લેબલ એનડીએ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ એનડીએ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 જુલાઈ, 2014

અથ શ્રીવિકાસ ગાથા: અંત્યોદય હજી દૂર, અવસંદેસનશીલ ભાવવધારાથી મોંઘવારી પણ વધી

                                                                                    - આનંદ શુક્લ

વિકાસ પ્રત્યે સભાનતા વધી- 

ભારતમાં છેલ્લા 30 વર્ષથી વિકાસ પ્રત્યે સભાનતા વધી છે. સત્તા પર આવતી સરકારો વિકાસ કાર્યો અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન આપવા લાગી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પણ કોશિશો કરવામાં આવે છે. પણ આર્થિક નીતિઓમાં ખામીને કારણે વિકાસ અંત્યોદયની સ્થિતિ લાવી શક્યો નથી. ત્યારે વધતા વિકાસ સાથે વધતી મોંઘવારીને કેવી રીતે રોકવી તે પણ ઉદારીકરણ અપનાવ્યા બાદ ભારતના અર્થતંત્ર સામે ઉભો થયેલો મોટો પડકાર છે.

આ તે કેવો વિકાસ? 

વિકાસ એટલે શું.. માત્ર ઉદ્યોગોનો વિકાસ જ વિકાસ છે? ભારતમાં છેલ્લા દોઢ દાયકાથી વિકાસના નામે સત્તામાં આવનારી સરકારોએ પોતાની સફળતાના ગુણગાન ગાયા છે. પરંતુ સવાલ એ છે કે વિકાસના ફળ દેશના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી હજી કેમ પહોંચ્યા નથી? આવા વિકાસને વિકાસ કેવી રીતે કહેવો .. દેશમાં વિકાસના નામે અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. તો દુનિયામાં કદાચ સૌથી મોટો મધ્યમ વર્ગ ધરાવતા ભારતમાં મિડલ ક્લાસ પોતાના અસ્તિત્વ માટે મહામહેનત કરી રહ્યો છે.

એનડીએ-યુપીએની સરખામણી-

1998થી 2004ના સમયગાળામાં એનડીએ સરકારના શાસન વખતે જીડીપી વિકાસ દરની સરેરાશ 5.9 ટકા રહ્યો હતો. તો યુપીએ-1ના કાર્યકાળ દરમિયાન 2004થી 2009 વચ્ચે વિકાસ દરની સરેરાશ 8 ટકા રહી હતી. જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં 2009થી એપ્રિલ-2014 સુધી વિકાસ દરની સરેરાશ 7 ટકા રહી હતી. જો કે 2004થી 2014 સુધીના યુપીએ સરકારના કાર્યકાળમાં વિકાસ દરની સરેરાશ 7.6 ટકા રહી હતી.

વિકાસના વાયરાની વાતોમાં મોંઘવારીની મોકાણ પણ સમજવા જેવી છે. 1998થી 2004 સુધીના એનડીએના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવો સરેરાશ 5.4 ટકા રહ્યો હતો. જ્યારે એનડીએના શાસનમાં ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 4.2 ટકા રહ્યો હતો. જ્યારે યુપીએ-1ના 2004થી 2009ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 6.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 7 ટકા રહી હતી. તો યુપીએ-2ના 2009થી 15 મે-2014ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 10.4 ટકા અને ખાદ્યાન્ન ફૂગાવાની સરેરાશ 11.6 ટકા હતી. જ્યારે યુપીએના 2004થી 2014 સુધીના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 8.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 9.0 ટકા રહી હતી.

એનડીએના કાર્યકાળમાં વિકાસદર-

એનડીએના કાર્યકાળમાં 1999-2000ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 8 ટકા, 2001-2002માં વિકાસદર 4.15... 2002-2003માં વિકાસ દર 3.88 અને 2003-2004ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.97 ટકા રહ્યો હતો.

યુપીએ-1ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-1ના કાર્યકાળમાં 2004-2005ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.05 ટકા.. 2005-2006ના વર્ષમાં વિકાસ દર 9.48 ટકા.. 2006-2007ના વર્ષમાં વિકાસ દર 9.57 ટકા.. 2007-2008ના વર્ષમાં વિકાસ દર 9.32 ટકા અને 2008-2009ના વર્ષમાં વિકાસ દર 6.72 ટકા રહ્યો હતો.

