સોમવાર, 8 જૂન, 2026

રાહુલ ગાંધીનું LS નું ભાષણ Caste Census બાદ હિંદુઓ રાજકીય એકતા તોડવાનો રોડમેપ!

આનંદ શુક્લ:  ડૉ. બી. આર. આંબેડકર (Dr. B. R. Ambedkar) અને બંધારણીય સભા (Constituent Assembly) ની સ્વતંત્ર ભારતમાં અનામતને લઈને જે તર્ક હતો, તે તર્ક સાથે હાલની રાજનીતિ બંધબેસતી નથી. બંધારણમાં અસ્પૃશ્યતાનો ભોગ બનેલા વર્ગને સમાજના અન્ય વર્ગોની સાથે લાવવા માટે અનામતની વ્યવસ્થા ભારતના બંધારણમાં ડૉ. બી. આર. આંબેડકર (Dr. B. R. Ambedkar) અને બંધારણીય સભા દ્વારા કરવામાં આવી છે. આ કોઈ રાજકારણને કારણે બનેલી વ્યવસ્થા ન હતી. પણ હવે રાજકારણમાં અનામતના નામે રાજનીતિ કરીને રાજકીય સરસાઈ સ્થાપવાની કોશિશો થઈ રહી છે.

 

કાસ્ટ સેન્સસ (Caste Census) ની પૃષ્ઠભૂમિમાં રમાતા રાજકારણની ઝલક લોકસભામાં મહિલા અનામત (Women Reservation)  સંશોધન બિલ અને ડિલિમિટેશન (Delimitation) બિલની ચર્ચાઓમાં જોવા મળી. ખાસ કરીને લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ જે રીતે 17 એપ્રિલ, 2026ના રોજ ગૃહમાં કહ્યુ કે ઓબીસી-દલિતો (OBC- Dalit) ને હિંદુ (Hindu) કહેવામાં આવે છે, પણ તેમને અધિકાર આપવામાં આવતા નથી. આ નિવેદન સહીતના તેમના ભાષણમાં જ કાસ્ટ સેન્સસ (Caste Census) બાદની કૉંગ્રેસ (Congress) અને વિપક્ષની રાજનીતિનો રોડમેપ રજૂ કરે છે. હવે અસ્પૃશ્યતા હટાવવા અનામતને મજબૂત કરવાની વાત નથી થઈ રહી, પણ ખુરશી મેળવવા જેની જેટલી વસ્તી તેની તેટલી હિસ્સેદારીની વાત કરીને અલગ-અલગ વર્ગોને એકબીજા સામે કરવાનું ખેલાતું રાજકારણ વધુ તીવ્ર બનાવાય રહ્યું છે.

 

Reservation ની મૂળ ભાવનાથી અલગ છે અનામતનું રાજકારણ

 

ભારતમાં છેલ્લા ઘણાં દાયકાઓથી અનામતની મૂળ ભાવનાથી અલગ અનામતનું રાજકારણ ચાલી રહ્યું છે અને આ રાજકારણમાં મત સમીકરણો સાધવા માટે બિનઅનામત વર્ગ સામે અનામત વર્ગના લોકોના મનમાં વૈમનસ્ય ફેલાવવાની રાજકીય કોશિશો થઈ રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે આના પહેલા મુસ્લિમ (Muslim) અનામતના મુદ્દા અને હિંદુ-બૌદ્ધ-શીખ દલિત-આદિવાસી વર્ગમાંથી મુસ્લિમ -ખ્રિસ્તી બનેલા લોકોને અનામતના હકો ચાલુ રાખવાના વાયદાઓનુંરાજકારણ પણ ખેલાઈ ચુક્યું છે. તેમાં ધારી સફળતા નહીં મળતા ઓબીસી-એસસી-એસટી (OBC-SC-ST) અનામત પરથી 50 ટકાની મર્યાદા હટાવવાનું રાજકારણ પણ શરૂ થઈ ચુક્યું છે.

 

આ રાજકીય કોશિશોને કારણે બિનઅનામત વર્ગના લોકો પણ અનામત વર્ગમાં જવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન (Gujarat, Maharashtra, Haryana, Rajasthan) સહીતના રાજ્યોમાં થોડા વર્ષો પહેલા આંદોલનો કરી ચુક્યા છે. ગુજરાતમાં પાટીદાર, મહારાષ્ટ્રમાં મરાઠા, હરિયાણામાં જાટ, રાજસ્થાનમાં ગુર્જર જ્ઞાતિ-જાતિના સંગઠનો અનામતના આંદોલનો કરી ચુક્યા છે.

