓ સામે દુનિયાના તમામ માનવતામાં વિશ્વાસ કરનારા ધર્મો, વિચારધારાઓ, સમાજો, દેશોએ એકજૂટ બનવાની જરૂર છે. આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ આશ્રય આપતા દેશ અથવા દેશોના સમૂહો અને વિચારસરણીઓને તેમની ભાષામાં લડત આપવી નવા વર્લ્ડ ઓર્ડરની વૈશ્વિક જરૂરિયાત પણ છે અને મજબૂરી પણ છે. વળી આવી વ્યવસ્થા ઉભી કરવાની કોશિશો અને કાર્યવાહીઓમાં રાજકારણ ખેલવાથી ભારતના તમામ રાજકીય પક્ષોએ રાષ્ટ્રહિતમાં દૂર રહેવું જોઈએ. પહેલા આવું બધું કરી ચુક્યા છીએ અને અમે જ આમ કર્યું એવા કોઈ પણ વાદવિવાદમાં પડયા વગર ભારતીય સેનાની સાથે મજબૂતાઈથી ઉભા રહીને પરાક્રમ કરવા પર જ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. આવો આપણે ભારતના લોકો સાથે મળીને ભારતને આતંકમુક્ત બનાવીએ..   


રવિવાર, 25 સપ્ટેમ્બર, 2016

આતંકવાદના નામે ખુલ્લું યુદ્ધ: પાકિસ્તાનને કરાવો ભારતની શક્તિનો અહેસાસ

-     પ્રસન્ન શાસ્ત્રી
સેના ભારતના અસ્તિત્વની મુખ્ય વાહક છે. ભારતની મુક્તપણે શ્વાસ લેતી લોકશાહીનો મૂળ આધાર સેના છે. ખરેખર સેના બોલતી નથી, પણ પરાક્રમ કરે છે. પરંતુ સેના પરાક્રમ કરતી હોય, ત્યારે દેશના નેતાઓએ ચુપ રહેવું જરૂરી છે. સેનાને તેનું પરાક્રમ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ મુક્ત વાતાવરણ પુરું પાડવાનું કામ રાજકીય નેતૃત્વની ઈચ્છાશક્તિ પર નિર્ભર છે. ઉરીનો આતંકવાદી હુમલો પહેલો પણ નથી અને કદાચ યોગ્ય પગલા નહીં ઉઠાવાય તો છેલ્લો પણ નહીં હોય. ભારતમાં આતંકવાદની સમસ્યા હોવાનું છેલ્લા ત્રણ દાયકાથી કહેવામાં આવે છે. પરંતુ હવે કથિત આતંકવાદ મામલે અને તેને આપવામાં આવનાર જવાબ સંદર્ભે તલસ્પર્શી સમીક્ષાનો સમય પાકી ગયો છે. 

હકીકતમાં જેને આતંકવાદ ગણાવીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.. તે આતંકવાદ નથી. આ એક યુદ્ધ છે. એક એવું યુદ્ધ કે જેને પાડોશી દેશ પાકિસ્તાન પોતાની મનમરજી પ્રમાણે શરૂ કરે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે તેને પૂર્ણ કરે છે. 2001માં સંસદ પરનો આતંકવાદી હુમલો હોય કે 2008નો મુંબઈ પરનો હુમલો હોય. આતંકવાદના આંચળા નીચે પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધનું પ્રોક્સિ વૉર એક ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. હા
, ઉરી હુમલો અને તેના પહેલાના તમામ કથિત આતંકી હુમલા પાકિસ્તાનનું ખુલ્લું યુદ્ધ છે. આવા આતંકવાદી હુમલાઓની પાછળ પાકિસ્તાની સેના અને તેની ખુરાફાતી ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની ભૂમિકા સંદર્ભે ભારતમાં સારા એવા પ્રમાણમાં જાણકારી છે.
ઉરી હુમલામાં 18 જવાનોએ પોતાનું બલિદાન આપ્યું છે. આ હુમલો છેલ્લા ઘણાં વર્ષો બાદ સેનાને નિશાન બનાવીને કરાયેલો મોટો હુમલો હતો. ભારતીય સેનાને આટલા મોટા સ્તરે નુકસાન કરનાર લોકોને દંડિત કરવા જોઈએ. પરંતુ આ કોઈ ખૂન કેસનો મામલો નથી. આ યુદ્ધ અપરાધ છે. આ યુદ્ધ અપરાધને અંજામ આપનાર પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ છે. તેથી પાકિસ્તાની સેના અને આઈએસઆઈને પણ દંડ આપવો જરૂરી બને છે. તેથી પ્રવર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાની સેના વિરુદ્ધ આતંકવાદી હુમલાઓને અનુરૂપ ભારતીય સેનાની કાર્યવાહી થવી ન્યાયોચિત બને છે. 

