લેબલ બાબા રામદેવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ બાબા રામદેવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 28 જુલાઈ, 2012

ટીમ અણ્ણાનો અનશનનો તાયફો સુપર ફ્લોપ


-આનંદ શુક્લ
ભ્રષ્ટાચાર માત્ર ભારતની જ નહીં, પણ આખી દુનિયાની સમસ્યા છે. માનવીના જન્મની સાથે જ ભ્રષ્ટતાઓ અને ભ્રષ્ટતાઓના વ્યવહારથી ભ્રષ્ટાચાર પણ પેદા થયો છે. ભ્રષ્ટાચાર મૂલ્યહીનતા અને અનૈતિકતાથી જન્મે છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે તમામ મૂલ્યો અને નૈતિકતાઓ કાયદા તરીકે તેની વ્યાખ્યામાં  સામેલ નથી. જ્યારે આવા મૂલ્યો અને નૈતિકતા માટે કોઈ આગ્રહ કે હઠાગ્રહ કરે, તો તેને તાલિબાની પ્રવૃતિ ગણવામાં આવે છે. પરંતુ તેમ છતાં દેશ-દુનિયામાં ભ્રષ્ટાચારના અનાચારથી સમાજ સાથે અત્યાચારનું કામ ચાલુ છે. ભ્રષ્ટાચારનો અત્યાચાર કરનાર દરેક વ્યક્તિ પોતે આ નહીં કરતો હોવાનું દ્રઢપણે માનતો હોય છે, તેને માત્ર વાંધો બીજા આમ કરે તેનાથી છે!

ભ્રષ્ટાચારને રોકવા માટે દેશ અને દુનિયામાં અનેક આંદોલનો થયા છે, પરંતુ તેનાથી ભ્રષ્ટાચાર ખતમ થવાને બદલે વધતો રહ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો છતાં તેમાં વધારો શા માટે થયો તેના સંદર્ભે કોઈ નેતા વિચાર કરવા માટે તૈયાર નથી. બસ ભ્રષ્ટાચારના વિરોધમાં સવા વર્ષથી ચાલતો અનશનના નામનો તાયફો વધુ એક વખત અણ્ણા હજારે અને ટીમ અણ્ણા આગળ વધારી રહ્યા છે. મુંબઈમાં એમએમઆરડીએ મેદાનમાં અણ્ણાના ફ્લોપ શો બાદ દિલ્હીમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલા ટીમ અણ્ણાના અનશનમાંથી લોકો ગાયબ છે. અણ્ણા હજારેનુ કહેવુ છે કે પાંચ લોકોની હાજરીથી પણ આંદોલન ચલાવી શકાય છે. ભીડની કોઈ આંદોલનના પ્રભાવ સાથે કોઈ લેવાદેવા નથી.

પરંતુ આમ કહેતી વખતે અણ્ણા ભૂલી જાય છે કે દુનિયાનું કોઈપણ આંદોલન લઈ લો, તે જનતા વગર હંમેશા અધુરું રહ્યું છે. જનતાના સાથ વગરની કહેવાતી ક્રાંતિઓ ભારત અને ભારત બહાર હંમેશા અધુરી અને નિષ્ફળ રહી છે. જનજનના જોડાવાથી જનઆંદોલન બને છે અને જનઆંદોલનની આગ ક્રાંતિ પેદા કરે છે. પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્તા પરિવર્તનથી માંડીને વ્યવસ્થા પરિવર્તનની વાત કરનારા અણ્ણા હજારે પોતાના આંદોલનમાં જનતાને નહીં જોડી શકવાની વાતને સ્વીકારતા નથી. ગત વર્ષ પહેલા બે અનશન દરમિયાન અણ્ણા હજારે સાથે લોકો દેખાયા, ફેસબુક અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર લોકોએ અણ્ણાના આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. પરંતુ અણ્ણા હજી સુધી લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં કંઈપણ નક્કર કરી શક્યા નથી. જેના કારણે આજની વ્યસ્ત જિંદગીમાં લોકોને અણ્ણાના અનશનથી કોઈ પરિણામ નીકળતુ દેખાયું નથી. જેના કારણે લોકો પોતપોતાની જિંદગીમાં જ વ્યસ્ત છે. કાળઝાળ મોંઘવારી અને જીવન ટકાવી રાખવાની જદ્દોજેહાદમાંથી વ્યક્તિને સમય વેડફવો પોસાય તેમ નથી. જેના કારણે અણ્ણા હજારેના અનશનના નામે ચાલતા તાયફામાં તેઓ જવા માટે તૈયાર નથી.
ટીમ અણ્ણા પર થયેલા ભ્રષ્ટાચારના આરોપોને કારણે પણ લોકોમાં તેમના પ્રત્યેની શ્રદ્ધા ઘટી હોવાની વાતથી ઈન્કાર થઈ શકે તેમ નથી. આ સિવાય અણ્ણા હજારે અને ટીમ અણ્ણાને સંઘ પરિવારનો સાથે લેવાથી પરહેજ છે, પરંતુ તેઓ દિલ્હીની જુમ્મા મસ્જિદના ઈમામ બુખારીનો સાથ લેવા માટે વિનવણીઓ કરવા પહોંચી જાય છે. જેના કારણે અણ્ણાના આંદોલન પાછળથી સંઘ પરિવારે પણ પોતાના હાથ ખેંચી લીધા છે. દિલ્હીમાં ગત વર્ષ ઓગસ્ટના અનશન દરમિયાન રામલીલા મેદાન ખાતે કથિતપણે વિશ્વ હિંદુ પરિષદના કેટલાંક નેતાઓ દ્વારા લંગર ચલાવવામાં આવ્યા હતા. જો કે વિશ્વ હિંદુ પરિષદે આની કોઈ આધિકારીક પુષ્ટિ કરી નથી. પરંતુ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ચલાવાયેલા રામજન્મભૂમિ આંદોલનના અગ્રણી સંત સાધ્વી ઋતંભરાને રામલીલા મેદાન ખાતેના અનશનમાં મંચ પર આવવા દેવામાં આવ્યા ન હતા અને તેમને નીચે બેસીને જ પાછા વળવું પડયું હતું. મુસ્લિમ સમુદાયના લોકોને પ્રતીકરૂપે મંચ પર રાખવા અને તેમને અનશન સ્થાન પર નમાજ પઢવા દેવાની વ્યવસ્થા કરવા સુધીની કાર્યવાહી ટીમ અણ્ણા અને અણ્ણા હજારે દ્વારા કરવામાં આવી હતી.

અણ્ણા હજારે અને ટીમ અણ્ણા દ્વારા હિંદુ સંગઠનો સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો કે જાણે કે તેઓ આ દેશના નાગરીક જ ન હોય અને તેમનો આ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં સાથ લેવો પાપ હોય. અણ્ણા હજારેને આંદોલનમાંથી લોકો ગુમ થવાનું આ કારણ પણ તેમણે વિચારવું જોઈએ. બાબા રામદેવ ટીમ અણ્ણાના અનશન દરમિયાન શુક્રવારે મંચ પર આવ્યા. બાબા રામદેવ સાથે ભીડ આવી અને તેમના જવાની સાથે જ ભીડ ગાયબ થઈ ગઈ. બાબા રામદેવે પણ ટીમ અણ્ણાના મંચ પર આવતા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે જનઆંદોલનોમાં દેશના 125 કરોડ લોકોનો સાથ હોવો જોઈએ. તો જ ક્રાંતિ શક્ય બનશે. તેમણે પરિવર્તન લાવનારા કોઈપણ આંદોલન સાથે દેશની વસ્તીના એક ટકા લોકોના સ્થાયીપણે જોડાયેલા હોવા જોઈએ તેવી વાત પણ કરી છે.

આનો સ્પષ્ટ અર્થ છે કે અણ્ણાનું જનલોકપાલ આંદોલન જનશક્તિ વગર સુરસુરિયું થઈ ગયું છે. હાલ ફેસબુક અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ અણ્ણાના સમર્થકોની પાંખી હાજરી નજરે પડે છે. જો કે અણ્ણા હજારેએ અનશનથી આગળ વધીને લોકોને રાજકીય વિકલ્પ આપવાની વાત કરી છે. તેઓ પોતે ચૂંટણીમાં ઉભા નહીં રહે, પરંતુ સારા લોકોને ચૂંટણીમાં ટેકો આપશે. પરંતુ જ્યારે ભારતની લોકશાહી નંબર ગેમ છે, ત્યારે જનતાના ટેકા વગર ઉભો થનારો વિકલ્પ કેટલો ટકશે, તે પણ અંદાજવું ઘણું સરળ છે.

લોકશાહીમાં સત્તા અને શક્તિ જનતામાં કેન્દ્રીત છે. જનતા જેને ચાહે તેને સત્તા અને તેના માટેની શક્તિ આપી શકે છે. જનતાને પોતાની પાસે રહેલી સત્તા અને શક્તિના અધિકારો યોગ્ય વ્યક્તિને આપવા માટે રાજકીય રીતે સાક્ષર બનાવવાની જરૂરત છે. પરંતુ ભારતના લોકોનું અત્યાર સુધીનું રાજકીય કલ્ચર જ એ પ્રકારનું રહ્યું છે કે રાજકારણ અને રાજકારણીઓને હંમેશા ધિક્કારવા, રાજકારણને ઉપેક્ષાથી જોવું. જેના કારણે આજે રાજકારણ પર ખોટા અને ભ્રષ્ટાચારી લોકોનો દબદબો છે. આને ખતમ કરવા માટે જનતાને રાજકીય રીતે સાક્ષર બનાવવી પડશે અને સાથે સાથ તેમની સામે અન્ય યોગ્ય રાજકીય વિકલ્પ મૂકવો પડશે. પરંતુ આ તમામ કવાયત માટે જનતાને સાથે જોડવી જનઆંદોલન ઉભું કરવું તેની પ્રાથમિકતા બનેલી રહેશે. જો કે આંદોલનથી લોકોના ગાયબ થવા પર અણ્ણા હજારેનું નિવેદન દર્શાવે છે કે તેમને લોકો વગર પણ આંદોલન ચલાવવાના મુંગેરીલાલના હસીન સપના આવે છે. 

રવિવાર, 22 એપ્રિલ, 2012

ટીમ અણ્ણામાં મુસ્લિમો સાથે ભેદભાવનો કાજમીનો આક્ષેપ ગંભીર


-ક્રાંતિવિચાર

ભ્રષ્ટાચારથી આજે દેશ ત્રસ્ત છે. વિદેશમાં અઢળક કાળું ધન ભારતમાં પાછું લાવવાના દિવાસ્વપ્નો બાબા રામદેવ થકી દેખાડવામાં આવી રહ્યા છે. જનલોકપાલ બિલ હર દર્દ કી દવા અદરકની જેમ ટીમ અણ્ણા દ્વારા માર્કેટિંગ થઈ રહ્યું છે. લોકો ગત વર્ષ અણ્ણા હજારેના આંદોલનમાં એકઠા થયા હતા. તેમને અણ્ણામાં એક આશાનું કિરણ દેખાયું હતું. અણ્ણામાં ભારતના લોકોને યુગપુરુષના દર્શન થયા હતા. કદાચ લોકોને આશા જાગી હતી કે નાથુરામ ગોડસેની ગોળીથી વિંધાયેલો આપણો રાષ્ટ્રપિતા ગાંધીબાપુ ફરીથી પાછો ફર્યો છે. પરંતુ જે રીતે હિસ્સારની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી પ્રચાર કરીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચારને ભૂલીને કોંગ્રેસને હરાવવાની વાતો થવા માંડી ત્યારથી ટીમ અણ્ણાના પાપે અણ્ણા હજારેની ગાંધીબાપુની છબી લોકોના દિલોદિમાગમાં કંપવા લાગી. લોકોને લાગ્યું કે ફરીથી મહાત્મા આવશે અને કલ્યાણના માર્ગે આપણને દોરી જશે. પરંતુ તેમની આજુબાજુના તકલાદી અને તકવાદી લોકોએ આખા આંદોલનને રાજકીય બનાવી દીધું હોવાની પ્રતીતિ પણ લોકોને થઈ.