યુપીએ-2ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-2ના કાર્યકાળમાં નાણાંકીય વર્ષ 2009-2010માં વિકાસદર 8.59 ટકા હતો. 2010-2011માં વિકાસ દર 8.91 ટકા હતો. 2011-12માં વિકાસ દર 6.69 ટકા.. તો 2012-2013માં વિકાસ દર 4.7 ટકા રહ્યો હતો. જ્યારે 2013-14ના વર્ષમાં અત્યાર સુધીમાં વિકાસ દર 4.94 ટકા રહ્યો છે.

જનતાનું આર્થિક આરોગ્ય જળવાશે તો દેશની આર્થિક સ્થિતિ પણ સુધરશે- 

આમ તો જીડીપી વિકાસ દરના માપદંડો પર ઘણાં અર્થશાસ્ત્રીઓ પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. જો કે પ્રવર્તમાન વિકાસના માપદંડ પ્રમાણે ભારતનો હાલનો વિકાસ દર પાંચ ટકાની નીચે છે. ત્યારે અર્થતંત્રને પાટા પર લાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જીડીપી વિકાસ દર ઉંચો લઈ જવો જરૂરી છે. પણ આ વિકાસ દરને ઉંચો લઈ જવાની લ્હાયમાં અમેરિકી બજારવાદ અને કોર્પોરેટ ઔદ્યોગિક ગૃહોના પ્રભાવમાં સરકારો અસંવેદનશીલતાથી ભાવવધારા કરીને મોંઘવારીને વધવાનો મોકો આપે છે. ત્યારે જનતાના જીવન પર તેના દુષ્પ્રભાવ પેદા થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિકાસ પણ થાય અને જનતાનું આર્થિક આરોગ્ય પણ જળવાય રહે તેવી આર્થિક નીતિઓ કેવી રીતે બનશે?


ગુરુવાર, 31 મે, 2012

અડવાણીની હૈયાવરાળ: જનતા ભાજપથી નિરાશ!