હવે તો દેશના લોકોની ધીરજની સાથે ભારતીય સેનાના સૈનિકોની ધીરજની પણ પરીક્ષા કહી શકાય. સેનામાં જોડાનારા દરેક સૈનિક અને અધિકારીને તેમની ફરજો અને તેમા જીવનું બલિદાન કરવાની તમામ બાબતોની સુપેરે જાણકારી હોય છે. સેનામાં કામ કરવું એ નોકરી નથી.. પણ દેશસેવા છે. સેનામાં સામેલ થનારાઓની દેશભક્તિ પર ક્યારેય કોઈપણ પ્રકારની શંકાને કોઈ કારણ નથી. કોઈપણ સ્થિતિમાં દેશની સુરક્ષા કરવી અને દેશના દુશ્મનો દ્વારા થોપવામાં આવતા યુદ્ધોને લડીને જીતવા સૈનિકોની પહેલી પ્રાથમિકતા છે. યુદ્ધમાં લડીને વીરગતિ પ્રાપ્ત કરવી દરેક સૈનિકોના જુસ્સાની ચરમસીમા છે. પરંતુ ઉરી હુમલામાં વીરગતિ પ્રાપ્ત કરનારા સૈનિકોની જેમ કોઈપણ જવાન બલિદાન આપવા ઈચ્છશે નહીં. સેનાના જવાનો દુશ્મન સામે લડવા ઈચ્છી રહ્યા છે. દુશ્મનને તેની બેરેક્સમાં જ ખતમ કરવાની મનસા ધરાવે છે. 

પાકિસ્તાનના મનસ્વી યુદ્ધોમાં વીરગતિ પામનારા જવાનોના પાર્થિવ દેહને જોઈને દેશની જનતામાં ગુસ્સો છે. આ આક્રોશ ખરેખર રાષ્ટ્રીય ચેતના છે. પરંતુ કોઈપણ નક્કર કાર્યવાહીની ગેરહાજરી આવી રાષ્ટ્રીય ચેતના પર કુઠારાઘાત બનીને ત્રાટકશે. આથી હવે યુદ્ધને યુદ્ધની જેમ રાજકીય નેતૃત્વ દ્વારા લેવાય તે જરૂરી છે. શાંતિ જરૂરી છે. પરંતુ શાંતિ ત્યારે જ ટકે છે.. જ્યારે યુદ્ધખોર પાડોશીને કચડી નાખવા માટેની અસરકારક તૈયારીઓનો તેને અહેસાસ કરાવવામાં આવે. ભારતની શક્તિનો ખરેખર પાકિસ્તાનને નક્કર અહેસાસ કરાવવાનો સમય પાકી ગયો છે. તેના માટે માત્ર આર્થિક, કૂટનીતિક, રાજદ્વારી, વ્યૂહાત્મક કોશિશો જ પુરતી નથી. જમીન પર પાકિસ્તાનની ગુસ્તાખીઓનો લશ્કરી રાહે સંપૂર્ણ તૈયારી સાથે મજબૂત જવાબ મળવો જોઈએ. 