ભ્રષ્ટાચાર સામેનું જનલોકપાલ માટેનું આંદોલન કોઈ ચોક્કસ પાર્ટી તરફી આંદોલન થઈ ગયું હોય તેવું પણ લાગવા લાગ્યું. લોકોને ફરીથી ઠગાવાનો અહેસાસ થયો અને તેનો પડઘો મુંબઈમાં અણ્ણાના અધવચ્ચેથી છોડાયેલા અનશનમાં જોવામાં મળ્યો. મુંબઈમાં 15 હજારની ક્ષમતાવાળા મેદાનમાં પહેલા દિવસે પુરાં પાંચસો લોકો પણ એકઠા થયા ન હતા. જ્યારે પોતાને મહાન બુદ્ધિપ્રધાન માનતા અને નેતાના વહેમમાં આવી ગયેલા પ્રશાંત ભૂષણ અને તેમની સાથે ભારતના સૌથી પહેલા મહિલા આઈપીએસ કિરણ બેદીને અનશનમાં સાથ આપવા માટે દિલ્હીના રામલીલા મેદાનમાં પુરાં પચ્ચાસ લોકો પણ ન હતા.

બાબા રામદેવ પર ગત વર્ષ 4 જૂને થયેલા પોલીસના બર્બર અત્યાચારની યાદ હજી તાજી છે. પરંતુ ભ્રષ્ટાચાર સામેના લોકોના આક્રોશને જોતા ફરીથી અણ્ણા હજારે અને બાબા રામદેવે ફરીથી સાથે મળીને ધારદાર આંદોલન માટે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોમાં આશા જગાવી. પરંતુ ટીમ અણ્ણાની નોઈડામાં મળેલી બેઠકમાં થયેલી તોડફોડે ફરીથી ભ્રષ્ટાચાર સામેના આંદોલનને જનલોકપાલ માટેના આંદોલનને ફરીથી શરૂ થતા પહેલા કમજોર થતું અને વિવાદોમાં ઘેરાતુ જોઈ રહ્યા છે. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સંસ્થાપક મુસ્લિમ સભ્ય મુફ્તિ શમૂન કાજમીએ ટીમ અણ્ણાને ભારે ખટાશભર્યા હ્રદયે રૂખસદ આપી છે. મુફ્તિ શમૂન કાજમીએ ટીમ અણ્ણા છોડતા પહેલા તેના પર ગંભીર આક્ષેપ કર્યો છે. કાજમીએ કહ્યુ છે કે ટીમ અણ્ણા કોમવાદી છે. અહીં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

કાજમીએ કહ્યુ છે કે ટીમ અણ્ણાને મુસ્લિમ બરદાશ્ત થતા નથી. અરવિંદ કેજરીવાલ અને અન્ય કેટલાંક મહત્વના સભ્યો મુસ્લિમોને નજરઅંદાજ કરે છે. તેમણે કહ્યુ કે જ્યારે પણ તેઓ કંઈ બોલે છે, તો યા તો તેમને બોલવા દેવામાં આવતા નથી અથવા તેમની વાતની અણદેખી કરી દેવામાં આવે છે. તેમણે કહ્યુ કે ટીમ અણ્ણામાં કોર કમિટી નામની રહી ગઈ છે, નિર્ણયો કેટલાંક લોકો જ લે છે અને તેને કોર કમિટી પર લાદી દેવામાં આવે છે.

ટીમ અણ્ણા પર પહેલી વખત મુસ્લિમો સાથે ભેદભાવ થતો હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ તેના સંસ્થાપક મુસ્લિમ સભ્યે કર્યો છે. કેજરીવાલ અને અન્ય કેટલાંક મહત્વના કોર કમિટીની સભ્યો મુસ્લિમોને નજરઅંદાજ કરતા હોવાની વાત પણ કાજમીએ ભારપૂર્વક કહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેજરીવાલ અને મનીષ સિસોદિયા પોતાની હિત સાધના માટે આગળ વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ છે કે અણ્ણાના આંદોલનનું રાજનીતિકરણ થઈ ગયું છે.

ત્યારે ટીમ અણ્ણાએ ખરેખર લોકોને આ દેશના 121 કરોડ લોકોને કે જેમના તેઓ પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે તેમને જણાવવું જોઈએ કે શું તેઓને મુસ્લિમ બરદાશ્ત થતા નથી? શું ટીમ અણ્ણામાં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવે છે? શું અણ્ણાનું જનલોકપાલ બિલ માટેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન રાજકીય થઈ ગયું છે? ટીમ અણ્ણાના કાજમીના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સાથે ભેદભાવ કરતા વલણથી ચિંતાની લહેરખી છે. ભારતમાં 121 કરોડની વસ્તીમાંથી 18 કરોડ મુસ્લિમો છે. મુસ્લિમો દેશની સૌથી મોટી લઘુમતી છે. 18 કરોડ મુસ્લિમોને બાદ કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી શકાય તેમ નથી. તેમ છતાં ગત વર્ષથી ચાલુ થયેલા અણ્ણાના આંદોલનમાં મુસ્લિમો ગેરહાજર હોવાની એક માન્યતા બની છે. આ માન્યતાને કારણે આક્ષેપો પણ થયા છે કે અણ્ણા અને રામદેવના આંદોલનની પાછળ ભગવા સંગઠનોની શક્તિ છે અને દોરીસંચાર પણ છે. પરંતુ અણ્ણાએ પોતાના આંદોલનને 100 ટકા સેક્યુલર ગણાવ્યું છે.

જો કે મુસ્લિમો તેમની સાથે જોડાયેલા નહીં હોવાનો મુદ્દો વધારે પ્રમાણમાં ઉછળતા અણ્ણાના ત્રીજા તબક્કાના આંદોલનમાં મુસ્લિમોને સાથે લેવા માટે ટીમ અણ્ણાએ ઘણાં હવાતિયાં માર્યા છે. મુસ્લિમ ચહેરાઓને આગળ કરવા. અણ્ણાની પાછળથી પહેલા ભારતમાતાના ચિત્રને ગાંધીજીની તસવીરથી રિપ્લેસ કર્યું અને બાદમાં મૌલાના અબ્દુલ કલામ દેખાય તે રીતે ક્રાંતિકારીઓના ચિત્રો ગોઠવી જોયા. ટીમ અણ્ણાની સૌથી ઘૃણાસ્પદ હરકત હતી, દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારી પાસે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ટેકો માંગવા જવો. કેજરીવાલ અને કિરણ બેદી બંને ઈમામ બુખારી પાસે ભારતમાંથી ભ્રષ્ટાચાર ભગાડવા માટે મુસ્લિમ સમુદાયની સાથે તેમના સામેલ થવાની વિનંતી કરવા ગયા હતા.

પરંતુ ત્યારે કેજરીવાલ અને કિરણ બેદી ભૂલી ગયા કે ભારતીય રાજકારણમાં સૌથી કટ્ટરવાદી મુસ્લિમ ચહેરો કોઈ હોય તો તે ઈમામ બુખારીનો છે. ઈમામ બુખારી એ પંગતમાં બેસનાર વ્યક્તિ છે કે જેમની માનસિકતાથી પાકિસ્તાન પેદા થયું છે. પાકિસ્તાન પેદા કરનારાઓએ ભારતની આઝાદીની લડાઈમાં તે સમયમાં વાતાવરણમાં પણ કોઈ યોગદાન આપ્યું ન હતું. ઈતિહાસ સાક્ષી છે કે મુસ્લિમ લીગના નેજા નીચે પાકિસ્તાન પરસ્ત તત્વોએ ભારતની આઝાદીની લડાઈ માટે અંગ્રેજો સામે કોઈ આંદોલનમાં ક્યારેય ભાગ લીધો નથી. આવા પાકિસ્તાન પરસ્ત તત્વોની પંગતમાં બેસવા જેટલી કાબેલિયત ધરાવતા ઈમામ બુખારી જેવા નખશીખ કોમવાદી અને કટ્ટરવાદી શખ્સ પાસે ભ્રષ્ટાચારના આંદોલનમાં સામેલ થવા માટે યોગદાન માગવું નરી બાલિશતા હતી.પરંતુ આ ઘટના પછી ભારતમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ તરફથી અણ્ણાના આંદોલનમાં મુસ્લિમોની ગેરહાજરીને પુરવાની જગ્યાએ તેને ચર્ચાનો વિષય બનાવાયો.

ભ્રષ્ટાચાર ભાગશે તો કંઈ આ દેશનો એકલો હિંદુ જ થોડો સુખી થવાનો છે, આ દેશનો મુસલમાન અને અન્ય તમામ ધર્મ-પંથ-સંપ્રદાયના લોકોના જીવન બદલાઈ જવાના છે. પરંતુ તેમ છતાં મુસ્લિમો એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ દૂર રહે તેના માટે પ્રચારીત કરવામાં આવ્યું કે અણ્ણા આરએસએસ સાથે ગાઢપણે જોડાયેલા છે. પરંતુ અણ્ણાના વ્યવહાર પરથી હજી સુધી કોઈપણ ઠેકાણે તેઓ મુસ્લિમ વિરોધી હોવાનું નજરે પડયું નથી. કાજમીએ પણ જે આક્ષેપ કર્યો છે તે અણ્ણા સામે નહીં, ટીમ અણ્ણાના સભ્યો અરવિંદ કેજરીવાલ અને અન્ય સામે કર્યો છે. ત્યારે ખરેખર દેશની જનતા સામે આવવું જોઈએ કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામેલ આઈઆઈટી પાસઆઉટ અને ભૂતપૂર્વ આઈએએસ કેજરીવાલ મુસ્લિમ વિરોધી છે કે આ વાત ખોટી છે?

આ સિવાય ટીમ અણ્ણાની બેઠકમાં કાજમી ઓડિયો રેકોર્ડિંગ કરીને તેની માહિતી બેઠકની બહાર પહોંચાડતા હોવાથી તેમને કોર કમિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાની વાત પણ ટીમ અણ્ણાએ કરી છે. તેમણે કહ્યુ છે કે કાજમીના મોબાઈલમાં આવી ત્રણ રેકોર્ડિંગ ક્લિપ હતી. પરંતુ હંમેશા પારદર્શકતાની વાતો કરનારી ટીમ અણ્ણા કાજમીની માત્ર ત્રણ ઓડિયો ક્લિપથી હલી ગઈ,તે જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. જનતાને હજીપણ યાદ છે કે ટીમ અણ્ણાએ જનલોકપાલ સંદર્ભેની ચર્ચા કરવા માટે સરકારને મીડિયા સામે આવવા માટે આહ્વવાન કર્યું હતું. તેમણે સૌથી પહેલા લોકપાલ બિલનો મુસદ્દો ઘડવા માટે બનેલી ટીમ અણ્ણા અને સરકારના સભ્યોની કમિટીમાં વીડિયો રેકોર્ડિંગ કરીને ચર્ચાને જાહેર કરવાની વાત પણ કરી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે કાજમીએ કરેલા ઓડિયો રેકોર્ડિંગમાં એવી તે શું વાત હતી કે ગાંધીવાદી અણ્ણા હજારેની ગાંધીવાદી ટીમ અણ્ણાએ કાજમીને હાંકી કાઢવા પડયા? મીડિયામાં સરકાર સાથે પારદર્શક ચર્ચા કરતા પહેલા ટીમ અણ્ણાએ અહીં પારદર્શક થવાની જરૂરત છે.

જનલોકપાલ આંદોલનની શરૂઆતથી ટીમ અણ્ણા કહી રહી છે કે આ આંદોલન અરાજનીતિક સ્વભાવનું છે. તેનો હેતુ સરકાર બદલવાનો નહીં, પરંતુ ભ્રષ્ટાચાર ભગાડવા માટે જનલોકપાલ બિલ લાવવાનો છે. પરંતુ સૌથી પહેલા ટીમ અણ્ણાએ કાજમી દ્વારા કરાયેલા આક્ષેપ કે આંદોલન હવે રાજકીય બની ગયું છે, તેનો જવાબ આપવો જોઈએ. ટીમ અણ્ણાએ જવાબ આપવો જોઈએ કે હિસ્સારમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યા બાદ જનલોકપાલ બિલ માટેનું અણ્ણાનું આંદોલન કઈ રીતે અરાજનીતિક બની ગયું? પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અણ્ણા નાદુરસ્ત તબિયતને કારણે પ્રચાર અભિયાન કરી શક્યા નહીં. પરંતુ તેમના સહીત ટીમ અણ્ણાએ કોંગ્રેસને જોઈ લેવાની ખુલ્લી ધમકી આપી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે સંસદમાં લોકપાલ બિલ પસાર નહીં થવા પાછળ માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે? શું તેમને ખાતરી છે કે ભાજપ અને અન્ય પક્ષો કડક લોકપાલ બિલ માટે ઝુરી રહ્યા છે? 2014માં લોકસભા ચૂંટણી સુધી લોકોને જાગરૂક કરી રહી છે, ટીમ અણ્ણા, પરંતુ આ જાગરૂકતા કોંગ્રેસ વિરુદ્ધની હોવા પાછળની કોઈને શંકા નથી. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કેટલેક ઠેકાણે પ્રશાંત ભૂષણ,કેજરીવાલે કોંગ્રેસ વિરોધી નિવેદનો અને પ્રચારનો પ્રયત્ન કરી જોયો છે. હિમાચલ પ્રદેશમાં વારંવાર જઈ રહેલા કેજરીવાલ અને મનીષ સિસોદિયા ત્યાં કોઈ રાજકીય જમીન શોધતા ન હોય તો તેઓ આની સ્પષ્ટતા કેમ કરતા નથી. પ્રશાંત ભૂષણને ચૂંટણી લડવી હોવાની વાત પણ ચર્ચામાં છે, ત્યારે અઢળક પીઆઈએલ કરનારા વકીલ પોતાના તરફથી કોઈ સફાઈ કેમ આપતા નથી?

અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે મળીને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરશે તો તેની અસર ઘણી પ્રભાવી હોવાનો અંદાજ લેવાય રહ્યો છે. જો કે ટીમ અણ્ણાએ નિર્ણય કર્યો છેકે બાબા રામદેવ સાથે આંદોલન કરશે નહીં, પરંતુ તેને ટેકો આપશે. ત્યારે તેનાથી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને અસર પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે જો ટીમ અણ્ણા મુસ્લિમો સાથે ભેદભાવભર્યું કોમવાદી વલણ રાખતી હોય, વીડિયો રેકોર્ડિંગનો ચર્ચામાં આગ્રહ કરનારી ટીમ અણ્ણા ઓડિયો ક્લિપથી ધ્રૂજી ઉઠતી હોય અને આંદોલન અરાજનીતિક સ્વભાવનું ન રહેવાનું હોય, તો તે શું લોકોનો વિશ્વાસ ફરીથી જીતી શકશે? ટીમ અણ્ણાની મહત્વકાંક્ષાઓથી માત્ર આંદોલન જ ખોરંભે પડવાનું નથી, પરંતુ રાષ્ટ્રના હિતને બહુ મોટું નુકસાન થવાનું છે.