લેબલ અનશન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અનશન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 28 જુલાઈ, 2012

ટીમ અણ્ણાનો અનશનનો તાયફો સુપર ફ્લોપ


-આનંદ શુક્લ
ભ્રષ્ટાચાર માત્ર ભારતની જ નહીં, પણ આખી દુનિયાની સમસ્યા છે. માનવીના જન્મની સાથે જ ભ્રષ્ટતાઓ અને ભ્રષ્ટતાઓના વ્યવહારથી ભ્રષ્ટાચાર પણ પેદા થયો છે. ભ્રષ્ટાચાર મૂલ્યહીનતા અને અનૈતિકતાથી જન્મે છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે તમામ મૂલ્યો અને નૈતિકતાઓ કાયદા તરીકે તેની વ્યાખ્યામાં  સામેલ નથી. જ્યારે આવા મૂલ્યો અને નૈતિકતા માટે કોઈ આગ્રહ કે હઠાગ્રહ કરે, તો તેને તાલિબાની પ્રવૃતિ ગણવામાં આવે છે. પરંતુ તેમ છતાં દેશ-દુનિયામાં ભ્રષ્ટાચારના અનાચારથી સમાજ સાથે અત્યાચારનું કામ ચાલુ છે. ભ્રષ્ટાચારનો અત્યાચાર કરનાર દરેક વ્યક્તિ પોતે આ નહીં કરતો હોવાનું દ્રઢપણે માનતો હોય છે, તેને માત્ર વાંધો બીજા આમ કરે તેનાથી છે!

ભ્રષ્ટાચારને રોકવા માટે દેશ અને દુનિયામાં અનેક આંદોલનો થયા છે, પરંતુ તેનાથી ભ્રષ્ટાચાર ખતમ થવાને બદલે વધતો રહ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો છતાં તેમાં વધારો શા માટે થયો તેના સંદર્ભે કોઈ નેતા વિચાર કરવા માટે તૈયાર નથી. બસ ભ્રષ્ટાચારના વિરોધમાં સવા વર્ષથી ચાલતો અનશનના નામનો તાયફો વધુ એક વખત અણ્ણા હજારે અને ટીમ અણ્ણા આગળ વધારી રહ્યા છે. મુંબઈમાં એમએમઆરડીએ મેદાનમાં અણ્ણાના ફ્લોપ શો બાદ દિલ્હીમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલા ટીમ અણ્ણાના અનશનમાંથી લોકો ગાયબ છે. અણ્ણા હજારેનુ કહેવુ છે કે પાંચ લોકોની હાજરીથી પણ આંદોલન ચલાવી શકાય છે. ભીડની કોઈ આંદોલનના પ્રભાવ સાથે કોઈ લેવાદેવા નથી.

પરંતુ આમ કહેતી વખતે અણ્ણા ભૂલી જાય છે કે દુનિયાનું કોઈપણ આંદોલન લઈ લો, તે જનતા વગર હંમેશા અધુરું રહ્યું છે. જનતાના સાથ વગરની કહેવાતી ક્રાંતિઓ ભારત અને ભારત બહાર હંમેશા અધુરી અને નિષ્ફળ રહી છે. જનજનના જોડાવાથી જનઆંદોલન બને છે અને જનઆંદોલનની આગ ક્રાંતિ પેદા કરે છે. પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્તા પરિવર્તનથી માંડીને વ્યવસ્થા પરિવર્તનની વાત કરનારા અણ્ણા હજારે પોતાના આંદોલનમાં જનતાને નહીં જોડી શકવાની વાતને સ્વીકારતા નથી. ગત વર્ષ પહેલા બે અનશન દરમિયાન અણ્ણા હજારે સાથે લોકો દેખાયા, ફેસબુક અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર લોકોએ અણ્ણાના આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. પરંતુ અણ્ણા હજી સુધી લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં કંઈપણ નક્કર કરી શક્યા નથી. જેના કારણે આજની વ્યસ્ત જિંદગીમાં લોકોને અણ્ણાના અનશનથી કોઈ પરિણામ નીકળતુ દેખાયું નથી. જેના કારણે લોકો પોતપોતાની જિંદગીમાં જ વ્યસ્ત છે. કાળઝાળ મોંઘવારી અને જીવન ટકાવી રાખવાની જદ્દોજેહાદમાંથી વ્યક્તિને સમય વેડફવો પોસાય તેમ નથી. જેના કારણે અણ્ણા હજારેના અનશનના નામે ચાલતા તાયફામાં તેઓ જવા માટે તૈયાર નથી.
ટીમ અણ્ણા પર થયેલા ભ્રષ્ટાચારના આરોપોને કારણે પણ લોકોમાં તેમના પ્રત્યેની શ્રદ્ધા ઘટી હોવાની વાતથી ઈન્કાર થઈ શકે તેમ નથી. આ સિવાય અણ્ણા હજારે અને ટીમ અણ્ણાને સંઘ પરિવારનો સાથે લેવાથી પરહેજ છે, પરંતુ તેઓ દિલ્હીની જુમ્મા મસ્જિદના ઈમામ બુખારીનો સાથ લેવા માટે વિનવણીઓ કરવા પહોંચી જાય છે. જેના કારણે અણ્ણાના આંદોલન પાછળથી સંઘ પરિવારે પણ પોતાના હાથ ખેંચી લીધા છે. દિલ્હીમાં ગત વર્ષ ઓગસ્ટના અનશન દરમિયાન રામલીલા મેદાન ખાતે કથિતપણે વિશ્વ હિંદુ પરિષદના કેટલાંક નેતાઓ દ્વારા લંગર ચલાવવામાં આવ્યા હતા. જો કે વિશ્વ હિંદુ પરિષદે આની કોઈ આધિકારીક પુષ્ટિ કરી નથી. પરંતુ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ચલાવાયેલા રામજન્મભૂમિ આંદોલનના અગ્રણી સંત સાધ્વી ઋતંભરાને રામલીલા મેદાન ખાતેના અનશનમાં મંચ પર આવવા દેવામાં આવ્યા ન હતા અને તેમને નીચે બેસીને જ પાછા વળવું પડયું હતું. મુસ્લિમ સમુદાયના લોકોને પ્રતીકરૂપે મંચ પર રાખવા અને તેમને અનશન સ્થાન પર નમાજ પઢવા દેવાની વ્યવસ્થા કરવા સુધીની કાર્યવાહી ટીમ અણ્ણા અને અણ્ણા હજારે દ્વારા કરવામાં આવી હતી.

