લેબલ તાલિબાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ તાલિબાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 27 જુલાઈ, 2012

પાકિસ્તાનમાં હિંદુ યુવકના ધર્માંતરણનું લાઈવ પ્રસારણ!


-આનંદ શુક્લ
ઈસ્લામના નામે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં ધર્મઝનૂની કટ્ટરપંથીઓ પાકિસ્તાની સેના, વહીવટી તંત્રથી માંડીને મીડિયા સુધીમાં છે. પાકિસ્તાનની એક ટેલિવિઝન ચેનલે એક હિંદુ યુવકના ઈસ્લામમાં ધર્માંતરીત થવાની ઘટનાને લાઈવ પ્રસારીત કરી. એટલું જ નહીં લાઈવ કવરેજ દરમિયાન ઉપસ્થિત ઓડિયન્સ પાસેથી પાકિસ્તાની ટેલિવિઝન ચેનલે ધર્માંતરીત થયેલા હિંદુ યુવક માટે મુસ્લિમ નામના સૂચનો પણ માંગ્યા. ઈસ્લામ સિવાયના લઘુમતીમાં રહેલા અન્ય તમામ ધર્મો સાથે પાકિસ્તાનમાં હીણપતભર્યું વર્તન આમ વાત છે. પરંતુ હવે ટેલિવિઝન ચેનલો પર ધર્માંતરણના લાઈવ પ્રસારણ કરીને હિંદુ સહીતના અન્ય લઘુમતી ધર્મો પ્રત્યે પાકિસ્તાની મીડિયાની અસંવેદનશીલતા છતી થાય છે.

આઝાદી વખતે ભારતમાંથી છૂટા પડેલા પશ્ચિમ પાકિસ્તાનમાં 14 ટકા હિંદુઓ હતા. જે આજે માત્ર 2 ટકાની અંદર સમેટાઈ ગયા છે. સિંધના નગરપારકર અને થરપારકર સહીતના કેટલાંક વિસ્તારોમાં તથા કરાચી અને હૈદરાબાદ જેવા શહેરોમાં હિંદુઓની વસ્તી સારાએવા પ્રમાણમાં છે. સિંઘ સિવાય બલુચિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં પણ પાંખી હિંદુ વસ્તી વસવાટ કરી રહી છે. પરંતુ પાકિસ્તાનમાં તાલિબાનના વધી રહેલા પ્રભાવમાં તેમની હાલત અન્ય લઘુમતી સમુદાયોમાં સૌથી વધારે કફોડી છે. સિંધમાં હિંદુ તબીબ ભાઈઓને એકસાથે ગોળીઓ ધરબી દેવાની ઘટના હજી તાજી છે. હિંદુ યુવતીઓના બળજબરીથી અપહરણ કરીને તેમને ધર્માંતરીત કરવાની ઘટનાઓ અવારનવાર બને છે. હિંદુ દલિત યુવક દ્વારા પરબ પર પાણી પીવાના પ્રશ્ને આખા સમુદાયની કત્લેઆમ કરવા માટે સ્થાનિક મુસ્લિમ કટ્ટરપંથીઓ તૈયાર થઈ જાય છે.

પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ અને શીખો મોટી સંખ્યામાં ભારતમાં આવવા ઈચ્છી રહ્યા છે, કારણ કે તેઓને તેમના હિંદુ અને શીખ હોવા માટે હીણપતનો સામનો કરવો પડે છે. બળજબરી, લાલચ, ભય, કપટ અથવા તેવા અન્ય કોઈ રસ્તે કરવામાં આવતું ધર્માંતરણ કોઈપણ જગ્યાએ અનૈતિક છે. ધર્મ વ્યક્તિના આત્મા કે રુહ સાથે જોડાયેલી અત્યંત વ્યક્તિગત બાબત છે. આવી બાબતોમાં વ્યક્તિ સ્વેચ્છાએ પૂર્ણ વિચાર કરીને કોઈ ધર્મ અંગીકાર કરે અથવા તેનો અનુયાયી બને, તો તેની સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ માત્ર પાકિસ્તાનના સ્થાનિક હિંદુઓને ડરાવવા અને તેમના ઉત્સાહને ઘટાડવા માટે મીડિયામાં રહેલા તાલિબાની તત્વો દ્વારા ધર્માંતરણનું લાઈવ પ્રસારણ કરવામાં આવે તો તેની ખરેખર ટીકા થવી જોઈએ.

પાકિસ્તાનમાં હિંદુઓ પર થઈ રહેલા અન્યાય અને અત્યાચાર બાબતે ભારત સરકારે પણ વિરોધ વ્યક્ત કરીને કૂટનીતિક પગલા લેવા જોઈએ. ભારત સરકારે પણ હિંદુ યુવકના ઈસ્લામ અંગીકાર કરવાની ઘટનાના લાઈવ પ્રસારણ બાબતે વાંધો ઉઠાવવો જોઈએ. હિંદુ યુવકના ધર્માંતરણના લાઈવ કવરેજથી પાકિસ્તાનમાં હિંદુઓ સાથે તાલિબાની તત્વો કેવો વ્યવહાર કરતા હશે તેની વાત ખુલી ચુકી છે. અત્યાર સુધીના ધર્માંતરણોની માત્ર ચર્ચા અને અખબારી અહેવાલો જ આવતા હતા અને હવે તેના ટેલિવિઝન પર લાઈવ પ્રસારણથી તાલિબાની તત્વોના પાકિસ્તાનમાં હોંસલા બુલંદ થઈ જશે. તેમને હિંદુઓના વધુ મોટા પ્રમાણમાં સામુહિક જાહેર ધર્માંતરણો કરવા માટે પ્રોત્સાહન મળશે. પાકિસ્તાનમાં તાલિબાનીઓના કટ્ટરપંથી ખેલમાં ત્યાંનું મીડિયા પણ સામેલ થઈને આવા શોના પ્રસારણો કરવા માટે સ્પર્ધા કરશે.