-આનંદ શુક્લ
ભયાનક ભ્રષ્ટાચાર, વિદેશમાં અઢળક કાળું નાણું, આસમાને આંબતી મોંઘવારી, પેટ્રોલમાં જંગી ભાવવધારો, ડોલરની સામે રસાતળે જઈ રહેલો રૂપિયો- આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે લોકો સત્તારુઢ યુપીએ સરકાર પર રોષે ભરાયેલા હોય. પરંતુ તેની સાથે સાથે એક વાત સ્પષ્ટ છે કે તેઓ વિરોધ પક્ષના મોરચા એનડીએથી પણ નિરાશ છે. હાથમાંથી લપસી રહેલી પરિસ્થિતિઓ સામે વિરોધ કરવાના મામલામાં ભાજપ સહીતનું એનડીએ સરેઆમ નિષ્ફળ ગયું છે. તેનું કારણ મુખ્ય વિપક્ષ ભાજપની આંતરીક ભાંજગડ છે.
મુંબઈ ખાતે તાજેતરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં તેની આંતરીક ભાંજગડ સંજય જોશીના રાજીનામાથી બહાર આવી. સંજય જોશીએ બેઠકના થોડા કલાક પહેલા રાષ્ટ્રીય કારોબારીમાંથી પોતાનું રાજીનામું પાર્ટીના લાંબાગાળાના હિતને કારણ બનાવીને આપી દીધું. સંજય જોશીના રાજીનામા બાદ ઉદયપુર ખાતે મહારાણા પ્રતાપની જન્મજયંતીના કાર્યક્રમમાંથી બપોર બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા માટે આવ્યા. જો કે મોદીના આવ્યાના અડધો કલાકની અંદર પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી કારોબારી બેઠક છોડી ગયા હતા.
ભાજપની કારોબારી બેઠક બાદ યોજાયેલી સભામાં પણ અડવાણી અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ ગેરહાજર રહ્યા હતા. માનવામાં આવે છે કે અડવાણી ગડકરીની ભાજપના અધ્યક્ષ તરીકેની બીજી ટર્મથી નારાજ છે. તેમણે આ નારાજગીને એનડીએ દ્વારા ભારત બંધના એલાનના દિવસે જ બ્લોગ લખીને જાહેર કરી દીધી. અડવાણીએ સ્વીકાર્યું છે કે લોકો યુપીએ પર રોષે ભરાયેલા છે, તો એનડીએથી નિરાશ થયા છે. તેમણે પ્રવર્તમાન પરિસ્થિતિને આત્મનિરીક્ષણ યોગ્ય ગણાવી છે. મુંબઈની ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ પાર્ટી સંગઠન સંદર્ભે વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીનો બ્લોગ પર આ પહેલો પ્રતિભાવ છે. આ પ્રતિભાવ ત્યારે આવ્યો છે કે જ્યારે ભાજપના કાર્યકર્તાઓ પેટ્રોલના જંગી ભાવવધારા સામે ભારત બંધ કરાવી રહ્યા હતા.
બ્લોગમાં અડવાણીએ ગડકરી દ્વારા લેવામાં આવેલા ત્રણ નિર્ણયો પર તેમનું નામ લીધા વગર આંગળી ચિંધી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો, યૂપીના તત્કાલિન  મુખ્યપ્રધાન  માયાવતી દ્વારા હાંકી કઢાયેલા મંત્રી (બાબુસિંહ કુશવાહ)ને ભાજપમાં આવકારવાનો નિર્ણય, ઝારખંડ અને કર્ણાટકના મામલાને જે રીતે સંભાળવામાં  આવ્યા છે, તેના તરફ અડવાણીએ બ્લોગમાં આંગળી ચિંધી છે. તેમણે નિરીક્ષણ કર્યુ છે કે ભાજપમાં હાલના દિવસોમાં આંતરીક મૂડ ઉત્સાહજનક નથી.
તેમણે જાણીતા કટાર લેખક સ્વપન દાસગુપ્તાના લેખને ટાંકીને કહ્યુ છે કે જ્યારે હાલના દિવસોમાં મીડિયા યુપીએ સરકારને ગોટાળા માટે ઝાટકી રહ્યું છે, પરંતુ આ પ્રસંગે મીડિયા ભાજપની આગેવાની હેઠળના એનડીએના મુદ્દાઓ પર ઉભાં થઈ જવાના મામલે દિલગીરી વ્યક્ત કરી રહ્યું છે. અડવાણીએ ભૂતપૂર્વ પત્રકાર હોવાના નાતે મીડિયાના આ વલણને જનતાના અભિપ્રાયને પ્રતિબિંબિત કરનારું ગણાવ્યું. ભ્રષ્ટાચાર અને વિદેશમાં કાળા નાણાંના મામલે અણ્ણા હજારે અને બાબા રામદેવના આંદોલનોને પરિણામે દેશ આંદોલિત થયો હતો. પરંતુ મુખ્ય વિપક્ષ ભાજપની આગેવાની હેઠળનું એનડીએ યુપીએ સરકારના આટલા ગોટાળા  અને ભ્રષ્ટાચાર છતાં જનતાને પોતાના નેતૃત્વમાં આંદોલન માટે પ્રેરીત કરી શકી નથી. તેની પાછળનું કારણ રાજકીય વિશ્લેષકો પ્રમાણે, દેશમાં મુખ્ય વિપક્ષ અત્યારે કેગ છે અને કેગ જ સરકારને ભારે પડી રહ્યું છે, જ્યારે ભાજપ મુખ્ય વિપક્ષ બનીને મિત્ર વિપક્ષ બની ગયો હોવાથી જનતાના મુદ્દાઓ પ્રત્યે રાજકીય સંવેદનશીલતા ઘટી છે.
