Friday, May 27, 2011

અમેરિકામાં 9/11 તો સ્વામી વિવેકાનંદે પણ કર્યું હતું!


11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા ભારતીય સંન્યાસીએ કહેલી વાત વિચારીએ, તેમણે કહ્યું હતું કે ‘જેમ જુદાંજુદાં સ્થળેથી નીકળતાં નદીના અનેક વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ, જુદાંજુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરળ યા અટપટાં હોય, તો પણ અંતે તો એ બધાં તારા પ્રત્યે જ લઈ જાય છે.’ આ સંન્યાસી અન્ય કોઈ ન હતા પરંતુ દેશ-દુનિયાના સેંકડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ હતા.

સ્વામી વિવેકાનંદનું પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ

ભગવા વસ્ત્રોમાં સજ્જ કેસરી પાઘડીવાળા સ્વામી વિવેકાનંદનું તૈલચિત્ર આજે પણ દેશ અને દુનિયાના સેંકડો યુવાનોને પ્રેરણા આપી રહ્યું છે. તેમની આંખોના ભાવ આજે પણ ભારતના યુવાનોમાં નચિકેતાને શોધી રહ્યાં છે, કે જે ભારતને પરમ વૈભવે પહોંચાડી શકે. તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી બળ અને ધૈર્ય નીતરે છે.

જ્યારે તેઓ 1892માં અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં અસરકારક ભાષણ દ્વારા ભારતીય વેદાંતના સિદ્ધાંતોને તર્કબદ્ધ રીતે સમજાવીને પોતાના સ્થાન પર બેઠાં ત્યારે ત્યાં આવેલા તમામ ધર્માચાર્યો તેમની પ્રભાવી વાણીમાં હિંદુ ધર્મ અને તત્વજ્ઞાન અંગે સાંભળીને શું બોલવું? તે નક્કી કરી શક્યા ન હતા!

સ્વામી વિવેકાનંદની ઉંચી ખડતલ દેહયષ્ટિ, વેધક અને તેજસ્વી વિશાળ આંખો, ઘેરો અને સમૃદ્ધ એવો સ્વર તેમના પ્રતિભાશાળી તથા પ્રભાવશાળી વ્યક્તિત્વને વિશિષ્ટ શક્તિ પ્રદાન કરતાં હતા. તેઓએ ખરેખર 11 સપ્ટેમ્બર, 1892ના દિવસે વિશ્વ ધર્મ પરિષદમાં ભારત માટે ‘દિગ્વિજય’ કર્યો હતો. તેઓ ધાર્મિક હોવા છતાં સમર્પણ તેમના માટે સ્વભાવગત ન હતું! તેમનું મન એક વિજેતાનું મન હતું. શું તફાવત હતો સ્વામી વિવેકાનંદના વિચારોમાં અને અન્ય ધર્માચાર્યોના વિચારમાં? સ્વામી વિવેકાનંદે કોઈ જ વિદ્વતાપૂર્ણ નિંબધ વાંચ્યો ન હતો. તેમજ કોઈના ભલામણ પત્ર પણ સાથે લાવ્યા ન હતા. સૌને સવાલ થયો હતો કે ભારતથી આવેલા એક અજાણ સંન્યાસીએ કેવી રીતે આટલો ઉંડો પ્રભાવ પાડયો?

તેનો જવાબ સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના શિકાગો ખાતે થયેલા ઉદબોધનમાંથી મળી જાય છે. આ પરિષદમાં અન્ય ધર્માચાર્યો પોતાના ધર્મના ઈશ્વર અંગે બોલ્યા હતા, જ્યારે સ્વામી વિવેકાનંદ સૌના ઈશ્વર વિશે બોલ્યા હતા!જો કે આ વાત હજી સુધી સમજી ન શકનારા આપણે હજી પણ આપણાં ઈશ્વર માટેની લડાઈઓ ચાલુ રાખી છે.

ઓસામાના 9/11ને કદાચ સ્વામી વિવેકાનંદે પારખી લીધું હતું!


સ્વામી વિવેકાનંદે કદાચ 11 સપ્ટેમ્બર, 1893ના દિવસે જ ઓસામા બિન લાદેનના દોરી સંચાર હેઠળ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થનારા અમેરીકા પરના ભીષણ આતંકવાદી હુમલાને કદાચ જોઈ લીધો હશે. કારણ કે સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ઉદઘાટન વખતે બોલાયેલા શબ્દો તેના સાક્ષી છે.

વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાનઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે.’ સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદના ઘંટારવને યાદ કરીને કહ્યું હતું કે ‘આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદાંજુદાં માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃતિઓનો, સર્વઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતાં સર્વ ત્રાસનો મૃત્યુ ઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.’

વિશ્વમાં આતંકવાદની સૌથી મોટી ઘટના 11 સપ્ટેમ્બર, 2001ના દિવસે થઈ હતી. તેના વિલન અલકાયદા અને તેનો સરગના ઓસામા-બિન-લાદેન હતા. આ ઘટનાને આતંકના ઈતિહાસમાં 9/11ની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 11 સપ્ટેમ્બર, 1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના અજાણ્યા સંન્યાસી ભગવા વસ્ત્રધારી સ્વામી વિવેકાનંદે ભારત અને હિંદુ ધર્મનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજ કોઈ યુદ્ધ કરીને, કોઈ હિંસા કરીને કે કોઈ પ્રકારની બળજબરીથી મળેલા વિજયને કે ઓસામાના જેવા આતંકી કુકૃત્યોને પરિણામે ફરક્યો ન હતો. પણ પ્રેમ, સમજણ અને જ્ઞાન દ્વારા સ્વામી વિવેકાનંદે ભારતમાં જન્મેલા અને વિશ્વમાં અનેક સ્વરૂપે પ્રસરેલા સનાતન હિંદુ ધર્મની ધ્વજ પતાકા પોતાના ઓજસ્વી ભાષણથી ફરકાવી હતી.

આ પણ અમેરીકા પર એક હુમલો હતો, પણ આ હુમલો હતો અમેરીકા અને અન્યોના જ્ઞાનના ગરુર પરનો હુમલો. આ એવો હુમલો હતો કે જેમાં એક પણ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ઘાયલ થઈ ન હતી કે મૃત્યુ પામી ન હતી. હા, ત્યાં ઉપસ્થિત સેંકડો લોકો સ્વામી વિવેકાનંદના હિંદુ ધર્મ ચિંતન અને તત્વજ્ઞાનથી નતમસ્તક જરૂર થઈ ગયા હતા. 1893ના શિકાગોમાં થયેલા 9/11ના હીરો સ્વામી વિવેકાનંદ હતા.

વિશ્વ ધર્મ પરિષદમાં કહેલી સ્વામી વિવેકાનંદની વાતોને જો માનવ સમાજે યાદ રાખી હોત તો કદાચ 9/11ની ભીષણ આતંકવાદી હુમલાની ઘટના બની ન હોત. ધર્મો વચ્ચે સંવાદની પ્રક્રિયા સાધી શકાય હોત તો કદાચ જેહાદી આતંકવાદીઓના જથ્થા તૈયાર કરનારા ઓસામ બિન લાદેનો પેદા થઈ શક્યા ન હોત. સારા વિશ્વ ધર્મ સંવાદથી કદાચ ધર્મના નામે ચાલતો આતંકવાદ નિર્મૂળ કરી શકાશે. કદાચ ઓસામ બિન લાદેન અને તેના અનુયાયીઓની વિચારધારા અને માનસિકતાને વિશ્વમાંથી રૂખસદ આપી શકાશે.

તમારો અભિપ્રાય


વાચકમિત્રો સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ભાષણ સંદર્ભે અને તેમણે આપેલા દ્રષ્ટિકોણ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? તમને લાગે છે કે ભારતે સ્વામી વિવેકાનંદના વૈચારીક માર્ગદર્શન હેઠળ પોતાનો પથ નક્કી કરવો જોઈએ? ભારતીય તત્વજ્ઞાનને ઘેરાયથી સમજવાની જરૂર છે? તમારો મત અમને નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં લખીને મોકલી જણાવશો.

No comments:

Post a Comment