પાકિસ્તાનના ઈસ્લામિક સમાજની માનસિકતા અને તેમની ગંદી સોચ હિંદુ યુવકના ધર્માંતરણના લાઈવ પ્રસારણમાં પ્રતિબિંબિત થઈ રહી છે. પાકિસ્તાનના અગ્રણી અંગ્રેજી અખબાર ડૉને આ ઘટનાના વિરોધમાં તંત્રીલેખ લખ્યો છે. પરંતુ પાકિસ્તાનમાં આધુનિક, ઉદારવાદી અને સહિષ્ણુતાની ભાવના ધરાવતા લોકોની ઘણી અછત છે. તેઓ અહીં લઘુમતીમાં છે અને તાલિબાની વિચારધારામાં માનનારા તથા તેના પ્રત્યે ઝુકાવ રાખનારાઓની સંખ્યા ઘણી વધારે છે. પાકિસ્તાનની આવી ઘટનાના પડઘા ભારતમાં પણ પડી શકે છે, કારણ કે એક તરફના કટ્ટરપંથને જોઈને ભારતમાં પણ પ્રતિકાર સ્વરૂપે કટ્ટરપંથ પેદા થઈ રહ્યો છે. આજે કટ્ટરપંથના દેશની રાજનીતિમાં પ્રભાવી બન્યાના બે દાયકા બાદ પાકિસ્તાની તાલિબાની માનસિકતાના કટ્ટરપંથની ભારતમાં પણ પ્રતિક્રિયા ઉભી થઈ શકે છે. આમ ન બને તેના માટે ભારત સરકારે પાકિસ્તાન પર આવી ઘટનાઓ રોકવા માટે દબાણ બનાવવું પડશે. 

સોમવાર, 24 ઑક્ટોબર, 2011

પાકિસ્તાનની અમેરિકાને ધમકી: વિનાશકાળે વિપરીત બુદ્ધિ!


-આનંદ શુક્લ

9/11ના ભીષણ આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ઓક્ટોબર-2001માં અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ યુદ્ધના નામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. આ દશ વર્ષોમાં અમેરિકાએ અફઘાનિસ્તાન યુદ્ધમાં તાલિબાનો અને અલ કાયદાના ખાત્મા માટે અબજો ડોલરનો ધુમાડો કર્યો છે. પાકિસ્તાનને પણ આતંકવાદના યુદ્ધમાં પોતાના સામરીક સાથીદાર ગણાવીને કરોડો અબજ ડોલરની સૈન્ય સહાયતા કરી છે. અમેરિકાના અબજો ડોલરના ધુમાડા છતાં હજી અફઘાનિસ્તાનમાં તાલિબાની નેટવર્ક સાબૂત છે. તો પાકિસ્તાને પણ અમેરિકી સૈન્ય સહાયતાનો ભારત પર લશ્કરી સરસાઈ સ્થાપવા માટે જ ઉપયોગ કર્યો છે. આમ તો અમેરિકાને પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં ભારત તરફથી સૈન્ય કાર્યવાહીનો ભય દેખાડીને બ્લેક મેઈલિંગ કરતું હતું. 26/11ના મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદેથી પોતાના એક લાખ સૈનિકોને ભારત સાથે યુદ્ધની સંભાવના દેખાડીને પોતાની પૂર્વ સરહદે ખસેડવાની ધમકી આપી હતી.

ભારતે પાકિસ્તાનને આતંકવાદી સમસ્યાનું મૂળ કહ્યું છે. ભારતના ઘણાં રાજકારણીઓ પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરાવવા માટેની પેરવી કરી રહ્યાં છે. પરંતુ ત્યારે અમેરિકા પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં પોતાનું મજબૂત સાથીદાર ગણાવીને આવી તમામ દલીલોને નજરઅંદાજ કરતું આવ્યું છે. અમેરિકાને હવે આતંકવાદ વિરુદ્ધના યુદ્ધના એક દશકા બાદ ખબર પડી છે કે સમસ્યા તો પાકિસ્તાનમાં છે. અમેરિકાએ પાકિસ્તાનના ઉત્તરી વજીરીસ્તાન ખાતેથી ઉબાડિયા કરતાં હક્કાની નેટવર્કને ખતમ કરવા માટે પાકિસ્તાનને તાકીદ કરી છે. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે જો પાકિસ્તાન હક્કાની નેટવર્કને ખતમ નહીં કરે તો પછી તેઓ ઉત્તરી વજીરીસ્તાનમાં એકતરફી લશ્કરી કાર્યવાહી કરીને હક્કાની નેટવર્કને ખતમ કરશે. પરંતુ આતંકવાદને રાજકીય અને સામરીક હથિયાર તરીકે ઉપયોગ કરતાં પાકિસ્તાનની સેનાના વડા જનરલ કયાની હક્કાની નેટવર્કને રણનીતિક સંપત્તિ માની રહ્યા છે. પાકિસ્તાની કટ્ટરપંથીઓ 2014ની રાહ જોઈ રહ્યાં છે, જ્યારે અમેરિકી અને નાટો દળોની અગ્રિમ પંક્તિના સૈનિકો અફઘાનિસ્તાન છોડી દેશે. પાકિસ્તાની જનરલને લાગે છે કે ત્યારે હક્કાની નેટવર્ક જેવાની મદદથી તે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે.

છેલ્લા કેટલાંક મહીનાઓથી પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો ઘણાં કથળ્યા છે. અમેરિકા પોતાના સૈનિકોને ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની નેટવર્ક સામે ટકરાવા માટે તૈયાર કરી રહ્યું છે. અમેરિકાનું દ્રઢપણે માનવું છે કે હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રયાસોને ધક્કો પહોંચાડી રહ્યું છે. અમેરિકી ગુપ્તચર સંસ્થાનું માનવું છે કે કાબુલના અમેરિકી દૂતાવાસ પર હુમલા માટે હક્કાની નેટવર્ક જ જવાબદાર છે. આથી અમેરિકા હક્કાની નેટવર્કને તેના દુસ્સાહસની સજા આપવા માટે પાકિસ્તાન પર તેમની વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી માટે દબાણ બનાવી રહ્યું છે. જો કે પાકિસ્તાની સેના હક્કાની નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છતી નથી. તેના બે અનિવાર્ય કારણો છે.

પાકિસ્તાની સેના થોડા વર્ષો પહેલા વજીરીસ્તાનમાં તાલિબાન સામેની લડાઈમાં પરાજીત થઈ હતી. પાકિસ્તાની સેના માટે આ અપમાનજનક સ્થિતિ હતી. પાકિસ્તાની સેનાને અનિચ્છાએ ક્ષેત્રમાં તાલિબાની વર્ચસ્વ પણ સ્વીકારવું પડયું છે. આથી પાકિસ્તાની સેના ફરીથી તાલિબાની નેટવર્ક સામે લડીને પોતાની વધારે ફજેતી કરાવવા ઈચ્છતી નથી. વળી આ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાનમાં સૈન્ય પ્રતિષ્ઠાનો અને સરકારી મશીનરી વિરુદ્ધ તાલિબાની કાર્યવાહી તેજ થવાનો ખતરો પણ છે. બીજી તરફ જનરલ કયાની ભવિષ્યમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે હક્કાની નેટવર્કનો ઉપયોગ કરવા માટે તલપાપડ છે. ત્યારે અમેરિકા હક્કાની નેટવર્કને આઈએસઆઈની સેના કહી રહ્યું છે, તે અનાયાસ નથી.

કથિત સીઆઈએ એજન્ટ રેમન્ડ ડેવિસની પાકિસ્તાનમાં ધરપકડ બાદ અમેરિકા અને પાકિસ્તાનના સામરીક સંબંધોમાં ઓટની સ્થિતિ સર્જાઈ હતી. રેમન્ડ ડેવિસ પર બે પાકિસ્તાનીઓના ખૂનનો આરોપ હતો. અમેરિકા ઘણી સમજૂતી બાદ તેને પાકિસ્તાનથી મુક્ત કરાવી શક્યું. આ ઘટના પછી અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે કે આખરે પાકિસ્તાન પર કેટલો ભરોસો કરી શકાય? ત્યાર બાદ મે-2011માં અમેરિકાની સ્પેશ્યલ ફોર્સે પાકિસ્તાની રાજધાની ઈસ્લામાબાદ નજીક એબટાબાદમાં આતંકના સરગના અલકાયદાના સુપ્રિમો ઓસામા બિન લાદેનને એક ગુપ્ત ઓપરેશનમાં ખતમ કર્યો. આ ઓપરેશનમાં પાકિસ્તાન અપમાનિત તો થયું, સાથે તેના જૂઠ્ઠાણાં પણ બેનકાબ થયા. આ નિરાશામાં પાકિસ્તાની સેના સાબિત કરવા મથી રહી છે કે હજી પણ તે પોતાના દેશની સુરક્ષા કરવા માટે સક્ષમ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ તાનાશાહ જનરલ મુશર્રફે ઓસામા બિન લાદેન સામેની અમેરિકી કાર્યવાહીને પાકિસ્તાનના સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો હતો. પાકિસ્તાની સેના દેશવાસીઓ વચ્ચે પોતાનો સિક્કો જમાવવા માટે છેલ્લા છ માસથી અમેરિકા સામે આકરું વલણ દર્શાવી રહી છે.

પાકિસ્તાની સેના પોતાના કથિત છાપ અને શાખ બચાવવા માટે હવાતિયાં મારી રહી છે. અમેરિકાની સંભવિત એકતરફી લશ્કરી કાર્યવાહીનો મુકાબલો કરવા માટે પાકિસ્તાની જનરલે કડક નિવેદન આપીને તેની સાબિતી પણ આપી દીધી છે. અમેરિકાને આપવામાં આવેલી જનરલ કયાનીની ચેતવણીના અર્થો પાકિસ્તાનતી વધારે સારી રીતે અન્ય કોઈ જાણી શકે તેમ નથી. કયાનીનું નિવેદન દુસ્સાહસની પરાકાષ્ઠા છે. જનરલ ક્યાનીએ નિવેદન આપ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાન સામે એક તરફી લશ્કરી કાર્યવાહી કરતાં પહેલા દશ વખત વિચારવું જોઈએ, કારણ કે પાકિસ્તાન ઈરાક અથવા અફઘાનિસ્તાન નથી. પાકિસ્તાન પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે. પરંતુ હકીકત એ છે કે જો અમેરિકા પોતાનો સંયમ ગુમાવી દેશે, તો પાકિસ્તાન પાસે કોઈ મોકો રહેવાનો નથી. પાકિસ્તાનને અમેરિકાનો ગુસ્સો ઈરાક અથવા અફઘાનિસ્તાનથી પણ બદતર સ્થિતિમાં પહોંચાડી શકે છે. વળી પાકિસ્તાનના જનરલ કયાનીએ યાદ રાખવું જોઈએ કે જ્યોર્જ બુશના કાર્યકાળ દરમિયાન રિચર્ડ આર્મિટેજે 9/11 બાદ અલકાયદાનો પક્ષ તાણી રહેલા જનરલ મુશર્રફને કડક ચેતવણી આપી હતી અને તેના કારણે પાકિસ્તાનને તાલિબાનો સાથે પોતાના દશકો જૂનાં સંબંધો ખતમ કરીને અફઘાનિસ્તાનમાં પોતાની વિદેશ નીતિ બદલવા માટે મજબૂર થવું પડયું હતું.