ભાજપમાં આંતરીક વર્તુળોમાં એવી માન્યતા પ્રવર્તી રહી છે કે પ્રવર્તમાન સમયમાં મધ્યસત્ર ચૂંટણી આવી પડે, તો ભાજપને યુપીએ સામેના જનાક્રોશનો લાભ મળે. તેને કારણે ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાની દોડ પણ તેજ બની છે. રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન પદના ભાજપના ચાર-પાંચ ઉમેદવારોમાંના એક ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઘોર રાજકીય પ્રતિસ્પર્ધી સંજય જોશીને મ્હાત આપીને પોતાની પહેલી જીત નોંધાવી દીધી છે. જો કે મોદી સામે ભાજપમાં અડવાણી, સુષ્મા સ્વરાજ સહીતના નેતાઓનો અણગમો વધ્યો હોવાની વાત હવે કોઈનાથી છુપાયેલી રહી નથી.
બીજી તરફ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા અપનાવામાં આવેલા આક્રમક વલણથી મોદી માટે પરિસ્થિતિ વિકટ બને તો નવાઈ નથી. આમ પણ છેલ્લા એક દશકાથી ગુજરાતમાં સત્તા પર રહેલા મોદી અપાર લોકપ્રિયતા છતાં એન્ટિ-ઈન્કમ્બન્સીનો સામનો આ વિધાનસભા ચૂંટણીમાં કરશે તે નક્કી છે. જો કે જોવાનું એ રહે છે કે તેમાં વધારો કરવામાં કેશુભાઈ પટેલ સહીતના મોદી વિરોધીઓ કેટલા સફળ થશે?
તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ગુલાબચંદ કટારિયાની મેવાડ પ્રદેશમાં યોજાનારી યાત્રાનો પુરજોર વિરોધ કર્યો. તેમણે ભાજપમાંથી રાજીનામું આપવાની પણ ધમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં ખંડૂરી-નિશંક, હિમાચલ પ્રદેશમાં પ્રેમકુમાર ધૂમલ-શાંતા કુમાર, કર્ણાટકમાં સદાનંદ ગૌડા-યેદિયુરપ્પા, ઝારખંડમાં અર્જૂન મુંડા-યશવંત સિંહા વચ્ચેના ખટરાગ દેશની સામે છે. જ્યારે છત્તીસગઢમાં રમણ સિંહ સામે પણ દબાતા સૂરે તકલીફો સામે આવી રહી છે.
આ સિવાય એનડીએ સાચવવાની  જવાબદારી પણ ગઠબંધનના મોટા પક્ષ હોવાના નાતે ભાજપની બની જાય છે. ત્યારે એનડીએના બીજા સૌથી મોટા રાજકીય પક્ષ જનતાદળ-યૂનાઈટેડના વરિષ્ઠ નેતા અને નીતિશ કુમારે ધમકી આપી છે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે, તો જેડીયૂ એનડીએમાંથી અલગ થશે.
ઉલ્લેખનીય છે કે અત્યારે દેશની લોકસભાની 543 બેઠકોમાંથી દેશની મુખ્ય રાષ્ટ્રીય પાર્ટીઓ  કોંગ્રેસ અને ભાજપ પાસે કુલ 322 બેઠકો છે. જેમાંથી કોંગ્રેસને 206 બેઠકો મળી છે અને ભાજપને 116 બેઠકો  મળી છે. એટલે કે ભાજપ-કોંગ્રેસ સિવાયના પક્ષોને 221 બેઠકો મળી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપથી મોહભંગ થયેલી જનતા ત્રીજો વિકલ્પ ઉપલબ્ધ હશે ત્યાં તેને  પસંદગી આપે તેવી સંભાવના રહેલી છે. તેવી પરિસ્થિતિમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપની દેખાયેલી નિક્રિયતાને કારણે પ્રાદેશિક પક્ષોને વધારે ફાયદો થવાની ભીતિ પણ રાજકીય વિશ્લેષકો સેવી રહ્યા છે. તેવી પરિસ્થિતિમાં 2014ની ચૂંટણીમાં એનડીએના સત્તા પર પહોંચવાના સપનાં પર ગ્રહણ પણ લાગી શકે છે! આ પરિસ્થિતિને જોતા અડવાણીની એનડીએના ભારત બંધના એલાનના દિવસે બ્લોગ પર ઠાલવવામાં આવેલી હૈયાવરાળમાં ખરેખર વજૂદ છે.
અડવાણીએ  બ્લોગમાં કહ્યુ છે કે 1984માં ભાજપને બે બેઠકો મળી હતી, પરંતુ અત્યારે  લોકસભામાં ભાજપની સારી બેઠકો છે તથા નવ રાજ્યોમાં સરકાર છે અને સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના નેતૃત્વમાં બંને ગૃહોમાં ભાજપનો દેખાવ સારો છે. જો કે તેમણે એમ પણ ઉમેર્યુ છે કે આ કરવામાં આવેલી ભૂલોના નુકસાનની ભરપાઈ નથી.

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

મિશન સદભાવના: મુસ્લિમોમાં મોદીની સ્વીકૃતિ માટેનો દાવ


- આનંદ શુક્લ

મિશન સદભાવના હકીકતમાં મોદીનું મિશન 2014 છે. શાંતિ, એકતા અને સદભાવના માટેના પોતાના ત્રણ દિવસના ઉપવાસથી નરેન્દ્ર મોદીએ ભાજપનો આગામી લોકસભા ચૂંટણી માટેનો એજન્ડા નક્કી કરી દીધો છે. ભાજપના ફાયરબ્રાન્ડ હિંદુ ચહેરાએ પોતાની ચાલ,ચરિત્ર અને ચહેરો બદલવાના સંકેતો આપી દીધા છે. એટલે કે હવે ભાજપ ફરીથી હિંદુત્વના માર્ગ પર ચઢશે નહીં. આમ તો 2004 અને 2009ની ચૂંટણીઓમાં પણ ભાજપે હિંદુત્વને કોરાણે મૂકીને વિકાસના મુદ્દાને આગળ કરીને જંગમાં ઝુકાવ્યું હતું. પરંતુ હિંદુત્વના(ભાજપ તેને રાષ્ટ્રવાદ પણ કહેતો હતો) મુદ્દાને છોડનારી ભાજપને પ્રજાએ છોડી દીધી હતી. તેમ છતાં કોણ જાણે કેમ, મુસ્લિમોને પોતાની સભામાંથી ઉભા થઈને જતાં રહેવાનું કહેનારા અને મુસ્લિમોના વોટની પોતાને જરૂર ન હોવાની વાત કહેનારા ભાજપના નેતાઓ અત્યારે મુસ્લિમ વોટો પાછળ દોડવા માંડયા છે. ગુજરાતની કઠલાલની પેટાચૂંટણી હોય કે ગુજરાતની મહાનગરપાલિકાઓની ચૂંટણી ભાજપને સારા પ્રમાણમાં મુસ્લિમોના મતો મળ્યા હોવાનો પ્રચાર જોરશોરથી કરવામાં આવે છે. બિહારની ચૂંટણીમાં પણ ભાજપને મુસ્લિમોના મતો મળ્યા હોવાના દાવા કરવામાં આવે છે. આ દાવાઓમાં કેટલું સત્ય છે, તે સંશોધનનો વિષય છે? તાજેતરમાં એક ટેલિવિઝન ચેનલના સર્વેક્ષણમાં પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે લોકોની પહેલી પસંદ હોવાની અને તેમને ત્રીસ ટકા મુસ્લિમોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાંક સમયથી પોતાનો હિંદુત્વવાદી ચહેરો બદલીને સેક્યુલર વિકાસપુરુષનું મ્હોરું પહેરવા માગે છે. કારણ કે નરેન્દ્ર મોદીની નજર વડાપ્રધાન પદ પર છે. ઉપવાસના પ્રથમ દિવસે પોતાના ભાષણમાં આ વાતના સંકેત આપતા તેમણે કહ્યું હતું કે તેમને દેશસેવા કરવાના આશિર્વાદ મળે. એવા દેખીતા કારણો છે કે તેમને દેશની રાષ્ટ્રીય રાજનીતિમાં વડાપ્રધાન પદે પહોંચી શકાય તેવી માન્યતા મળે. અમેરિકન કોંગ્રેસની એજન્સીએ તેના તાજેતરના રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીના શાસનની ઘણી પ્રશંસા કરી છે. અડવાણીએ પોતાના બ્લોગમાં પણ આ વાતને મ્હોર મારી છે. ચીન અને જાપાન પણ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બની શકે તેમ હોવાની વાતને સ્વીકારી રહ્યાં છે. પરંતુ દરેક ઠેકાણે માન્યતા પ્રાપ્ત કરી શકનારા અને દેશમાં ઘણાં લાંબા સમયથી મીડિયા સર્વેમાં મુખ્યમંત્રી નંબર વન રહેનારા નરેન્દ્ર મોદી પોતાની પાર્ટીમાં અટલ-અડવાણી બાદના દ્વિતિય પંક્તિના નેતાઓમાં હજી સુધી નંબર વનની માન્યતા મેળવી શક્યા નથી. એનડીએમાં તેમની સર્વસંમત નેતા તરીકે સ્વીકૃતિ નથી. કારણ કે 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોના ડાઘે મોદીનો ચહેરો કોમવાદી નેતાનો બનાવી દીધો છે. તેના કારણે બિહારની ચૂંટણીમાં જેડીયૂના નેતા નીતિશ કુમારના કહેવાથી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારથી દૂર રાખવામાં આવ્યા હતા. નીતિશ કુમારના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીના બિલકુલ સહયોગ વગર ભાજપ-જેડીયૂ ગઠબંધને ત્રણ ચતુર્થાંસ બહુમતી પ્રાપ્ત કરી હતી. તો ભાજપના નેતાઓનો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા સંદર્ભેના પ્રશ્નનો એક જ સ્ટીરીયો ટાઈપ જવાબ હોય છે કે નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન બનવાના ગુણો છે. જો કે દેવેગૌડા વડાપ્રધાન બન્યા ત્યારથી સાબિત થયું કે વડાપ્રધાન બનવા ગુણો નહીં માથા જોઈએ. પરંતુ ભાજપમાં આવા ઘણાં નેતાઓ છે અને આ સંદર્ભેનો નિર્ણય પાર્ટી કરશે. વળી 2009ના પીએમ ઈન વેઈટિંગ એલ. કે. અડવાણીએ કેશ ફોર વોટ મામલે સંસદમાં બોલતા ભ્રષ્ટાચાર અને સ્વચ્છ શાસનના મુદ્દે નવી રથયાત્રાની ઘોષણા કરી દીધી. આમ તેમણે ભાજપમાં દ્વિતિય પંક્તિના નેતૃત્વમાં ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે પોતાને ફરીથી વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં સામેલ કરી લીધા.

આ પરિસ્થિતિઓમાં વડાપ્રધાન પદના ભાજપ અને એનડીએના ઉમેદવાર બનવા માટે નરેન્દ્ર મોદીએ સેક્યુલર દેખાવું પડે તે તેમની રાજકીય મજબૂરી છે. સેક્યુલર દેખાવા માટે મુસ્લિમો પોતાની નજીક હોવાનું દેખાડવું પડે અને તેના માટે નરેન્દ્ર મોદીને તુષ્ટિકરણનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ સહારો લેવો પડે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસઆઈટી અને એમએક્સક્યૂરીનો રિપોર્ટ અમદાવાદની નીચલી અદાલતને સોંપવાના નિર્ણયની તક નરેન્દ્ર મોદીએ પોતાના ‘પોલીટીકલ મેકઓવર’ માટે ઝડપી લીધી. નરેન્દ્ર મોદીએ સુપ્રીમના નિર્ણય બાદ તુરંત મિશન સદભાવના નીચે ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત કરી દીધી. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉપવાસ સ્થળે મુસ્લિમોને મોટી સંખ્યામાં લાવવા માટેની સૂચના આપવામાં આવી છે અને મુસ્લિમોને ઉપવાસ સ્થળે ટોપી પહેરીને આવવાનું પણ કહેવામાં આવ્યું છે. આમ નરેન્દ્ર મોદી પોતાની સમગ્ર તાકાત પોતાને મુસ્લિમોનું પણ મોટું સમર્થન મળી રહ્યું હોવાની વાતને સાબિત કરવા પાછળ લગાડી રહ્યા છે.

