લેબલ ઓબામા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઓબામા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 28 મે, 2011

પાકિસ્તાન સામે યુધ્ધ: ભારત ઈચ્છે ત્યારે, પોતીકી વ્યૂહરચનાથી


(પ્રકાશન 9મી જાન્યુઆરી, 2009ના ગુજરાત ટાઈમ્સના અંકના પૃ.નં.-2 પર)

યુધ્ધોન્મત પાકિસ્તાન યુધ્ધોન્માદ ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર કરીને વિશ્વનું ધ્યાન આતંકવાદની મૂળ સમસ્યાથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મુંબઈ પરત્વે આતંકવાદીહુમલો પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની રહેમનજર હેઠળ લશ્કરે તોઈબા દ્વારા કરવામાં આવ્યો હોવાનું સર્વવિદિત છે. કેટલાંક સમય પહેલા ભારત સાથે શાંતિવાર્તાની રમત રમનાર પાકિસ્તાન નાગરિક સરકાર આવ્યા બાદ ભારત માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફની વિદાય પછી સત્તા પર આવેલી નાગરિક સરકારનો પાકિસ્તાની સેના કે આઈએસઆઈ પર કોઈ કાબૂ નથી. મુંબઈ પરનો આતંકવાદી હુમલો અને તેની પેટર્ન તેનું ઉદાહરણ છે.

કારગિલ યુધ્ધ જેવું ઊંબાડિયું કરી ચૂકેલું પાકિસ્તાન મુંબઈ હુમલા દ્વારા ભારતને યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરવા માટે વ્યવસ્થિતપણે ઉશ્કેરી રહ્યું છે. મુંબઈ હુમલો થવા દેવા પાછળ પાકિસ્તાની સૈન્યની ભૂમિકા તપાસવા જેવી છે. અફધાન યુધ્ધ અને પોતાના વિસ્તાર વજીરીસ્તાન અને સ્વાત ખીણમાં અમેરિકાના દબાણની લડાઈમાં ઝોકાયેલી પાકિસ્તાન સેના તેમાંથી છટકવાનો રસ્તો ઘણાં સમયથી શોધતી હતી.

અફધાન સરહદે પાકિસ્તાની સૈન્યના એક લાખ સૈનિકો તૈનાત હતા. પોતાના દ્વારા ઊભા કરાયેલા તાલિબાનો સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાની સેના ક્યારેય રાજી ન હતી. તેમ છતાં મુશર્રફે અમેરિકાના દબાણ તળે આ લડાઈમાં સેનાને વ્યસ્ત રાખી રહ્યાં હતા.

આમ તો પાકિસ્તાનને ચલાવે છે, આર્મી. જ્યારે આર્મી ચાલે છે, અમેરિકાના દોરીસંચારથી. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. પાકિસ્તાનને આર્મી ચલાવે છે, તે વાત સાચી, પણ પાકિસ્તાની સેનામાં પ્રભાવી થી રહેલા કટ્ટરપંથી તત્વોએ સેના પરનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે, જેની સાબિતી છે, મુંબઈ પરનો આતંકવાદી હુમલો.
ભારતીયતા અને ભારતના વિરોધ પર રચાયેલા પાકિસ્તાનને પોતાના અસ્તિત્વ માટે પણ ભારતવિરોધ ચાલુ રાખવો જરૂરી હોય તેમ લાગે છે. મુંબઈ પરના હુમલા પછી તત્કાલિન ભારતીય વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સહિત તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી હતી. સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર દબાણ કરવા કૂટનીતિક પ્રયત્નો આદર્યા હતા, જેના પરિણામે પાકિસ્તાને કેટલાંક આતંકવાદીઓને નજરબંધ કર્યા અને જમાત ઉદ દાવા પર નામ માત્રનો પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે પાકિસ્તાનની પોલ ત્યારે ખૂલી કે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ગુપ્તચર સંસ્થાના વડા લેફટનન્ટ જનરલ અહમદ પાશાને ભારત મોકલવા માટે સહમત થયેલી પાકિસ્તાની સરકાર જનરલ અશફાક પરવેઝ કિયાનીના ઈશારે પોતાના વચનમાંથી ફરી ગઈ હતી. પાકિસ્તાની સેનાએ તેમના દેશમાં રહેલા આતંકવાદના તંત્રને ખતમ કરવાની જગ્યાએ ભારતીય સરહદે સૈન્યનો ખડકલો કર્યો છે. અત્યારે ભારતીય સેનાની સાત કોર એટલે કે સાડા ત્રણ લાખ સૈનિકોનો ખડકલો કરાયો છે. તેની સાથે સાથે અફધાન સરહદે અમેરિકી અને નાટો સૈન્ય તથા તાલિબાનો વચ્ચે બફરનું કામ કરી રહેલી પાકિસ્તાની સેનાને પણ ભારત સરહદે ખસેડવામાં આવી હતી. ત્યારે તહેરિકે તાલિબાનના સરગના બૈતુલ્લાહ મહેસૂદે ભારત સામેના યુધ્ધમાં પાકિસ્તાની સેનાને સાથ આપવાની વાત કરી હતી. જેનાથી આઈએસઆઈ, પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી છે.

અત્યારે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાહતું નથી. કારણ કે તેનાથી વોર ઓન ટેરર નબળું પડે તેવી સંભાવના છે. જો કે પાકિસ્તાની સેના પોતાના હિત માટે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તે માટે વ્યૂહાત્મકપણે આગળ વધી રહી છે. પાકિસ્તાની સેનાનો પોતાનો એજન્ડા છે. તેની ઈચ્છા પાકિસ્તાન કે અન્ય આતંકી સંગઠનોનો નાશ કરવાની નથી. કેટલાક સમય પહેલા પાકિસ્તાનને નફરત કરનારી પાકિસ્તાની આવામ અત્યારની પરિસ્થિતિમાં સેનાની પડખે છે. પાકિસ્તાની સેના આ પરિસ્થિતિ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ સુધી ચાલુ રહે તેમ ઈચ્છે છે, કારણ કે તે સમયગાળા દરમિયાન અમેરિકામાં પ્રમુખ પદે બરાક હુસૈન ઓબામાની તાજપોશી થશે. અફધાન અને પાકિસ્તાન સંદર્ભે ઓબામાની નીતિઓનો ખુલાસો થશે. સાથે ભારતમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ હશે, તેમ છતાં બરાક ઓબામાના વિચારો સ્પષ્ટ છે. તેમણે પાકિસ્તાનને સૈન્ય સહાયતામાં કાપ મૂકવાના સંકેતો આપ્યા છે.

તો બીજી તરફ ભારત સરકારે વિદેશમાં નિયુક્ત રાજદૂતોની બેઠક બોલાવીને પાકિસ્તાનને બેનકાબ કરવા માટે ભારતના પક્ષમાં રણનીતિ બનાવી છે. આમ તો કૂટનીતિ વાંછિત પરિણામો મેળવવાનું યોગ્ય હથિયાર છે. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી યુધ્ધ સિવાયના અન્ય વિકલ્પોથી પરિણામ લાવવાનો પ્રયત્ન સારો છે. અત્યારે ભારતની પ્રાથમિકતા આર્થિક તાકાત બનવાની છે. ત્યારે નવ ટકાના વિકાસદરથી સાત ટકાના વિકાસદરે વૈશ્વિક મંદીના કારણે પહોંચેલા ભારત માટે યુધ્ધ આખરી વિકલ્પ હોય તે વાંછિત છે. જો કે ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ અને વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સમસ્યાનો ઉકેલ નથી કહીને પાકિસ્તાનને આતંકવાદી તંત્ર ખતમ કરવા કહ્યું છે. તેની સામે પાકિસ્તાની સેના યુધ્ધોન્માદ ફેલાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બંને દેશોના તણાવ તરફ ખેંચીને મુંબઈકાંડને ગૌણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

24મી ડિસેમ્બરે વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સને સત્તારૂઢ તત્વો(સેના અને આઈએસઆઈ)નું સમર્થન હોવાનું નિવેદન કર્યુ છે.
યુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ, યુધ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ જેવી ભાષા ભારતીય મિડિયા અને લોકો બોલી રહ્યાં છે. જો કે મુંબઈ પરનો આતંકવાદી હુમલથી ભારતને ઉશ્કેરી પાકિસ્તાની સેના પોતાના હિતો પાર પાડવા માગે છે. ભારતે મુંબઈ કાંડને પાકિસ્તાનના ટ્રેપ(છટકાં) તરીકે જોવો જોઈએ.

યુધ્ધની કહાનીઓ સારી હોય છે. યુધ્ધ નહીં.જો કે આપણી પાસેની મજબૂત સેના થકી આ વિકલ્પ ખુલ્લો છે. તો પરમાણુ શસ્ત્રો સહિતના તમામ વિકલ્પોને પણ પાકિસ્તાન સાથેના યુધ્ધમાં ખુલ્લા રાખવા પડશે. યુધ્ધથી ડરવાની જરૂર નથી, પણ તે પહેલાં તમામ વિકલ્પો અજમાવી લેવા જોઈએ.

પરમાણુ બોમ્બથી વિશ્વને બ્લેકમેઈલ કરવા નીકળેલું પાકિસ્તાન સુધરશે નહિ, તો તેને ખોખરું કરવું પડશે,પણ પાકિસ્તાન ઈચ્છે ત્યારે તેની વ્યૂહરચના પ્રમાણે ભારતે યુધ્ધ જેવા પગલાંથી બચવું જોઈએ. આર્થિકપણે કંગાળ પાકિસ્તાન સામે નિર્ણાયક યુધ્ધ લડવું જોઈએ, પણ તે ભારતની ઈચ્છા પ્રમાણે અને ભારતીય સેનાની વ્યૂહરચના સાથે.

ભારતે હવે અમેરિકા કે અન્ય કોઈ દેશ મદદે આવે તેની આશા રાખવી યોગ્ય નથી કાશ્મીર મુદ્દે સુરક્ષા પરિષદના કટુ અનુભવ પછી પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જવું કેટલું મદદગાર સાબિત થશે, તે કહેવું મુશ્કેલ છે. ઓબામાના વહીવટી તંત્ર સાથે ભારત સીટીબીટી, પર્યાવરણ, પરમાણુ સામગ્રી પ્રતિબંધ સંધિ મુદ્દે અલગ મત ધરાવે છે.

અંતે...........

યુધ્ધની તૈયારી શાંતિની ખાતરી હોય છે.

શુક્રવાર, 27 મે, 2011

અમેરિકામાં 9/11 તો સ્વામી વિવેકાનંદે પણ કર્યું હતું!


11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા ભારતીય સંન્યાસીએ કહેલી વાત વિચારીએ, તેમણે કહ્યું હતું કે ‘જેમ જુદાંજુદાં સ્થળેથી નીકળતાં નદીના અનેક વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ, જુદાંજુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરળ યા અટપટાં હોય, તો પણ અંતે તો એ બધાં તારા પ્રત્યે જ લઈ જાય છે.’ આ સંન્યાસી અન્ય કોઈ ન હતા પરંતુ દેશ-દુનિયાના સેંકડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ હતા.

સ્વામી વિવેકાનંદનું પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ

ભગવા વસ્ત્રોમાં સજ્જ કેસરી પાઘડીવાળા સ્વામી વિવેકાનંદનું તૈલચિત્ર આજે પણ દેશ અને દુનિયાના સેંકડો યુવાનોને પ્રેરણા આપી રહ્યું છે. તેમની આંખોના ભાવ આજે પણ ભારતના યુવાનોમાં નચિકેતાને શોધી રહ્યાં છે, કે જે ભારતને પરમ વૈભવે પહોંચાડી શકે. તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી બળ અને ધૈર્ય નીતરે છે.

જ્યારે તેઓ 1892માં અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં અસરકારક ભાષણ દ્વારા ભારતીય વેદાંતના સિદ્ધાંતોને તર્કબદ્ધ રીતે સમજાવીને પોતાના સ્થાન પર બેઠાં ત્યારે ત્યાં આવેલા તમામ ધર્માચાર્યો તેમની પ્રભાવી વાણીમાં હિંદુ ધર્મ અને તત્વજ્ઞાન અંગે સાંભળીને શું બોલવું? તે નક્કી કરી શક્યા ન હતા!

સ્વામી વિવેકાનંદની ઉંચી ખડતલ દેહયષ્ટિ, વેધક અને તેજસ્વી વિશાળ આંખો, ઘેરો અને સમૃદ્ધ એવો સ્વર તેમના પ્રતિભાશાળી તથા પ્રભાવશાળી વ્યક્તિત્વને વિશિષ્ટ શક્તિ પ્રદાન કરતાં હતા. તેઓએ ખરેખર 11 સપ્ટેમ્બર, 1892ના દિવસે વિશ્વ ધર્મ પરિષદમાં ભારત માટે ‘દિગ્વિજય’ કર્યો હતો. તેઓ ધાર્મિક હોવા છતાં સમર્પણ તેમના માટે સ્વભાવગત ન હતું! તેમનું મન એક વિજેતાનું મન હતું. શું તફાવત હતો સ્વામી વિવેકાનંદના વિચારોમાં અને અન્ય ધર્માચાર્યોના વિચારમાં? સ્વામી વિવેકાનંદે કોઈ જ વિદ્વતાપૂર્ણ નિંબધ વાંચ્યો ન હતો. તેમજ કોઈના ભલામણ પત્ર પણ સાથે લાવ્યા ન હતા. સૌને સવાલ થયો હતો કે ભારતથી આવેલા એક અજાણ સંન્યાસીએ કેવી રીતે આટલો ઉંડો પ્રભાવ પાડયો?

તેનો જવાબ સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના શિકાગો ખાતે થયેલા ઉદબોધનમાંથી મળી જાય છે. આ પરિષદમાં અન્ય ધર્માચાર્યો પોતાના ધર્મના ઈશ્વર અંગે બોલ્યા હતા, જ્યારે સ્વામી વિવેકાનંદ સૌના ઈશ્વર વિશે બોલ્યા હતા!જો કે આ વાત હજી સુધી સમજી ન શકનારા આપણે હજી પણ આપણાં ઈશ્વર માટેની લડાઈઓ ચાલુ રાખી છે.

ઓસામાના 9/11ને કદાચ સ્વામી વિવેકાનંદે પારખી લીધું હતું!


સ્વામી વિવેકાનંદે કદાચ 11 સપ્ટેમ્બર, 1893ના દિવસે જ ઓસામા બિન લાદેનના દોરી સંચાર હેઠળ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થનારા અમેરીકા પરના ભીષણ આતંકવાદી હુમલાને કદાચ જોઈ લીધો હશે. કારણ કે સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ઉદઘાટન વખતે બોલાયેલા શબ્દો તેના સાક્ષી છે.

વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાનઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે.’ સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદના ઘંટારવને યાદ કરીને કહ્યું હતું કે ‘આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદાંજુદાં માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃતિઓનો, સર્વઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતાં સર્વ ત્રાસનો મૃત્યુ ઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.’

વિશ્વમાં આતંકવાદની સૌથી મોટી ઘટના 11 સપ્ટેમ્બર, 2001ના દિવસે થઈ હતી. તેના વિલન અલકાયદા અને તેનો સરગના ઓસામા-બિન-લાદેન હતા. આ ઘટનાને આતંકના ઈતિહાસમાં 9/11ની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 11 સપ્ટેમ્બર, 1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના અજાણ્યા સંન્યાસી ભગવા વસ્ત્રધારી સ્વામી વિવેકાનંદે ભારત અને હિંદુ ધર્મનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજ કોઈ યુદ્ધ કરીને, કોઈ હિંસા કરીને કે કોઈ પ્રકારની બળજબરીથી મળેલા વિજયને કે ઓસામાના જેવા આતંકી કુકૃત્યોને પરિણામે ફરક્યો ન હતો. પણ પ્રેમ, સમજણ અને જ્ઞાન દ્વારા સ્વામી વિવેકાનંદે ભારતમાં જન્મેલા અને વિશ્વમાં અનેક સ્વરૂપે પ્રસરેલા સનાતન હિંદુ ધર્મની ધ્વજ પતાકા પોતાના ઓજસ્વી ભાષણથી ફરકાવી હતી.

આ પણ અમેરીકા પર એક હુમલો હતો, પણ આ હુમલો હતો અમેરીકા અને અન્યોના જ્ઞાનના ગરુર પરનો હુમલો. આ એવો હુમલો હતો કે જેમાં એક પણ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ઘાયલ થઈ ન હતી કે મૃત્યુ પામી ન હતી. હા, ત્યાં ઉપસ્થિત સેંકડો લોકો સ્વામી વિવેકાનંદના હિંદુ ધર્મ ચિંતન અને તત્વજ્ઞાનથી નતમસ્તક જરૂર થઈ ગયા હતા. 1893ના શિકાગોમાં થયેલા 9/11ના હીરો સ્વામી વિવેકાનંદ હતા.

વિશ્વ ધર્મ પરિષદમાં કહેલી સ્વામી વિવેકાનંદની વાતોને જો માનવ સમાજે યાદ રાખી હોત તો કદાચ 9/11ની ભીષણ આતંકવાદી હુમલાની ઘટના બની ન હોત. ધર્મો વચ્ચે સંવાદની પ્રક્રિયા સાધી શકાય હોત તો કદાચ જેહાદી આતંકવાદીઓના જથ્થા તૈયાર કરનારા ઓસામ બિન લાદેનો પેદા થઈ શક્યા ન હોત. સારા વિશ્વ ધર્મ સંવાદથી કદાચ ધર્મના નામે ચાલતો આતંકવાદ નિર્મૂળ કરી શકાશે. કદાચ ઓસામ બિન લાદેન અને તેના અનુયાયીઓની વિચારધારા અને માનસિકતાને વિશ્વમાંથી રૂખસદ આપી શકાશે.

તમારો અભિપ્રાય


વાચકમિત્રો સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ભાષણ સંદર્ભે અને તેમણે આપેલા દ્રષ્ટિકોણ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? તમને લાગે છે કે ભારતે સ્વામી વિવેકાનંદના વૈચારીક માર્ગદર્શન હેઠળ પોતાનો પથ નક્કી કરવો જોઈએ? ભારતીય તત્વજ્ઞાનને ઘેરાયથી સમજવાની જરૂર છે? તમારો મત અમને નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં લખીને મોકલી જણાવશો.