અણ્ણા હજારે અને ટીમ અણ્ણા દ્વારા હિંદુ સંગઠનો સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો કે જાણે કે તેઓ આ દેશના નાગરીક જ ન હોય અને તેમનો આ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં સાથ લેવો પાપ હોય. અણ્ણા હજારેને આંદોલનમાંથી લોકો ગુમ થવાનું આ કારણ પણ તેમણે વિચારવું જોઈએ. બાબા રામદેવ ટીમ અણ્ણાના અનશન દરમિયાન શુક્રવારે મંચ પર આવ્યા. બાબા રામદેવ સાથે ભીડ આવી અને તેમના જવાની સાથે જ ભીડ ગાયબ થઈ ગઈ. બાબા રામદેવે પણ ટીમ અણ્ણાના મંચ પર આવતા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે જનઆંદોલનોમાં દેશના 125 કરોડ લોકોનો સાથ હોવો જોઈએ. તો જ ક્રાંતિ શક્ય બનશે. તેમણે પરિવર્તન લાવનારા કોઈપણ આંદોલન સાથે દેશની વસ્તીના એક ટકા લોકોના સ્થાયીપણે જોડાયેલા હોવા જોઈએ તેવી વાત પણ કરી છે.

આનો સ્પષ્ટ અર્થ છે કે અણ્ણાનું જનલોકપાલ આંદોલન જનશક્તિ વગર સુરસુરિયું થઈ ગયું છે. હાલ ફેસબુક અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ અણ્ણાના સમર્થકોની પાંખી હાજરી નજરે પડે છે. જો કે અણ્ણા હજારેએ અનશનથી આગળ વધીને લોકોને રાજકીય વિકલ્પ આપવાની વાત કરી છે. તેઓ પોતે ચૂંટણીમાં ઉભા નહીં રહે, પરંતુ સારા લોકોને ચૂંટણીમાં ટેકો આપશે. પરંતુ જ્યારે ભારતની લોકશાહી નંબર ગેમ છે, ત્યારે જનતાના ટેકા વગર ઉભો થનારો વિકલ્પ કેટલો ટકશે, તે પણ અંદાજવું ઘણું સરળ છે.

લોકશાહીમાં સત્તા અને શક્તિ જનતામાં કેન્દ્રીત છે. જનતા જેને ચાહે તેને સત્તા અને તેના માટેની શક્તિ આપી શકે છે. જનતાને પોતાની પાસે રહેલી સત્તા અને શક્તિના અધિકારો યોગ્ય વ્યક્તિને આપવા માટે રાજકીય રીતે સાક્ષર બનાવવાની જરૂરત છે. પરંતુ ભારતના લોકોનું અત્યાર સુધીનું રાજકીય કલ્ચર જ એ પ્રકારનું રહ્યું છે કે રાજકારણ અને રાજકારણીઓને હંમેશા ધિક્કારવા, રાજકારણને ઉપેક્ષાથી જોવું. જેના કારણે આજે રાજકારણ પર ખોટા અને ભ્રષ્ટાચારી લોકોનો દબદબો છે. આને ખતમ કરવા માટે જનતાને રાજકીય રીતે સાક્ષર બનાવવી પડશે અને સાથે સાથ તેમની સામે અન્ય યોગ્ય રાજકીય વિકલ્પ મૂકવો પડશે. પરંતુ આ તમામ કવાયત માટે જનતાને સાથે જોડવી જનઆંદોલન ઉભું કરવું તેની પ્રાથમિકતા બનેલી રહેશે. જો કે આંદોલનથી લોકોના ગાયબ થવા પર અણ્ણા હજારેનું નિવેદન દર્શાવે છે કે તેમને લોકો વગર પણ આંદોલન ચલાવવાના મુંગેરીલાલના હસીન સપના આવે છે. 

રવિવાર, 4 ડિસેમ્બર, 2011

ભ્રષ્ટાચાર બૂમબરાડા અને અનશન-આંદોલનથી નહીં ભાગે!


-ક્રાંતિવિચાર

ભ્રષ્ટાચાર સામે ભારત માતા કી જયના સૂત્ર સાથે અનશનવીર ગાંધીવાદી અણ્ણા હજારેએ આ વર્ષે બે વખત ઉપવાસ કર્યા. તેમણે દેશમાં ભ્રષ્ટાચારને કાબુમાં લાવવા માટે જનલોકપાલ બિલની પુરજોર માગણી કરી છે. સરકારે 22 ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ સત્રમાં મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપીને વિવાદના મધપૂડાને જાણીજોઈને છેડી દીધો છે. જેના કારણે શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી 11 દિવસ ચાલી શકી નથી. ત્યારે સરકારની મનસા કદાચ મજબૂત લોકપાલ બિલને શિયાળુ સત્રમાં લટકાવાની હોય તેવા પણ સંકેતો મળી રહ્યા છે. ખુદ અણ્ણાએ પણ આ સંદર્ભે આશંકાઓ વ્યક્ત કરી છે.

ભ્રષ્ટાચાર સામે અણ્ણા અલખ જગાવતા રહે તેની સામે કોઈને કોઈ વાંધો ન હોઈ શકે. ભ્રષ્ટાચાર દેશ માટે આફત છે, ધીમું ઝેર છે. તેનો ઈલાજ થવો જોઈએ. આ બાબતે કોઈ અસંમત નથી. પરંતુ અણ્ણા દાવો કરે છે કે લોકો જાગી ગયા છે અને 27 ડિસેમ્બરે તેમના પ્રસ્તાવિત અનશન માટે જનતા તૈયાર છે. પરંતુ તેની સામે ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ કરપ્શન ઈન્ડેક્સમાં ભારત દેશમાં અણ્ણાના આંદોલન છતાં 11 ક્રમાંક નીચે પછડાયું છે. ભારત કરપ્શન ઈન્ડેક્સમાં 95માં સ્થાને છે. એકથી દસ સ્કેલ પર રેન્કિંગના આધારે તમામ દેશોની વાર્ષિક યાદી બનાવનારી સંસ્થાએ ભારતને ઈન્ડેક્સમાં ચીનથી નીચે રાખ્યું છે, જ્યારે પાકિસ્તાનથી ભારત ઉપરના ક્રમાંકે છે. કરપ્શન ઈન્ડેક્સમાં ભારતથી વિકાસના મામલામાં કોસો દૂર રહેલા ચીનનું સ્થાન 75મું છે. જ્યારે પાકિસ્તાન કરપ્શન ઈન્ડેક્સમાં 134મા સ્થાને છે.

તાજેતરના ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના કરપ્શન ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ પરથી સ્પષ્ટ છે કે ભારતમાં ભ્રષ્ટાચારને ભગાડવો જોઈએ તેની વાત બધાં કરે છે. પરંતુ ભ્રષ્ટાચારને કોઈ ભગાડતું નથી. લોકો વધારેને વધારે ભ્રષ્ટાચારમાં ખૂંચતા જાય છે. તેનું પરિણામ છે કે ભારત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કરપ્શન ઈન્ડેક્સમાં 11 ક્રમાંક નીચે ઉતર્યું છે. અણ્ણાના આંદોલન વખતે આંદોલનમાં ભાગ લેવા જતાં આંદોલનકારીઓએ ટ્રાફિકના નિયમના ભંગ બદલ થનારા દંડને ટાળવા માટે પોલીસને લાંચ આપી હોવાના કિસ્સા દેશમાં ઘણે ઠેકાણે બન્યા છે. ત્યારે સવાલ એ છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં ભાગ લેવા માટે જનારા લોકો લાંચ આપીને કેવી રીતે ભ્રષ્ટાચારને ભગાડી શકશે?

ભ્રષ્ટાચારને ભગાડવાની વાત કરતાં પહેલા સમજવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર શું છે? ભ્રષ્ટાચાર માનવીય આચાર સાથે સંકળાયેલી બાબત છે. આ એવો આચાર છે કે જે શિષ્ટાચાર નથી, સત્યાચાર નથી, પણ માનવીય સ્વભાવ વિરુદ્ધના રસ્તે લઈ જતો આચાર છે. માણસ પેદા થાય છે, ત્યારે તે પૂર્ણરૂપથી સત્યાચારી હોય છે. તે જેમ જેમ જીવનમાં આગળ વધે છે, તેમ તેમ તેના સત્યાચારી માર્ગ બદલાય છે અને તે ભ્રષ્ટાચાર તરફ આગળ વધે છે. દુનિયાના લગભગ 99 ટકા લોકો સાથે આવી ઘટના બને છે. ભ્રષ્ટાચારી એટલે માત્ર નાણાંની લાંચ આપવી એટલું જ ભ્રષ્ટાચારમાં સામેલ થતું નથી. જીવનમાં મૂલ્યવિહીન, અનૈતિક, સિંદ્ધાત વિરુદ્ધ કરવામાં આવતું દરેક આચરણ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર માનવતાની પણ વિરુદ્ધ છે. કારણ કે તે માનવીય મૂલ્યો, આચાર-વિચાર, સિદ્ધાંત વિરુદ્ધનું વર્તન છે.

ભ્રષ્ટાચાર માનવીય માનસ સાથે સંકળાયેલી વસ્તુ છે. ત્યારે પ્રશ્ન એ છે કે એક લોકપાલ લાવી દેવાથી એટલે કે કોઈ તંત્રને દંડો લઈને વ્યવસ્થામાં રહેલા લોકોના વોચડોગ તરીકે બેસાડી દેવું ભ્રષ્ટાચારનો ઉકેલ છે? શું ભ્રષ્ટાચાર લોકોના ટોળા ભેગા કરવાથી, રેલીઓ કાઢવાથી, બૂમો પાડીને ભાષણો કરવાથી, ટેલિવિઝન પર ઉટપટાંગ દલીલો કરવાથી, તર્ક-વિતર્ક-કુતર્કની શ્રેણી ચલાવવાથી, ભારત માતા કી જયની ચીસો પાડવાથી અને દેશભક્તિના ગીતો પર નાચવાથી દૂર થવાનો છે? ભ્રષ્ટાચારનો ઉકેલ કોઈ કડક કાયદા ન હોઈ શકે. ભ્રષ્ટાચાર મૂલ્યો અને સિદ્ધાંતો જોડે સંકળાયેલી વસ્તુ છે. ભારતમાં મૂલ્યો અને સિદ્ધાંતોની શું સ્થિતિ છે? આજે ભારતમાં અનૈતિકતાને ઓજાર, મૂલ્યહીનતાને મિલ્કત અને સિદ્ધાંતહીનતાને સત્ય ગણીને પોતાના હિતો સાધવાને હોશિયારી ગણવાની નવી પરિભાષા સામે આવી છે. આ પ્રકારની પરિભાષા માનવીય માનસને ભ્રષ્ટાચારી બનાવે છે અને ભ્રષ્ટાચારનું મૂળ આ માનસિકતામાં રહેલું છે. અણ્ણા જનલોકપાલ લાવે કે જનતાલને લોકપાલ બનાવે, પણ તેઓ મૂલ્યહીનતા, સિદ્ધાંતવિહીનતા અને અનૈતિકતાને રોકવા માટે કોઈ એક્શન પ્લાન ધરાવતા નથી. ભારતમાં ભ્રષ્ટાચારને રોકવા માટે સેંકડો કાયદા છે. પણ તેમ છતાં ભ્રષ્ટાચારમાં દેશ નંબર વન બનવા તરફ આગળ જઈ રહ્યો છે. તેના કારણમાં ભારતનું માનસ પરિવર્તન છે. સ્વયંસંચાલિત સત્યાચારી ભારતીય વ્યક્તિ મૂલ્યહીનતા અને અનૈતિકાના માર્ગ પર પથભ્રષ્ટ બનીને ભ્રષ્ટાચારી બની ગયો છે. આજે દેશમાં એકપણ વ્યક્તિ એવો નહીં હોય કે જે પોતે 100 ટકા સત્યાચારી હોવાનો અને શૂન્ય ટકા ભ્રષ્ટાચારી હોવાનો દાવો કરી શકે. ખુદ ભ્રષ્ટાચાર ન કરવો તમને માત્ર ભ્રષ્ટાચારી નહીં બનાવે. ભ્રષ્ટાચાર થતો જોવો અને તેને રોકવા માટે કંઈ ન કરવું પણ તમને ભ્રષ્ટાચારી બનાવે છે.

ભારતના મૂલ્યો અને નૈતિકતાને તોડવાનું કામ 1200 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે. ભારતના જીવન સિદ્ધાંતો બદલવા માટે જોર-જુલમ અને છેતરપિંડીનો 1200 વર્ષનો ઈતિહાસ છે. અંગ્રેજોએ ભારતના પરંપરાગત મૂલ્ય, સિદ્ધાંતો અને નૈતિકતા પર કુઠારાઘાત કર્યો. તેમના માનસિક ગુલામોએ આ બાબતને ભારતમાં આઝાદી પછી પણ આગળ વધારી. ઉદારીકરણના યુગમાં અંગ્રેજોના માનસિક ગુલામોએ દેશને વધારે પથભ્રષ્ટ કર્યો. દેશ ભોગવાદી બન્યો, દેશમાં પૈસો પરમેશ્વરના સ્થાને આવી ગયો. બસ કોઈપણ રીતે અને કોઈપણ ભોગે પૈસો પોતાની પાસે આવવો જોઈએ. ભોગવિલાસના સાધનો પોતાની પાસે અઢળક માત્રામાં હોવા જોઈએ. બસ આ માનસિકતા સાથેની પથભ્રષ્ટતા મંત્રીથી માંડીને સંત્રી સુધી વ્યાપક અને ઉંડી બની. તેના કારણે આજે 64 કરોડના કૌભાંડમાં હલબલી જનારો દેશ પોણા બે લાખ કરોડના કૌભાંડમાં પણ સંવેદનશીલતા બતાવવા માટે તૈયાર નથી. જે સંવેદનશીલતા દેખાય છે, તે માત્ર દેખાડો હોય તેવું વધારે લાગે છે. તેમા એ આગ નથી કે જે પરિવર્તનનો યજ્ઞ કરી શકે. જેપી આંદોલન જેવી આંચ હજી થઈ નથી. વીપી આંદોલન જેવો ઉભરો હજી આવ્યો નથી.