પાકિસ્તાની સેના-આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનોનું એક ડીપ-સ્ટેટ પાકિસ્તાનની અંદર અસ્તિત્વમાં છે. એમ પણ માની શકાય કે પાકિસ્તાનના ડીપ સ્ટેટે પાકિસ્તાનના લોકોને વૈચારીક, રાજકીય અને આર્થિક રીતે એક જમીનના ટુકડામાં કેદ કર્યા છે. પાકિસ્તાનનું ડીપ-સ્ટેટ આતંકવાદને પોતાનું વ્યૂહાત્મક હથિયાર ગણે છે. આ આતંકના હથિયારનો માત્ર ભારતમાં જ નહીં.. પણ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં પણ ઉપયોગ કરે છે. તાલિબાનોને પેદા કરવા અને અફઘાનિસ્તાનને બરબાદ કરવાનું કામ પાકિસ્તાને કર્યું છે. તો વૈશ્વિક આતંકવાદી નેટવર્કમાં પણ પાકિસ્તાનના લોકોની ઘણી મોટી ભૂમિકા છે. પાકિસ્તાન આતંકવાદનું સૌથી મોટું નિકાસકાર છે. મુંબઈ પરનો 2008નો હુમલો હોય કે પઠાનકોટ હુમલો હોય પાકિસ્તાને હંમેશા પુરાવાને નકાર્યા છે. પાકિસ્તાન પોતાના દ્વારા ઉછેરવામાં આવેલા આતંકવાદીઓને ખતમ કરવા માંગતું નથી. પરંતુ આવા નેટવર્ક દ્વારા પાકિસ્તાનનો ઈરાદો ભારતને રક્તરંજિત કરવાનો છે. 

ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોની સેંકડો ટુકડીઓ પાકિસ્તાની સેનાની આતંકવાદની જાળને તોડવાના સંઘર્ષમાં લાગેલી છે. આની ઘણી મોટી અસર ભારતીય સંરક્ષણ બજેટ અને દેશની આર્થિક પ્રગતિ પર પડી રહી છે. સૌથી પહેલા પાકિસ્તાની સેના અને તેના બગલબચ્ચા જેવા લશ્કરે તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનને ભારતમાં મોકલવામાં આતંકી મોકલવા બદલ આકરો બોધપાઠ ભણાવવો પડશે. તેના માટે પાકિસ્તાનના બંકરો તબાહ કરવા, સરહદ પાર કરવી, વાયુસેનાનો ઉપયોગ કરવો, ભારે આર્ટલરી વાપરવી, સર્જિકલ સ્ટ્રાઈક કરવી, આતંકવાદી સરગનાઓને ગુપ્ત અભિયાનો હેઠળ ઠેકાણે પાડવા અથવા પરિસ્થિતિના અનુપાત પ્રમાણેની અસરકારક કામગીરી કરવા માટેની રણનીતિને ધાર આપીને હકીકત બનાવવા તરફ આગળ વધવું પડશે. મનમરજી પ્રમાણે યુદ્ધ કરનારા આતંકવાદીઓને તેમની શૈલીમાં જ ખતમ કરવા માટે ભારતના રાજકીય નેતાઓએ ભાષણબાજીથી આગળ વધીને કામગીરીને બોલવા દેવી પડશે. ઈન્ટેલિજન્સ એજન્સીઓને કાર્યક્ષમ અને અસરકારક બનાવવી જરૂરી છે. તેના માટે સિત્તેરના દાયકામાં હતો તેવો ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓનો ખોફ ફરીથી જમાવવાની વ્યૂહરચના પર આગળ વધવું પડશે. સરહદની આ પાર જ નિર્દોષોના લોહી વહેવાનો સિલસિલો હવે વધુ લાંબો ચાલવો જોઈએ નહીં. 

ભારતે પહેલા લશ્કરી રાહે મજબૂત અને અસરકારક પગલા લીધા બાદ કૂટનીતિક, રાજદ્વારી, આર્થિક, વ્યૂહાત્મક સ્તરે આગળ વધવાની જરૂર છે. પાકિસ્તાનના આતંકી ખેલ હેઠળ ચાલતા ખુલ્લા યુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કકળાટ અને પ્રેમપત્રો કે પ્રેમસંદેશાઓ લઈને દૂતો મોકલવાનો કોઈ અર્થ નથી. 125 કરોડ લોકોના શક્તિશાળી દેશે પોતાની શક્તિ મુજબ જ વ્યવહાર કરવો જરૂરી છે.

યાદ કરાવું-

1993ના મુંબઈના શ્રેણીબદ્ધ વિસ્ફોટોને યાદ રહ્યા હોત અને તાત્કાલિક કાર્યવાહી થઈ હોતતો ઉરી હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોના બલિદાન નહીં ભૂલએ તેવું કહેવાની જરૂર પડી જ ન હોત..

