લેબલ મુંબઈ કાંડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મુંબઈ કાંડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2011

આતંકવાદના મુદ્દે બશર્મોની બેશરમી


- આનંદ શુક્લ

એક વખતની આતંકવાદી ઘટના બાદ બીજી આતંકવાદી ઘટનાની રાહ જોવાની ભારત સરકારને ટેવ પડી ગઈ છે. આતંકવાદથી દેશ છેલ્લા બે દશકાથી લહુલુહાણ છે અને યુપીએ સરકાર પાસે આતંક સામે લડવાની કોઈ સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ અને રણનીતિ નથી. વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતાની ઘસાયેલી રેકોર્ડ વગાડતા રહે છે. તો સુબોધકાંત સહાય જેવા બેજવાબદાર કેન્દ્રીય મંત્રીઓ પીડિતોના લોહી અને સ્વજનોના આંસુ પર પોતાની ઓકાત બતાવી રહ્યાં છે. આતંકવાદના મુદ્દા પર રાજનીતિની નીચ કોશિશ ભારતીય રાજકારણનું કલંક છે. પરંતુ ભારતના રાજકારણમાં આતંકવાદના મુદ્દે રાજનીતિને રાષ્ટ્રનીતિમાં ફેરવવા માટે સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ ભેગા મળીને કોઈ પ્રયત્ન કરતાં નથી.

યુપીએ-1 સરકાર જ્યારે સત્તામાં આવી તો તેમણે સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ પોટા નામનો આતંકવાદ વિરોધી કાયદો સંસદમાં રદ્દ કરાવ્યો હતો. તે વખતે તર્ક હતો કે આતંકવાદ કંઈ કાયદાથી રોકાવાનો નથી અને ભારતના પ્રવર્તમાન કાયદા આતંકવાદ સામે લડવા માટે સક્ષમ છે. મુસ્લિમ વોટબેંકની રાજનીતિ સાથે પોટાને હટાવવાના મુદ્દાને કોંગ્રેસ અને તેના મળતિયાં રાજકીય પક્ષોએ ભેળવી દીધો હતો. પણ અત્યારે સવાલ એ છે કે સંસદ પર હુમલાના ષડયંત્રકારી આતંકી અફઝલ ગૂરુને ઘટનાના 10 વર્ષ બાદ પણ ફાંસીની સજા આપી શકાય નથી. સુપ્રીમ કોર્ટે અફઝલની ફાંસી પર મંજૂરીની મ્હોર મારી છે, પણ રાજકારણે અફઝલને ફાંસી પર લટકવા દીધો નથી. મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ આમિર કસાબને પણ બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. પરંતુ તેને આજે પણ જેલમાં બેસાડીને બિરયાની ખવડાવામાં આવે છે. ત્યારે ભારતના કાયદામાં એવી કોઈ ખામી છે, ભારતના ન્યાયતંત્રની પ્રણાલીમાં એવા કોઈ છીંડા છે કે અફઝલ, કસાબ જેવા નરરાક્ષસોને જેલમાં બેસાડીને મટન-બિરયાની ખવડાવામાં આવે છે.

મુંબઈમાં ત્રણ વિસ્ફોટો થયા, બાદમાં અન્નાના કથિત ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં લોકો આતંકવાદનો મુદ્દો ભૂલી ગયા. અન્નાના અનશન સમાપ્ત થયાના અઠવાડિયા બાદ 7મી સપ્ટેમ્બરે દિલ્હીની હાઈકોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 11 લોકોના જીવ ગયા. પણ કોઈ રાજકારણીઓના પેટનું પાણી હલ્યું નથી. કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે તો સંવેદનહીનતાની તમામ હદો પાર કરી દીધી છે. તેમણે દિલ્હી વિસ્ફોટો સંદર્ભે આંચકાજનક નિવેદન આપતા કહ્યુ છે કે આ કોઈ નવી ઘટના નથી. આખા દેશમાં આતંકી હુમલા થાય છે. લોકો આવા ઘડાકાઓના આદિ થઈ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ માસમાં મુંબઈમાં થયેલા ટ્રિપલ બ્લાસ્ટ વખતે સુબોધકાંત સહાય મુંબઈમાં જ કોઈ ફેશન શોમાં મોડલ્સની લચકતી કમર જોઈને પોતાની આંખો ઠંડી કરી રહ્યા હતા.