 

2014માં India માં સંપૂર્ણ રાજકીય ધરી પરિવર્તન

 

આ આંદોલનો થયા તેના પહેલા ભારતમાં 2014માં રાજકીય ધરી પરિવર્તન થયુંઅને દક્ષિણપંથી-હિંદુત્વવાદી-રાષ્ટ્રવાદી શક્તિઓ લોકસભામાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં પહોંચી. મહત્ત્વપૂર્ણ છે કે આના પહેલા વાજપેયીના નેતૃત્વમાં 1997, 1998,1999માં ભાજપના નેતૃત્વવાળી એનડીએની સરકારો સત્તામાં આવી હતી. પણ તેમાં ભાજપની લોકસભામાં બહુમતી ન હતી. આની પાછળ હિંદુત્વવાદી-રાષ્ટ્રવાદી આંદોલનોની એક મોટી પૃષ્ઠભૂમિ છે અને તેમાં રામજન્મભૂમિ આંદોલન મુખ્ય મૂવમેન્ટ હતી. રામજન્મભૂમિ આંદોલન દરમિયાન ઓબીસી નેતાગીરી દક્ષિણપંથી સંગઠનો અને રાજકીય શક્તિઓ સાથે જોડાયા અને તેની એક મોટી લીડરશીપે 2014ના સત્તા પરિવર્તનમાં એક મોટી ભૂમિકા અદા કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઓબીસી વર્ગમાંથી જ આવે છે અને આ વાત તેમણે તેમના લોકસભાના ભાષણમાં પણ કહી છે.

 

Caste Census ની માગણીનું રાજકારણ

 

ભારતમાં આઝાદી પહેલા અંગ્રેજોએ 1931માં કાસ્ટ સેન્સસ કર્યો હતો અને તેના પછી સ્વતંત્ર ભારતમાં ક્યારેય જાતિગત વસ્તીગણતરી હાથ ધરાઈ ન હતી. પરંતુ દેશમાં મંડલ કમિશન અને તેને લાગુ કરાયા બાદ જાતિવાદી રાજકારણ વધુ તીવ્ર બન્યું અને કાસ્ટ સેન્સસની માગણીઓ ઉઠવા લાગી હતી. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, મનમોહનસિંહ, એચ. ડી. દેવેગૌડા કે ઈન્દ્ર કુમાર ગુજરાલની સરકારોએ આ કાસ્ટ સેન્સસ કરાવ્યો નહીં.

 

2014માં હિંદુત્વવાદી (Hindutvawadi) સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ (Cultural Nationalism) સાથે સત્તામાં આવેલી એનડીએની ભાજપના નેતૃત્વવાળી મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ અનામતની માગણી કરતા આંદોલનો વચ્ચે બિહાર-યુપીના પ્રાદેશિક પક્ષોના નેતાઓ લાલુપ્રસાદ યાદવ-મુલાયમસિંહ યાદવ (Lalu Prasad Yadav - Mulayam Singh Yadav) અને અન્યોએ જાતિગત વસ્તીગણતરીની માગણી નવેસરથી શરૂ કરી હતી.

 

ઉત્તર ભારતમાં જે રીતે કૉંગ્રેસનું રાજકીય ધોવાણ થયું છે, તેને જોતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ જેટલી જેની સંખ્યા,તેટલી તેની હિસ્સેદારીના સિદ્ધાંતના આધારે અનામતની વ્યવસ્થાના સંદર્ભે કાસ્ટ સેન્સસની માગણી કરી હતી. રાહુલ ગાંધીએ ઘણાં વખત પહેલા સૌથી મહત્ત્વપૂર્ણ વાયદો કરતા 50 ટકા અનામતની મર્યાદા હટાવવાનો કર્યો છે. તેમાં તેમનો તર્ક હતો કે આ મર્યાદા નથી તૂટતી, ત્યાં સુધી પછાત, દલિત અને આદિવાસી (Adiwasi) ઓને વસ્તીના પ્રમાણમાં હક મળી શકે નહીં. કાસ્ટ સેન્સસ કરાવીને મોટી સંસ્થાઓ અને વેપારમાં પછાત વર્ગોની ભાગીદારી વધારવાની વાત તેઓ કરી ચુક્યા છે. અદાલતો અને મીડિયામાં 90 ટકા વસ્તી એટલે કે એસસી (SC) -એસટી (ST) -ઓબીસી (OBC) -લઘુમતી (Minority) ઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો પણ તેમણે વાયદો કર્યો છે. બંધારણના અનુચ્છેદ-15(5) ને લાગુ કરીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત આપવાની તેમણે વાત કરી છે. આ તમામ વાયદા કાસ્ટ સેન્સસની આસપાસની રાજનીતિ સાથે જોડાયેલા છે.

