Sunday, August 21, 2011

અન્નાનું આંદોલન: ટોપીઓ બદલવાનો ખેલ?


-આનંદ શુક્લ

ક્રાંતિની મશાલ રસ્તો પણ બતાવે અને આગ પણ લગાડે. ક્રાંતિની મશાલનો ક્યો ઉપયોગ આગળ જતાં કરવામાં આવશે, તે તો આવનાર સમય જ જણાવશે. પરંતુ અન્ના હજારે ભ્રષ્ટાચારને ખતમ કરવાના પવિત્ર ઉદેશ્ય માટે અનશન કરી રહ્યાં છે. તેમણે કહ્યું છે કે હું જીવું કે ન જીવું, પણ મશાલ પ્રજ્વલિત રહેવી જોઈએ. પણ અન્ના હજારે પહેલા તો આપણે જોવું પડે કે તમે લોકોને જે મશાલ હાથમાં પકડાવી છે, તે ક્રાંતિની મશાલ જ છે ને? વળી આ મશાલ અંધારામાં અજવાળું પણ કરે અને આગ પણ લગાડે. તમે આ મશાલ અંધારામાં અજવાળું કરવા માટે જ કરી છે. પરંતુ ભરોસો નથી, તમારા ટેકેદારો પર અને તમારા આંદોલનની તેજીમાં પોતાની ટોપીઓ બદલનારા લોકો પર, કારણ કે બની શકે કે તમારા ન જીવવાની સ્થિતિમાં તેઓ આ મશાલનો ક્યો ઉપયોગ કરે? માટે અન્ના હજારે તમે જીવો હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર.

કોઈ ગાંધીટોપી પહેરે તેટલા માત્રથી ગાંધીવાદી થઈ જતું નથી, તેવી જ રીતે સર્વશક્તિમાન લોકપાલના આવી જવાથી ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી. આ તો સ્પીડ બ્રેકર હશે, પણ રસ્તો તો ખુલ્લો જ રહેશે. તમે એવી કોઈ વ્યવસ્થા સૂચવો કે જેમાં ભ્રષ્ટાચારનો માર્ગ જ બંધ થઈ જાય. હજી તમે આવી કોઈ વ્યવસ્થા સૂચવી શક્યા નથી કે જેમાં તમે પૂર્ણ ખાતરી આપી શકો. ભ્રષ્ટાચાર સામે જેપીએ આંદોલન કર્યું હતું, પરંતુ તે આંદોલન ઈન્દિરા ગાંધીને સત્તા પરથી હટાવીને પૂરું થઈ ગયું. ક્યાંક તમારું આંદોલન આઝાદીના સૌથી બેઈમાન કેબિનેટના સૌથી ઈમાનદાર વડાપ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહને હટાવા સુધીનું તો નથી ને?

કારણ કે અન્ના સાથે જે લોકો છે, તે રાજકીય રીતે ઉત્તર-દક્ષિણ ધ્રુવના છે અને તેઓ એટલા તકવાદી છે કે પોતપોતાના લક્ષ્ય સિદ્ધ થઈ જવાથી તેઓ અન્નાની પાછળથી હટી જવાના છે. તકવાદી માણસો હંમેશા તકલાદી હોય છે. તકલાદી માણસોના તકવાદી રાજકારણે ભ્રષ્ટાચારને છૂટોદોર આપ્યો છે. આ હકીકતથી ખુદ અન્ના હજારે પણ ઈન્કાર કરી શકે તેમ નથી. વળી બ્રિટિશ સામ્રાજ્યવાદને આધિન ભારતમાં જે લોકો અંગ્રેજોની સાથે હતા, આઝાદી મળી તેના થોડા વખત પહેલા તેમમે પોતાની ટોપી બદલી નાખી હતી અને આવા ચાલાક લોકો ગાંધી ટોપીમાં આવી ગયા હતા. સર શોભા સિંહ જેવા લોકો ભગત સિંહને ફાંસી કરાવવાનું ઈનામ પણ મેળવી ચુક્યા અને આઝાદ ભારતમાં કેટલાંક ટુકડા ફેંકીને સૌથી મોટા પરોપકારીના રૂપમાં પણ સામે આવ્યા.

ભ્રષ્ટાચાર આઝાદી બાદ એક ભયાનક મહામારી તરીકે ઉભર્યો, પરંતુ લોકતાંત્રિક વ્યવસ્થામાં એ. રાજાથી લઈને એમ. કરુણાનિધિ જેવા શક્તિશાળી પ્રાદેશિક નેતાની લાડકી દીકરી કનિમોઝી સુધીના લોકો જેલમાં છે. તો અન્ય કેટલાંક લોકો પર જેલમાં જવાનું જોખમ તોળાય રહ્યું છે. ભ્રષ્ટાચાર મૂડીવાદી વ્યવસ્થાનો ગુણ છે અને આ વ્યવસ્થામાં અમેરિકા, ઈંગ્લેન્ડ સમર્થિત ગાંધી ટોપીના સહારે અન્ના મૂડીવાદને બચાવવા માટે સૌથી મોટું આંદોલન ચલાવી રહ્યાં છે. ગાંધી ટોપી ગાંધીવાદી જ પહેરે તે જરૂરી નથી. ટોપી બદલનારાઓની ભારતમાં અછત નથી અને ભ્રષ્ટાચાર માટે ટોપી બદલનારા લોકો જ જવાબદાર છે.

અન્નાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં ભાગ લેનારા અને ગાંધી ટોપી પહેરીને ફરનારા લોકો પોતપોતાના હિત માટે આંદોલનને પોતપોતાની દિશામાં વાળવાનો પ્રયત્ન કરશે. આવી સ્થિતિમાં આંદોલની કુલ મળીને જે દિશા હશે, તે તદ્દન ખોટી દિશામાં હશે. વળી આ આંદોલનમાં એવા પણ ઘણાં લોકો છે કે જેમને દેશની જનતાએ ક્યારેય સ્વીકાર્યા નથી, તેઓ અન્નાના ખભે બેસીને પોતાની સ્વીકૃતિ ઉભી કરવાની દોડમાં છે. આ સિવાય ભ્રષ્ટાચારના નામ પર ઘણાં મોટા-મોટા ભ્રષ્ટાચારીઓ પણ ગાંધી ટોપી લગાવીને આંદોલનના મેદાનમાં છે. ત્યારે અન્નાનું આંદોલન માત્ર ટોપીઓ બદલવાનું અને ટોપીઓ પહેરાવાનું આંદોલન જ બની રહેશે? અન્નાનું અંતિમ ઘોષિત લક્ષ્ય ભ્રષ્ટાચારને દેશવટો કેવી રીતે પૂરું થશે? પવન જોઈને શઢ બદલનારાઓ કેવી રીતે ખુલ્લા પડશે? આવા લોકો ભ્રષ્ટાચારી ન કહેવાય?

No comments:

Post a Comment