ભ્રષ્ટાચાર કોઈને હટાવવો નથી અને માટે તે હટતો નથી. પણ કોઈને ખુરશી પરથી ઉઠાડી પોતે ખુરશી પર બેસવા માટે ભ્રષ્ટાચારના નામે રાજકારણ ખેલનારા રાજકારણીઓ અને રાજકીય પક્ષોનો ખેલ બરાબર જામ્યો છે. ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સવાળી વ્યવસ્થા હોય તે સદા આવકાર્ય છે. પરંતુ તેનાથી આગળ વધીને વિચારવું પડશે કે ભારતીયોની માનસિકતા જ ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સવાળી બને. તેના માટેની કોઈ જનલોકપાલ કરતા મોટી વ્યવસ્થા વિચારવી પડશે.

તેના માટે સમાજમાં મૂલ્ય, સિદ્ધાંતો અને નૈતિકતાના ભારતીય મૂલ્યોની પુનપ્રતિષ્ઠા કરવી પડશે. તેમની પુનપ્રતિષ્ઠા માટે જો કોઈ પ્રયત્ન થઈ શકે તો તે બાળકના ઉછેરથી શરૂ થઈ શકે. બાળકના ઉછેરમાં સૌથી મોટી ભૂમિકા માતા-પિતા અને શિક્ષક ભજવી શકે છે. તેમની સૌથી મોટી જવાબદારી છે કે બાળક ભ્રષ્ટાચારમુક્ત માનસિકતા સાથે જીવનના મોરચે આગળ વધે. તેના માટે પડી ભાંગેલી ભારતની શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવી પડશે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં અત્યારે મૂલ્ય, સિદ્ધાંત અને નૈતિક વિચારોની બાદબાકી જેવી સ્થિતિ છે. પહેલાના વખતમાં શાળામાં બાળક માત્ર શિક્ષિત જ ન હતો બનતો પણ સંસ્કારી પણ બનતો હતો. પરંતુ હવે શિક્ષણ પદ્ધતિ અને વ્યવસ્થામાં શિથિલતા આવવાને કારણે બાળક શિક્ષિત તો બની જાય છે, પણ સંસ્કારી થઈ શકતો નથી. બાળકને શાળામાં ગણિત, વિજ્ઞાન અને ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે, પણ મૂલ્ય શીખવાડાતા નથી, સિદ્ધાંતો ભણાવાતા નથી અને નૈતિકતા દેખાડાતી નથી.

આનું પરિણામ શું આવ્યું છે, તે આપણે આઝાદીના માત્ર 64 વર્ષમાં જોઈ શક્યા છીએ. 1000 વર્ષના ગુલામી કાળમાં ભ્રષ્ટાચાર ચોક્કસ પ્રકારના ઉપરના સ્તરે હતો. પરંતુ આઝાદીના 64 વર્ષમાં આપણે ભ્રષ્ટાચારને એટલો વિકસવા દીધો છે કે તે છેક નીચલા સ્તરે મૂળ સુધી પહોંચી ગયો છે. તેનું એકમાત્ર કારણ શિક્ષણમાંથી ભારતીય જીવન મૂલ્યો અને તત્વચિંતનની બાદબાકી છે. વ્યક્તિમાં ભારતીય જીવનમૂલ્યો જીવતા હોત, ભારતીય તત્વચિંતન હિલોરા મારતું હોત તો શું તે ભ્રષ્ટાચારી બની શકત? આટલા ભ્રષ્ટાચાર છતાં ભારતમાં હજી સુધી કોઈ સરકાર, નેતા, પક્ષ, એનજીઓ, સમાજસેવકે મૂલ્ય આધારીત શિક્ષણ માટે પરિણામદાયક પહેલ કરી નથી. બાકી ભ્રષ્ટાચારને ભગાડવા માટે અત્યારે જે પ્રયત્ન થઈ રહ્યા છે, તે આભને થીંગડા મારવાની કોશિશ જ સાબિત થવાના છે. બાકી વેલ્યુ એજ્યુકેશન વ્યક્તિને ઢાળમાં પણ ગબડે નહીં તેવો બનાવશે.

સોમવાર, 29 ઑગસ્ટ, 2011

અન્નાના અનશનની આગમાંથી નીકળતા અર્થો!


-આનંદ શુક્લ

ભારતીય માનસ બિનરાજકીય નથી, પરંતુ રાજકારણ વિરોધી છે. રાજનીતિને ભારતમાં ઉપેક્ષા અને ઉદાસિનતાથી જોવામાં આવે છે. કેટલાંક પક્ષોના નેતાઓએ રાજનીતિને સમાજજીવનના ઘરમાં પાયખાનાની ઉપાધિ સુદ્ધાં આપી છે. પરંતુ શૌચ માટે જેટલું પાયખાનું મહત્વનું હોય છે, તેટલું રસોડું મહત્વનું હોતું નથી. કહેવાનું તાત્પર્ય એટલું છે કે જીવનનું કોઈપણ પાસું મહત્વહીન અથવા ઉપેક્ષાને પાત્ર નથી. મહત્વહીન અને ઉપેક્ષાપાત્ર સમાજજીવનના જે-તે ક્ષેત્રમાં મળી આવે છે. રાજનીતિને આમ પણ સજ્જનો માટેનું સ્થાન ભારતીય માનસમાં ગણાવામાં આવ્યું નથી. આ કારણ છે કે આજે ભારતના રાજકારણને ભ્રષ્ટાચારનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવી રહ્યો છે. જો કે હકીકત એ છે કે સમાજજીવનમાં મૂલ્યો, સિદ્ધાંત, નૈતિકતા, સંસ્કાર અને ધર્મની અસ્થિરતા અથવા હ્રાસે આજે ભ્રષ્ટાચારનો ભડકો કર્યો છે. અત્યારે કોઈપણ રાજનેતા, રાજકીય પક્ષ કે સંગઠન જનતાનો વિશ્વાસ ધરાવતું નથી. જનતાના મગજમાં એક ભાવના ઘર કરી ગઈ છે કે બધાં ચોર છે. તેની અનુભૂતિ તાજેતરમાં સ્થગિત થયેલા અન્નાના અનશન-આંદોલનથી થાય છે.

જનતાને અન્ના હજારેમાં એક વિકલ્પ દેખાયો છે. એક બિનરાજકીય વિકલ્પ દેખાયો છે. અન્નાનું સરળ અને સીધું લાગતું વ્યક્તિત્વ જનતાના દિલમાં અંકિત થઈ ચુક્યું છે. માટે મીડિયાના ભરપૂર સાથથી ઈન્ટરનેટ, ટીવીના માધ્યમથી જનતાના ઘણાં મોટાભાગને અન્નાના અનશન આંદોલને આવરી લીધો છે. જો કે અત્રે યાદ રાખવું જોઈએ કે આંદોલનમાં આવરી લેવાયેલો જનતાનો મોટોભાગ 121 કરોડની જનતાનો ખૂબ નાનો હિસ્સો છે. પરંતુ સિવિલ સોસાયટી અને તેમના ટેકેદારોનો આ નાનો હિસ્સો સંસદને કેટલીક બાબતોમાં નમાવા માટે સફળ થયો છે. પરંતુ આ જનતાની જીત કરતાં સિવિલ સોસાયટીની જીત વધારે છે. એટલા માટે કે સિવિલ સોસાયટી અને અન્નાને પોતાની વાત રજૂ કરવાની, જનતાનું સમર્થન મેળવવાની અને લોકપાલ મુદ્દે સંસદ પાસેથી કેટલાંક આશ્વાસનો મેળવવાની સફળતા મળી છે. પરંતુ ભ્રષ્ટાચાર મુદ્દે જનતાને લાભ થાય તેવી કોઈ સફળતા હજી સુધી જનતાને મળી નથી.

લોકશાહીમાં જનતાને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવીને સરકાર અને સત્તાપક્ષ પર દબાણ લાવવાનું કામ વિરોધ પક્ષનું છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયના આતંકવાદી હુમલા, મોંઘવારીનું મહાભારત, ગોટાળાના ચક્રવ્યૂહ, નક્સલી હિંસા, ખેડૂતોની સમસ્યા, જમીન અધિગ્રહણના કાળા કામો, વિનાશના પંથે આગળ ધપતો વિકાસ જેવાં મુદ્દાઓ વિરોધ પક્ષ જનતાની તરફેણમાં, જનતાના અવાજ તરીકે ઉઠાવીને જનતાની ભાવનાનું સરકાર પર દબાણ લાવવામાં નાકામિયાબ રહ્યો છે. જેના કારણે જનતા એનડીએ, ડાબેરીઓ અને અન્ય પ્રાદેશિક પક્ષોના વિપક્ષને વિશ્વાસની નજરે જોતી નથી. તેના કારણે ભારતીય રાજનીતિના ક્ષેત્રમાં પહેલી વખત બીજા ધ્રુવ પર મહાશૂન્ય દેખાયું. ત્યારે આ મહાશૂન્યને ભરવા માટે અન્ના હજારે અને તેમની સાથેની સિવિલ સોસાયટીને મીડિયાએ પોતાના સતત અભિયાન દ્વારા લોકોના દિલમાં પ્રસ્થાપિત કરી દીધી. તેના કારણે લોકોએ સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા તેમની થઈ રહેલી ઉપેક્ષાનો અન્નાના આંદોલનમાં ભરપૂર સાથ આપીને પડઘો પાડયો. ભારતીય રાજનેતાઓ અને રાજકીય પક્ષોએ દેશના રાજકીય પરિદ્રશ્યમાં ઉભા થયેલા દ્રશ્યો પરથી સંકટને ઓળખવું જોઈએ. કારણ કે આ દ્રશ્ય તેમના માટે જ નહીં, દેશ માટે પણ કોઈપણ રીતે ખુશનુમા નથી.

જાણીતા રાજનીતિક વિચારક ગોવિંદાચાર્યનું કહેવું છે કે દેશમાં અત્યારે સક્ષમ વિપક્ષની જરૂર છે. તેમણે ભારતીય પક્ષ નામના સામાયિકમાં મુલાકાતમાં કહ્યું છે કે દેશમાં અત્યારે સત્તાપક્ષ અને છદ્મ સત્તાપક્ષ અસ્તિત્વમાં છે. ત્યારે દેશના રાજકારણમાં એક બાબત સ્પષ્ટ રીતે આંખો સામે ઉપસી આવે છે કે આપણે ત્યાં જનતાના અવાજને પ્રતિબિંબિત કરનારો વિરોધ પક્ષ મૂક-બધીર છે. અને કારણ તેમના રાજકીય અંધાપામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પદે આવતાની સાથે જ મોહનરાવ ભાગવતે ભાજપની કિમોથેરપી અને સર્જરીની વાત કરી હતી. પરંતુ અન્ના હજારેના અનશન આંદોલન અને તેમાં વિરોધ પક્ષ તરીકે ભાજપની છેક છેલ્લી ઘડીઓ સુધીની અસમંજસતાએ સાબિત કરી દીધું છે કે હજી સર્જરી અથવા કિમોથેરપીની તીવ્રતા ઓછી છે અને તે લાંબો સમય સુધી ચલાવવી પડશે. મોંઘવારી સહીતના પ્રશ્નો સંદર્ભેની ભાજપની રેલીઓ એક કર્મકાંડ બની ગઈ હતી. આર્થિક ચિંતનમાં મૂડીવાદની પ્રાધાન્યતા અને વિકાસની વિકૃત વિભાવનામાં કોંગ્રેસ અને ભાજપમાં કોઈ ઝાઝો ફરક નથી. ત્યારે ભારતના 77 ટકા લોકો 8થી 20 રૂપિયાની રોજી કમાય રહ્યાં છે, તેની તેમને કોઈ ચિંતા ન હોય તે સ્વાભાવિક છે. તેવા સમયે ભારતના લોકો પોતાનામાં કોઈ મસિહા શોધે તે સ્વાભાવિક છે.

અન્નાનું આંદોલન જેટલું સત્તાધારી કોંગ્રેસની વિરોધમાં છે, તેટલું જ ભાજપ અને અન્ય રાજકીય પક્ષો માટે પણ વિરોધમાં છે. હકીકતમાં આ આંદોલન વર્તમાન વ્યવસ્થાના વિરોધમાં છે. જ્યાં કેન્દ્ર સહીત ઘણાં રાજ્યોમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારો છે, તો ઘણાં રાજ્યોમાં ભાજપ અને અન્ય પક્ષોની સરકારો છે. માટે અન્નાનું આ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કોઈ એક પક્ષ વિરુદ્ધ નહીં, પરંતુ સંપૂર્ણ રાજકીય પક્ષોના વિરોધમાં નજરે પડયું છે. તેથી જ આ આંદોલનની આડમાં ભાજપ અથવા અન્ય પક્ષો કોંગ્રેસ પર કટાક્ષ કરે અથવા વડાપ્રધાનના રાજીનામાની વાત કરે, તો તેને યોગ્ય ઠેરવી શકાય નહીં. તેવી જ રીતે કોંગ્રેસના પણ આવા પ્રયાસોને યોગ્ય ઠેરવી શકાય નહીં કે જેમાં તે કોઈ વિરોધી પક્ષને આ આંદોલનથી જોડે. જનતાએ સમજવાની જરૂર છે કે હાલના રાજકીય પરિદ્રશ્યમાં કોઈપણ પક્ષ પોતે સ્વચ્છ હોવાનો જનતાને વિશ્વાસ આપતો નથી, પરંતુ તેઓ એવી હોડમાં છે કે તેમના કરતાં અન્ય પક્ષ વધારે ભ્રષ્ટ છે અને તેવો ઓછા ભ્રષ્ટ છે.

આ આંદોલને ભારતીય રાજકીય ચિંતકો અને નેતાઓને એ વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે ભારતીય રાજકારણ હવે એ હદે આવી ચુક્યું છે કે આમ આદમી આ રાજકીય પરિસ્થિતિઓથી અત્યંત પરેશાન થઈ ગયો છે. આપણે સત્તાની વાત કરીએ તો કોઈપણ પક્ષ, ગત 64 વર્ષોમાં કોઈપણ સમાધાન સામે લાવી શક્યો નથી કે આમ જનતાને લાગે કે તએ લોકશાહીમાં જીવન જીવી રહ્યો છે. આ પ્રકારે વિપક્ષની વાત કરીએ તો આઝાદીના કેટલાંક દશકોને બાદ કરતાં ભારતમાં વિપક્ષ ઘણો કમજોર રહ્યો છે. જો વિપક્ષમાં દમખમ હોત તો જે આંદોલન અન્નાએ કર્યું છે તે આંદોલન આજે ભાજપના હાથમાં હોત. હકીકતમાં આ વિપક્ષની કમજોરી છે કે જે મુદ્દા અને વાતો આમ જનતાના હિતમાં વિપક્ષે કરવી જોઈતી હતી, તેને સિવિલ સોસાયટીએ ઉઠાવી છે. લોકશાહી વ્યવસ્થામાં વિપક્ષનું કામ છે કે તે સત્તા પર અંકુશ રાખે અને સત્તારૂપી મદમસ્ત હાથીને નિયંત્રિત રાખે. તેના માટે બંધારણે લઘુમતને સંરક્ષણ આપ્યું છે. પરંતુ સંસદમાં વિપક્ષની કમજોરીએ બંધારણની આ જોગવાઈ પર પાણી ફેરવી નાખ્યું છે. ભાજપ આંતરીક ઝગડાઓમાં ગુંચવાયેલી છે, તો ડાબેરીઓ પ.બંગની ચૂંટણીમાં હારના ધક્કામાંથી ઉગરી શક્યા નથી. ત્રીજા મોરચાને હવે આ દેશની જનતાએ નકારી દીધો છે. આવી પરિસ્થિતિમાં મુખ્ય વિપક્ષ હોવાના નાતે ભાજપ પર એ ભાર વધારે છે કે તે યુપીએ સરકાર પર નિયંત્રણ રાખે અને જો સરકાર નિયંત્રિત ન થાય, તો તેઓ લોકતાંત્રિક રીતે આમ જનતા વચ્ચે આંદોલનો કરે, ધરણાં કરે, પ્રદર્શનો કરે. પરંતુ છેલ્લા થોડા સમયની પરિસ્થિતિઓ પર નજર કરીએ તો, પેટ્રોલના ભાવમાં વધારો, મોંઘવારીમાં વધારો, દેશમાં મોટામોટા ગોટાળા પરંતુ વિપક્ષ કોઈ મોટું પગલું ઉઠાવી શક્યો નથી. માત્ર પોતપોતાના વક્તવ્યો જારી કરે અને નાનામોટા પ્રદર્શનો કરીને કર્મકાંડી દાયિત્વોનું નિર્વહન કરવાથી ઈતિશ્રી માને. આજે જો સમયસર વિપક્ષી દળોએ સત્તાના વિરોધમાં મોરચો ખોલી નાખ્યો હોત, તો અન્ના હજારેના આંદોલનને આટલો ટેકો મળ્યો ન હોત.

અત્રે એક વાત નિશ્ચિત છે કે દેશની સામાન્ય જનતા કોઈ સક્ષમ વિકલ્પ ચાહે છે. તે કોંગ્રેસ-ભાજપ સહીતના રાજકીય પક્ષોથી ઉબાઈ ગઈ છે. તેના કારણે અન્નાની આજુબાજુના ખોટા માણસોને અવગણીને પણ અન્ના હજારે જેવાં નિષ્પક્ષ અને યોગ્ય લાગનારા આમ આદમીને નેતૃત્વ કરવા મળે તો આમ આદમી આજે તેમની સાથે થવા માટે તૈયાર છે. એવું નથી કે ભ્રષ્ટાચાર આ દેશમાં અચાનક જ ફૂટી નીકળ્યો છે. વખતોવખત સરકારોએ તેના ઉપાયો પણ કર્યા છે, પરંતુ મોટામોટા ગોટાળા અને હાલની રાજકીય-સામાજિક પરિસ્થિતિઓએ આમ જનતાના મનમાં આ દેશના નેતાઓ પ્રત્યે વિશ્વાસ ખતમ કરી નાખ્યો છે. આમ જનતાને આ વખતે એવું લાગ્યું છે કે વાસ્તવમાં એક વ્યક્તિ છે, જે આપણી વચ્ચે છે, જે આપણો છે, જે આપણા ખુદના અવાજમાં, આપણી ખુદની ભાષામાં વાત કરે છે અને બસ એ જ કારણ છેકે લોકોને અન્ના પર વિશ્વાસ થઈ ગયો કે આ વ્યક્તિ આપણો નેતા બનવાને લાયક છે અને લોકો મીડિયાની મદદથી તેમની તરફ ખેંચવા લાગ્યા. જો કે હવે જવાબદારી અન્ના હજારે પક્ષે છે કે તેઓ જનતાની અપેક્ષાઓને જાળવી રાખે. પરંતુ આવી પરિસ્થિતિઓમાં રાજકીય પક્ષોએ પોતપોતાની સ્થિતિઓ પર પુનર્વિચાર કરવો જોઈએ અને તેમણે સમાન્ય જનતાની વચ્ચે જઈને તેમની વાત અને પરિસ્થિતિને સમજવી જોઈએ.

આવનારી સામાન્ય ચૂંટણીઓમાં આ આંદોલનની ઘણી અસર થશે તેવા અનુમાનો લગાવાય રહ્યાં છે. હાલમાં એવું લાગે છે કે આ આંદોલનથી કોંગ્રેસને ઘણું નુકસાન જશે, પરંતુ એ પણ સત્ય છે કે ભાજપ સહીત કોઈપણ વિપક્ષ આ આંદોલનનો રાજકીય ફાયદો ઉઠાવી શક્યો નથી. આવી પરિસ્થિતિમાં અન્ના હજારે અને તેમની ટીમના સાચાખોટાં માણસોની એ જવાબદારી છે કે સામાન્ય જનતાનીવચ્ચે જાય, કારણ કે આ દેશનો આમ આદમી અન્નાની તરફ તાકીને ઉભો છે કે કદાચ કોઈ રસ્તો બતાવી દે. જો આવું નથી થતું તો પછી તે જ પક્ષ છે, તે જ લોકો છે, તે સત્તા અને તે જ વિપક્ષ છે. માત્ર એટલું થઈ શકશે કે તેમના બેસવાના સ્થાન બદલાઈ જશે.

રવિવાર, 21 ઑગસ્ટ, 2011

અન્નાનું આંદોલન: ટોપીઓ બદલવાનો ખેલ?


-આનંદ શુક્લ

ક્રાંતિની મશાલ રસ્તો પણ બતાવે અને આગ પણ લગાડે. ક્રાંતિની મશાલનો ક્યો ઉપયોગ આગળ જતાં કરવામાં આવશે, તે તો આવનાર સમય જ જણાવશે. પરંતુ અન્ના હજારે ભ્રષ્ટાચારને ખતમ કરવાના પવિત્ર ઉદેશ્ય માટે અનશન કરી રહ્યાં છે. તેમણે કહ્યું છે કે હું જીવું કે ન જીવું, પણ મશાલ પ્રજ્વલિત રહેવી જોઈએ. પણ અન્ના હજારે પહેલા તો આપણે જોવું પડે કે તમે લોકોને જે મશાલ હાથમાં પકડાવી છે, તે ક્રાંતિની મશાલ જ છે ને? વળી આ મશાલ અંધારામાં અજવાળું પણ કરે અને આગ પણ લગાડે. તમે આ મશાલ અંધારામાં અજવાળું કરવા માટે જ કરી છે. પરંતુ ભરોસો નથી, તમારા ટેકેદારો પર અને તમારા આંદોલનની તેજીમાં પોતાની ટોપીઓ બદલનારા લોકો પર, કારણ કે બની શકે કે તમારા ન જીવવાની સ્થિતિમાં તેઓ આ મશાલનો ક્યો ઉપયોગ કરે? માટે અન્ના હજારે તમે જીવો હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર.

કોઈ ગાંધીટોપી પહેરે તેટલા માત્રથી ગાંધીવાદી થઈ જતું નથી, તેવી જ રીતે સર્વશક્તિમાન લોકપાલના આવી જવાથી ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી. આ તો સ્પીડ બ્રેકર હશે, પણ રસ્તો તો ખુલ્લો જ રહેશે. તમે એવી કોઈ વ્યવસ્થા સૂચવો કે જેમાં ભ્રષ્ટાચારનો માર્ગ જ બંધ થઈ જાય. હજી તમે આવી કોઈ વ્યવસ્થા સૂચવી શક્યા નથી કે જેમાં તમે પૂર્ણ ખાતરી આપી શકો. ભ્રષ્ટાચાર સામે જેપીએ આંદોલન કર્યું હતું, પરંતુ તે આંદોલન ઈન્દિરા ગાંધીને સત્તા પરથી હટાવીને પૂરું થઈ ગયું. ક્યાંક તમારું આંદોલન આઝાદીના સૌથી બેઈમાન કેબિનેટના સૌથી ઈમાનદાર વડાપ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહને હટાવા સુધીનું તો નથી ને?

કારણ કે અન્ના સાથે જે લોકો છે, તે રાજકીય રીતે ઉત્તર-દક્ષિણ ધ્રુવના છે અને તેઓ એટલા તકવાદી છે કે પોતપોતાના લક્ષ્ય સિદ્ધ થઈ જવાથી તેઓ અન્નાની પાછળથી હટી જવાના છે. તકવાદી માણસો હંમેશા તકલાદી હોય છે. તકલાદી માણસોના તકવાદી રાજકારણે ભ્રષ્ટાચારને છૂટોદોર આપ્યો છે. આ હકીકતથી ખુદ અન્ના હજારે પણ ઈન્કાર કરી શકે તેમ નથી. વળી બ્રિટિશ સામ્રાજ્યવાદને આધિન ભારતમાં જે લોકો અંગ્રેજોની સાથે હતા, આઝાદી મળી તેના થોડા વખત પહેલા તેમમે પોતાની ટોપી બદલી નાખી હતી અને આવા ચાલાક લોકો ગાંધી ટોપીમાં આવી ગયા હતા. સર શોભા સિંહ જેવા લોકો ભગત સિંહને ફાંસી કરાવવાનું ઈનામ પણ મેળવી ચુક્યા અને આઝાદ ભારતમાં કેટલાંક ટુકડા ફેંકીને સૌથી મોટા પરોપકારીના રૂપમાં પણ સામે આવ્યા.

ભ્રષ્ટાચાર આઝાદી બાદ એક ભયાનક મહામારી તરીકે ઉભર્યો, પરંતુ લોકતાંત્રિક વ્યવસ્થામાં એ. રાજાથી લઈને એમ. કરુણાનિધિ જેવા શક્તિશાળી પ્રાદેશિક નેતાની લાડકી દીકરી કનિમોઝી સુધીના લોકો જેલમાં છે. તો અન્ય કેટલાંક લોકો પર જેલમાં જવાનું જોખમ તોળાય રહ્યું છે. ભ્રષ્ટાચાર મૂડીવાદી વ્યવસ્થાનો ગુણ છે અને આ વ્યવસ્થામાં અમેરિકા, ઈંગ્લેન્ડ સમર્થિત ગાંધી ટોપીના સહારે અન્ના મૂડીવાદને બચાવવા માટે સૌથી મોટું આંદોલન ચલાવી રહ્યાં છે. ગાંધી ટોપી ગાંધીવાદી જ પહેરે તે જરૂરી નથી. ટોપી બદલનારાઓની ભારતમાં અછત નથી અને ભ્રષ્ટાચાર માટે ટોપી બદલનારા લોકો જ જવાબદાર છે.

અન્નાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં ભાગ લેનારા અને ગાંધી ટોપી પહેરીને ફરનારા લોકો પોતપોતાના હિત માટે આંદોલનને પોતપોતાની દિશામાં વાળવાનો પ્રયત્ન કરશે. આવી સ્થિતિમાં આંદોલની કુલ મળીને જે દિશા હશે, તે તદ્દન ખોટી દિશામાં હશે. વળી આ આંદોલનમાં એવા પણ ઘણાં લોકો છે કે જેમને દેશની જનતાએ ક્યારેય સ્વીકાર્યા નથી, તેઓ અન્નાના ખભે બેસીને પોતાની સ્વીકૃતિ ઉભી કરવાની દોડમાં છે. આ સિવાય ભ્રષ્ટાચારના નામ પર ઘણાં મોટા-મોટા ભ્રષ્ટાચારીઓ પણ ગાંધી ટોપી લગાવીને આંદોલનના મેદાનમાં છે. ત્યારે અન્નાનું આંદોલન માત્ર ટોપીઓ બદલવાનું અને ટોપીઓ પહેરાવાનું આંદોલન જ બની રહેશે? અન્નાનું અંતિમ ઘોષિત લક્ષ્ય ભ્રષ્ટાચારને દેશવટો કેવી રીતે પૂરું થશે? પવન જોઈને શઢ બદલનારાઓ કેવી રીતે ખુલ્લા પડશે? આવા લોકો ભ્રષ્ટાચારી ન કહેવાય?

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

અન્નાના આંદોલનનો ફાયદો કોને?


-આનંદ શુક્લ

અન્નાના આંદોલને મીડિયા અને લોકોના ભ્રષ્ટાચારી, અત્યાચારી રાજકારણીઓ તથા તંત્ર સામેના ગુસ્સાથી દેશભરમાં સારા પ્રમાણમાં લોકજુવાળ ઉભો કર્યો છે. ભારતના અને વિશ્વના અન્ય તમામ મુદ્દાઓ પરથી ધ્યાન ખસેડીને અત્યારે અન્ના અને તેમની ટીમે લોકોને ભ્રષ્ટાચાર મુદ્દે વાતો કરતા કરી દીધા છે. ભ્રષ્ટાચાર એક ખૂબ ખરાબ દૂષણ છે. તેનો ખાત્મો અનિવાર્ય છે. અન્ના હજારે તેમા સફળ થાય તે જરૂરી છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જનલોકપાલ માટે અન્નાને સફળતા મળે, તો પણ ભ્રષ્ટાચાર દૂર કરવામાં તેઓ સંપૂર્ણપણે સફળ થશે કે કેમ? કારણ કે ભ્રષ્ટાચાર લોકોના રંગસૂત્રમાં પહોંચી ચુક્યો છે. ભ્રષ્ટાચાર સામે જેપી આંદોલન થયું હતું, પરંતુ તેમા માત્ર સત્તા પરિવર્તન જ થયું હતું. ત્યારે અન્નાના ભ્રષ્ટાચર અને જનલોકપાલના આંદોલનથી વડાપ્રધાન મનમોહન સિંહની ખુરશી હાલકડોલક થઈ રહી છે. શક્યતાઓ ચર્ચામાં છે કે મનમોહન સિંહને વડાપ્રધાન પદેથી હટાવીને કોઈ અન્યને લોકપાલ કાયદા સાથે ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવાનું કામ સોંપાશે. કેટલાંક ઉત્સાહી કહી રહ્યાં છે કે રાહુલ ગાંધીની વડાપ્રધાન પદે તાજપોશી કરીને અન્નાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો તાર્કીક અંત લાવવા માટે પ્રયત્ન કરાશે. અલબત આ બધી વાતો મજાકમાં જ કહેવાય છે.

