Monday, August 29, 2011

અન્નાના અનશનની આગમાંથી નીકળતા અર્થો!


-આનંદ શુક્લ

ભારતીય માનસ બિનરાજકીય નથી, પરંતુ રાજકારણ વિરોધી છે. રાજનીતિને ભારતમાં ઉપેક્ષા અને ઉદાસિનતાથી જોવામાં આવે છે. કેટલાંક પક્ષોના નેતાઓએ રાજનીતિને સમાજજીવનના ઘરમાં પાયખાનાની ઉપાધિ સુદ્ધાં આપી છે. પરંતુ શૌચ માટે જેટલું પાયખાનું મહત્વનું હોય છે, તેટલું રસોડું મહત્વનું હોતું નથી. કહેવાનું તાત્પર્ય એટલું છે કે જીવનનું કોઈપણ પાસું મહત્વહીન અથવા ઉપેક્ષાને પાત્ર નથી. મહત્વહીન અને ઉપેક્ષાપાત્ર સમાજજીવનના જે-તે ક્ષેત્રમાં મળી આવે છે. રાજનીતિને આમ પણ સજ્જનો માટેનું સ્થાન ભારતીય માનસમાં ગણાવામાં આવ્યું નથી. આ કારણ છે કે આજે ભારતના રાજકારણને ભ્રષ્ટાચારનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવી રહ્યો છે. જો કે હકીકત એ છે કે સમાજજીવનમાં મૂલ્યો, સિદ્ધાંત, નૈતિકતા, સંસ્કાર અને ધર્મની અસ્થિરતા અથવા હ્રાસે આજે ભ્રષ્ટાચારનો ભડકો કર્યો છે. અત્યારે કોઈપણ રાજનેતા, રાજકીય પક્ષ કે સંગઠન જનતાનો વિશ્વાસ ધરાવતું નથી. જનતાના મગજમાં એક ભાવના ઘર કરી ગઈ છે કે બધાં ચોર છે. તેની અનુભૂતિ તાજેતરમાં સ્થગિત થયેલા અન્નાના અનશન-આંદોલનથી થાય છે.

જનતાને અન્ના હજારેમાં એક વિકલ્પ દેખાયો છે. એક બિનરાજકીય વિકલ્પ દેખાયો છે. અન્નાનું સરળ અને સીધું લાગતું વ્યક્તિત્વ જનતાના દિલમાં અંકિત થઈ ચુક્યું છે. માટે મીડિયાના ભરપૂર સાથથી ઈન્ટરનેટ, ટીવીના માધ્યમથી જનતાના ઘણાં મોટાભાગને અન્નાના અનશન આંદોલને આવરી લીધો છે. જો કે અત્રે યાદ રાખવું જોઈએ કે આંદોલનમાં આવરી લેવાયેલો જનતાનો મોટોભાગ 121 કરોડની જનતાનો ખૂબ નાનો હિસ્સો છે. પરંતુ સિવિલ સોસાયટી અને તેમના ટેકેદારોનો આ નાનો હિસ્સો સંસદને કેટલીક બાબતોમાં નમાવા માટે સફળ થયો છે. પરંતુ આ જનતાની જીત કરતાં સિવિલ સોસાયટીની જીત વધારે છે. એટલા માટે કે સિવિલ સોસાયટી અને અન્નાને પોતાની વાત રજૂ કરવાની, જનતાનું સમર્થન મેળવવાની અને લોકપાલ મુદ્દે સંસદ પાસેથી કેટલાંક આશ્વાસનો મેળવવાની સફળતા મળી છે. પરંતુ ભ્રષ્ટાચાર મુદ્દે જનતાને લાભ થાય તેવી કોઈ સફળતા હજી સુધી જનતાને મળી નથી.

લોકશાહીમાં જનતાને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવીને સરકાર અને સત્તાપક્ષ પર દબાણ લાવવાનું કામ વિરોધ પક્ષનું છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયના આતંકવાદી હુમલા, મોંઘવારીનું મહાભારત, ગોટાળાના ચક્રવ્યૂહ, નક્સલી હિંસા, ખેડૂતોની સમસ્યા, જમીન અધિગ્રહણના કાળા કામો, વિનાશના પંથે આગળ ધપતો વિકાસ જેવાં મુદ્દાઓ વિરોધ પક્ષ જનતાની તરફેણમાં, જનતાના અવાજ તરીકે ઉઠાવીને જનતાની ભાવનાનું સરકાર પર દબાણ લાવવામાં નાકામિયાબ રહ્યો છે. જેના કારણે જનતા એનડીએ, ડાબેરીઓ અને અન્ય પ્રાદેશિક પક્ષોના વિપક્ષને વિશ્વાસની નજરે જોતી નથી. તેના કારણે ભારતીય રાજનીતિના ક્ષેત્રમાં પહેલી વખત બીજા ધ્રુવ પર મહાશૂન્ય દેખાયું. ત્યારે આ મહાશૂન્યને ભરવા માટે અન્ના હજારે અને તેમની સાથેની સિવિલ સોસાયટીને મીડિયાએ પોતાના સતત અભિયાન દ્વારા લોકોના દિલમાં પ્રસ્થાપિત કરી દીધી. તેના કારણે લોકોએ સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા તેમની થઈ રહેલી ઉપેક્ષાનો અન્નાના આંદોલનમાં ભરપૂર સાથ આપીને પડઘો પાડયો. ભારતીય રાજનેતાઓ અને રાજકીય પક્ષોએ દેશના રાજકીય પરિદ્રશ્યમાં ઉભા થયેલા દ્રશ્યો પરથી સંકટને ઓળખવું જોઈએ. કારણ કે આ દ્રશ્ય તેમના માટે જ નહીં, દેશ માટે પણ કોઈપણ રીતે ખુશનુમા નથી.

જાણીતા રાજનીતિક વિચારક ગોવિંદાચાર્યનું કહેવું છે કે દેશમાં અત્યારે સક્ષમ વિપક્ષની જરૂર છે. તેમણે ભારતીય પક્ષ નામના સામાયિકમાં મુલાકાતમાં કહ્યું છે કે દેશમાં અત્યારે સત્તાપક્ષ અને છદ્મ સત્તાપક્ષ અસ્તિત્વમાં છે. ત્યારે દેશના રાજકારણમાં એક બાબત સ્પષ્ટ રીતે આંખો સામે ઉપસી આવે છે કે આપણે ત્યાં જનતાના અવાજને પ્રતિબિંબિત કરનારો વિરોધ પક્ષ મૂક-બધીર છે. અને કારણ તેમના રાજકીય અંધાપામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પદે આવતાની સાથે જ મોહનરાવ ભાગવતે ભાજપની કિમોથેરપી અને સર્જરીની વાત કરી હતી. પરંતુ અન્ના હજારેના અનશન આંદોલન અને તેમાં વિરોધ પક્ષ તરીકે ભાજપની છેક છેલ્લી ઘડીઓ સુધીની અસમંજસતાએ સાબિત કરી દીધું છે કે હજી સર્જરી અથવા કિમોથેરપીની તીવ્રતા ઓછી છે અને તે લાંબો સમય સુધી ચલાવવી પડશે. મોંઘવારી સહીતના પ્રશ્નો સંદર્ભેની ભાજપની રેલીઓ એક કર્મકાંડ બની ગઈ હતી. આર્થિક ચિંતનમાં મૂડીવાદની પ્રાધાન્યતા અને વિકાસની વિકૃત વિભાવનામાં કોંગ્રેસ અને ભાજપમાં કોઈ ઝાઝો ફરક નથી. ત્યારે ભારતના 77 ટકા લોકો 8થી 20 રૂપિયાની રોજી કમાય રહ્યાં છે, તેની તેમને કોઈ ચિંતા ન હોય તે સ્વાભાવિક છે. તેવા સમયે ભારતના લોકો પોતાનામાં કોઈ મસિહા શોધે તે સ્વાભાવિક છે.

અન્નાનું આંદોલન જેટલું સત્તાધારી કોંગ્રેસની વિરોધમાં છે, તેટલું જ ભાજપ અને અન્ય રાજકીય પક્ષો માટે પણ વિરોધમાં છે. હકીકતમાં આ આંદોલન વર્તમાન વ્યવસ્થાના વિરોધમાં છે. જ્યાં કેન્દ્ર સહીત ઘણાં રાજ્યોમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારો છે, તો ઘણાં રાજ્યોમાં ભાજપ અને અન્ય પક્ષોની સરકારો છે. માટે અન્નાનું આ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કોઈ એક પક્ષ વિરુદ્ધ નહીં, પરંતુ સંપૂર્ણ રાજકીય પક્ષોના વિરોધમાં નજરે પડયું છે. તેથી જ આ આંદોલનની આડમાં ભાજપ અથવા અન્ય પક્ષો કોંગ્રેસ પર કટાક્ષ કરે અથવા વડાપ્રધાનના રાજીનામાની વાત કરે, તો તેને યોગ્ય ઠેરવી શકાય નહીં. તેવી જ રીતે કોંગ્રેસના પણ આવા પ્રયાસોને યોગ્ય ઠેરવી શકાય નહીં કે જેમાં તે કોઈ વિરોધી પક્ષને આ આંદોલનથી જોડે. જનતાએ સમજવાની જરૂર છે કે હાલના રાજકીય પરિદ્રશ્યમાં કોઈપણ પક્ષ પોતે સ્વચ્છ હોવાનો જનતાને વિશ્વાસ આપતો નથી, પરંતુ તેઓ એવી હોડમાં છે કે તેમના કરતાં અન્ય પક્ષ વધારે ભ્રષ્ટ છે અને તેવો ઓછા ભ્રષ્ટ છે.

આ આંદોલને ભારતીય રાજકીય ચિંતકો અને નેતાઓને એ વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે ભારતીય રાજકારણ હવે એ હદે આવી ચુક્યું છે કે આમ આદમી આ રાજકીય પરિસ્થિતિઓથી અત્યંત પરેશાન થઈ ગયો છે. આપણે સત્તાની વાત કરીએ તો કોઈપણ પક્ષ, ગત 64 વર્ષોમાં કોઈપણ સમાધાન સામે લાવી શક્યો નથી કે આમ જનતાને લાગે કે તએ લોકશાહીમાં જીવન જીવી રહ્યો છે. આ પ્રકારે વિપક્ષની વાત કરીએ તો આઝાદીના કેટલાંક દશકોને બાદ કરતાં ભારતમાં વિપક્ષ ઘણો કમજોર રહ્યો છે. જો વિપક્ષમાં દમખમ હોત તો જે આંદોલન અન્નાએ કર્યું છે તે આંદોલન આજે ભાજપના હાથમાં હોત. હકીકતમાં આ વિપક્ષની કમજોરી છે કે જે મુદ્દા અને વાતો આમ જનતાના હિતમાં વિપક્ષે કરવી જોઈતી હતી, તેને સિવિલ સોસાયટીએ ઉઠાવી છે. લોકશાહી વ્યવસ્થામાં વિપક્ષનું કામ છે કે તે સત્તા પર અંકુશ રાખે અને સત્તારૂપી મદમસ્ત હાથીને નિયંત્રિત રાખે. તેના માટે બંધારણે લઘુમતને સંરક્ષણ આપ્યું છે. પરંતુ સંસદમાં વિપક્ષની કમજોરીએ બંધારણની આ જોગવાઈ પર પાણી ફેરવી નાખ્યું છે. ભાજપ આંતરીક ઝગડાઓમાં ગુંચવાયેલી છે, તો ડાબેરીઓ પ.બંગની ચૂંટણીમાં હારના ધક્કામાંથી ઉગરી શક્યા નથી. ત્રીજા મોરચાને હવે આ દેશની જનતાએ નકારી દીધો છે. આવી પરિસ્થિતિમાં મુખ્ય વિપક્ષ હોવાના નાતે ભાજપ પર એ ભાર વધારે છે કે તે યુપીએ સરકાર પર નિયંત્રણ રાખે અને જો સરકાર નિયંત્રિત ન થાય, તો તેઓ લોકતાંત્રિક રીતે આમ જનતા વચ્ચે આંદોલનો કરે, ધરણાં કરે, પ્રદર્શનો કરે. પરંતુ છેલ્લા થોડા સમયની પરિસ્થિતિઓ પર નજર કરીએ તો, પેટ્રોલના ભાવમાં વધારો, મોંઘવારીમાં વધારો, દેશમાં મોટામોટા ગોટાળા પરંતુ વિપક્ષ કોઈ મોટું પગલું ઉઠાવી શક્યો નથી. માત્ર પોતપોતાના વક્તવ્યો જારી કરે અને નાનામોટા પ્રદર્શનો કરીને કર્મકાંડી દાયિત્વોનું નિર્વહન કરવાથી ઈતિશ્રી માને. આજે જો સમયસર વિપક્ષી દળોએ સત્તાના વિરોધમાં મોરચો ખોલી નાખ્યો હોત, તો અન્ના હજારેના આંદોલનને આટલો ટેકો મળ્યો ન હોત.

અત્રે એક વાત નિશ્ચિત છે કે દેશની સામાન્ય જનતા કોઈ સક્ષમ વિકલ્પ ચાહે છે. તે કોંગ્રેસ-ભાજપ સહીતના રાજકીય પક્ષોથી ઉબાઈ ગઈ છે. તેના કારણે અન્નાની આજુબાજુના ખોટા માણસોને અવગણીને પણ અન્ના હજારે જેવાં નિષ્પક્ષ અને યોગ્ય લાગનારા આમ આદમીને નેતૃત્વ કરવા મળે તો આમ આદમી આજે તેમની સાથે થવા માટે તૈયાર છે. એવું નથી કે ભ્રષ્ટાચાર આ દેશમાં અચાનક જ ફૂટી નીકળ્યો છે. વખતોવખત સરકારોએ તેના ઉપાયો પણ કર્યા છે, પરંતુ મોટામોટા ગોટાળા અને હાલની રાજકીય-સામાજિક પરિસ્થિતિઓએ આમ જનતાના મનમાં આ દેશના નેતાઓ પ્રત્યે વિશ્વાસ ખતમ કરી નાખ્યો છે. આમ જનતાને આ વખતે એવું લાગ્યું છે કે વાસ્તવમાં એક વ્યક્તિ છે, જે આપણી વચ્ચે છે, જે આપણો છે, જે આપણા ખુદના અવાજમાં, આપણી ખુદની ભાષામાં વાત કરે છે અને બસ એ જ કારણ છેકે લોકોને અન્ના પર વિશ્વાસ થઈ ગયો કે આ વ્યક્તિ આપણો નેતા બનવાને લાયક છે અને લોકો મીડિયાની મદદથી તેમની તરફ ખેંચવા લાગ્યા. જો કે હવે જવાબદારી અન્ના હજારે પક્ષે છે કે તેઓ જનતાની અપેક્ષાઓને જાળવી રાખે. પરંતુ આવી પરિસ્થિતિઓમાં રાજકીય પક્ષોએ પોતપોતાની સ્થિતિઓ પર પુનર્વિચાર કરવો જોઈએ અને તેમણે સમાન્ય જનતાની વચ્ચે જઈને તેમની વાત અને પરિસ્થિતિને સમજવી જોઈએ.

આવનારી સામાન્ય ચૂંટણીઓમાં આ આંદોલનની ઘણી અસર થશે તેવા અનુમાનો લગાવાય રહ્યાં છે. હાલમાં એવું લાગે છે કે આ આંદોલનથી કોંગ્રેસને ઘણું નુકસાન જશે, પરંતુ એ પણ સત્ય છે કે ભાજપ સહીત કોઈપણ વિપક્ષ આ આંદોલનનો રાજકીય ફાયદો ઉઠાવી શક્યો નથી. આવી પરિસ્થિતિમાં અન્ના હજારે અને તેમની ટીમના સાચાખોટાં માણસોની એ જવાબદારી છે કે સામાન્ય જનતાનીવચ્ચે જાય, કારણ કે આ દેશનો આમ આદમી અન્નાની તરફ તાકીને ઉભો છે કે કદાચ કોઈ રસ્તો બતાવી દે. જો આવું નથી થતું તો પછી તે જ પક્ષ છે, તે જ લોકો છે, તે સત્તા અને તે જ વિપક્ષ છે. માત્ર એટલું થઈ શકશે કે તેમના બેસવાના સ્થાન બદલાઈ જશે.

No comments:

Post a Comment