Saturday, May 28, 2011

પાકિસ્તાન સામે યુધ્ધ: ભારત ઈચ્છે ત્યારે, પોતીકી વ્યૂહરચનાથી


(પ્રકાશન 9મી જાન્યુઆરી, 2009ના ગુજરાત ટાઈમ્સના અંકના પૃ.નં.-2 પર)

યુધ્ધોન્મત પાકિસ્તાન યુધ્ધોન્માદ ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર કરીને વિશ્વનું ધ્યાન આતંકવાદની મૂળ સમસ્યાથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મુંબઈ પરત્વે આતંકવાદીહુમલો પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની રહેમનજર હેઠળ લશ્કરે તોઈબા દ્વારા કરવામાં આવ્યો હોવાનું સર્વવિદિત છે. કેટલાંક સમય પહેલા ભારત સાથે શાંતિવાર્તાની રમત રમનાર પાકિસ્તાન નાગરિક સરકાર આવ્યા બાદ ભારત માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફની વિદાય પછી સત્તા પર આવેલી નાગરિક સરકારનો પાકિસ્તાની સેના કે આઈએસઆઈ પર કોઈ કાબૂ નથી. મુંબઈ પરનો આતંકવાદી હુમલો અને તેની પેટર્ન તેનું ઉદાહરણ છે.

કારગિલ યુધ્ધ જેવું ઊંબાડિયું કરી ચૂકેલું પાકિસ્તાન મુંબઈ હુમલા દ્વારા ભારતને યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરવા માટે વ્યવસ્થિતપણે ઉશ્કેરી રહ્યું છે. મુંબઈ હુમલો થવા દેવા પાછળ પાકિસ્તાની સૈન્યની ભૂમિકા તપાસવા જેવી છે. અફધાન યુધ્ધ અને પોતાના વિસ્તાર વજીરીસ્તાન અને સ્વાત ખીણમાં અમેરિકાના દબાણની લડાઈમાં ઝોકાયેલી પાકિસ્તાન સેના તેમાંથી છટકવાનો રસ્તો ઘણાં સમયથી શોધતી હતી.

અફધાન સરહદે પાકિસ્તાની સૈન્યના એક લાખ સૈનિકો તૈનાત હતા. પોતાના દ્વારા ઊભા કરાયેલા તાલિબાનો સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાની સેના ક્યારેય રાજી ન હતી. તેમ છતાં મુશર્રફે અમેરિકાના દબાણ તળે આ લડાઈમાં સેનાને વ્યસ્ત રાખી રહ્યાં હતા.

આમ તો પાકિસ્તાનને ચલાવે છે, આર્મી. જ્યારે આર્મી ચાલે છે, અમેરિકાના દોરીસંચારથી. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. પાકિસ્તાનને આર્મી ચલાવે છે, તે વાત સાચી, પણ પાકિસ્તાની સેનામાં પ્રભાવી થી રહેલા કટ્ટરપંથી તત્વોએ સેના પરનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે, જેની સાબિતી છે, મુંબઈ પરનો આતંકવાદી હુમલો.
ભારતીયતા અને ભારતના વિરોધ પર રચાયેલા પાકિસ્તાનને પોતાના અસ્તિત્વ માટે પણ ભારતવિરોધ ચાલુ રાખવો જરૂરી હોય તેમ લાગે છે. મુંબઈ પરના હુમલા પછી તત્કાલિન ભારતીય વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સહિત તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી હતી. સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર દબાણ કરવા કૂટનીતિક પ્રયત્નો આદર્યા હતા, જેના પરિણામે પાકિસ્તાને કેટલાંક આતંકવાદીઓને નજરબંધ કર્યા અને જમાત ઉદ દાવા પર નામ માત્રનો પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે પાકિસ્તાનની પોલ ત્યારે ખૂલી કે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ગુપ્તચર સંસ્થાના વડા લેફટનન્ટ જનરલ અહમદ પાશાને ભારત મોકલવા માટે સહમત થયેલી પાકિસ્તાની સરકાર જનરલ અશફાક પરવેઝ કિયાનીના ઈશારે પોતાના વચનમાંથી ફરી ગઈ હતી. પાકિસ્તાની સેનાએ તેમના દેશમાં રહેલા આતંકવાદના તંત્રને ખતમ કરવાની જગ્યાએ ભારતીય સરહદે સૈન્યનો ખડકલો કર્યો છે. અત્યારે ભારતીય સેનાની સાત કોર એટલે કે સાડા ત્રણ લાખ સૈનિકોનો ખડકલો કરાયો છે. તેની સાથે સાથે અફધાન સરહદે અમેરિકી અને નાટો સૈન્ય તથા તાલિબાનો વચ્ચે બફરનું કામ કરી રહેલી પાકિસ્તાની સેનાને પણ ભારત સરહદે ખસેડવામાં આવી હતી. ત્યારે તહેરિકે તાલિબાનના સરગના બૈતુલ્લાહ મહેસૂદે ભારત સામેના યુધ્ધમાં પાકિસ્તાની સેનાને સાથ આપવાની વાત કરી હતી. જેનાથી આઈએસઆઈ, પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી છે.

