Friday, August 19, 2011
અન્નાના આંદોલનનો ફાયદો કોને?
-આનંદ શુક્લ
અન્નાના આંદોલને મીડિયા અને લોકોના ભ્રષ્ટાચારી, અત્યાચારી રાજકારણીઓ તથા તંત્ર સામેના ગુસ્સાથી દેશભરમાં સારા પ્રમાણમાં લોકજુવાળ ઉભો કર્યો છે. ભારતના અને વિશ્વના અન્ય તમામ મુદ્દાઓ પરથી ધ્યાન ખસેડીને અત્યારે અન્ના અને તેમની ટીમે લોકોને ભ્રષ્ટાચાર મુદ્દે વાતો કરતા કરી દીધા છે. ભ્રષ્ટાચાર એક ખૂબ ખરાબ દૂષણ છે. તેનો ખાત્મો અનિવાર્ય છે. અન્ના હજારે તેમા સફળ થાય તે જરૂરી છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જનલોકપાલ માટે અન્નાને સફળતા મળે, તો પણ ભ્રષ્ટાચાર દૂર કરવામાં તેઓ સંપૂર્ણપણે સફળ થશે કે કેમ? કારણ કે ભ્રષ્ટાચાર લોકોના રંગસૂત્રમાં પહોંચી ચુક્યો છે. ભ્રષ્ટાચાર સામે જેપી આંદોલન થયું હતું, પરંતુ તેમા માત્ર સત્તા પરિવર્તન જ થયું હતું. ત્યારે અન્નાના ભ્રષ્ટાચર અને જનલોકપાલના આંદોલનથી વડાપ્રધાન મનમોહન સિંહની ખુરશી હાલકડોલક થઈ રહી છે. શક્યતાઓ ચર્ચામાં છે કે મનમોહન સિંહને વડાપ્રધાન પદેથી હટાવીને કોઈ અન્યને લોકપાલ કાયદા સાથે ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવાનું કામ સોંપાશે. કેટલાંક ઉત્સાહી કહી રહ્યાં છે કે રાહુલ ગાંધીની વડાપ્રધાન પદે તાજપોશી કરીને અન્નાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો તાર્કીક અંત લાવવા માટે પ્રયત્ન કરાશે. અલબત આ બધી વાતો મજાકમાં જ કહેવાય છે.
અન્નાના આંદોલનથી એક વાત તો સ્પષ્ટ બની છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો લોકમુખે બળવત્તર બન્યો છે. મહારાષ્ટ્રના રાલેગાંવ સિદ્ધિના અન્ના હજારે આજે દેશ આખાના ધ્યાનમાં આવ્યા છે. અત્યારે અન્ના હજારે લોકોની નજરમાં હીરો અથવા તારણહાર છે. મીડિયા અન્ના ઈવેન્ટને આંદોલન બનાવવામાં સફળ થયું છે. એટલે કે મીડિયાને સૌથી પહેલો એ ફાયદો થયો છે કે તેના ટીઆરપીએ આકાશ સર કરી લીધું છે. મીડિયાની છબી લોકાભિમુખી બની છે. કારણ કે ભ્રષ્ટાચારનો મુદ્દો લોકોનો મુદ્દો છે. બીજું મીડિયાને તેની શક્તિનો પૂરતો પરિચય થઈ ગયો છે કે તે ધારે તેવી રીતે જનમત બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. અત્યારે ઈલેક્ટ્રોનિક મીડિયાની શક્તિનું પરીક્ષણ થઈ ગયું છે. મીડિયા હાલ પત્રકારોના હાથમાં નથી, પણ કોર્પોરેટના હાથમાં છે અને આ શક્તિ પરીક્ષણની સફળતા બાદ કોર્પોરેટો મીડિયાને પોતાના હિતના એજન્ડા પર કામ વધારે પ્રમાણમાં પ્રેરીત કરી શકે છે.
બીજી તરફ રાજકીય દ્રષ્ટિએ વિચાર કરીએ તો મનમોહન સિંહની વડાપ્રધાન તરીકેની આબરૂ પૂરી રીતે ધૂળધાણી થઈ ગઈ છે. મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન નહીં, પણ સીઈઓ વધારે લાગે છે. કારણ કે અત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી બીમારીની સારવાર માટે દેશની બહાર છે. બીજી તરફ રાહુલ ગાંધીએ પક્ષની કમાન અન્ય ત્રણ સાથીઓ સાથે સંભાળી છે. કપિલ સિબ્બલ, અંબિકા સોની અને પી. ચિદમ્બરમ જેવાં નેતાઓ અન્ના સામે કડક સ્ટેન્ડ લેવા માંગતા હતા, કે જેવું બાબા રામદેવના અનશન વખતે લીધું હતું. પરંતુ યુવરાજ રાહુલ ગાંધીના આદેશ પ્રમાણે, અન્ના અને તેમની ટીમ સંદર્ભે રાજકીય નિર્ણયો લેવાયા છે. એટલે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગતા અને મનમોહનને પસંદ ન કરતાં અસંતુષ્ટ કોંગ્રેસીઓને પણ અન્નાના અનશનનો ફાયદો મળ્યો છે.
યુપીએ સરકાર, કોંગ્રેસ અને મનમોહન સિંહની હાલત પાતળી થવાને કારણે વિપક્ષનું ગેલમાં આવવું સ્વાભાવિક છે. પરંતુ તેનો ફાયદો મેળવવા માટે મુખ્ય વિપક્ષ ભાજપ-એનડીએને ખૂબ વધારે મહેનત કરવી પડશે. સંસદમાં અન્નાને અનશન ન કરવા દેવાની અને તેમની ધરપકડ કરવાની વાત પર વિપક્ષે સરકારની ટીકા કરી છે. પરંતુ ભાજપ, શરદ યાદવ, મુલાયમ સિંહ, લાલુ યાદવ, માયાવતીનો બહુજન સમાજ પક્ષ, ડાબેરીઓ અને ખૂદ યુપીએ અન્ના હજારેના જનલોકપાલ બિલ સાથે સંપૂર્ણપણે સંમત ન હોવાની વાત કહી ચુક્યા છે. ત્યારે આગળ જતાં અન્ના ભારતની સમગ્ર રાજકીય વ્યવસ્થા સામે સંઘર્ષમાં ઉતરશે તે નક્કી છે. ત્યારે અત્યારે માત્ર કોંગ્રેસના પક્ષમાં દેખાતું નુકસાન વિપક્ષ-ભાજપ, ડાબેરીઓને દેખાતો દેખીતો ફાયદો ખૂબ મહેનત અને સંઘર્ષ કરાવશે.
બીજું અન્નાના આંદોલનને સાધનો ઉપલબ્ધ કરાવવામાં દેશના વાણિજ્યિક પ્રતિષ્ઠાનો અને અપ્રવાસી ભારતીયોનું ઘણું યોગદાન રહ્યું છે. ત્યારે તેમના મનસૂબા શું છે, તે હજી સમજવાનું બાકી છે.
આ જનઆંદોલનમાં સ્વૈચ્છિક સંગઠનો-એનજીઓને પણ સરકારને ભીંસમાં લેવાનો મોકો મળ્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, અગ્નિવેશ, પ્રશાંત ભૂષણ, મેધા પાટકર, મલ્લિકા સારાભાઈ, મનિષ સિસોદીયા જેવાં એનજીઓના લોકોને પણ ઘણો પ્રચાર મળ્યો છે. તેથી તેવો તેમની ડિઝાઈનમાં ફીટ થતાં અન્ય આંદોલનોમાં તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન અવશ્ય કરશે. બની શકે કે ત્યારે જનતામાં ઉપસેલી તેમની છબી તેમના આંદોલનોને વ્યાપક બનાવવામાં મદદ કરે.
ઉલ્લેખનીય છે કે તમામ સંગઠનો, સંસ્થાઓ, પક્ષો અને વ્યક્તિઓ વચ્ચે અન્નાના આંદોલનમાં નીતિગત અને રાજકીય મતભેદો મોટા પ્રમાણમાં છે. કુલ મળીને અન્ના હજારેને ટેકો આપવા પાછળ બધાંએ પોતપોતાના લાભ જોયા છે, પરંતુ અંતમાં જે છેતરાવાના છે, તે આમ આદમી છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment