લેબલ ટીમ અણ્ણા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ટીમ અણ્ણા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 28 જુલાઈ, 2012

ટીમ અણ્ણાનો અનશનનો તાયફો સુપર ફ્લોપ


-આનંદ શુક્લ
ભ્રષ્ટાચાર માત્ર ભારતની જ નહીં, પણ આખી દુનિયાની સમસ્યા છે. માનવીના જન્મની સાથે જ ભ્રષ્ટતાઓ અને ભ્રષ્ટતાઓના વ્યવહારથી ભ્રષ્ટાચાર પણ પેદા થયો છે. ભ્રષ્ટાચાર મૂલ્યહીનતા અને અનૈતિકતાથી જન્મે છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે તમામ મૂલ્યો અને નૈતિકતાઓ કાયદા તરીકે તેની વ્યાખ્યામાં  સામેલ નથી. જ્યારે આવા મૂલ્યો અને નૈતિકતા માટે કોઈ આગ્રહ કે હઠાગ્રહ કરે, તો તેને તાલિબાની પ્રવૃતિ ગણવામાં આવે છે. પરંતુ તેમ છતાં દેશ-દુનિયામાં ભ્રષ્ટાચારના અનાચારથી સમાજ સાથે અત્યાચારનું કામ ચાલુ છે. ભ્રષ્ટાચારનો અત્યાચાર કરનાર દરેક વ્યક્તિ પોતે આ નહીં કરતો હોવાનું દ્રઢપણે માનતો હોય છે, તેને માત્ર વાંધો બીજા આમ કરે તેનાથી છે!

ભ્રષ્ટાચારને રોકવા માટે દેશ અને દુનિયામાં અનેક આંદોલનો થયા છે, પરંતુ તેનાથી ભ્રષ્ટાચાર ખતમ થવાને બદલે વધતો રહ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો છતાં તેમાં વધારો શા માટે થયો તેના સંદર્ભે કોઈ નેતા વિચાર કરવા માટે તૈયાર નથી. બસ ભ્રષ્ટાચારના વિરોધમાં સવા વર્ષથી ચાલતો અનશનના નામનો તાયફો વધુ એક વખત અણ્ણા હજારે અને ટીમ અણ્ણા આગળ વધારી રહ્યા છે. મુંબઈમાં એમએમઆરડીએ મેદાનમાં અણ્ણાના ફ્લોપ શો બાદ દિલ્હીમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલા ટીમ અણ્ણાના અનશનમાંથી લોકો ગાયબ છે. અણ્ણા હજારેનુ કહેવુ છે કે પાંચ લોકોની હાજરીથી પણ આંદોલન ચલાવી શકાય છે. ભીડની કોઈ આંદોલનના પ્રભાવ સાથે કોઈ લેવાદેવા નથી.

પરંતુ આમ કહેતી વખતે અણ્ણા ભૂલી જાય છે કે દુનિયાનું કોઈપણ આંદોલન લઈ લો, તે જનતા વગર હંમેશા અધુરું રહ્યું છે. જનતાના સાથ વગરની કહેવાતી ક્રાંતિઓ ભારત અને ભારત બહાર હંમેશા અધુરી અને નિષ્ફળ રહી છે. જનજનના જોડાવાથી જનઆંદોલન બને છે અને જનઆંદોલનની આગ ક્રાંતિ પેદા કરે છે. પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્તા પરિવર્તનથી માંડીને વ્યવસ્થા પરિવર્તનની વાત કરનારા અણ્ણા હજારે પોતાના આંદોલનમાં જનતાને નહીં જોડી શકવાની વાતને સ્વીકારતા નથી. ગત વર્ષ પહેલા બે અનશન દરમિયાન અણ્ણા હજારે સાથે લોકો દેખાયા, ફેસબુક અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર લોકોએ અણ્ણાના આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. પરંતુ અણ્ણા હજી સુધી લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં કંઈપણ નક્કર કરી શક્યા નથી. જેના કારણે આજની વ્યસ્ત જિંદગીમાં લોકોને અણ્ણાના અનશનથી કોઈ પરિણામ નીકળતુ દેખાયું નથી. જેના કારણે લોકો પોતપોતાની જિંદગીમાં જ વ્યસ્ત છે. કાળઝાળ મોંઘવારી અને જીવન ટકાવી રાખવાની જદ્દોજેહાદમાંથી વ્યક્તિને સમય વેડફવો પોસાય તેમ નથી. જેના કારણે અણ્ણા હજારેના અનશનના નામે ચાલતા તાયફામાં તેઓ જવા માટે તૈયાર નથી.
ટીમ અણ્ણા પર થયેલા ભ્રષ્ટાચારના આરોપોને કારણે પણ લોકોમાં તેમના પ્રત્યેની શ્રદ્ધા ઘટી હોવાની વાતથી ઈન્કાર થઈ શકે તેમ નથી. આ સિવાય અણ્ણા હજારે અને ટીમ અણ્ણાને સંઘ પરિવારનો સાથે લેવાથી પરહેજ છે, પરંતુ તેઓ દિલ્હીની જુમ્મા મસ્જિદના ઈમામ બુખારીનો સાથ લેવા માટે વિનવણીઓ કરવા પહોંચી જાય છે. જેના કારણે અણ્ણાના આંદોલન પાછળથી સંઘ પરિવારે પણ પોતાના હાથ ખેંચી લીધા છે. દિલ્હીમાં ગત વર્ષ ઓગસ્ટના અનશન દરમિયાન રામલીલા મેદાન ખાતે કથિતપણે વિશ્વ હિંદુ પરિષદના કેટલાંક નેતાઓ દ્વારા લંગર ચલાવવામાં આવ્યા હતા. જો કે વિશ્વ હિંદુ પરિષદે આની કોઈ આધિકારીક પુષ્ટિ કરી નથી. પરંતુ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ચલાવાયેલા રામજન્મભૂમિ આંદોલનના અગ્રણી સંત સાધ્વી ઋતંભરાને રામલીલા મેદાન ખાતેના અનશનમાં મંચ પર આવવા દેવામાં આવ્યા ન હતા અને તેમને નીચે બેસીને જ પાછા વળવું પડયું હતું. મુસ્લિમ સમુદાયના લોકોને પ્રતીકરૂપે મંચ પર રાખવા અને તેમને અનશન સ્થાન પર નમાજ પઢવા દેવાની વ્યવસ્થા કરવા સુધીની કાર્યવાહી ટીમ અણ્ણા અને અણ્ણા હજારે દ્વારા કરવામાં આવી હતી.