નરેન્દ્ર મોદીના ઉપવાસ પહેલો પ્રસંગ છે કે જ્યારે મોદીના ભાષણ બાદ ‘ભારત માતા કી જય’ અને ‘અલ્લાહ હો અકબર’ના સૂત્રો એકસાથે પોકારાયા હોય. અત્યાર સુધી બેગમ-બાદશાહના રાજને દૂર કરવાની અને પોતાના ચૂંટણીના ભાષણોમાં મિયાં મુશર્રફનો વારંવાર ઉલ્લેખ કરનારા નરેન્દ્ર મોદીમાં અચાનક યૂટર્ન આવ્યો છે. 2002ના રમખાણો સમયે દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોવાની વાત સમજાવીને તેમણે ન્યૂટનનો ત્રીજો નિયમ સમજાવ્યો હતો. 2011માં તેમણે ગુલમર્ગ કાંડના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે ‘વેરથી વેર સમે નહીં’. પરંતુ મરહૂમ કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના વિધવા જાકીયા જાફરીએ નરેન્દ્ર મોદીના ઉપવાસને, ‘સો ચૂહે ખાકે બિલ્લી હજ કો ચલી’ તેવી ઉપમા આપી છે. કેટલાંક સમીક્ષકો કહી પણ રહ્યાં છે કે મોદીના મોઢામાં સદભાવના, શાંતિ અને એકતાની વાત દુર્યોધનના મોઢામાં ગીતાના પાઠ જેવી લાગે છે અથવા તો શેતાન બાઈબલ વાંચે તેવું લાગે છે. તેમનું દ્રઢપણે માનવું છે કે મોદીનું મિશન સદભાવના નહીં, પણ મિશન 2014 છે.

જો કે એનડીએના સૌથી મોટા ઘટક દળ જેડીયૂએ મોદીના ઉપવાસ સંદર્ભે કોઈ ઉત્સાહ દેખાડયો નથી. જેડીયૂના અધ્યક્ષ શરદ યાદવે આની મજાક ઉડાવીને કહ્યું છે કે દેશની વસ્તીનો મોટો હિસ્સો જે અમાનવીય પરિસ્થિતિમાં જીંદગી ગુજારી રહ્યો છે, તેને તો રોજ ઉપવાસ પર રહેવાનું હોય છે. પરંતુ કોઈ તેના હાલચાલ પુછતું નથી. કેટલાંક ખાસ ઉપવાસોની જ ચર્ચા થતી રહે છે. આમ જેડીયૂના સંકેત સ્પષ્ટ છે કે તેઓ મોદીના ઉપવાસને સમર્થન ન આપીને બિહાર ચૂંટણી વખતનું મોદી સંદર્ભેનું પોતાનું વલણ યથાવત રાખશે. એટલે કે બની શકે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે, તો એનડીએમાં ભંગાણની સ્થિતિ પેદા થઈ શકે. વળી એઆઈએડીએમકેના સુપ્રિમો અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસને ટેકો આપ્યો છે. તેમણે આની રાજકીય સમીકરણો પર અસર પડવાની વાતને નકારી છે. તેમણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેનો ટેકો આપવાની વાતને ટાળતા કહ્યું હતું કે એવી સ્થિતિ પેદા થશે, ત્યારે તેનો જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે જયલલિતાએ પોતાના પ્રતિનિધિઓ મોદીના ઉપવાસના ટેકામાં મોકલ્યા છે. જયલલિતાના વલણ પરથી સ્પષ્ટ છે કે એનડીએ સિવાયના પક્ષો પણ મોદીને વડાપ્રધાન પદ માટે ટેકો આપતા ખચકાય છે.