સોમવાર, 22 ઑગસ્ટ, 2016

કાશ્મીરમાં હિંસાના કલાકાર પાકિસ્તાનનું બલુચિસ્તાનમાં પણ બખડજંતર

- પ્રસન્ન શાસ્ત્રી

સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ભારતની વિદેશ નીતિમાં એક મોટા સ્ટ્રેટજિક શિફ્ટ તરીકે જોવાઈ રહ્યું છે. આ ભાષણમાં બલુચિસ્તાનનો સંદર્ભ ટાંકવાના ગર્ભિત સંકેતો છે કે ભારત બલુચિસ્તાનની આઝાદીના આંદોલનને નૈતિક ટેકો આપશે અને અહીં પાકિસ્તાની સેનાના વંશીય નરસંહાર તરફ દુનિયાનું ધ્યાન પણ ખેંચશે. બલુચિસ્તાન ખાતેના જઘન્ય વંશીય નરસંહાર કરતા અભિયાનો પાકિસ્તાની સેના માટે કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પાકિસ્તાની સેના તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં આવા જ ભયાનક અત્યાચારો કરી ચુક્યું છે. જેના પરિણામે ડિસેમ્બર-1971માં બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. 1948થી પાકિસ્તાની સેના દ્વારા લોહિયાળ દમનચક્રોને કારણે બલુચિસ્તાનને હજારો જખમો મળી ચુક્યા છે. 

બલુચિસ્તાન ક્યારેય પાકિસ્તાનનો ભાગ રહ્યું નથી. કલાત સ્ટેટ તરીકે બલુચિસ્તાનની અલગ ઓળખ રહી છે. પરંતુ માર્ચ-1948માં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાના હુકમથી બલુચિસ્તાન પર આક્રમણ કરવામાં આવ્યું હતું. બલુચિસ્તાનના લોકો તરફથી પાકિસ્તાનમાં સામેલ થવાની બાબતનો આકરો વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે મોહમ્મદ અલી ઝીણા કલાત સ્ટેટના લિગલ એડવાઈઝર તરીકે ભારત વિભાજન પહેલા કામ કરી ચુક્યા હતા. 


બલુચિસ્તાનના લોકોએ ક્યારેય પાકિસ્તાનનો ભાગ બનવાની વાતને સ્વીકારી નથી. અહીં ત્રણ ટ્રાઈબલ જૂથો મુર્રી, મેન્ગલ અને બુગ્તીની આગેવાનીમાં બલોચી સ્વતંત્રતા આંદોલન ચલાવવામાં આવ્યું છે. ઝીણાથી લઈને ભુટ્ટો સુધી અને ત્યાર બાદ જનરલ ઝીયા ઉલ હક અને જનરલ મુશર્રફ સુધીના તમામ લોકોએ બલોચી સ્વતંત્રતા આંદોલને બેરહેમીથી કચડી નાખવા માટે બર્બરતાપૂર્વક પાકિસ્તાની સેનાનો ઉપયોગ કર્યો છે. હાલ પણ પાકિસ્તાની સેના પોતાનું દમનચક્ર ચલાવી રહી છે. પાકિસ્તાનના હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ નાસિરખાન ઝાંઝુઆ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કમાન્ડર તરીકે ઘણાં દમનચક્રો ચલાવી ચુક્યા છે. જનરલ નાસિરખાન ઝાંઝુઆને બુચર ઓફ બલુચિસ્તાન તરીકે ઘણી કુખ્યાતી મળી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બલોચ નેશનને ટેકો આપતા સંદર્ભોના મીડિયામાં મચક્યા બાદ પાકિસ્તાની અત્યાચારોનો ભોગ બનેલા બાંગ્લાદેશે પણ પાકિસ્તાનની સેના સામે મોઢું ખોલ્યું છે. બાંગ્લાદેશે પૂર્વ પાકિસ્તાન તરીકેની ઓળખના સમયગાળામાં થયેલા અમાનવીય અત્યાચારોની પૃષ્ઠભૂમિમાં બલોચ જનતા સાથે થઈ રહેલા પાકિસ્તાની સેનાના જુલ્મોસીતમને વખોડયા છે. 
પૂર્વ પાકિસ્તાનની પેટર્ન પર પાકિસ્તાની સેના બલુચિસ્તાન ખાતે કાળજીપૂર્વક પસંદગી યુક્ત અને લક્ષિત હિંસા કરી રહી છે. બલુચિસ્તાનમાં આઝાદી સમર્થક રાજકીય નેતાઓ, વકીલો, શિક્ષિત સંસ્થાઓને પાકિસ્તાની સેના દ્વારા નિશાન બનાવાઈ રહી છે. બલુચિસ્તાનના પાટનગર ક્વેટામાં તાજેતરમાં થયેલા આત્મઘાતી હુમલામાં સિત્તેર જેટલા વકીલોએ જીવ ગુમાવ્યા છે. આઈસિસે આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે. પરંતુ પાકિસ્તાનની સેના, ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ, પાકિસ્તાની સેનાના સામરિક હથિયાર જેવા ઈસ્લામિક જેહાદી જૂથો અને આતંકી ગેંગ્સ દ્વારા આવા જ ટાર્ગેટેડ હિંસાચારને અંજામ આપે છે. 