 

Rahul Gandhi નું લોકસભામાં ભાષણ (17-04-2026)

 

રાહુલ ગાંધીએ 17 એપ્રિલ, 2026ના રોજ લોકસભામાં આપેલા ભાષણમાં મહિલા અનામત સંશોધન બિલ અને ડિલિમિટેશન બિલ પર ચર્ચા કરતા સરકાર પર આદિવાસીઓના હકની હિસ્સાચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ હતું કે સરકાર આદિવાસીઓને હિંદુ તો કહે છે, પરંતુ સત્તાના માળખામાં તેમને તે સ્થાન અને સમ્માન આપતી નથી જેના તેઓ હકદાર છે.

 

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આજે મારે ગૃહમાં સાચી વાત કહેવી છે. પહેલી સાચી વાત એ છે કે મહિલાનું બિલ નથી. તેમણે મહિલા અનામત બિલને ચૂંટણીનો નક્શો બદલવાની કોશિશ ગણાવી છે.

 

રાહુલ ગાંધીએ ક્હયુ છે કે સરકાર બંધારણથી વધારે મનુવાદ પર વિશ્વાસ ધરાવે છે. સરકાર લઘુમતી સમુદાયોના પ્રતિનિધિત્વને છીનવવાની કોશિશ કરી રહી છે. રાહુલ ગાંધીએ સરકાર પર ઓબીસી, દલિતો, લઘુમતીઓ અને મહિલાઓની સાથે ક્રૂર, બેરહમ અને નિર્મમ વર્તાવ કરવાનો આરોપ લગાવતા કહ્યુ છે કે ઓબીસી, દલિતને હિંદુ કહો છો, અધિકાર આપતા નથી.

 

Rahul Gandhi નું ભાષણ કૉંગ્રેસનો કાસ્ટ સેન્સસ બાદની રાજનીતિનો રોડમેપ

 

રાહુલ ગાંધીના ભાષણમાં બંધારણ વિરુદ્ધ મનુવાદ (Manuwad) ની વાત છે. મનુવાદ મોટાભાગે ભારતના રાજકારણમાં સવર્ણોને રાજકીય ઘૃણાથી સંબોધિત કરવા માટે વપરાતો શબ્દ છે. મતલબ કે લઘુમતી તુષ્ટિકરણના રાજકારણ સાથે હિંદુ સમુદાયમાં સવર્ણો સામેની રાજકીય ઘૃણા વધારીને અનામત વર્ગમાં આવતા તમામને જોડીને મત સમીકરણોને મજબૂત કરવાની રાજનીતિના આ સંકેત છે.

 

આ સિવાય ઓબીસી, દલિતો, લઘુમતીઓ અને મહિલાઓ સાથેના વ્યવહારની વાત કરીને તેમણે હિંદુત્વવાદી-રાષ્ટ્રવાદી રાજનીતિને નિશાન બનાવીને ઉપરોક્ત વર્ગો સાથે સવર્ણોના રાજકીય વર્ચસ્વમાં તેમની કફોડી સ્થિતિની વાત કરીને તેમને સાધવાની કોશિશ કરી છે. જો કે કોંગ્રેસનો ગત 2 દાયકાની ચૂંટણીઓનો ઈતિહાસ છે કે તેમને જનતા સાથ આપતી નથી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં હાર જ તેમનું અત્યાર સુધીનું નસીબ છે. કર્ણાટક, તેલંગાણા જેવા બે-ચાર રાજ્યોમાં કોંગ્રેસ સ્થાનિક નેતા અને સ્થાનિક પરિબળોના આધારે જરૂરથી સત્તામાં આવે છે. પણ તેમાં રાહુલ ગાંધીને શ્રેય મળે તેવું હજી સુધી કંઈ બન્યું નથી.