અણ્ણા હજારે અને ટીમ અણ્ણા દ્વારા હિંદુ સંગઠનો સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો કે જાણે કે તેઓ આ દેશના નાગરીક જ ન હોય અને તેમનો આ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં સાથ લેવો પાપ હોય. અણ્ણા હજારેને આંદોલનમાંથી લોકો ગુમ થવાનું આ કારણ પણ તેમણે વિચારવું જોઈએ. બાબા રામદેવ ટીમ અણ્ણાના અનશન દરમિયાન શુક્રવારે મંચ પર આવ્યા. બાબા રામદેવ સાથે ભીડ આવી અને તેમના જવાની સાથે જ ભીડ ગાયબ થઈ ગઈ. બાબા રામદેવે પણ ટીમ અણ્ણાના મંચ પર આવતા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે જનઆંદોલનોમાં દેશના 125 કરોડ લોકોનો સાથ હોવો જોઈએ. તો જ ક્રાંતિ શક્ય બનશે. તેમણે પરિવર્તન લાવનારા કોઈપણ આંદોલન સાથે દેશની વસ્તીના એક ટકા લોકોના સ્થાયીપણે જોડાયેલા હોવા જોઈએ તેવી વાત પણ કરી છે.

આનો સ્પષ્ટ અર્થ છે કે અણ્ણાનું જનલોકપાલ આંદોલન જનશક્તિ વગર સુરસુરિયું થઈ ગયું છે. હાલ ફેસબુક અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ અણ્ણાના સમર્થકોની પાંખી હાજરી નજરે પડે છે. જો કે અણ્ણા હજારેએ અનશનથી આગળ વધીને લોકોને રાજકીય વિકલ્પ આપવાની વાત કરી છે. તેઓ પોતે ચૂંટણીમાં ઉભા નહીં રહે, પરંતુ સારા લોકોને ચૂંટણીમાં ટેકો આપશે. પરંતુ જ્યારે ભારતની લોકશાહી નંબર ગેમ છે, ત્યારે જનતાના ટેકા વગર ઉભો થનારો વિકલ્પ કેટલો ટકશે, તે પણ અંદાજવું ઘણું સરળ છે.

લોકશાહીમાં સત્તા અને શક્તિ જનતામાં કેન્દ્રીત છે. જનતા જેને ચાહે તેને સત્તા અને તેના માટેની શક્તિ આપી શકે છે. જનતાને પોતાની પાસે રહેલી સત્તા અને શક્તિના અધિકારો યોગ્ય વ્યક્તિને આપવા માટે રાજકીય રીતે સાક્ષર બનાવવાની જરૂરત છે. પરંતુ ભારતના લોકોનું અત્યાર સુધીનું રાજકીય કલ્ચર જ એ પ્રકારનું રહ્યું છે કે રાજકારણ અને રાજકારણીઓને હંમેશા ધિક્કારવા, રાજકારણને ઉપેક્ષાથી જોવું. જેના કારણે આજે રાજકારણ પર ખોટા અને ભ્રષ્ટાચારી લોકોનો દબદબો છે. આને ખતમ કરવા માટે જનતાને રાજકીય રીતે સાક્ષર બનાવવી પડશે અને સાથે સાથ તેમની સામે અન્ય યોગ્ય રાજકીય વિકલ્પ મૂકવો પડશે. પરંતુ આ તમામ કવાયત માટે જનતાને સાથે જોડવી જનઆંદોલન ઉભું કરવું તેની પ્રાથમિકતા બનેલી રહેશે. જો કે આંદોલનથી લોકોના ગાયબ થવા પર અણ્ણા હજારેનું નિવેદન દર્શાવે છે કે તેમને લોકો વગર પણ આંદોલન ચલાવવાના મુંગેરીલાલના હસીન સપના આવે છે. 

બુધવાર, 30 મે, 2012

PMને ‘શિખંડી’ કહેનાર ટીમ અણ્ણા ભ્રષ્ટાચારના મહા’ભારત’ના અર્જૂનની ચર્ચા ક્યારે કરશે?

-આનંદ શુક્લ

ભ્રષ્ટાચારે ભારતને ભરડામાં લીધું છે. લાખો-કરોડના ભ્રષ્ટાચાર અને ગોટાળાથી દેશનો આમ આદમી ત્રસ્ત બન્યો છે. દેશના આમ આદમીના અધિકારની સંપત્તિ ગોટાળામાં ગરક થઈ રહી છે. ત્યારે એપ્રિલ-2010માં અણ્ણા હજારેની ભ્રષ્ટાચાર સામેની રણભેરીએ લોકોને આશાનું કિરણ દેખાડયું હતું. પરંતુ ટીમ અણ્ણાની અણઘડ રણનીતિએ આખા આંદોલનના પ્રજામાં ઉભા થયેલા જોશને સોડા વોટરની જેમ બેસાડી દીધું. જો કે દેશનો ભ્રષ્ટાચારથી ત્રસ્ત આમ આદમી હજી પણ ભ્રષ્ટાચારના ખાતમા માટે લડવા તૈયાર છે અને પ્રબળ નેતૃત્વની તલાશમાં હોય તેવું લાગી રહ્યું છે.

પરંતુ મુંબઈ ખાતેના અણ્ણાના અનશનમાં થયેલા ફિયાસ્કો બાદ પણ આંદોલનની તૈયારી કરી રહેલી ટીમ અણ્ણાએ હવે વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના 14 પ્રધાનો વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ તમામ પર ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. અત્યાર સુધી વડાપ્રધાન મનમોહન સિંહ માટે એમ કહેવાતુ કે આઝાદી પછીની સૌથી બેઈમાન કેન્દ્ર સરકારમાં મનમોહન સૌથી વધારે ઈમાનદાર વડાપ્રધાન છે. પરંતુ ટીમ અણ્ણાએ વડાપ્રધાનની ઈમાનદારીને નિશાન બનાવી છે. કાશ્મીર મુદ્દે જનમતની વાત કરીને લાત-ઘૂંસા ખાનારા ટીમ અણ્ણાના મહત્વના સભ્ય પ્રશાંત ભૂષણે તો વડાપ્રધાનને શિખંડી કહી દીધા છે!

પ્રશાંત ભૂષણે મહાભારતના અર્ધનારી પાત્ર એવા શિખંડીનું ઉદાહરણ આપીને કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી વડાપ્રધાનનો ઉપયોગ શિખંડી તરીકે કરી રહી છે. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાનની આસપાસ રહેનારા લોકો અને તેમની નીચે કામ કરનારા પ્રધાનો તેમને આગળ કરીને ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે. ટીમ અણ્ણાએ વડાપ્રધાન મનમોહન સિંહની ઈમાનદારીને નિશાન બનાવી છે. જો કે ખુદ અણ્ણા હજારે ટીમ અણ્ણાના અભિપ્રાય સાથે સહમત નથી. અણ્ણા મનમોહન સિંહને સ્વચ્છ છબીવાળા નેતા ગણાવે છે.

પોતાના પર ભ્રષ્ટાચારના આરોપોથી વ્યથિત બનેલા વડાપ્રધાન મનમોહન સિંહે મ્યાંમારના પ્રવાસથી પાછા ફરતા કહ્યુ છે કે તેમના પર લગાવવામાં આવેલો ભ્રષ્ટાચારનો એકપણ આરોપ સાબિત થશે તો તેઓ જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લેશે. વડાપ્રધાને પોતાના પરના ભ્રષ્ટાચારના ટીમ અણ્ણા દ્વારા લગાવાયેલા આરોપોને તથ્યહીન અને બિનજવાબદાર ઠેરવ્યા છે.