લક્ષિત હિંસાચાર પાછળનો મુખ્ય ઉદેશ્ય બલોચ સ્વતંત્રતા સંગ્રામની આગેવાની કરતી નેતાગીરીની ક્ષમતા અને અસરકારકતાને ખતમ કરવાનો છે. બલુચિસ્તાનના મૂળ બલોચ લોકો પાકિસ્તાન પર સૌથી વધુ પ્રભાવ ધરાવતા પંજાબ સાથે કોઈપણ પ્રકારની રાજકીય, આર્થિક અથવા સાંસ્કૃતિક એકતા ધરાવતા નથી. વળી બલુચિસ્તાન પાકિસ્તાન પર પરાવલંબન પણ ધરાવતું નથી. પાકિસ્તાનથી સ્વતંત્રતા મેળવ્યા બાદ બલુચિસ્તાન પાસે રાજકીય, આર્થિક અને ભૂરાજકીય રીતે પોતાની જાતે ટકી રહેવા માટે ઊર્જા અને ખનીજ સંપત્તિની પુરતી ઉપલબ્ધતા છે. 

પાકિસ્તાનનો મુખ્ય સમુદ્રીતટ પણ બલુચિસ્તાન પાસે છે. બલુચિસ્તાનનો સમુદ્રતટ ચારસો સિત્તેર માઈલનો છે. પાકિસ્તાનનું એક માત્ર ડીપ-વોટર પોર્ટ ગ્વાદર બલુચિસ્તાનમાં આવેલું છે. બલુચિસ્તાનનો વિસ્તાર પાકિસ્તાનના કુલ વિસ્તારના 43 ટકા જેટલો છે. તેથી પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાનની સ્વતંત્રતાના સંગ્રામને કચડવા અહીં વંશીય હત્યાકાંડો કરીને પણ તેના પર કબજો ચાલુ રાખવો તેની રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો ભાગ છે. 

પાકિસ્તાન બન્યાના સિત્તેર વર્ષે પણ બલુચિસ્તાનને અલ્પવિકસિત રાખવામાં આવ્યું છે. તો પાકિસ્તાનની સેના અને સરકારનું તંત્ર અહીં બલોચ વસ્તીસંતુલનને ખોરવીને પૂર્વ પંજાબી સૈન્યકર્મીઓને અહીં વસાવી રહ્યું છે. તેની સાથે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામે ગ્વાદર પોર્ટ સુધી બીજિંગનો કાયમી હસ્તક્ષેપ પણ પાકિસ્તાને સ્વીકારી લીધો છે. 

બલુચિસ્તાનને પાકિસ્તાની હૂકમરાનોએ એક ખાસ રણનીતિ હેઠળ અલ્પવિકસિત રાખ્યું છે. અહીં શૈક્ષણિક અને આરોગ્યની સુવિધાઓની કોઈ ખાસ વ્યવસ્થા ઉભી થવા દેવાઈ નથી. બલુચિસ્તાનમાં આઝાદી માટેના આંદોલનોને જોતા પાકિસ્તાની સેનાની અહીં ખૂબ મોટા પ્રમાણમાં તેનાતી છે. ગ્વાદર પોર્ટ સુધી પહોંચવા માટેના બલુચિસ્તાનના વિસ્તારોમાં બલુચીઓની જમીનો પંજાબીઓ અને પાકિસ્તાની સેનાના સેવાનિવૃત્ત થયેલા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને આપવામાં આવે છે. આની પાછળ પાકિસ્તાની સેના દ્વારા બલુચિસ્તાનનું વસ્તીસંતુલન બદલવા માટેની એક વ્યૂહરચના હોવાનું પણ માનવામાં આવે છે. તેને કારણે પંજાબીઓને બલુચિસ્તાનમાં મોટા પ્રમાણમાં વસાવવાનું છેલ્લા ઘણાં દાયકાઓ પહેલા જ શરૂ કરી દેવાયું છે. પાકિસ્તાને બલુચિસ્તાનમાં તેના વ્યૂહાત્મક સાથીદાર ચીન પાસેથી પ્રેરણા લીધી છે. ચીને તિબેટ પર 1949માં કબજો જમાવ્યો ત્યારથી આવી જ રણનીતિને અમલી બનાવી છે. 


ગ્વાદર પોર્ટ સાથે જોડાયેલા ચીનના વ્યૂહાત્મક અને આર્થિક હિતોને કારણે બલુચિસ્તાન હાલ ખૂબ ચર્ચામાં આવ્યું છે. ગ્વાદર પોર્ટને ચીનને લાંબાગાળા માટે લીઝ પર આપવાની સાથે ગ્વાદરથી ચીનના શિનજિયાંગ પ્રાંતને જોડતા ઈકોનોમિક કોરિડોરની 46 અબજ ડોલરના રોકાણવાળી યોજનાને કારણે પણ બલુચિસ્તાનથી માંડીને પીઓકે સુધી ચીનની મોટી દખલગીરી અસ્તિત્વમાં આવી રહી છે. બલુચિસ્તાનનું ડીપવોટર પોર્ટ ગ્વાદર ચીનના નેવલ બેઝ તરીકે ઉભરી રહ્યું છે. ચીનને પણ બલુચિસ્તાનના ભૂરાજનીતિક મહત્વને કારણે તેમા ખાસો રસ છે. પાકિસ્તાને ચીનને બલુચિસ્તાનમાં ખાસી સુવિધાઓ આપી છે. આની પાછળ પાકિસ્તાન સાથે ચીનના ઘનિષ્ઠ વ્યૂહાત્મક અને લશ્કરી સંબંધોની પણ ઘણી મોટી ભૂમિકા છે. તેની સાથે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા અમેરિકાના વોર ઓન ટેરર અને વોશિંગ્ટન સાથે વણસેલા દ્વિપક્ષીય સંબંધોનો મામલો પણ એક મોટું પરિમાણ છે.


ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે પાકિસ્તાનના ધમપછાડા કોઈનાથી અજાણ્યા નથી. બલુચિસ્તાનમાં સીપીઈસીનો આકરો વિરોધ થઈ રહ્યો છે. તેમ છતાં પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફે કોઈપણ ભોગે આર્થિક કોરિડોરનું કામ પૂર્ણ કરવા માટેની પ્રતિબદ્ધતા રજૂ કરી છે. પાકિસ્તાની સેનાનો આરોપ છે કે ભારતીય એજન્સીઓ કોરિડોરના પ્રોજેક્ટને ખોરંભે પાડવા માટે અહીં સક્રિય છે. 

પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને પૂર્ણ કરવા માટે દર્શાવેલી સંકલ્પબદ્ધતામાં તેના વિરોધને બર્બરતાપૂર્ણ રીતે કચડી નાખવાનો ઈરાદો પણ ટપકી રહ્યો છે. બલુચિસ્તાનમાં પાકિસ્તાન અને ચીન બંને સંયુક્તપણે ઉપનિવેશ ઉભું કરી રહ્યું છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ રાહીલ શરીફ બલુચિસ્તાન ખાતે મોટા બળપ્રયોગ અને વંશીય હિંસાચારની ગર્ભિત ધમકી પણ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં બલુચિસ્તાન ખાતેનો કોઈપણ પ્રકારનો હિંસાચાર પ્રાદેશિક સ્થિરતાની સાથે વૈશ્વિક સામરિક ગણતરીઓ પણ અસ્તવ્યસ્ત થશે. બલુચિસ્તાનના 60 લાખ બલૂચી લોકો પર પાકિસ્તાની સેના દ્વારા વંશીય હિંસાચારના ખતરા નીચે જીવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે બલુચિસ્તાનની કુલ વસ્તી એક કરોડ ત્રીસ લાખ જેટલી છે. જેના કારણે બહાદૂર બલોચ અને તેમનું બલુચિસ્તાન આઝાદ થવા માટે વૈશ્વિક અને ક્ષેત્રીય સમર્થન મેળવવાના હકદાર છે. 

બાંગ્લાદેશના મુસ્લિમો પર પાકિસ્તાની સેનાએ કર્યો હતો તેવો અત્યાચાર બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા આઝાદીના આંદોલનની તીવ્રતામાં વધારા સાથે ઉગ્રતા આવે તેવી શક્યતા છે. આમ કરતી વખતે પાકિસ્તાની સેનાની તરફેણમાં જીઓપોલિટિકલ અને જીઓસ્ટ્રેટજીક ફેક્ટર્સ મદદરૂપ થવાની શક્યતા છે. બલુચિસ્તાનમાં હિંસાચાર રોકવામાં અમેરિકાની સૌથી મોટી ભૂમિકા રહી છે. પરંતુ હવે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના અત્યાચાર સામે અમેરિકા દ્વારા આંખ આડા કાન થઈ રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બલુચિસ્તાનની આઝાદીને સમર્થન નહીં આપવાની ટીપ્પણી કરી હતી. બલુચિસ્તાનમાં હિંસાચારના વિરોધ મામલે અમેરિકાના વહીવટી તંત્ર અને અમેરિકાના સાંસદોના દ્રષ્ટિકોણમાં પણ મોટો વિરોધાભાસ છે. 

તો ચીનના ખૂબ મોટા ભૂરાજનીતિક અને સામરિક હિતો બલુચિસ્તાનમાં હોવાથી તેઓ પણ બલોચ લોકોના આઝાદીના આંદોલનને ઉગ્ર થવા દેવાની સ્થિતિ વિરુદ્ધ જ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવહાર કરશે. પાકિસ્તાની સેના દ્વારા બલુચિસ્તાનના આંદોલનોને કચડવાની કોઈપણ બર્બર કોશિશને ચીન સામેલ પણ થઈ શકે છે. પરંતુ આનાથી બલોચ લોકોએ નિરાશ થવાની જરૂરત નથી. અમેરિકા અને ચીન દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં ચાલેલા બાંગ્લાદેશ મુક્તિ આંદોલનનો પણ વિરોધ કરાયો હતો. પરંતુ શું બંગ્લાદેશી મુસ્લિમોની પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી વંશીય હિંસા બાદ બાંગ્લાદેશને અસ્તિત્વમાં આવતું રોકી શકાયું?

બાંગ્લાદેશની જેમ જ બલૂચ લોકોએ પોતાની આઝાદી માટેની ઈચ્છાની જ્યોતને છેલ્લા છ દાયકાની જેમ આગળ પણ  પ્રજ્વલિત રાખવી જરૂરી છે. બલોચ લોકોની આઝાદીની લડાઈમાં અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને પચ્ચીસ હજાર લોકો ગુમ થયા છે. બલુચિસ્તાનની 60 લાખની બલોચ લોકોની વસ્તી માટે આઝાદીની આ ઘણી મોટી કિંમત છે. તેમ છતાં બલુચિસ્તાન ખાતે બલોચ સ્વતંત્રતા આંદોલન વારંવાર પુનર્જિવિત થતું રહ્યું છે. 


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી આઝાદી દિવસે કરેલા સંબોધનમાં બલુચિસ્તાનમાં માનવાધિકારના ઉલ્લંઘનના મામલાઓને હિંમતપૂર્વક ઉઠાવ્યો હતો. કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને પ્રાદેશિક તથા ઉભરતી વૈશ્વિક તરીકે ક્ષેત્રીય હિંસાચારની ઉભરતી કોઈપણ શક્યતાને અવગણી શકે નહીં. વળી માનવતાની પુનર્સ્થાપના માટેની વિકસતા વૈશ્વિક સમાજની લડાઈમાં માનવાધિકારના આદારો અને માનવાધિકારની સુરક્ષાના મુદ્દે દુનિયા આંખ આડા કાન કરી શકે નહીં. તેથી પાકિસ્તાની સેનાને પૂર્વ પાકિસ્તાનમાં ભૂતકાળમાં કરવામાં આવેલા વંશીય હત્યાકાંડોને આંતરરાષ્ટ્રીય સમુદાયો પણ મંજૂર કરી શકે તેમ નથી.