દિલ્હી વિસ્ફોટના બે દિવસ બાદ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ પોતાની વકીલ તરીકેની દલીલો સાથે જનતા સામે પ્રગટ થયા હતા. તેમણે કહ્યું હતું કે આખું ભારત આતંકવાદીઓના નિશાના પર છે અને હવેનો આતંકી હુમલો અમદાવાદમાં થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ દેશમાં આતંકવાદી હુમલો ન થવાની ગેરેન્ટી આપી શકે નહીં. તેમણે ભારતની ભૂગોળને ઘણી વિકટ ગણાવી. પ્રખ્યાત વકીલમાંથી નાણામંત્રી બાદમાં ગૃહમંત્રી બનેલા પી. ચિદમ્બરમે કહ્યું છે કે દરેક ગુપ્ત માહિતી પર ત્યાં સુધી કાર્યવાહી કરી શકાય છે, જ્યાં સુધી તે ખોટી સાબિત ન થઈ જાય. આપણે આપણી ક્ષમતાઓને વિકસિત કરવાની કોશિશ કરી રહ્યાં છીએ. દરેક એજન્સીઓએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે. દેશના નાગરીકોએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે.

ત્યારે સવાલ એ છે કે આપણે આપણી ક્ષમતાઓને ક્યાં સુધી વિકસિત કરતાં રહીશું, ક્ષમતાઓ વિકસિત થવા છતાં પણ આતંકવાદી હુમલાઓ તો રોકાતા નથી. તેનો અર્થ એ થયો કે ભારતની સુરક્ષા એજન્સીઓ અને સરકાર કરતાં આતંકવાદીઓ વધારે તૈયારી કરી રહ્યાં છે. દરેક એજન્સીઓ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવતી ન હોવાથી જ તો આતંકી હુમલો થાય છે. તો આવી કઈ એજન્સી કે એજન્સીઓ છે અને તેમાં ક્યાં લોકો જવાબદાર છે, તે પણ ચિદમ્બરમ સાહેબે શોધવું ન જોઈએ. ચિદમ્બરમ સાહેબ ગૃહમંત્રી થઈને દેશમાં બોમ્બ ધડાકા નહીં થાય, તેવી કોઈ ખાતરી આપવા માટે તૈયાર નથી. પણ તેઓ કહી રહ્યાં છે કે દેશના નાગરીકોએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે. એટલે કે અત્યારે લોકો પોતાની ભૂમિકા નિભાવતા નથી? શું લોકોએ પોતાની સુરક્ષા રામભરોસો રાખવી પડશે કે પોતાની મેળે પોતાની સુરક્ષા કરવી પડશે?

ચિદમ્બરમે પોતાના નિવેદનમાં આગળ કહ્યું છે કે 9/11ના હુમલા બાદ અમેરિકાને પોતાની ક્ષમતાઓ વિકસિત કરવામાં સમય લાગ્યો હતો. આપણે તો 26/11ની ઘટના બાદ આપણા સુરક્ષા તંત્રને મજબૂત કર્યું છે. પરંતુ ચિદમ્બરમ સાહેબ, કેમ ભૂલી જાય છે કે પૂણેમાં જર્મન બેકરીનો બ્લાસ્ટ, મુંબઈમાં ટ્રિપલ બ્લાસ્ટ, દિલ્હી બ્લાસ્ટ સહીતના આતંકવાદી હુમલા 26/11 બાદ જ થયા છે. હા, 26/11 બાદ કંઈક ત્રીસ માસ સુધી આતંકવાદી હુમલા થયા ન હતા. તો શું અમારે જનતાએ એમ માનવું કે તે પાકિસ્તાન અને તેના દ્વારા પ્રેરીત તથા પોષિત આતંકવાદી સંગઠનોની ઈચ્છા ન હોવાથી થયા ન હતા? કારણ કે અમેરિકા ઈચ્છતું ન હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઉભો ન થાય અને પોતાના સામરીક હિતોને નુકસાન ન પહોંચે. તો શું અમેરિકાએ પાકિસ્તાનની સરકાર અને સેનાને અને પાકિસ્તાની સરકાર-સેનાએ આતંકવાદીઓને ભારતમાં થોડો સમય આતંકી હુમલા ન કરવાનું ફરમાન કર્યું હશે અને ચિદમ્બરમ સાહેબ આને આતંકી હુમલાઓ રોકવામાં સફળતા માનીને છાતી ફૂલવી રહ્યાં છે?

દિલ્હી બ્લાસ્ટ બાદ વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન હતું કે આતંકવાદ સામેનું યુદ્ધ લાંબુ છે અને તેમાં આપણે જીતીશું. ત્યારે સવાલ એ છે કે આતંકવાદ સામે આપણે ક્યું યુદ્ધ કેવી રીતે લડી રહ્યાં છીએ? શું આપણે આતંકવાદ સામે યુદ્ધના નામે નક્કર પરિણામદાયક પગલાં લેવાની જગ્યાએ હવામાં હવાતિયાં મારીને ખુશ થઈ રહ્યાં છીએ? શું આતંકવાદ જ્યાંથી પેદા થઈ રહ્યો છે, તે પાપી પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે લશ્કરી નહીં, તો કૂટનીતિક, રાજનયિક, રાજકીય, વ્યાપારીક અને સામરીક પગલાં લઈ રહ્યાં છીએ? આતંકવાદ સામેના યુદ્ધની આવી પોકળ નીતિ અને રણનીતિથી મનમોહનજી આપણે કેવી રીતે જીતીશું તેનો તો જવાબ આપો?

આતંકવાદી હુમલા બાદ સરસ અંગ્રેજી ભાષામાં પઢાયેલા પોપટની જેમ નિવેદન આપનારા કોંગ્રેસી નેતાઓની કોઈ અછત નથી. કોંગ્રેસના એક મહાસચિવ દિગ્વિજય સિંહને દરેક આતંકવાદી હુમલામાં આરએસએસનો હાથ દેખાતો રહ્યો છે. તેમણે જુલાઈ માસમાં થયેલા મુંબઈ વિસ્ફોટોમાં આરએસએસનો હાથ હોવાની વાતને નકારી ન હતી. તો તે વખતે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં દરેક આતંકવાદી હુમલા રોકવા બેહદ મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું હતું કે ચોકસાઈ અને જાસૂસી દ્વારા દેશમાં 99 ટકા આતંકવાદી હુમલા રોકવામાં આવ્યા છે, પરંતુ દરેક હુમલો રોકવો કઠિન છે. તેમણે કહ્યું હતું કે ઈરાક અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલા અવારનવાર થાય અને અમેરિકા તેને ક્યાં રોકી શકે છે.

તો દિલ્હીમાં ભૂતકાળમાં દિવાળી પહેલા થયેલા આતંકવાદી હુમલામાં ઘણાં લોકોના જાન ગયા અને બીજા દિવસે જેટલી બેઠક થઈ, તે બધાંમાં ગૃહમંત્રી શિવરાજ પાટિલે જાતભાતના પરિધાનોમાં ભાગ લીધો હતો. શું એ શરમજનક વાત નથી કે લોકોના માર્યા જવાની ઘટના દરમિયાન ગૃહમંત્રી શિવરાજ પાટિલે કપડા અને જોડાંની પસંદગીમાં ગુંચવાયા હતા? મુંબઈ પરના આતંકવાદી હુમલાની ઘટના વખતે તાજ અને ટ્રાઈડેન્ટ હોટલમાં થયેલા આતંકી હુમલા બાદ પત્રકારોના એક સવાલના જવાબમાં પાટિલે આ હુમલાઓને નાની-મોટી ઘટના ગણાવીને પત્રકારોના સવાલોથી પીછો છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે મુંબઈ પરના આતંકવાદી હુમલામાં 186 લોકોના જાન ગયા અને 300થી વધારે લોકો ઘાયલ થયા હતા. આટલી મોટી ઘટનાને નાની ઘટના કહેનારો વ્યક્તિ દેશનો ગૃહમંત્રી હતો, તે દેશનું દુર્ભાગ્ય નથી?

તો મુંબઈ હુમલા દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલિન ગૃહમંત્રી આર. આર. પાટિલ ઘરેથી નીકળવા માટે તૈયાર ન હતા. નાયબ મુખ્યમંત્રી છગન ભૂજબળે કહ્યું હતું કે 26/11ની રાત્રે જ્યારે તેમણે પાટિલને હુમલાવાળા સ્થાનો પર જવાનું કહ્યું તો તેમણે કહ્યું કે પોલીસે મનાઈ કરી છે. ત્યારે ભૂજબળે કહ્યું હતું કે ઠીક છે, તમે ઘટનાસ્થળ પર ન ચાલો, પણ ઓછામાં ઓછું ડીજીપી ઓફિસ સુધી તો આવી જ શકો છો, પણ તેઓ તૈયાર થયા ન હતા.

દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય, તેના માટે આંદોલન થાય. આ બધી વાતો ઘણી સારી છે. ત્યારે દેશને આતંકવાદ મુક્ત કરાવવા માટે અને આતંકવાદના ખાત્મા સુધીની લડાઈ અન્ના હજારે જાહેર કરે, તે ઘણું સારું છે. આતંકવાદ પર રાજનીતિથી દેશને મુક્ત કરવા અને રાષ્ટ્રનીતિ ઘડવા માટે શું અન્ના હજારે નવું આંદોલન કરવા માટે તૈયાર છે? દેશના લોકોએ અન્નાના આંદોલનમાં ભાગ લીધો, ખૂબ સારું કામ કર્યું. પણ હવે આતંકવાદ સામે લડવા માટે સરકાર પર દબાણ બનાવવા માટે તમે તૈયાર છો? અન્નાના આંદોલનને મીડિયા ઈવેન્ટ બનાવનારા કેન્ડલિયા પત્રકારો પણ આતંકવાદના મુદ્દા પર જનમત તૈયાર કરવા માટે કોઈ મહત્વની ભૂમિકા નિભાવશે કે ચિલાચાલુ સ્ટોરીઓ તથા આતંકી ઘટનાઓના ગાણાં ગાઈને કેટલાંક ચોખલિયાઓને બોલાવીને સ્ટુડિયોમાં ચર્ચા જ કર્યે રાખશે?

શનિવાર, 28 મે, 2011

પાકિસ્તાન સામે યુધ્ધ: ભારત ઈચ્છે ત્યારે, પોતીકી વ્યૂહરચનાથી


(પ્રકાશન 9મી જાન્યુઆરી, 2009ના ગુજરાત ટાઈમ્સના અંકના પૃ.નં.-2 પર)

યુધ્ધોન્મત પાકિસ્તાન યુધ્ધોન્માદ ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર કરીને વિશ્વનું ધ્યાન આતંકવાદની મૂળ સમસ્યાથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મુંબઈ પરત્વે આતંકવાદીહુમલો પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની રહેમનજર હેઠળ લશ્કરે તોઈબા દ્વારા કરવામાં આવ્યો હોવાનું સર્વવિદિત છે. કેટલાંક સમય પહેલા ભારત સાથે શાંતિવાર્તાની રમત રમનાર પાકિસ્તાન નાગરિક સરકાર આવ્યા બાદ ભારત માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફની વિદાય પછી સત્તા પર આવેલી નાગરિક સરકારનો પાકિસ્તાની સેના કે આઈએસઆઈ પર કોઈ કાબૂ નથી. મુંબઈ પરનો આતંકવાદી હુમલો અને તેની પેટર્ન તેનું ઉદાહરણ છે.

કારગિલ યુધ્ધ જેવું ઊંબાડિયું કરી ચૂકેલું પાકિસ્તાન મુંબઈ હુમલા દ્વારા ભારતને યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરવા માટે વ્યવસ્થિતપણે ઉશ્કેરી રહ્યું છે. મુંબઈ હુમલો થવા દેવા પાછળ પાકિસ્તાની સૈન્યની ભૂમિકા તપાસવા જેવી છે. અફધાન યુધ્ધ અને પોતાના વિસ્તાર વજીરીસ્તાન અને સ્વાત ખીણમાં અમેરિકાના દબાણની લડાઈમાં ઝોકાયેલી પાકિસ્તાન સેના તેમાંથી છટકવાનો રસ્તો ઘણાં સમયથી શોધતી હતી.

અફધાન સરહદે પાકિસ્તાની સૈન્યના એક લાખ સૈનિકો તૈનાત હતા. પોતાના દ્વારા ઊભા કરાયેલા તાલિબાનો સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાની સેના ક્યારેય રાજી ન હતી. તેમ છતાં મુશર્રફે અમેરિકાના દબાણ તળે આ લડાઈમાં સેનાને વ્યસ્ત રાખી રહ્યાં હતા.

આમ તો પાકિસ્તાનને ચલાવે છે, આર્મી. જ્યારે આર્મી ચાલે છે, અમેરિકાના દોરીસંચારથી. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. પાકિસ્તાનને આર્મી ચલાવે છે, તે વાત સાચી, પણ પાકિસ્તાની સેનામાં પ્રભાવી થી રહેલા કટ્ટરપંથી તત્વોએ સેના પરનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે, જેની સાબિતી છે, મુંબઈ પરનો આતંકવાદી હુમલો.
ભારતીયતા અને ભારતના વિરોધ પર રચાયેલા પાકિસ્તાનને પોતાના અસ્તિત્વ માટે પણ ભારતવિરોધ ચાલુ રાખવો જરૂરી હોય તેમ લાગે છે. મુંબઈ પરના હુમલા પછી તત્કાલિન ભારતીય વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સહિત તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી હતી. સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર દબાણ કરવા કૂટનીતિક પ્રયત્નો આદર્યા હતા, જેના પરિણામે પાકિસ્તાને કેટલાંક આતંકવાદીઓને નજરબંધ કર્યા અને જમાત ઉદ દાવા પર નામ માત્રનો પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે પાકિસ્તાનની પોલ ત્યારે ખૂલી કે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ગુપ્તચર સંસ્થાના વડા લેફટનન્ટ જનરલ અહમદ પાશાને ભારત મોકલવા માટે સહમત થયેલી પાકિસ્તાની સરકાર જનરલ અશફાક પરવેઝ કિયાનીના ઈશારે પોતાના વચનમાંથી ફરી ગઈ હતી. પાકિસ્તાની સેનાએ તેમના દેશમાં રહેલા આતંકવાદના તંત્રને ખતમ કરવાની જગ્યાએ ભારતીય સરહદે સૈન્યનો ખડકલો કર્યો છે. અત્યારે ભારતીય સેનાની સાત કોર એટલે કે સાડા ત્રણ લાખ સૈનિકોનો ખડકલો કરાયો છે. તેની સાથે સાથે અફધાન સરહદે અમેરિકી અને નાટો સૈન્ય તથા તાલિબાનો વચ્ચે બફરનું કામ કરી રહેલી પાકિસ્તાની સેનાને પણ ભારત સરહદે ખસેડવામાં આવી હતી. ત્યારે તહેરિકે તાલિબાનના સરગના બૈતુલ્લાહ મહેસૂદે ભારત સામેના યુધ્ધમાં પાકિસ્તાની સેનાને સાથ આપવાની વાત કરી હતી. જેનાથી આઈએસઆઈ, પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી છે.

અત્યારે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાહતું નથી. કારણ કે તેનાથી વોર ઓન ટેરર નબળું પડે તેવી સંભાવના છે. જો કે પાકિસ્તાની સેના પોતાના હિત માટે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તે માટે વ્યૂહાત્મકપણે આગળ વધી રહી છે. પાકિસ્તાની સેનાનો પોતાનો એજન્ડા છે. તેની ઈચ્છા પાકિસ્તાન કે અન્ય આતંકી સંગઠનોનો નાશ કરવાની નથી. કેટલાક સમય પહેલા પાકિસ્તાનને નફરત કરનારી પાકિસ્તાની આવામ અત્યારની પરિસ્થિતિમાં સેનાની પડખે છે. પાકિસ્તાની સેના આ પરિસ્થિતિ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ સુધી ચાલુ રહે તેમ ઈચ્છે છે, કારણ કે તે સમયગાળા દરમિયાન અમેરિકામાં પ્રમુખ પદે બરાક હુસૈન ઓબામાની તાજપોશી થશે. અફધાન અને પાકિસ્તાન સંદર્ભે ઓબામાની નીતિઓનો ખુલાસો થશે. સાથે ભારતમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ હશે, તેમ છતાં બરાક ઓબામાના વિચારો સ્પષ્ટ છે. તેમણે પાકિસ્તાનને સૈન્ય સહાયતામાં કાપ મૂકવાના સંકેતો આપ્યા છે.

તો બીજી તરફ ભારત સરકારે વિદેશમાં નિયુક્ત રાજદૂતોની બેઠક બોલાવીને પાકિસ્તાનને બેનકાબ કરવા માટે ભારતના પક્ષમાં રણનીતિ બનાવી છે. આમ તો કૂટનીતિ વાંછિત પરિણામો મેળવવાનું યોગ્ય હથિયાર છે. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી યુધ્ધ સિવાયના અન્ય વિકલ્પોથી પરિણામ લાવવાનો પ્રયત્ન સારો છે. અત્યારે ભારતની પ્રાથમિકતા આર્થિક તાકાત બનવાની છે. ત્યારે નવ ટકાના વિકાસદરથી સાત ટકાના વિકાસદરે વૈશ્વિક મંદીના કારણે પહોંચેલા ભારત માટે યુધ્ધ આખરી વિકલ્પ હોય તે વાંછિત છે. જો કે ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ અને વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સમસ્યાનો ઉકેલ નથી કહીને પાકિસ્તાનને આતંકવાદી તંત્ર ખતમ કરવા કહ્યું છે. તેની સામે પાકિસ્તાની સેના યુધ્ધોન્માદ ફેલાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બંને દેશોના તણાવ તરફ ખેંચીને મુંબઈકાંડને ગૌણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

24મી ડિસેમ્બરે વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સને સત્તારૂઢ તત્વો(સેના અને આઈએસઆઈ)નું સમર્થન હોવાનું નિવેદન કર્યુ છે.
યુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ, યુધ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ જેવી ભાષા ભારતીય મિડિયા અને લોકો બોલી રહ્યાં છે. જો કે મુંબઈ પરનો આતંકવાદી હુમલથી ભારતને ઉશ્કેરી પાકિસ્તાની સેના પોતાના હિતો પાર પાડવા માગે છે. ભારતે મુંબઈ કાંડને પાકિસ્તાનના ટ્રેપ(છટકાં) તરીકે જોવો જોઈએ.

યુધ્ધની કહાનીઓ સારી હોય છે. યુધ્ધ નહીં.જો કે આપણી પાસેની મજબૂત સેના થકી આ વિકલ્પ ખુલ્લો છે. તો પરમાણુ શસ્ત્રો સહિતના તમામ વિકલ્પોને પણ પાકિસ્તાન સાથેના યુધ્ધમાં ખુલ્લા રાખવા પડશે. યુધ્ધથી ડરવાની જરૂર નથી, પણ તે પહેલાં તમામ વિકલ્પો અજમાવી લેવા જોઈએ.

પરમાણુ બોમ્બથી વિશ્વને બ્લેકમેઈલ કરવા નીકળેલું પાકિસ્તાન સુધરશે નહિ, તો તેને ખોખરું કરવું પડશે,પણ પાકિસ્તાન ઈચ્છે ત્યારે તેની વ્યૂહરચના પ્રમાણે ભારતે યુધ્ધ જેવા પગલાંથી બચવું જોઈએ. આર્થિકપણે કંગાળ પાકિસ્તાન સામે નિર્ણાયક યુધ્ધ લડવું જોઈએ, પણ તે ભારતની ઈચ્છા પ્રમાણે અને ભારતીય સેનાની વ્યૂહરચના સાથે.

ભારતે હવે અમેરિકા કે અન્ય કોઈ દેશ મદદે આવે તેની આશા રાખવી યોગ્ય નથી કાશ્મીર મુદ્દે સુરક્ષા પરિષદના કટુ અનુભવ પછી પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જવું કેટલું મદદગાર સાબિત થશે, તે કહેવું મુશ્કેલ છે. ઓબામાના વહીવટી તંત્ર સાથે ભારત સીટીબીટી, પર્યાવરણ, પરમાણુ સામગ્રી પ્રતિબંધ સંધિ મુદ્દે અલગ મત ધરાવે છે.

અંતે...........

યુધ્ધની તૈયારી શાંતિની ખાતરી હોય છે.