લેબલ સાવરકર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સાવરકર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 23 જૂન, 2012

હિંદુત્વ: સાવરકર, સંઘ અને મોદી

-આનંદ શુક્લ

હિંદુત્વ ફરીથી ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નીતીશ કુમારને જવાબ આપતા કહ્યુ છે કે ભારતના વડાપ્રધાન હિંદુત્વવાદી નેતા કેમ બની શકે નહીં? નીતીશ કુમારે ઈકોનોમિક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યુ હતુ કે એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર ધર્મનિરપેક્ષ છબી ધરાવતા હોવા જોઈએ. નીતીશ કુમારનો સ્પષ્ટ ઈશારો તેમના રાજકીય પ્રતિસ્પર્ધી નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદ માટેની મહત્વકાંક્ષામાં અડચણ ઉભી કરવાનો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીની લોકછબી હિંદુત્વવાદી છે. 2002ના ગુજરાત રમખાણોને કારણે તેમની છબીને કોમવાદી પણ ગણવામાં આવી છે. અવાર-નવાર ભાજપની અંદરના અને બહારના રાજકીય નેતાઓ દ્વારા મોદીની કોમવાદી છબીને ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોદીને ગુજરાત સુધી સીમિત રાખવામાં 2002ના રમખાણોના કલંકિત પૃષ્ઠોનો ઉપયોગ કરવામાં આવે છે. મોદીને મુસ્લિમ વિરોધી હિંદુત્વવાદી નેતા તરીકે પ્રચારીત કરવામાં આવે છે.

પરંતુ જ્યાં સુધી હિંદુત્વનો સવાલ છે, તે કોઈની પ્રતિક્રિયામાં ઉભી થયેલી વિચારધારા નથી. સનાતન સંસ્કૃતિના ગર્ભમાંથી દેશની ઓળખ અને અસ્તિત્વ માટે ઉભી થયેલી વિચારધારા હિંદુત્વ છે. હિંદુત્વ કોઈ ઉપાસના પદ્ધતિ અથવા પંથની ઓળખ સુધી સીમિત નથી. તેમાં ભારતની બહુમતી હિંદુ પ્રજાના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક જેવાં તમામ પાસાંઓનો સમાવેશ કરતા ભાવ અને લાગણીઓનું નામ હિંદુત્વ છે. હિંદુત્વની વિચારધારાનું ઉદ્ગમસ્થાન વેદ, વેદાંત, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા, ઉપનિષદો અને પુરાણ છે. શિવ, રામ, કૃષ્ણ તેના આદ્યદેવો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત, પૃથ્વીરાજ ચૌહાણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ,મહારાજા રણજીતસિંહ, મહારાષ્ટ્રની પેશ્વાઈ તમામ હિંદુત્વની અવિરત વિચારધારામાં આવેલા ઘાટ છે.

હિંદુત્વની વિચારધારાને સૌથી પહેલી આધુનિક ઓળખ વિનાયક દામોદર સાવરકરે 1923માં આપી. વીર સાવરકર તરીકે ઓળખાતા વી. ડી. સાવરકરે પોતાના જેલમાંથી લખાયેલા હિંદુત્વ નામના પુસ્તકમાં હિંદુની વ્યાખ્યા સ્પષ્ટ કરીને હિંદુત્વની વિચારધારા લોકો સામે મૂકી. હિંદુ નામ ભારતીયોને 8મી સદીની આસપાસ મળ્યું. ઈરાની અને અરબી લોકોએ સિંધુ પાર રહેતા લોકોને શબ્દ ઉચ્ચારણની મર્યાદાને કારણે આપણને હિંદુ તરીકે ઓળખ્યા. મોટાભાગે નામ પારકા પાડતા હોય છે. પરંતુ આ નામ આપણી ઓળખ બની જાય છે. હિંદુ શબ્દોના કેટલીક ઉર્દૂ ડિક્શનેરીમાં ઉતરતા અર્થો કરવામાં આવ્યા છે. તેમ છતા આપણે ભારતના સનાતન ધર્મીઓએ હિંદુ શબ્દને આપણી ઓળખ અને અસ્તિત્વ માટે ગૌરવથી માથે ઓઢી રાખ્યો છે. વીર સાવરકરની હિંદુની વ્યાખ્યા પ્રમાણે, ભારતને પિતૃભૂમિ અને પુણ્યભૂમિ માનનારા તમામ લોકો હિંદુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્યસંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર સાવરકરની હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યા સાથે સંપૂર્ણપણે સહમત હતા. 1923માં હિંદુત્વ પુસ્તકની નકલ જેલમાંથી બહાર આવી, ત્યારે તેને હેડગેવારે લોકોમાં ગુપ્તરાહે પ્રચારીત પણ કરી હતી. જો કે 1925થી સંઘની યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યામાં ઘણી નરમાશ આવી ગઈ છે. સાવરકર જેવી ધારદાર વાત હવે આરએસએસની વ્યાખ્યાઓમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે આસિન થયા બાદ મોહન ભાગવતે ખુદ કહ્યુ છે કે જે લોકો પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને જેને આપણે હિંદુ તરીકે ઓળખીએ છીએ તે તમામ હિંદુ છે. હિંદુની વ્યાખ્યાનું સરળીકરણ થયું. હિંદુમાં ભારતીય મૂળના ન હોય તેવા ધર્મના અનુયાયીઓને પણ હિંદુ માનવા માટેના તર્કો દાખલ કરવામાં આવ્યા. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા સાવરકરની મૂળ હિંદુત્વની વિચારધારા કરતા ઘણી નરમ બની ગઈ છે.

સંઘને નખશિખ હિંદુત્વવાદી ગણવામાં આવે છે. પરંતુ જે હિંદુત્વના વિચારની ધારાની ઓળખ સાવરકરે કરી હતી તેનાથી તે હવે યોજનો દૂર પહોંચી ગઈ છે. સંઘ દ્વારા રાષ્ટ્રવાદી મુસ્લિમ મંચ પણ બનાવવામાં આવ્યો છે. મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પોતાની સાથે હોવાની વાત પણ હિંદુત્વની વિચારધારાના ઝંડાધારીઓ અવાર-નવાર કરતા રહે છે. સેક્યુલર વિચારધારાના આક્રમણોમાં સંઘનું હિંદુત્વ કોકટેલ બની ગયું છે. તેના પર સેક્યુલર પ્રભાવ સ્પષ્ટ જોવામાં આવે છે. સંઘના કેટલાંક વિચારકોના મતે, ભારતમાં રહેનારા દરેક લોકો હિંદુ છે, જેમાં મુસ્લિમ અને ખ્રિસ્તી પંથના લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે, એવું લાગ્યા વગર રહે નહીં કે તેઓ કેટલાંક પ્રચલિત શબ્દોના સ્થાને હિંદુ શબ્દનો ઉપયોગ માત્ર કરવા માંગે છે. આમ હિંદુત્વનો મૂળ સાવરકર દ્વારા ઓળખ પામેલો વિચાર સંઘના વિચારકોએ તબક્કાવાર નરમ કરી દીધો છે. કેટલાંક સંઘ વિચારકોના મતે સાવરકર પ્રવર્તમાન ભારતમાં પ્રસ્તુત નથી. તેમને સાવરકરના નામ અને વિચારોની એલર્જી પણ છે.

જ્યારે હિંદુત્વના વિચારોને વિચારધારાત્મક સંગઠનોની બહાર રહેલા લોકો એક સંકુચિત ધાર્મિક વિચાર માત્ર ગણે છે. હિંદુત્વવાદી એટલે કટ્ટર ધાર્મિક, મુસ્લિમ-ખ્રિસ્તી વિરોધી, કોમવાદી, હુલ્લડખોર. દેશમાં રામજન્મભૂમિ આંદોલન અને બાબરી ધ્વંસ બાદ હિંદુત્વવાદીની આવી છબીને કોંગ્રેસી અને તથાકથિત સેક્યુલર રાજકારણીઓએ મીડિયાની મદદથી વધારે દ્રઢ બનાવી. તેમાં 2002ની ગોધરકાંડની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણોને પણ હિંદુત્વની વિચારધારા સાથે જોડવામાં આવ્યા. જો કે હકીકત એવી છે કે દેશમાં થતા હુલ્લડોને હિંદુત્વના વિચાર સાથે ક્યારેય કોઈ સંબંધ રહ્યો નથી. આ દેશમાં કોમી રમખાણોનો એક ઘણો મોટો અને વિકરાળ ઈતિહાસ રહેલો છે. આ ઈતિહાસ સાવરકરના પુસ્તક હિંદુત્વના પ્રકાશન પહેલાથી ચાલ્યો આવે છે. હિંદુત્વવાદી ગણાતી સરકારોના કાર્યકાળ કરતા વધારે રમખાણો પોતાને સેક્યુલર કહેવડાવતી કોંગ્રેસના કાર્યકાળમાં થયા છે. એટલે કે હિંદુત્વના વિચાર અને કોમી રમખાણોને કોઈ લેવાદેવા નથી. કોમી રમખાણો માટે તુષ્ટિકરણની સરકારી નીતિ હંમેશા કારણભૂત રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હિંદુત્વના સાચા અર્થને જાણતા નથી. તેમના મતે હિંદુત્વ કોમવાદી, સંકુચિત, મુસ્લિમ વિરોધી વિચાર છે.