મોદીએ ઉપવાસના પ્રથમ દિવસે કહ્યું હતું કે તેમનુ સદભાવના મિશન વોટબેંકની રાજનીતિના અંતની શરૂઆત છે. તુષ્ટિકરણ કર્યા વગર તેઓ બધાં વર્ગોને સાથે લઈને ચાલી રહ્યાં છે. પરંતુ તેમની આ વાતમાં હજી પણ શંકાને સ્થાન છે. મોદીનું મિશન વોટબેંકની રાજનીતિના અંતની શરૂઆત કેવી રીતે બનશે? તેઓ પોતે પણ હિંદુ વોટબેંકની રાજનીતિ રમી ચુક્યા છે અને હવે પોતાની વોટબેંકની રાજનીતિ મુસ્લિમ મતો મેળવવા સુધી વિસ્તારી રહ્યાં છે. તેઓ તુષ્ટિકરણ કર્યા વગર બધાં વર્ગોને સાથે લઈને ચાલી રહ્યાં છે. પરંતુ તેમણે છેલ્લા કેટલાંક વખતથી જાણે-અજાણે મુસ્લિમ વોટની લ્હાયમાં તુષ્ટિકરણની રાજનીતિ શરૂ કરી નથી? અમદાવાદમાં બીઆરટીએસ શાહઆલમ વિસ્તારમાં આવીને કેમ અટકી ગઈ છે? રસ્તા પરના મંદિરો કાં તો તોડી પડાય છે અથવા સ્થળાંતરીત થાય છે, પરંતુ દરગાહોને કેમ સુરક્ષિત રાખવામાં આવે છે? કપાતમાં હિંદુ વિસ્તારના ઘરો-દુકાનો તોડવામાં આવે છે, પરંતુ મુસ્લિમ વિસ્તારો બને ત્યાં સુધી અકબંધ રાખવાનો પ્રયત્ન શા માટે કરવામાં આવે છે? આવા તો ઘણાં સવાલો રાજ્યના લોકાના દિલોદિમાગમાં ઘુમી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અઢીસો મંદિર નરેન્દ્ર મોદીની સૂચનાથી તોડી પાડવામાં આવ્યા હતા. સરખેજના રોજાના વિકાસ માટે સરકારી રાહે પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેના ઉર્સમાં નરેન્દ્ર મોદીએ પઠાણી સૂટ પહેરીને હાજરી આપી હતી. સામાન્ય જનતા માની રહી છે કે મોદીના ઉપવાસોનું મિશન સદભાવના મુસ્લિમોમાં પોતાની સ્વીકૃતિ ઉભી કરવાનો દાવ માત્ર છે. આમ કરીને મોદી પોતાને એનડીએમાં સ્વીકૃતિ અપાવીને વડાપ્રધાન પદ માટે તૈયાર કરી રહ્યાં છે. મહાત્મા ગાંધીએ હિંદુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાના નામે તુષ્ટિકરણ કર્યું, કોંગ્રેસે લઘુમતીઓના નામે આઝાદ ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને ચાલુ રાખી. ભાજપમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણનો સેક્યુલર વાઈરસ ઘૂસી ચુક્યો છે અને સદભાવનાના નામે મુસ્લિમ તુષ્ટિકરણનો નવો ચીલો ચાતરશે.

ગુજરાતમાં મુસ્લિમો સંદર્ભે મોદીએ જે રાજનીતિની શરૂઆત કરી છે, તેને દેશના કેન્દ્રસ્થાને પહોંચવા માટે મોટાપાયે કરવાની તૈયારી હોવાના તેમના દ્વારા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યાં છે. આમ તો ભાજપના ચાલ, ચરિત્ર અને ચહેરામાં મુસ્લિમ તુષ્ટિકરણનો સેક્યુલર વાઈરસ ઘૂસી ચુક્યો છે. આ વાઈરસ અટલ, અડવાણી બાદ નરેન્દ્ર મોદીને પણ પોતાની ઝપટમાં લઈ રહ્યો છે. પરંતુ ઘેટું ઘાસ ચરવા જાય અને ઉન મૂકીને આવે, તેવા ઘાટની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. મોદીના કરોડોના ઉપવાસ સામે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ફૂટપાથ પર ઉપવાસ કર્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના આપતાં કહ્યું છે કે ભગવાન સદબુદ્ધિ આપે. ગુજરાતમાં ઉપવાસની રાજનીતિ જોરમાં છે. રાજનીતિમાં ઉપવાસ છે, પરંતુ રાજનીતિનો લાભ ખાંટવામાં કોઈ ઉપવાસ કરે તેમ નથી. ત્યારે અત્રે સવાલો ઉભા થાય છે કે મોદી ભાજપ-એનડીએમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થશે? મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાથી જેડીયૂ અને અન્ય દળો એનડીએમાં યથાવત રહેશે? શું નરેન્દ્ર મોદી પણ મુસ્લિમ તુષ્ટિકરણની રાહ પર ના-ના કરતાં આગળ વધી રહ્યાં છે? શું ભાજપ 2014ની ચૂંટણીમાં હિંદુત્વના મુદ્દાઓને આગળ કરશે કે આઘા રાખશે?