વડાપ્રધાનને શિખંડી કહેવા બદલ ટીમ અણ્ણાને આકરી પ્રતિક્રિયાઓને સામનો કરવો પડયો છે. શિખંડી આમ તો સ્ત્રી કે પુરુષમાં ન હોય તેવું મહાભારતનું પાત્ર છે. આ પ્રકારના પાત્ર સાથેની વડાપ્રધાનની સરખામણી ખરેખર રાજનીતિમાં શબ્દપ્રયોગના રસાતળે ઉતરી ગયેલા સ્તરની સાબિતી છે. જો કે વારંવાર ભાષા સંયમ નહીં દાખવનારા લાલુપ્રસાદ યાદવે પ્રશાંત ભૂષણને માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવીને કહ્યુ છે કે તેઓ આવા પગ-માથા વગરના નિવેદનો આપે છે, તો તેમની પિટાઈ થાય છે. લાલુએ કહ્યુ કે વડાપ્રધાન દેશના નેતા છે અને તેમની ઈમાનદારીને બધા માને છે.

વડાપ્રધાન સામેના અમર્યાદિત શબ્દપ્રયોગ પર ભાજપે સત્તાવારપણે ટીમ અણ્ણાની ટીપ્પણી સામે વાંધો વ્યક્ત કર્યો છે. જો કે તેમના વાંધામાં ક્યાંક એવી ભીતિ ધબરાયેલી હોઈ શકે કે કદાચ આગામી લોકસભાની ચૂંટણી પછી એનડીએના વડાપ્રધાન હોય અને આવી ઘટનાઓ માટે ક્યાંક કોઈ તેમના માટે આવો શબ્દપ્રયોગ કરે નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ કહ્યું છે કે વડાપ્રધાન સામે કોઈપણ ટીપ્પણી મર્યાદા ઓળંગીને કરવી જોઈએ નહીં, કારણ કે તેઓ  દેશના ઉચ્ચ બંધારણીય પદ પર આસનસ્થ છે.

બંધારણીય પદો પર આસનસ્થ કોઈપણ વ્યક્તિ સામે મર્યાદા ભંગ કરતાં શબ્દપ્રયોગ સાથેની ટીપ્પણી સર્વથા નકારવી જોઈએ. રાજકારણમાં ‘શબ્દસંયમ’ ગુમાવવો ખરેખર તેના સ્તરને વધારે નીચે લઈ જનારી બાબત છે. પરંતુ અત્રે થોડા મુદ્દાઓનો વિચાર કરવો પડશે.

-વડાપ્રધાન મનમોહન સિંહ વ્યક્તિગત રીતે ઈમાનદાર હોવાની છાપ ધરાવે છે. તેમ છતાં તેમના પ્રધાનમંત્રીકાળ દરમિયાન મસમોટા ગોટાળા સામે આવ્યા છે. જેમાં  2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ 1.76 કરોડ રૂપિયા અને કોલસા કૌભાંડ 10.76 લાખ કરોડ રૂપિયાનું હોવાનું કેગના રિપોર્ટમાં અંદાજવામાં આવ્યું છે. ટીમ અણ્ણાએ વડાપ્રધાન સામે ભ્રષ્ટાચારના મુદ્દે આંગળી ચિંધી છે, તો તેની પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે જે સમયે કોલસા કૌભાંડ આચરાયાની વાત કરવામાં આવે છે, તે વખતે કોલસા મંત્રાલય વડાપ્રધાન મનમોહન સિંહને આધિન હતું. તો સવાલ એ છે કે વડાપ્રધાનના આધિન રહેલા મંત્રાલયમાં કોઈ ગોટાળો થાય તો તેની નૈતિક જવાબદારી તેમની બને કે નહીં? વળી વડાપ્રધાનના મંત્રીમંડળમાં કોઈ મંત્રી ભ્રષ્ટાચાર કરે તો તેની નૈતિક જવાબદારી વડાપ્રધાનની બને કે નહીં?

-રાજકારણમાં નૈતિકતાના ઉદાહરણ હવે ઘણાં ઓછા જોવા મળે છે. લાલબહાદૂર શાસ્ત્રી રેલવે મંત્રી હતા, ત્યારે એક ટ્રેન અકસ્માતને પોતાની નૈતિક જવાબદારી ગણીને તેમણે રેલવે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સિવાય જ્યારે શાસ્ત્રીજી વડાપ્રધાન હતા, ત્યારે દેશમાં અનાજની તંગી હતી, તો તેમણે દેશમાં એક દિવસ લોકોને એક ટંક ખાવાની અપીલ કરી હતી અને શરૂઆત પોતાનાથી કરી હતી! આટલા ઉચ્ચ આદર્શ અત્યારના નેતાઓમાં કેમ દેખાતા નથી?

-ટીમ અણ્ણાએ વડાપ્રધાન મનમોહન સિંહ સામે એવા સમયે આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ આપણા પડોશી દેશ મ્યાંમાર સાથે સંબંધો સુધારવા ત્યાંના શાસકો અને વિરોધ પક્ષના નેતાની સાથે મુલાકાત કરી રહ્યા હતા. શું આવા સમયે દેશના વડાપ્રધાનની ઈજ્જતને કોઈપણ પ્રકારના સીધા પુરાવા વગર દેખીતી રીતે રાજકીય કારણોથી ઉછાળવી યોગ્ય છે?

-ઉલ્લેખનીય છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઈને ભારતરત્ન અને ‘નિશાને પાકિસ્તાન’  બંને મળ્યા છે. તેમને ‘નિશાને પાકિસ્તાન’ લેવા માટે તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ ઝિયા-ઉલ-હકે આમંત્ર્યા હતા, તો મોરારજીએ તેમનું પાકિસ્તાન જવાનું આમંત્રણ સ્વીકાર્યું ન હતું. મોરારજી દેસાઈએ તેના માટે અંગત લોકો સાથેની વ્યક્તિગત ચર્ચામાં કહ્યુ હતુ કે તેઓ પાકિસ્તાન જઈને ખોટું બોલશે નહીં અને દેશના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પાકિસ્તાની ધરતી પર વખોડશે નહીં. એટલે કે મોરારજી દેસાઈ જેવા ઈન્દિરા ગાંધીના ઘોર વિરોધી પણ તેઓ વડાપ્રધાન પદે હોવાને કારણે તેમને વિદેશમાં વખોડવા માટે તૈયાર ન હતા. વડાપ્રધાન દેશના નેતા હોય છે, તેઓ કોઈ પાર્ટીના નેતા હોતા નથી. ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહને તેમના વિદેશ પ્રવાસ દરમિયાન જ શિખંડી કહેવા કેટલું યોગ્ય છે?