 

હવે ભાજપની નેતાગીરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ઘણાં બધાં નેતાઓ ઓબીસી વર્ગમાંથી આવે છે. રામજન્મભૂમિ આંદોલનમાં અયોધ્યા ખાતે જન્મભૂમિસ્થાન પર પહેલી કારસેવા પહેલા થયેલો શિલાન્યાસ પણ એક દલિત કાર્યકર્તાના હાથે કરાયો હતો. આખા આંદોલનમાં સવર્ણ, ઓબીસી, એસસી અને એસટી એમ તમામ વર્ગના લોકોએ જાતિગત ભેદભાવને બાજૂએ કરીને રામજન્મભૂમિ (Ramjanmabhoomi) પર ભવ્ય રામમંદિર (Ram Temple) બને તેનો માર્ગ બનાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામમંદિરનું નિર્માણ પણ થયું છે. પણ ઓબીસી-દલિતોને અધિકાર નહીં આપવાની વાત કરીને રાહુલ ગાંધીએ હિંદુઓની સધાયેલી પોલિટિકિલ યૂનિટી (Political Unity) ની ફોલ્ટલાઈન (Faultlines) એક્ટિવ કરવાની રાજનીતિ ખેલી છે.

 

રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાસ્ટ સેન્સસ બાદ એવી રાજનીતિ ખેલવા ચાહે છે કે જેમાં મુસ્લિમ વોટબેંક અને ઓબીસી-એસસી-એસટી વર્ગના મતસમીકરણો સાધીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી-હિંદુત્વવાદી રાજકીય શક્તિઓને દેશના પાવર સ્ટ્રક્ચરમાંથી હાંસિયામાં ધકેલી દેવામાં આવે. જેવી રીતે કૉંગ્રેસ છેલ્લા ઘણાં વર્ષોથી દેશના પાવર સ્ટ્રક્ચરમાં હાંસિયામાં પહોંચી છે.

 

Population Control માં સરકારને સહકાર આપનારને દંડિત કરશો?

 

દેશની વસ્તી ઘણી વધારે હોવાનું જણાવીને દેશમાં વસ્તી નિયંત્રણ માટે પરિવાર નિયોજનના કાર્યક્રમોની શરૂઆત કોંગ્રેસના શાસનમાં જ થઈ હતી. હવે જ્યારે જે વર્ગોએ વસ્તી નિયંત્રણ અપનાવ્યું છે, તેમની કાસ્ટ સેન્સસ અને સેન્સસમાં વસ્તી ઓછી હશે તો તેમને જેટલી જેની સંખ્યા તેટલો તેનો ભાગના સિદ્ધાંતના આધારે રાજકીય અન્યાયની રાજનીતિ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા ખેલાઈ રહી છે. આ એક પ્રકારે કોંગ્રેસની સરકારોમાં શરૂ થયેલા વસ્તી નિયંત્રણના કાર્યક્રમોમાં સરકારોને સાથ આપનારા વર્ગોને એક અન્યાય નથી? અને જેમણે વસ્તી નિયંત્રણના કાર્યક્રમોમાં સરકારોને સાથ આપ્યો નથી તેમને ઈનામ નહીં હોય?

 

ઉત્તર (North) વિરુદ્ધ દક્ષિણ (South) નું રાજકારણ ખેલીને શું મેળવશો?

 

આ સિવાય લોકસભામાં રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલ પર બોલતા દક્ષિણ ભારતના રાજ્યોને ડિલિમિટેશનમાં અન્યાય થવાની સંભાવનાઓની વાત કરીને ઉત્તર વિરુદ્ધ દક્ષિણ ભારતના ક્ષેત્રીય એકતાને નુકશાન પહોંચાડતી ફોલ્ટલાઈન પણ સક્રિય કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે જેની જેટલી વસ્તી તેટલી તેની ભાગીદારીવાળો સિદ્ધાંત જો જાતિગત અનામતમાં લાગુ થઈ શકે તો તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં કેમ લાગુ થઈ શકે નહીં? શું આના વિરોધ પાછળ ઉત્તર ભારતમાં હિંદુત્વવાદી-દક્ષિણપંથી-રાષ્ટ્રવાદી રાજકીય શક્તિઓના પ્રતિનિધિ તરીકે ભાજપને મળેલી સફળતાથી ડરીને રાહુલ ગાંધીએ આવી રાજકીય હરકત કરી છે?

 

ક્યાં પક્ષે 33 ટકા મહિલાઓને ટિકિટ આપી છે?

