લેબલ ક્રાંતિકારી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ક્રાંતિકારી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 29 જુલાઈ, 2011

વીર સાવરકરની દ્રષ્ટિએ ક્રાંતિ અને ક્રાંતિકારીઓ


-આનંદ શુક્લ

“મારું મન તો કહે છે કે જીવનનું બીજું નામ મૃત્યુ છે અને મૃત્યુનું બીજું નામ જીવન છે. જેવી રીતે એક સ્થળે સૂર્યાસ્ત થાય છે અને બીજા સ્થળે સૂર્યોદય. વસ્તુત: અસ્તનું બીજું નામ ઉદય છે અને ઉદય જ અસ્તનું ઘોતક છે. સૂર્ય તો પ્રતિક્ષણ પ્રદીપ્ત હોય છે. કેવળ કેટલાંક સમય માટે તે આપણી દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તેવી જ રીતે જીવન-દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તો તેને મૃત્યુનું નામ આપી દેવાય છે.” જીવન-મરણ અંગે આટલું ઉંડું ચિંતન ધરાવનાર કોઈ સમાન્ય વ્યક્તિ ન જ હોઈ શકે. આ મહાપુરુષ અન્ય કોઈ નહીં પણ ભારતના સ્વતંત્ર્ય સંગ્રામમાં પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી ભારતમાતાની સાધના જીવનપર્યંત કરનાર ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર હતા. તેમને વીર સાવરકરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 28 મે, 1883ના દિવેસ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. તેઓનું શરીર કૃશ લાગતું હતું, છતાં તેમનો આત્મવિશ્વાસ હિમાલય જેટલો અડગ હતો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિપુંજ સમાન હતા. તેઓ સંપૂર્ણ ક્રાંતિના આગ્રહી હતા. તેમના મતે ક્રાંતિ એટલે છલાંગ લગાવવાવાળો વિકાસવાદ હતો.

તેમનું ક્રાંતિના સંદર્ભે એક આગવું ચિંતન હતું. તેમનું ચિંતન ઘણાંને અણગમો ઉપજવાનાર પણ હતું. છતાં પણ તેઓ તેને દ્રઢતાપૂર્વક વળગી રહ્યાં હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટેની તમામ પ્રકારની કોશિશો કરી અને ઘણાં બધાં ક્રાંતિકારીઓ માટે પ્રેરણાદાયી બન્યા.

ક્રાંતિ ક્યારે અને ક્યાં સુધી આવશ્યક છે? તે બાબતે સાવરકર અત્યંત સ્પષ્ટ હતા. તેમણે આ સંદર્ભે પોતાના નિર્ભિક વિચારો અભિવ્યક્ત કર્યા છે. તેમના માનવા પ્રમાણે, “જે સમયે સંપૂર્ણ માનવજાતિ શ્રેષ્ઠતમ ન્યાય અને પરમાનંદના પુનિત આદર્શને પ્રાપ્ત કરી લેશે. જ્યારે ઈશ્વરીય વિભૂતિઓ, દેવદૂતો અને ધર્મગુરુઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ધર્મરાજ્યની કલ્પના આ ધરાતલ પર સાકાર થઈ જાય. જ્યારે ઈશા મશીહની દેવવાણીથી નિસ્ત્રત તે પાવન ઉપદેશ કે, ‘જો કોઈ તમારા એક ગાલ પર લાફો મારે તો તેની સામે બીજો ગાલ ધરવો’, પર આચરણ કરવાની જરૂર નહીં રહે. કારણ કે કોઈ કોઈના ગાલ પર લાફો મારવાનો પ્રયત્ન જ નહીં કરે. સત્યયુગની આ પાવન સ્થિતિ જ્યારે સંસારને પ્રાપ્ત થશે, ત્યારે કોઈ વિદ્રોહની કલ્પના માત્ર કરશે, રક્તનું એક ટીપું પણ વહેવડાવશે, એટલું જ નહીં, પણ જો તેના મોઢામાંથી પ્રતિશોધ શબ્દ પણ ઉચ્ચારીત થશે તો તેના આ પાપને તેની ક્રૂરતા માટે અનંત અવધિ માટે રૌરવ નામના નરકમાં ફેંકી દાવા માટે ઉપયુક્ત ગણાશે.”

પણ સાવરકર એમ પણ માનતા હતા કે, “જ્યાં સુધી દૈવી યુગનો આવિર્ભાવ નથી થઈ જતો, પરમાનંદનો આ પાવન આદર્શ સાકાર નથી થઈ જતો, તે શુભ ઘડીનો ઉદય નથી થઈ જતો, જ્યાં સુધી સંતો, દેવદૂતો અને પ્રભુના પ્રિય પુત્રોના ભવિષ્ય કથન સાકાર નથી થઈ જતાં, જ્યાં સુધી ન્યાયપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેની વિરોધી અન્યાયમૂલક પ્રવૃતિને નિર્મૂલન કરવા માટે માનવ મન પ્રવૃત નથી થઈ જતું, ત્યાં સુધી વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોઘની ગણના અધર્મ તત્વોમાં કરવી ઉચિત નથી. જ્યાં સુધી રાજ્ય શબ્દનો ઉપયોગ અન્યાયમૂલક અને ન્યાયમૂલક એણ બે પ્રકારના તત્વો માટે કરવામાં આવે છે, ત્યાં સુધી તેમના પ્રતિયોગી શબ્દ ન્યાય અને અન્યાય બંનેના અર્થોમાં ઉપયુક્ત બની શકશે.”

સાવરકરના મતે, ક્રાંતિનું સંચાલન અંકગણિતના નિયમ પ્રમાણે નથી થતું. ખરેખર તો ઈતિહાસના ઘટનાક્રમ પર દ્રષ્ટિ કરતાં જણાય છે કે નિશ્ચિત નિયમો પ્રમાણે તો આજ સુધી કોઈપણ ક્રાંતિનું સંચાલન નથી થઈ શક્યું. ક્રાંતિ કોઈ ઘડિયાળની જેમ એક સુનિર્ધારીત નિયમ પ્રમાણે ચાલવાવાળું યંત્ર તો નથી જ. ક્રાંતિનું સંચાલન હંમેશા એક વિશાળ સિદ્ધાંતથી થાય છે. નાના-નાના નિયમો-ઉપનિયમો તો ક્રાંતિના એક વિસ્ફોટ માત્રથી વેર-વિખેર થઈ જાય છે. ક્રાંતિ કેવળ એક જ સિદ્ધાંત છે, “થોભો નહીં, આગળ વધો.” ક્રાંતિ તો એક વિચિત્ર પક્ષી છે, જે સ્થળે તે દીર્ઘકાળ સુધી બંદી હોય છે, ત્યાંથી મુક્ત થતાં જ તે બીજા સ્થાન પર પુન: પહોંચતા પહેલા આકાશના બીજા છેડાથી પોતાની પાંખોના બળે ઊડે છે, ચક્કર લગાવે છે. ક્રાંતિ માટે આ પ્રકારનું ઉડ્ડયન આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.

ક્રાંતિના માર્ગને અનિશ્ચિતતા, સંશય, મહત્તા વગેરે રોકે છે. અનિશ્ચય અને અસ્થિરતા સિવાયનું અન્ય કોઈપણ વિષ ક્રાંતિનું પ્રાણહરણ કરવામાં સફળ થતું નથી. ક્રાંતિનો વિસ્તાર જેટલો ત્વરીત અને આકસ્મિક હોય છે, તેટલી જ તેના વિજયની સંભાવના વધી જાય છે. ક્રાંતિના વિસ્તારની ગતિ મંદ પડતાની સાથે જ શત્રુને સચેત થવાનો મોકો મળી જાય છે. આ જોઈને ક્રાંતિકારીઓનો ઉત્સાહ મંદ પડી જયા છે કે તેમની સાથે આવીને કોઈ ઉભું રહેતું નથી. તેમની સાહસવૃતિ તૂટવા લાગે છે અને શત્રુ સક્રીય બની નવા ક્રાંતિકારીઓના માર્ગમાં અવરોધો ઊભા કરવામાં સફળ બને છે. પ્રથમ આક્રમણ અને ક્રાંતિના પ્રસાર વચ્ચે શત્રુને સમય આપી દેવો હંમેશા માટે કોઈપણ ક્રાંતિની યોજના માટે હાનિકારક સાબિત થાય છે. તેવી જ રીતે પૂર્વનિર્ધારીત કાર્યક્રમથી વિપરીત અચાનક થયેલા વિસ્ફોટ અન્ય સ્થળોએ ક્રાંતિ યોજનાની પૂર્તિ માટે કાર્યરત નેતાગણ માટે આશ્ચર્યકારક હોય છે. આ પરિસ્થિતિમાં ક્રાંતિકારીઓ “શું કરવું, શું ન કરવું?”ની અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ જાય છે.

માટે જ અકર્મણ્યતા અને મંદતા ક્રાંતિની ભભૂકતી જ્વાળાઓને ઠંડી પાડી દે છે. જ્યારે કર્મઠતાની તીવ્રતા જ ક્રાંતિને જાગૃત રાખી શકે છે. ક્રાંતિનું બ્યુગલ વાગ્યા પછી ઊભો થતો સંશય પરાજયનું કારણ બની જાય છે. ક્રાંતિનું આયોજન ગાલીચાની સિલાઈની જેમ સાવધાનીથી ધીરે ધીરે કરવું જ અપેક્ષિત છે. પરંતુ જ્યારે એક વખત ક્રાતંની શરૂઆત થઈ જાય ત્યારે ક્ષણમાત્ર દ્વિધાગ્રસ્ત થયા વગર તીરની જેમ તેમાં પ્રવેશી જવું જોઈએ. પછી યશ મળે કે અપયશ, જીવન મળે કે મૃત્યુ, બધી જ બાજુથી નિશ્ચિંત બનીને સમરાંગણમાં ઝઝુમવું જ શ્રેષ્ઠ છે.

ક્રાંતિકારી વીર સાવરકર અન્યાયનો સમૂળગો નાશ કરીને સત્યધર્મની સ્થાપના કરવા માગતા હતા. સાવરકરના માનવા પ્રમાણે, સત્યધર્મની સ્થાપના માટે ક્રાંતિ, રક્તપાત અને પ્રતિશોધ પ્રકૃતિ પ્રદત સાધનો છે. તેમણે આ સંદર્ભે અત્યંત સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, “જો વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોધનો ભય ન હોત તો લૂંટ અને અત્યાચારોનાં પાશવિક ધૂમાડામાં સમગ્ર પૃથ્વી કણસતી હોત. જો અત્યાચારીઓ અને અન્યાયીઓને આજે અથવા આવતીકાલે, તરત અથવા વિલંબથી, પ્રકૃતિ દ્વારા પ્રતિશોધ લેવાવાનો ભય ન હોત તો આ ભૂમંડળ પર ઝાર જેવા તાનાશાહોનો જ પ્રભાવ રહેત. પરંતુ પ્રત્યેક હિરણ્યકશ્યપને નરસિંહ, પ્રત્યેક દુશાસનને ભીમ, અત્યાચારી પર નિયંત્રણ મેળવવા શાસક અને શેરને માથે સવાશેર મળે છે. તેથી જ વિશ્વમાં દ્રઢ માન્યતા પ્રવર્તે છે કે અત્યાચાર અને અનાચાર હંમેશા ચાલુ રહેતા નથી.”

સાવરકરના માનવા પ્રમાણે, એક રાષ્ટ્રને જીવંત રહેવા માટે શરણ નહીં, પ્રતિશોધ જરૂરી છે. સાવરકર પ્રતિશોધને પૌરૂષીય લક્ષણ માનતા હતા. વળી તેઓ અવાર-નવાર કહેતા કે કાલ્પનિક સિદ્ધાંતોના ભ્રમજાળમાં પડીને પ્રતિશોધથી ઘૃણા કરનારું રાષ્ટ્ર ક્યારેય જીવિત રહી શકતું નથી. હિંદુ સમ્રાટ ચંદ્રગુપ્તથી લઈને ક્રાંતિવીર ચંદ્રશેખર સુધીના જ નહીં, પણ તે પહેલાંના અને પછીના અનેક સમ્રાટો, સૈનિકો, ક્રાંતિકારીઓ, દેશભક્તોએ પ્રતિશોધની અગ્નિને એક પળ માટે પણ ઠંડી પડવા દીધી નથી. ભારતના અસ્તિત્વનો નાશ કરવા માંગતા દરેક આક્રાંતાઓના પ્રયાસોને એ જ વીરો અસફળ બનાવી શક્યા છે કે જેમણે પ્રતિશોધના અગ્નિને હંમેશા પ્રજ્વલિત રાખ્યો છે. તેઓએ હંમેશા કહ્યું છે કે “જો કોઈ વિદેશી શત્રુ આપણા રાષ્ટ્રધર્મ પર સશસ્ત્ર આક્રમણ કરે તો તેનો પ્રતિકાર એક પ્રબળ રાજકીય આક્રમણની જેમ જ કરવો જોઈએ. આ યુદ્ધમાં જેવા સાથે તેવા, ક્રૂરની સામે સવાયી ક્રૂરતા, કપટીની સામે સવાયું કપટ અને હિંસાની સામે સવાયી હિંસા અપનાવવી જ ધર્મ છે.”

સાવરકરે સહિષ્ણુતાને આ ધરતીનો સ્વાભાવિક ગુણ માન્યો છે, પણ માતૃભૂમિની ઉદારતાનો અનુચિત લાભ ઉઠાવવો ઘાતક ગણાવ્યો હતો. તેઓએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, હિંદુસ્થાનના હ્રદય સ્થળમાં બધાં જ એકસાથે સહિષ્ણુતાપૂર્વક વ્યવહાર કરવાની પરંપરા ધરાવે છે. પણ તેમાં પ્રલયકારી અગ્નિ પણ સુરક્ષિત છે. જ્યાં સુધી ભગવાન શિવ ધ્યાન મગ્ન રહે છે, ત્યાં સુધી તે હેતુલ્ય શાંત, શીતળ અને ગંભીર છે. પણ જ્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે છે, ત્યારે સંપૂર્ણ બ્રહ્માંડને ભસ્મીભૂત કરવાવાળી જ્વાળા પ્રજ્વલિત થઈ જાય છે.

સાવરકર સાપેક્ષ હિંસાને સદાચાર અને નિરપેક્ષ અહિંસાને અપરાધ માનતા હતા. સાવરકરે ભારતીયોને અત્યાંતિક અહિંસા વિરુદ્ધ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે “અત્યાંતિક વિચારધારાની જડ પૂર્ણ અહિંસા છે. પરંતુ મારા મત પ્રમાણે પૂર્ણ અહિંસા એક ભીષણ પાપ છે. એ અવ્યવહારીક છે. સજ્જનો સાથે સજ્જનતાપૂર્ણ વ્યવહાર પુણ્યકાર્ય છે. પરંતુ દુષ્ટો પ્રત્યે અહિંસાનું પ્રદર્શન પાપ છે. સ્વયં પોતાનું અસ્તિત્વ જાળવવું અને રાષ્ટ્રને જીવિત રાખવું, આપણું કર્તવ્યછે. આ કર્તવ્યની પૂર્તિ માટે જે પણ હિંસા આવશ્યક હશે, તે પુણ્યકારક માનવી જોઈએ. ધાર્મિક ઉપદેશોથી ચોરો નિયંત્રિત થતાં નથી. તેમના માટે દંડ અને બળની આવશ્યકતા રહેલી છે. અત્યાંતિક અહિંસાથી હિંસા પ્રબળતર બની જશે. અત્યાંતિક અહિંસા તત્વનો પ્રચાર કરવાવાળા વ્યક્તિઓને હું મૂર્ખ માનું છું કે દુષ્ટ માનું છું. અત્યાંતિક અહિંસાનો વિચાર કેવળ દુર્બળના મોઢામાં જ શોભે છે.” (અખિલ ભારતીય હિંદુ મહાસભા અધિવેશન- અધ્યક્ષીય ભાષણ, મદુરા, 1940)

આજે નિરપેક્ષ અહિંસાની પૃષ્ઠભૂમિને કારણે અનેક ભ્રાંતિઓનો જન્મ થયો છે. અનેક લોકો અન્યાયના પ્રતિકારને જ અત્યાચાર માનવા લાગ્યા છે. બીજાને અન્યાયપૂર્ણ રીતે પીડા પહોંચાડવી અવશ્ય અત્યાચાર છે, પણ અત્યાચારીનો પ્રતિકાર કરવો તેને અત્યાચાર કદાપિ ગણી શકાય નહીં.

ભારતની સ્વતંત્રતા માટે લડતાં દેશભક્ત ક્રાંતિકારીઓ પર ભટકેલા યુવાનો, આતંકવાદીઓ અને ભાવાવેશમાં વહેતા હોવાનો આરોપ વિદેશીઓએ અને કેટલાંક ભારતીયોએ પણ લગાવ્યો છે! ખુદીરામ બોઝ જેવાં સશસ્ત્ર ક્રાંતિકારીઓને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ વિકૃત મનોવૃતિવાળા ગણાવ્યા હતા. ત્યારે સાવરકરે તેમને જવાબ આપ્યો હતો કે ચાફેકર, ઢીંગરા કે ઉધમસિંહ કે સળગતા વિમાનમાં ભસ્મ થયેલા સુભાષચંદ્ર બોઝનો નામ ઉલ્લેખ કરતાં તેમને (નેહરુને) તેમનો ત્યાગ ગૌણ અને બેકાર લાગશે. માટે જ તેમના નામને ગૌરવ આપવા બાબતે તમે ખચકાટ અનુભવો છો. તમારી આ દ્વેષપૂર્ણ અને અભાગી મહત્વાકાંક્ષા જ વિકૃત મનોવૃતિનું પ્રતિક છે.

ભારતમાતાની સેવા કરવા માટે સાવરકરે અપાર કષ્ટો સહન કર્યા હતા. છતાં તેઓ જરાપણ વિચલિત થયા ન હતા. તેમના મતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ સંઘર્ષ કરી કંઈક મેળવી શકાય છે. કંઈક નિર્માણ કરી શકાય છે. પ્રતિકૂળને સંઘર્ષના માધ્યમથી અનુકૂળ બનાવવાનો આનંદ દ્વિગુણિત હોય છે.

20મી મે, 1952ના દિવસે પુણેમાં અભિનવ ભારતના સમાપન સમારંભમાં સાવરકરે ક્રાંતિકારીઓના સ્વતંત્રતા પ્રયાસોને ઓછો આંકવાનો પ્રયત્ન કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું હતું, “સ્વતંત્રતા પ્રાપ્ત નથી થઈ, સ્વતંત્રતા ક્રાંતિકારીઓના મોટા-મોટા બલિદાનો દ્વારા પ્રાપ્ત કરાઈ છે. એવો પ્રચાર કરવો કે સ્વતંત્રતા પૂર્ણ અહિંસાથી પ્રાપ્ત થઈ છે. તે સર્વથા અવાંછનીય, ખોટું, પક્ષપાતપૂર્ણ અને સશસ્ત્ર ક્રાંતિકારીઓના બલિદાનો પર પાણી ફેરવવાવાળું કામ છે.” સાવરકરે આવો પ્રયત્ન કરનારાઓને કહ્યું છે કે જેમને પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લેવો છે, તે લઈ રહ્યાં છે. પણ જો ક્રાંતિકારીઓ દેશભક્તિની હુંડીઓનો લાભ લેવા માંગતા હોત તો વીર હુતાત્મા મદનલાલ ઢીંગરા, કન્હૈયા કાન્દરે અને ભગતસિંહે ફાંસી પર લટકી ફરીથી પાછા ન ફરી શકાય તેવી સ્વર્ગની ભૂમિમાં પ્રવેશ કરવાનું સાહસ ન કર્યું હોત. જ્યારે એ-ક્લાસની જેલોમાં માખણ, ડબલરોટી અને મોસંબીઓના રસ પીનારા પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લઈ રહેલા દેખાય છે.

આમ ક્રાંતિ એ એવા સત્ય માટેની લડાઈ છે કે જે સત્યને બીજા બધાં અસત્ય મનાતા હોય કે તેને સત્ય કહેવાની હિંમત ધરાવતા ન હોય. પણ તે સત્ય હોવાથી તેને માટે લડતાં રહેવું અને સત્ય સર્વસ્વીકૃત બને તેના માટે પ્રયત્ન કરતાં રહેવું જરૂરી બને છે. ક્રાંતિ માત્ર પરિવર્તનની પ્રક્રીયા નથી. તે પરિવર્તનથી વધારે મોટી પ્રક્રીયા છે. ભારતની સ્વતંત્રતામાં સશસ્ત્ર ક્રાંતિકારીઓનો ફાળો અવગણી શકાય તેમ નથી. ક્રાંતિએ રાષ્ટ્રને જીવંત રાખવા માટે આવશ્યક અને અનિવાર્ય કાર્યો કરતાં રહેવાની પ્રક્રીયા માત્ર છે. આ પ્રક્રીયા અનેક પ્રકારના બલિદાનો દ્વારા જ પૂર્ણ થઈ શકે તેમ છે.

શનિવાર, 9 જુલાઈ, 2011

ગાંધી ચિંધ્યા માર્ગે માત્ર ક્રાંતિની હત્યા શક્ય!


ભારત એક એવો દેશ છે કે જ્યાંથી ક્રાંતિને દેશવટો મળ્યો છે. કારણ માત્ર એટલું છે કે ક્રાંતિની કિંમત ચુકવવામાં આનાકાની અને મોલભાવ થઈ રહ્યાં છે. આ દેશ પરિવર્તન નહીં, પરિવર્તનોની શ્રેણી ઈચ્છી રહ્યો છે, ચાતક પક્ષીની જેમ રાહ જોઈને બેઠો છે. પણ પરિવર્તનોની શ્રેણી લાવનાર ક્રાંતિને આમંત્રણ આપતા ડરે છે. ક્રાંતિ તો તેની કિંમત વસૂલશે, પછી તે કોઈપણ પ્રકારના બલિદાનો હોય-તન, મન, ધન. પણ આના માટે તૈયારી આજના ભારતની નથી. ક્રાંતિથી ડરનારાઓની ટોળીએ ક્રાંતિનો રસ્તો અહિંસા હોવાનું પ્રચારીત કર્યું છે. પરંતુ અહિંસાના કથિત રસ્તા પર ચાલીને ભારતે સત્તાની પદ્ધતિ નહીં, સત્તામાંના લોકોનું પરિવર્તન કરીને ક્રાંતિનો આભાસી સંતોષ માન્યો છે. ક્રાંતિમાં તો બલિદાનોની હેલી લગાવવી પડે છે. પરંતુ તેના માટે ભારતનો સમાજ સહેજ પણ તૈયાર નથી અને સામાજીક-રાજકીય નેતાગીરીનું સમાજને તૈયાર કરવા માટેનું કલેજું પણ નથી. ભારત વિદેશી આક્રમણખોરો સામે શસસ્ત્ર પ્રતિરોધ તો સદીઓથી કરતું રહ્યું છે. પરંતુ દરેક પ્રતિરોધ ક્રાંતિમાં પરિવર્તિત થતો નથી. ક્રાંતિ સમાજના સામુહિક ચિંતનથી બહાર આવેલા વિચારનો પરીપાક છે.

ભારત માટે સૌથી પહેલો નોંધાયેલો અનુભવ 1857નો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. આ સશસ્ત્ર ક્રાંતિએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસની બુનિયાદ હચમચાવી નાખી હતી. જો કે આ સંગ્રામ એક વિપ્લવ બનીને રહી ગયો, કારણ કે તેનાથી અંગ્રેજોની સત્તાથી મુક્તિ મળી શકી નહીં. બસ આ એક નિષ્ફળતાને વાગોળતા વાગોળતા નેતાગીરીએ સશસ્ત્ર પ્રતિરોધ અને તેનાથી ક્રાંતિનો વિચાર માંડી વાળ્યો. જો કે તેમ છતાં વાસુદેવ બલવંત ફડકે, ચાફેકર બંધુઓ, ગદર પાર્ટી, પ્રફુલ્લ ચાકી, મદનલાલ ઢીંગરા, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજ સત્તા સામે પ્રતિરોધ કરીને ક્રાંતિની કોશિશ કરી જોઈ. વિનાયક દામોદર સાવરકરે ક્રાંતિ ધ્વજને બુલંદ બનાવવાની કોશિશ કરી અને ઘણાં ક્રાંતિકારીઓ તથા ક્રાંતિકારી આંદોલનના પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક બની રહ્યાં. જો કે ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે તેઓ પ્રારંભિક સમયમાં જ અંગ્રેજ સરકારની જેલમાં પહોંચી ગયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ ભારત બહાર જઈને સેના બનાવીને ભારતને આઝાદી અપાવવાની કોશિશ કરી હતી. તો ભારતના નૌસૈનિકોએ મુંબઈમાં બળવો કરીને ક્રાંતિની જ્વાળાઓ ભડકાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતમાં ક્રાંતિ અમલમાં આવી શકી નહીં. (જો કે રાષ્ટ્રવાદી લોકોએ ક્રાંતિની પૂજા બંધ કરી, તો દેશદ્રોહીઓ અને નક્સલવાદીઓએ ક્રાંતિના આંચળા નીચે દેશવિરોધી હિંસાનો ખેલ આચર્યો છે અને બધાં ખામોશ છે, ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે કોઈ ઉકેલ સુઝતો નથી. )

આઝાદી પહેલા ક્રાંતિની મશાલો ઉંચકનારા હાથ પર હથોડા મારવાનું કામ અહિંસાના પૂજારી ગણાતા મહાત્મા ગાંધી અને તેમની પાછળ આંધળાની જેમ ફરનારા તેમના અનુયાયીઓએ કર્યું. ક્રાંતિ હંમેશા ઝડપી, સ્પષ્ટ અને ઈચ્છીત પરિણામ આપે છે. છતાં આ રસ્તો અંગ્રેજોના હિતમાં અપનાવવામાં આવ્યો નહીં અને આ રસ્તે જનારા ક્રાંતિકારી દેશભક્તોને આતંકવાદી અને હિંસાના પૂજારી કહીને બદનામ કરવાની કોશિશો આઝાદી પહેલા થઈ હતી. જો કે અત્યારે પણ આવા ક્રાંતિકારીઓને આતંકવાદી કહેવાની ફેશન હજી સમાપ્ત થઈ નથી. ભારતના ગુલામી કાળમાં દુનિયાભરના દેશોમાં ક્રાંતિઓ થઈ. લોકોએ, જે-તે દેશના સમાજોએ ભેગા મળીને સશસ્ત્ર ક્રાંતિઓ કરી. અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, રશિયા, ચીન વગેરે દેશો તેના ઉદાહરણો છે. પણ ભારતમાં ક્રાંતિ જ્વાળાઓને બુઝાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે આ ક્રાંતિ જ્વાળાઓ બુઝાવવામાં ગાંધી અને તેમના આંધળા અનુયાયીઓને કોઈ સફળતા મળી ન હતી. (હા, એટલું સાચું છે કે ક્રાંતિ જ્વાળાઓની આગ ધીમી જરૂર પડી.)

સશસ્ત્ર ક્રાંતિમાં હિંસા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. હિંસાને ખોટી વસ્તુ ગણવામાં આવે છે. પરંતુ હિંસા શું હંમેશા ખોટી વસ્તુ હોય છે? રામ રાવણને મારે, કૃષ્ણ કંસને મારે, અર્જૂન કૌરવ સેનાને મારે, ભીમ દુર્યોધનને મારે, દુર્ગા મહિષાસુરને મારે- તો આવી હિંસાને કેવી રીતે ખોટી ગણવી? હિંસા હંમેશા નિંદનીય કેવી રીતે હોઈ શકે? પરંતુ હિંસા અને મોતના ભયથી ભારતની પ્રજાને આતંકીત કરવાનું કામ ગાંધી અને તેમની ટોળકીએ કર્યું. ક્રાંતિનો રસ્તો રોકી લેવાયો. પરંતુ અહિંસા છતાં ભારતની આઝાદીમાં સેંકડો લોકોના જીવ ગયા અને ભાગલા વખતે દશ લાખ લોકો મુસ્લિમ લીગ દ્વારા પલીતો ચપાયેલા હુલ્લડોમાં 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ થવા દેવામાં આવી હોત, તો આટલી મોટી સંખ્યામાં લોકોની નિર્મમ હત્યા થઈ ન હોત. કદાચ ભારતના ભાગલા પણ પડયા ન હોત!

દેશનું દુર્ભાગ્ય હતું કે સ્વાતંત્ર્યવીર સાવરકરને અંગ્રેજોએ બેવડી જન્મટીપ આપીને કાળાપાણીની સજાએ અંદમાનની સેલ્યુલર જેલમાં બંધ કરી દીધા હતા. તે ગાળા દરમિયાન ક્રાંતિકારી દળને સક્ષમ અને નિરંતર નેતૃત્વ મળ્યું ન હતું. તેમ છતાં ક્રાંતિકારીઓમાં સાવરકરના લેખો અને પુસ્તકો ઘણાં મોટા પ્રમાણમાં લોકપ્રિય બન્યા હતા. સાવરકરે જ જેલમાંથી બહાર નીકળ્યા બાદ હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેના માટે એક જ કારણ જવાબદાર હોઈ શકે કે તે વખતે ભારતનું રાજકારણ હિંદુ અને મુસ્લિમ ખેમામાં વહેંચાઈ ગયું હતું. ત્યારે ભારતને અખંડ રાખી શકે તેવી વિચારધારા સાવરકરને પસંદ કરવાની હતી. અંગ્રેજોની કઠપૂતળી બની ચુકેલી મુસ્લિમ લીગ અને તેની પાછળ ઉભેલા મુસ્લિમ સમાજને તુષ્ટિકરણની નીતિથી પોતાની તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર કોંગ્રેસને જવાબ આપવા માટે સાવરકરે હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હતું. હિંદુઓ કોંગ્રેસ અને ગાંધીજીને પોતાના બેલી માનતા હતા અને મુસ્લિમો મુસ્લિમ લીગ અને જિન્નાની દોરવણી નીચે અલગ પાકિસ્તાનની માગણી કરી રહ્યાં હતા. તો આ સમયે અંગ્રેજો પોતાના રાજકીય અને સામરીક હિતોને ધ્યાનમાં રાખીને તેને ઈંજન પુરું પાડતા હતા. આ પરિસ્થિતિમાં દેશના ભાગલા પડયા. આ દુષ્પરિણામ છે, ક્રાંતિને કેદ કરવાનું. ત્યાર પછીની દુર્ઘટનાઓની હારમાળાથી કોઈ અપરીચિત નથી. આ દુર્ઘટનાઓ ભારતની આઝાદીના છ દશકાઓ બાદ પણ ચાલુ છે.

ક્રાંતિથી ભાગવાની વૃતિએ ભારતીય નેતાગીરીના વિચારોને કુંઠિત કરી નાખ્યા છે. જેના કારણે તેઓ ભારતને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપી શકતા નથી. જો કે તેઓ ભારતને લૂંટવાની અંગ્રેજોની પરંપરા છેલ્લા 64 વર્ષથી ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે! ભ્રષ્ટાચાર, કાળું ધન, મોંઘવારી, આતંકવાદ, ખેડૂતોની ઉપેક્ષા, નક્સલવાદ, ગરીબી, બેરોજગારી, રાજકીય વિચારશૂન્યતા, અનૈતિકતા, ગુનાખોરી વગેરે સમસ્યાઓને સ્વહિત સાધન માટે ઉકેલી રહ્યાં નથી. શું ક્રાંતિનું સરનામું કમ્યુનિસ્ટ જ હોઈ શકે, શું ક્રાંતિ ઈસ્લામિક જ હોઈ શકે, શું ક્રાંતિ યુરોપીયન અને અમેરિકી જ કરી શકે? ક્રાંતિના રસ્તે હિંદુ કેમ ન ચાલી શકે? ભારતને મહાન બનાવવા માટે ક્રાંતિ હાલ અનિવાર્ય છે. પણ તેના માટે ક્રાંતિના નામે થઈ રહેલા તાયફાઓ અને અનશનના નાટકો ક્રાંતિ નથી, તેનાથી કોઈ પરિવર્તન થવાના નથી, માત્ર તાયફાના મુખ્ય કલાકારોને પ્રસિદ્ધિ મળવાની છે.

અન્ના નહીં, આંધી હૈ. આજ કા ગાંધી હૈ-ના સૂત્રો સાંભળીને તમને હસવું નથી આવતું? ભારતમાં ક્રાંતિની હત્યા કરવાનું પાપ જેના માથે છે, તે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને ધરણાં કરીને દેશ બદલવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને આંદોલનો કરીને દેશમાં માત્ર તાયફા, નાટકો અને સ્વહિતસાધના જ થઈ છે. જો ગાંધી ચિંધ્યા માર્ગે કંઈપણ થઈ શકે, તો તે ક્રાંતિની હત્યા થઈ શકે છે. ક્રાંતિને જીવિત કરવાની જો જરાપણ ઈચ્છા હોય, તો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિંધેલા માર્ગને પણ જોઈ લેવાની, તપાસી લેવાની અને અનુસરી લેવાની જરૂર છે. આજે દેશનું નૈતિક બળ ભ્રષ્ટ નેતાગીરીને કારણે રસાતળે પહોંચ્યું છે. ત્યારે ખરેખર દેશને જરૂર છે, ક્રાંતિ સાધકોની. પણ ક્રાંતિ ઘણી કઠોર હોય છે, પણ તેની કઠોરતાથી ડરીને તેનાથી ભાગવાની વૃતિ દેશનું ઘણું અહિત કરી રહી છે અને કરશે. સાવરકરનું ક્રાંતિ દર્શન હજીપણ સેલ્યુલર જેલમાં કાળાપાણીએ છે. આ ક્રાંતિના દર્શનને કાળાપાણીથી ફરી દેશની મુખ્યધારામાં લાવવું જોઈએ.

શુક્રવાર, 27 મે, 2011

ભગતસિંહ : ‘થોભો,એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે’

>અંતિમ સમયે ઈશ્વરને યાદ કરીશ, તો તે બુજદિલ માનશે

ભગતસિંહ શું એક વ્યક્તિ હતા? જો ભગતસિંહ એક વ્યક્તિ હતા, તો તેને અંગ્રેજી હૂકુમતે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. પરંતુ ભગતસિંહ માત્ર એક વ્યક્તિ ન હતા, તેઓ એક એવી વિચારસરણી બની ગયા હતા કે જેને આજે પણ ભારતના યુવાનો આદર્શ તરીકે માને છે. ભગતસિંહ એક વ્યક્તિ કરતાં એક વિચાર અને તેથી વધારે એક વિચારધારા વધારે હતા. અંગ્રેજોએ બહુ મોટી ભૂલ કરી કે તેઓ વ્યક્તિને મારી શક્યા, તેમના વિચારો આજે પણ જીવંત છે. માટે જ માણસને મારી શકાય છે, તેના વિચાર, તેની સારાસ, તેની નિર્ભયતા, તેના કામને ક્યારેય મારી શકાતું નથી.

ફાંસી પહેલાની શહીદ-એ-આઝમ ભગતસિંહની અંતિમ ક્ષણો પરના વિવરણો દર્શાવે છે કે આ માણસના વિચારો જેટલા નિડર હતા, ક્રાંતિકારી કાર્યોમાં જેટલાં બહાદૂર હતા, તેઓ તેટલી જ નિર્ભયતા સાથે મા ભારતીની આઝાદી માટે ફાંસીના માંચડે ચઢયા હતા. આ હુતાત્માએ પોતાના જીવનનું એક બહુ મોટા દેશકાર્ય માટે બલિદાન કર્યું હતું.

લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહે જણાવ્યું હતું કે 23 માર્ચ, 1931ની સાંજે ત્રણ વાગ્યે જ્યારે તેમને ફાંસીની ખબર પડી, તો તેઓ ભગતસિંહ પાસે ગયા અને કહ્યું કે “મારી માત્ર એક પ્રાર્થના છે કે અંતિમ સમયમાં વાહે ગુરુનું નામ લઈ લો અને ગુરુવાણીનો પાઠ કરી લો.”

નિર્ભય અને બહાદૂર સરદાર ભગતસિંહે જોરથી હસીને કહ્યું હતું કે “તમારા પ્રેમનો શુક્રગુજાર છું. પરંતુ હવે જ્યારે અંતિમ સમય આવ્યો. હું ઈશ્વરને યાદ કરી, તો તે કહેશે કે હું બુજદિલ છું. આખી જીંદગી તો તેને યાદ કર્યો નથી અને હવે મોત સામે નજરે પડવા લાગ્યું છે, તો ઈશ્વરને યાદ કરવા લાગું. માટે એ જ સારું હશે કે મે જે પ્રકારે પહેલા પોતાનું જીવન જીવ્યું છે, તેવી જ રીતે મારો અંતિમ સમય પણ ગુજારું. મારા ઉપર તો ઘણાં આરોપ લાગવાશે કે ભગત સિંહ નાસ્તિક હતા અને તેમણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો નથી, પરંતુ એ આરોપ તો કોઈ નહીં લગાવે કે ભગતસિંહ કાયર અને બેઈમાન પણ હતો અને અંતિમ સમયમાં તેના પગ લથડવા લાગ્યા હતા.” (ભગતસિંહ-પ્રો. દીદારસિંહ, પૃષ્ઠ ક્રમાંક-346)

ભગતસિંહે લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહને આપેલા જવાબમાં અહંકારનો એકપણ છાંટો ન હતો, પણ પોતાને કોઈ કાયર-બેઈમાન ન ગણાવી જાય તેની સતર્કતા હતા. આધુનિક ભારતના ઈતિહાસમાં મોતને આટલી નિર્ભયતાથી મળનારા માણસોના કિસ્સાઓમાં શહીદે આઝમ ભગત સિંહની ફાંસી પહેલાની અંતિમ પળો સૌથી વધારે યાદગાર રહી છે.

>`થોભો, એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે`

ભગતસિંહને અંતિમ દિવસે મળનારાઓમાં તેમના સલાહકાર વકીલ પ્રાણનાથ મેહતા હતા. એક દિવસ પહેલા ભગતસિંહે તેમની પાસે લેનિનની આત્મકથા માંગી હતી. માટે અંતિમ દિવસે મેહતાજી ભગતસિંહને લેનિનની આત્મકથા આપી ગયા હતા.

આખરી ક્ષણો સુધી તેઓ ખૂબ નિષ્ઠા અને એકાગ્રચિતથી લેનિનની જીવનકથા વાંચી રહ્યાં હતા. જ્યારે જેલના કર્મચારી તેમને લેવા માટે આવ્યા, તો તેમણે કહ્યું હતું કે ‘થોભો એક ક્રાંતિકારીના બીજા ક્રાંતિકારીને મળવામાં અડચણ ન નાખો.’ ભગતસિંહે ફાંસીની સૂચના આપનારા અધિકારીને કહ્યું હતું કે થોભો એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે. જો કે ત્યાર બાદ એક મિનિટ બાદ પુસ્તક છત તરફ ઉછાળીને તેમણે કહ્યું હતું કે ‘ચાલો.’ ભગતસિંહ સાથે તેમના બે નજીકના સાથીદારો સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી.

ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ગીત ગાઈ રહ્યાં હતા કે

દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત,
મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આયેગી


23 માર્ચ, 1931ના રોજ સાંજે લગભગ 7-33 વાગ્યે ભગતસિંહ અને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુને ફાંસીના માંચડે ચઢાવીને સરકારે તેમને શ્વાસ લેવાનો અધિકાર છીનવીને પોતાની પ્રતિહિંસાની તરસ છીપાવી લીધી હતી. અન્યાય અને શોષણ વિરુદ્ધ વિદ્રોહ કરનારા ત્રણેય તરુણોની જીંદગીઓ જલ્લાદે ફાંસીના ફંદામાં સમાપ્ત કરી નાખી.

>ફાંસી પહેલાં અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધન

ફાંસીના તખ્તા પર ચઢતી વખતે સરદાર ભગતસિંહે અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધિત કરીને કહ્યું હતું કે ‘મેજીસ્ટ્રેટ મહોદય તમે હકીકતમાં મોટા ભાગ્યશાળી છો, કારણ કે તમને આ જોવાનો અવસર પ્રાપ્ત થયો છે કે એક ભારતીય ક્રાંતિકારી પોતાના મહાન આદર્શ માટે કેવી રીતે હસતાં-હસતાં મૃત્યુને ભેટે છે.’

ફાંસીની સજા ભોગવતા પહેલા પોતાના ભાઈના નામે પોતાના આખરી પત્રમાં ભગતસિંહે લખ્યું હતું કે ‘મારા જીવનનું અવસાન નજીક છે, પ્રાત: કાલીન પ્રદીપ ઝગમગતો, મારા જીવન-પ્રદીપ ભારતના પ્રકાશમાં વિલીન થઈ જશે. આપણો આદર્શ, આપણાં વિચાર આખા સંસારમાં જાગૃતિ પેદા કરી દેશે. પછી જો આ મુઠ્ઠીભર રાખ વિનિષ્ટ થઈ જાય, તો તેનાથી સંસારનું શું બનશે કે બગડશે?’

જેમ જેમ ભગતસિંહનો અંત નજીક આવવા લાગ્યો તેમ દેશ તથા મહેનતકશ જનતાના ઉજ્જવળ ભવિષ્યમાં તેમની આસ્થા વધારે ઘેરી થતી ગઈ. મૃત્યુ પહેલા સરકારના નામ પર લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે ‘અતિ શીઘ્ર અંતિમ સંઘર્ષના આરંભની દુંદુભિ વાગશે. તેનું પરિણામ નિર્ણાયક હશે. સામ્રાજ્યવાદ અને મૂડીવાદ પોતાની અંતિમ ઘડીઓ ગણી રહ્યાં છે. અમે તેની વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લીધો હતો અને અમને તેના માટે ગર્વ છે.’

>ગાંધીજી સામે કાળા ઝંડા ફરક્યા

ભારતમાતાના ત્રણ સપૂતો-ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એક સાથે ફાંસી આપ્યા બાદ અંગ્રેજોને આંદોલન ભડકી ઉઠવાનો ડર હતો. તેના કારણે જાલિમ અંગ્રેજોએ ત્રણેયના મૃત શરીરના ટુકડા કર્યા અને તેને બોરીઓમાં ભરીને ફિરોઝપુર તરફ લઈ ગયા. અહીં તેમના મૃત શરીરોના અવશેષોને ઘીના બદલે કેરોસિનથી બાળવા લાગ્યા. ગામના લોકોએ આગ જોઈ તો તેઓ તેની નજીક ગયા. તેનાથી ડરીને અંગ્રેજો શહીદોની લાશોના અડધા બળેલા ટુકડાઓને સતલજ નદીમાં ફેંકીને ભાગી ગયા. જો કે ગામના લોકોએ શહીદોની મોતનો મલાજો રાખીને તેમના મૃત દેહાવશેષો એકત્રિત કરીને તેનો વિધિવત દાહસંસ્કાર કર્યો. ભગતસિંહ મૃત્યુ સુધી એક વ્યક્તિ હતા, પરંતુ મૃત્યુ બાદ તત્કાલિન યુવા માનસમાં એક વિચારનું સ્વરૂપ લઈ ચુક્યા હતા. આજે પણ ભગતસિંહના વિચારોને ભારતના અનેક યુવાનો આદર્શ માની રહ્યાં છે. ભગતસિંહ લોકોના હ્રદયમાં અમર થઈ ગયા.

આ ઘટનાક્રમ બાદ અંગ્રેજો સાથે ગાંધીજીને પણ લોકો શહીદ ભગતસિંહના મોત માટે જવાબદાર સમજવા લાગ્યા હતા. તેના કારણે જ્યારે ગાંધીજી કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા, તો લોકોએ કાળા ઝંડાઓથી ગાંધીજીનું સ્વાગત કર્યું હતું. કોઈક જગ્યાએ ગાંધીજી સાથે ઉગ્ર વર્તન પણ થયું.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે વ્યક્તિને મારવો સરળ છે, પરંતુ તેના વિચાર અને તેણે આપેલી વિચારધારા ખતમ કરવી ઘણી અઘરી છે? આજના ભારત માટે ભગતસિંહના વિચારો અને તેમના જેવી નીડરતા કેટલી પ્રાસંગિક છે? શું ભગતસિંહે જોયેલા સપનાંઓ પૂરાં કરવાની શક્તિ ભારતનો યુવાવર્ગ ધરાવે છે? ભારતનો યુવાવર્ગ કોઈ સબળ નેતૃત્વ નીચે ભારતને તેના સર્વોચ્ચ સમૃદ્ધિના શિખરે લઈ જવામાં કામિયાબ રહેશે? તમારો અભિપ્રાય શહીદે આઝમ ભગતસિંહ તરફ કૃતજ્ઞતા અને સમ્માન દર્શાવીને નીચેના કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.