પરંતુ તથાકથિત ધર્મનિરપેક્ષો અહીં ગોથું ખાઈ જાય છે. હિંદુત્વ આ દેશનો આત્મા છે. આ દેશના સમાજજીવનમાંથી હિંદુવિચારને બહાર કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ જ બચતું નથી. આ દેશની ઉદારતાનું પણ એક મોટું કારણ અહીંની હિંદુ બહુમતી છે. દેશના ભાગલા પડયા અને પાકિસ્તાન-બાંગ્લાદેશ નામના બે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓની હાલત અત્યંત કફોડી છે. જેના માટે સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારી ઈસ્લામિક વિચારધારા છે. જ્યારે હિંદુ બહુમતી ધરાવતા ધર્મનિરપેક્ષ ભારતમાં મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ સેક્યુલરવાદના નામે પૂરજોર ચાલી રહી છે. આને હિંદુઓની ઉદારતા કરતાં તેમની કમજોરી અને નાસમજ ગણવી વધારે યોગ્ય છે. પોતાના હક છોડવાએ ઉદારતા નથી, પરંતુ અસ્તિત્વ અને ઓળખ સામેનું મહાસંકટ છે. ભારતમાં હિંદુઓએ પોતાના આર્થિક, શૈક્ષણિક, રોજી-રોટીના હકો તથાકથિત સેક્યુલર રાજનીતિમાં છોડી દીધા છે અથવા છોડવા માટે મજબૂર બનવું પડયું છે. હવે રાજકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર પણ મુસ્લિમ અને ખ્રિસ્તી તરફી રાજકારણીઓની નજર છે. હિંદુઓ પોતાના હક છોડે તે ઉદારતા નથી. ઉદારતા એને કહેવાય કે પોતાના હક જાળવીને બીજાના અધિકારો પર તરાપ ન મારવી. જો કે મુસ્લિમ-ખ્રિસ્તીના અધિકારો જાળવવા માટે ભારતની સરકારો હિંદુઓના અધિકારો પર તરાપ મારતી હંમેશા નજરે પડી છે. હિંદુત્વ આ દેશની જીવનપદ્ધતિ હોવાની વાત ખુદ ભારતની સુપ્રીમ કોર્ટે કહી છે. જીવનપદ્ધતિ હંમેશા પંથનિરપેક્ષ હોય છે. જીવનપદ્ધતિ કોમવાદી ને સંકુચિત હોતી નથી. જીવનપદ્ધતિ કોઈના વિરોધમાં ઉભી થતી નથી. માટે હિંદુત્વની જીવનપદ્ધતિ મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી નથી.

પરંતુ હવે સવાલ એ છે કે મોદી ઉપરોક્ત ક્યાં ત્રણ પ્રકારના હિંદુત્વમાંથી ક્યાં પ્રવાહને અનુસરી રહ્યા છે? મોદીનું હિંદુત્વ મૂળ સનાતની વિચાર પર રચાયેલું સાવરકરનું હિંદુત્વ છે કે સંઘનું નરમ કરી દેવાયેલું હિંદુત્વ છે અથવા હિંદુત્વ એટલે કોમવાદી એવી છાપ ધરાવતું હિંદુત્વ છે? હિંદુત્વની વિચારધારામાં ગોહત્યા ઘણો મોટો મોટો મુદ્દો રહ્યો છે. ગુજરાતમાં થોડા સમય પહેલા ગોહત્યાઓનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. જો ગુજરાતમાં ગોહત્યાઓ થતી હોય, તો મોદીના શાસનને હિંદુત્વવાદી કેવી રીતે ગણવું? ગુજરાતમાં 250 જેટલા મંદિરો મોદી સરકારે તોડાવી નખાવ્યા. મોદીને વીએચપીના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે ગઝની સાથે સરખાવ્યા. નિરીક્ષક નામના વિચારપત્રમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથેની વ્યક્તિગત ચર્ચાને ટાંકીને લખ્યુ છે કે મોદીના શાસનમાં સૌથી વધારે હિંદુ મંદિરો તૂટયા, છતાં મોદીને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. ગુજરાતામાં મુસ્લિમ ધાર્મિક સ્થાનોને આ સરકારે ઉની આંચ પણ આવવા દીધી નથી. ગુજરાતમાં હિંદુઓ સુખી હોય કે ન હોય પણ સચ્ચર કમિટીના રિપોર્ટના આધારે રાજ્યના મુસ્લિમો દેશમાં સૌથી વધારે સુખી હોવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. હિંદુ તીર્થસ્થાનોની યાત્રામાં ક્વોટા સંદર્ભે મોદી સરકાર ચિંતિત નથી, તેટલી ચિંતિત હજયાત્રાના ક્વોટા માટે ચિંતિત છે. ભારતમાં ક્રિકેટ જોવા આવતા પાકિસ્તાનીઓને અજમેરની યાત્રા કરાવવાની ભાવના ગુજરાતના હિંદુત્વવાદી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. રાજ્યમાં ગોચરની જમીનો ખતમ કરવા માટે પણ મોદી સરકાર સૌથી વધારે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જમીન સંદર્ભેના રાજ્યસ્તરના રેકોર્ડો 2006-07 બાદ હજીસુધી ઉપલબ્ધ નથી. જેના લીધે ખેતીલાયક, બિનખેતીલાયક, વન્ય અને ગોચરની જમીનના આંકડા હાલ અધ્ધરતાલ જ છે.

આમ જોવો તો મોદીનું હિંદુત્વ માત્ર ગુજરાતની ગાદી પર પહોંચીને ટકવા માટેનું તકવાદી હિંદુત્વ છે. ગાંધીનગરથી દિલ્હી જવામાં હિંદુત્વ નડતું હોવાથી મોદીએ સદભાવના મિશન કરીને પોતાની સેક્યુલર છબી બનાવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ તેમા તેઓ નિષ્ફળ ગયા છે. નીતીશ કુમાર સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓએ મોદીના સેક્યુલર ગિલેટને નકારી કાઢયો છે. હાલ એનડીએ તૂટવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેડીયૂ ધર્મનિરપેક્ષતાના મુદ્દે સમજૂતી કરવાના મૂડમાં નથી. એટલે કે ભાજપ મોદી સાથે આગળ વધશે તો તેમને જેડીયૂનો સેક્યુલર સાથ મળશે નહીં. તેવા સંજોગોમાં એનડીએમાં ભાજપ, શિવસેના અને અકાલીદળ એમ ત્રણ પક્ષો જ બચશે. ભાજપ ફરીથી 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીને આગળ કરીને હિંદુત્વનો વંટોળ જગાવવાની કોશિશ કરી શકે છે. પરંતુ તેમાં તેમને ફરી વખત જનતાને છેતરવામાં સફળતા મળશે કે કેમ તેના વિશે વિશ્લેષકોને શંકા છે. હાલ હિંદુત્વનું દોઢ દાયકા પહેલા ઉઠેલું મોજું શાંત છે. એવી કોઈ હિંદુત્વની લહેર નથી કે લોકો ફરીથી આંદોલિત થાય. તેમ છતાં ભાજપ મોદીને આગળ કરીને હિંદુત્વના મુદ્દે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે, તો ત્યાર પછી તેમને ગઠબંધન બનાવતી વખતે હિંદુત્વના મુદ્દા કોરાણે જ મૂકવા પડશે. તેવા સંજોગોમાં ભાજપ ફરી એક વખત જનતાની ભાવનાને છેહ આપશે.

રવિવાર, 16 ઑક્ટોબર, 2011

મંઝિલે પહોંચવાનો રસ્તો, આપણે ચાલીએ તે!


-આનંદ શુક્લ

જીવન કે પથ પર જો તુમ ડટે રહે,
શામ-એ-ઉમ્ર ઉતની હી હસીં હો જાએગી.
નામ હોગા સ્વત્ હી ઈસ જગત મે,
કામ જો હોગા નૈતિકતા ભરા


શિવાજી આદિલશાહી અને મુગલશાહી સામે અવિરત સંઘર્ષ કરી રહ્યા હતા. તેમના હિંદુ પદપાદશાહી અને સ્વરાજ સ્થાપનાના મિશનમાં સિંહગઢની જીતનો ફાળો અત્યંત મહત્વનો છે. પણ સિંહગઢની જીત અપાવનાર તેમના વીર સેનાપતિ તાનાજીને ભૂલી શકાય તેમ નથી. સિંહગઢનો કિલ્લો દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલો છે. આ કિલ્લા પર શિવાજીના સેનાપતિ તાનાજીએ મરાઠા સૈનિકો સાથે હલ્લો કર્યો. પરંતુ જે રસ્તેથી હુમલો કરવાનો હતો, તેના પર કિલ્લેદારના સૈનિકોનો જાપ્તો હતો. મરાઠાવીરોને માર્ગ દેખાતો ન હતો. ત્યારે કિલ્લેદાર વિચારે નહીં, તેવા રસ્તે હુમલો કરવાનું તાનાજીએ વિચાર્યું. તેમણે પાટલા ઘોને દુર્ગમ સીધી-સપાટ પહાડીવાળા કિલ્લાના કિનારેથી ગઢના કાંગરે ફેંકી. તાનાજી અને મરાઠા સૈનિકો સિંહગઢના કિલ્લામાં દાખલ થયા. ખૂબ વીરતાપૂર્વક લડીને તેમણે સિંહગઢ શિવાજીને ભેટ આપ્યો. આ યુદ્ધમાં ચાલીએ તે રસ્તોની જીવન ફિલસૂફીવાળા સેનાપતિ તાનાજીને ઘણી મોટી સફળતા મળી. તેઓ પોતાના રસ્તે ચાલીને વિજયશ્રીને પામ્યા. પરંતુ યુદ્ધમાં તેઓ વીરગતિ પામ્યા. તાનાજીની વીરતાને છત્રપતિ બનવા તરફ આગળ વધી રહેલા વીર શિવાજીએ લાખ લાખ વંદન કર્યા. પોતાનો રસ્તો બનાવીને તેના પર ચાલવાની હિંમત ધરાવતા પોતાના એક વીર સેનાપતિને શ્રદ્ધાંજલિ આપતાં શિવાજીએ કહ્યું હતું કે ગઢ આલા, પર સિંહ ગેલા. (ગઢ આવ્યો, પણ સિંહ ગયો.)