 

સૌથી મોટો સવાલ એ પણ છે કે મહિલા અનામતની વાત કરનારા કોઈપણ રાજકીય પક્ષે અત્યાર સુધીની કોઈપણ ચૂંટણીમાં પોતાના પક્ષમાંથી 33 ટકા મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ક્યારેય ઉતાર્યા નથી. આ હકીકતને ન તો કોંગ્રેસ નજરઅંદાજ કરી શકે તેમ છે અને ન તો ભાજપ? આ રાજકીય પક્ષોને જ્યાં સુધી કાયદાકીય રીતે ફરજ પાડવામાં આવશે નહીં, ત્યાં સુધી મહિલાઓને સંસદ અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત કોઈ આપશે નહીં તે પણ હકીકત છે. ત્યારે આમા અંડગાબાજીનું રાજકારણ ખેલવું કેટલું યોગ્ય છે?

 

Delimitation પર રાજનીતિ રાજકીય સ્વાર્થ સાધના!

 

બીજી વાત ભારત દુનિયાના વધુ વસ્તી ધરાવતા દેશોમાં બીજા સ્થાને છે. ભારતની વસ્તી 15 ઓગસ્ટ, 1947માં હતી, તેની સરખામણીએ ઘણી વધારે એક અંદાજ મુજબ 140 કરોડથી વધારે છે. આવા સંજોગોમાં જો લોકશાહી છે તો જનપ્રતિનિધિત્વ ન્યાયિક ધોરણે થાય તેના માટે ડિલિમિટેશનની પણ એક વ્યવસ્થા બંધારણમાં કરવામાં આવી છે અને તેને વખતોવખત નિર્ધારીત ધારાધોરણો પ્રમાણે હાથ ધરવામાં આવે છે. રહી વાત સેન્સસની તો સેન્સસ નહીં થવા પાછળ કોરોનાકાળનું એક ઘણું મોટું ફેક્ટર છે. તેને પણ વિપક્ષ નકારી શકે તેમ નથી.

 

આવા સંજોગોમાં જ્યારે કાસ્ટ સેન્સસ કરવો કે નહીં તેના રાજકીય વિવાદ વચ્ચે હવે કાસ્ટ સેન્સસ થઈ રહ્યો છે, તો તેને થવા દઈને હાલમાં ડિલિમિટેશનનો કોઈ વસ્તુનિષ્ઠ વિચાર થાય તો તેમાં ખોટું શું છે? 2029ની લોકસભા ચૂંટણી નવા ડિલિમિટેશન સાથે થાય તો લોકશાહી વધુ મજબૂત નહીં થાય? વળી કાસ્ટ સેન્સસ આવી જાય અને તેમાં જરૂરત પડે તો જેવી રીતે જાતિગત વસ્તીગણતરી માટે આંદોલન કર્યું કે માગણી કરી તેવી રીતે ડિમિલિટેશનની નવી માગણી પણ કેમ ન થઈ શકે? ડિલિમિટેશનથી એસસી-એસટીની રિઝર્વ બેઠકોમાં વધારો થવાની વાત રાહુલ ગાંધી કેમ ભૂલી જતા હશે? શું તેમને એસસી-એસટી વર્ગોની રિઝર્વ બેઠકો વધે તેનાથી વાંધો છે?

 

વ્યવસ્થા હંમેશા વિકસિત થતી હોય છે અને તેને વિકસિત થવા દેવી જોઈએ. તેમાં નવા ફેક્ટર ઉમેરાય ત્યારે તેના પ્રમાણે તેને આકાર આપી શકાય છે અને આકારમાં પરિવર્તન પણ આવી શકે કે લાવી શકાય છે. આ વાત કેમ ભૂલી જવાતી હશે?  આ આખો મામલો ભાજપ, કોંગ્રેસ કે કોઈ પક્ષનો નથી, પણ રાષ્ટ્રહિત-દેશહિત, સમાજહિત અને જનહિતનો છે, તેને લંબાવવાથી શું ફાયદો થશે? આના માટે ભાગલા કરો અને રાજ કરોની રાજનીતિને તમામ રાજકીય પક્ષોએ બાજૂએ મૂકવી પડશે. સમાજમાં નવા કોઈ ખટરાગ પેદા ન થાય તેવી રીતે વ્યવસ્થા પરિવર્તન પુરી પરિપક્વ લોકશાહીની ઢબે હવે ભારતની આઝાદીને 79 વર્ષે આપણને લોકતાંત્રિક દેશના લોકો તરીકે આવડવું જ જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો