લેબલ ભગતસિંહ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ભગતસિંહ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 9 જુલાઈ, 2011

ગાંધી ચિંધ્યા માર્ગે માત્ર ક્રાંતિની હત્યા શક્ય!


ભારત એક એવો દેશ છે કે જ્યાંથી ક્રાંતિને દેશવટો મળ્યો છે. કારણ માત્ર એટલું છે કે ક્રાંતિની કિંમત ચુકવવામાં આનાકાની અને મોલભાવ થઈ રહ્યાં છે. આ દેશ પરિવર્તન નહીં, પરિવર્તનોની શ્રેણી ઈચ્છી રહ્યો છે, ચાતક પક્ષીની જેમ રાહ જોઈને બેઠો છે. પણ પરિવર્તનોની શ્રેણી લાવનાર ક્રાંતિને આમંત્રણ આપતા ડરે છે. ક્રાંતિ તો તેની કિંમત વસૂલશે, પછી તે કોઈપણ પ્રકારના બલિદાનો હોય-તન, મન, ધન. પણ આના માટે તૈયારી આજના ભારતની નથી. ક્રાંતિથી ડરનારાઓની ટોળીએ ક્રાંતિનો રસ્તો અહિંસા હોવાનું પ્રચારીત કર્યું છે. પરંતુ અહિંસાના કથિત રસ્તા પર ચાલીને ભારતે સત્તાની પદ્ધતિ નહીં, સત્તામાંના લોકોનું પરિવર્તન કરીને ક્રાંતિનો આભાસી સંતોષ માન્યો છે. ક્રાંતિમાં તો બલિદાનોની હેલી લગાવવી પડે છે. પરંતુ તેના માટે ભારતનો સમાજ સહેજ પણ તૈયાર નથી અને સામાજીક-રાજકીય નેતાગીરીનું સમાજને તૈયાર કરવા માટેનું કલેજું પણ નથી. ભારત વિદેશી આક્રમણખોરો સામે શસસ્ત્ર પ્રતિરોધ તો સદીઓથી કરતું રહ્યું છે. પરંતુ દરેક પ્રતિરોધ ક્રાંતિમાં પરિવર્તિત થતો નથી. ક્રાંતિ સમાજના સામુહિક ચિંતનથી બહાર આવેલા વિચારનો પરીપાક છે.

ભારત માટે સૌથી પહેલો નોંધાયેલો અનુભવ 1857નો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. આ સશસ્ત્ર ક્રાંતિએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસની બુનિયાદ હચમચાવી નાખી હતી. જો કે આ સંગ્રામ એક વિપ્લવ બનીને રહી ગયો, કારણ કે તેનાથી અંગ્રેજોની સત્તાથી મુક્તિ મળી શકી નહીં. બસ આ એક નિષ્ફળતાને વાગોળતા વાગોળતા નેતાગીરીએ સશસ્ત્ર પ્રતિરોધ અને તેનાથી ક્રાંતિનો વિચાર માંડી વાળ્યો. જો કે તેમ છતાં વાસુદેવ બલવંત ફડકે, ચાફેકર બંધુઓ, ગદર પાર્ટી, પ્રફુલ્લ ચાકી, મદનલાલ ઢીંગરા, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજ સત્તા સામે પ્રતિરોધ કરીને ક્રાંતિની કોશિશ કરી જોઈ. વિનાયક દામોદર સાવરકરે ક્રાંતિ ધ્વજને બુલંદ બનાવવાની કોશિશ કરી અને ઘણાં ક્રાંતિકારીઓ તથા ક્રાંતિકારી આંદોલનના પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક બની રહ્યાં. જો કે ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે તેઓ પ્રારંભિક સમયમાં જ અંગ્રેજ સરકારની જેલમાં પહોંચી ગયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ ભારત બહાર જઈને સેના બનાવીને ભારતને આઝાદી અપાવવાની કોશિશ કરી હતી. તો ભારતના નૌસૈનિકોએ મુંબઈમાં બળવો કરીને ક્રાંતિની જ્વાળાઓ ભડકાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતમાં ક્રાંતિ અમલમાં આવી શકી નહીં. (જો કે રાષ્ટ્રવાદી લોકોએ ક્રાંતિની પૂજા બંધ કરી, તો દેશદ્રોહીઓ અને નક્સલવાદીઓએ ક્રાંતિના આંચળા નીચે દેશવિરોધી હિંસાનો ખેલ આચર્યો છે અને બધાં ખામોશ છે, ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે કોઈ ઉકેલ સુઝતો નથી. )

આઝાદી પહેલા ક્રાંતિની મશાલો ઉંચકનારા હાથ પર હથોડા મારવાનું કામ અહિંસાના પૂજારી ગણાતા મહાત્મા ગાંધી અને તેમની પાછળ આંધળાની જેમ ફરનારા તેમના અનુયાયીઓએ કર્યું. ક્રાંતિ હંમેશા ઝડપી, સ્પષ્ટ અને ઈચ્છીત પરિણામ આપે છે. છતાં આ રસ્તો અંગ્રેજોના હિતમાં અપનાવવામાં આવ્યો નહીં અને આ રસ્તે જનારા ક્રાંતિકારી દેશભક્તોને આતંકવાદી અને હિંસાના પૂજારી કહીને બદનામ કરવાની કોશિશો આઝાદી પહેલા થઈ હતી. જો કે અત્યારે પણ આવા ક્રાંતિકારીઓને આતંકવાદી કહેવાની ફેશન હજી સમાપ્ત થઈ નથી. ભારતના ગુલામી કાળમાં દુનિયાભરના દેશોમાં ક્રાંતિઓ થઈ. લોકોએ, જે-તે દેશના સમાજોએ ભેગા મળીને સશસ્ત્ર ક્રાંતિઓ કરી. અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, રશિયા, ચીન વગેરે દેશો તેના ઉદાહરણો છે. પણ ભારતમાં ક્રાંતિ જ્વાળાઓને બુઝાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે આ ક્રાંતિ જ્વાળાઓ બુઝાવવામાં ગાંધી અને તેમના આંધળા અનુયાયીઓને કોઈ સફળતા મળી ન હતી. (હા, એટલું સાચું છે કે ક્રાંતિ જ્વાળાઓની આગ ધીમી જરૂર પડી.)

સશસ્ત્ર ક્રાંતિમાં હિંસા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. હિંસાને ખોટી વસ્તુ ગણવામાં આવે છે. પરંતુ હિંસા શું હંમેશા ખોટી વસ્તુ હોય છે? રામ રાવણને મારે, કૃષ્ણ કંસને મારે, અર્જૂન કૌરવ સેનાને મારે, ભીમ દુર્યોધનને મારે, દુર્ગા મહિષાસુરને મારે- તો આવી હિંસાને કેવી રીતે ખોટી ગણવી? હિંસા હંમેશા નિંદનીય કેવી રીતે હોઈ શકે? પરંતુ હિંસા અને મોતના ભયથી ભારતની પ્રજાને આતંકીત કરવાનું કામ ગાંધી અને તેમની ટોળકીએ કર્યું. ક્રાંતિનો રસ્તો રોકી લેવાયો. પરંતુ અહિંસા છતાં ભારતની આઝાદીમાં સેંકડો લોકોના જીવ ગયા અને ભાગલા વખતે દશ લાખ લોકો મુસ્લિમ લીગ દ્વારા પલીતો ચપાયેલા હુલ્લડોમાં 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ થવા દેવામાં આવી હોત, તો આટલી મોટી સંખ્યામાં લોકોની નિર્મમ હત્યા થઈ ન હોત. કદાચ ભારતના ભાગલા પણ પડયા ન હોત!

દેશનું દુર્ભાગ્ય હતું કે સ્વાતંત્ર્યવીર સાવરકરને અંગ્રેજોએ બેવડી જન્મટીપ આપીને કાળાપાણીની સજાએ અંદમાનની સેલ્યુલર જેલમાં બંધ કરી દીધા હતા. તે ગાળા દરમિયાન ક્રાંતિકારી દળને સક્ષમ અને નિરંતર નેતૃત્વ મળ્યું ન હતું. તેમ છતાં ક્રાંતિકારીઓમાં સાવરકરના લેખો અને પુસ્તકો ઘણાં મોટા પ્રમાણમાં લોકપ્રિય બન્યા હતા. સાવરકરે જ જેલમાંથી બહાર નીકળ્યા બાદ હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેના માટે એક જ કારણ જવાબદાર હોઈ શકે કે તે વખતે ભારતનું રાજકારણ હિંદુ અને મુસ્લિમ ખેમામાં વહેંચાઈ ગયું હતું. ત્યારે ભારતને અખંડ રાખી શકે તેવી વિચારધારા સાવરકરને પસંદ કરવાની હતી. અંગ્રેજોની કઠપૂતળી બની ચુકેલી મુસ્લિમ લીગ અને તેની પાછળ ઉભેલા મુસ્લિમ સમાજને તુષ્ટિકરણની નીતિથી પોતાની તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર કોંગ્રેસને જવાબ આપવા માટે સાવરકરે હિંદુ મહાસભામાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હતું. હિંદુઓ કોંગ્રેસ અને ગાંધીજીને પોતાના બેલી માનતા હતા અને મુસ્લિમો મુસ્લિમ લીગ અને જિન્નાની દોરવણી નીચે અલગ પાકિસ્તાનની માગણી કરી રહ્યાં હતા. તો આ સમયે અંગ્રેજો પોતાના રાજકીય અને સામરીક હિતોને ધ્યાનમાં રાખીને તેને ઈંજન પુરું પાડતા હતા. આ પરિસ્થિતિમાં દેશના ભાગલા પડયા. આ દુષ્પરિણામ છે, ક્રાંતિને કેદ કરવાનું. ત્યાર પછીની દુર્ઘટનાઓની હારમાળાથી કોઈ અપરીચિત નથી. આ દુર્ઘટનાઓ ભારતની આઝાદીના છ દશકાઓ બાદ પણ ચાલુ છે.

ક્રાંતિથી ભાગવાની વૃતિએ ભારતીય નેતાગીરીના વિચારોને કુંઠિત કરી નાખ્યા છે. જેના કારણે તેઓ ભારતને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપી શકતા નથી. જો કે તેઓ ભારતને લૂંટવાની અંગ્રેજોની પરંપરા છેલ્લા 64 વર્ષથી ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે! ભ્રષ્ટાચાર, કાળું ધન, મોંઘવારી, આતંકવાદ, ખેડૂતોની ઉપેક્ષા, નક્સલવાદ, ગરીબી, બેરોજગારી, રાજકીય વિચારશૂન્યતા, અનૈતિકતા, ગુનાખોરી વગેરે સમસ્યાઓને સ્વહિત સાધન માટે ઉકેલી રહ્યાં નથી. શું ક્રાંતિનું સરનામું કમ્યુનિસ્ટ જ હોઈ શકે, શું ક્રાંતિ ઈસ્લામિક જ હોઈ શકે, શું ક્રાંતિ યુરોપીયન અને અમેરિકી જ કરી શકે? ક્રાંતિના રસ્તે હિંદુ કેમ ન ચાલી શકે? ભારતને મહાન બનાવવા માટે ક્રાંતિ હાલ અનિવાર્ય છે. પણ તેના માટે ક્રાંતિના નામે થઈ રહેલા તાયફાઓ અને અનશનના નાટકો ક્રાંતિ નથી, તેનાથી કોઈ પરિવર્તન થવાના નથી, માત્ર તાયફાના મુખ્ય કલાકારોને પ્રસિદ્ધિ મળવાની છે.

અન્ના નહીં, આંધી હૈ. આજ કા ગાંધી હૈ-ના સૂત્રો સાંભળીને તમને હસવું નથી આવતું? ભારતમાં ક્રાંતિની હત્યા કરવાનું પાપ જેના માથે છે, તે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને ધરણાં કરીને દેશ બદલવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને આંદોલનો કરીને દેશમાં માત્ર તાયફા, નાટકો અને સ્વહિતસાધના જ થઈ છે. જો ગાંધી ચિંધ્યા માર્ગે કંઈપણ થઈ શકે, તો તે ક્રાંતિની હત્યા થઈ શકે છે. ક્રાંતિને જીવિત કરવાની જો જરાપણ ઈચ્છા હોય, તો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિંધેલા માર્ગને પણ જોઈ લેવાની, તપાસી લેવાની અને અનુસરી લેવાની જરૂર છે. આજે દેશનું નૈતિક બળ ભ્રષ્ટ નેતાગીરીને કારણે રસાતળે પહોંચ્યું છે. ત્યારે ખરેખર દેશને જરૂર છે, ક્રાંતિ સાધકોની. પણ ક્રાંતિ ઘણી કઠોર હોય છે, પણ તેની કઠોરતાથી ડરીને તેનાથી ભાગવાની વૃતિ દેશનું ઘણું અહિત કરી રહી છે અને કરશે. સાવરકરનું ક્રાંતિ દર્શન હજીપણ સેલ્યુલર જેલમાં કાળાપાણીએ છે. આ ક્રાંતિના દર્શનને કાળાપાણીથી ફરી દેશની મુખ્યધારામાં લાવવું જોઈએ.

શુક્રવાર, 27 મે, 2011

જલિયાંવાલા બાગ: 1650 રાઉન્ડમાં 1000થી વધારેની હત્યા!


અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે.

13 એપ્રિલ, 1919નો દિવસ બૈશાખીનો દિવસ હતો. બૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. 13 એપ્રિલ, 1699ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. તેના કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં બૈશાખી સૌથી મોટો તહેવાર છે અને શીખો તેને સામૂહિક જન્મદિવસના રૂપમાં ઉજવે છે. અમૃતસરમાં તે દિવસે એક મેળો સેંકડો વર્ષોથી યોજાતો હતો, તેમાં તે દિવસે પણ હજારો લોકો દૂર-દૂરના સ્થાનો પરથી ખુશીઓ વહેંચવા આવ્યા હતા. પરંતુ કોને ખબર હતી કે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરનો ફાયરિંગનો હુકમ અને બ્રિટિશ સૈનિકોની ગોળીઓ સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહીથી લાલ રંગે રંગી નાખશે.

દમનકારી રોલેટ એક્ટના કાળા કાયદાની પૃષ્ઠભૂમિ

અંગ્રેજી હુકૂમતનું દમનકારી વલણ 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ શરૂ થઈ ચુક્યું હતું. દેશ આખાએ તેનો અનુભવ કર્યો હતો. જો કે તેમ છતાં ભારતે પ્રથમ વિશ્વ યુદ્ધમાં (1914-1918) બ્રિટિશ હુકૂમતનો ખુલીને સાથ આપ્યો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિએ આશા હતી કે ભારત સાથે બ્રિટિશ શાસન નરમાશથી વર્તશે. પરંતુ લોકોની ભાવનાથી વિપરીત બ્રિટિશ સરકારે મોન્ટેગૂ-ચેમ્સફર્ડ સુધારા લાગુ કરી દીધા. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે પંજાબના ક્ષેત્રોમાં બ્રિટિશરો સામે વિરોધ કંઈક વધારે પ્રમાણમાં સપાટી પર આવ્યો હતો. તેને દબાવવા માટે ભારત પ્રતિરક્ષા કાયદો (1915) લાગુ કરીને કચડી નાખ્યું હતું. ત્યાર બાદ 1918માં એક બ્રિટિશ જજ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની જવાબદારી ભારતમાં ખાસ કરીને પંજાબ અને બંગાળમાં બ્રિટિશરોનો વિરોધ કઈ વિદેશી શક્તિઓની સહાયતાથી થઈ રહ્યો હતો, તેનું અધ્યયન કરવાની હતી. આ સમિતિના સૂચનો પ્રમાણે, ભારત પ્રતિરક્ષા કાયદાનો વિસ્તાર કરીને રોલેટ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો હતો. રોલેટ એક્ટનો હેતુ આઝાદી માટે ચાલી રહેલા આંદોલન પર રોક લગાવવાનો હતો. રોલેટ એક્ટના કાળા કાયદા પ્રમાણે, સરકારને વધારે અધિકાર આપવામાં આવ્યા હતા. તેમાં તેઓ પ્રેસ પર સેન્સરશીપ લગાવી શકે, નેતાઓને કેસ વગર જેલમાં રાખી શકે, લોકોને વોરંટ વગર પકડી શકે, તેમના પર વિશેષ ટ્રિબ્યૂનલો અને બંધ કરમામાં જવાબદેહી વગર ચુકાદા ચલાવી શકતા હતા.

રોલેટ એક્ટ તે સમયે બ્રિટિશ હુકૂમતની દમનકારી નીતિઓનું વાહક બની ગયો હોવાથી તેની સામે વિરોધનું વાતાવરણ બની ગયું હતું. તેને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવતો હતો અને લોકો તેના વિરોધમાં ધરપકડ વ્હોરી રહ્યાં હતા. ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવી ચુક્યા હતા અને ધીમેધીમે તેમની લોકપ્રિયતા વધી રહી હતી. તેમણે રોલેટ એક્ટના વિરોધનું આહવાન કર્યું હતું. તેને કચડવા માટે બ્રિટિશ સરકારે વધુ નેતાઓ અને લોકોની ધરપકડ કરી હતી. જેનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો અને લોકોએ રેલવે તથા તાર-ટપાલ સેવાઓને બાધિત કરી હતી. આંદોલન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેના ચરમ પર પહોંચ્યું હતું. લાહોર અને અમૃતસરની સડકો પર માનવ મહેરામણ ઉમટેલો રહેતો હતો. લગભગ 5 હજાર લોકો જલિયાંવાલા બાગમાં ભેગા થયા હતા. બ્રિટિશ સરકારના ઘણાં અધિકારીઓ તેને 1857ની ક્રાંતિ અને તેમની દ્રષ્ટિએ વિપ્લવના પુનરાવર્તન જેવી પરિસ્થિતિ લાગી રહી હતી. તેને ન થવા દેવા અને કચડવા માટે તેઓ કંઈપણ કરવા માટે તૈયાર હતા.

રોલેટ એક્ટ સામેના આંદોલનને કચડી નાખવા માટે દમનનો આશરો

આંદોલનના બે નેતાઓ સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરીને કાળાપાણીની સજા આપવામાં આવી હતી. 10 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના ઉપ-કમિશનરના ઘર પર આ બંને નેતાઓને મુક્ત કરવાની માગણી રજૂ કરવામાં આવી હતી. તે વખતના ઉકળાટભર્યા વાતાવરણમાં 5 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. તેના વિરોધમાં બ્રિટિશ સિપાહીઓએ ભારતીય જનતા પર અંધાધૂંધ ગોળીબાર કરીને 8થી 20 ભારતીયોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આગામી બે દિવસ દરમિયાન અમૃતસર તો શાંત રહ્યું હતું. પરંતુ પંજાબના અન્ય ક્ષેત્રોમાં હિંસા ફેલાઈ ગઈ હતી અને અન્ય 3 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. આ પ્રકારની પરિસ્થિતિને કચડવા માટે પંજાબના મોટાભાગના વિસ્તારમાં માર્શલ લૉ લાગુ કરી દીધો હતો.

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

બૈશાખીના દિવસે 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવમાં આવી હતી. તેમાં કેટલાંક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા પણ હતા કે જે બૈશાખી જોવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવાં આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યાં હતા. જ્યારે નેતા બાગમાં પડેલા ઉંચાણવાળા સ્થળે ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાંના હાથમાં ગોળીઓ ભરેલી રાયફલ હતા. નેતાઓએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું હતું.

સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તેઓ કુવામાં લાશોનો ઢગલો થયો હતો.

જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી. શહેરમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો. જેના કારણે ઘાયલોને સારવાર માટે પણ ક્યાંય લઈ જઈ શકયા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યાં હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં 484 શહીદોની યાદી છે. જ્યારે જલિયાંવાલા બાગમાં કુલ 338 શહીદોની યાદી છે. બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379 લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, માર્યા ગયેલાઓમાં 337 પુરુષો, 41 કિશોરો અને એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો. અનાધિકારીક આંકડા પ્રમાણે, 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને 2000થી વધારે લોકો ઘાયલ થયા હતા.

વરિષ્ઠોને જનરલ ડાયરનું રિપોર્ટિંગ

મુખ્યમથકે પાછા ફરીને બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેમના પર ભારતીયોની એક ફૌજે હુમલો કર્યો હતો. તેમાં બચવા માટે તેમને ગોળીબાર કરવા પડયા હતા. બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરે તેના જવાબમાં બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડજાયરને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેણે યોગ્ય પગલું લીધું છે. તેઓ તેના નિર્ણયને અનુમોદન આપે છે. ત્યાર વાઈસરોય ચેમ્સફર્ડની સ્વીકૃતિ બાદ અમૃતસર અને અન્ય ક્ષેત્રોમાં માર્શલ લો લગાવી દેવામાં આવ્યો હતો.

જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ

આ જઘન્ય હત્યાકાંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી. તેના દબાણમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગૂએ 1919ના અંતમાં મામલાની તપાસ માટે હંટર કમિશનની નિમણૂક કરી હતી. કમિશન સામે બ્રિગેડીયર જનરલ ડાયરે સ્વીકાર્યું હતું કે જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરીને લોકોને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતાં પહેલા જ કર્યો હતો. તે ત્યાં લોકોને મારી નાખવા માટે બે તોપો પણ લઈ ગયો હતો. પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેને બહાર જ રાખવી પડી હતી.

હંટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયરને બ્રિગેડીયર જનરલમાંથી કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો. તેને અક્રિય અધિકારીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો. તેને ભારતમાં પોસ્ટ ન આપવાનો નિર્ણય કરાયો હતો અને તે સ્વાસ્થ્યના કારણોથી બ્રિટન પાછો ફર્યો હતો.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો, પરંતુ હાઉસ ઓફ લોર્ડ્સે તેના વખાણ કરતો પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં બ્રિટિશ સરકારે તેનો નિંદા પ્રસ્તાવ પારીત કર્યો અને 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું. 1927માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું.

જલિયાંવાલા બાગ હત્યાકાંડનો વિરોધ

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો. આઝાદી માટે લોકોના જોશમાં આવી ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લોકોમાં આઝાદીની આકાંક્ષા વધવા લાગી હતી. આ હત્યાકાંડની ખબર તે વખતના અપૂરતાં સંચાર સાધનો છતાં જંગલમાં આગની જેમ દેશભરમાં ફેલાઈ ગઈ હતી. જલિયાંવાલા હત્યાકાંડ બાદ પણ લોકોની આઝાદી માટેની ચાહત જોઈને ગાંધીજીએ 1920માં અસહયોગ આંદોલનની શરૂઆત કરી હતી.

ઉધમસિંહે જલિયાવાલા બાગ હત્યાકાંડનું વેર વાળ્યું

જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા. ગાંધી અને નેહરુએ ઉધમ સિંહ દ્વારા માઈકલ ઓ ડાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી.

ભગતસિંહને ક્રાંતિકારી બનવા પ્રેરણા આપી

જલિયાંવાલા બાગના હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. તેની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢયા હતા.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ટર્નિંગ પોઈન્ટ હતો? ભારતને બે ઉચ્ચકોટિના ક્રાંતિકારી ઉધમસિંહ અને ભગતસિંહ આપનારા જલિયાંવાલા બાગને કેવી રીતે મુલવો છો? જલિયાંવાલા હત્યાકાંડના આજના દિવસે તમે શહીદોને કેવી રીતે શ્રદ્ઘંજલિ આપશો? તમારો અભિપ્રાય અને સંદેશ નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો.

નાસ્તિક ભગતસિંહે જેલમાં ભગવત ગીતા માંગી હતી!


ભગતસિંહે પોતે નાસ્તિક કેમ છે, તે સમજાવતો સુપ્રસિદ્ધ લેખ લખ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે તરવરિયા ક્રાંતિકારી યુવાન ભગતસિંહે માર્ક્સ, લેનિન, બુકાનિન વગેરેને ખૂબ ધ્યાનથી વાંચ્યા છે. જો કે તેમને તેમના જીવનકાળ દરમિયાન ભારતીય દર્શન નહીં વાંચવાનો અફસોસ રહ્યો હતો. પરંતુ આ ક્રાંતિકારી યુવાન ભારતને ક્રાંતિપથના અગ્નિપથ પર આગળ લઈ જવા માંગતો હતો. પરંતુ તેમના સંદર્ભે ચાલતા થોડા વિવાદોમાંનો એક વિવાદ એ પણ છે કે શું તેમણે શ્રીમદ ભગવદ ગીતા પણ વાંચી હતી? એવું માની શકાય છે કે તેમણે પોતાના જેલવાસ દરમિયાન ગીતા વાંચી હતી.

એપ્રિલ, 1929માં જ્યારે ભગતસિંહને જેલમાં ગયાને થોડા દિવસો થયા હતા, ત્યારે તેમણે જેલમાં ભગવદ ગીતાની માગણી કરી હતી. 8 એપ્રિલે, 1929ના રોજ નેશનલ એસમ્બલીમાં બોમ્બ ફેંકવાના મામલામાં ભગતસિંહની ધરપકડ કરીને દિલ્હીમાં જેલમાં બંદી બનાવાયા હતા. અહીં તેમણે ગીતાની માગણી કરી હતી. આ સંદર્ભેના સમાચાર 30 એપ્રિલ, 1929ના લાહોરથી પ્રકાશિત થનારા તત્કાલિન અંગ્રેજી અખબાર ‘ધ ટ્રિબ્યૂન’ના પૃષ્ઠ ક્રમાંક-9 પર પ્રકાશિત થયા હતા. 27 એપ્રિલે દિલ્હીની ‘બાય લાઈન’થી લખાયેલા સમાચારનું શીર્ષક હતું, ‘S. Bhagat Singh wants Geeta.’ અહેવાલમાં લખ્યું હતું ‘એવા રિપોર્ટ છે કે સરદાર ભગતસિંહે પોતાના પિતાને નેપોલિયનની આત્મકથા અને લોકમાન્ય તિલક લિખિત ગીતાની નકલ મોકલવા માટે લખ્યું છે.’

આ એક વધુ તથ્ય વિચાર કરવા યોગ્ય છે. પંજાબના નવાંશહરના ખટકડ કલાં સ્થિત શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ સંગ્રહાલયમાં એક ભગવદ ગીતા રાખવામાં આવેલી છે. તેના કવર પેજ પર ‘ભગતસિંહ, સેન્ટ્રલ જેલ, લાહોર’ લખેલું છે. પરંતુ આ તિલક દ્વારા લિખિત ગીતા નથી, પરંતુ પં. નૃસિંહદેવ શાસ્ત્રીના ભાષ્યવાળી ગીતા છે. તે આર્ય બુક ડિપો લાહોરથી પ્રકાશિત થયેલી છે. તેના પર કોઈ પુસ્તકાલયની મહોર નથી. સંભવ છે કે તેમના કોઈ પરિવારજનોએ ગીતાની આ નકલ તેમની પાસે પહોંચાડી હોય. કવર પેજ પર અક્ષરો ભગતસિંહના છે કે નહીં, તેના પર જાણકારોમાં મતભેદો છે.

ભગતસિંહને તિલકની ગીતા ઉપલબ્ધ કરાવવાની તરફેણમાં હજી સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. ભગતસિંહના જીવન સંદર્ભે સંસોધન કરનારા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રખ્યાત માર્ક્સવાદી વિદ્વાન પ્રો. ચમનલાલે એક અખબારને ભૂતકાળમાં જણાવ્યું હતું કે સંભવ છે કે તિલકની ગીતા ન મળી હોય અને બજારમાં જે ગીતા મળી, તેને જ તેમની પાસે પહોંચાડી દેવામાં આવી હોય. પરંતુ તેમને શંકા છે કે તેમણે ગીતા વાંચી હશે, કારણ કે ભગતસિંહ જેલમાં જે કંઈપણ વાંચતા હતા, તેને પોતાની જેલ ડાયરીમાં નોટ કરીને રાખતા હતા અને તેમની જેલ ડાયરીમાં ગીતાના કોઈ સંદર્ભ મળતા નથી. પરંતુ શું જેલ ડાયરીમાં તેઓ બધું જ નોટ કરતાં હતા, તે સવાલના જવાબમાં પ્રો. ચમનલાલ જરૂર કંઈક છૂટ આપે છે. પરંતુ સાથે તેમણે કહ્યું હતું કે જો તેમણે જેલમાં ગીતા વાંચી પણ હશે, તો તેમાં તેમને કંઈ મહત્વપૂર્ણ લાગ્યું નહીં હોય. કારણ કે જેલ ડાયરીમાં તેમાંથી કોઈ નોટ મળતી નથી. આમ પણ તેમના દ્વારા તિલક જેવાં રાષ્ટ્રવાદી નેતાની લખેલી ગીતા માગવાનો હેતુ ધાર્મિક નહીં, પણ રાજકીય હશે.

આ સંદર્ભે જાણીતાં ઈતિહાસકાર પ્રો. કે. સી. યાદવે પ્રો. ચમનલાલની સાથે સંમતિ દર્શાવી નથી. તેમના જણાવ્યા પ્રમાણે, આ વાત કોઈ મહત્વ ધરાવતી નથી કે જેલ ડાયરીમાં ગીતાની ચર્ચા નથી, કારણ કે કોઈ જરૂરી નથી કે તેમાં તેઓ દરેક પુસ્તકની ચર્ચા કરે જ. તેમાં ગીતાનો ઉલ્લેખન ન હોવાથી તેનું મહત્વ નકારી શકાય નહીં. મહત્વપૂર્ણ વાત છે કે તેમના દ્વારા જેલવાસ દરમિયાન ગીતા વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને હળવાશથી લઈ શકાય નહીં, કારણ કે ગીતા તત્કાલિન ક્રાંતિકારીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહી છે. તેમને ગીતામાંથી દાર્શનિક આધાર મળતો રહ્યો છે. ગીતાનો કર્મવાદ તેમને માનસિક શાંતિ અને શક્તિ પ્રદાન કરતો રહ્યો છે.

પ્રો. યાદવે જણાવ્યું હતું કે ભગત સિંહની જીંદગીમાં ગીતાની ભૂમિકા સમજવા માટે તેમની વિચાર નિર્માણની પ્રક્રિયાના વિકાસને સમજવી પડશે. હકીકતમાં તેઓ આખી જીંદગી વિચાર નિર્માણની પ્રક્રિયામાંથી પસાર થયા છે. જો તેઓ વધુ સમય સુધી જીવિત રહેત, તો તેમની આ વિચાર પ્રક્રિયા ક્યાં જઈને થોભી જાત તે કહેવું મુશ્કેલ છે. તેમની પારિવારીક પૃષ્ઠભૂમિ આર્ય સમાજી હતી. પોતાની 23 વર્ષની જીંદગીમાં સમાજવાદના ઉંબરા સુધી પહોંચતા પહેલા બબ્બર અકાલી, આયરિશ અને રશિયન ક્રાંતિકારીઓ તથા દેશી ક્રાંતિકારીઓની વૈચારીક ગલીઓમાંથી પસાર થઈ ચુક્યા હતા. એ સાચું છે કે તેઓ માર્ક્સવાદ અને સમાજવાદમાં સંપૂર્ણપણે રસ દાખવતા હતા અને તેઓ તેનાથી પ્રભાવિત હતા. તેઓ રશિયન ક્રાંતિની પેટર્ન પર ભારતમાં પરિવર્તન ઈચ્છતા હતા. પરંતુ એ કહેવું કે તેઓ સંપૂર્ણપણે કમ્યુનિસ્ટ હતા, તે બિલકુલ ખોટું છે. તેઓ જે કંઈપણ હતા, તે યથાર્થવાદી હતા. જો તેઓ કમ્યુનિસ્ટ અથવા સમાજવાદી હતા, તો પોતાના જ પ્રકારના કમ્યુનિસ્ટ કે સમાજવાદી હતા.

વાસ્તવમાં ભગતસિંહને એ અફસોસ હતો કે તેમને ભારતીય સાહિત્ય વાંચવાનો સમય મળ્યો નથી. પરંતુ એવું માની શકાય છે કે ભગતસિંહે ગીતા વાંચી હશે. આ વાતની પૂરી શક્યતા છે કે તેમની પાસે જેલમાં ગીતા પહોંચાડવામાં આવી હશે, ચાહે તે દિલ્હીમાં પહોંચાડવામાં આવી હોય કે લાહોરમાં. ઉલ્લેખનીય છે કે કેટલાંક દિવસોમાં દિલ્હી કેસનો ચુકાદો આવ્યા બાદ તેમને સેન્ડર્સ કેસ માટે લાહોરની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ભગત સિંહની ફાંસી બાદ તેમનો સામાન તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. તેમાંથી ભગવદ ગીતા મળી હશે. સવાલ ઉભો થાય છે કે વિદ્વાનોનું ધ્યાન હજી સુધી આ તરફ કેમ ગયું નથી?

તમારો અભિપ્રાય

શહીદ ભગતસિંહે જેલવાસના થોડા દિવસોમાં શ્રીમદ ભગવદ ગીતાની લોકમાન્ય તિલક કૃત ગીતા રહસ્ય માંગી હોવાની વાત શું સૂચવી જાય છે? શું ભગતસિંહ ભગવદ ગીતાની નકલ મળ્યા બાદ તેને વાંચ્યા વગર જેલમાં મૂકી રાખે તે શક્ય લાગે છે? શું ભગવદ ગીતા તત્કાલિન ક્રાંતિકારીઓને દાર્શનિક આધાર પૂરો પડતી હતી, તો એવી કોઈ શક્યતા ન હોઈ શકે કે ભગતસિંહ રાજકીય હેતુસર ભગવદ ગીતાનું અધ્યયન કરવા માંગતા હોય? તમારા અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં શિષ્ટ અને સંયમિત ભાષામાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચાનો પ્રારંભ કરો.

શહીદોની શહાદત ભૂલનારા રાષ્ટ્રો ભૂંસાઈ જાય છે!

હર્બટ સ્પેન્સરે કહ્યું છે કે આક્રમણ સામે મુકાબલો કે વિરોધ-એ માત્ર ન્યાયસંગત જ નથી, પરંતુ અત્યાવશ્યક અને અનિવાર્ય છે. અવિરોધ તો બંનેને હાનિ પહોંચાડશે, પરાર્થવાદ અને અસ્મિતાને પણ. શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહ પણ આવા જ એક ક્રાંતિકારી હતા કે જેમણે શોષકોના રૂપમાં રહેલી અંગ્રેજી સત્તાના આક્રમણનો વિરોધ કરીને મુકાબલો કરીને પોતાના જીવનનું બલિદાન આપ્યું. નાનપણમાં ખેતરમાં બંદૂકો વાવનારો ભગતસિંહ યુવાન બનીને ક્રાંતિની જ્વાળાઓને ચંદ્રશેખર આઝાદ અને અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને દેશભરમાં પ્રજ્વલિત કરવા લાગ્યા હતા.

તેમણે કાકોરી કાંડમાં અંગ્રેજ ખજાનો લૂંટવામાં મોટી ભૂમિકા અદા કરી, લાલા લાજપતરાયના મોતનો બદલો લેવા માટે અંગ્રેજ અધિકારી સેન્ડર્સને રાજગુરુ સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો અને છેલ્લે અંગ્રેજી સત્તાના બહેરા કાન સુધી ભારતીયોનો ઈન્કિલાબનો અવાજ પહોંચાડવા માટે ભગતસિંહે પોતાના સાથીદાર બટુકેશ્વર દત્ત સાથે મળીને સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. તેમના બોમ્બ ફેંકવાનો હેતુ માત્ર ધડાકો કરીને અંગ્રેજી સત્તાના બહેરા કાને ક્રાંતિનો અવાજ પહોંચાડવાનો જ હતો. તેમણે આ બોમ્બ વિસ્ફોટથી કોઈ જાન હાનિ કરી ન હતી. એપ્રિલ-1929માં ધરપકડ કરાયેલા ભગતસિંહ પર એસેમ્બલી બોમ્બ કાંડ અને સેન્ડર્સની હત્યાના કેસ ચાલ્યા જેમાં તેમને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

આજે પણ ક્રાંતિની મશાલ રાહ જોઈ રહી છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવાં વિરલાઓ બાદ હવે કોઈ આ ક્રાંતિની મશાલ પોતાના હાથમાં લે અને તેનાથી ક્રાંતિ જ્યોતને પ્રજ્વલિત કરીને ભારતમાં ક્રાંતિ ફેલાવે.

ભગતસિંહના ક્રાંતિકારી સાથીદાર શહીદ રામપ્રસાદ બિસ્મિલે તો કહ્યું છે કે-

વક્ત આને પર બતા દેંગે,તુજે ઓ આસમાં.
હમ અભી સે ક્યાં બતાએ, ક્યા હમારે દિલ મેં હૈ.
સરફરોશી કી તમન્ના,અબ હમારે દિલ મે હૈ


ભારતના નામી-અનામી ક્રાંતિકારીઓએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્રપ્રસાદ લાહોડી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લાખાન જેવાઓની સરફરોશીની તમન્નાથી પોતાના દિલની વાત વખત આવ્યે આસમાનને જણાવી દીધી. પોતાના પ્રાણની રાષ્ટ્રના સ્વતંત્રતા યજ્ઞમાં આહૂતિ આપીને બલિદાનની અમરગાથા રચી છે.

આજનો યુવાન આ ગાથા ભૂલી જશે તો બહુ મોટી ભૂલ થશે. યુવાનો માટે સારા કામ કરવા, દેશહિતને આગળ વધારવું, દેશની પ્રગતિ અને સમૃદ્ધિને વધારવી વગેરેના લક્ષ્ય સાથે દેશ, સમાજની કમજોરીઓને દૂર કરીને સશક્ત રાષ્ટ્રના નિર્માણની આ મહાન હુતાત્માઓની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવી પડશે. આ જ આવા મહાન બલિદાનીઓને સાચી શ્રદ્ધાંજલિ હશે.

હમને માના જંગ કડી હૈ, સર ફૂટેંગે, ખૂન બહેગા
ખૂન મેં ગમ ભી બહ જાયેગેં, હમ ન રહેગેં ગમ ભી ન રહેગા.

આ ભાવના સાથે ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની કેટલીક પંક્તિઓ યાદ આવ્યા વગર રહેતી નથી કે "શહીદના રક્તથી વધીને જગતમાં કોઈ ચીજ પવિત્ર નથી. જળ પછી તે ગંગાનું હોય કે ગોદાવરીનું, એમેઝોનનું હોય કે વોલ્ગાનું, નાઈલનું હોય કે સિંધુનું, યોગ સીક્યાંગનું હોય કે યમુનાનું જળ હંમેશા મલિન છે, કારણ કે એમાં કરોડો માતાઓના, બહેનોના અને વિધવાઓના ઉના ઉના અશ્રુઓ વહ્યાં છે. શહીદનું રક્ત નિસ્વાર્થ વહે છે, દેશ માટે વહે છે, સમષ્ટિ માટે વહે છે, મુક્તિ માટે વહે છે, ઉદ્ધાર માટે વહે છે અને પરમ પવિત્ર એવા સ્વાતંત્ર્ય માટે વહે છે.

શહીદના રક્તથી જે ધરા સિંચાઈ નથી, તે વાંઝણી છે. શહીદ પાયાનો પથ્થર છે, જે દ્રષ્ટિગોચર નથી, પરંતુ મહાન રાષ્ટ્રની ભવ્ય ઈમારત આ પાયાના પથ્થરો ઉપર જ રચાય છે. શહીદના સંસ્મરણથી વધીને મોટો કોઈ પાળિયો નથી, કોઈ ખાંભી નથી, કોઈ દેવમૂર્તિ નથી કે કોઈ દેવાલય નથી.

જે રાષ્ટ્રની પ્રજા શહાદતને વિસ્મરે છે, ભૂલે છે એ પ્રજા ઝડપથી આત્મ હત્યા નોતરી લે છે."

તમને નથી લાગતું કે આજે ભારતમાં જે રીતે ભ્રષ્ટાચાર અને શાસનની ખામીઓ દેખાય રહી છે, તે શહીદોની શહાદતોને ભૂલી જવાનું પરિણામ છે. તમે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવાં શહીદોના બલિદાન દિવસે તેમના ક્યાં વિચારોથી પ્રભાવિત છો. તમારા મતે ભગતસિંહ જીવિત હોત, સમાજ અને રાષ્ટ્ર પરિવર્તન અને ક્રાંતિ માટે કઈ પદ્ધતિ અપનાવત. શું આપણે શહીદોના બલિદાનોનો મલાજો જાળવી શક્યા છીએ કે પછી આપણાં નિહિત્ત સ્વાર્થો માટે એકબીજાના ગળા કાપવામાં અને પગ ખેંચવામાં જ પડયા છે. શહીદોની શહીદીથી મળેલી આઝાદીને સાચવવા માટે આપણે હજી પરિપકવ બન્યા નથી કે જેથી સાંપ્રદાયિકતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર, કાળા નાણાં જેવાં અનેક કુચક્રોમાં ફસાયા છીએ.

તમારો અભિપ્રાય

તમારો આ સંદર્ભે જે પણ કોઈ અભિપ્રાય હોય, ભગતસિંહ અને તેમના સાથીદારોની શહાદત અને તેમના વિચારો સંદર્ભે જે પણ કોઈ મંતવ્ય હોય, તે નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં શિષ્ટ અને સંયમિત ભાષામાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.

ભગતસિંહ : ‘થોભો,એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે’

>અંતિમ સમયે ઈશ્વરને યાદ કરીશ, તો તે બુજદિલ માનશે

ભગતસિંહ શું એક વ્યક્તિ હતા? જો ભગતસિંહ એક વ્યક્તિ હતા, તો તેને અંગ્રેજી હૂકુમતે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. પરંતુ ભગતસિંહ માત્ર એક વ્યક્તિ ન હતા, તેઓ એક એવી વિચારસરણી બની ગયા હતા કે જેને આજે પણ ભારતના યુવાનો આદર્શ તરીકે માને છે. ભગતસિંહ એક વ્યક્તિ કરતાં એક વિચાર અને તેથી વધારે એક વિચારધારા વધારે હતા. અંગ્રેજોએ બહુ મોટી ભૂલ કરી કે તેઓ વ્યક્તિને મારી શક્યા, તેમના વિચારો આજે પણ જીવંત છે. માટે જ માણસને મારી શકાય છે, તેના વિચાર, તેની સારાસ, તેની નિર્ભયતા, તેના કામને ક્યારેય મારી શકાતું નથી.

ફાંસી પહેલાની શહીદ-એ-આઝમ ભગતસિંહની અંતિમ ક્ષણો પરના વિવરણો દર્શાવે છે કે આ માણસના વિચારો જેટલા નિડર હતા, ક્રાંતિકારી કાર્યોમાં જેટલાં બહાદૂર હતા, તેઓ તેટલી જ નિર્ભયતા સાથે મા ભારતીની આઝાદી માટે ફાંસીના માંચડે ચઢયા હતા. આ હુતાત્માએ પોતાના જીવનનું એક બહુ મોટા દેશકાર્ય માટે બલિદાન કર્યું હતું.

લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહે જણાવ્યું હતું કે 23 માર્ચ, 1931ની સાંજે ત્રણ વાગ્યે જ્યારે તેમને ફાંસીની ખબર પડી, તો તેઓ ભગતસિંહ પાસે ગયા અને કહ્યું કે “મારી માત્ર એક પ્રાર્થના છે કે અંતિમ સમયમાં વાહે ગુરુનું નામ લઈ લો અને ગુરુવાણીનો પાઠ કરી લો.”

નિર્ભય અને બહાદૂર સરદાર ભગતસિંહે જોરથી હસીને કહ્યું હતું કે “તમારા પ્રેમનો શુક્રગુજાર છું. પરંતુ હવે જ્યારે અંતિમ સમય આવ્યો. હું ઈશ્વરને યાદ કરી, તો તે કહેશે કે હું બુજદિલ છું. આખી જીંદગી તો તેને યાદ કર્યો નથી અને હવે મોત સામે નજરે પડવા લાગ્યું છે, તો ઈશ્વરને યાદ કરવા લાગું. માટે એ જ સારું હશે કે મે જે પ્રકારે પહેલા પોતાનું જીવન જીવ્યું છે, તેવી જ રીતે મારો અંતિમ સમય પણ ગુજારું. મારા ઉપર તો ઘણાં આરોપ લાગવાશે કે ભગત સિંહ નાસ્તિક હતા અને તેમણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો નથી, પરંતુ એ આરોપ તો કોઈ નહીં લગાવે કે ભગતસિંહ કાયર અને બેઈમાન પણ હતો અને અંતિમ સમયમાં તેના પગ લથડવા લાગ્યા હતા.” (ભગતસિંહ-પ્રો. દીદારસિંહ, પૃષ્ઠ ક્રમાંક-346)

ભગતસિંહે લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહને આપેલા જવાબમાં અહંકારનો એકપણ છાંટો ન હતો, પણ પોતાને કોઈ કાયર-બેઈમાન ન ગણાવી જાય તેની સતર્કતા હતા. આધુનિક ભારતના ઈતિહાસમાં મોતને આટલી નિર્ભયતાથી મળનારા માણસોના કિસ્સાઓમાં શહીદે આઝમ ભગત સિંહની ફાંસી પહેલાની અંતિમ પળો સૌથી વધારે યાદગાર રહી છે.

>`થોભો, એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે`

ભગતસિંહને અંતિમ દિવસે મળનારાઓમાં તેમના સલાહકાર વકીલ પ્રાણનાથ મેહતા હતા. એક દિવસ પહેલા ભગતસિંહે તેમની પાસે લેનિનની આત્મકથા માંગી હતી. માટે અંતિમ દિવસે મેહતાજી ભગતસિંહને લેનિનની આત્મકથા આપી ગયા હતા.

આખરી ક્ષણો સુધી તેઓ ખૂબ નિષ્ઠા અને એકાગ્રચિતથી લેનિનની જીવનકથા વાંચી રહ્યાં હતા. જ્યારે જેલના કર્મચારી તેમને લેવા માટે આવ્યા, તો તેમણે કહ્યું હતું કે ‘થોભો એક ક્રાંતિકારીના બીજા ક્રાંતિકારીને મળવામાં અડચણ ન નાખો.’ ભગતસિંહે ફાંસીની સૂચના આપનારા અધિકારીને કહ્યું હતું કે થોભો એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે. જો કે ત્યાર બાદ એક મિનિટ બાદ પુસ્તક છત તરફ ઉછાળીને તેમણે કહ્યું હતું કે ‘ચાલો.’ ભગતસિંહ સાથે તેમના બે નજીકના સાથીદારો સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી.

ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ગીત ગાઈ રહ્યાં હતા કે

દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત,
મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આયેગી


23 માર્ચ, 1931ના રોજ સાંજે લગભગ 7-33 વાગ્યે ભગતસિંહ અને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુને ફાંસીના માંચડે ચઢાવીને સરકારે તેમને શ્વાસ લેવાનો અધિકાર છીનવીને પોતાની પ્રતિહિંસાની તરસ છીપાવી લીધી હતી. અન્યાય અને શોષણ વિરુદ્ધ વિદ્રોહ કરનારા ત્રણેય તરુણોની જીંદગીઓ જલ્લાદે ફાંસીના ફંદામાં સમાપ્ત કરી નાખી.

>ફાંસી પહેલાં અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધન

ફાંસીના તખ્તા પર ચઢતી વખતે સરદાર ભગતસિંહે અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધિત કરીને કહ્યું હતું કે ‘મેજીસ્ટ્રેટ મહોદય તમે હકીકતમાં મોટા ભાગ્યશાળી છો, કારણ કે તમને આ જોવાનો અવસર પ્રાપ્ત થયો છે કે એક ભારતીય ક્રાંતિકારી પોતાના મહાન આદર્શ માટે કેવી રીતે હસતાં-હસતાં મૃત્યુને ભેટે છે.’

ફાંસીની સજા ભોગવતા પહેલા પોતાના ભાઈના નામે પોતાના આખરી પત્રમાં ભગતસિંહે લખ્યું હતું કે ‘મારા જીવનનું અવસાન નજીક છે, પ્રાત: કાલીન પ્રદીપ ઝગમગતો, મારા જીવન-પ્રદીપ ભારતના પ્રકાશમાં વિલીન થઈ જશે. આપણો આદર્શ, આપણાં વિચાર આખા સંસારમાં જાગૃતિ પેદા કરી દેશે. પછી જો આ મુઠ્ઠીભર રાખ વિનિષ્ટ થઈ જાય, તો તેનાથી સંસારનું શું બનશે કે બગડશે?’

જેમ જેમ ભગતસિંહનો અંત નજીક આવવા લાગ્યો તેમ દેશ તથા મહેનતકશ જનતાના ઉજ્જવળ ભવિષ્યમાં તેમની આસ્થા વધારે ઘેરી થતી ગઈ. મૃત્યુ પહેલા સરકારના નામ પર લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે ‘અતિ શીઘ્ર અંતિમ સંઘર્ષના આરંભની દુંદુભિ વાગશે. તેનું પરિણામ નિર્ણાયક હશે. સામ્રાજ્યવાદ અને મૂડીવાદ પોતાની અંતિમ ઘડીઓ ગણી રહ્યાં છે. અમે તેની વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લીધો હતો અને અમને તેના માટે ગર્વ છે.’

>ગાંધીજી સામે કાળા ઝંડા ફરક્યા

ભારતમાતાના ત્રણ સપૂતો-ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એક સાથે ફાંસી આપ્યા બાદ અંગ્રેજોને આંદોલન ભડકી ઉઠવાનો ડર હતો. તેના કારણે જાલિમ અંગ્રેજોએ ત્રણેયના મૃત શરીરના ટુકડા કર્યા અને તેને બોરીઓમાં ભરીને ફિરોઝપુર તરફ લઈ ગયા. અહીં તેમના મૃત શરીરોના અવશેષોને ઘીના બદલે કેરોસિનથી બાળવા લાગ્યા. ગામના લોકોએ આગ જોઈ તો તેઓ તેની નજીક ગયા. તેનાથી ડરીને અંગ્રેજો શહીદોની લાશોના અડધા બળેલા ટુકડાઓને સતલજ નદીમાં ફેંકીને ભાગી ગયા. જો કે ગામના લોકોએ શહીદોની મોતનો મલાજો રાખીને તેમના મૃત દેહાવશેષો એકત્રિત કરીને તેનો વિધિવત દાહસંસ્કાર કર્યો. ભગતસિંહ મૃત્યુ સુધી એક વ્યક્તિ હતા, પરંતુ મૃત્યુ બાદ તત્કાલિન યુવા માનસમાં એક વિચારનું સ્વરૂપ લઈ ચુક્યા હતા. આજે પણ ભગતસિંહના વિચારોને ભારતના અનેક યુવાનો આદર્શ માની રહ્યાં છે. ભગતસિંહ લોકોના હ્રદયમાં અમર થઈ ગયા.

આ ઘટનાક્રમ બાદ અંગ્રેજો સાથે ગાંધીજીને પણ લોકો શહીદ ભગતસિંહના મોત માટે જવાબદાર સમજવા લાગ્યા હતા. તેના કારણે જ્યારે ગાંધીજી કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા, તો લોકોએ કાળા ઝંડાઓથી ગાંધીજીનું સ્વાગત કર્યું હતું. કોઈક જગ્યાએ ગાંધીજી સાથે ઉગ્ર વર્તન પણ થયું.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે વ્યક્તિને મારવો સરળ છે, પરંતુ તેના વિચાર અને તેણે આપેલી વિચારધારા ખતમ કરવી ઘણી અઘરી છે? આજના ભારત માટે ભગતસિંહના વિચારો અને તેમના જેવી નીડરતા કેટલી પ્રાસંગિક છે? શું ભગતસિંહે જોયેલા સપનાંઓ પૂરાં કરવાની શક્તિ ભારતનો યુવાવર્ગ ધરાવે છે? ભારતનો યુવાવર્ગ કોઈ સબળ નેતૃત્વ નીચે ભારતને તેના સર્વોચ્ચ સમૃદ્ધિના શિખરે લઈ જવામાં કામિયાબ રહેશે? તમારો અભિપ્રાય શહીદે આઝમ ભગતસિંહ તરફ કૃતજ્ઞતા અને સમ્માન દર્શાવીને નીચેના કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.

શહીદ-એ-આઝમ ભગતસિંહનો અંતિમ પત્ર

ભારતના ક્રાંતિકારીઓના ઈતિહાસમાં શહીદ-એ-આઝમ ભગતસિંહે નવું સીમાચિન્હ, નવી ઊંચાઈ સ્થાપી છે. ભગતસિંહે ભારતના યુવાનોને આઝાદીની લડાઈ વખતે નવો રાહ બતાવ્યો હતો. તેમની સાથે કેટલાંક અસંમત હતા, પણ ઘણાં બધાં તેમની સાથે ચાલવા તૈયાર હતા. પણ તેમનું કમનસીબ હતું કે ભગતસિંહ જેલમાં હતા અને તેમને નેતૃત્વ આપનારા અન્ય કોઈ ભગતસિંહ આવા યુવાનો વચ્ચે ન હતા. 23 માર્ચ, 1931ના દિવસે સરદાર ભગતસિંહ સાથે તેમના નજીકના સાથી સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીના માંચડે ચઢાવી દઈને અંગ્રેજોએ ભારતની ક્રાંતિકારી વિચારધારાને ફાંસી આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેમાં તત્કાલિન ટોચના નેતાઓએ પણ અંગ્રેજોના હિતો પાર પડે, તેવા વલણો અજાણતા જ અખત્યાર કર્યા હતા.

અહીં સવાલ એ છે કે ભગતસિંહ કેટલાં બહાદૂર હતા. હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બન્યા બાદ તેઓ ક્રાંતિકારી આદર્શો અને કુરબાનીઓથી એટલા ઊંચે ઉઠી ચુક્યા હતા કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચે હરગીજ જઈ શકે તેમ ન હતા. તેમણે તેમના ક્રાંતિકારી સાથીદારોને લખેલા પ્રત્રમાં ક્યાંય છુપાવ્યું નથી કે તેવોને જીવિત રહેવાની ઈચ્છા નથી. પરંતુ તેઓ કેદ થઈને કે પાબંધીઓ વચ્ચે જીવિત રહેવા ઈચ્છતા ન હતા. તેમને ચિંતા હતી કે જો તેઓ ફાંસીથી બચી જશે, તો તેમની કમજોરીઓ જનતા સામે નથી, તે સામે આવશે અને ક્રાંતિના પ્રતીકો ઝાંખા પડી જશે અને કદાચ ભૂંસાઈ જશે.

તેમની ઈચ્છા જિંદાદિલીથી હસતાં-હસતાં ફાંસી પર ચઢવાની હતી કે જેથી હિંદુસ્તાનની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ રાખે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા વધી જાય. તેમણે એમ પણ કહ્યું છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ તેઓ પૂરો કરી શક્યા નથી. તેમણે કહ્યું હતું કે જો તેઓ સ્વતંત્ર, જીવિત રહી શકત તો કદાચ આવી હસરતો પૂરી શકવાની તેમને તક મળી શકત

શહીદે આઝમ સરદાર ભગતસિંહનો 22 માર્ચ, 1931ના રોજ જેલમાંથી તેમના સાથીદારોને સંબોધીને લખાયેલો અંતિમ પત્ર નીચે દર્શાવ્યો છે.

--------------------------------

શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહનો સાથીદારોને અંતિમ પત્ર-

22 માર્ચ, 1931 સાથીઓ,

સ્વાભાવિક છે કે જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું તેને છુપાવવા ઈચ્છતો નથી. પરંતુ હું એક શરતે જીવિત રહી શકુ છું કે હું કેદ થઈને કે પાબંદ થઈને જીવવા માંગતો નથી.

મારું નામ હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ચુક્યું છે અને ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને એટલો ઉંચો ઉઠાવી દીધો છે- એટલો ઉંચો કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચો હરગીજ થઈ શકતો નથી.

આજે મારી કમજોરીઓ જનતાની સામે નથી. જો હું ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિના પ્રતીક-ચિન્હ ઝાંખા પડી જશે અથવા કદાચ તે ભૂંસાઈ જશે. પરંતુ જિંદાદિલ ઢંગથી હસતાં-હસતાં મારા ફાંસી પર ચઢવાની સ્થિતિમાં હિંદુસ્તાની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ કરશે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે ક્રાંતિને રોકવી સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની શક્તિઓની તાકાતની વાત રહેશે નહીં.

હા, એક વિચાર આજે પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો મારા દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ પૂરો કરી શક્યો નથી. જો સ્વતંત્ર, જીવિત રહી શકત ત્યારે કદાચ તેને પૂરો કરવાનો અવસર મળત અને હું મારી હસરતોં પૂરી કરી શકત.

તમારો સાથી,

ભગતસિંહ


------------------------------------

તમારો અભિપ્રાય

તમને આ પત્ર વાંચ્યા પછી ક્રાંતિકારીઓ અને શહીદે આઝમ ભગતસિંહ વિશે કેવી લાગણી થાય છે, તે અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે તમારી લાગણીઓથી સંવાદ કાયમ કરો.