જીવન પથ કઠિન હોવાનું ઘણાં ફિલસૂફો માને છે. ઘણાં લોકોએ તે અનુભવ્યું છે. જીવન પથ પર ચાલીને કોઈ મંઝિલે પહોંચવું ખરેખર સિંહગઢ જીતવા જેવું છે. જીવનનો સિંહગઢ જીતતા જીતતા મોટાભાગે સિંહ વીરગતિને પામે છે. પરંતુ એવા કેટલાંક સિંહ પણ છે કે જે પોતે નક્કી કરેલા રસ્તા પર ચાલીને નક્કી કરેલી મંઝિલ મેળવીને જીવનનો સિંહગઢ જીતી લે છે. જીવન પથની દુર્ગમતા અને કઠિણાઈ એટલી છે કે તેના પર અડચણો, મુસીબતો અને મુશ્કેલીઓના હજારો ઝાંખરાં આવતા રહે છે. પરંતુ મુશ્કેલી, અડચણોના ઝાંખરાંથી ગભરાઈને વ્યક્તિ પોતાના જીવન પથનો માર્ગ છોડી દે છે, તે જીવનભર માર્ગ બદલતો રહે છે. જીવન પથ અનેક વળાંકોવાળો છે. આ વળાંક આવનારા પ્રલોભનોના છે. માણસને જીવન પથ પરથી ભટાકવા માટે તેનો ઘણો મોટો ફાળો છે.

મુશ્કેલી, અડચણોના ઝાંખરાં અને પ્રલોભનોના વળાંકો માણસનો જીવન પથ બદલી શકે છે, તેને જીવન પથ પરથી ઉથલાવી શકે છે. મોટાભાગના માણસો પોતાના જીવન પથને બદલી પણ નાખતાં હોય છે. પરંતુ જે વ્યક્તિમાં કંઈક અસામાન્ય છે, તે પોતાના જીવન પથ પર પોતે બનાવેલા રસ્તા પર ચાલવાની દ્રઢઈચ્છાશક્તિથી આગળ વધશે, તે પોતાનો માર્ગ છોડશે નહીં. આવા વ્યક્તિઓને આજે દુનિયા મહાપુરુષ તરીકે ઓળખે છે અને આવનારા દિવસોમાં પણ આવી રીતે ચાલનારા માણસોને દુનિયા મહાપુરુષ જ કહેશે.

સ્વાતંત્ર્યવીર સાવરકરનું સમગ્ર જીવન રાષ્ટ્રનિષ્ઠાથી પરિપૂર્ણ રહ્યું. અનેક સંઘર્ષ, અનેક વર્ષોની જેલ, અનેક લોકોનો વિરોધ, અનેક લોકોની ઉપેક્ષા, અનેક લોકોના અનાદર છતાં સાવરકર પોતે નક્કી કરેલા જીવન પથ પર હિમાલયની જેમ અડગ અને અટલ રહ્યાં. રાષ્ટ્રવાદને લક્ષ્ય બનાવીને તેમણે ભારતના ભાગ્યમાં ઘણો મોટો ભાગ ભજવ્યો. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રેલવેના ડબ્બામાંથી કડકડતી ઠંડીમાં અંગ્રેજ દ્વારા ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીજીએ રંગભેદી અંગ્રેજને નહીં, ઝુકવાનો પોતાનો માર્ગ બનાવ્યો. ચાલીએ તે રસ્તાની ફિલોસોફી પર મહાત્મા ગાંધી પણ ચાલ્યા. ભારતની આઝાદીમાં સિંહફાળો આપનારા ગાંધીજીને ભારતે રાષ્ટ્રપિતાનું બહુમાન પણ આપ્યું. સરદાર ઉધમસિંહ 1919ના જલિયાંવાલા બાગના હત્યાકાંડને જોઈને ક્રાંતિના માર્ગે ચાલીને પોતાનો રસ્તો બનાવ્યો. ઘટનાના ઘણાં વર્ષો બાદ તેમણે લંડનમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડના ગુનેગાર એવા અંગ્રેજ અમલદારને મોતને ઘાટ ઉતારીને બદલો લીધો. ભારતના ઈતિહાસમાં, દુનિયાના ઈતિહાસમાં ચાલીએ તે રસ્તો બનાવનારા, પોતાની નક્કી કરેલી મંઝિલને પામવાનો રસ્તો બનાવનારા અનેક ઉદાહરણો છે. આવા મહાપુરુષો, આવા અતિમાનવોના જીવનમાં અનેક અડચણો હતી, અનેક મુશ્કેલી હતી, મુસીબતો મહામારીની જેમ જોડાયેલી હતી. કદાચ તેમના જીવનમાં પ્રલોભનો પણ સ્વાભાવિકપણે માર્ગમાં આવતાં વળાંકની જેમ આવતા હશે. પરંતુ આવા લોકો ચાલીએ તે રસ્તાને અનુસરતા આગળ વધતા ગયા, વળાંકોમાં વળીને માર્ગ બદલ્યો નહીં. ઘર્ષણોમાં ઉતર્યા, સંઘર્ષો કર્યા, પરંતુ અંતે પોતાની નક્કી કરેલી મંઝિલને પામ્યા હતા. જીવનના કપરાં ચઢાણો જીવનને વધારે મીઠું બનાવે છે. નારિયેળના પાણીને પામવા માટે તેના કઠણ પડને તોડવું પડે છે.

જીવનની આડબીડ અડચણો, મુસીબતોના પહાડ અને મુશ્કેલીની મહામારી વ્યક્તિના તત્વને ચકાસે છે. જીવન પથ પરની આવી ચકાસણીમાં જે લોકો પોતાના માર્ગ બદલી નાખે છે, તેઓ જીવનમાં ક્યારેય એક રસ્તા પર ટકીને આગળ વધી શક્તા નથી. તેના કારણે તેઓ પોતાની નક્કી કરેલી મંઝિલને પહોંચતા નથી. રસ્તો બદલવાને કારણે જીવન બદલાઈ જાય છે, જીવન રસ્તો બદલવામાં જ પુરું થઈ જાય છે. જીવન રહે છે, પણ મંઝિલે પહોંચાડનાર પથ રહેતો નથી. જીવનનો આપણો પથ બદલ્યા પછી તેના ધ્યેયો, તેની મંઝિલો આપણી રહેતી નથી. તે કોઈકની બની જાય છે. તે એ મુશ્કેલી, અડચણો, મુસીબતો અને પ્રલોભનોની બની જાય છે કે જેના કારણે આપણે રસ્તો બદલ્યો હોય છે.


જીવન નામ હૈ, ચલતે જાને કા,
જો ચલ ન શકો થક જાઓ તુમ ઈસ રાહ મેં..
સાંસ લેના રુકકર, ઔર નઈ ઉમંગ સે,
ઉઠ ખડે હોના ન રુકના, હારના
.

જીવન પથની ઠોકરોના અનુભવ અમૃત સમાન હોય છે. તે વ્યક્તિને મજબૂત બનાવે છે. તેની ઈચ્છાશક્તિને દ્રઢ બનાવે છે. અડચણો, મુશ્કેલીઓ અને મુસીબતોને પગથિયાં બનાવીને આગળ વધનારા દ્રઢનિશ્ચિયી વ્યક્તિને જ દુનિયા માન્યતા આપે છે. આપણે ચાલીએ તે રસ્તાની ફિલોસૂફી કોઈ ઘમંડ અથવા યુવાનીની અજડતામાંથી ઉભી ન થવી જોઈએ. તે વ્યક્તિના અંતરમાંથી ઉગવી જોઈએ. પોતાના સંસ્કાર, પોતાના મૂલ્યો, પોતાના સિદ્ધાંતો, પોતાના નીતિ-નિયમો દ્વારા વ્યક્તિ સચ્ચાઈના આયનામાં પોતાની મંઝિલ, પોતાના ધ્યેય અને પોતાના પથને જોઈ લે. તેના દ્વારા પોતાના ધ્યેયની, પોતાની મંઝિલની સચ્ચાઈ જાણીને રસ્તો પકડે, તો વ્યક્તિએ પોતે પસંદ કરેલો રસ્તો સાચો હોવાનું માનવું જોઈએ. પોતાના રસ્તે ચાલીને મંઝિલે પહોંચવાની જદ્દોજેહદ કરનારા લોકોએ પોતાના સાથીઓના વિરોધની પણ તૈયારી રાખવી પડશે. વળી જીવનની સચ્ચાઈ છે કે બીજાના રસ્તા પર ચાલનારા લોકો ક્યારેય સ્વતંત્ર વિચારશક્તિ, સ્વતંત્ર નિર્ણય શક્તિ સ્વીકારી શકશે નહીં. કારણ કે પોતાના રસ્તે ચાલનારાઓની સામે બીજાના રસ્તે ચાલનારા ઝાંખા પડે છે.

ક્યારેક ચાલીએ તે રસ્તોની ફિલોસૂફી પ્રમાણે પોતાના રસ્તા બનાવીને ચાલનારાઓને બીજાના રસ્તે ચાલતા માણસો હિતેચ્છુ બનીને લાલબત્તી પણ ધરતા હોય છે. તેઓ પોતાના રસ્તે ચાલનારાને માર્ગ બદલવાની સલાહ પણ આપતા હોય છે. કારણ કે એક તો તેઓ બીજાના રસ્તે ચાલનારા છે અને અધુરામાં પુરું તેમને પોતાના રસ્તે ચાલીએ તેને રસ્તો બનાવીને ચાલનારાઓની મથામણ, તેમના સંઘર્ષ સમજાતા નથી તથા અકારણ પણ લાગે છે. પરંતુ તેવા વખતે પોતાનો રસ્તો બનાવી તેના પર ચાલનારા વ્યક્તિએ અડગ મનથી એક વાત નક્કી કરવી જોઈએ કે પોતાનો બનાવેલો રસ્તો કપરો છે, કઠિન છે, પણ પોતાનો છે. આ રસ્તો છોડવાની જરૂર નથી, કારણ કે તેને તેણે પોતાના સંસ્કારમાંથી, પોતાની સત્વશીલતામાંથી અને પોતાના મૂલ્યોમાંથી બનાવ્યો છે. પોતાના રસ્તા પર ચાલવાની પસંદગી પોતાની છે. હા, તેણે એટલું કરવુ પડશે કે દુર્ગમ રસ્તા પર ચાલવા માટે પગ મજબૂત રાખવા પડશે, પોતાના ઓજારો વધારે ધારદાર બનાવવા પડશે. સારું-ખોટું જોવાની દ્રષ્ટિ કેળવવી પડશે. મૂલ્યોને શ્રદ્ધાનું સિંચન કરીને વધારે મજબૂત બનાવવા પડશે. પુષ્કળ દ્રઢતાથી ઈચ્છાશક્તિ કેળવવી પડશે.

પોતે નક્કી કરેલી મંઝિલ સુધી પહોંચવા પોતે કંડારેલો રસ્તો ચોક્કસ અઘરો હશે. કારણ કે આ રસ્તા પર ચાલનારા તમે પહેલા છો. માર્ગના ખાડા-ટેકરા, ઝાડી-ઝાંખરાંનો કોઈ અંદાજ તમને નહીં હોય. રસ્તો ચોક્કસ અઘરો છે. રસ્તો મંઝિલ સુધી પહોંચતા થકવી નાખશે. પરંતુ તેવા સંજોગોમાં ધીરજની હામ એટલા જ પ્રમાણમાં જોશે. કોહીનૂર જેવો હીરો પામવો હોય, તો ઉંડી ખાઈ ખોદવી પડે. નાના-નાના ખાડા ખોદે કોઈ દિવસ કોહીનૂર જેવાં હીરાની પ્રાપ્તિ થવાની નથી.

પોતાના ચકાસેલા પથ પર શ્રદ્ધા, ધીરજ અને ખંતથી આગળ વધવાથી મંઝિલની સફળતા પ્રાપ્ત થશે. આમ બન્યા પછી જે લોકો તમારા વિરોધમાં હતા, તેઓ તમારા રસ્તા પર જ ચાલવા માટે તૈયાર થશે અને ચાલશે પણ ખરા. પોતાના ચકાસેલા પથ પરથી મંઝિલે પહોંચેલા તમે અન્યોને દોરનાર બનશો. આવા લોકોને સહજ રીતે નેતૃત્વ પ્રાપ્ત થઈ જાય છે કે જેઓ અડચણો અને સમસ્યાઓની પરવાહ કર્યા વગર, અન્યના અભિપ્રાયોને ગણકાર્યા વગર પોતાના રસ્તે મંઝિલે પહોંચવા માટે મથ્યા છે. મહાત્મા ગાંધીના તમામ વિચારો સાથે કોઈને અસંમત થવાની પૂરી છૂટ છે. આ અવકાશ મહાત્મા ગાંધીના ચિંતનમાં પણ છે. પરંતુ એક હકીકત છે કે આજે પણ મહાત્મા ગાંધી દેશ અને દુનિયામાં કચડાયેલી પ્રજાનું નેતૃત્વ પ્રાપ્ત કરનારા મહાપુરુષ છે. તેમના રસ્તે માર્ટિન લ્યૂથર કિંગથી નેલ્સન મંડેલા સુધીના લોકો ચાલ્યા છે. અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસેન ઓબામા પણ મહાત્મા ગાંધીને પોતાનો આદર્શ માની રહ્યાં છે. તો આ બધું શક્ય બન્યું, મહાત્મા ગાંધીએ પોતાના અંતરમનથી કંડારેલા પોતાના રસ્તા પર ચાલ્યા તેનાથી. માણસે સ્વબળે પોતાનો રસ્તો શોધી તેના પર શ્રદ્ધાપૂર્વક ચાલતા રહેવું જોઈએ, જ્યાં ચાલે છે તે રસ્તો બની જાય તેવું વ્યક્તિત્વ બનાવવું જોઈએ. આવા લોકોને હંમેશા જીવન જીવવા જેવું, સાર્થક લાગે છે.

સ્વપ્ન કર લો પૂર્ણ જો દેખે તુમને,
કઠિનાઈ મિટા દો મન સે ઔર આગે બઢો.
ન પૂજો લકીરોં કો ન બૈઠો શુભ ઘડી કી રાહ મે,
હર પલ હૈ સુંદર જીવન કા અપને, શુભ ભી હૈ.
યહી હૈ જીવન સાર, જીવન કા અર્થ ભી યહી હૈ. (-પ્રવીણ)

શુક્રવાર, 29 જુલાઈ, 2011

વીર સાવરકરની દ્રષ્ટિએ ક્રાંતિ અને ક્રાંતિકારીઓ


-આનંદ શુક્લ

“મારું મન તો કહે છે કે જીવનનું બીજું નામ મૃત્યુ છે અને મૃત્યુનું બીજું નામ જીવન છે. જેવી રીતે એક સ્થળે સૂર્યાસ્ત થાય છે અને બીજા સ્થળે સૂર્યોદય. વસ્તુત: અસ્તનું બીજું નામ ઉદય છે અને ઉદય જ અસ્તનું ઘોતક છે. સૂર્ય તો પ્રતિક્ષણ પ્રદીપ્ત હોય છે. કેવળ કેટલાંક સમય માટે તે આપણી દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તેવી જ રીતે જીવન-દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તો તેને મૃત્યુનું નામ આપી દેવાય છે.” જીવન-મરણ અંગે આટલું ઉંડું ચિંતન ધરાવનાર કોઈ સમાન્ય વ્યક્તિ ન જ હોઈ શકે. આ મહાપુરુષ અન્ય કોઈ નહીં પણ ભારતના સ્વતંત્ર્ય સંગ્રામમાં પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી ભારતમાતાની સાધના જીવનપર્યંત કરનાર ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર હતા. તેમને વીર સાવરકરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 28 મે, 1883ના દિવેસ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. તેઓનું શરીર કૃશ લાગતું હતું, છતાં તેમનો આત્મવિશ્વાસ હિમાલય જેટલો અડગ હતો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિપુંજ સમાન હતા. તેઓ સંપૂર્ણ ક્રાંતિના આગ્રહી હતા. તેમના મતે ક્રાંતિ એટલે છલાંગ લગાવવાવાળો વિકાસવાદ હતો.

તેમનું ક્રાંતિના સંદર્ભે એક આગવું ચિંતન હતું. તેમનું ચિંતન ઘણાંને અણગમો ઉપજવાનાર પણ હતું. છતાં પણ તેઓ તેને દ્રઢતાપૂર્વક વળગી રહ્યાં હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટેની તમામ પ્રકારની કોશિશો કરી અને ઘણાં બધાં ક્રાંતિકારીઓ માટે પ્રેરણાદાયી બન્યા.

ક્રાંતિ ક્યારે અને ક્યાં સુધી આવશ્યક છે? તે બાબતે સાવરકર અત્યંત સ્પષ્ટ હતા. તેમણે આ સંદર્ભે પોતાના નિર્ભિક વિચારો અભિવ્યક્ત કર્યા છે. તેમના માનવા પ્રમાણે, “જે સમયે સંપૂર્ણ માનવજાતિ શ્રેષ્ઠતમ ન્યાય અને પરમાનંદના પુનિત આદર્શને પ્રાપ્ત કરી લેશે. જ્યારે ઈશ્વરીય વિભૂતિઓ, દેવદૂતો અને ધર્મગુરુઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ધર્મરાજ્યની કલ્પના આ ધરાતલ પર સાકાર થઈ જાય. જ્યારે ઈશા મશીહની દેવવાણીથી નિસ્ત્રત તે પાવન ઉપદેશ કે, ‘જો કોઈ તમારા એક ગાલ પર લાફો મારે તો તેની સામે બીજો ગાલ ધરવો’, પર આચરણ કરવાની જરૂર નહીં રહે. કારણ કે કોઈ કોઈના ગાલ પર લાફો મારવાનો પ્રયત્ન જ નહીં કરે. સત્યયુગની આ પાવન સ્થિતિ જ્યારે સંસારને પ્રાપ્ત થશે, ત્યારે કોઈ વિદ્રોહની કલ્પના માત્ર કરશે, રક્તનું એક ટીપું પણ વહેવડાવશે, એટલું જ નહીં, પણ જો તેના મોઢામાંથી પ્રતિશોધ શબ્દ પણ ઉચ્ચારીત થશે તો તેના આ પાપને તેની ક્રૂરતા માટે અનંત અવધિ માટે રૌરવ નામના નરકમાં ફેંકી દાવા માટે ઉપયુક્ત ગણાશે.”

પણ સાવરકર એમ પણ માનતા હતા કે, “જ્યાં સુધી દૈવી યુગનો આવિર્ભાવ નથી થઈ જતો, પરમાનંદનો આ પાવન આદર્શ સાકાર નથી થઈ જતો, તે શુભ ઘડીનો ઉદય નથી થઈ જતો, જ્યાં સુધી સંતો, દેવદૂતો અને પ્રભુના પ્રિય પુત્રોના ભવિષ્ય કથન સાકાર નથી થઈ જતાં, જ્યાં સુધી ન્યાયપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેની વિરોધી અન્યાયમૂલક પ્રવૃતિને નિર્મૂલન કરવા માટે માનવ મન પ્રવૃત નથી થઈ જતું, ત્યાં સુધી વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોઘની ગણના અધર્મ તત્વોમાં કરવી ઉચિત નથી. જ્યાં સુધી રાજ્ય શબ્દનો ઉપયોગ અન્યાયમૂલક અને ન્યાયમૂલક એણ બે પ્રકારના તત્વો માટે કરવામાં આવે છે, ત્યાં સુધી તેમના પ્રતિયોગી શબ્દ ન્યાય અને અન્યાય બંનેના અર્થોમાં ઉપયુક્ત બની શકશે.”

સાવરકરના મતે, ક્રાંતિનું સંચાલન અંકગણિતના નિયમ પ્રમાણે નથી થતું. ખરેખર તો ઈતિહાસના ઘટનાક્રમ પર દ્રષ્ટિ કરતાં જણાય છે કે નિશ્ચિત નિયમો પ્રમાણે તો આજ સુધી કોઈપણ ક્રાંતિનું સંચાલન નથી થઈ શક્યું. ક્રાંતિ કોઈ ઘડિયાળની જેમ એક સુનિર્ધારીત નિયમ પ્રમાણે ચાલવાવાળું યંત્ર તો નથી જ. ક્રાંતિનું સંચાલન હંમેશા એક વિશાળ સિદ્ધાંતથી થાય છે. નાના-નાના નિયમો-ઉપનિયમો તો ક્રાંતિના એક વિસ્ફોટ માત્રથી વેર-વિખેર થઈ જાય છે. ક્રાંતિ કેવળ એક જ સિદ્ધાંત છે, “થોભો નહીં, આગળ વધો.” ક્રાંતિ તો એક વિચિત્ર પક્ષી છે, જે સ્થળે તે દીર્ઘકાળ સુધી બંદી હોય છે, ત્યાંથી મુક્ત થતાં જ તે બીજા સ્થાન પર પુન: પહોંચતા પહેલા આકાશના બીજા છેડાથી પોતાની પાંખોના બળે ઊડે છે, ચક્કર લગાવે છે. ક્રાંતિ માટે આ પ્રકારનું ઉડ્ડયન આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.

ક્રાંતિના માર્ગને અનિશ્ચિતતા, સંશય, મહત્તા વગેરે રોકે છે. અનિશ્ચય અને અસ્થિરતા સિવાયનું અન્ય કોઈપણ વિષ ક્રાંતિનું પ્રાણહરણ કરવામાં સફળ થતું નથી. ક્રાંતિનો વિસ્તાર જેટલો ત્વરીત અને આકસ્મિક હોય છે, તેટલી જ તેના વિજયની સંભાવના વધી જાય છે. ક્રાંતિના વિસ્તારની ગતિ મંદ પડતાની સાથે જ શત્રુને સચેત થવાનો મોકો મળી જાય છે. આ જોઈને ક્રાંતિકારીઓનો ઉત્સાહ મંદ પડી જયા છે કે તેમની સાથે આવીને કોઈ ઉભું રહેતું નથી. તેમની સાહસવૃતિ તૂટવા લાગે છે અને શત્રુ સક્રીય બની નવા ક્રાંતિકારીઓના માર્ગમાં અવરોધો ઊભા કરવામાં સફળ બને છે. પ્રથમ આક્રમણ અને ક્રાંતિના પ્રસાર વચ્ચે શત્રુને સમય આપી દેવો હંમેશા માટે કોઈપણ ક્રાંતિની યોજના માટે હાનિકારક સાબિત થાય છે. તેવી જ રીતે પૂર્વનિર્ધારીત કાર્યક્રમથી વિપરીત અચાનક થયેલા વિસ્ફોટ અન્ય સ્થળોએ ક્રાંતિ યોજનાની પૂર્તિ માટે કાર્યરત નેતાગણ માટે આશ્ચર્યકારક હોય છે. આ પરિસ્થિતિમાં ક્રાંતિકારીઓ “શું કરવું, શું ન કરવું?”ની અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ જાય છે.

માટે જ અકર્મણ્યતા અને મંદતા ક્રાંતિની ભભૂકતી જ્વાળાઓને ઠંડી પાડી દે છે. જ્યારે કર્મઠતાની તીવ્રતા જ ક્રાંતિને જાગૃત રાખી શકે છે. ક્રાંતિનું બ્યુગલ વાગ્યા પછી ઊભો થતો સંશય પરાજયનું કારણ બની જાય છે. ક્રાંતિનું આયોજન ગાલીચાની સિલાઈની જેમ સાવધાનીથી ધીરે ધીરે કરવું જ અપેક્ષિત છે. પરંતુ જ્યારે એક વખત ક્રાતંની શરૂઆત થઈ જાય ત્યારે ક્ષણમાત્ર દ્વિધાગ્રસ્ત થયા વગર તીરની જેમ તેમાં પ્રવેશી જવું જોઈએ. પછી યશ મળે કે અપયશ, જીવન મળે કે મૃત્યુ, બધી જ બાજુથી નિશ્ચિંત બનીને સમરાંગણમાં ઝઝુમવું જ શ્રેષ્ઠ છે.

ક્રાંતિકારી વીર સાવરકર અન્યાયનો સમૂળગો નાશ કરીને સત્યધર્મની સ્થાપના કરવા માગતા હતા. સાવરકરના માનવા પ્રમાણે, સત્યધર્મની સ્થાપના માટે ક્રાંતિ, રક્તપાત અને પ્રતિશોધ પ્રકૃતિ પ્રદત સાધનો છે. તેમણે આ સંદર્ભે અત્યંત સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, “જો વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોધનો ભય ન હોત તો લૂંટ અને અત્યાચારોનાં પાશવિક ધૂમાડામાં સમગ્ર પૃથ્વી કણસતી હોત. જો અત્યાચારીઓ અને અન્યાયીઓને આજે અથવા આવતીકાલે, તરત અથવા વિલંબથી, પ્રકૃતિ દ્વારા પ્રતિશોધ લેવાવાનો ભય ન હોત તો આ ભૂમંડળ પર ઝાર જેવા તાનાશાહોનો જ પ્રભાવ રહેત. પરંતુ પ્રત્યેક હિરણ્યકશ્યપને નરસિંહ, પ્રત્યેક દુશાસનને ભીમ, અત્યાચારી પર નિયંત્રણ મેળવવા શાસક અને શેરને માથે સવાશેર મળે છે. તેથી જ વિશ્વમાં દ્રઢ માન્યતા પ્રવર્તે છે કે અત્યાચાર અને અનાચાર હંમેશા ચાલુ રહેતા નથી.”

સાવરકરના માનવા પ્રમાણે, એક રાષ્ટ્રને જીવંત રહેવા માટે શરણ નહીં, પ્રતિશોધ જરૂરી છે. સાવરકર પ્રતિશોધને પૌરૂષીય લક્ષણ માનતા હતા. વળી તેઓ અવાર-નવાર કહેતા કે કાલ્પનિક સિદ્ધાંતોના ભ્રમજાળમાં પડીને પ્રતિશોધથી ઘૃણા કરનારું રાષ્ટ્ર ક્યારેય જીવિત રહી શકતું નથી. હિંદુ સમ્રાટ ચંદ્રગુપ્તથી લઈને ક્રાંતિવીર ચંદ્રશેખર સુધીના જ નહીં, પણ તે પહેલાંના અને પછીના અનેક સમ્રાટો, સૈનિકો, ક્રાંતિકારીઓ, દેશભક્તોએ પ્રતિશોધની અગ્નિને એક પળ માટે પણ ઠંડી પડવા દીધી નથી. ભારતના અસ્તિત્વનો નાશ કરવા માંગતા દરેક આક્રાંતાઓના પ્રયાસોને એ જ વીરો અસફળ બનાવી શક્યા છે કે જેમણે પ્રતિશોધના અગ્નિને હંમેશા પ્રજ્વલિત રાખ્યો છે. તેઓએ હંમેશા કહ્યું છે કે “જો કોઈ વિદેશી શત્રુ આપણા રાષ્ટ્રધર્મ પર સશસ્ત્ર આક્રમણ કરે તો તેનો પ્રતિકાર એક પ્રબળ રાજકીય આક્રમણની જેમ જ કરવો જોઈએ. આ યુદ્ધમાં જેવા સાથે તેવા, ક્રૂરની સામે સવાયી ક્રૂરતા, કપટીની સામે સવાયું કપટ અને હિંસાની સામે સવાયી હિંસા અપનાવવી જ ધર્મ છે.”

સાવરકરે સહિષ્ણુતાને આ ધરતીનો સ્વાભાવિક ગુણ માન્યો છે, પણ માતૃભૂમિની ઉદારતાનો અનુચિત લાભ ઉઠાવવો ઘાતક ગણાવ્યો હતો. તેઓએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, હિંદુસ્થાનના હ્રદય સ્થળમાં બધાં જ એકસાથે સહિષ્ણુતાપૂર્વક વ્યવહાર કરવાની પરંપરા ધરાવે છે. પણ તેમાં પ્રલયકારી અગ્નિ પણ સુરક્ષિત છે. જ્યાં સુધી ભગવાન શિવ ધ્યાન મગ્ન રહે છે, ત્યાં સુધી તે હેતુલ્ય શાંત, શીતળ અને ગંભીર છે. પણ જ્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે છે, ત્યારે સંપૂર્ણ બ્રહ્માંડને ભસ્મીભૂત કરવાવાળી જ્વાળા પ્રજ્વલિત થઈ જાય છે.

સાવરકર સાપેક્ષ હિંસાને સદાચાર અને નિરપેક્ષ અહિંસાને અપરાધ માનતા હતા. સાવરકરે ભારતીયોને અત્યાંતિક અહિંસા વિરુદ્ધ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે “અત્યાંતિક વિચારધારાની જડ પૂર્ણ અહિંસા છે. પરંતુ મારા મત પ્રમાણે પૂર્ણ અહિંસા એક ભીષણ પાપ છે. એ અવ્યવહારીક છે. સજ્જનો સાથે સજ્જનતાપૂર્ણ વ્યવહાર પુણ્યકાર્ય છે. પરંતુ દુષ્ટો પ્રત્યે અહિંસાનું પ્રદર્શન પાપ છે. સ્વયં પોતાનું અસ્તિત્વ જાળવવું અને રાષ્ટ્રને જીવિત રાખવું, આપણું કર્તવ્યછે. આ કર્તવ્યની પૂર્તિ માટે જે પણ હિંસા આવશ્યક હશે, તે પુણ્યકારક માનવી જોઈએ. ધાર્મિક ઉપદેશોથી ચોરો નિયંત્રિત થતાં નથી. તેમના માટે દંડ અને બળની આવશ્યકતા રહેલી છે. અત્યાંતિક અહિંસાથી હિંસા પ્રબળતર બની જશે. અત્યાંતિક અહિંસા તત્વનો પ્રચાર કરવાવાળા વ્યક્તિઓને હું મૂર્ખ માનું છું કે દુષ્ટ માનું છું. અત્યાંતિક અહિંસાનો વિચાર કેવળ દુર્બળના મોઢામાં જ શોભે છે.” (અખિલ ભારતીય હિંદુ મહાસભા અધિવેશન- અધ્યક્ષીય ભાષણ, મદુરા, 1940)

આજે નિરપેક્ષ અહિંસાની પૃષ્ઠભૂમિને કારણે અનેક ભ્રાંતિઓનો જન્મ થયો છે. અનેક લોકો અન્યાયના પ્રતિકારને જ અત્યાચાર માનવા લાગ્યા છે. બીજાને અન્યાયપૂર્ણ રીતે પીડા પહોંચાડવી અવશ્ય અત્યાચાર છે, પણ અત્યાચારીનો પ્રતિકાર કરવો તેને અત્યાચાર કદાપિ ગણી શકાય નહીં.

ભારતની સ્વતંત્રતા માટે લડતાં દેશભક્ત ક્રાંતિકારીઓ પર ભટકેલા યુવાનો, આતંકવાદીઓ અને ભાવાવેશમાં વહેતા હોવાનો આરોપ વિદેશીઓએ અને કેટલાંક ભારતીયોએ પણ લગાવ્યો છે! ખુદીરામ બોઝ જેવાં સશસ્ત્ર ક્રાંતિકારીઓને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ વિકૃત મનોવૃતિવાળા ગણાવ્યા હતા. ત્યારે સાવરકરે તેમને જવાબ આપ્યો હતો કે ચાફેકર, ઢીંગરા કે ઉધમસિંહ કે સળગતા વિમાનમાં ભસ્મ થયેલા સુભાષચંદ્ર બોઝનો નામ ઉલ્લેખ કરતાં તેમને (નેહરુને) તેમનો ત્યાગ ગૌણ અને બેકાર લાગશે. માટે જ તેમના નામને ગૌરવ આપવા બાબતે તમે ખચકાટ અનુભવો છો. તમારી આ દ્વેષપૂર્ણ અને અભાગી મહત્વાકાંક્ષા જ વિકૃત મનોવૃતિનું પ્રતિક છે.

ભારતમાતાની સેવા કરવા માટે સાવરકરે અપાર કષ્ટો સહન કર્યા હતા. છતાં તેઓ જરાપણ વિચલિત થયા ન હતા. તેમના મતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ સંઘર્ષ કરી કંઈક મેળવી શકાય છે. કંઈક નિર્માણ કરી શકાય છે. પ્રતિકૂળને સંઘર્ષના માધ્યમથી અનુકૂળ બનાવવાનો આનંદ દ્વિગુણિત હોય છે.

20મી મે, 1952ના દિવસે પુણેમાં અભિનવ ભારતના સમાપન સમારંભમાં સાવરકરે ક્રાંતિકારીઓના સ્વતંત્રતા પ્રયાસોને ઓછો આંકવાનો પ્રયત્ન કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું હતું, “સ્વતંત્રતા પ્રાપ્ત નથી થઈ, સ્વતંત્રતા ક્રાંતિકારીઓના મોટા-મોટા બલિદાનો દ્વારા પ્રાપ્ત કરાઈ છે. એવો પ્રચાર કરવો કે સ્વતંત્રતા પૂર્ણ અહિંસાથી પ્રાપ્ત થઈ છે. તે સર્વથા અવાંછનીય, ખોટું, પક્ષપાતપૂર્ણ અને સશસ્ત્ર ક્રાંતિકારીઓના બલિદાનો પર પાણી ફેરવવાવાળું કામ છે.” સાવરકરે આવો પ્રયત્ન કરનારાઓને કહ્યું છે કે જેમને પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લેવો છે, તે લઈ રહ્યાં છે. પણ જો ક્રાંતિકારીઓ દેશભક્તિની હુંડીઓનો લાભ લેવા માંગતા હોત તો વીર હુતાત્મા મદનલાલ ઢીંગરા, કન્હૈયા કાન્દરે અને ભગતસિંહે ફાંસી પર લટકી ફરીથી પાછા ન ફરી શકાય તેવી સ્વર્ગની ભૂમિમાં પ્રવેશ કરવાનું સાહસ ન કર્યું હોત. જ્યારે એ-ક્લાસની જેલોમાં માખણ, ડબલરોટી અને મોસંબીઓના રસ પીનારા પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લઈ રહેલા દેખાય છે.

આમ ક્રાંતિ એ એવા સત્ય માટેની લડાઈ છે કે જે સત્યને બીજા બધાં અસત્ય મનાતા હોય કે તેને સત્ય કહેવાની હિંમત ધરાવતા ન હોય. પણ તે સત્ય હોવાથી તેને માટે લડતાં રહેવું અને સત્ય સર્વસ્વીકૃત બને તેના માટે પ્રયત્ન કરતાં રહેવું જરૂરી બને છે. ક્રાંતિ માત્ર પરિવર્તનની પ્રક્રીયા નથી. તે પરિવર્તનથી વધારે મોટી પ્રક્રીયા છે. ભારતની સ્વતંત્રતામાં સશસ્ત્ર ક્રાંતિકારીઓનો ફાળો અવગણી શકાય તેમ નથી. ક્રાંતિએ રાષ્ટ્રને જીવંત રાખવા માટે આવશ્યક અને અનિવાર્ય કાર્યો કરતાં રહેવાની પ્રક્રીયા માત્ર છે. આ પ્રક્રીયા અનેક પ્રકારના બલિદાનો દ્વારા જ પૂર્ણ થઈ શકે તેમ છે.

શનિવાર, 9 જુલાઈ, 2011

ગાંધી ચિંધ્યા માર્ગે માત્ર ક્રાંતિની હત્યા શક્ય!


ભારત એક એવો દેશ છે કે જ્યાંથી ક્રાંતિને દેશવટો મળ્યો છે. કારણ માત્ર એટલું છે કે ક્રાંતિની કિંમત ચુકવવામાં આનાકાની અને મોલભાવ થઈ રહ્યાં છે. આ દેશ પરિવર્તન નહીં, પરિવર્તનોની શ્રેણી ઈચ્છી રહ્યો છે, ચાતક પક્ષીની જેમ રાહ જોઈને બેઠો છે. પણ પરિવર્તનોની શ્રેણી લાવનાર ક્રાંતિને આમંત્રણ આપતા ડરે છે. ક્રાંતિ તો તેની કિંમત વસૂલશે, પછી તે કોઈપણ પ્રકારના બલિદાનો હોય-તન, મન, ધન. પણ આના માટે તૈયારી આજના ભારતની નથી. ક્રાંતિથી ડરનારાઓની ટોળીએ ક્રાંતિનો રસ્તો અહિંસા હોવાનું પ્રચારીત કર્યું છે. પરંતુ અહિંસાના કથિત રસ્તા પર ચાલીને ભારતે સત્તાની પદ્ધતિ નહીં, સત્તામાંના લોકોનું પરિવર્તન કરીને ક્રાંતિનો આભાસી સંતોષ માન્યો છે. ક્રાંતિમાં તો બલિદાનોની હેલી લગાવવી પડે છે. પરંતુ તેના માટે ભારતનો સમાજ સહેજ પણ તૈયાર નથી અને સામાજીક-રાજકીય નેતાગીરીનું સમાજને તૈયાર કરવા માટેનું કલેજું પણ નથી. ભારત વિદેશી આક્રમણખોરો સામે શસસ્ત્ર પ્રતિરોધ તો સદીઓથી કરતું રહ્યું છે. પરંતુ દરેક પ્રતિરોધ ક્રાંતિમાં પરિવર્તિત થતો નથી. ક્રાંતિ સમાજના સામુહિક ચિંતનથી બહાર આવેલા વિચારનો પરીપાક છે.

ભારત માટે સૌથી પહેલો નોંધાયેલો અનુભવ 1857નો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. આ સશસ્ત્ર ક્રાંતિએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસની બુનિયાદ હચમચાવી નાખી હતી. જો કે આ સંગ્રામ એક વિપ્લવ બનીને રહી ગયો, કારણ કે તેનાથી અંગ્રેજોની સત્તાથી મુક્તિ મળી શકી નહીં. બસ આ એક નિષ્ફળતાને વાગોળતા વાગોળતા નેતાગીરીએ સશસ્ત્ર પ્રતિરોધ અને તેનાથી ક્રાંતિનો વિચાર માંડી વાળ્યો. જો કે તેમ છતાં વાસુદેવ બલવંત ફડકે, ચાફેકર બંધુઓ, ગદર પાર્ટી, પ્રફુલ્લ ચાકી, મદનલાલ ઢીંગરા, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજ સત્તા સામે પ્રતિરોધ કરીને ક્રાંતિની કોશિશ કરી જોઈ. વિનાયક દામોદર સાવરકરે ક્રાંતિ ધ્વજને બુલંદ બનાવવાની કોશિશ કરી અને ઘણાં ક્રાંતિકારીઓ તથા ક્રાંતિકારી આંદોલનના પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક બની રહ્યાં. જો કે ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે તેઓ પ્રારંભિક સમયમાં જ અંગ્રેજ સરકારની જેલમાં પહોંચી ગયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ ભારત બહાર જઈને સેના બનાવીને ભારતને આઝાદી અપાવવાની કોશિશ કરી હતી. તો ભારતના નૌસૈનિકોએ મુંબઈમાં બળવો કરીને ક્રાંતિની જ્વાળાઓ ભડકાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતમાં ક્રાંતિ અમલમાં આવી શકી નહીં. (જો કે રાષ્ટ્રવાદી લોકોએ ક્રાંતિની પૂજા બંધ કરી, તો દેશદ્રોહીઓ અને નક્સલવાદીઓએ ક્રાંતિના આંચળા નીચે દેશવિરોધી હિંસાનો ખેલ આચર્યો છે અને બધાં ખામોશ છે, ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે કોઈ ઉકેલ સુઝતો નથી. )

આઝાદી પહેલા ક્રાંતિની મશાલો ઉંચકનારા હાથ પર હથોડા મારવાનું કામ અહિંસાના પૂજારી ગણાતા મહાત્મા ગાંધી અને તેમની પાછળ આંધળાની જેમ ફરનારા તેમના અનુયાયીઓએ કર્યું. ક્રાંતિ હંમેશા ઝડપી, સ્પષ્ટ અને ઈચ્છીત પરિણામ આપે છે. છતાં આ રસ્તો અંગ્રેજોના હિતમાં અપનાવવામાં આવ્યો નહીં અને આ રસ્તે જનારા ક્રાંતિકારી દેશભક્તોને આતંકવાદી અને હિંસાના પૂજારી કહીને બદનામ કરવાની કોશિશો આઝાદી પહેલા થઈ હતી. જો કે અત્યારે પણ આવા ક્રાંતિકારીઓને આતંકવાદી કહેવાની ફેશન હજી સમાપ્ત થઈ નથી. ભારતના ગુલામી કાળમાં દુનિયાભરના દેશોમાં ક્રાંતિઓ થઈ. લોકોએ, જે-તે દેશના સમાજોએ ભેગા મળીને સશસ્ત્ર ક્રાંતિઓ કરી. અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, રશિયા, ચીન વગેરે દેશો તેના ઉદાહરણો છે. પણ ભારતમાં ક્રાંતિ જ્વાળાઓને બુઝાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે આ ક્રાંતિ જ્વાળાઓ બુઝાવવામાં ગાંધી અને તેમના આંધળા અનુયાયીઓને કોઈ સફળતા મળી ન હતી. (હા, એટલું સાચું છે કે ક્રાંતિ જ્વાળાઓની આગ ધીમી જરૂર પડી.)

સશસ્ત્ર ક્રાંતિમાં હિંસા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. હિંસાને ખોટી વસ્તુ ગણવામાં આવે છે. પરંતુ હિંસા શું હંમેશા ખોટી વસ્તુ હોય છે? રામ રાવણને મારે, કૃષ્ણ કંસને મારે, અર્જૂન કૌરવ સેનાને મારે, ભીમ દુર્યોધનને મારે, દુર્ગા મહિષાસુરને મારે- તો આવી હિંસાને કેવી રીતે ખોટી ગણવી? હિંસા હંમેશા નિંદનીય કેવી રીતે હોઈ શકે? પરંતુ હિંસા અને મોતના ભયથી ભારતની પ્રજાને આતંકીત કરવાનું કામ ગાંધી અને તેમની ટોળકીએ કર્યું. ક્રાંતિનો રસ્તો રોકી લેવાયો. પરંતુ અહિંસા છતાં ભારતની આઝાદીમાં સેંકડો લોકોના જીવ ગયા અને ભાગલા વખતે દશ લાખ લોકો મુસ્લિમ લીગ દ્વારા પલીતો ચપાયેલા હુલ્લડોમાં 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ થવા દેવામાં આવી હોત, તો આટલી મોટી સંખ્યામાં લોકોની નિર્મમ હત્યા થઈ ન હોત. કદાચ ભારતના ભાગલા પણ પડયા ન હોત!

દેશનું દુર્ભાગ્ય હતું કે સ્વાતંત્ર્યવીર સાવરકરને અંગ્રેજોએ બેવડી જન્મટીપ આપીને કાળાપાણીની સજાએ અંદમાનની સેલ્યુલર જેલમાં બંધ કરી દીધા હતા. તે ગાળા દરમિયાન ક્રાંતિકારી દળને સક્ષમ અને નિરંતર નેતૃત્વ મળ્યું ન હતું. તેમ છતાં ક્રાંતિકારીઓમાં સાવરકરના લેખો અને પુસ્તકો ઘણાં મોટા પ્રમાણમાં લોકપ્રિય બન્યા હતા. સાવરકરે જ જેલમાંથી બહાર નીકળ્યા બાદ હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેના માટે એક જ કારણ જવાબદાર હોઈ શકે કે તે વખતે ભારતનું રાજકારણ હિંદુ અને મુસ્લિમ ખેમામાં વહેંચાઈ ગયું હતું. ત્યારે ભારતને અખંડ રાખી શકે તેવી વિચારધારા સાવરકરને પસંદ કરવાની હતી. અંગ્રેજોની કઠપૂતળી બની ચુકેલી મુસ્લિમ લીગ અને તેની પાછળ ઉભેલા મુસ્લિમ સમાજને તુષ્ટિકરણની નીતિથી પોતાની તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર કોંગ્રેસને જવાબ આપવા માટે સાવરકરે હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હતું. હિંદુઓ કોંગ્રેસ અને ગાંધીજીને પોતાના બેલી માનતા હતા અને મુસ્લિમો મુસ્લિમ લીગ અને જિન્નાની દોરવણી નીચે અલગ પાકિસ્તાનની માગણી કરી રહ્યાં હતા. તો આ સમયે અંગ્રેજો પોતાના રાજકીય અને સામરીક હિતોને ધ્યાનમાં રાખીને તેને ઈંજન પુરું પાડતા હતા. આ પરિસ્થિતિમાં દેશના ભાગલા પડયા. આ દુષ્પરિણામ છે, ક્રાંતિને કેદ કરવાનું. ત્યાર પછીની દુર્ઘટનાઓની હારમાળાથી કોઈ અપરીચિત નથી. આ દુર્ઘટનાઓ ભારતની આઝાદીના છ દશકાઓ બાદ પણ ચાલુ છે.

ક્રાંતિથી ભાગવાની વૃતિએ ભારતીય નેતાગીરીના વિચારોને કુંઠિત કરી નાખ્યા છે. જેના કારણે તેઓ ભારતને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપી શકતા નથી. જો કે તેઓ ભારતને લૂંટવાની અંગ્રેજોની પરંપરા છેલ્લા 64 વર્ષથી ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે! ભ્રષ્ટાચાર, કાળું ધન, મોંઘવારી, આતંકવાદ, ખેડૂતોની ઉપેક્ષા, નક્સલવાદ, ગરીબી, બેરોજગારી, રાજકીય વિચારશૂન્યતા, અનૈતિકતા, ગુનાખોરી વગેરે સમસ્યાઓને સ્વહિત સાધન માટે ઉકેલી રહ્યાં નથી. શું ક્રાંતિનું સરનામું કમ્યુનિસ્ટ જ હોઈ શકે, શું ક્રાંતિ ઈસ્લામિક જ હોઈ શકે, શું ક્રાંતિ યુરોપીયન અને અમેરિકી જ કરી શકે? ક્રાંતિના રસ્તે હિંદુ કેમ ન ચાલી શકે? ભારતને મહાન બનાવવા માટે ક્રાંતિ હાલ અનિવાર્ય છે. પણ તેના માટે ક્રાંતિના નામે થઈ રહેલા તાયફાઓ અને અનશનના નાટકો ક્રાંતિ નથી, તેનાથી કોઈ પરિવર્તન થવાના નથી, માત્ર તાયફાના મુખ્ય કલાકારોને પ્રસિદ્ધિ મળવાની છે.

અન્ના નહીં, આંધી હૈ. આજ કા ગાંધી હૈ-ના સૂત્રો સાંભળીને તમને હસવું નથી આવતું? ભારતમાં ક્રાંતિની હત્યા કરવાનું પાપ જેના માથે છે, તે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને ધરણાં કરીને દેશ બદલવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને આંદોલનો કરીને દેશમાં માત્ર તાયફા, નાટકો અને સ્વહિતસાધના જ થઈ છે. જો ગાંધી ચિંધ્યા માર્ગે કંઈપણ થઈ શકે, તો તે ક્રાંતિની હત્યા થઈ શકે છે. ક્રાંતિને જીવિત કરવાની જો જરાપણ ઈચ્છા હોય, તો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિંધેલા માર્ગને પણ જોઈ લેવાની, તપાસી લેવાની અને અનુસરી લેવાની જરૂર છે. આજે દેશનું નૈતિક બળ ભ્રષ્ટ નેતાગીરીને કારણે રસાતળે પહોંચ્યું છે. ત્યારે ખરેખર દેશને જરૂર છે, ક્રાંતિ સાધકોની. પણ ક્રાંતિ ઘણી કઠોર હોય છે, પણ તેની કઠોરતાથી ડરીને તેનાથી ભાગવાની વૃતિ દેશનું ઘણું અહિત કરી રહી છે અને કરશે. સાવરકરનું ક્રાંતિ દર્શન હજીપણ સેલ્યુલર જેલમાં કાળાપાણીએ છે. આ ક્રાંતિના દર્શનને કાળાપાણીથી ફરી દેશની મુખ્યધારામાં લાવવું જોઈએ.

શુક્રવાર, 27 મે, 2011

સ્વાતંત્ર્યવીર સાવરકરની અવગણના રાષ્ટ્રઘાતક

ક્રાંતિનો જન્મ હંમેશા મનુષ્યના મસ્તિષ્કમાં થાય છે. માનવ મસ્તિષ્કમાં આવેલો વિચાર ક્રાંતિબીજ હોય છે. ક્રાંતિ માત્ર પરિવર્તનનું નામ નથી. ક્રાંતિ માત્ર નીચેના સ્તરના લોકો ઉપર અને ઉપરના સ્તરના લોકોના નીચે આવવાની પ્રક્રિયા માત્ર નથી. ક્રાંતિ એ સંપૂર્ણ પરિવર્તનનું નામ છે- સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક એમ તમામ ક્ષેત્રે સમૂળગુ અને સમાજ ઉપયોગી પરિવર્તન! આવું સમૂળગુ પરિવર્તન અચાનક ક્યારેય આવતું નથી. કહેવાય છે કે ચીન, રશિયા, ફ્રાંસ વગેરે દેશોમાં ક્રાંતિ થઈ છે. પણ આ ક્રાંતિઓનો ઝીણવટથી અભ્યાસ કરવામાં આવે તો, ત્યાંની ક્રાંતિઓથી માત્ર સત્તામાં બેઠેલા માણસો બદલાયા હતા, માત્ર શાસનપદ્ધતિ બદલાઈ હતી. અત્યારે તેઓ દેખીતી રીતે વિશ્વમાં અગ્રતાક્રમે છે, પણ તેઓને તેમના શાસકોએ શિસ્તમાં રાખ્યા છે અથવા એમ કહો કે તેમના શાસકો આ સમાજોને શિસ્તબદ્ધ રાખવામાં સફળ થયા છે. શિસ્ત જાળવવા શક્તિની જરૂર પડે છે. (જો કે અનુશાસન વ્યક્તિની આંતરીક દ્રઢતા અને શક્તિથી શક્ય બને છે) પરંતુ સમાજ બળપૂર્વક ભયથી શિસ્તબદ્ધ બને તેની જગ્યાએ અનુશાસિત બને તે વધારે મહત્વનું છે. સમાજ નિર્માણની પ્રક્રિયા ત્યારે જ સંભવિત બની શકે છે કે જ્યારે સમાજની માનસિકતા સામૂહિક રીતે બદલાય અને સમગ્ર સમાજ સંપૂર્ણ પરિવર્તન દ્વારા ક્રાંતિ તરફ દોરવાય.

ક્યારેક કેટલાંક લોકોના કારણે શુદ્ધ વૃતિ-બુદ્ધિવાળા અને વ્યક્તિત્વવાળા વ્યક્તિને તેમજ તેના વિચારોને ઉતારી પાડવામાં આવતા હોય છે. તે વ્યક્તિને ખોટો સાબિત કરવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આવો અન્યાયપૂર્ણ વ્યવહાર ભારતમાતાની જીવનપર્યંત આરાધના કરનાર રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું સર્વસ્વ હોમી દેનાર વિનાયક દામોદર સાવરકર સાથે કરવામાં આવ્યો હતો. આ વ્યવહાર આજે પણ ચાલુ છે. તેમને કેટલાંક લોકો ઉગ્રવાદી અને કોમવાદી કહે છે! પણ તેઓ વીર સાવરકરના બલિદાનોની ઉપેક્ષા કરી અને તેમને આ પ્રકારના બિરુદો આપે છે. તેનું મુખ્ય કારણ વીર સાવરકરનું વ્યક્તિત્વ અને તેમના વિચારોની સ્પષ્ટતા છે. તેમણે હિંદુત્વનો વિચાર ત્રીસના દાયકાની શરૂઆતમાં એટલે કે 1923માં આપ્યો હતો. આ એવો વખત હતો કે જ્યારે હિંદુઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવામાં શરમ અનુભવતા હતા અને ગોરાસાહેબોની નકલ ઉતારવામાં વ્યસ્ત હતા. આ મહાનુભાવો હિંદુ હોવાને કારણે પોતાને બીજા કરતાં ઉતરતા હોવાનું પણ માનતા હતા.

આવા કપરાકાળમાં વીર સાવરકરે હિંદુત્વની અવધારણા આપતાં જણાવ્યું હતું કે “હિંદુત્વ વધારે વિસ્તૃત છે, કારણ કે તેમા હિંદુઓના ધાર્મિક પક્ષ સિવાય સાંસ્કૃતિક, સામાજીક, રાજકીય અને ભાષાકીય પક્ષોનો પણ સમાવેશ થાય છે. ”(વીર સાવરકર: ધનંજય કીર, મુંબઈ પોપ્યુલર પ્રકાશન, 1966 પૃ.નં. 227-28) પ્રવર્તમાન સમયમાં હિંદુત્વની વિચારધારેને સંકુચિત સાબિત કરવાની કુચેષ્ટા સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા વારંવાર થઈ રહી છે. આવા લોકોને આંચકો લાગે તેવી વાત વીર સાવરકરે કરી છે. તેમમે હિંદુત્વને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે “હિંદુત્વનો ઉદભવ હિંદુ શબ્દથી જ થયો છે...હિંદુત્વ માત્ર શબ્દ નથી, પરંતુ તે એક સંપૂર્ણ ઈતિહાસ છે.” (હિંદુત્વ: સાવરકર, રાજધાની ગ્રંથાગાર, 1970 નવી દિલ્હી, પૃ.નં. 11-76)

વીર સાવરકર અને તેમના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોને અરાષ્ટ્રીય અને કોમવાદી ગણાવીને હાંસિયામાં ધકેલી દેવાની કોશિશો તેમના જીવનકાળથી થઈ રહી છે. પણ વ્યક્તિના વિચારોની સ્પષ્ટતા, સચ્ચાઈ અને શક્તિથી તે વિચાર દ્રઢતાપૂર્વક આગળ વધે છે. જ્યારે જાગરૂકતા આવે છે, ત્યારે સમાજ તેને ધીમે ધીમે સ્વીકૃતિ આપીને સ્વીકારતો જાય છે. એક વખત હતો કે જ્યારે વ્યક્તિને પોતે હિંદુ છે, તેમ કહેવામાં શરમ આવતી હતી. પોતે પોતાની જાતને સુધારાવાદી દર્શાવવા માટે હિંદુ ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતો હતો. આજે પણ હિંદુત્વ માટે ઘસાતુ બોલીને હંમેશા તેના પ્રત્યે નકરાત્મક અભિગમ રાખનારા બુદ્ધિજીવીઓની અને સુધારાવાદીઓની સમાજમાં કોઈ અછત નથી. પણ આવા લોકો હિંદુત્વની વ્યાપકતાથી અજાણ છે. જો કે આવી કેટલીક હિંદુદ્રોહી ટોળકીઓને બાદ કરતાં હિંદુ સમાજ પોતાની માનસિકતા બદલી રહ્યો છે.

“કાળ સ્વયં મારાથી ડરે છે, હું નહીં. અનેકવાર ફાંસીના ફંદાને ચુમીને, તેના સ્તંભોને ધ્રુજાવીને પાછો આવ્યો છું. આમ છતાં હું જીવિત રહ્યો, તે મૃત્યુની ભૂલ હતી.” 10 મે, 1952ના દિવસે પુણેની વિરાટ જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના મહાન રાષ્ટ્રવાદી ક્રાંતિકારીએ મૃત્યુનો ઉપહાસ કર્યો હતો. આ નીડર ક્રાંતિકારી અન્ય કોઈ નહીં, પણ વીર સાવરકર હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના નાનકડાં ગામ ભંગૂરમાં દામોદર પંત સાવરકરના પરિવારમાં 28 મે, 1883માં થયો હતો. તેમના મોટાભાઈ ગણેશ સાવરકર અને નાનાભાઈ નારાયણ સાવરકર હતા. આ ત્રણેય સાવરકર બંધુઓએ ભારતીય ક્રાંતિકારી આંદોલનમાં અગ્રદૂત તરીકેની ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. જેવી રીતે રાજકુમાર સિદ્ધાર્થ અસહાય વૃદ્ધ અને મૃત વ્યક્તિને જોઈને મહાભિનિષ્ક્રમણ કરીને મહાત્મા બુદ્ધ બન્યા હતા. શિવરાત્રિના દિવસે રાજકોટના ટંકારા ખાતે શિવલિંગ પર ઉંદરોની ઉછળ-કૂદ જોઈને બાળક મૂળશંકરના જીવનમાં ક્રાંતિનો સૂત્રપાત થયો અને તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી બન્યા. તેવી જ રીતે ભારતને બ્રિટિશરોની પરતંત્રતામાંથી મુક્ત કરાવવા ચોફેકર બંધુઓના ત્યાગ અને બલિદાનની ગાથાએ વિનાયક દામોદર સાવરકરને ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીર સાવરકર બનાવી દીધા હતા.

તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે સામેલ થયા હતા. તેમણે ભારતીયતાને અનુકૂળ રાજકીય વિચારો આપ્યા હતા. જ્યારે ભારતના ભાગલા કરવા માટે જવાબદાર મુસ્લિમ લીગ 1906થી સબળ બની રહી હતી, તે મુસ્લિમોની પૃથક ઓળખ હોવાનું ઠસાવી રહી હતી, ત્યારે તે વખતના નેતાઓ મુસ્લિમ લીગની અરાષ્ટ્રીય પ્રવૃતિઓ સામે ઢીલું વલણ દાખવતા હતા. તેના કારણે સ્વાતંત્ર્યવીર સાવરકર બેહદ નારાજ હતા. સાવરકરે મુસ્લિમ લીગના લખનૌ અધિવેશનના પ્રસ્તાવોને હિંદુવિરોધી, ભારતીય વિરોધી અને અતિરીક્ત દેશીય નિષ્ઠાથી પરિપૂર્ણ ગણાવીને તેની તીવ્ર ટીકા કરી હતી. તેમણે મુસ્લિમ લીગની ફારસી લીપિ સહીતની ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી, વંદેમાતરમ્ ગીતનો વિરોધ અને ભારતને મુસ્લિમ ભારત અને હિંદુ ભારતમાં વિભાજીત કરવાની યોજનાઓનો પ્રબળ વિરોધ કર્યો હતો.

ક્રાંતિકારી પ્રવૃતિઓ અને કાળાપાણીમાંથી મુક્ત થઈને ભારતીય રાજનીતિમાં વીર સાવરકરનું આગમન થયું, તે પહેલા જ મુસ્લિમ લીગી કોમવાદી રાજનીતિનો ઉદય, વિકાસ અને ઉત્કર્ષ થઈ ચુક્યો હતો. 1920-22માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલન સાથે અસહયોગ આંદોલનને જોડવાનો નિર્ણય ભારતીય રાજનીતિમાં મુસ્લિમ કોમવાદના ઝેરને ઘોળવા બરાબર હતો. જેના કારણે કેરળના મલબારમાં મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયરે હજારો હિંદુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કર્યું હતું અને તેનો વિરોધ કરનારાઓની નિર્મમ હત્યાઓ કરી હતી. મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયારે હિંદુઓ પરના મુસ્લિમોના અત્યાચારો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણને યોગ્ય ગણાવીને બેશરમીપૂર્વક કહ્યું હતું કે “હિંદુ-મુસ્લિમોની સ્થાયી એકતા ત્યારે જ શક્ય છે કે જ્યારે બધાં હિંદુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવે. જે હિંદુ આમ કરવાનો ઈન્કાર કરે, તે હિંદુ-મુસ્લિમ એકતાનો શત્રુ છે અને તેથી તે દેશદ્રોહી હોવાથી કતલ કરવા યોગ્ય છે.” (ગૃહવિભાગ-રાજનીતિક ફાઈલ ક્રમાંક 241-12/1921, ગ્રોથ ઓફ મુસ્લિમ પોલિટિક્સ ઈન ઈન્ડિયા, વાયલી, માથુર પૃ.નં.- 147-51) આ અલી મુસાલિયરના દુષ્કૃત્યોની નિંદા ન તો મહત્મા ગાંધીએ કરી અને ન તો ખિલાફત આંદોલનના નેતાઓએ! કેટલી સામ્યતા છે, અત્યારે પોતાને ધર્મનિરપેક્ષ અને વિકાસના તરફદાર કહેવડાવનારા નેતાઓમાં અને તત્કાલિન નેતાઓમાં?!