અત્યારે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાહતું નથી. કારણ કે તેનાથી વોર ઓન ટેરર નબળું પડે તેવી સંભાવના છે. જો કે પાકિસ્તાની સેના પોતાના હિત માટે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તે માટે વ્યૂહાત્મકપણે આગળ વધી રહી છે. પાકિસ્તાની સેનાનો પોતાનો એજન્ડા છે. તેની ઈચ્છા પાકિસ્તાન કે અન્ય આતંકી સંગઠનોનો નાશ કરવાની નથી. કેટલાક સમય પહેલા પાકિસ્તાનને નફરત કરનારી પાકિસ્તાની આવામ અત્યારની પરિસ્થિતિમાં સેનાની પડખે છે. પાકિસ્તાની સેના આ પરિસ્થિતિ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ સુધી ચાલુ રહે તેમ ઈચ્છે છે, કારણ કે તે સમયગાળા દરમિયાન અમેરિકામાં પ્રમુખ પદે બરાક હુસૈન ઓબામાની તાજપોશી થશે. અફધાન અને પાકિસ્તાન સંદર્ભે ઓબામાની નીતિઓનો ખુલાસો થશે. સાથે ભારતમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ હશે, તેમ છતાં બરાક ઓબામાના વિચારો સ્પષ્ટ છે. તેમણે પાકિસ્તાનને સૈન્ય સહાયતામાં કાપ મૂકવાના સંકેતો આપ્યા છે.

તો બીજી તરફ ભારત સરકારે વિદેશમાં નિયુક્ત રાજદૂતોની બેઠક બોલાવીને પાકિસ્તાનને બેનકાબ કરવા માટે ભારતના પક્ષમાં રણનીતિ બનાવી છે. આમ તો કૂટનીતિ વાંછિત પરિણામો મેળવવાનું યોગ્ય હથિયાર છે. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી યુધ્ધ સિવાયના અન્ય વિકલ્પોથી પરિણામ લાવવાનો પ્રયત્ન સારો છે. અત્યારે ભારતની પ્રાથમિકતા આર્થિક તાકાત બનવાની છે. ત્યારે નવ ટકાના વિકાસદરથી સાત ટકાના વિકાસદરે વૈશ્વિક મંદીના કારણે પહોંચેલા ભારત માટે યુધ્ધ આખરી વિકલ્પ હોય તે વાંછિત છે. જો કે ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ અને વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સમસ્યાનો ઉકેલ નથી કહીને પાકિસ્તાનને આતંકવાદી તંત્ર ખતમ કરવા કહ્યું છે. તેની સામે પાકિસ્તાની સેના યુધ્ધોન્માદ ફેલાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બંને દેશોના તણાવ તરફ ખેંચીને મુંબઈકાંડને ગૌણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

24મી ડિસેમ્બરે વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સને સત્તારૂઢ તત્વો(સેના અને આઈએસઆઈ)નું સમર્થન હોવાનું નિવેદન કર્યુ છે.
યુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ, યુધ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ જેવી ભાષા ભારતીય મિડિયા અને લોકો બોલી રહ્યાં છે. જો કે મુંબઈ પરનો આતંકવાદી હુમલથી ભારતને ઉશ્કેરી પાકિસ્તાની સેના પોતાના હિતો પાર પાડવા માગે છે. ભારતે મુંબઈ કાંડને પાકિસ્તાનના ટ્રેપ(છટકાં) તરીકે જોવો જોઈએ.

યુધ્ધની કહાનીઓ સારી હોય છે. યુધ્ધ નહીં.જો કે આપણી પાસેની મજબૂત સેના થકી આ વિકલ્પ ખુલ્લો છે. તો પરમાણુ શસ્ત્રો સહિતના તમામ વિકલ્પોને પણ પાકિસ્તાન સાથેના યુધ્ધમાં ખુલ્લા રાખવા પડશે. યુધ્ધથી ડરવાની જરૂર નથી, પણ તે પહેલાં તમામ વિકલ્પો અજમાવી લેવા જોઈએ.

પરમાણુ બોમ્બથી વિશ્વને બ્લેકમેઈલ કરવા નીકળેલું પાકિસ્તાન સુધરશે નહિ, તો તેને ખોખરું કરવું પડશે,પણ પાકિસ્તાન ઈચ્છે ત્યારે તેની વ્યૂહરચના પ્રમાણે ભારતે યુધ્ધ જેવા પગલાંથી બચવું જોઈએ. આર્થિકપણે કંગાળ પાકિસ્તાન સામે નિર્ણાયક યુધ્ધ લડવું જોઈએ, પણ તે ભારતની ઈચ્છા પ્રમાણે અને ભારતીય સેનાની વ્યૂહરચના સાથે.

ભારતે હવે અમેરિકા કે અન્ય કોઈ દેશ મદદે આવે તેની આશા રાખવી યોગ્ય નથી કાશ્મીર મુદ્દે સુરક્ષા પરિષદના કટુ અનુભવ પછી પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જવું કેટલું મદદગાર સાબિત થશે, તે કહેવું મુશ્કેલ છે. ઓબામાના વહીવટી તંત્ર સાથે ભારત સીટીબીટી, પર્યાવરણ, પરમાણુ સામગ્રી પ્રતિબંધ સંધિ મુદ્દે અલગ મત ધરાવે છે.

અંતે...........

યુધ્ધની તૈયારી શાંતિની ખાતરી હોય છે.

No comments:

Post a Comment