અન્નાના આંદોલનથી એક વાત તો સ્પષ્ટ બની છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો લોકમુખે બળવત્તર બન્યો છે. મહારાષ્ટ્રના રાલેગાંવ સિદ્ધિના અન્ના હજારે આજે દેશ આખાના ધ્યાનમાં આવ્યા છે. અત્યારે અન્ના હજારે લોકોની નજરમાં હીરો અથવા તારણહાર છે. મીડિયા અન્ના ઈવેન્ટને આંદોલન બનાવવામાં સફળ થયું છે. એટલે કે મીડિયાને સૌથી પહેલો એ ફાયદો થયો છે કે તેના ટીઆરપીએ આકાશ સર કરી લીધું છે. મીડિયાની છબી લોકાભિમુખી બની છે. કારણ કે ભ્રષ્ટાચારનો મુદ્દો લોકોનો મુદ્દો છે. બીજું મીડિયાને તેની શક્તિનો પૂરતો પરિચય થઈ ગયો છે કે તે ધારે તેવી રીતે જનમત બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. અત્યારે ઈલેક્ટ્રોનિક મીડિયાની શક્તિનું પરીક્ષણ થઈ ગયું છે. મીડિયા હાલ પત્રકારોના હાથમાં નથી, પણ કોર્પોરેટના હાથમાં છે અને આ શક્તિ પરીક્ષણની સફળતા બાદ કોર્પોરેટો મીડિયાને પોતાના હિતના એજન્ડા પર કામ વધારે પ્રમાણમાં પ્રેરીત કરી શકે છે.

બીજી તરફ રાજકીય દ્રષ્ટિએ વિચાર કરીએ તો મનમોહન સિંહની વડાપ્રધાન તરીકેની આબરૂ પૂરી રીતે ધૂળધાણી થઈ ગઈ છે. મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન નહીં, પણ સીઈઓ વધારે લાગે છે. કારણ કે અત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી બીમારીની સારવાર માટે દેશની બહાર છે. બીજી તરફ રાહુલ ગાંધીએ પક્ષની કમાન અન્ય ત્રણ સાથીઓ સાથે સંભાળી છે. કપિલ સિબ્બલ, અંબિકા સોની અને પી. ચિદમ્બરમ જેવાં નેતાઓ અન્ના સામે કડક સ્ટેન્ડ લેવા માંગતા હતા, કે જેવું બાબા રામદેવના અનશન વખતે લીધું હતું. પરંતુ યુવરાજ રાહુલ ગાંધીના આદેશ પ્રમાણે, અન્ના અને તેમની ટીમ સંદર્ભે રાજકીય નિર્ણયો લેવાયા છે. એટલે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગતા અને મનમોહનને પસંદ ન કરતાં અસંતુષ્ટ કોંગ્રેસીઓને પણ અન્નાના અનશનનો ફાયદો મળ્યો છે.

યુપીએ સરકાર, કોંગ્રેસ અને મનમોહન સિંહની હાલત પાતળી થવાને કારણે વિપક્ષનું ગેલમાં આવવું સ્વાભાવિક છે. પરંતુ તેનો ફાયદો મેળવવા માટે મુખ્ય વિપક્ષ ભાજપ-એનડીએને ખૂબ વધારે મહેનત કરવી પડશે. સંસદમાં અન્નાને અનશન ન કરવા દેવાની અને તેમની ધરપકડ કરવાની વાત પર વિપક્ષે સરકારની ટીકા કરી છે. પરંતુ ભાજપ, શરદ યાદવ, મુલાયમ સિંહ, લાલુ યાદવ, માયાવતીનો બહુજન સમાજ પક્ષ, ડાબેરીઓ અને ખૂદ યુપીએ અન્ના હજારેના જનલોકપાલ બિલ સાથે સંપૂર્ણપણે સંમત ન હોવાની વાત કહી ચુક્યા છે. ત્યારે આગળ જતાં અન્ના ભારતની સમગ્ર રાજકીય વ્યવસ્થા સામે સંઘર્ષમાં ઉતરશે તે નક્કી છે. ત્યારે અત્યારે માત્ર કોંગ્રેસના પક્ષમાં દેખાતું નુકસાન વિપક્ષ-ભાજપ, ડાબેરીઓને દેખાતો દેખીતો ફાયદો ખૂબ મહેનત અને સંઘર્ષ કરાવશે.

બીજું અન્નાના આંદોલનને સાધનો ઉપલબ્ધ કરાવવામાં દેશના વાણિજ્યિક પ્રતિષ્ઠાનો અને અપ્રવાસી ભારતીયોનું ઘણું યોગદાન રહ્યું છે. ત્યારે તેમના મનસૂબા શું છે, તે હજી સમજવાનું બાકી છે.

આ જનઆંદોલનમાં સ્વૈચ્છિક સંગઠનો-એનજીઓને પણ સરકારને ભીંસમાં લેવાનો મોકો મળ્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, અગ્નિવેશ, પ્રશાંત ભૂષણ, મેધા પાટકર, મલ્લિકા સારાભાઈ, મનિષ સિસોદીયા જેવાં એનજીઓના લોકોને પણ ઘણો પ્રચાર મળ્યો છે. તેથી તેવો તેમની ડિઝાઈનમાં ફીટ થતાં અન્ય આંદોલનોમાં તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન અવશ્ય કરશે. બની શકે કે ત્યારે જનતામાં ઉપસેલી તેમની છબી તેમના આંદોલનોને વ્યાપક બનાવવામાં મદદ કરે.

ઉલ્લેખનીય છે કે તમામ સંગઠનો, સંસ્થાઓ, પક્ષો અને વ્યક્તિઓ વચ્ચે અન્નાના આંદોલનમાં નીતિગત અને રાજકીય મતભેદો મોટા પ્રમાણમાં છે. કુલ મળીને અન્ના હજારેને ટેકો આપવા પાછળ બધાંએ પોતપોતાના લાભ જોયા છે, પરંતુ અંતમાં જે છેતરાવાના છે, તે આમ આદમી છે.