પાકિસ્તાન ફરીથી પોતાની મર્યાદાઓ ઓળંગી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાની સેનાના કેટલાંક મઠાધીશો માની બેઠા છે કે અમેરિકા સાથે ક્યારેય અથડામણ થવાની નથી. પરંતુ અમેરિકાને પોતાની પરમાણુ ક્ષમતાની ધમકી આપનારી પાકિસ્તાની સેનાએ સમજી લેવું જોઈએ કે અમેરિકા ભારત નથી. માની લો કે અફઘાન-પાક સીમા પર અમેરિકી સૈનિકો પર પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે, તો શું વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઘટનાનો બદલો લેવા માટે અફઘાનિસ્તાન સુધી દોડી આવનાર અમેરિકા પાકિસ્તાનને પાસરું કરવામાં કોઈ કચાશ ચોડશે? આવી પરિસ્થિતિમાં કદાચ પાકિસ્તાનનું નામોનિશાન મટી જાય તે હદે પણ અમેરિકા જઈ શકે છે. ક્રિયા અને પ્રતિક્રિયાના પાયાના સિદ્ધાંતથી પાકિસ્તાની જનરલ સારી રીતે વાકેફ છે. ભારત પર નિશાન સાધવા માટે આતંકવાદી જૂથોનો ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન ભારતના વાણીશૂરા રાજનેતાઓને સારી રીતે જાણે છે. તેના કારણે તેઓ સંસદ પર હુમલો અને મુંબઈ હુમલા જેવાં જઘન્ય આતંકીકાંડ કર્યા પછી પણ શાંતિથી સોડ તાણી શકે છે. પરંતુ પાકિસ્તાન અમેરિકા સાથે ભારત જેવો વ્યવહાર કરશે, તો અમેરિકા પાકિસ્તાનના આવા તત્વોને સદા માટે સુવડાવી દેશે. વળી ભારત પાકિસ્તાન પડોશી દેશો છે અને અમેરિકા પાકિસ્તાનથી 5 હજાર કિલોમીટર દૂર છે. ત્યાં સુધી પાકિસ્તાનના પરમાણુ હથિયાર પહોંચી શકે તેમ નથી. આવા સંજોગોમાં પાકિસ્તાનના પરમાણુ હથિયાર વાપરવાના કોઈપણ ઉબાડિયાંથી પાકિસ્તાનના અસ્તિત્વ સામે અમેરિકા બહુ મોટા જોખમો ઉભા કરવા માટે સક્ષમ છે.

તાલિબાનો સાથેની જુગલબંધી પાકિસ્તાનના અસ્તિત્વ માટે હવે સૌથી મોટું જોખમ છે. લશ્કરે તોઈબા પણ હવે પાકિસ્તાન વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને લશ્કરે તોઈબાને પાળ્યું-પોષ્યું છે અને તેના હિતોને આગળ વધાર્યા છે. અમેરિકા સામે પરમાણુ હથિયાર વાપરવાની ધમકી આપ્યા બાદ પણ પાકિસ્તાની જનરલ આવી કોઈ ગુસ્તાખી કરે તેવા પાગલ નથી. કારણ કે અમેરિકા પાકિસ્તાન સાથે સરહદો ધરાવતો દેશ નથી. વળી છેલ્લા કેટલાંક સમયથી પરિસ્થિતિએ કરવટ બદલી છે, ત્યારથી એક વાત સ્પષ્ટ બની છે કે અમેરિકા પોતાના સામરીક હિતોને ધ્યાનમાં રાખીને લાંબો સમય સુધી ધીરજ રાખવાની ભૂલ કરવા તૈયાર નથી. તેવા સંજોગોમાં પાકિસ્તાનની અક્કડ રહેવાની ગુસ્તાખી તેને ભારે પડી શકે તેમ છે.

તાજેતરમાં અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ હામિદ કરજાઈએ કહ્યું છે કે પાકિસ્તાન પર કોઈપણ દેશ હુમલો કરશે, તો તેવી પરિસ્થિતિમાં તે પાકિસ્તાનો સાથે આપશે. પરંતુ હકીકત એ છે કે હામિદ કરજાઈ અમેરિકા અને નાટો દળોની પરવાનગી વગર પાંદડુ પણ હલાવી શકે તેમ નથી. વળી લીબિયામાં નાટો દળોની મદદથી તાનાશાહ કર્નલ મુઅમ્મર ગદ્દાફીના 42 વર્ષના શાસનનો અમેરિકાના દોરીસંચારથી અંત આવ્યો છે. ત્યારે પાકિસ્તાન દ્વારા અમેરિકાને આંકવામાં ભૂલ કરવી ભારે પડી શકે તેમ છે.

શનિવાર, 28 મે, 2011

પાકિસ્તાન સામે યુધ્ધ: ભારત ઈચ્છે ત્યારે, પોતીકી વ્યૂહરચનાથી


(પ્રકાશન 9મી જાન્યુઆરી, 2009ના ગુજરાત ટાઈમ્સના અંકના પૃ.નં.-2 પર)

યુધ્ધોન્મત પાકિસ્તાન યુધ્ધોન્માદ ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર કરીને વિશ્વનું ધ્યાન આતંકવાદની મૂળ સમસ્યાથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મુંબઈ પરત્વે આતંકવાદીહુમલો પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની રહેમનજર હેઠળ લશ્કરે તોઈબા દ્વારા કરવામાં આવ્યો હોવાનું સર્વવિદિત છે. કેટલાંક સમય પહેલા ભારત સાથે શાંતિવાર્તાની રમત રમનાર પાકિસ્તાન નાગરિક સરકાર આવ્યા બાદ ભારત માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફની વિદાય પછી સત્તા પર આવેલી નાગરિક સરકારનો પાકિસ્તાની સેના કે આઈએસઆઈ પર કોઈ કાબૂ નથી. મુંબઈ પરનો આતંકવાદી હુમલો અને તેની પેટર્ન તેનું ઉદાહરણ છે.

કારગિલ યુધ્ધ જેવું ઊંબાડિયું કરી ચૂકેલું પાકિસ્તાન મુંબઈ હુમલા દ્વારા ભારતને યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરવા માટે વ્યવસ્થિતપણે ઉશ્કેરી રહ્યું છે. મુંબઈ હુમલો થવા દેવા પાછળ પાકિસ્તાની સૈન્યની ભૂમિકા તપાસવા જેવી છે. અફધાન યુધ્ધ અને પોતાના વિસ્તાર વજીરીસ્તાન અને સ્વાત ખીણમાં અમેરિકાના દબાણની લડાઈમાં ઝોકાયેલી પાકિસ્તાન સેના તેમાંથી છટકવાનો રસ્તો ઘણાં સમયથી શોધતી હતી.

અફધાન સરહદે પાકિસ્તાની સૈન્યના એક લાખ સૈનિકો તૈનાત હતા. પોતાના દ્વારા ઊભા કરાયેલા તાલિબાનો સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાની સેના ક્યારેય રાજી ન હતી. તેમ છતાં મુશર્રફે અમેરિકાના દબાણ તળે આ લડાઈમાં સેનાને વ્યસ્ત રાખી રહ્યાં હતા.

આમ તો પાકિસ્તાનને ચલાવે છે, આર્મી. જ્યારે આર્મી ચાલે છે, અમેરિકાના દોરીસંચારથી. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. પાકિસ્તાનને આર્મી ચલાવે છે, તે વાત સાચી, પણ પાકિસ્તાની સેનામાં પ્રભાવી થી રહેલા કટ્ટરપંથી તત્વોએ સેના પરનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે, જેની સાબિતી છે, મુંબઈ પરનો આતંકવાદી હુમલો.
ભારતીયતા અને ભારતના વિરોધ પર રચાયેલા પાકિસ્તાનને પોતાના અસ્તિત્વ માટે પણ ભારતવિરોધ ચાલુ રાખવો જરૂરી હોય તેમ લાગે છે. મુંબઈ પરના હુમલા પછી તત્કાલિન ભારતીય વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સહિત તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી હતી. સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર દબાણ કરવા કૂટનીતિક પ્રયત્નો આદર્યા હતા, જેના પરિણામે પાકિસ્તાને કેટલાંક આતંકવાદીઓને નજરબંધ કર્યા અને જમાત ઉદ દાવા પર નામ માત્રનો પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે પાકિસ્તાનની પોલ ત્યારે ખૂલી કે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ગુપ્તચર સંસ્થાના વડા લેફટનન્ટ જનરલ અહમદ પાશાને ભારત મોકલવા માટે સહમત થયેલી પાકિસ્તાની સરકાર જનરલ અશફાક પરવેઝ કિયાનીના ઈશારે પોતાના વચનમાંથી ફરી ગઈ હતી. પાકિસ્તાની સેનાએ તેમના દેશમાં રહેલા આતંકવાદના તંત્રને ખતમ કરવાની જગ્યાએ ભારતીય સરહદે સૈન્યનો ખડકલો કર્યો છે. અત્યારે ભારતીય સેનાની સાત કોર એટલે કે સાડા ત્રણ લાખ સૈનિકોનો ખડકલો કરાયો છે. તેની સાથે સાથે અફધાન સરહદે અમેરિકી અને નાટો સૈન્ય તથા તાલિબાનો વચ્ચે બફરનું કામ કરી રહેલી પાકિસ્તાની સેનાને પણ ભારત સરહદે ખસેડવામાં આવી હતી. ત્યારે તહેરિકે તાલિબાનના સરગના બૈતુલ્લાહ મહેસૂદે ભારત સામેના યુધ્ધમાં પાકિસ્તાની સેનાને સાથ આપવાની વાત કરી હતી. જેનાથી આઈએસઆઈ, પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી છે.

અત્યારે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાહતું નથી. કારણ કે તેનાથી વોર ઓન ટેરર નબળું પડે તેવી સંભાવના છે. જો કે પાકિસ્તાની સેના પોતાના હિત માટે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તે માટે વ્યૂહાત્મકપણે આગળ વધી રહી છે. પાકિસ્તાની સેનાનો પોતાનો એજન્ડા છે. તેની ઈચ્છા પાકિસ્તાન કે અન્ય આતંકી સંગઠનોનો નાશ કરવાની નથી. કેટલાક સમય પહેલા પાકિસ્તાનને નફરત કરનારી પાકિસ્તાની આવામ અત્યારની પરિસ્થિતિમાં સેનાની પડખે છે. પાકિસ્તાની સેના આ પરિસ્થિતિ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ સુધી ચાલુ રહે તેમ ઈચ્છે છે, કારણ કે તે સમયગાળા દરમિયાન અમેરિકામાં પ્રમુખ પદે બરાક હુસૈન ઓબામાની તાજપોશી થશે. અફધાન અને પાકિસ્તાન સંદર્ભે ઓબામાની નીતિઓનો ખુલાસો થશે. સાથે ભારતમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ હશે, તેમ છતાં બરાક ઓબામાના વિચારો સ્પષ્ટ છે. તેમણે પાકિસ્તાનને સૈન્ય સહાયતામાં કાપ મૂકવાના સંકેતો આપ્યા છે.

તો બીજી તરફ ભારત સરકારે વિદેશમાં નિયુક્ત રાજદૂતોની બેઠક બોલાવીને પાકિસ્તાનને બેનકાબ કરવા માટે ભારતના પક્ષમાં રણનીતિ બનાવી છે. આમ તો કૂટનીતિ વાંછિત પરિણામો મેળવવાનું યોગ્ય હથિયાર છે. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી યુધ્ધ સિવાયના અન્ય વિકલ્પોથી પરિણામ લાવવાનો પ્રયત્ન સારો છે. અત્યારે ભારતની પ્રાથમિકતા આર્થિક તાકાત બનવાની છે. ત્યારે નવ ટકાના વિકાસદરથી સાત ટકાના વિકાસદરે વૈશ્વિક મંદીના કારણે પહોંચેલા ભારત માટે યુધ્ધ આખરી વિકલ્પ હોય તે વાંછિત છે. જો કે ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ અને વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સમસ્યાનો ઉકેલ નથી કહીને પાકિસ્તાનને આતંકવાદી તંત્ર ખતમ કરવા કહ્યું છે. તેની સામે પાકિસ્તાની સેના યુધ્ધોન્માદ ફેલાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બંને દેશોના તણાવ તરફ ખેંચીને મુંબઈકાંડને ગૌણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

24મી ડિસેમ્બરે વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સને સત્તારૂઢ તત્વો(સેના અને આઈએસઆઈ)નું સમર્થન હોવાનું નિવેદન કર્યુ છે.
યુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ, યુધ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ જેવી ભાષા ભારતીય મિડિયા અને લોકો બોલી રહ્યાં છે. જો કે મુંબઈ પરનો આતંકવાદી હુમલથી ભારતને ઉશ્કેરી પાકિસ્તાની સેના પોતાના હિતો પાર પાડવા માગે છે. ભારતે મુંબઈ કાંડને પાકિસ્તાનના ટ્રેપ(છટકાં) તરીકે જોવો જોઈએ.

યુધ્ધની કહાનીઓ સારી હોય છે. યુધ્ધ નહીં.જો કે આપણી પાસેની મજબૂત સેના થકી આ વિકલ્પ ખુલ્લો છે. તો પરમાણુ શસ્ત્રો સહિતના તમામ વિકલ્પોને પણ પાકિસ્તાન સાથેના યુધ્ધમાં ખુલ્લા રાખવા પડશે. યુધ્ધથી ડરવાની જરૂર નથી, પણ તે પહેલાં તમામ વિકલ્પો અજમાવી લેવા જોઈએ.

પરમાણુ બોમ્બથી વિશ્વને બ્લેકમેઈલ કરવા નીકળેલું પાકિસ્તાન સુધરશે નહિ, તો તેને ખોખરું કરવું પડશે,પણ પાકિસ્તાન ઈચ્છે ત્યારે તેની વ્યૂહરચના પ્રમાણે ભારતે યુધ્ધ જેવા પગલાંથી બચવું જોઈએ. આર્થિકપણે કંગાળ પાકિસ્તાન સામે નિર્ણાયક યુધ્ધ લડવું જોઈએ, પણ તે ભારતની ઈચ્છા પ્રમાણે અને ભારતીય સેનાની વ્યૂહરચના સાથે.

ભારતે હવે અમેરિકા કે અન્ય કોઈ દેશ મદદે આવે તેની આશા રાખવી યોગ્ય નથી કાશ્મીર મુદ્દે સુરક્ષા પરિષદના કટુ અનુભવ પછી પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જવું કેટલું મદદગાર સાબિત થશે, તે કહેવું મુશ્કેલ છે. ઓબામાના વહીવટી તંત્ર સાથે ભારત સીટીબીટી, પર્યાવરણ, પરમાણુ સામગ્રી પ્રતિબંધ સંધિ મુદ્દે અલગ મત ધરાવે છે.

અંતે...........

યુધ્ધની તૈયારી શાંતિની ખાતરી હોય છે.

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2009

સ્વાત ઘાટી: તાલિબાનો સામે ઝરદારીનું આત્મસમર્પણ

એક તરફ અમેરિકા અને નાટો દેશોની સેનાઓ અફધાનિસ્તાનમાં વિશ્વ માટે ખતરારૂપ તાલિબાનો અને અલકાયદા સામે જંગ ખેલી રહી છે. તો બીજી તરફ આતંકવાદ સામેના યુધ્ધમાં અમેરિકાના મિત્ર ગણાતા પાકિસ્તાને તાલિબાનો સામે ઘૂંટણિયા ટેકવીને સંઘિ કરી છે. નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ એટલે કે NWFPની પ્રાંતિય સરકાર અને તહેરિક-એ-નિફાઝ-એ-શરિયત-એ-મહોમ્મદી(ટીએનએસએમ) સાથે સંઘિ કરીને સ્વાત ઘાટીમાં શરિયત લાગુ કરતા કાયદાને મંજૂરી આપી હતી. જેના કારણે તાલિબાનોએ પાકિસ્તાની સેના સામે અનિશ્ચિત સમય માટે યુધ્ધવિરામ જાહેર કર્યો હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ચીન યાત્રા પહેલા જ તાલિબાનોએ અપહ્રત ચીની ઈજનેરને મુક્ત કર્યો હતો. જેના પગલે પાકિસ્તાની સરકારે પણ કેટલાંક આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. તે સાથે એનડબલ્યુએફપીના મુખ્યપ્રધાન આમીર હૈદરખાન હોતીએ જણાવ્યું હતું કે “સેના અને અન્ય સુરક્ષાદળો પ્રોએકટીવ મોડમાંથી રીએકટીવ મોડમાં આવી જશે.” એટલે કે તાલિબાનો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. માત્ર તાલિબાનોની સશસ્ત્ર કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાન સરકારના આ પગલાંને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો આત્મસમર્પણ ગણાવતા હતા. કારણ કે મલકંદ ડિવિઝન અને કોહીસ્તાન જિલ્લામાં નિઝામે અદ્દલ રેગ્યુલેશન (એમેન્ડેડ) એક્ટ,2009 લાગુ થયા બાદ તાલિબાનોની સત્તાને વાસ્તવિક સ્વીકૃતિ પણ મળી ગઈ હતી. સ્વાત, બુનૈર, શાંગલા, દીર અપર, દીર લોઅર, ચિત્રાલ અને મલકંદ નામના સાત જિલ્લાના મલકંદ ડિવિઝન તથા કોહીસ્તાનના હઝરા ડિવિઝનમાં શરિયતનો અમલ ચાલુ થઈ ગયો હતો. જેના પગલે આ સમગ્ર ક્ષેત્રમાં 200 જેટલી કન્યાશાળાઓ ધ્વસ્ત કરાઈ હતી. ઈસ્લામિક કાયદાઓ પાળવા, પુરૂષોને દાઢી રાખવાનું ફરમાન પણ કરાયું છે. તાલિબાની ફરમાનોનો ભંગ કરનારને મોત સુધીની ભયાનક સજાઓ આપવામાં આવે છે.
પાકિસ્તાન અને અફધાનિસ્તાન માટે અમેરિકાના વિશેષ દૂત રિચર્ડ હોલબ્રુકે તાલિબાનો સાથેની સંઘિ સંદર્ભે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. નવી દિલ્હી ખાતે તત્કાલીન વિદેશ પ્રધાન પ્રણવ મુખર્જી સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે આઝાદીના સાઈઠ વર્ષ બાદ તમારો દેશ(ભારત) પાકિસ્તાન અને અમેરિકા-એક સમાન શત્રુનો સામનો કરી રહ્યાં છે. આ સમાન શત્રુ આપણાં લોકો માટે જોખમકારક છે. તેમણે નિવેદનમાં મઝહબી કટ્ટર તાલિબાનો સંદર્ભે સ્પષ્ટ સંકેત કર્યો હતો. તો બીજી તરફ જાપાન પ્રવાસે ગયેલા અમેરિકી વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે અમારું માનવું છે કે પાકિસ્તાનના ઉગ્રવાદી તત્વોની સક્રિયતા પાકિસ્તાની સરકાર સાથે અમેરિકા અને અન્ય અનેક રાષ્ટ્રોની સુરક્ષા માટે ખતરારૂપ છે. અમેરિકી કોંગ્રેસને પોતાના પ્રથમ સંબોધનમાં ઓબામાએ અફધાન અને પાકિસ્તાનના ઉગ્રવાદી તત્વો સાથે કડક વલણ અખત્યાર કરતાં નવી નીતિઓ ઘડવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. આ સિવાય અફધાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનો સામે લડવા માટે વધુ સત્તર હજાર સૈનિકો મોકલવાની ઓબામાએ પહેલેથી જાહેરાત પણ કરી હતી. જો કે ઓબામાએ થોડા વખત પહેલા જણાવ્યું હતું કે તાલિબાની સમસ્યાઓનો ઉકેલ માત્ર યુધ્ધ દ્વારા લાવવો શક્ય નથી.
વિશ્વ માટે જોખમી બનેલા તાલિબાનો સામે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ એક અમેરિકી ચેનલ સાથેની મુલાકાતમાં પોતાની લાચારી દર્શાવી ચૂક્યા છે. ઝરદારીએ સ્વીકાર્યુ હતું કે તેમનો દેશ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. ઝરદારીએ ઉમેર્યું હતું કે અફધાનિસ્તાન સરહદે આતંકવાદ વિરુધ્ધના યુધ્ધમાં પાકિસ્તાની સેનાએ સરકારને સાથ આપ્યો ન હોત તો, તાલિબાનો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ગયા હોત. આમ તો આ સમગ્ર પ્રકરણની શરૂઆત 2007માં લાલમસ્જિદ સામેની મુશર્રફની લશ્કરી કાર્યવાહીથી થઈ હતી. તાલિબાનોનો પ્રભાવ અફધાન-પાક. સરહદ, સ્વાત, વજીરીસ્તાન, બલુચિસ્તાન, એનડબલ્યુએફપી, ફાટા, કરાંચી અને પંજાબ સહિતના પ્રાંતોમાં વધી રહ્યો છે. પેશાવરમાં તાલિબાનોની સ્થિતિ અત્યંત મજબૂત છે, અત્રે મહત્વપૂર્ણ છે કે પેશાવરમાં 15,000થી વધારે પાકિસ્તાની સૈનિકો તેનાત છે. ઈસ્લામાબાદથી માત્ર 160 કિલોમીટર દૂર સ્વાત ઘાટીમાં પાકિસ્તાન સામે ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યું છે. સામરિક બાબતોના નિષ્ણાતોના મતે પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ 1971 કરતાં પણ વધારે ખતરનાક છે.
પાકિસ્તાનમાં જનતા અમેરિકા વિરોધી છે. અમેરિકી મિસાઈલ હુમલા અને હવાઈહુમલાને કારણે પરિસ્થિતિ વધારે બગડી રહી છે. અમેરિકા સામે ઘૂંટણિયા ટેકવીને પાકિસ્તાનના સાર્વભોમત્વનો સોદો થયાની આશંકા સાથે સેંકડો પાકિસ્તાનીઓ સડકો પર પણ ઉતર્યા હતા. તેમણે ઝરદારી અને પાકિસ્તાન સરકાર વિરુધ્ધ પ્રદર્શનો પણ કર્યા હતા. તો બીજી તરફ ફઝલુલ્લાહ અને બૈતુલ્લાહ મૈસુદની આગેવાનીમાં લડી રહેલા તહેરીકે તાલિબાન સામેની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને એડી ચોટીનું જોર લગાવવું પડયું હતું. છતાં તેઓ બૈતુલ્લાહના મોતની ખબરો બાદ પણ કાબૂમાં આવ્યા નથી. જો કે આ જ તહેરીકે તાલિબાને મુંબઈ હુમલા બાદ પાકિસ્તાની સેના સાથે મળીને ભારતનો મુકાબલો કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે તાલિબાન, પાકિસ્તાની સેના અને આઈએસઆઈની સાંઠગાંઠ હોવાની વાત પૂરવાર થાય છે. તેથી જ તો અમેરિકામાં બુશ વહીવટી તંત્રના ગયા બાદ તાલિબાનો સાથે આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાના દબાણને કારણે પાકિસ્તાની સરકારે સંઘિ કરી હોવાનો અલગ મત પ્રવર્તે છે. તો બીજી તરફ પાકિસ્તાની સેનામાં કટ્ટરપંથીઓ પ્રભાવી બની રહ્યાં છે. જેના કારણે અમેરિકા સામે પણ પાકિસ્તાની સેનામાં વિરોધી વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. પાકિસ્તાની સેનાના 20 ટકા પખ્તૂન અધિકારીઓ પખ્તૂનો સામેની કાર્યવાહીથી નારાજ છે. જેના કારણે પાકિસ્તાનની નીતિ ચીન તરફી બનતી જાય છે. જેના સંકેતો પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ચીન યાત્રા દ્વારા મળ્યા હતા. ઝરદારીએ કહ્યું હતું કે ચીન એશિયાઈ દેશો વચ્ચેના વિવાદોના ઉકેલ માટે ભૂમિકા નીભાવે. જો કે ઝરદારીએ ભારતનું નામ લીધું ન હતું. પણ તેમનો ઉદેશ્ય સ્પષ્ટ હતો કે ભારત-પાકિસ્તાન વચ્ચેના વિભિન્ન મુદ્દાઓમાં ચીન મધ્યસ્થતા કરે. ઝરદારીએ ચીનને એશિયાઈ ખંડને ભૌગોલિક, આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ એક સૂત્રે બાંધનાર દેશ ગણાવ્યો હતો. જેથી સ્પષ્ટ સંકેત મળ્યા છે કે કટ્ટરપંથીઓના ચીન તરફી ઝુકાવને કારણે જ સરકાર પર ચીન તરફી વલણ પ્રભાવી બની રહ્યું છે.
તાલિબાની પ્રતિબંધિત સંસ્થા તહેરીકે નિફાઝે શરીયતે મોહમ્મદી નામના સંગઠન સામે પાકિસ્તાની સેનાએ સંધિના માધ્યમથી આત્મસમર્પણ કર્યું હતું. ટીએનએસએમના વડા સુફી મોહમ્મદની આ એક મહત્વની જીત હતી. મલકંદ ડિવિઝનમાં ફઝલુલ્લાહ અને સુફી મહોમ્મદ જેવા તાલિબાનોની સત્તા ચાલી રહી છે. જેના કારણે આ ક્ષેત્રમાં અમેરિકી સેનાઓ સામે કોઈપણ કાર્યવાહીને અંજામ આપી શકાય તેમ છે. અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે પાકિસ્તાને પોતાની રાજધાનીથી 160 કિલોમીટરના અંતરે આવેલી સ્વાત ઘાટી અને મલકંદમાં નિયંત્રણ ગુમાવી દીધું છે, તો આવી સ્થિતિ અફધાનિસ્તાન સરહદે આવેલા અન્ય ક્ષેત્રોમાં ઉભી નહીં થાય ને? અફધાનિસ્તાનમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોને આ સમગ્ર ઘટનાક્રમથી ધક્કો પહોંચ્યો છે.
ભારત માટે પણ ગંભીર ચિંતાનો વિષય ઉભો થયો છે, કારણ કે આ ક્ષેત્ર પાક અધિકૃત કાશ્મીરના વિસ્તારોને સ્પર્શે છે. આ ક્ષેત્રનો ઉપયોગ કાશ્મીર અને ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે અને આતંકવાદીઓને તાલીમ આપવા માટે થઈ શકે તેવી શક્યતાઓ છે. તાલિબાનોથી પાકિસ્તાનને પણ એટલો જ ખતરો છે કે જેટલો ભારતને. પાકિસ્તાન પોતાના પ્રાંતો પરથી નિયંત્રણ ગુમાવી રહ્યું છે. હવે તો પાકિસ્તાન અને અફધાનિસ્તાન વચ્ચેની ડૂરંડ રેખાનું આંતરરાષ્ટ્રીય વિભાજક રેખા સ્વરૂપે અસ્તિત્વ સમાપ્ત થવામાં છે. આ એવી ઘટના છે કે જે દક્ષિણ એશિયામાં માટા પરિણામો જન્માવે. નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ ઓફ અમેરિકા સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના રિપોર્ટ પ્રમાણે, આગામી સમયમાં પાકિસ્તાન વધુ અલગ-થલગ પડી જશે. ત્યારે પ્રશ્ન થાય કે પાકિસ્તાન અસફળ રાષ્ટ્ર અને રાજ્ય બનવા તરફ આગળ ધપી રહ્યું છે? પાકિસ્તાન જે ઝડપે પોતાના ક્ષેત્રો પરથી નિયંત્રણ ગુમાવી ચુક્યું છે, તેનાથી આ બાબતને પુષ્ટિ મળી રહી છે.
અમેરિકાએ પોતાની ભૂલો જાળવી રાખવામાં અદભૂત સાતત્ય જાળવ્યું છે! તાલિબાનો સાથેની સંઘિ બાદ હોલબ્રુકે પ્રતિક્રિયા આપી હતી કે ભારત અને પાકિસ્તાન સમાન જોખમોનો સામનો કરી રહ્યાં છે. તેના પરથી લાગે છે કે અમેરિકા ભૂલોમાંથી કંઈ શીખ્યું નથી અને આ સંદર્ભેની તમામ બાબતો ભૂલી ગયું છે. હોલબ્રુકને મુંબઈ હુમલા બાદ તો ખબર પડવી જોઈએ કે ભારત, પાકિસ્તાન પ્રાયોજિત , પ્રેરિત અને સમર્થિત આતંકવાદનો ભોગ બની રહ્યું છે. ભારતમાં આતંકવાદી પ્રવૃતિને પાકિસ્તાન ફંડ, શસ્ત્રો અને પ્રેરણા પૂરી પાડે છે. જ્યારે પાકિસ્તાન પોતાની ખોટી નીતિઓને કારણે જ હાલ પીડિત અવસ્થામાં પોતાના લક્ષ્યોની પ્રાપ્તિ માટે પાકિસ્તાન સિંધુની પશ્ચિમે આતંકવાદ સામેના યુધ્ધમાં પરિણામો લાવે તેના પૂરતો જ સારોકાર ધરાવે છે.
સ્ત્રીઓની બદતર સ્થિતિ, બાળકોને જેહાદી ઝનૂનનું વિષપાન, અસંખ્ય આત્મઘાતી હુમલા અને પશુતાની હદ સુધીનું તાલિબાનોનું વલણ લોકતાંત્રિક હવામાં શ્વાસ લઈ રહેલા ભારતીયો માટે કલ્પનાતીત છે.
જેહાદ પર પોતાના નવા પુસ્તકમાં પાકિસ્તાની લેખિકા આયેશા જલાલે લખ્યું છે કે જો પાકિસ્તાને ઈસ્લામનો ઉદારવાદી અને પ્રબુધ્ધ વિચાર અપનાવવો હોય, તો તે જેહાદની અવધારણાની ખુલ્લી ચર્ચાથી બચી શકે તેમ નથી. સૈન્ય પ્રભુત્વવાળા રાષ્ટ્રે આસ્થા અને ઈશ્લામની નૈતિકતામાં અંતર્નિહિત જેહાદનો ઉપયોગ સામરિક, રાજકીય અને આર્થિક ઉદેશ્યોની પૂર્તિ માટે કર્યો છે. આ પ્રકારની સામરિક દ્રષ્ટિ સમતા અને ન્યાયના પ્રથામિક ઈસ્લામિક સિધ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. જો પાકિસ્તાને એક નવું સ્વરૂપ બનાવવું હશે, તો તેની સેનાએ પોતાની સામૂહિક દ્રષ્ટિમાં મોટું પરિવર્તન આણવું પડશે. ત્યારે સ્પષ્ટ છે કે પાકિસ્તાની સેનાએ ઈસ્લામના તત્વોની પોતાની વ્યાખ્યામાં પરિવર્તન કરવાની શરૂઆત કરવી પડશે. જેના પરિણામે જ પાકિસ્તાની જનતા સામે ઉભો થયેલો તાલિબાની શેતાન નાશ પામશે.
(Published on 7th March,2009 in Sankalan Sreni)