-જો કે લગભગ 80 વર્ષના મનમોહન સિંહ કહે કે તેમના પરનો ભ્રષ્ટાચારનો એકપણ આરોપ સાબિત થશે તો તેઓ જાહેર જીવનને તિલાંજલિ આપશે. (ઉલ્લેખનીય છે કે 80 વર્ષથી વધારે ઉંમરે આમેય જાહેરજીવનમાંથી નિવૃતિ  લેવાની હોય છે.) પરંતુ આ દેશમાં ભ્રષ્ટાચારના આરોપ સાબિત થવા ઘણાં અઘરા છે. તાજેતરમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડના મુખ્ય આરોપી એ. રાજાને જામીન મળી તો રાજા અમર રહોના સૂત્રોચ્ચાર પણ થયા અને ફટાકડાં પણ ફૂટયા! વળી તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની હોસ્પિટલના બે કર્મચારીઓને 100 રૂપિયાની લાંચના પ્રકરણમાં કેદની સજા કરી છે. આ કેસ 1994માં બન્યો હતો, તે કેસ 18 વર્ષે તેના અંજામ પર પહોંચ્યો. જો 100 રૂપિયાના કેસમાં સજા મળતા 18 વર્ષ લાગે, તો લાખો કરોડના ગોટાળાના આરોપીઓના પેટનું પાણી કેવી રીતે હલશે? વડાપ્રધાનને પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોની ખરેખર તપાસ થવા દેવાની ઈચ્છા હોય, તો તેમણે પહેલા તો પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડે. કારણ કે વડાપ્રધાન પદે મનમોહન સિંહ આસનસ્થ રહે ત્યાં સુધી કોઈ નક્કર પુરાવા એજન્સીઓને હાથ લાગે તેવી કોઈ સંભાવના પ્રવર્તમાન પરિસ્થિતિઓને કારણે દેખાતી નથી.

ભ્રષ્ટાચાર મહારોગ છે અને તેનો ઈલાજ ભ્રષ્ટાચારીને કડક સજા થાય તે છે. તેના માટે એવી કોઈ વ્યવસ્થાની જરૂર છે કે ભ્રષ્ટાચારી ખુલ્લા પડે અને તેના માટે તેઓને આકરી સજા થાય. પરંતુ અત્યારની વ્યવસ્થામાં આરટીઆઈ અને અન્ય કેટલીક ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની વ્યવસ્થાઓ હોવા છતાં પણ હજી એવી પારદર્શકતા નથી કે જેનાથી ભ્રષ્ટાચાર પર રોક લાગે. વળી આરટીઆઈ એક્ટિવિસ્ટો પર થઈ રહેલા હુમલા અને તેમની હત્યાથી સાબિત થાય છે કે વ્યવસ્થાને પારદર્શક બનવા દેવી, વ્યવસ્થામાં રહેલા લોકો પોતાના હિતમાં જોતા નથી.

જનલોકપાલ બિલની અણ્ણાની માગણી ‘ભયંકર’ ભ્રષ્ટાચારને જોતા તેના પર લગામ લગાવવાની આશામાં વ્યાજબી લાગે છે. પરંતુ તેના પણ હાલ દાંત વગરના સિંહ જેવા થાય તેવી શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં આમ આદમીને  ભ્રષ્ટાચાર સામે વધારે સમજદાર બનાવવો અને નાના-નાના ભ્રષ્ટાચારને પ્રવર્તમાન વ્યવસ્થામાં જ કેવી રીતે અટકાવી શકાય, તેની એક ચળવળ ચલાવવી જોઈએ. પ્રવર્તમાન ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ ખૂબ અસરકારક રીતે અમલી બને તેના માટે વ્યવસ્થા તંત્ર પર દબાણ લાવી શકાય. આ તમામ કવાયતો પછી આવનારા જનલોકપાલ બિલથી ભ્રષ્ટાચાર ઘણા મોટા પ્રમાણમાં ચોક્કસપણે રોકી શકાશે. બાકી અત્યારની પરિસ્થિતિમાં લાવવામાં આવેલા લોકપાલના કાયદાની સ્થિતિ અન્ય દંતહીન કાયદાઓ જેવી થઈ જવાની મોટી શક્યતા રહેલી છે.



રવિવાર, 22 એપ્રિલ, 2012

ટીમ અણ્ણામાં મુસ્લિમો સાથે ભેદભાવનો કાજમીનો આક્ષેપ ગંભીર


-ક્રાંતિવિચાર

ભ્રષ્ટાચારથી આજે દેશ ત્રસ્ત છે. વિદેશમાં અઢળક કાળું ધન ભારતમાં પાછું લાવવાના દિવાસ્વપ્નો બાબા રામદેવ થકી દેખાડવામાં આવી રહ્યા છે. જનલોકપાલ બિલ હર દર્દ કી દવા અદરકની જેમ ટીમ અણ્ણા દ્વારા માર્કેટિંગ થઈ રહ્યું છે. લોકો ગત વર્ષ અણ્ણા હજારેના આંદોલનમાં એકઠા થયા હતા. તેમને અણ્ણામાં એક આશાનું કિરણ દેખાયું હતું. અણ્ણામાં ભારતના લોકોને યુગપુરુષના દર્શન થયા હતા. કદાચ લોકોને આશા જાગી હતી કે નાથુરામ ગોડસેની ગોળીથી વિંધાયેલો આપણો રાષ્ટ્રપિતા ગાંધીબાપુ ફરીથી પાછો ફર્યો છે. પરંતુ જે રીતે હિસ્સારની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી પ્રચાર કરીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચારને ભૂલીને કોંગ્રેસને હરાવવાની વાતો થવા માંડી ત્યારથી ટીમ અણ્ણાના પાપે અણ્ણા હજારેની ગાંધીબાપુની છબી લોકોના દિલોદિમાગમાં કંપવા લાગી. લોકોને લાગ્યું કે ફરીથી મહાત્મા આવશે અને કલ્યાણના માર્ગે આપણને દોરી જશે. પરંતુ તેમની આજુબાજુના તકલાદી અને તકવાદી લોકોએ આખા આંદોલનને રાજકીય બનાવી દીધું હોવાની પ્રતીતિ પણ લોકોને થઈ.

ભ્રષ્ટાચાર સામેનું જનલોકપાલ માટેનું આંદોલન કોઈ ચોક્કસ પાર્ટી તરફી આંદોલન થઈ ગયું હોય તેવું પણ લાગવા લાગ્યું. લોકોને ફરીથી ઠગાવાનો અહેસાસ થયો અને તેનો પડઘો મુંબઈમાં અણ્ણાના અધવચ્ચેથી છોડાયેલા અનશનમાં જોવામાં મળ્યો. મુંબઈમાં 15 હજારની ક્ષમતાવાળા મેદાનમાં પહેલા દિવસે પુરાં પાંચસો લોકો પણ એકઠા થયા ન હતા. જ્યારે પોતાને મહાન બુદ્ધિપ્રધાન માનતા અને નેતાના વહેમમાં આવી ગયેલા પ્રશાંત ભૂષણ અને તેમની સાથે ભારતના સૌથી પહેલા મહિલા આઈપીએસ કિરણ બેદીને અનશનમાં સાથ આપવા માટે દિલ્હીના રામલીલા મેદાનમાં પુરાં પચ્ચાસ લોકો પણ ન હતા.

બાબા રામદેવ પર ગત વર્ષ 4 જૂને થયેલા પોલીસના બર્બર અત્યાચારની યાદ હજી તાજી છે. પરંતુ ભ્રષ્ટાચાર સામેના લોકોના આક્રોશને જોતા ફરીથી અણ્ણા હજારે અને બાબા રામદેવે ફરીથી સાથે મળીને ધારદાર આંદોલન માટે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોમાં આશા જગાવી. પરંતુ ટીમ અણ્ણાની નોઈડામાં મળેલી બેઠકમાં થયેલી તોડફોડે ફરીથી ભ્રષ્ટાચાર સામેના આંદોલનને જનલોકપાલ માટેના આંદોલનને ફરીથી શરૂ થતા પહેલા કમજોર થતું અને વિવાદોમાં ઘેરાતુ જોઈ રહ્યા છે. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સંસ્થાપક મુસ્લિમ સભ્ય મુફ્તિ શમૂન કાજમીએ ટીમ અણ્ણાને ભારે ખટાશભર્યા હ્રદયે રૂખસદ આપી છે. મુફ્તિ શમૂન કાજમીએ ટીમ અણ્ણા છોડતા પહેલા તેના પર ગંભીર આક્ષેપ કર્યો છે. કાજમીએ કહ્યુ છે કે ટીમ અણ્ણા કોમવાદી છે. અહીં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

કાજમીએ કહ્યુ છે કે ટીમ અણ્ણાને મુસ્લિમ બરદાશ્ત થતા નથી. અરવિંદ કેજરીવાલ અને અન્ય કેટલાંક મહત્વના સભ્યો મુસ્લિમોને નજરઅંદાજ કરે છે. તેમણે કહ્યુ કે જ્યારે પણ તેઓ કંઈ બોલે છે, તો યા તો તેમને બોલવા દેવામાં આવતા નથી અથવા તેમની વાતની અણદેખી કરી દેવામાં આવે છે. તેમણે કહ્યુ કે ટીમ અણ્ણામાં કોર કમિટી નામની રહી ગઈ છે, નિર્ણયો કેટલાંક લોકો જ લે છે અને તેને કોર કમિટી પર લાદી દેવામાં આવે છે.

ટીમ અણ્ણા પર પહેલી વખત મુસ્લિમો સાથે ભેદભાવ થતો હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ તેના સંસ્થાપક મુસ્લિમ સભ્યે કર્યો છે. કેજરીવાલ અને અન્ય કેટલાંક મહત્વના કોર કમિટીની સભ્યો મુસ્લિમોને નજરઅંદાજ કરતા હોવાની વાત પણ કાજમીએ ભારપૂર્વક કહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેજરીવાલ અને મનીષ સિસોદિયા પોતાની હિત સાધના માટે આગળ વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ છે કે અણ્ણાના આંદોલનનું રાજનીતિકરણ થઈ ગયું છે.

ત્યારે ટીમ અણ્ણાએ ખરેખર લોકોને આ દેશના 121 કરોડ લોકોને કે જેમના તેઓ પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે તેમને જણાવવું જોઈએ કે શું તેઓને મુસ્લિમ બરદાશ્ત થતા નથી? શું ટીમ અણ્ણામાં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવે છે? શું અણ્ણાનું જનલોકપાલ બિલ માટેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન રાજકીય થઈ ગયું છે? ટીમ અણ્ણાના કાજમીના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સાથે ભેદભાવ કરતા વલણથી ચિંતાની લહેરખી છે. ભારતમાં 121 કરોડની વસ્તીમાંથી 18 કરોડ મુસ્લિમો છે. મુસ્લિમો દેશની સૌથી મોટી લઘુમતી છે. 18 કરોડ મુસ્લિમોને બાદ કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી શકાય તેમ નથી. તેમ છતાં ગત વર્ષથી ચાલુ થયેલા અણ્ણાના આંદોલનમાં મુસ્લિમો ગેરહાજર હોવાની એક માન્યતા બની છે. આ માન્યતાને કારણે આક્ષેપો પણ થયા છે કે અણ્ણા અને રામદેવના આંદોલનની પાછળ ભગવા સંગઠનોની શક્તિ છે અને દોરીસંચાર પણ છે. પરંતુ અણ્ણાએ પોતાના આંદોલનને 100 ટકા સેક્યુલર ગણાવ્યું છે.

જો કે મુસ્લિમો તેમની સાથે જોડાયેલા નહીં હોવાનો મુદ્દો વધારે પ્રમાણમાં ઉછળતા અણ્ણાના ત્રીજા તબક્કાના આંદોલનમાં મુસ્લિમોને સાથે લેવા માટે ટીમ અણ્ણાએ ઘણાં હવાતિયાં માર્યા છે. મુસ્લિમ ચહેરાઓને આગળ કરવા. અણ્ણાની પાછળથી પહેલા ભારતમાતાના ચિત્રને ગાંધીજીની તસવીરથી રિપ્લેસ કર્યું અને બાદમાં મૌલાના અબ્દુલ કલામ દેખાય તે રીતે ક્રાંતિકારીઓના ચિત્રો ગોઠવી જોયા. ટીમ અણ્ણાની સૌથી ઘૃણાસ્પદ હરકત હતી, દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારી પાસે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ટેકો માંગવા જવો. કેજરીવાલ અને કિરણ બેદી બંને ઈમામ બુખારી પાસે ભારતમાંથી ભ્રષ્ટાચાર ભગાડવા માટે મુસ્લિમ સમુદાયની સાથે તેમના સામેલ થવાની વિનંતી કરવા ગયા હતા.

પરંતુ ત્યારે કેજરીવાલ અને કિરણ બેદી ભૂલી ગયા કે ભારતીય રાજકારણમાં સૌથી કટ્ટરવાદી મુસ્લિમ ચહેરો કોઈ હોય તો તે ઈમામ બુખારીનો છે. ઈમામ બુખારી એ પંગતમાં બેસનાર વ્યક્તિ છે કે જેમની માનસિકતાથી પાકિસ્તાન પેદા થયું છે. પાકિસ્તાન પેદા કરનારાઓએ ભારતની આઝાદીની લડાઈમાં તે સમયમાં વાતાવરણમાં પણ કોઈ યોગદાન આપ્યું ન હતું. ઈતિહાસ સાક્ષી છે કે મુસ્લિમ લીગના નેજા નીચે પાકિસ્તાન પરસ્ત તત્વોએ ભારતની આઝાદીની લડાઈ માટે અંગ્રેજો સામે કોઈ આંદોલનમાં ક્યારેય ભાગ લીધો નથી. આવા પાકિસ્તાન પરસ્ત તત્વોની પંગતમાં બેસવા જેટલી કાબેલિયત ધરાવતા ઈમામ બુખારી જેવા નખશીખ કોમવાદી અને કટ્ટરવાદી શખ્સ પાસે ભ્રષ્ટાચારના આંદોલનમાં સામેલ થવા માટે યોગદાન માગવું નરી બાલિશતા હતી.પરંતુ આ ઘટના પછી ભારતમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ તરફથી અણ્ણાના આંદોલનમાં મુસ્લિમોની ગેરહાજરીને પુરવાની જગ્યાએ તેને ચર્ચાનો વિષય બનાવાયો.

ભ્રષ્ટાચાર ભાગશે તો કંઈ આ દેશનો એકલો હિંદુ જ થોડો સુખી થવાનો છે, આ દેશનો મુસલમાન અને અન્ય તમામ ધર્મ-પંથ-સંપ્રદાયના લોકોના જીવન બદલાઈ જવાના છે. પરંતુ તેમ છતાં મુસ્લિમો એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ દૂર રહે તેના માટે પ્રચારીત કરવામાં આવ્યું કે અણ્ણા આરએસએસ સાથે ગાઢપણે જોડાયેલા છે. પરંતુ અણ્ણાના વ્યવહાર પરથી હજી સુધી કોઈપણ ઠેકાણે તેઓ મુસ્લિમ વિરોધી હોવાનું નજરે પડયું નથી. કાજમીએ પણ જે આક્ષેપ કર્યો છે તે અણ્ણા સામે નહીં, ટીમ અણ્ણાના સભ્યો અરવિંદ કેજરીવાલ અને અન્ય સામે કર્યો છે. ત્યારે ખરેખર દેશની જનતા સામે આવવું જોઈએ કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામેલ આઈઆઈટી પાસઆઉટ અને ભૂતપૂર્વ આઈએએસ કેજરીવાલ મુસ્લિમ વિરોધી છે કે આ વાત ખોટી છે?

આ સિવાય ટીમ અણ્ણાની બેઠકમાં કાજમી ઓડિયો રેકોર્ડિંગ કરીને તેની માહિતી બેઠકની બહાર પહોંચાડતા હોવાથી તેમને કોર કમિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાની વાત પણ ટીમ અણ્ણાએ કરી છે. તેમણે કહ્યુ છે કે કાજમીના મોબાઈલમાં આવી ત્રણ રેકોર્ડિંગ ક્લિપ હતી. પરંતુ હંમેશા પારદર્શકતાની વાતો કરનારી ટીમ અણ્ણા કાજમીની માત્ર ત્રણ ઓડિયો ક્લિપથી હલી ગઈ,તે જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. જનતાને હજીપણ યાદ છે કે ટીમ અણ્ણાએ જનલોકપાલ સંદર્ભેની ચર્ચા કરવા માટે સરકારને મીડિયા સામે આવવા માટે આહ્વવાન કર્યું હતું. તેમણે સૌથી પહેલા લોકપાલ બિલનો મુસદ્દો ઘડવા માટે બનેલી ટીમ અણ્ણા અને સરકારના સભ્યોની કમિટીમાં વીડિયો રેકોર્ડિંગ કરીને ચર્ચાને જાહેર કરવાની વાત પણ કરી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે કાજમીએ કરેલા ઓડિયો રેકોર્ડિંગમાં એવી તે શું વાત હતી કે ગાંધીવાદી અણ્ણા હજારેની ગાંધીવાદી ટીમ અણ્ણાએ કાજમીને હાંકી કાઢવા પડયા? મીડિયામાં સરકાર સાથે પારદર્શક ચર્ચા કરતા પહેલા ટીમ અણ્ણાએ અહીં પારદર્શક થવાની જરૂરત છે.

જનલોકપાલ આંદોલનની શરૂઆતથી ટીમ અણ્ણા કહી રહી છે કે આ આંદોલન અરાજનીતિક સ્વભાવનું છે. તેનો હેતુ સરકાર બદલવાનો નહીં, પરંતુ ભ્રષ્ટાચાર ભગાડવા માટે જનલોકપાલ બિલ લાવવાનો છે. પરંતુ સૌથી પહેલા ટીમ અણ્ણાએ કાજમી દ્વારા કરાયેલા આક્ષેપ કે આંદોલન હવે રાજકીય બની ગયું છે, તેનો જવાબ આપવો જોઈએ. ટીમ અણ્ણાએ જવાબ આપવો જોઈએ કે હિસ્સારમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યા બાદ જનલોકપાલ બિલ માટેનું અણ્ણાનું આંદોલન કઈ રીતે અરાજનીતિક બની ગયું? પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અણ્ણા નાદુરસ્ત તબિયતને કારણે પ્રચાર અભિયાન કરી શક્યા નહીં. પરંતુ તેમના સહીત ટીમ અણ્ણાએ કોંગ્રેસને જોઈ લેવાની ખુલ્લી ધમકી આપી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે સંસદમાં લોકપાલ બિલ પસાર નહીં થવા પાછળ માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે? શું તેમને ખાતરી છે કે ભાજપ અને અન્ય પક્ષો કડક લોકપાલ બિલ માટે ઝુરી રહ્યા છે? 2014માં લોકસભા ચૂંટણી સુધી લોકોને જાગરૂક કરી રહી છે, ટીમ અણ્ણા, પરંતુ આ જાગરૂકતા કોંગ્રેસ વિરુદ્ધની હોવા પાછળની કોઈને શંકા નથી. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કેટલેક ઠેકાણે પ્રશાંત ભૂષણ,કેજરીવાલે કોંગ્રેસ વિરોધી નિવેદનો અને પ્રચારનો પ્રયત્ન કરી જોયો છે. હિમાચલ પ્રદેશમાં વારંવાર જઈ રહેલા કેજરીવાલ અને મનીષ સિસોદિયા ત્યાં કોઈ રાજકીય જમીન શોધતા ન હોય તો તેઓ આની સ્પષ્ટતા કેમ કરતા નથી. પ્રશાંત ભૂષણને ચૂંટણી લડવી હોવાની વાત પણ ચર્ચામાં છે, ત્યારે અઢળક પીઆઈએલ કરનારા વકીલ પોતાના તરફથી કોઈ સફાઈ કેમ આપતા નથી?

અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે મળીને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરશે તો તેની અસર ઘણી પ્રભાવી હોવાનો અંદાજ લેવાય રહ્યો છે. જો કે ટીમ અણ્ણાએ નિર્ણય કર્યો છેકે બાબા રામદેવ સાથે આંદોલન કરશે નહીં, પરંતુ તેને ટેકો આપશે. ત્યારે તેનાથી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને અસર પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે જો ટીમ અણ્ણા મુસ્લિમો સાથે ભેદભાવભર્યું કોમવાદી વલણ રાખતી હોય, વીડિયો રેકોર્ડિંગનો ચર્ચામાં આગ્રહ કરનારી ટીમ અણ્ણા ઓડિયો ક્લિપથી ધ્રૂજી ઉઠતી હોય અને આંદોલન અરાજનીતિક સ્વભાવનું ન રહેવાનું હોય, તો તે શું લોકોનો વિશ્વાસ ફરીથી જીતી શકશે? ટીમ અણ્ણાની મહત્વકાંક્ષાઓથી માત્ર આંદોલન જ ખોરંભે પડવાનું નથી, પરંતુ રાષ્ટ્રના હિતને બહુ મોટું નુકસાન થવાનું છે.

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2011

અણ્ણાનું અરાજનીતિક આંદોલન વિખેરણ તરફ?


- આનંદ શુક્લ

ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં અણ્ણા હજારેનું આંદોલન વિખરણ અને વિવાદના વંટોળમાં ફસાઈ રહ્યું છે. અણ્ણા હજારે હાલ અનિશ્ચિતકાલિન મૌન પાળી રહ્યાં છે. પરંતુ જ્યારે સિવિલ સોસાયટીની કોર કમિટીના મહત્વના સભ્ય કિરણ બેદી પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યાં છે, ત્યારે તો અણ્ણાએ મૌન છોડીને કંઈક બોલવું જોઈએ. કિરણ બેદીને જુદીજુદી સંસ્થાઓ દ્વારા વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આવી અંદાજે 12 યાત્રાઓ ટાંકીને એક અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે કિરણ બેદી ઈકોનોમિક ક્લાસમાં હવાઈ મુસાફરી કરીને બિઝનેસ ક્લાસનું ભાડું સંબંધિત એનજીઓ પાસેથી વસૂલ્યુ છે. કિરણ બેદીને એર ઈન્ડિયા તરફથી ભાડામાં મોટી છૂટ પણ મળે છે. કિરણ બેદીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે તેમણે ઈકોનોમી ક્લાસમાં હવાઈ મુસાફરી કરી છે. એનજીઓ બિઝનેસ ક્લાસનું ભાડું આપે છે. આ બચત તેમણે ઈન્ડિયા વિઝન નામની પોતાની એનજીઓમાં સમાજસેવા માટે જમા કરાવી છે. કિરણ બેદીની આઈપીએસ તરીકેની કારકિર્દી બેદાગ રહી છે. તેમના પર ભ્રષ્ટાચારના કોઈ આરોપો નથી. તેમને તેમની સમાજસેવા બદલ મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે કિરણ બેદીને એર ટિકિટના મામલે ભ્રષ્ટાચાર કહો કે અનૈતિકતાના મામલામાં ઢસડવામાં આવી રહ્યાં છે. ત્યારે શું અણ્ણા હજારે શાબ્દિક મૌન પાળી રહ્યાં છે, તે યોગ્ય છે?

જનલોકપાલ બિલને લઈને સિવિલ સોસાયટીની લડાઈ પોતાના સારા ઉદેશ્ય સાથે અણ્ણા હજારેના એકતરફી અને અતાર્કિક નિર્ણયોને લઈને ઘણી ચર્ચામાં રહી છે. ટીમ અણ્ણા એટલે કે આખા આંદોલનને ચલાવનારી 22 સભ્યોની કોર કમિટી છે. આ કોર કમિટીના બે સભ્યો, ગાંધીવાદી સંગઠક વી. પી. રાજગોપાલ અને પર્યાવરણ કાર્યકર્તા રાજેન્દ્ર સિંહે તાજેતરમાં રાજીનામું આપી દીધું છે. બંને મહાનુભાવો એ વાતથી નારાજ હતા કે હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું આહ્વવાન કરવાની કોર કમિટી પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. અણ્ણાનું આંદોલન બિનરાજકીય રહ્યું છે. પરંતુ હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાના આહ્વવાન બાદ અણ્ણાનું આંદોલન કેવી રીતે બિનરાજકીય રહે છે, તે મોટી ચર્ચાનો વિષય છે.

અણ્ણાના આંદોલનમાં તેમના સાથીદારો દ્વારા અણ્ણાની અતિ પ્રશંસા કરતાં નિવેદનો થયા છે. રામલીલા મેદાનમાં અણ્ણા સંદર્ભે કિરણ બેદીએ કહ્યું હતું કે અણ્ણા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ અણ્ણા. આ નિવેદન ઠીક એવું હતું કે જેવું નિવેદન કટોકટી વખતે દેવુકાંત બરુઆએ ઈન્દિરા ગાંધી માટે કર્યું હતું. તેમણે તે વખતે ઈન્ડિયા ઈઝ ઈન્દિરા એન્ડ ઈન્દિરા ઈઝ ઈન્ડિયાનું અતિ ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું. અરવિંદ કેજરીવાલ સતત સંસદની મહત્તાને પડકારી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અણ્ણા દેશની સંસદથી પણ ઉપર છે. જો કે અણ્ણા હજારેએ કહ્યું છે કે લોકો સંસદથી ઉપર છે, તેઓ નહીં. અરવિંદ કેજરીવાલ હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારથી ઘણી ઉછળકૂદ કરી રહ્યાં છે. તેઓ ઉત્તરપ્રદેશમાં ગયા ત્યારે કહી આવ્યા કે જો કોંગ્રેસ શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પસાર નહીં કરે તો તેમની હાલત યુપી વિધાનસભાની ચૂંટણીમાં હિસારની પેટાચૂંટણી જેવી થશે. જો કે અરવિંદ કેજરીવાલ અણ્ણાના અનશન વખતથી પોતાના અક્કડ વલણ માટે જાણીતા બન્યા છે. કોંગ્રેસ સામેના અનર્ગલ બકવાસ બાદ અરવિંદ કેજરીવાલ પર ઉત્તર પ્રદેશમાં એક સભા દરમિયાન કોંગ્રેસના સેવાદળ સાથે જોડાયેલા એક યુવાને ચપ્પલ ફેંક્યુ હતું. આ યુવાનનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ દેશને ભડકાવી રહ્યાં છે. આ યુવાને એમ પણ કહ્યું છે કે તેને કેજરીવાલ પર ચપ્પલ ફેંકવાનું કોઈ દુ:ખ નથી, તે અણ્ણા હજારે પર પણ ચપ્પલ ફેંકી શકે છે. વળી આવે વખતે મહારાષ્ટ્રના ડીજીપીને ઈન્ટેલિજન્સ બ્યૂરો તરફથી ઈનપુટ આપવામાં આવ્યા છે કે અણ્ણા હજારેના જાનને જોખમ છે. તેથી મહારાષ્ટ્ર પોલીસ અણ્ણાની સુરક્ષાની સમીક્ષા પણ કરી રહી છે.

અણ્ણાની ટીમના સભ્ય શાંતિભૂષણ અને પ્રશાંત ભૂષણ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો છે. પ્રશાંત ભૂષણે તાજેતરમાં કાશ્મીરને જનમત દ્વારા આઝાદ થવા દેવું જોઈએ, તેવું નિવેદન કર્યું છે. તેના કારણે સુપ્રીમ કોર્ટ ખાતેની તેમની ચેમ્બરમાં ભગતસિંહ ક્રાંતિસેના અને શ્રીરામ સેનાના ત્રણ યુવાનોએ પ્રશાંત ભૂષણ પર હુમલો કરીને તેમને માર માર્યો છે. આખા દેશમાં અણ્ણાની ટીમની કાશ્મીર પરના પ્રશાંતના નિવેદન બાદ છબી ખરાબ થતી લાગતા અણ્ણા ખુદ વિવાદ ઠારવા માટે કૂદી પડયા. અણ્ણાએ રાષ્ટ્રવાદી નેતાની જેમ કહ્યું છે કે તેઓ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માને છે. તેઓ કાશ્મીર માટે પાકિસ્તાન સાથે ફરી એક વખત લડવા માટે પણ તૈયાર છે. અણ્ણા અને તેમની ટીમના મોટાભાગના સભ્યોએ કાશ્મીર પરના પ્રશાંત ભૂષણના નિવેદનની ટીકા કરી છે. પ્રશાંત ભૂષણને ટીમ અણ્ણામાંથી હાંકી કાઢવાની વાત પણ થઈ રહી છે. આ વિવાદ બાદ જ અણ્ણા હજારેએ સૂચક મૌન લીધું છે, તે ઉલ્લેખનીય છે.

આ પહેલા સ્વામી અગ્નિવેશ પણ ટીમ અણ્ણામાંથી સરકારના ભેદિયા હોવાના મુદ્દે અલગ થઈ ચુક્યા છે. સ્વામી અગ્નિવેશના સ્ટિંગ ઓપરેશનમાં કથિત રીતે તેમને કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સાથે વાતચીત કરતાં અને અણ્ણાને કાળા હાથી કહેતા સાંભળવામાં આવ્યા છે. જો કે સ્વામી અગ્નિવેશે અણ્ણાના નિર્ણયો અલોકતાંત્રિક હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારથી તેમનું ટીમ અણ્ણામાંથી પત્તું સાફ થવા લાગ્યું હતું. સ્વામી અગ્નિવેશને અણ્ણા હજારેએ માફ કરી દીધા છે. પરંતુ હવે તેઓ અણ્ણાના આંદોલનમાં કોર કમિટીમાં મહત્વની ભૂમિકા નીભાવી શકે તેમ નથી. અણ્ણાની ટીમના મહત્વના સભ્યો જસ્ટિસ સંતોષ હેગડે અને મેધા પાટકરે કોંગ્રેસ હરાવો અભિયાનથી ખુલ્લેઆમ નાખુશી જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ હેગડે અને મેધા પાટકરની છબી કોંગ્રેસના ટેકેદારની નથી.

અણ્ણાના આંદોલનનું અરાજનીતિક સ્વરૂપ અને ચિંતન-કર્મની જુદીજુદી વિચારધારાઓથી આવેલા ઈમાનદાર જમીની સ્તરના કાર્યકર્તાઓ સાથે તેનું જોડાણ તેની સૌથી મોટી શક્તિ છે. અણ્ણા અને ટીમમાં તેમના ખૂબ નજીકના સાથીદારો વિચારે છે કે વ્યવસ્થા પરિવર્તનની આટલી મોટી બબાલ માથે ઓઢવાની જગ્યાએ સીધો સત્તાધારી પક્ષ પર હુમલો કરીને તેને નમાવવો વધારે આસાન છે, તો તે તેમની બહુ મોટી ભૂલ છે.

આવા વિચારથી ટીમ અણ્ણા કદાચ સરકાર બદલવામાં સફળ થઈ શકે છે, પરંતુ સામાજીક સ્તરે અને વ્યવસ્થામાં કોઈ બદલાવ લાવી શકશે નહીં. વળી સરકાર બદલવાની વાત પણ દશકો પહેલા ચાલેલા જેપી અને વીપી આંદોલનોને યાદ કરીને કહેવામાં આવી રહી છે. જેપી અને વીપી બંને પોતાની મોટી લડાઈ શરૂ કરતાં પહેલા રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણા મોટા દાવ રમી ચુક્યા હતા અને તેમના દ્વારા પ્રસ્તાવિત વિકલ્પો સંદર્ભે ભારતીય સમાજમાં કંઈને કંઈ ભ્રમ બચેલો હતો.

તેમની સરખામણીએ અણ્ણાના આંદોલનનો એજન્ડા ઘણો ઊંડો છે. પરંતુ રાજકીય અને સંગઠનના કૌશલ્યના મામલામાં તેઓ પોતાના બંને પૂર્વવર્તીઓની સરખામણીએ ઘણાં ઉણાં ઉતરી રહ્યાં છે. ટીમ અણ્ણા માટે અત્યારે સૌથી વધારે વિશ્વાસપાત્ર રસ્તો એ હોઈ શકે છે કે તે ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિની લાંબી મુહિમને આગળ વધારે, સહજ રાજકીય આકર્ષણોથી બચે અને પોતાની અંદર લોકતાંત્રિક ચર્ચા માટે વધારે અવકાશ ઉભો કરે.

પરંતુ અફસોસ છે કે અણ્ણા અને ટીમ અણ્ણા તરફથી આવો કોઈ સંકેત મળી રહ્યો નથી. કોઈપણ આંદોલનમાં મતભેદ તો હોય જ છે, પરંતુ તે આંદોલનના નેતૃત્વની જવાબદારી છે કે આવા વિવાદોને આંદોલનના હિતમાં ઝડપથી સમાપ્ત કરે. તેથી અણ્ણા હજારેનું પણ દાયિત્વ છે કે તેઓ ટીમ અણ્ણાની ભીતર ઉભા થયેલા મતભેદોને ઝડપથી સમાપ્ત કરાવે અને આંદોલનને તેની દિશામાંથી દિગ્ભ્રમિત થતું અટકાવે. પરંતુ આવી પરિસ્થિતિમાં અણ્ણાએ મૌન સાધી લીધું છે અને માત્ર લખીને જરૂરી મુદ્દાઓ પર તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. બની શકે કે તેઓ પોતાની આત્મિક શક્તિને મૌનના માધ્યમથી એકજૂટ કરી રહ્યાં હોય, પરંતુ આ સમય તો આંદોલનને બહારી હુમલા અને અંદરના અંતર્વિરોધો-મતભેદોથી બચાવવાનો છે. વળી મહત્વપૂર્ણ વાત એ છે કે આ આંદોલનની અરાજનીતિક છબી પર આઘાત થતા રહેશે, તો આ આંદોલન વિખેરાઈ જશે. આવી સંભવિત સ્થિતિમાં ઉભાં થનારા શૂન્યને દશકાઓ સુધી કોઈ ભરી શકશે નહીં. હજી તો લોકપાલ બિલ પણ આવ્યું નથી, માટે આ આંદોલન બચાવવું જરૂરી છે. તેના માટે ટીમ અણ્ણાએ લોકતાંત્રિક રીતે એક સમયબદ્ધ આચાર સંહીતા પણ બનાવી લેવી જોઈએ, કે જેથી તેઓ આંદોલનના અરાજનીતિક સ્વરૂપને બચાવીને બિનજરૂરી વિવાદોથી તેને બચાવી શકે.